ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/હરીશ નાગ્રેચા
હીરેન્દ્ર પંડ્યા
સર્જક પરિચય:
૨૫ ડિસેમ્બર, ૧૯૩૪ના રોજ પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા વાર્તાકાર, નાટ્યકાર હરીશ નાગ્રેચાનું વતન ગુજરાતના જામનગર જિલ્લાનું જોડિયા ગામ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ કરાચી ખાતે પ્રાપ્ત કર્યું હતું. સ્વતંત્રતા બાદ ભારતનું વિભાજન થતાં તેઓ ઈ.૧૯૪૭માં મુંબઈ આવ્યા અને ઈકોનોમિક્સ સાથે બી.એ. પૂર્ણ કર્યું. ઈ.૧૯૬૪માં ભારતીય વિદ્યા ભવનમાંથી જર્નાલિઝમમાં એડવાન્સ ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અહીં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શ્રી મોરારજી દેસાઈના હસ્તે તેમને‘સિલ્વર મેડલ’મળ્યો. અભ્યાસ દરમિયાન જ આજીવિકાની શરૂઆત કરી. શાળા, ફેક્ટરી, ગવર્નમેન્ટ વિભાગ, માર્કેટિંગ, ટ્રાવેલ- ટુરિઝમ, ઈન્સ્યોરન્સ, ઈન્ડસ્ટ્રિયલ જર્નાલિઝમ એમ અનેક ક્ષેત્રે કામ કરીને જીવનનો બહોળો અનુભવ મેળવ્યો. ઈ.૧૯૬૧માં તેમની બંસરી દેસાઈ સાથેની મિત્રતા લગ્નમાં પરિણમી. તેમને એક પુત્ર તનય છે, જે યુ.કે.માં સ્થાયી થયા છે. છેલ્લે પક્ષાઘાતને કારણે તેઓ ત્રીસ વર્ષની કારકિર્દી પૂર્ણ કરી, ઈ.૧૯૯૫માં ઑલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝ એસોશિયનના સેક્રેટરી જનરલ તરીકે નિવૃત્ત થયા. ૨૨ જુલાઈ, ૨૦૦૯ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમની પ્રથમ વાર્તા ઈ.૧૯૬૪માં પ્રગટ થઈ. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘તું બોલ ને..!’ ઈ.૧૯૯૦માં પ્રગટ થયો. આ ઉપરાંત તેમની પાસેથી ‘અને...છતાં...પણ…’(ઈ.૧૯૯૮), ‘હેલો, સૂર્યા!’ (ઈ.૨૦૦૨) તથા ‘એક ક્ષણનો ઉન્માદ’ (ઈ.૨૦૦૭) એમ બીજા ત્રણ વાર્તાસંગ્રહ મળે છે. નાટ્યક્ષેત્રે તેમનું મૌલિક ત્રિઅંકી નાટક ‘એક લાલની રાણી’ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અનુદાનથી ઈ.૧૯૯૯માં પ્રગટ થયું. આ નાટકને કલાગુર્જરી (મુંબઈ) અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના બીજા નાટક ‘ખોડિયા સૂરજ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો છે. તેમણે ચાર મૌલિક ત્રિઅંકી નાટકો લખ્યા છે. ઈ.૧૯૭૪થી તેઓ ટેલિવિઝન માટે લેખન કાર્ય કરતા રહ્યા છે. તેમના ટેલિ-પ્લેઝ, ગુજરાતી અને હિન્દીમાં મુંબઈ, અમદાવાદ તથા દિલ્હી દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થયા છે. ઈ.૧૯૭૮માં તેમના ટેલિ-પ્લે ‘બીકનું બંડલ’ને મુંબઈ દૂરદર્શન તરફથી શ્રેષ્ઠ ટેલિ-પ્લેનું ઈનામ મળ્યું હતું. ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સ, બેંગ્લોર તરફથી તેમને કોલોબોરેટિવ પ્રોજેક્ટ Planging off the cliff-cross language, cross Media Explorations of the ‘word’ માટે ઈ.૨૦૦૧માં ગ્રાન્ટ એનાયત થઈ હતી.
કૃતિ પરિચય:
૧. ‘તું બોલ ને!’ (ઈ.૧૯૯૦)
‘તું બોલ ને!’ (ઈ.૧૯૯૦) વાર્તાસંગ્રહમાં કુલ દસ વાર્તાઓ છે. આ સંગ્રહ સર્જકે બા ડાહીબેન નાગ્રેચા અને બાપુજી હેમરાજ નાગ્રેચાને અર્પણ કર્યો છે. આ સંગ્રહની પ્રસ્તાવનામાં સર્જક પોતે શા માટે સર્જન કરે છે એ વાતનો ઉત્તર આપે છે. એટલું જ નહીં, સંગ્રહના શીર્ષક પાછળની પોતાની વિચારણા પણ સ્પષ્ટ શબ્દોમાં સમજાવતા લખે છે, “તું બોલને...!’ એ અબોલાનું ‘પોઝિટિવ’ ફોર્મ છે, પણ અબોલા, નોન – કોમ્યુનિકેશન, એટલે શું? પ્રત્યક્ષ કે પરોક્ષ, સૂક્ષ્મ કે નફ્ફટપણે કોણ, ક્યારે, કોનાથી, ક્યાં રિસાતું નથી? પ્રિયજન રિસાઈ ન બોલે, એ અબોલા. પ્રિયજન આપણને અનુભવવું હોય એવું બોલવા સમર્થ અને સભાન હોવા છતાં જો એવું ન – બોલે, તો એ પણ અબોલા. બે વ્યક્તિ સંકળાય, પરંતુ એકબીજા સાથે એકધારું બોલતાં હોવા છતાં જો એમને ન બોલ્યાની અધૂરપ સતત સાલ્યા કરે તો એ પણ અબોલા જ ને?... વ્યક્તિ માત્ર ઈચ્છતી હોય છે કે જિંદગી એની સાથે, એના ‘ટર્મ્સ’ પર કોમ્યુનિકેટ કરે, અને અપૂર્ણ રહેતી એની આ અપેક્ષા એટલે જિંદગી તરફથી વ્યક્તિને થતી તીવ્ર અબોલાની અનુભૂતિ! જીવ-શિવ વચ્ચે સતત ચાલતા એકપક્ષી કરગરાટને શું કહેવું – અબોલા?’ પ્રથમ સંગ્રહની દસ વાર્તાઓમાં મહદઅંશે એકલતા, ઉદાસીનતા, વિષાદની સંવેદનાઓ જોવા મળે છે. આ સંવેદનાઓ પાછળ પરિવેશ મહાનગર મુંબઈનો છે. બીજું કે, આ વાર્તાઓમાં કૌટુંબિક સંબંધો અને તેમાં બાળપણમાં બનેલા બનાવોની વ્યક્તિના ચિત્ત પર થતી અસરોનું માનસશાસ્ત્રીય રીતિએ નિરૂપણ થયું છે. બ્રિટીશ માનસશાસ્ત્રી John Bowlbyની ‘Attachment Theory’ના આધારે હરીશ નાગ્રેચાની આ પાત્રસૃષ્ટિ વધારે સારી રીતે સમજી શકાય તેમ છે. બાઉલ્બીના મતાનુસાર બાળપણમાં જ એ વાતનો નકશો માનવચિત્તમાં કંડારાઈ જાય છે કે માનવી યુવાવયે કોની સાથે જોડાશે? એ જોડાણ કેવું રહેશે? અને એ જોડાણ વ્યક્તિના વિકાસમાં કેવી ભૂમિકા ભજવશે? અટેચમેંટ એટલે માત્ર બાળકને મળતું પોષણ કે ખોરાક નથી, પરંતુ તેના પાલક તરફથી મળતી હૂંફ, સ્નેહ અને કાળજીની લાગણી છે કે જેના વડે બાળક પોતાને સુરક્ષિત અનુભવે છે. સુરક્ષિતતાની લાગણી અનુભવતું બાળક પોતાની આસપાસના પરિવેશને વધારે સારી રીતે સમજી શકે છે, અનુભવી શકે છે, સંવેદી શકે છે. કારણ કે, તે જાણે છે કે તે ઉચાટ કે ચિંતા અનુભવશે તો તેની માતા(પાલક વ્યક્તિ કે સ્વજન) તેને તેમાંથી ઉગારી લેશે. આરંભિક અવસ્થામાં માતા સાથે બંધાયેલા આ ગાઢ અનુબંધથી બાળકની માનસિક સંરચના આકાર લે છે. તેના વડે બાળક સ્વને, અન્યને, વિશ્વને સમજતા શીખે છે અને સમગ્ર જીવનકાળ દરમિયાન તેનો પ્રભાવ તેના સામાજિક વર્તન અને સંવેદનવિશ્વ પર રહે છે. અટેચમેંટના ચાર તબક્કા બાઉલ્બી ગણાવે છે. જેમાં જન્મથી આરંભના છ અઠવાડિયા સુધીનો તબક્કો પૂર્વ- અટેચમેંટ તરીકેનો છે. આ તબક્કામાં બાળક સ્પષ્ટ કે ગાઢ અટેચમેંટ અનુભવતું નથી. છ અઠવાડિયાથી આઠ માસ સુધીના બીજા તબક્કામાં, બાળક તેની વધારે નજીક રહેનાર, સારસંભાળ રાખનાર (મોટાભાગે માતા) વ્યક્તિ સાથે ગાઢ જોડાણ અનુભવે છે. આઠ માસથી બે વર્ષ સુધીના ત્રીજા તબક્કામાં, બાળક ક્રમશ: સારસંભાળ રાખનાર વ્યક્તિઓથી જોડાણ અને જુદાપણાને લીધે જન્મતો ઉચાટ- પોતે તેમનાથી જુદું અસ્તિત્વ ધરાવે છે તે ભાવ-અનુભવે છે. બે વર્ષ પછીના ચોથા તબક્કામાં, બાળક પાલકની લાગણીઓ, મરજી-નામરજી જેવા ભાવો સ્પષ્ટપણે સમજીને જુદાપણાના ઉચાટથી મુક્ત થાય છે. સાથે જ, પાલકની પોતાના પ્રત્યેની સંવેદનાઓથી તેનું સંવેદનવિશ્વ આઘાત કે આનંદ જેવી લાગણીઓ અનુભવતું થાય છે. ‘નલ્લી’ની સોનાલી અને તેની વિદ્રોહી નાની બહેન અપરા, ‘એન્ટી મરાલી’ની મરાલી, ‘કાગ, દર્પણ ને ફેરિયો’નો બલ્લુ, ‘સુમન મળી હતી’નો ચેતન અને ‘લીલા’નો ચંદ્રકાંત જે રીતે વર્તે છે, જેવી પ્રતિક્રિયાઓ આપે છે તેને બાઉલ્બીની થિયરીથી સમજીએ ત્યારે હરીશ નાગ્રેચાની પાત્રનિરૂપણની ચોકસાઈ અને કુશળતા માટે માન થાય. આ ભૂમિકાને આધારે તેમની આ પાત્રસૃષ્ટિને સમજીએ. ‘નલ્લી’ વાર્તાના કેન્દ્રમાં સોનાલી, તેની નાની બહેન અપરા, ફોટોગ્રાફર રાજીવ અને અનિતા છે. સોનાલીના પિતા રમણલાલ વોરા અને માતા સુશીલા વોરા છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી આ વાર્તામાં કથક રાજીવ, સોનાલી અને અનિતાના દૃષ્ટિકોણથી વાર્તા કહે છે. વાર્તામાં આ ત્રણેય પાત્રોના સંવાદો પણ અગત્યના છે. સોનાલી કે જેને રાજીવ ‘નલ્લી’ કહે છે, એ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. સોનાલીને ખૂબ ભણીગણીને એમ.એસ.સી કરીને ડોક્ટરેટની ડિગ્રી મેળવવી છે. એને દુનિયા જોવી છે. દરેક પળને, કેમેરામાં ઝીલી લેવાની હોય તેમ પોતાના અંતરમનમાં તે ઝીલતી રહે છે. સોનાલીની વાતોથી જ રાજીવ ફોટોગ્રાફર બનવાનો નિર્ણય લે છે. તે સોનાલીની આંખે આસપાસના દૃશ્યોને કેમેરામાં કંડારતો રહે છે અને તે ફોટોગ્રાફ્સ સોનાલીને ભેટરૂપે આપે છે. તે જોઈને સોનાલી ખૂબ ખુશ થાય છે, પણ થોડા દિવસ બાદ તે ફોટોગ્રાફ્સ રાજીવને પાછા આપી દે છે અને પોતાનાથી ખૂબ દૂર ચાલ્યા જવા કહે છે, ક્યારેય નહીં મળવાની માંગણી પણ કરી દે છે. રાજીવ સોનાલીની આ વાત પણ સ્વીકારી લે છે. વાર્તા જો આ જ ક્રમમાં આગળ વધત તો જાણીતા પ્રેમના કથાવસ્તુની બની જાત, પરંતુ સર્જક વાર્તામાં અણધાર્યો વળાંક આપે છે અને વાર્તાને એ જાણીતી, બીબાઢાળ વાર્તા બનવામાંથી ઉગારી લે છે. વાર્તામાં સોનાલીથી દૂર ગયા બાદ રાજીવ મૂડી અને અતડો થવા માંડે છે. ત્યાં તેના જીવનમાં અનિતા આવે છે. અનિતાના પણ સરસ ક્લોઝઅપ્સ રાજીવે કેમેરામાં કંડાર્યા હોઈ અનિતા રાજીવના સંવેદનવિશ્વને જાણે છે. તે સોનાલી વિશે જાણતી થાય છે. બીજી તરફ ભાવકને પ્રશ્ન થાય કે સોનાલી અને રાજીવ વચ્ચે પ્રેમસંબંધ હતો કે કેમ? શા માટે સોનાલી રાજીવથી દૂર ચાલી ગઈ? સોનાલીએ જીવનમાં શું મેળવ્યું? તેનો ઉત્તર સોનાલીની નાની બહેન અપરા પાસેથી મળે છે. અપરાનું પાત્ર માત્ર આટલી વાત માટે આવત તો વાર્તા નબળી બનત. સર્જક અપરા વડે આપણી સંકુચિત કૌટુંબિક સંરચના, મા-બાપની પોતાના સંતાનો પ્રત્યેની શંકા અને માલિકીભાવ, સંતાનોનો ભોગ લેતો તેમનો અવિશ્વાસ તથા મા-બાપનો આવો અવિશ્વાસ, શંકા જોઈને નાનપણથી જ સંબંધોથી, સંવેદનાઓથી કપાઈ જતી કિશોરીનું આંતરવિશ્વ – આ બધું જ દર્શાવે છે. એક સરળ, સ્વપ્નિલ યુવતીની એક યુવક સાથેની નિર્દોષ મૈત્રીને શંકા અને અવિશ્વાસથી જોતાં મા-બાપ એ યુવતીના સ્વપ્નો, જીવનનો ભોગ લે છે, સાથે જ નાની બહેન અપરાના સંવેદનવિશ્વને પણ ખંડિત કરે છે. બાઉલ્બી કહે છે તેમ અપરા વિદ્રોહી બનીને પ્રેમી પંકજની સાથે પણ સ્વસ્થ રીતે જોડાઈ શકતી નથી. અપરાના રાજીવ સાથેના સંવાદોમાં તેનું આ ખંડિત, ઘવાયેલું સંવેદનવિશ્વ અને આપણી સંકુચિત કૌટુંબિક સંરચના બંને બાબતો સર્જક સચોટ રીતે ઉપસાવે છે. અપરાના આ સંવાદો જુઓ. ‘...પાપ, જન્મતાંની સાથે જ લગાડાતું આ લાંછન, ન્યાય છે રાજુ? સતત શંકાનો દીકરી તરફ અભિગમ, પ્રેમ છે મા-બાપનો? ધેન આઈ હેટ ઈટ, મને એની કોઈ જરૂર નથી. અનાથ નથી જીવતા શું? પપ્પા-મમ્મીના આ પોકળ, વિકૃત, અજાણ્યા રૂપને જોઈ હું પણ જેમ જેમ સોનાલી વિખેરાતી ગઈ તેમ તેમ હું ગંઠાતી ગઈ...