સાહિત્ય પલ્લવ – ભાગ ૩/જાગીને જોઉં તો
૯. જાગીને જોઉં તો
નરસિંહ
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
પંચમહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી. જા૦
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિષે ભેદ નોયે;
ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે જા૦
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ તે જ તું તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધ્યા. Template:ગપ્જા૦
સ્વાધ્યાય
૧. વલોણાનું વર્ણન કરો.
૨. બીજા ગીતને મળતી કૃતિઓ ખ્યાલમાં હોય તો વાંચો. કવિશ્રી નાનાલાલનું ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો’ પહેલાની સાથે, અને ‘પાણીડાં કેમ ભરીએ?’ બીજાની સાથે સરખાવો.
૩. ‘સહુ રાતાં’માં ‘રાતા’નો અર્થ રંગસૂચક જ છે કે ક્યાંક એનો લક્ષ્યાર્થ પણ કાંઈ છે? આની જોડે સાહિત્યપલ્લવ ભાગ ૧માંનું ભાલણનું ‘મીઠું’ સરખાવો.
૪. ‘આજની ઘડી રળિયામણી’ સાથે દયારામનું ‘શેરી વળાવી સજ્જ કરું’ એ ગરબી સરખાવો.
૫. મહેતાજીએ હરિજનો જોડે શી રીતનો વર્તાવ રાખ્યો? શા માટે?
૬. ભક્તિનો મહિમા કહો. અબળાનો અવતાર શા માટે ધન્ય?
૭. ‘પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર’ — સમજાવો.
૮. ‘જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા’ - સાથે આગળ અખાનું પદ આવે છે તે સરખાવો.