સાહિત્ય પલ્લવ – ભાગ ૩/નરસિંહરાવ દિવેટિયા
[પહેલું કાવ્ય યશોધરાએ બુદ્ધને પૂછેલા એક પ્રશ્નના ઉત્તરરૂપે છે. યશોધરા પૂછે છે કે, ‘હે બુદ્ધ, તારું જીવન જે આટલું બધું પ્રેમપૂર્ણ બન્યું છે તે પ્રેમની એ પ્રેરણા ક્યાંથી મેળવે છે? એ પ્રેમનો સંદેશ એને ક્યાંથી મળે છે? અને સાથે સાથે તારો પ્રેમ પણ શો સંદેશો આપે છે?’ બીજી પંક્તિથી બુદ્ધનો જવાબ શરૂ થાય છે. બીજી કડીના અંત સુધીમાં કવિ કુદરતમાંથી સંદેશ મળ્યાનો ઉલ્લેખ કરે છે. (સરખાવો ઉમાશંકરનું ‘ગીત ગોત્યું’.) એ વર્ણનમાં સાગરપટ પર વેરાયેલી ચંદ્રિકાનું કેવું સરસ વર્ણન કર્યું છે! ત્રીજી કડીથી કાવ્યમાં પલટો આવે છે. (સર૰ ‘ગીત ગોત્યું’માં સેંથીની વાટે અને લોચનને ઘાટેથી એ રીતે આવતો પલટો) એ પલટો માનવભાવ પ્રતિનો છે. કોઈ યુવતીના પતિની જીવન-હોડી જીવન અને મૃત્યુના પ્રૌઢ તરંગ વચ્ચે ઝોલા ખાઈ રહી હોય તે વખતે તે યુવતીના મનની શી સ્થિતિ હોય? કેવી અડગતાથી, ધીરતાથી અને આશાભરી તે પતિની સેવા શુશ્રુષા કરતી બેઠી હોય છે! પણ તે વખતે તેના અંતરમાં તો આંસુ જ હોય છે ને! પણ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિની સુવાસવાળાં એ ફૂલો કેવાં સુન્દર બની રહે છે! વળી પાછા કવિ કુદરત તરફ જાય છે. (સર૰ ‘ગીત ગોત્યું.’) ને વળી પાછા માનવભાવમાં ઊતરે છે. આવી રીતે પાછળની પંક્તિઓમાં પણ આવે છે. બાળકને સ્વર્ગ અને મર્ત્ય જીવન વચ્ચેના અંકોડારૂપે કવિએ વર્ણવ્યું છે. આપણા શ્રી. નાનાલાલ કવિએ બાળકને ‘પ્રભુના પયગમ્બર’ તરીકે ઓળખાવ્યું છે — એનો એક જ અર્થ છે કે બાળક ભોળું, સરળ, પાપરહિત હોઈ નિર્દોષતાની મૂર્તિ જેવું છે. અને નિર્દોષતા સ્વર્ગ અને મર્ત્ય લોક વચ્ચેના અંકોડા જેવી છે. બીજા કાવ્યમાં એક કરુણ સત્ય ઘટના કવિએ ઉતારી છે. ઈ.સ. ૧૮૫૩ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખે, રત્નાગિરિ જિલ્લાની ઉત્તરની હદે આવેલી સાવિત્રી નદી જ્યાં સમુદ્રને મળે છે તે જગ્યાએ એક નાવડી ઊંધી વળી ગઈ. જે સ્થળે એ અકસ્માત થયો તે સ્થળની નજીક જ બાનકોટનો કિલ્લો છે. એ કિલ્લામાં તે વખતે આર્થર મેલેટ નામનો એક સિવિલિયન હતો. તેની પત્ની સોફિયા માર્સિયા (ઉમ્મર વર્ષ ૨૬) અને દીકરી એલન હેરિયેટ (ઉમ્મર દિવસ બત્રીસ) એ હોડીમાં હતાં. પત્ની લાંબે ગાળે પતિ પાસે આવતી હતી, પતિ પત્ની એકબીજાને મળવા કેવાં આતુર હશે! ‘એ આવ્યો કિલ્લો! ઓ દેખાય આર્થર!’ ને ‘ઓ આવે સોફિયા!’ એમ બન્ને પતિપત્ની ધડકતે હૃદયે પોતાના મન સાથે વાત પણ કરી રહ્યાં હશે ત્યાં હોડી ઊંધી વળી ગઈ અને બીજા તેર જીવો સાથે એ મા દીકરી પણ ડૂબી ગયાં. કેવી કરુણ ઘટના! ‘ચિત્રવિલોપન’ એટલે ચિત્રનું લોપ થઈ જવું-ભૂંસાઈ જવું. કયું ચિત્ર ભૂંસાઈ ગયું? પહેલી જ કડીમાં કવિએ એક સરસ ચિત્ર દોર્યું છે. એમાં સંધ્યાને એક સુન્દરી તરીકે કલ્પી તેના ખોળામાં શુક્રતારારૂપી બાળકીને રમાડતી કવિએ વર્ણવી છે. એવું જ બીજું ચિત્ર હોડીમાં બેઠેલી પેલી ગોરી યુવતી અને તેની બત્રીસ દિવસની બાળકીનું છે. સંધ્યા અને યુવતી, શુક્રતારા અને બાળકી વર્તમાન સુખમાં મશગૂલ છે, પણ સંધ્યાનું એ સુખ કેટલી ઘડીનું? એ પ્રશ્નમાં કવિએ સુન્દર ધ્વનિ મૂક્યો છે. શુક્રતારા પણ આકાશમાં કેટલી ઘડી રહે? રાત આવતાં તો એ ચિત્ર ભૂંસાઈ જશે. એવું જ તો પછી પેલા બીજા ચિત્રનું નથી થવાનું, એ ઊંડી ઊંડી ભીતિ કવિતા વાંચતાં આપણા મનમાં રહ્યા કરે છે. ભાવ અનુસાર બદલાતી છંદરચના આ કાવ્યના પ્રવાહને કેવા વેગ આપે છે તે જોજો. નાવડું એકાએક ઊંધું વળવા માંડતાં ખંડ હરિગીતમાંથી ઉધોર અને તરત જ ઉધોરમાંથી અર્ધ ભુજંગીમાં થતું છન્દનું પરિવર્તન કાવ્યના હેતુને ખૂબ પોષક નીવડ્યું છે.]