પંકજ મારો બોયફ્રેન્ડ છે, એક ચેલેન્જ પપ્પા-મમ્મીને જોઉં છું, શું કરી લે છે મને. આ મારું જીવન છે., મારો દેહ, મારી મિલ્કત, જન્મદાતાની જાગીર નહીં. એના પર મારી મરજી, મારો હક્ક છે, બીજાનો નહીં.’ (પૃ.૪૭) ‘મેં પપ્પાને કહી દીધું છે- હું મારે વેળાસર જવાની નથી, જવાની ત્યારે જણાવીશ, પૂછવાની નહીં, ને ત્યાં સુધી હક્કથી આ ઘરમાં રહેવાની, થાય તે કરી લો! ન તો તમે મને કાઢી મૂકી શકશો, ન તો કોઈ દબાણ કરી શકશો!... હવે પપ્પા-મમ્મી બીએ છે, બોલતા નથી. એ લોકો જાણે છે, પર્સમાં લાઈટર રાખું છું, ધમકી રૂપે જો કોઈ જોહુકમી કરી તો જાતનો ભડકો કરતાં અચકાઈશ નહીં...તમને નહીં સમજાય રાજુ એના માટે તમારે...! પણ એ લોકો જાણે છે, જો પંકજ મને બે દિવસ જોશે નહીં તો ત્રીજે દિવસે લખીને આપી રાખેલું મારું ડાઇંગ ડિક્લેરેશન જઈને એ પોલીસને આપી આવશે, જેમાં સ્પષ્ટ આરોપ હશે જે બેના સાથે કર્યું સ્ત્રી થઈને ખાસ તો મમ્મીએ, એને હું માફ કેમ કરી શકું?’ (પૃ.૪૭) સોનાલી સાથે શું થયું? રાજીવના એ પ્રશ્નનો ઉત્તર આપતાં અપરા જે વાસ્તવિકતા જણાવે છે તે ભાવકને ક્ષુબ્ધ કરી દે તેવી છે. સોનાલીની રાજીવ સાથેની નિર્દોષ મૈત્રીને મા-બાપ શંકાની નજરે જુએ છે. તેમણે માની જ લીધું છે કે સોનાલી છિનાળું કરી, પેલા જોડે નાસી જઈ, તેમના માથે કલંક લગાડશે જ. એ ભયથી પ્રેરાઈને તેઓ સોનાલીના બળજબરીથી લગ્ન કરાવી દે છે. લગ્ન પછી પતિના બળજબરીથી બંધાયેલા સંબંધથી સોનાલી ગર્ભવતી થાય અને બાળકને જન્મ આપતી વેળાએ મૃત્યુ પામે. આ આખી દર્દનાક, વેધક વાસ્તવિકતા વર્ણવતી અપરાની ભાષામાં જે આક્રોશ, વેદના, બહેનને ન બચાવી શક્યાનો વસવસો સચોટ રીતે અનુભવાય છે. ‘બાળક સ્ટીલબોર્ન જનમ્યું. એ પછી બેના ૨૪ કલાક જીવી, તરફડતી! એ પ્રેગનન્ટ રહી પછી, ભાગ્યે જ કોઈ સાથે બોલી હતી. જે રાત્રે ગુજરી ગઈ ત્યારે ય એકલી, આઈ.સી.યુનિટમાં કોઈ જોડે શબ્દેય બોલ્યા વિના! એ...એ...બળાત્કારથી એ વધુ ક્રૂર, વધુ હીન, બળાત્કાર હતો પપ્પા-મમ્મીની મરજીનો એના પતિની મરજીનો નિ: સહાય સોનાલીની મરજી પર, દેહની આમન્યા પર, આત્માના ઓરતા પર જિજીવિષાના સ્વમાન પર, વારંવાર બળાત્કાર, અમાનુષી ગેંગરેપ, જે એ સહન ન કરી શકી!’ (પૃ.૪૯) આ સત્ય રાજીવને હચમચાવી દે છે. રાજીવની મા પણ કહે છે કે બિચારી છોકરી એકલી પડી ગઈ. સર્જકે રાજીવની આંખે દેખાતા આસપાસના દૃશ્યોનું વર્ણન કરતી વખતે કેમેરાની વિવિધ પારિભાષિક સંજ્ઞાઓ ખપમાં લીધી છે. રાજીવ ફોટોગ્રાફર છે. તેથી તેની પરિવેશને જોવાની આંખ કેમેરાના લેન્સ જેવી રહે તે સ્વાભાવિક છે. બીજી તરફ, આ વર્ણનો વડે સોનાલીના રાજીવ સાથેના નિર્દોષ સંબંધને પણ સર્જક ઉપસાવે છે. એક ઉદાહરણ જોઈએ. ‘આ...આ જો, ધુમ્મસ વીંટળાયેલું વૃક્ષ સ્નાન કરી ભીનું વસ્ત્ર લપેટી મુનીવર ઊભા હોય એમ નીતરે છે. આ કમાડ પાછળથી દેખાતી ઝૂમખાળી કાનની વાળી જોઈ થાય હમણાં ડોકાશે ભીલડીનો છૂંદણાવાળો ચહેરો. આ ગુફાની નક્કર દીવાલનો પથ્થરી ઉભાર જોઈ થાય હમણાં પ્રગટશે, કંડારાવા રહી ગયેલાં, યક્ષયક્ષિણી. આ પાંદડાં પર ઝાકળનું બિંદુ...એ એ લસર્યું લસર્યું પકડ! આ કરોળિયાના જાળામાં લટકતાં જંતુના ખોળિયામાં ફૂંકાયો પ્રાણ ને આ શરૂ થયો છૂટવા જીવનો તરફડાટ. આ નિલબિલોરી પાણીમાં તરતી દૂધમલ નારીનો, અંતર આંબવા, આ લંબાયો જળ નીતરતો હાથ. આ અડક્યો આપણને...! સ્ટીલ લાઈફ-લાઈફ સ્ટીલ ફોર અ સપ્લીટ સેકંડ!’ (પૃ.૨૭) સોનાલી રાજીવના ફોટોગ્રાફ્સ જોઈને તેનું ઉપરોક્ત શબ્દોમાં વર્ણન કરે છે ત્યારે તેની સંવેદનશીલતા ભાવકની આંખ ભીની કરે છે. આવી સંવેદનશીલ, સમજદાર સોનાલીના સ્વપ્નજગતનું, સંવેદનવિશ્વનું તેના મા-બાપની શંકા ભોગ લે છે. આ વાતે પોતાને ગુનેગાર માનતો, અપરાધબોધથી પીડાતો રાજીવ બધાથી કપાઈને, અતડો રહીને જીવવા માંડે છે. અનિતા તેને આ સત્ય સમજાવે છે. અનિતાની સંવેદનશીલતા અને સમજદારી રાજીવને જીવન તરફ વાળે છે અને તેને અપરાધબોધમાંથી મુક્ત કરે છે. અનિતા રાજીવ અને સોનાલીના વ્યક્તિત્વ વચ્ચેનો ભેદ સમજાવતા રાજીવને કહે છે, ‘આજે સમજાય છે ફરક તારા અને સોનાલીમાં. એ સમગ્રમાં સંકળાઈ હતી, અને સમગ્રના અંશ રૂપે તું એને ગમતો હતો, તું ફક્ત નલ્લીમાં સંકળાઈ રહ્યો છે જે સમગ્રનો ફક્ત એક અંશ હતી...જીવ બાળવા કરતાં નલ્લીની જેમ સંકળાઈ જા, વ્યક્તિમાં નહીં, સમષ્ટિમાં, જ્યાં જ્યાં તું સંકળાશે સમગ્રના અંશ રૂપે ત્યાં ત્યાં તું સંકળાશે નલ્લી જોડે! એ જ એક માર્ગ છે, જીવા, ને એ જ તું અવગણી ભાગતો ફરે છે! બાંધી રાખેલા તારા જીવને ઊડી જવા દે નલ્લીની પાંખે, શાખે સમગ્ર સુધી. રાજુ, એના ગમવાનો અર્થ છે સંકળાવવું. બાકી હયાતીનો નથી કોઈ અર્થ, નથી રહેતો કોઈ હક્ક!’ (પૃ.૫૦) આ રીતે વાર્તા સામાજિક સંરચના, બાળપણના બનાવોની થતી અસરો, મા-બાપની શંકાશીલતા, અવિશ્વાસ, મૈત્રીના સંબંધોની સંકુલતાની તથા જીવનની વ્યાપકતાની પણ અનુભૂતિ કરાવે છે. સાથે જ વિષયની સંવેદનશીલતા અને ગહનતાને અનુરૂપ, પાત્રના વિચારને અનુરૂપ બદલાતી ભાષાના સ્તરો તથા કેમેરાની આંખે થતું હોય તેવા વર્ણનોનું કલાત્મક ગદ્ય – આ તમામ પાસાંઓને લીધે આ વાર્તા ખૂબ અગત્યની બની રહે છે. ‘એન્ટી મરાલી’ વાર્તામાં કથનકેન્દ્ર સર્વજ્ઞનું છે, પરંતુ કથક કથાનાયિકા મરાલીના આંતરજગતમાં ચાલતી ભરતી-ઓટને અત્યંત ઝીણવટથી દર્શાવે છે. કથકની સહાનુભૂતિ મરાલી સાથે છે, પણ કથકની તટસ્થતાને લીધે વાર્તા લાગણીવેડામાં સરી જતી નથી. આ વાર્તામાં મરાલી પોતાની જ અધરસેલ્ફ – એન્ટી મરાલી સાથે સંઘર્ષ કરતી, વાર્તાના અંતે શકુંત પ્રત્યેના ઉત્કટ પ્રેમથી એન્ટી મરાલીના પંજામાંથી મુક્ત થવાની દિશામાં આગળ વધતી જોવા મળે છે. આખી વાર્તામાં ભૌતિક સમય તો મરાલી આયના સામે ઊભી રહીને તૈયાર થઈને, શકુંતને મળવા જવું કે નલિનને મળવા આવવા દેવો - એ વિચાર કરતી ઊભી છે તેટલો માત્ર થોડા કલાક પૂરતો જ છે. આ ટૂંકા ભૌતિક સમયમાં મરાલીની સ્મૃતિઓ અને તેના એન્ટી મરાલી સાથેના સંઘર્ષ વડે મરાલીના બાળપણથી માંડીને મા-બાપ તથા ભાઈ-બહેન સાથેના સંકુલ સંબંધો, તેના ભણતર, યુવાની અને શકુંત સાથેના સંબંધોને તથા આ તમામ પ્રસંગોનું મરાલીના ચૈતસિક સંવેદનો પર થયેલ અસરને વણી લે છે. એ રીતે વાર્તાકાર ભાવકને મરાલીના ચૈતસિક જગતમાં લઈ જઈને મરાલીની દૃષ્ટિએ તેના આંતરિક વિશ્વને દર્શાવે છે. મરાલી સાડી પહેરતી હોય, મેક-અપ કરતી હોય અને તેની સમાંતરે તેને ભૂતકાળનો કોઈક પ્રસંગ યાદ આવતો જાય - એ રીતે ભૂતકાળ અને વર્તમાનની ગૂંથણી થતી જાય એ રીતની સંકલના વાર્તાને ઉપકારક બની છે. આયનો પણ અગત્યની પ્રયુક્તિ છે. આયના વડે મરાલીની અધર સેલ્ફને - એની ભીતિ, ગભરામણ, એની સાથેના મરાલીના તીવ્રતમ સંઘર્ષને દર્શાવ્યો છે. ‘એમને ગમશે એમ ધારી સુરેખ વાળેલાં ફ્રેન્ચ – રોલને આરસામાં જોઈ ઉતાવળે એણે બ્લાઉઝ કાઢી બ્રેસિયર્સનું હૂક ટાઈટ કર્યું. તંગતા શ્વાસમાં ઊતરી ગઈ. એ અકળાઈ. એને હૂક છોડી, પડખે ખૂંપેલી ધારનો આંક પંપાળવા માંડ્યો. હથેલી ભર માંસલ અંગસ્પર્શથી એને ગર્વ થયો: હું ક્યાં દૂબળી છું? મમ્મીની જેમ...! એને મા યાદ આવી. પથારીવશ માનું એણે ઘણી વખત બ્લાઉઝ બદલ્યું હતું. એને ઉઘાડી માને ચૂમવાનું મન થયું, પણ ગભરાઈ પાછલા પગે એ ઉંમરની સીડી ઊતરી, સ્વ–સ્પર્શમાં ખોવાઈ ગઈ. મા...માનું દૂધ...,એનો સ્વાદ...! ફોઈ શું કહેતાં: સૌ દૂબળી, માંદલી કહ્યા કરો તે બીચારીનું શરીર વળે ક્યાંથી, માનું છાંટોય દૂધ પામી છે! ભાભીની તો છાતી જ વસુકાઈ ગઈ’તી મીલના ભડકામાં...! શું પોતાને પણ નહીં આવે! મોટી ઉંમરે...મોસ્ટલી સિઝેરિયન..! એણે ગુસ્સા – શરમની આંગળીઓ વચ્ચે ભીંસાતું નિપલ છોડી દીધું. એને પરસેવો વળી ગયો. એ ઘોરખોદુ ફોઈને ભૂતકાળ સિવાય કેમ કંઈ સૂઝતું નથી? એને રંજ થયો. ફોઈએ હંમેશા એનો જ પક્ષ તાણ્યો છે, છતાં પોતાને તો ફોઈ તરફ અણગમો જ રહ્યો છે!... એણે ઝડપથી કવચ પહેરતી હોય તેમ બ્લાઉઝ પહેરી, સાડીનો છેડો શોધવા માંડ્યો.’ (પૃ. ૬૪) આ વર્ણનમાં એક સાથે કેટ કેટલી વાતો ગૂંથી લેવાઈ છે. બ્રેસિયર્સના તંગ હૂક મરાલીના તંગ મનોજગતને સૂચવે છે. બ્લાઉઝ પહેરતાં અનુભવાતી પોતાના શરીરની રતિ અને તેની પડખે માના સ્નેહને ઝંખતી નાની મરાલી, તેની પાછળ સ્મૃતિરૂપે બાળપણની માંદગી અને તે વેળાએ તેનો પક્ષ લેતી, વારંવાર મીલ સળગ્યાની દુર્ઘટના યાદ કરતી અણગમતી ફોઈ. આ બધાં આઘાતજનક પ્રસંગોને છાતીમાં ધરબી દેતી હોય તેમ બ્લાઉઝ પહેરતી મરાલી. મીલ સળગી અને મરાલીનો જન્મ – આ બે ઘટના સાથે બની હોઈ મરાલીને બાળપણથી પપ્પાનો પ્રેમ મળ્યો નથી. તેમાં વળી શ્યામવર્ણી હોઈ બાળપણથી તેની મજાક થતી રહી છે. મીલ સળગી તેના આઘાતમાં માની છાતીમાં દૂધ સુકાઈ ગયું. એટલે મરાલીને તો માનો ખોળો અને માનું દૂધ બંને મળ્યા નથી. આ પ્રસંગોને અંતરમાં ઊંડે દબાવીને તે આગળ વધવા માંગે છે. એ વાતે મરાલીએ કરવો પડતો સંઘર્ષ બ્લાઉઝને કવચની ઉપમા આપીને સચોટ રીતે દર્શાવાયો છે. સાડીના છેડાની જેમ જ ભૂતકાળના પડ પણ ઉઘડ્યા કરે છે, એમાંથી તો મરાલી છૂટવા માંગે છે. બાળપણના આ પ્રસંગોને લીધે જ મરાલી શકુંત સામે સાચી વાતો કહી દેવાય પછી ક્ષોભ અનુભવે છે. શા માટે? તેના બે ઉત્તર વાર્તામાંથી મળે છે. એક તો, મરાલી શકુંતનો ઉત્કટ પ્રેમ ઝંખે છે, તેની કરુણા કે સહાનુભૂતિ નહીં. બીજી બાજુ, મરાલીને ભીતિ એ વાતની છે કે બાળપણથી માંડીને યુવાની સુધી તેની સાથે કોઈ સારી ઘટના બની જ નથી. ઘરમાં સ્વજનો પાસેથી હૂંફ મળી નહોતી એટલે બાળપણમાં તે રોતલું અને ઝઘડાળુ થઈ ગઈ હતી. શું આ જાણ્યા પછી શકુંત તેને સ્વીકારશે? હેત, હૂંફ ઝંખતી મરાલીને માન્યામાં જ ન આવે કે કોઈ તેને પણ ઉત્કટ રીતે ચાહી શકે. બાઉલ્બી કહે છે તે મુજબ બાળપણના પ્રસંગોને લીધે તેની માનસિક સંરચના જ એવી બની ગઈ છે કે તે એમ માની જ ન શકે કે કોઈ તેને ચાહે છે. આ ભીતિ કેવી રીતે વાર્તામાં દર્શાવવી? વાર્તાકાર દર્પણ વડે મરાલીના ચેતનમાં ઊંડે ઊંડે ધરબાઈ રહેલી આ ભીતિને એન્ટી મરાલીને જીવંત કરીને દર્શાવે છે. આ રીતે શકુંત અને નલિન પણ મરાલીના દ્વિભાજિત વ્યક્તિત્વના જ જાણે કે અડધિયા બની રહે છે. શકુંત કદાચ નકારે તો આઘાત ન લાગે એ બીકે જ મરાલી નલિનને હા પાડી બેઠી છે. આ વાતે તો તે શકુંતને મળવા જતાં ખચકાટ અનુભવે છે. આમ, એક સ્ત્રીના મનોજગતની ભરતી ઓટનું માનસ શાસ્ત્રીય ચોકસાઈથી થયેલું આલેખન, કથકની પસંદગી અને ચુસ્ત સમય સંકલનાને કારણે આ વાર્તા હૃદયસ્પર્શી બની છે. ‘સુમન મળી હતી’ અને ‘લીલા’ના મુખ્ય નાયકો અનુક્રમે ચેતન અને ચંદ્રકાંત અંતર્મુખી સ્વભાવના છે. ‘લીલા’નું કથાવસ્તુ આ મુજબનું છે. એક સવારે વિધુર ચંદ્રકાંત મનમાં ચાલતા વિચારોની ગતિ પ્રમાણે પેપર વાંચતો બેઠો હોય છે અને તેની સાથે વાત કરવાની તક શોધતો, તેને જોતો તેનો દીકરો ઈશાન બેઠો હોય છે. ચંદ્રકાંત ઈશાનને પૂછે છે કે શું જોઈએ છે? જવાબમાં ઈશાન કહે છે, ‘જોઈતું કંઈ નથી. આજે તો આપવું છે... અ વુમન ટુ ધીસ હાઉસ એન્ડ ટુ યુ અ ડોટર-ઈન-લો, પુત્રવધૂ.’ (પૃ.૧૫૨) આ સાંભળીને ચંદ્રકાંત ઈશાનને હેતથી ભેટી પડે છે. તે ઈશાનને તેને ઘરે લઈ આવવા કહે છે. બસ સ્ટોપ પર ઊભેલી ભાવિ પુત્રવધૂને તેડવા જઈ રહેલા ઈશાનને તેનું નામ ચંદ્રકાંત પૂછે છે. જવાબમાં ઈશાન લહેકાથી અનિલા કહે છે. ચંદ્રકાંત ઘરને સાફ કરી દેવાનું, ઘરે પહેલીવાર આવતી પુત્રવધૂને શુકનમાં રૂપિયા આપવાનું એવા એવા વિચારો કરવા લાગે. ત્યાં જ અવળચંડાઈ કરતું તેનું ચિત્ત અનિલા નામ પરથી ભૂતકાળમાં ભૂસકો મારતું લીલા પાસે પહોંચી જાય. ચંદ્રકાંતને પોતાની ભીરુતા યાદ આવે. ચંદ્રકાંતના લગ્ન તો ગાયત્રી સાથે થયા હતા. લીલા સાથેની એ અંતિમ મુલાકાતની યાદે તેનું મન આળું થઈ જાય છે. આત્મગ્લાનિ અનુભવતો ચંદ્રકાંત પોતાની કાયરતાને યાદ કરતો, તીવ્રતમ પશ્ચાતાપ અનુભવતો પરસેવે રેબઝેબ થઈ જાય. ભૂતકાળની એ ક્ષણમાં અટવાયેલો, લીલાની માફી માંગવા ઈચ્છતો, લીલા સામે ઊભી છે તેમ અનુભવતો ચંદ્રકાંત દરવાજો ખોલે છે. સામે લીલા નહીં, પણ ઈશાન અને અનિલા ક્યારના ઊભા રહી બારણું ખખડાવતાં હતાં એ વાસ્તવિકતા સમજાતા ચંદ્રકાંત વિચારે છે કે બારણું ખોલતાં આટલી વાર કેમ થઈ એ માટે શો ખુલાસો કરવો? લીલા પાસે માફી પણ માંગવાની તક ન મળી એ વાતે તીવ્રતમ પશ્ચાતાપ અનુભવતો ચંદ્રકાંત ઊભો હોય ત્યાં વાર્તા પૂરી થાય છે. ઈશાન ઘરેથી નીકળી બસ સ્ટોપ પર ઊભેલી અનિલાને લઈને ઘરે પાછો આવે માત્ર તેટલા સમયના ટૂંકા ફલક પર વિસ્તરેલી વાર્તામાં સર્જક ચંદ્રકાંતની આંતરિક ગડમથલને વણી લે છે. ભૂતકાળની એ એક ક્ષણ પર ચંદ્રકાંત કેવો અટકેલો છે અને આટ આટલા વર્ષો પછી પણ તેમાંથી મુક્ત થઈ શક્યો નથી. જીવનમાં ગાયત્રીનું આગમન થયું ત્યારે પણ ગાયત્રી વડે લીલા સાથે થયેલી ભૂલ સુધારવાની ક્ષણ હતી, તક હતી, પરંતુ દૂરથી જ જોયેલી લીલાની યાદમાં જ અટવાઈ રહેલો ચંદ્રકાંત એ તક પણ ગુમાવી દે છે અને ગાયત્રીને ગુમાવ્યા બાદ તેનો અપરાધબોધ, પશ્ચાતાપ બેવડાય છે. આ બોજ વેંઢારતા ચંદ્રકાંતનું વ્યક્તિત્વ બાઉલ્બીના સિદ્ધાંત અનુસાર સમજીએ તો, તેના બાળપણથી જ ચંદ્રકાંત પોતાની સંવેદનાઓ સમજીને, તેને વ્યક્ત શી રીતે કરવી અને કેવી રીતે પોતાના અન્ય સાથેના જોડાણને સમજવું તેમાં મોડો પડતો રહ્યો છે. સુજ્ઞ ભાવકને શરદબાબુનો પ્રખ્યાત નાયક દેવદાસ યાદ આવે. દેવદાસ પણ પારોને પોતાને કાયમ માટે ભૂલી જવાનો પત્ર લખીને પોસ્ટ કરી દીધા પછી પોતાની અક્ષમ્ય ભૂલ સમજે છે, પણ ત્યારે તો ઘણું મોડું થઈ જાય છે અને પારોના લગ્ન બીજે થઈ જાય છે. તેને ભૂલ સુધારવાની તક પણ મળતી નથી. ચંદ્રકાંત સાથે પણ આવું જ કંઈક બન્યુ છે. ચંદ્રકાંતની લીલા સાથેની અંતિમ મુલાકાતની સ્મૃતિથી વાર્તા ભૂતકાળમાં ગતિ કરે છે. એ અંતિમ મુલાકાતનું વર્ણન જોવા જેવું છે. ‘લીલા ઊભી હતી. ચંદ્રકાંત, યાદ છે ને? કૉલેજનો પિરિયડ પૂરો થવાનો ત્રણે મિનિટ બાકી હતી ત્યાં જ તું વર્ગમાંથી બિલ્લીપગે સરી જઈ, દાદર ઠેકી, દરરોજની જેમ દોડી જ્યારે હાંફતો બસસ્ટોપ પર પહોંચ્યો ત્યારે લીલા ઊભી હતી. તું અવાક્ અટકી ગયો. બસ આવી. ઊભી રહી. બસ ખાલી હતી, છતાં લીલા ઊભી જ રહી, ગઈ નહીં. બસ ચાલી ગઈ. ચંદ્રકાંત જે તેં સતત બે વર્ષ સુધી આચર્યું હતું એ લીલાએ પડઘારૂપે કર્યું ને તને ધ્રાસકો પડ્યો... નાલાયક..! ચંદ્રકાંતે રોષમાં એકદમ જાત સામે પડેલું પેપર ઉરાડી મૂક્યું...ચિત્ત પર સળવળતી ભોંઠપની લાગણી ચહેરા પર ફૂટી નીકળી હોય તેમ એને કપાળે પરસેવો વળી ગયો. પહેરણની બાંયથી બાળકની જેમ પરસેવો લૂછતાં એ અકળાયો.’ (પૃ.૧૫૪) વાર્તાના અંતે ઈશાનની સાથે લીલા નહીં, પણ અનિલાને ઊભેલી જોઈને ચંદ્રકાંત છોભીલો પડી જાય છે. તેને લાગે છે કે લીલા પાસે માફી માંગવાની તક પણ હવે નહીં જ મળે. એ વાતે તીવ્ર મનોદાબ અનુભવતા ચંદ્રકાંતના ક્લોઝ અપ સાથે વાર્તા પૂરી થાય છે. ‘કાગ, દર્પણ ને ફેરિયો’ વાર્તાના નાયક બલ્લુને દાંતમાં દુખાવો થઈ રહ્યો છે અને તે દુખાવાની સાથે ભૂતકાળના દુઃખદ પ્રસંગોને યાદ કરતો બલ્લુ જે યંત્રણા અનુભવે છે તેનું સર્વજ્ઞના કથનકેન્દ્રથી નિરૂપણ થયું છે. આ વાર્તાનો નાયક બલ્લુ મા – બાપનું એકનું એક સંતાન છે. શ્યામ વર્ણનો બલ્લુ માનો લાડલો છે. બાપાને આ વધુ પડતી આળપંપાળ ગમતી નથી, પણ બા હરહંમેશ તેને સાચવતી રહે છે. એકતરફ માનું હેત, હૂંફ અને વ્હાલ છે તો બીજી તરફ તિરસ્કાર, અપમાન અને મારઝુડ છે. માસ્તર સાહેબની સોટીના સોળ, સાથે ભણતાં બાળકો વડે થતું અપમાન આ બધાને લીધે બલ્લુ મા વિના કોઈ સાથે હળતોભળતો નથી અને માંડ માંડ મેટ્રિક પાસ થઈ ક્લાર્કની નોકરી મેળવે છે. માના અવસાન પછી બાપુજી બીજા લગ્ન કરે છે અને તેને મુંબઈ માસી પાસે મોકલી દે છે. મની ઑર્ડર વડે બાપુજી બલ્લુના ઊછેર માટે રકમ મોકલતા રહે છે. એ રકમ પૂરતો માસી તેને રાખે છે, પણ મેટ્રિક પાસ થતાં, રકમ આવતી બંધ થતાં માસી બહાનું કાઢીને બલ્લુને તગેડી દે છે. બા સિવાય કોઈ સાથે જોડાઈ ન શકનાર બલ્લુ એકલતાથી રિબાઈને એકવાર મધુને બે હાથમાં ભીંસી દે છે અને પછી તેના જ ખભે માથું મૂકીને રડી પડે છે, પણ તે વાતે કોઈ તેની દયા ન ખાતાં તેને મારીને ભગાડી દે છે. બાળપણથી અનુભવેલો ખાલીપો નાયકને અંદરથી ખોતરી રહ્યો છે. તે બધા માટે ધિક્કાર અનુભવે છે. ‘લોકો કેમ રંજાડતા હતા, મેં શું બગાડ્યું હતું! નબળા પર શૂરા હતા સૌ! પણ એ નબળો કેમ હતો? બાએ મને લઠ્ઠ, કૌવતવાળો કેમ ન બનાવ્યો? નહીં તો તે દિવસે કરગરત નહીં, ઝૂડી નાખત! હવે કોઈ નજીક નથી તે સારું છે. હું સૌને ધિક્કારું છું. છોકરાઓને, માસ્તરને, કાકાને, માસીને, મધુને, બાપાને, મને...મને... તને...તને...બા આ આ...!’ (પૃ.૯૫) વાર્તાની સંકલના જોઈએ તો, દાંતના દુખાવાની વર્તમાનની પીડા નાયક બલ્લુને તેના સમગ્ર જીવનને વ્યાપી વળેલી પીડા, એકલતા ને હતાશાની અનુભૂતિ કરાવે અને તે રીતે બલ્લુનું પાત્ર ઊઘડતું આવે તે રીતે ગૂંથણી થઈ છે. બા સાથેનું ગાઢ જોડાણ અને અન્ય સાથેના ધિક્કાર ભાવથી બલ્લુનું સંવેદનવિશ્વ આકાર પામ્યું છે. બાના અવસાન બાદ એવી હૂંફ કે લાગણીસભર અનુબંધ કોઈ સાથે ન બંધાતા પેલો ધિક્કાર, તિરસ્કાર પ્રબળ બનતો, બલ્લુના રોમરોમમાં વિસ્તરતો જાય છે. તે એ હદે કે બલ્લુ પોતાને પણ ધિક્કારતો થઈ જાય છે. સાધારણ દાંતના દુખાવાથી શરૂ થતી વાર્તા ક્રમશ: બલ્લુના સમસ્ત અસ્તિત્વમાં વ્યાપ્ત હતાશા, ધિક્કાર અને એકલતાને આવરી લે છે. બાહ્યથી આંતરિક એવી વાર્તાની ગતિને અનુરૂપ ગદ્ય સચોટપણે બલ્લુની વેદનાને દર્શાવે છે. ‘ખલેલ’ વાર્તામાં ઓફિસના પરિવેશમાં રેકોર્ડ રૂમમાં કામ કરતો નાયક હરખચંદ કેન્દ્ર સ્થાને છે. ઓફિસમાં ચાલતા ગોટાળા, નાનાનાના દાવપેચનું થયેલું આલેખન વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. એક કેલેન્ડર લડીને હરખચંદ લે અને પછી ધીમે ધીમે વાર્તા ઊઘડતી જાય, જેમાં બધાં કર્મચારીઓના મહોરાં પાછળના સાચા ચહેરા દેખાવા માંડે. હરખચંદ એ ઉઘાડા પાડે તેમાં તેને એકલો પાડી દેવાય અને અંતે હરખચંદ પહેલાંની જેમ બધું જોયું ના જોયું કરીને કેલેન્ડર પાછું આપીને જૂની ઘરેડમાં ગોઠવાઈ જાય ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તાનો અંત ખૂબ સૂચક છે. ‘ખુશ થઈ એણે પગ પર પગની આંટી ચડાવી ખંધું હાસ્ય ફેંક્યું. પોતે પોતાના પર ફિદા થયેલો લાગ્યો. એણે તર્ક લડાવ્યો: આવતા વર્ષે જોઈશું, પણ આ વર્ષે ના પાલવે, નાહકનું રહેંસાવાય છે! એણે શંકરની રાહ જોતાં આઠ – દસ કાગળ ફાઈલ કરી નાખ્યા... પકડી, રેડ – હેન્ડેડ પકડી પાડી. ધડાક દઈને એણે કાગળ પંચ કર્યો. કચોરીને ટેસડેદાર ચા... જોયુંને શરૂઆત થઈ ગઈ! એણે ફાઈલ કરવા કાગળ ઊંચા કર્યા ને છેદમાંથી જોયું કે...’ (પૃ.૧૩) હરખચંદને પોતાનો રેકોર્ડ રૂમ ખાલી ખાલી ને ભેંકાર લાગવા માંડે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. આમ થવા પાછળનું કારણ હરખચંદ શોધતો વિચાર કરતો હોય તે રીતે કથક ઑફિસમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર દર્શાવતો જાય. એ ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન રાખવાના લીધે હરખચંદને પણ સરપાવ મળતો રહ્યો છે. હરખચંદ કેલેન્ડરની વાતે લડે અને ક્રમશ: બધા કર્મચારીઓ સાથે આચરણની વાતે, નૈતિકતાની વાતે લડવાનું શરૂ કરે અને તે એકલો પડવા માંડે. અંતે તે વળી પાછો શંકરને કેલેન્ડર આપીને બદલામાં ચા અને કચોરી માંગી લે ત્યાં વાર્તા પૂરી થાય છે. કથક હરખચંદના પરિવર્તનની ક્ષણો વડે નીતિ – નિયમોની થતી મશ્કરીને આલેખે છે. જમણી સૂંઢવાળા ગણપતિના ફોટાવાળું કેલેન્ડર પણ સૂચક છે. એ કેલેન્ડરનો સોદો કરીને બદલામાં ચા-કચોરી મેળવતો હરખાતો હરખચંદ પેલા ટોળામાં ભળી ગયો એ વાત કેલેન્ડરથી સુચવાઈ છે. આમ, ‘તું બોલને!’ વાર્તાસંગ્રહ પાત્રોની એકલતા, વિષાદના ઝીણવટભર્યા નિરૂપણ, પાત્રોના આંતરવિશ્વ અને બાહ્ય જગત વચ્ચેના સંઘર્ષનું માનસશાસ્ત્રીય રીતિએ થયેલું આલેખન, ભૌતિક સમય અને ચૈતસિક સમયની ચુસ્ત ગૂંથણી, વિષયને અનુરૂપ ગદ્ય આદિ વિશેષતાઓને લીધે ગુજરાતી નવલિકા ક્ષેત્રે મહત્ત્વનો બની રહે છે.
૨. ‘અને... છતાં... પણ…’ (ઈ.૧૯૯૮)
‘અને... છતાં... પણ…’ (ઈ.૧૯૯૮) વાર્તાસંગ્રહમાં કુલ અઢાર વાર્તાઓ છે. સર્જકે આ સંગ્રહ પોતાની પત્નીને ‘સપ્રેમ મિત્ર બંસરી દેસાઈને અને સઋણ પત્ની બંસરી નાગ્રેચાને’અર્પણ કર્યો છે. આ સંગ્રહના નિવેદનમાં તેઓ નોંધે છે, ‘જે એન્ટી આનંદ છે, એન્ટી માનવ, ભ્રષ્ટતાનું ભ્રૂણ છે, એ ભય, સતત મારા બે ચહેરા વચ્ચેના સંઘર્ષને વધુ તીવ્ર, અસહ્ય કરતો રહે છે...જો વિવેક, શિસ્ત, આદર, સેવા, અહોભાવની ઓળખાણ કરાવી, તો ઉછેર દરમિયાન, ભયની તાસીરનો કોઈએ મારી જોડે પરિચય કેમ ન કરાવ્યો? આ સર્વસ્પર્શી ભયને જાણવો શું જીવવા માટે અનિવાર્ય, શ્રેયસ્કર નહીં! મનમાં ઘર કરી બેઠેલી સંસ્કારપ્રેરિત દેવોભવની આદરણીય વ્યકિતઓએ ડગલે ને પગલે, વશમાં રાખવા ગુનાહિત ભાવ પ્રેરી બિવડાવતા, શું – ખોટું – શું – અનિષ્ટ, એના જો પાઠ ભણાવ્યા તો એ ખોટાં કે અનિષ્ટોને પહોંચી વળવા, કેમ લડવું એ, અભિમન્યુના આઠમા કોઠા જેવો પાઠ કોઈએ મને કેમ ના શિખવાડ્યો ? એમનેય ભય હતો શું કે શીખવાડીશું તો પાછો ક્યાંક આપણી જ સામો ન થાય ! ...નાનપણથી જ અસુરક્ષિતતા કનડે કે મન ભાગી છૂટે, પણ ભયની આત્મગ્લાનિથી કેમ છુટાય? થાય, અમૃત મળે તો અમર થઈ જવાય, પણ જો ભયમાંથી ન છુટાય તો એવા અમરત્વનો શો અર્થ? નિર્ભય કેમ થવાય? ભયને ઓળખીને? એને કેમ ઓળખવો? ...કૃષ્ણ જીવવાની રીત છે કે માણસાઈ અનિષ્ટને સાંખવામાં, દુષ્ટને અવગણવામાં નથી, એને પડકારી, ઉઘાડા પાડવામાં છે, પછી એ સ્વજનમાં હોય કે પોતાનામાં.’ ધૂમકેતુ પુરસ્કાર પ્રાપ્ત આ સંગ્રહની વાર્તાઓ વિષયવસ્તુ અને ટેકનિકની દૃષ્ટિએ ધ્યાન ખેંચે છે. આ વાર્તાઓમાં કૌટુંબિક સંબંધોનું આલેખન જોવા મળે છે. આ સંગ્રહની અઢાર વાર્તાઓ પૈકીની ઘણીખરી વાર્તાઓમાં માનવસંબંધોને ગ્રસી જતાં, બાળપણમાં ચિત્તમાં ઘર કરી જતા, સ્ત્રી – પુરુષના સ્વસ્થ સંબંધનું ગ્રહણ બની જઈને આ સંબંધને તોડી નાંખતા – એમ અનેકવિધ પ્રકારના ભયનું માનસશાસ્ત્રીય ઝીણવટથી હરીશ નાગ્રેચાએ નિરૂપણ કર્યું છે. સર્જકે નિવેદનમાં નોંધ્યું છે તેમ આ વાર્તાઓ વાચકને આવા નાનાવિધ ભયના રૂપો અને તેની માનવચેતના પર થતી અસરોને દર્શાવે છે. સ્ત્રીના સંવેદનોની, સ્ત્રીના દૃષ્ટિકોણથી વાત કરતી ‘કુલડી’, ‘કેટ-વોક’, ‘ચુટકી’, ‘ખુશબો’, ‘કલહ’ જેવી વાર્તાઓ મળે છે. આપ ઓળખની વાત છે, સમાજમાં સ્ત્રીના માન-સ્થાનની સ્ત્રીની નજરે વાત છે, એકપક્ષીય પ્રેમ, મા-બાપ વિના મોટી બહેનોના સ્નેહ વડે ઊછરતી યુવતીની ગર્ભવતી થવાની યાત્રા સુધીની વાત છે તો લઘુતાગ્રંથિથી પીડાતી યુવતીની મનોવૃત્તિઓને પણ સર્જક આલેખે છે. સ્ત્રી-પુરુષ સંબંધોની વાર્તાઓમાં મુંબઈના પરિવેશને લીધે ઉપભોક્તાવાદી માનસ આ સંબંધને કેવી રીતે ગ્રસી રહ્યો છે તેનું નિરૂપણ થયું છે. ‘રોનદિવૂ’માં લગ્નથી દૂર ભાગતા તન્વી-સુકેતુની અકકીના ઘરે મળવાની યોજના અને તે દ્વારા આ સંબંધની સંકુલતાને સર્જક તાગે છે. ‘ગાંડીતૂર’ વાર્તામાં મૃત સનાતનના જીવંત રહેલા હૃદયના ધબકારાને સાંભળવાની ઉત્કટ ઝંખનાના પરિણામે આવાસ પાસે દોડી જતી ઉષ્માનું નિરૂપણ થયું છે. ‘ચુટકી’ વાર્તામાં સ્નિગ્ધા ઉર્ફે ચુટકી મનોજગતમાં જન્મેલા એકપક્ષીય પ્રેમનું કલાત્મક રીતે નિરૂપણ થયું છે. પપ્પાની લોન્ડ્રીની દુકાન સંભાળતી ચુટકી એક યુવકને મનોમન ખૂબ ચાહે છે, પણ તેની સાથે વાત કરી શકતી નથી. સર્જકે ચુટકીના પ્રેમ, તેની ભીતિ, અકળામણ, ઝંખના આદિનું ચુટકીના કથનકેન્દ્રથી નિરૂપણ કર્યું છે. ‘બીકનું બંડલ’ વાર્તામાં ગરોળીથી ગભરાતી પત્નીની ચેષ્ટાઓ વડે સર્જક લગ્નજીવન અને સ્ત્રી – પુરુષ સંબંધમાં પ્રિયજનથી દૂર થઈ જવાની, પ્રિયજનથી વિખૂટા પડવાની વ્યાપક રીતે ઊંડે ઊંડે ધરબાયેલી એવી ભીતિને હળવાશભરી શૈલીમાં આલેખે છે. ‘લૂણો’ વાર્તામાં પત્રની પ્રયુક્તિ વડે ચંદ્રા-અને સોમાભાઈ વચ્ચેના, ભાઈ-બહેન વચ્ચેના સ્નેહની વાત કરવામાં આવી છે. ‘રિસાઈ ગયેલો સૂરજ’ વાર્તામાં ડૉક્ટર અનિકેત મુનશી અને તેની પત્ની ઈરાના દાંપત્યજીવનમાં પડતી તિરાડની તેમની નાનકડી દીકરી યોષિના ચિત્ત પર થતી અસરનું અત્યંત ઝીણવટથી નિરૂપણ કર્યું છે. સુખાંત એવી આ વાર્તા અંગત સંબંધમાં એક નાનકડી ઘટનાથી ઊઠતા વમળોની અને પરિણામે અપરાધબોધથી જન્મતાં ભયનું નિરૂપણ થયું છે. ‘ખુશબો’ વાર્તામાં નાની વયે મા- બાપ ગુમાવી દેનાર નાયિકા કિન્નરી ગર્ભવતી હોવાના સમાચાર જાણે અને ભૂતકાળની ઘટનાઓના ભારથી દબાતી, ચંપાતી રજસ્વલા થઈ જાય તેનું નિરૂપણ થયું છે. ‘ગાભલું’ અને ‘સસલું’ વાર્તામાં નાના બાળકોના સંવેદનોની વાત રજૂ થઈ છે. જો કે, ‘સસલું’માં ઝિંગુ અને ટોશી રમખાણોની વચ્ચે ફસાઈ જાય છે એ રીતે આખી વાતનું પરિમાણ વિસ્તરે છે. ‘ગાભલું’ વાર્તામાં એક નાનકડા બાળકને ઓરડામાં પૂરી દીધા બાદ ઓરડામાં એકલા હોવાની વાતે ડર અનુભવતો બાળક કલ્પનાના ઘોડા દોડાવીને એ ડરનો જે રીતે સામનો કરવાનો પ્રયાસ કરે તેનું નિરૂપણ થયું છે. ‘તું જાને, જતો કેમ નથી?’ વાર્તામાં ‘હું’નું કથનકેન્દ્ર છે. કથાનાયક સમયને સંબોધીને પોતાની વાત કહેતો હોય તે રીતે વાર્તા આગળ વધે છે. સવારે પાંચ વાગ્યે સમિધાને એરપોર્ટ પર મળવાનું નક્કી કર્યું છે. બંને ઘરવાળાથી દૂર ભાગી જઈને લગ્ન કરી લેવાના છે. રાતના સવા નવની આસપાસથી વાર્તા શરૂ થાય છે અને કથાનાયકના પિતા રાત્રે બે વાગ્યે આવીને તેને કહે કે તું સમિધા સાથે ભાગીને લગ્ન કરી લે. પિતાની અનાયાસપણે મળતી મંજૂરી પછી નાયક ચ્ંદ્રકાંત અપરાધબોધમાંથી છૂટે છે. અધીરિયા નાયકના સમયને સંભોધીને બોલાયેલા વિધાનો, આસપાસનો રાતનો પરિવેશ - બેડરૂમ, બંગલો અને શહેર, વારંવાર યાદ આવી જતી સમિધા અને તે રીતે નાયકની સ્મૃતિઓ વડે ઊઘડતું સમિધાનું પાત્ર, શિવાજીનું અતીત ઝીલતું પૂતળું, અનાદિકાળથી ઊભેલા તારાઓ, ઘડિયાળનું ડાયલ, પાડોશી સ્ત્રીની પ્રસૂતિની ક્ષણો, રસ્તામાં બીમાર વૃદ્ધ અર્થાત જન્મ અને મરણનું ચક્ર - આ બધાંને વાર્તાકાર આવરી લે છે. વાર્તામાં સૌથી વિશેષ આસ્વાદ્ય હોય તો તે છે નાયકના સમયને સંબોધીને થયેલા વિધાનો. એકાદ ઉદાહરણ જુઓ. ‘એ જ હશે અળવીતરો, સમય, પરિપક્વ નહિ થયો હોય! એ કંજૂસ લોભિયો એક વિપળ પણ છોડશે નહિ!’ (પૃ.૧૧૩-૧૧૪) ‘હટ્, ભૂંડા સમય, તું જ લુચ્ચો છો. હવે સમજાયું, તું કેમ નહોતો જતો! પિતાજી આવવાના હતાને!’ (પૃ.૧૨૦) ‘અને... છતાં...પણ...’ વાર્તામાં સર્જક કામવાસના, લાલચ અને સત્યને નકારવાની માનવની આત્મવંચનાની વૃત્તિને સહોપસ્થિતિની પ્રયુક્તિથી મૂર્ત કરે છે. ‘અને... છતાં...પણ...’ તથા ‘સો સારસીઓ’ પ્રયુક્તિની દૃષ્ટિએ પણ એટલી જ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘સો સારસીઓ’માં અરણ્ય અને સ્ત્રી પરના અતિક્રમણ, અત્યાચારનું મેજિક રિયાલિઝમની પ્રયુક્તિથી થયેલું નિરૂપણ ધ્યાન ખેંચે છે. વનવાસી સ્ત્રી પર બળાત્કાર ગુજારનાર એમ.પી.ના દીકરાને જીવતો સળગાવી દેવાયો છે અને તેની સાથે આ કૃત્યમાં સાથ આપનારા બીજા ત્રણનું શું થયું એ વિશે કશી જ માહિતી મળતી નથી એ વાતે પોલિસ ચિંતામાં છે. તેમને ભય વગદાર દીકરાના હત્યારાઓને નહીં શોધીએ તો શું થશે એ વાતનો છે. ગંભીર કૃત્ય આચરનારને સજા આપવાના બદલે જંગલમાં વસતા લોકોને પકડીને તેમના પર અત્યાચાર ગુજારે છે. સહોપસ્થિતિની પ્રયુક્તિ આ વાર્તામાં પણ છે. આ વાર્તાનું ગદ્ય તીક્ષ્ણ અને વેધક છે. એમાં સો સારસીઓના બલિદાનનો આખો પ્રસંગ જે રીતે આલેખાયો છે એ અદભૂત છે. મહાનગર મુંબઈમાં વસતી સ્ત્રીના સંવેદનો, સામૂહિક અચેતનને હરીશ નાગ્રેચા કલાત્મક રીતે આલેખે છે. સ્ત્રીની ઓળખનો પ્રશ્ન દેખાય તેટલો સરળ નથી. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીઓનું ચિત્ત એ હદે કંડીશનિંગ થઈ ગયું છે કે સ્ત્રી પોતે પણ સ્ત્રીઓ વિશે, સ્ત્રીના સંવેદનો વિશે પુરુષે આપેલા માપદંડોના આધારે જ જુએ, વિચારે અને વાત કરે છે. હરીશ નાગ્રેચા આ ગંભીર બાબતને પોતાની વાર્તાઓમાં એક દાર્શનિકની અદાથી નિર્મમ રીતે આલેખે છે. આર્થિક રીતે પગભર હોવું, પોતાન કુટુંબના સુરક્ષિત વાતાવરણમાં રહેવું - ક્યારેક સમાજ કે કુટુંબ વડે ઊભી કરવામાં આવેલી અદૃશ્ય વાડને ઓળંગવા જતી અને લોહીઝાણ થતી સ્ત્રીના આંતરજગતમાં મચતી ઊથલપાથલ – આવા સત્ય સર્જક પ્રશ્નોરૂપે જુદીજુદી ઘટનાઓ કે પ્રસંગો, પરિસ્થિતિઓમાં સ્ત્રી પાત્રને મૂકીને ઉપસાવે છે. ‘કુલડી’ અને ‘કેટ-વોક’ - આ બંને વાર્તાઓમાં સર્જક અત્યંત ગંભીર અને આપણા સામૂહિક ચેતનમાં ઘર કરી ગયેલા પ્રશ્નો ઉઠાવે છે. શું સ્ત્રીનો દેહ જ બધું છે? તેની સંવેદના કશું જ નથી. જો કોઈ સ્ત્રી પર બળાત્કાર થાય તો શું તે સ્ત્રી નકામી, ચીજ થઈ ગઈ ગણાય અને તેને ચાહનારો પુરુષ પણ તેને વપરાઈ ગયેલી વસ્તુ ગણીને તેનાથી દૂર થઈ જાય કે તેને પહેલાની જેમ જ ચાહતો રહે આવી વેધક સવાલ ‘કુલડી’ વાર્તાની નાયિકા પિયાસી બહેનપણી, પ્રેમી, સગાસંબંધીઓ અને અંતે મા ઈન્દુને પણ પૂછે છે. તેનો આ સવાલ પુરુષપ્રધાન સમાજમાં સામૂહિક ચેતનમાં ઊંડે ઊંડે ધરબાઈ રહેલા ભયને, સ્ત્રીને દેહથી જ જોવા,મૂલવવા ટેવાયેલી વૃત્તિને ઉજાગર કરે છે. સર્જક સમાજની ફોલ્ટ લાઈન પર આંગળી મૂકતી નાયિકા પિયાસી આલેખી છે. સ્ત્રીનું વપરાવું – શારીરિક રીતે – એવી સહજ બની ગયેલી બાબતને આસ-પાસની સ્ત્રીઓને જ પૂછતી પિયાસીથી ઇન્દુ જ સૌથી વધુ અકળાય છે. છેલ્લે જ્યારે ઇન્દુને પિયાસી ટેપ રેકોર્ડરમાં એ પ્રશ્ન પૂછે છે ત્યારે તેને પિયાસીની ગૂંગળામણ, વાત સાંભળીને કુલડી ફેંકી દેવાની તીવ્ર પ્રતિક્રિયા સમજાય છે. ‘કુલડી’ અહીં પ્રતીકાત્મકતા ધારણ કરે છે. આવી જ બીજી વાર્તા ‘કેટ–વોક’ છે. પોતાના દેહની સુંદરતાને અનુભવતી અને આત્મવિશ્વાસપૂર્વક સૌંદર્યસ્પર્ધામાં ભાગ લેવાનું વિચારતી કૉલેજમાં ભણતી સંજના શેઠ પિતા ઉદયની માલિકીભાવના અને ફિયાન્સ કપિલની અધિકાર ભાવનાને જુએ, જાણે, સમજે છે. સંજનાના યૌવનસહજ સૌંદર્યને જોઈને મુગ્ધ થવાની, પોતાના રૂપ પર મોહિત થઈ, શરમાઈ જવાની ચેષ્ટા, સાથે જ અધ્યાપિકાની ટકોરથી સાવચેત થઈને પોતાના શરમાળપણા પર નિયંત્રણ મેળવીને સ્વિમ સૂટમાં આત્મવિશ્વાસથી ઊભા રહેવાની અદા તેની સમજદારી દર્શાવે છે. સર્જકે ઉદયની હીન વૃત્તિને તેના મીના અને સંજના સાથેના વર્તનથી ઉપસાવી છે. આજે કૉલેજમાં રોઝ-ડે હોવાથી સંજના વધારે સમય સુધી બાથરૂમમાં સ્નાન કરી રહી છે અને મોડું થશે એ બીકે બહાર ઉભેલો ઉદય અકલાઈને ચાલ્યો જાય તે પ્રસંગથી વાર્તા શરૂ થાય છે. સંજના સુંદર છે. પોતાની સુંદરતા વિશે તે સભાન થઈ છે. તેની બહેનપણીઓ અને ટીચર્સના કહેવાથી તે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનું વિચારે છે, પણ એકવાર તે પપ્પાની તીવ્ર બુદ્ધિમતા અને પપ્પાની સલાહ મેળવવા માંગે છે. મમ્મી મીના બહાર જાય કે તરત સંજના સ્વિમિંગ સૂટ પહેરીને પોતાની સુંદરતા અને સ્પર્ધામાં ભાગ લેવાની યોગ્યતા તપાસવા લાગે ત્યાં ખ્યાલ આવે કે સંજના સમજદાર પણ છે. માત્ર સહેલીઓના કહેવાથી નહીં, પણ પોતે લાયક છે કે કેમ એ જાત તપાસ પણ તે કરે છે. આ જાત તપાસ દરમિયાન પોતાની સુંદરતાથી શરમાઈ જતી, રોમાંચિત થઈ ઊઠતી અને લજાઈ જતી સંજના અંતે આત્મવિશ્વાસપૂર્વક સ્વિમ સૂટ પહેરીને ઊભી રહે. સર્જકે સંજનાના ચિત્તમાં જન્મતાં આ તમામ સંવેદનોને આલેખ્યા છે. મીના ઉદયનો સાચો ચહેરો જાણે છે. તેથી તે ઉદયની સામે સંજના સ્વિમિંગ સૂટમાં ન આવે તે માટે પ્રયાસો કરે છે. ઉદયને ખુલ્લા વિચારવાળા માનતી સંજના તેની સામે આવીને ઊભી રહે છે અને ઉદય તેને મારવા માટે હાથ ઉપાડી દે છે. આ જોઈ સંજનાને આઘાત લાગે છે. મીના સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી પોતાનું પુરુષાતન સિદ્ધ કરતો ઉદય મીના પર જ જવાબદારી નાંખે છે કે તે સાંજનાને સમજાવે અને ભાગ લેતા રોકે. ઉદય કાયમ મીના વડે જ ધાર્યું કરાવતો રહ્યો છે. સંજનાને પોતાના ઘરમાં જ, સ્વજનોની વચ્ચે જ નિર્ણય લેવાની મોકળાશ નથી એ સત્ય સમજાય છે. આ તરફ સંજનાને પૂછ્યા વિના ઉદય મિલમાલિકના દીકરા કપિલ સાથે સંજનાના લગ્ન નક્કી કરી દે છે. આ બાજુ મીના સંજનાને કહે કે તું કપિલાની સાથે પરણીને તારા ઘરે જાય પછી ભાગ લેજે. સંજના સમજી જાય છે કે મમ્મી પરવશ છે. સંજનાની સુંદરતાથી તેની તરફ આકર્ષાયેલો કપિલ સંજનાના સવાલનો ઉત્તર આપતાં કહે છે કે તું બ્યુટી કોન્ટેસ્ટમાં વિજેતા બનીશ તો મારી મિલની સુપર મોડેલ બનીશ અને ભાગ નહીં લે તો મારી પત્ની બનીશ. કોઈ વિકલ્પ ન બચે તેવો જવાબ સાંભળીને સંજના સ્તબ્ધ થઈ જાય છે. વાર્તાના અંતે સંજના પોતાને અંધારામાં કેટ-વોક કરતી જુએ છે. ઉદય સંજના પર હાથ ઉગામે છે ત્યારે પિતાનો સહકાર ઝંખતી સંજના સ્નેહના આવરણ પાછળ રહેલો પિતાનો જોહુકમી કરનારો સાચો ચહેરો જોઈ જાય છે. તે મમ્મી મીનાને કહે છે, ‘શું કામ જાતને છેતરો છો, મમ્મા! પાપા લવ્ઝ હીમસેલ્ફ, એમની મરજી બનીને બીજા જીવે, હી એન્જોયસ ધ મોસ્ટ! એમનું મન સાચવવાની ફરજને તું પ્રેમ કહે છે?’ (પૃ.૧૩૬) સર્જકે ઉદયની ચેષ્ટાઓ વડે તેની માલિકીભાવનાને સચોટ રીતે ઉપસાવી છે. લગ્ન બાદ મીનાને પોતાને તાબે જ રાખી છે. ઉદયને ના ગમે તેવો કોઈ નિર્ણય મીના લઈ શકે એમ નથી. દીકરીને મનાવવા તે કુટિલતાથી મીનાને આગળ ધકેલે છે. કપિલ સાથે વાત કરવા માટે સંજનાને મીના સમજાવતી હોય ત્યારે ઉદયની ચેષ્ટા જુઓ. ‘ડાયલ કરવાના અવાજથી દરમાંથી ડોકાતા ઉંદરની જેમ, કાન સરવા કરતો ઉદય દરવાજે પડદા પાછળ ખેંચાઈ આવ્યો હતો. એના ચહેરા પર રાહતની અપેક્ષા ઉંદરની મૂછની જેમ ફરકતી હતી.’ (પૃ.૧૩૭) ઉદયનું ખોખલું, માલિકીભાવનાવાળું વ્યક્તિત્વ સર્જકે તંતોતંત ઉપસાવ્યું છે. સંજનાના વિચારો વડે સ્ત્રીની સ્વઓળખના પ્રશ્નને પણ આલેખ્યો છે. સંગ્રહની વાર્તાઓ વિષયવસ્તુના વૈવિધ્ય, કથકની પસંદગી અને મહાનગરીય પરિવેશને લીધે ધ્યાન પાત્ર બને છે. ‘ચુટકી’ વાર્તામાં ચૈત્ર સુદ નોમને શનિવારના એક દિવસની સવારના થોડા કલાકોમાં ચુટકીના મુખે તેની સંવેદનાની વાત કહેવાય છે. આ વાર્તામાં ચુટકી પોતે જ પોતાની જાતને ટપારતી હોય ત્યારે ત્રીજા પુરુષ એકવચનમાં સંબોધન કરે છે. એટલે કે ચુટકીની સ્વ સાથેની વાતચીત વડે વાર્તાનો બંધ બંધાયો છે. વાર્તામાં સર્જકની સૂઝ કથકના બેવડા દૃષ્ટિકોણને વણી લેવામાં જોવા મળે છે. એક કથક મુગ્ધા કોલેજિયન યુવતી સ્નિગ્ધા છે, જે વરુણને જોઈને જ બીજું બધુ ભૂલી જાય છે અને બીજી કથક તે આ યુવતીની જ અધરસેલ્ફ છે, જે વાસ્તવિકતા જાણે છે, સમજે છે અને પેલી મુગ્ધાને પણ સમયાંતરે ટપારતી, ટોકતી રહે છે. આ પ્રયુક્તિના લીધે વાર્તામાં ચુટકીની ઉક્તિઓ એ માત્ર સ્વગતોક્તિઓનો ખડકલો બની ન જતાં જાણે બે પાત્રો વચ્ચેનો સંવાદ હોય તેવી બની રહે છે. એ રીતે એક યુવતીના બે પાસાં - તેનું સ્વપ્નિલ વિશ્વ અને વાસ્તવિક જગત બંનેનું નિરૂપણ થયું છે. બી.એ. પાસ કર્યા બાદ ટીપટોપ થઈને કોઈ કંપનીમાં સેક્રેટરી તરીકે નોકરી કરવાનું વિચારી રહેલી સ્નિગ્ધાને તેના પપ્પા નિવૃત્ત હેડ કલાર્ક ભગવતીપ્રસાદ કહી દે છે કે જો નોકરી કરવી હોય તો આપણી લોડ્રી ‘વોશ – વેલ’ સંભાળ. બીજે નોકરી કરવા જવાની જરૂર નથી. ‘જો સર્વિસ કરવી હોય ચુટકી, તો આપણે ત્યાં લૉન્ડ્રીમાં, નહીં તો ઘેર બેસો.’ (પૃ.૦૧) ધીમેધીમે ચુટકીને આ કામ ગમવા લાગે છે. ચુટકીની આ નોકરીમાં એક માત્ર આશ્વાસન હોય તો તે દુકાનની સામેના મકાનમાં રહેતો અને રોજ સવારે સાડા આઠ વાગ્યે પુસ્તક વાંચતો નોકરીએ જતો યુવાન વરુણ છે. જેને ચુટકી લાડમાં બાઘુરામ કહે છે. ચુટકીની દુકાને તે કપડાં ધોવા માટે આપીને જાય છે. તે જ્યારે પણ દુકાને આવે ચુટકીની સામે પણ જોતો નથી. તેનું ધ્યાન તેના પુસ્તકમાં જ હોય છે. સામાપક્ષે ચુટકી વરુણના કપડાં બરાબર જુએ, ફંફોસે છે. કારણ કે, રખેને કોઈ માહિતી મળી જાય એમ તે ઈચ્છે છે. તેની સાથે બે ઘડી વાત કરવા મળે એ માટે કપડાં તૈયાર હોય તો પણ તે ના પાડે છે. શર્ટ ખોવાઈ ગયું છે કે ઈસ્ત્રી બાકી છે એવા એવા બહાને તે વરુણ સાથે વાત કરવાની તક ઝડપી લે છે. એ વિચારે કે એ વાતે તો ચોપડીમાંથી મોઢું ઊંચું કરીને તે ચુટકી સામે જુએ કે કશું બોલે પણ, વ્યર્થ. તેથી જ ચુટકી વિચારે છે કે, ‘ઘણી વખત થાય છે હું પુસ્તક હોત તો મને જોયા તો કરત, લઈ-લઈને ફર્યા તો કરત, પસવારતો! મારામાં ગ્લેમર નથી. હું ગોર્જીયસ નથી., સ્માર્ટ તો છું જ, શોભીશ, શરમાવીશ તો નહીં જ એને.’ (પૃ.૦૭) ચુટકીની આંખે તેનું વર્ણન જોવા જેવું છે. ‘ઊંચો, સૂકો યુવાન, સહેજ બ્રાઉન રંગના તેલ વગરના લાંબા કપાળ પર ઢળી આવતા વાળ, ટેરવાં રમાડવા ગમે એવી તાજી કાપેલી ટર્ફની કુમાશભરી લીલાશ પડતી દાઢી, રિમલેશ ચશ્માં, ખભે બગલથેલો, પગમાં કોલ્હાપુરી ચંપલ, પણ ચિત્ર અધૂરું જ રહે, જો એના હાથમાં પુસ્તક ના હોય તો.’ (પૃ.૦૨) તેના સ્વપ્નો રાતદિવસ જોતી ચુટકીને આ શનિવારે આઘાત લાગે છે જ્યારે તે યુવાનના કપડાના પોટકામાંથી બ્લાઉઝ, સાડીઓ, નાના ફ્રોક્સ નીકળે છે. ચુટકી આ જોઈને હેબતાઈ જાય છે. તેના પર ખિજાઈ પણ ના શકે, કારણકે તેને તો ક્યારેય નજર ઊંચી કરીને તેને જોઈ પણ નથી. કાયમ યુવાનના કપડા જાતે જોઈ સ્પેશિયલ વોશના ઢગલામાં મૂકતી ચુટકી આ વેળાએ રઘુને કહે છે. ચુટકીના તીવ્રતમ રોષનું તેના જ મુખે થયેલું વર્ણન જોવા જેવું છે. ‘હું હંમેશની જેમ રસીદ આપવા ફરી, પણ દાઝતી હોઉં તેમ ખચકાઈ. સાડીઓ, બ્લાઉઝ, નાના ફ્રોકસ...! ચુટકી! ખબર ના પડી પણ કોઈ અકળ રોષમાં મેં રઘુને બૂમ મારી. મારો અવાજ તરડાઈ ગયો. રઘુ આવ્યો. એને પાવતી બનાવવાનું કહી હું પગ પછાડતી કબાટ પાછળ ચાલી ગઈ. ચીડ તો એવી ચડી કે પુસ્તક ખેંચી આપું એન મોં પર, કપડાંનો ફૂટપાથ પર ઉલાળિયો કરું, જીવ ભરીને ભાંડું, દાંતિયા કરું, લડું. ગેટ...આઉટ...એથી શું તું સારી લાગશે! કેવી પણ લાગું! શું બગાડ્યું છે એણે તારું? ઊંચી નજર કરીને પણ એણે જોયું નથી. એ જ.... એ જ...તો કહું છું, કેમ? ચુટકીને ચટકો લાગ્યો હતો, જો કહું છું, નાહકની તું..! મેં ચુટકીને દબડાવી. મારે શું! થાય છે કે નકટા મનને તો..!’ (પૃ.૦૯) ત્યાં તો થોડીવાર બાદ એક વિધવા સ્ત્રી ચાવી શોધતી આવી પહોંચે અને રહસ્ય ઊઘડે કે તે સ્ત્રી પેલા યુવાન વરુણની બહેન છે. ગામડેથી દીકરીને લઈને વેકેશન હોવાથી આવી છે. આ સત્ય જાણતાંવેંત ચુટકીનો મૂડ બદલાઈ જાય. ‘મૂર્ખ, જેનાથી દાઝી’ તી એમાં જ હૂંફ શોધે છે! ચુટકીએ ડપકું મૂક્યું.ઘડીક હું ચૂપ રહી, પછી એકાએક એની સામે જીભડો કાઢી, ડેસ્ક પર પડેલાં કપડાં, મારાં હોય તેમ બાથમાં સમેટી કબાટ પાછળ જઈ, કપડાં સ્પેશ્યલ વોશમાં નાખ્યાં, પરંતુ ‘વી’ ફોર વરુણની ઇનિશ્યલવાળા પેન્ટ – શર્ટ હાથમાં જ રહી ગયાં, અલાયદાં...ને એકાએક લાગણીઓના એ ડોલતા દરિયા વચ્ચેથી ડોલફિનની જેમ, ચુટકીના મનમાં કોણ જાણે કેમ, પણ એક ઈચ્છા ઊછળી: એમનાં કપડાં હું જ ધોઈ નાખું તો!’ (પૃ.૧૨) એક યુવતીના એકપક્ષીય પ્રેમનું તેના જ દૃષ્ટિકોણથી થયેલું આલેખન, તેમાં પણ યુવતીના અંતરમાં આવતી ભરતી – ઓટ નું યુવતી વડે જ થતું વિશ્લેષણ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘સન્ – ડે…જ, સન્ – ડે…જ, સન્ – ડે’ વાર્તામાં સર્વજ્ઞના કથનકેન્દ્ર વડે નાના ચાર વર્ષના બાળકના મનોજગતની વાત થઈ છે. વાર્તામાં સમય શનિવારની સવારથી બપોર સુધીનો જ છે. પાંચેક દિવસની માંદગીના લીધે ચીડિયો થઈ ગયેલો કલાપી જાણે છે કે આજે મમ્મી નિરામયી ઑફિસે જવાની છે. દૂધ પીવાનું પડતું મૂકીને કલાપી રડવાનું શરૂ કરી દે છે. કલાપીને સમજાવી, પટાવીને, કચવાતા મને સહેલી વંદનાને, બોલાવી નિરામયી ઓફિસ જવા નીકળે છે. એ વેળાએ માંડ ચાર વર્ષના કલાપીને સમજાવતી નિરામયીનો આ સંવાદ શહેરી સમાજ અને મૂડીવાદી અર્થવ્યવસ્થાની તાણને દર્શાવી દે છે. ‘જો બેટા, મમ્મી કામ પર ના જાય તો મમ્મીને પૈસા પણ ના મળે; પૈસા વિના આપણને ઘરમાં કેટલી તાણ પડે! પણ હા, મારા રાજા બેટાના પપ્પા સાહેબ થશે ને, એટલે પછી મમ્મી નહીં જાય...બસ! પણ ત્યાં સુધી તો મમ્મી ઓફિસ જાય કે નહીં!.. આ જો ગઈકાલની કાળા રંગની તારીખ શુક્રવાર. એ તો ગયો.. આ બીજી કાળી તારીખ શનિવારની; તે આજ. ને આ લાલ રંગની તારીખ રવિવારની, સન્ – ડે ની! સન્ – ડે આવે લાલ તારીખ દેખાય એટલે મમ્મીને રજા! રજા એટલે મમ્મી ઓફિસ ના જાય; તારી જોડે કરે મજા!’ (પૃ.૩૬) નિરામયીની દીકરા સાથે રહેવાની ઈચ્છા અને સામે મોં ફાડીને ઊભેલો મૂડીવાદનો, શહેરી મોંઘવારીનો અજગર – આ બંને વચ્ચે ભીંસ અનુભવતી નિરામયી ઑફિસે જેમતેમ કરીને પહોંચે છે, પણ તેનું ચિત્ત તો કલાપીમાં જ ખોવાયેલું છે. શનિવાર હોઈ અડધા દિવસની જ ઑફિસ હોઈ બે વાગતાં સુધીનો સમય ચિંતા, ઉચાટમાં વિતાવીને તે ઝડપથી ઘરે આવી પહોંચે છે. આ તરફ મમ્મીની વાતે હઠ કરતો કલાપી કૅલેન્ડરના પાનના પરની બધી તારીખો લાલ રંગની કરી દે છે. આ જોઈને નિરામયીની આંખો ભીની થઈ જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘રોનદિવૂ’ ઉપભોક્તાવાદી માનસથી ગ્રસ્ત સ્ત્રી-પુરુષના કુરૂપ આંતરિક ચહેરાને દર્શાવે છે. અત્યારે લીવ ઈન રિલેશનની વાતે જવાબદારીમાંથી છટકબારી શોધીને મોજમજા માની લેવાની વૃત્તિ વકરતી જાય છે અને આ સર્જકે આ વૃત્તિનું આલેખન છેક ૧૯૯૮માં પ્રગટ થયેલા વાર્તાસંગ્રહમાં કર્યું છે એ જોઈને સર્જક માટે માન થાય તે સ્વાભાવિક છે. ‘રોનદિવૂ’ એ ફ્રેંચ શબ્દ છે. તેનો અર્થ છે કોઈ ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે થતી મુલાકાત. વાર્તામાં શબ્દનો અર્થ બદલાઈ જાય છે. વાર્તામાં ત્રણ પાત્રો છે: અકિક, તન્વી અને સુકેતુ. અકિક કથક છે. અકિકના ઘરે સુકેતુ અને તન્વી મળતા રહે છે. ત્રણેય સારા મિત્રો છે. વાર્તામાં સાંજના થોડા કલાકોનો સમય છે. અકિકના ઘરનો પરિવેશ છે. અકિક ઈચ્છે છે કે સુકેતુ અને તન્વીએ લગ્ન કરી લેવા જોઈએ. વાર્તાના પ્રથમ ખંડમાં તન્વી આવી છે પણ સુકેતુ આવ્યો નથી. અકિક તન્વીને જુએ છે. તેનું ફાવશે, ચાલશે, ચલાવી લઈશ એ વલણ અકિકને અકળાવે છે. તે તન્વીને કહે પણ છે, ‘વાતે વાતે જે કોમ્પ્રોમાઈઝ કરી ચલાવી લે છે એ અપ્રામાણિક છે, જેને કોઈ અનુભવ સ્પર્શતો નથી.’ (પૃ.૧૯૧) સુકેતુ તન્વીને આમ રાહ જોવડાવે તે અકિકને ગમતું નથી. સ્કૂટર બગડ્યાનું બહાનું સુકેતુ કાઢે છે. ચા-કોફીના બહાને બંને પાત્રોને એકાંત આપતો અકિક લગ્ન કરી લેવાની સલાહ આપીને ઘરની બહાર નીકળે ત્યાં પ્રથમ ખંડ પૂરો થાય છે. બીજા ખંડમાં સુકેતુ અને તન્વીની પ્રેમસભર ક્ષણોની સાથે બંને એકબીજાથી કંઈક છુપાવતાં હોય, ચેતતા હોય તેમ વર્તન કરતાં જોવા મળે છે. તન્વીની પાંપણ અનાયાસે ખરતાં સુકેતુ વિશ માંગવાની હઠ કરે છે. બંને વિશ માંગે છે, પણ એકબીજાને ન કહેતાં કાગળમાં લખે છે અને પરબીડિયામાં મૂકી દે છે. અકિકના હાથમાં પરબીડિયું આવે છે. તે બંનેના ગયા પછી બંનેની વિશ વિશે જાણવાની ઉત્સુકતાથી પરબીડિયું ખોલીને તેમાંથી કાપલીઓ કાઢે છે. બંનેની વિશ હોય છે: ‘આઈ વિશ મારુ મોકલેલું માંગુ પારૂલ સ્વીકારી લે.’ (સુકેતુ) ‘લંડનથી ધવલ પાછો આવે છે, આઈ વિશ, જતાં પહેલાં પોતાનું આપેલું વચન એ પાળે.’ (તન્વી) (પૃ.૨૦૬) પ્રશ્ન થાય કે તન્વી અને સુકેતુ બીજા પાત્રો સાથે જોડાવા માંગે છે તો પણ એકબીજાને શા માટે મળતાં રહે છે, પ્રેમનું નાટક કરતાં રહે છે. જવાબ અકિકના મુખે વાર્તાકારે આપ્યો છે, ‘કન્ઝ્યુમર સોસાયટીના લોભિયાઓ, ટાણે મૂલ્યોમાં નહિ કિંમતમાં રસ છે, ને એ કરતાં વધુ રસ છે, છૂટમાં.’ (પૃ.૧૯૫) આ છૂટનો ભરપૂર લાભ લેતાં, વેઈટિંગ સમયમાં બને તેટલો લાભ લેતાં તન્વી-સુકેતુની ગોઠવણીવાળી રમતને સર્જક સંવાદો વડે તાદૃશ કરાવે છે. અકિક એકલો તટસ્થ છે. તે કથક અને પ્રતિભાવક હોઈ ભાવકો તેના વડે તન્વી-સુકેતુના સાચા ચહેરાને જુએ છે. વાર્તાના આરંભે પૂંઠું ચડાવવા માટે કાતર શોધતા અકિકની પરબીડિયું વાંચ્યા પછી કાતર શોધવાની ચેષ્ટા સૂચક છે. સત્ય જાણ્યા બાદ ઘોંઘાટિયું સંગીત સાંભળવા માંડતો અકિક ફોનની ઘંટડી સાંભળી શકતો નથી. આ ઘોંઘાટિયું સંગીત પણ કેટલું સૂચક છે. આમ, આ સંગ્રહ વિષયવસ્તુ, કથકની પસંદગી, સ્ત્રી-પુરુષ સંબંધમાં પ્રવેશી ગયેલી ઉપભોક્તાવાદી માનસિકતાનું નિરૂપણ, સ્ત્રીની ઓળખના સંકુલ પ્રશ્નની સ્ત્રીના દૃષ્ટિકોણથી તપાસ, ભાષાશૈલીને કારણે મહત્ત્વનો બની રહે છે.
૩. ‘હેલો, સૂર્યા!’ (ઈ.૨૦૦૨)
‘હેલો, સૂર્યા!’ (ઈ.૨૦૦૨) વાર્તાસંગ્રહમાં કુલ સોળ વાર્તાઓ છે. તેની પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે, ‘પ્રશ્નોને જન્મતા હું કદી રોકી શક્યો નહીં. ઉત્તર વિના ગૂંગળાતો રહ્યો. આમાંથી જન્મી અંતર્મુખતા, વિમુખતા, એકલપટ્ટાપણું, ઉદાસીનતા, સંરક્ષણાત્મક વલણ, અલગતા. એ સાથે અજંપો, અકળામણ, અસહાયતા. એમાંથી ઘડાયો અંતરઘાટ. એમાંથી ઊભી થઈ મને ગમે એવા, કોષેટા જેવા વ્યક્તિઓ અને વિશ્વોને રચવાની અનિવાર્યતા. સમય જતો રહ્યો, જીવન જીવાતું રહ્યું. પ્રશ્નો ઊઠતા રહ્યા: વ્યક્તિઓ વિશે, પરિસ્થિતિઓ વિશે, વલણો વિશે, એબસર્ડ કંડિશનિંગ વિશે, મોકળાશના અભાવ વિશે. આમ ચિત્તમાં ઘુમરતા પ્રશ્નો સર્જન માટે રસાયણની ગરજ સારતા રહ્યા… આ સંગ્રહની કૃતિઓ પ્રશ્નજન્ય છે.’ ‘કૂબો’ વાર્તામાં સર્જક સાવ સામાન્ય લાગતી પરિસ્થિતિ આલેખીને દાંપત્ય જીવનના ખૂબ સૂક્ષ્મ પ્રશ્નને આલેખે છે. વિરમ અને કુંજ પ્રેમલગ્ન કરી ઘર વસાવે છે. તેમને બે બાળકો પણ છે. નિયતિએ કુંજને સેટલ થવામાં ખૂબ મદદ કરી હોય છે. રાત્રે બાર વાગે નિયતિનો ફોન કુંજ પર આવે છે. નિયતિને તેના પતિ અંબરે ઘરની બહાર કાઢી મૂકી છે. કુંજ તરત જ તેને પોતાના ઘરે આવી જવા કહે છે. વિરમને કુંજ પૂછ્યા વિના નિયતિને ઘરે આવી જવાની હા કહી દે તે ગમતું નથી. અકળાયેલો વિરમ નિયતિનો વાંક કાઢી, તેને દોષી ઠેરવી ઘરની બહાર ચાલ્યો જાય છે. કુંજને આજે એકાએક એમ લાગે છે કે જે ઘર, કુટુંબ પાછળ પોતે પણ વિરમ જેટલી જ ઘસાઈ તેના પર શું તેનો એટલો પણ હક નથી કે તે પોતાની મિત્રની મદદ કરી શકે? ‘એને સમજાયું નહીં, વિરમને અકળામણ શેની હતી? નિ અહીં આવે છે એની, કે નિને આવવાનું કહેતાં પહેલાં એની સંમતિ ન લીધાની? મારા જ ઘરમાં મારે વિરમની રજા લેવાની? કુંજને થયું નિયતિની જેમ એ પણ રસ્તા પર જ છે.’ (પૃ.૧૯) વિચારોના ઘમાસાણમાં અટવાયેલી કુંજને આજે તેના પતિ સાથેના સંબંધ પર પ્રશ્નો જન્મે છે? પોતીકાપણાંની લાગણી, પોતાની ઈચ્છાઓને, હક્કને બાજુ પર રાખી વિરમની મરજી મુજબ જીવન તે જીવી રહી છે તે વાતનો અણસાર તેને આવે છે. નિયતિને તો અંબરે સ્પષ્ટ રીતે ઘરની બહાર કાઢી મૂકી છે તે સમજાય, પરંતુ કુંજ તો પોતાના જ ઘરમાં આશ્રિત છે નિર્ણય લેવામાં, વિરમની સહમતિ લેવામાં. ‘તને જો અંબરે જાકારી છે તો નિ વિરમે જાકાર્યો છે મારો હક્ક. તારું ઘર ભાંગ્યું છે તો મારી આજે ભાંગી છે ઘરની ભ્રમણા.’ (પૃ.૨૪) કુંજ નક્કી કરે છે કે સૌમ્યાના લગ્ન પાછળ એક પણ પૈસો નહીં ખર્ચે અને તેને તેના નામનું ઘર અપાવશે. જેથી પોતાના નિર્ણય લેવા તેને કોઇની મંજૂરી ન લેવી પડે. બીજી બાજુ નિ બારણે વિરમ-કુંજનો-કૂબો વાંચે છે અને દરવાજો ખુલવાની પ્રતિક્ષા કરે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. ઘરની નેમ પ્લેટ પર બંનેના નામ લખવાથી નિર્ણય લેવાની સત્તા બંનેની એકસમાન ન પણ હોય! આપણી સામાજિક સંરચના, પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા અને સ્ત્રીઓના સામૂહિક અચેતન જ એવા છે કે મોટે ભાગે સ્ત્રીઓ પુરુષને ગમે તે બીબામાં પોતાને ઢાળવા માંડે છે. ‘કેટ-વોક’ની મીના, કૂબો’ની કુંજ, ‘ઝાલી ન ઝલાતી છોકરી’ની નિત્યા, કે ‘એન અફેયર’ની વીરા આ વાતના દૃષ્ટાંત તરીકે જોઈ શકાય. આ દરેક નાયિકાઓ કોઈકને કોઈક રીતે પુરુષને ગમે તે રીતનું વર્તતી, એમની જીવનરીતિ પ્રમાણે જીવતી જોવા મળે છે. ક્યાંક પ્રેમને લીધે તો ક્યાંક પુરુષને ગુમાવવાની બીકના લીધે. ‘એન અફેયર’માં વીરા તેના પતિ હર્ષની વર્તમાન પ્રેમિકા આસ્માને ફોન જોડી સાંજે પાંચ વાગે લીલાની કૉફી શોપમાં મળવા બોલાવે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. સાંજે તેને મળી પોણા સાત વાગે વીરા છૂટી પડે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. બંને એકમેકને મળવાનું નક્કી કરે છે ત્યારથી બંનેના મનોભાવોનું સર્જકે સુંદર આલેખન કર્યું છે. ઇંટિરિયર ડેકોરેશનની ફર્મની માલિક આસ્મા વીરાને એક હાઉસ વાઈફ સમજી મળવા જવા નીકળે છે. વીરાને મળતાં જ આ સ્ત્રી જોડે માંડ કૉફી પીવાય તોય સારું એમ આસ્માને થઈ જાય છે. વીરા આસ્માને પ્રેમી હર્ષના મહોરાં પાછળ છુપાયેલો પુરુષ હર્ષ કેવો છે તે બતાવે છે. આ પુરુષ હર્ષ સ્વકેંદ્રી, સ્વાર્થી, કૃતઘ્ની, સ્ત્રીના દેહને જ જોનારો અને સ્ત્રીને પોતાની માલિકીની વસ્તુ સમજનારો છે. બીજી તરફ આસ્માને મળ્યા પછી વીરા પણ હર્ષની સાંકળોમાંથી મુક્ત થાય છે. આસ્મા સાથે વાતચીત કરતાં તે સમજતી જાય છે કે હર્ષ માટે તે પ્રેમ નહીં પણ એક પગથિયું માત્ર હતી, પ્રગતિ માટેનું. પોતે હર્ષને મેળવવામાં પોતાની જાતને ગુમાવી દીધી એ સત્ય સમજાય છે. એ અર્થમાં વાર્તાએ આસ્માને થતી પ્રતીતિની તો છે જ પણ એથી વધારે વીરાની સ્વ-ઓળખની છે. ‘વાંસળીવાળો’ વાર્તામાં કૌશલ અને પ્રભાના લગ્નને પાંચ વર્ષ વીતી ગયા છે. એક જ મકાનમાં જુદી જુદી ઑફિસમાં કામ કરતાં, લિફ્ટમાં અવારનવાર મળવાનું થતાં પ્રભાને કૌશલ એકબીજાના પ્રેમમાં પડે છે અને પરની જાય છે. પ્રભા એક્સ્ટ્રોવર્ટ સ્વભાવ ધરાવે છે. કૌશલની પ્રામાણિકતા અને ખંતીલા સ્વભાવ પર પ્રભા મોહી પડી હોય છે. આખી વાર્તા કૌશલના કૉલેજકાળના મિત્ર તનિલના મુખે કહેવાય છે. તનિલ આ બંનેને રોજ ઘરે મળવા જતો હોય છે, પરંતુ છેલ્લા દસ દિવસથી તે તેમના ઘરે જવાનું ટાળી રહ્યો છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. નવા શરૂ થયેલા ગેમ શોની આખા શહેર પર મોહિની છવાઈ છે. (જો કે, વાર્તામાં ગેમ શોનું નામ લખ્યું નથી, પણ પંદર સવાલ, દરેક સવાલના જવાબમાં ચાર વિકલ્પ એમ કહીને જે વર્ણન કર્યું છે તે કૌન બનેગા કરોડપતિ શોને જ સૂચવે છે.) શો જોતાં કૌશલ દરેક પ્રશ્નના ઝડપથી સાચા જવાબ આપી દે છે. એ જોઈને તનિલ સહજ રીતે બોલી જાય છે કે તું આ ગેમ શોમાં ભાગ કેમ લેતો નથી? તું ભાગ લે તો સરળતાથી જીતી જાય. આ સાંભળતાં વેંત મહત્ત્વાકાંક્ષી પ્રભા કૌશલની ટીકા કરવા માંડે. બંને વચ્ચે ભયંકર ઝઘડો થાય અને તનિલ ધિક્કારમાં ધૂંધવાતો ઘરની બહાર નીકળીને બારમાં પહોંચી જાય. વેઈટર જગાડે ત્યારે તે બહાર ફૂટપાથ પર આવે અને ખાલી બિયરના ટીનને લાત મારતો અંધકારમાં ચાલી નીકળે ત્યાં વાર્તા પૂરી થાય છે. ગેમ શોના બહાને સર્જક ઉપભોકતાવાદી માનસિકતા કેવી રીતે સ્ત્રી-પુરુષ સંબંધને ગ્રસી જાય છે તેનું નિરૂપણ કરે છે. પ્રભા અને કૌશલના સંવાદોની ભાષામાં સર્જકની કમાલ દેખાય છે. એકમેક પ્રત્યેનો હાડોહાડ ધિક્કાર, તિરસ્કાર અને ઘૃણાને તીખી, વેધક ઉક્તિઓથી દર્શાવવામાં સર્જક સફળ થયા છે. ‘રખે ને જો...’વાર્તામાં મુખ્ય પાત્રો અશ્વિન શાહ અને તર્જની છે. અશ્વિન અંતર્મુખી સ્વભાવ ધરાવે છે. તર્જની દેખાવડી છે. અશ્વિન અને તર્જની ધીમે ધીમે નજીક આવતાં જાય પણ બોસ તર્જનીને પોતાની પી.એ. રજા પર જતી હોવાથી પી.એ.ના સ્થાને રાખવાનો નિર્ણય લે અને તર્જની શોષણ ન સ્વીકારતાં રાજીનામું આપીને જતી રહે છે. તે અશ્વિનને ટિફિન અને સાથે ચિઠ્ઠી મોકલાવે, અશ્વિન તે ચિઠ્ઠી વાંચે અને તર્જનીને ફોન કરું કે ન કરું એમ વિચારતો હોય ત્યાં વાર્તા પૂરી થાય છે. શોષણનો પણ ક્યાંય સીધો ઉલ્લેખ નથી, પરંતુ સુજ્ઞ ભાવકે સંકેતોથી તે સમજવાનું રહે છે. લકવાગ્રસ્ત મા સાથે રહેતી તર્જની અને ઘરેથી ભાગી નીકળેલો એમ.બી.એ. પૂરું કરીને નોકરી મેળવવાના સ્વપ્ન જોતો અશ્વિનની આ સરળ પ્રેમકથા તેની માવજતના લીધે ધ્યાનપાત્ર બને છે. ‘ખીંટી’ વાર્તામાં નાયિકા હેતલને પ્રશ્ન છે કે દીકરી હોવા છતાં, ત્રણ ભાઈઓ હોવા છતાં ઘરની જવાબદારી તેના જ માથે કેમ છે? તે કહે છે કે તેના પિતામાં બે વ્યક્તિત્વ છે. જયંતી અને બાપ. જયંતીને તે અને તેની મા પુષ્પા ગમતાં નહોતા. પુષ્પાના જવા બાદ જિદ્દી જયંતી હેતલને ઊભીને ઊભી જ રાખતો. હેતલ જયંતીને ટપી જઈ બાપને મળવા ઇચ્છતી પણ તેમ બનતું નહીં. બે ભાઈઓ પોતાનું સેટલ કરી ઊપડી જાય છે. રહી જાય છે નોકરી કરી માનસિક રીતે મંદ બુદ્ધિવાળો ભાઈ અને તોછડો જયંતી. સમાજમાં હેતલના ત્યાગના ઉદાહરણ અપાય, પરંતુ તેની લાગણીઓને કોઈ સમજતું નહીં. પોતે જ્યારે પંકજ સાથે લગ્ન કરવાની વાત જયંતી સામે તે મૂકે છે ત્યારે પોતાનું સુખ જતું રહેશે તે ભયે જયંતી તેને છીનાળું કરતી કહે છે. લગ્ન કરે તો ઘરની બહાર કાઢી મુકવાનું અલ્ટિમેટમ જયંતીએ હેતલને આપી દીધું છે. હેતલ પંકજ સાથે લગ્ન કરવા મક્કમ છે, પરંતુ પંકજને તો હેતલ જોઈએ છે પોતાની બીમાર માની ચાકરી કરવા માટે. તે પણ હેતલને બે દિવસનો સમય આપે છે વિચારવા માટે. અહીં સર્જક કમાતી દીકરીના જીવનનો જુદો જ પ્રશ્ન આલેખે છે. હેતલને બંને પુરુષો પોતપોતાની જરૂરિયાત સંતોષવાના સાધન તરીકે જુએ છે, દીકરી કે પ્રેમિકા તરીકે નહીં. આ સંગ્રહની વાર્તાઓમાં સર્જક વાર્તા સ્વરૂપ પ્રત્યે વધારે સભાન બનેલા અનુભવાય છે. વિષયવસ્તુની માવજત, પાત્રોના આંતરજગતને ઉજાગર કરે તેવા બોલચાલના લય-લહેકાવાળા સંવાદો, શહેરી પરિવેશ અને મૂડીવાદનો પ્રસરતો પંજો, સંકેતાત્મક નિરૂપણ અને બળકટ ગદ્યના કારણે આ સંગ્રહ નોંધપાત્ર બની રહે છે.
૪. ‘એક ક્ષણનો ઉન્માદ’ (ઈ.૨૦૦૭)
‘એક ક્ષણનો ઉન્માદ’ (ઈ.૨૦૦૭) વાર્તાસંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ છે. જેમાં કૌટુંબિક સંબંધો અને સ્ત્રી-પુરુષ સંબંધનું આલેખન થયું છે. ‘અગનખેપ’, ‘ઝાલી ન ઝલાતી છોકરી’, ‘રિમઝિમ’, ‘બારીથી બારી સુધી’માં મા-દીકરીના સંબંધનું નિરૂપણ થયું છે. પ્રથમ બે વાર્તાઓમાં કૉલેજમાં જતી દીકરીને મા પોતાના ભૂતકાળના અનુભવોની વાત કરે છે અને શું ભૂલ ન કરવી જોઈએ તે પોતે વેઠેલા પરિણામ સાથે જણાવે છે.
‘અગનખેપ’માં કથા સમય માત્ર એક સાંજથી વહેલી સવાર સુધીના થોડા કલાકોનો છે. નિરૂપણ સમય વિભૂતિ શોભા અને સુમનરાયના લગ્ન અને અનુજાના જન્મના ત્રણ વર્ષ બાદ શોભા વિધવા થાય તેટલો છે. અત્યારે અનુજા ચોવીસ વર્ષની થઈ ગઈ છે. તેને મન્મથ નામનો એક યુવાન ગમવા લાગે છે, એ જાણી મા પોતે કરેલા પ્રેમલગ્ન, મા-બાપનો તિરસ્કાર, સુમનરાયે કરેલી કાળી મજૂરી અને તેને પરિણામે થતું મૃત્યુ, પોતે શ્રીમંતની દીકરી આવી અવસ્થામાં મુકાઈ અને જેમતેમ કરીને અનુજાને ઉછેરી આ બધાનું વર્ણન માના મુખે રાતના સાડા અગિયારથી સવારના ચાર સુધી થયું છે.
‘ઝાલી ન ઝલાતી છોકરી’માં પણ રાતથી માંડી વહેલી પરોઢનો કથા સમય છે. જેમાં નિત્યાને મુંબઈથી વંઠેલી ચીકુને પાછી તેડી જવા ફોન આવે છે. ખીજાયેલી નિત્યા ચીકુને ફોન જોડે છે પણ લાગતો નથી. આથી તે ચીકુને વાળવા પોતાના જીવનની હકીકત - ટીનએજથી માંડી આજ સુધીની - ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ કરે છે. સવારે ચીકુ અને સર્વમ આવી પહોચે છે. ચીકુ રેકોર્ડર ઓન કરે ત્યાં વાર્તા પૂરી થાય છે. નિરૂપણ સમયમાં નિત્યા કૉલેજના વર્ષોથી માંડી વિકલ્પના પ્રેમમાં પડવું, તેજસ્વી કરિયરને તિલાંજલિ આપવી, પોતાના કુટુંબીજનોનો રોષ વહોરવો, વિકલ્પના ઘરનાના સંકુચિત સ્વભાવ સાથે સેટ થવા પોતાની જાતને નીચી પાડવી, આવેગોને વશ વર્તી કરેલા નિર્ણયનું આકરું પરિણામ – આ બધી બાબતો રાતના તે રેકોર્ડ કરે છે. બંને વાર્તામાં મા પોતાના ભૂતકાળનું સત્યનિષ્ઠાથી, કોઈ પણ પ્રકારની છેતરપિંડી વિના સીધું કથન કરે છે. જેથી એ જ પગથિયે ઊભેલી દીકરી પોતાની અંદરની માદાને જ માત્ર વશ વર્તી ભવિષ્ય, પોતાની ઓળખ, આત્માને ટૂંપો દેવાની ભૂલ ન કરે.
‘રિમઝિમ’વાર્તામાં નાયિકા શર્મનના પ્રેમમાં પડે છે અને શર્મનને રસ્તામાંથી કોઈક ઉપાડી જાય છે. એ વાતે અત્યંત ગિલ્ટ અનુભવતી રિમઝિમની મદદે તેની મા આવે છે. ફિલ્મી કથા જેવો પ્લોટ ધરાવતી આ વાર્તામાં મા-દીકરીનું જોડાણ ધ્યાન ખેંચે છે. ‘બારીથી બારી સુધી’માં અલ્પના ઘર છોડીને જઈ રહી છે. મા પદ્મા અને ભાઈ-બહેન તેના ભગ્ન લગ્ન સંબંધ માટે તેને જ દોષી ગણી વર્તન કરતાં જોવા મળે છે. બારીએ ઊભેલી અલ્પના નીરવ અને તેની વચ્ચે અંતર કેમનું ઊભું થયું એમ વિચારતી જાય અને મા, ભાઈ, બહેન-બનેવીનો પોતાના નવા લગ્ન જીવનમાં ચંચુપાત દેખાય. સ્વાભિમાની નીરવની લાગણીઓને વારંવાર ઠેબે ચડાવતી માને તે ઘર છોડી જવાનું કારણ જણાવતા માને કહી બેસે છે,
‘કારણ કે તું, મમ્મી તું મને સતત યાદ દેવડાવતી રહેશે કે નીરવ અને મારા વચ્ચે તું જો આવી ન હોત તો મારો વર મને છોડીને ગયો ન હોત!’ (પૃ.૧૫૭)
અલ્પના નીરવ સાથે સમાધાન કરવા બેંગલોર જવાનું નક્કી કરે છે. હજુ તેની એરટિકીટ્સ આવે ત્યાં તો ખબર પડે કે નીરવ તો અમેરિકા ચાલ્યો ગયો છે. બારીની બહાર જોતી અલ્પના ઊભી રહે ત્યાં વાર્તા પૂરી થાય છે.
‘અભિસાર’ની તન્વી બપોરે બાર વાગે ચાર નંબરના પ્લેટફોર્મ પર અભિને મળવાની છે તે ક્ષણથી વાર્તા આરંભાય છે. બપોરે સવા એક પછી અભિ તેને એક નંબરના પ્લેટફોર્મ પર ક્યારનો શોધતો હતો એમ કહે છે. રોષમાં ને રોષમાં અભિ કંઈ સમજે તે પહેલાં પ્લેટફોર્મ નંબર ચાર પર ઊપડતી અંધેરીની ટ્રેનમાં તે બેસી જાય છે. તન્વી સવારથી અભિને ધ્રુવના ઘરે એકાંતમાં મળવા આતુર હોય, તેને ભાવતું ભોજન પણ બંધાવે, સરસ સાડી પહેરી તૈયાર થાય તો આમ આંખના પલકારમાં ટ્રેનમાં કેમ બેસી જાય તેવો પ્રશ્ન થાય. નોકરી કરતી તન્વીને અભિ ગમે છે, પરંતુ પોતાના મા-બાપથી છાનામાના મળવું તેને ગમતું નથી. પોતાના પ્રેમાળ મા-બાપથી જૂઠું બોલતી તન્વી પ્રેમમાં સતત ગિલ્ટ અનુભવે છે. કોઈક જોઈ જશે તો પાછી વાતો થશેની બીક પણ તે અનુભવે છે. (જોકે, અહીં રવીશકુમારની ‘ઈશ્ક મેં શહર હોના’ યાદ આવે. કોઈ પણ શહેરમાં પ્રેમીઓ પર આવો જાપ્તો હોય જ! એમાં જ પ્રેમનો અવકાશ શોધી લેવો પડે.) બીજી બાજુ અભિ પણ પોતે તન્વી માટે સારું કમાય, તેના ઘર જેવડું સુખ આપી શકે એની ચિંતામાં તણાયેલો છે. તન્વીને મળતાં પેલી ભાવિ અનિશ્ચિતતાનો અજગર ભરડો લઈ લેતાં તે તન્વી પર નાની નાની વાતે અકળાઈ જાય છે. સર્જકની ખરી કમાલ તન્વીના લોલક જેવાં બે ભાવ – પ્રબળ પ્રેમાવેગ અને મા-બાપને છેતર્યાની આકરી ગિલ્ટ –ના સૂક્ષ્મતમ આલેખનમાં રહેલી છે.
‘હું જાઉં ભીંજાઉં?’ અને ‘દ્રોહકાંડ’નો પરિવેશ કૌટુંબિક છે. આર્થિક સત્તા કેવી રીતે મધ્યમવર્ગીય કુટુંબને નિયંત્રિત કરે છે તે અહીં સર્જક આલેખે છે. મુંબઈનો પરિવેશ ધરાવતી આ બંને વાર્તાઓમાં આર્થિક મુદ્દા, મહત્ત્વાકાંક્ષાઓને પરિણામે સર્જાતી પરિસ્થિતિઓ રજૂ થઈ છે. અલબત્ત, પ્રથમ વાર્તા સુખાંત છે. ‘હું જાઉં ભીંજાઉ?’માં તેર વર્ષની ઈતિને વરસાદમાં ભીંજાવું ખૂબ ગમે છે. દાદીમા પછી મેઘ જ તેને પોતીકો લાગે છે. તે સ્કૂલે જતાં મેઘને ચિઠ્ઠી લખતી,
‘વહાલા મેઘ, ક્યાં છે તું? તું જલ્દી આવને. મને કોઈ, કંઈ ગમતું નથી. એકલી એકલી ભૂત જેવી હું કેટલી બૉર થાઉં છું, પ્લીઝ!’ (પૃ.૦૯)
સાંજે જવાબની રાહ જોતી અગાસીમાં જઈ ઊભી રહેતી. સુમન તેને હંમેશા વરસાદમાં પલળવાની વાતે ટોક્યા કરતી. જેથી ઈતિ ગિલ્ટ પણ અનુભવતી. હજુ હમણાંથી તે રજસ્વલા થવા લાગી હતી. તેને ભણવા કરતાં મેઘધનુષમાં વધુ રસ પડતો. વરસાદ જોતાં જ તે સુમનને કહેતી, ‘મમ્મા જાઉં, ભીંજાઉ પ્લીઝ?’ જવાબમાં સુમન બીમાર પડવાની ધમકી દઈ તેને ચૂપ કરી દેતી. સુમન ના પાડતા ઈતિ ડ્રોઈંગબુકમાં વરસાદ વરસાવે છે. બીજા દિવસે બીમાર પડતાં ઈતિ મમ્મા ખીજાશે કહી મૂંગી જ રહે છે. સાંજે મિહિર ઑફિસથી આવી ઈતિ પાસે પહોંચે અને જુએ તો ઈતિ તાવમાં ધખતી હતી. મિહિર સારવારમાં લાગી જાય છે અને સુમન ખીજાઈ જાય છે ઈતિ પર. ત્યારે મિહિર જ સુમનને અટકાવે છે. બે દિવસ તેને ઉર્વાના વેવિશાળ માટે પિયર મોકલી પોતે ઈતિની ચાકરીમાં લાગી જાય છે. કચવાટે મને સુમન જાય છે. પછી બાપ-દીકરીનું વિશ્વ ઊઘડે છે. મિહિર ઈતિને મમ્માની વાતે જીવ ન કચવવા કહે છે. મિહિર પિતાના મૃત્યુ બાદ કાકા જોડે મિલકતની વાતે ખટરાગ ઊભો થતાં મા જોડે સેનેટોરિયમમાં મોટો થયો છે. સુઘડ ઘર, આનંદી કુટુંબનું સ્વપ્ન સેવતો મિહિર કેસનો નિવેડો આવતા તરત જ પોતાનું ઘર ખરીદે છે. માએ પસંદ કરેલી સુમન સાથે તે પરણી જાય છે. લગ્નના પહેલા જ વર્ષમાં ઈતિ જન્મે છે. મિહિરને ત્રણ બાળકોની ઈચ્છા હોય છે, પરંતુ સુમન ‘સ્કાય ઈઝ ધ લિમિટ. બા જોશે ઈતિને’ કહી નોકરીએ ચઢી જાય છે. કેસ જીતવાવાળી વાત સાંભળી સુમનને મિહિર મહત્ત્વાકાંક્ષી લાગ્યો હતો. ચોવીસ વર્ષ પિયરમાં ‘સાસરે જઈ કરજે’ સાંભળીને કાઢ્યા હોય છે. એમાં ઈતિની વરસાદમાં પલળવાની જીદ કે ઈચ્છા તેને ક્યાં સમજાય? પ્રસંગમાંથી પરત ફરેલી સુમન બાપ-દીકરીને અગાસીમાં વરસાદમાં ઊભેલા જોતાં જ તે ખીજાય છે. મિહિર તેને બહાર ખેંચી લાવે છે. સુમનને મિહિર જોડે વરસાદમાં ભીંજાયેલા પંદર વર્ષ પહેલાનો સમય યાદ આવે છે. ઈતિ ખુશ થઈ બોલી ઊઠે છે,
‘પપ્પા, ભીંજાઓ, મમ્મા ભીંજાઓ, સાથે. મેઘલા વરસ, નાગો-નાગો, ઝબકોળતો, તરબોળતો, વરસ!’ (પૃ.૧૫)
ઈતિ સુમન અને મિહિરને અગાસીમાં એકલા મૂકી અંદર આવે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સુમનની પૈસા પાછળની દોડ ઈતિ અને મિહિરને પીડે છે. ઈતિને અકળાવે છે માતા-પિતાની ખેંચતાણ. એ દાદીમા હોય ત્યારે એમની સોડમાં ઝઘડા જોઈ ભરાઈ જતી. હવે દાદીમા પણ નથી. તેર વર્ષની ઈતિ ઘરના વાતાવરણ માટે કે સુમનના આવા વર્તન માટે પોતાને જવાબદાર માનવા લાગે છે. એક વરસાદ જ તેને પોતીકો લાગે. સ્કૂલની ફ્રેંડ્ઝને તો બોયફ્રેન્ડ પણ છે. પોતાના આવા વિચારો, લાગણીઓ તે કોની સાથે શેર કરે? અહીં હેમાંગિની રાનડેની ‘પારિજાતક’ કે ‘મારે વાંચવું છે’ વાર્તાઓ યાદ આવે. માતા-પિતાના ઝઘડાની નાના બાળકો અને તરુણ વયના બાળકો પર જે અસર પડે તે આ લેખિકાએ માનસશાસ્ત્રીય ચોકસાઈથી આલેખ્યું છે. ઈતિને લાગે છે કે વરસાદ આવ્યો અને મમ્મા-પપ્પા ખુશ થઈ ગયા તેની જેમ જ. અહીં વરસાદ એ પ્રેમની ભીનાશનો સંકેત બની રહે છે. સર્જકે ઈતિના પાત્રનું અને તેના પિતા સાથેના સંબંધનું આલેખન સુંદર રીતે કર્યું છે.
‘દ્રોહકાંડ’માં કૌટુંબિક પરિવેશ છે. એક સાંજના છ વાગ્યાથી બીજી રાતનો સમય આલેખાયો છે. કૈરવ સાંજે છ વાગે તોરલને આવતા પહેલા મિત્રોને પાર્ટીમાંથી પોતપોતાના ઘરે જવા મોકલે છે. અઠવાડિયા પછી કૈરવની બારમાં ધોરણની પરીક્ષા છે. આવતી કાલ રાત સુધીમાં કૈરવે તેના બીજા મિત્રોની જેમ ઈમરાનને સવાલો લેવા માટે એક લાખ રૂપિયા આપવાના છે. તોરલ ઘરે આવતા કૈરવ આ સુવર્ણ તકની વાત કરે છે. મેડિકલમાં પ્રવેશ મેળવવો હોય તો આટલું જતું કરવું જોઈએ એમ સમજાવે છે. કૈરવના પ્રામાણિક પિતા બેન્ક મેનેજર છે. કૈરવ સ્વાભાવિક રીતે જ તેમની બચતો, રોકાણો જાણતો હોઈ એક લાખ રૂપિયા તો કંઈ જ ન કહેવાય સિક્યોર ભવિષ્ય માટે એમ કહે. તોરલ પણ કૈરવ સાથે સંમત થતી જાય, પરંતુ ભીષ્મના વિચારે ગૂંચવાય. તે જાણે છે કે ભીષ્મ ક્યારેય સંમતિ નહીં આપે. પૈસા તો પોતેય આપી દે, પરંતુ ભીષ્મની નારાજગી કોણ વહોરે, દીકરો કે પોતે? ઘરમાં ધીમું ટેન્શન રચાઈ ગયું છે. કૈરવના તોરલ સાથેના સંવાદોમાં જોવા જેવા છે.
‘તને નથી લાગતું મોમ, તારા ડ્રીમ માટે લાખ તદ્દન નજીવી રકમ છે?’ (પૃ.૧૬૦)
‘પપ્પાને કંઈ ખબર પડતી નથી, બહાર શું ચાલે છે! પડતી હોત તો બંગલામાં રહેતા હોત, ગાડીમાં ફરતા હોત, તું નવથી પાંચની નોકરીનો ઢસરડો ન કરતી હોત!... આપણા પપ્પા પાસે વ્હોટ ડુ યુ એસ્પેક્ટ?’ (પૃ.૧૬૦)
‘આઈ લવ યુ મોમ. તું સમજે છે યુટિલિટી ઑફ મની. હવે આદર્શનો જમાનો નથી.’ (પૃ.૧૬૦)
‘મની મોમ, મનીનો, ટુ યુઝ એઝ પાવર.’ (પૃ.૧૬૦)
‘પપ્પા દીકરાના ભવિષ્યની સલામતી ખાતર શું આટલુંય નહીં કરે?’ (પૃ.૧૬૦)
‘પપ્પાનું પ્રોવિડંડ ફંડ, ફિક્સ ડિપોઝિટ, બોંડ્ઝ, દર મહિને બેંકમાં જતો તારો આખો પગાર ક્યારે કામ લાગશે? ... આમ તો તું કહ્યા જ કરે છે, આઈ લવ યુ, પણ વખત આવે, બુલશીટ!’ (પૃ.૧૬૨)
‘મોમ મારે આખી જિંદગી તમારી જેમ મિડલ ક્લાસિયું ગદ્ધાવૈતરું નથી કરવું.’ (પૃ.૧૬૨)
અહીં બારમાં ધોરણમાં ભણતા એક મુંબઈના મિડલક્લાસ છોકરાની માનસિકતા સમજવા જેવી છે. તે પોતાના મિત્રો સામે માતા-પિતાના ચોખલિયા વર્તનને કારણે ભોંઠપ અનુભવતો હોય છે. પૈસાદાર મિત્રોની જીવનરીતિ તેને આકર્ષે છે. પિતાના આદર્શો તેને વાહિયાત લાગે છે. તે જાણે છે કે મમ્મીને પણ પિતાની પ્રામાણિકતા ખૂંચે છે. અલબત્ત, એ જ સ્વભાવથી આકર્ષાઈને તોરલે ભીષ્મ સાથે લગ્ન કર્યા હતા. મોટી બેન પંક્તિએ માત્ર બે ટકા માટે થઈને મેડિકલમાં પ્રવેશનું સ્વપ્ન જતું કરવું પડ્યું હતું. કૈરવ આ બધું સમજે છે. આથી જ તે જ્યારે તોરલના કાને વાત નાંખે છે ત્યારે ‘તને નથી લાગતું મોમ, તારા ડ્રીમ માટે લાખ તદ્દન નજીવી રકમ છે?’ કહે છે. એક તો, એક લાખને તદ્દન નજીવી રકમ ગણાવી દીધી. બીજું પોતાની ઈચ્છાને તોરલની કહી. તે જાણે છે કે તોરલને તેને ડૉક્ટર બનાવવો છે. આપણે પપ્પા પાસે શું અપેક્ષા રાખી શકીએ? જો તેઓ આદર્શવાદી ન હોત તો આજે બંગલામાં રહેતા હોત, ગાડીમાં ફરતા હોત. કૈરવ તોરલના મનની સુષુપ્ત ઈચ્છાઓ જાણે છે. તેને આવું જીવન જીવવું પડે છે તેનો વસવસો છે તે પણ સમજે છે. આથી, હું તને એ વૈભવી જીવન આપી શકવા સક્ષમ છું એમ કહે છે. સામાપક્ષે તોરલ પણ મનોમન પહેલા વિરોધ પછી કૈરવ સાથે સંમત થતી જાય છે. ભીષ્મ આવે તે પૂર્વે જ બેઉ એક બાજુ થઈ જાય છે. ભીષ્મના કાને તે વાત નાંખે છે. ભીષ્મ તોરલ સંમત કંઈ રીતે થઈ ગઈ તે જાણી આઘાત અનુભવે છે. કૈરવ જીદ કરતો પિતાને કહેવા માંડે છે,
‘ત્રીસ વર્ષ તમે બેન્કમાં મહેનત કરી, શું કાંદા કાઢ્યા? તમે જેને ગર્વ માનો છો, એ ગદ્ધાવૈતરું છે. મારે એ નથી કરવું. મારે ડૉક્ટર બનવું છે. આજે સફળતાનો આ એક માપદંડ છે: શું મેળવ્યું, કેમ મેળવ્યું એ નહિઁ અને મારે સફળ થવું છે… તમે ક્યારેય કંઈ કોઈ માટે કર્યું છે? ઉપદેશના મંજીરા વગડ્યા સિવાય.’ (પૃ.૧૬૬)
કૈરવ સામે ભીષ્મ ચૂપ થઈ જાય છે. તેને દીકરાના મોઢે આવી વાતો સાંભળી ધક્કો લાગે છે. રાત એવી જ તણાવપૂર્ણ વીતે છે. બીજા દિવસે સવારે સગર્ભા પંક્તિ તોરલને મળવા આવે છે. મા દીકરી વચ્ચેનો આ સંવાદ જુઓ.
‘અહીંયા દખલ દેતી, તું તારો સંસાર સાચવ, દોઢડાહી!’
‘તું સમજતી કેમ નથી, પપ્પા શકુની નથી, ખોટું ન કરવું એ જ પપ્પા છે. બીજી કોઈ ઓળખ નથી એમની!’ (પૃ.૧૬૯)
પંક્તિ કૈરવને મળવા પણ જાય છે. તે સમજાવે છે તેને પણ ઉપભોક્તાવાદી માનસ ધરાવતો કૈરવ પંક્તિને સાંભળતો નથી. ભીષ્મ સાંજે ઘરે આવે ત્યારે નાટકના ક્લાઇમેક્સની જેમ કૈરવ પગ પછાડતો ઘરની બહાર નીકળી જાય છે. ભીષ્મ પોલીસ સ્ટેશને આગોતરી ચોરીની ફરિયાદ નોંધાવે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સામાન્ય રીતે બાર સાયન્સમાં ભણતા સંતાનને મા-બાપની આશાઅરમાનોનો ભાર કચડી નાંખતો હોય તેવી અનેક વાર્તાઓ ગુજરાતીમાં લખાઈ છે, પરંતુ આ વાર્તામાં છોકરો પોતાના ભવિષ્યની વાતે, મા-બાપને દબાવતો જોવા મળે છે. ઉપભોક્તાવાદી સમાજનું વરવું ચિત્રણ અહીં થયું છે. પોતાના ભવિષ્યની અને તે દ્વારા મા-બાપાના વૃદ્ધાવસ્થાના સહાયક તરીકેની પોતાની ભૂમિકાની વાત ઠસાવતો કૈરવ મૂડીવાદી સમાજનો પ્રતિનિધિ બને છે. આ અર્થમાં પણ આ વાર્તા ગુજરાતી નવલિકાક્ષેત્રે અગત્યની બની રહે છે.
‘ફોર આ કપ ઑફ કૉફી’માં મુંબઈમાં વસતા એક દંપતીની એક બીજાને શંકાના સાણસામાં ફસાવી અફેર કરવાની વાત થઈ છે. ચેતન રસ્તામાં સલમાને જુએ છે. તે હજુ પણ એટલી જ સુંદર દેખાય છે એ જોઈ ચેતનને જૂની ઓળખાણ તાજી કરવાનું મન થાય છે. પઝેસિવ પત્ની શ્રીલા યાદ આવતા તે નિરાશ થઈ જાય છે. રસ્તામાં જ તેને એક ઉપાય સૂઝે છે. તે ઘરે આવીને સરસ તૈયાર થઈને ઊભેલી શ્રીલાનો ઉધડો લઈ નાંખે છે. ચેતન ઘરમાં આવતાવેંત તેના જૂના અફેર્સ યાદ કરાવી, આજુબાજુવાળા પુરુષો જે રીતે તેને લટ્ટુ બની તાકતા રહે છે, શાકભાજીવાળા તેને ફ્રીમાં આદું-મરચાં આપતા – આ બધી વાતે તેને ટોણો મારી મારી તેના પર શંકા ન કરવા સુધી લઈ જાય છે. શ્રીલાની કોઈ પણ દલીલ તે સાંભળતો નથી. આજે આઠમી મે, તેમનો પ્રપોઝ ડે હોવાથી તે આમ તૈયાર થઈ તેની જ રાહ જોતી હતી એ સાંભળીને પણ તે નમતું મૂકતો નથી. બંને વચ્ચે સુલેહ થતાં શ્રીલા તેના માટે ચા બનાવવા બાજુમાંથી નયના પાસે ફૂદીનો લેવા જાય છે. તક મળતાં જ ચેતન સલમાને ફોન જોડી આવતી કાલે બપોરે ત્રણ વાગે ક્લબમાં મળવાનું નક્કી કરી લે છે. ફોન પરની આ વાતચીત શ્રીલા સાંભળી જાય છે. તે ચેતનને ધમકાવી નાંખે છે. આજુબાજુની કે ઑફિસની બધી સ્ત્રીઓ સાથે દૂરી બનાવવાનું કહી દે છે. તે સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે,
‘યાદ રાખ ચિતુ, તું પ્રાઈવેટ પરબ છે, નગરપાલિકાનો પબ્લિક નળ નથી, સમજ્યો.’ (પૃ.૧૨૪)
સલમાને તેના તરફથી આમંત્રિત કરવા અને બહાર ત્રણ માટે ટેબલ બુક કરાવવા શ્રીલા ચેતનને કહી તૈયાર થવા લાગે છે. ડોરબેલ વાગતાં શ્રીલા દરવાજો ખોલે છે. કોણ છે?ના ચેતનના પ્રશ્નમાં વિવેક એમ તરડાયેલા અવાજમાં શ્રીલા બોલે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. ચેતન પર ચાંપતી નજર રાખતી શ્રીલા કૉલેજ કાળના પ્રેમી વિવેક સાથે હજુય સંબંધ રાખે છે એ સત્ય ભાવકને વાર્તાના અંતે સમજાય. સંવાદ વડે ચાલતી આ વાર્તામાં સર્જક પતિ-પત્ની વચ્ચેના સંબંધની એક એવી બાજુ દર્શાવે છે કે જ્યાં બંને એકબીજા સાથે દંભ કર્યા કરે, પોતાના અફેર્સનો બચાવ બીજાની કોઈકને કોઈક વાતે ભૂલ કાઢીને કરતાં રહે છે. બંનેને એકબીજા પરત્વે શંકા રહ્યા કરે અને તોય એકબીજા સાથે પ્રમાણિકતાથી વર્તવાની વાતો કરે છે. ‘રોનદિવૂ’માં નાયક-નાયિકા મિત્રના ઘરે મળતાં રહે, પરંતુ બેઉ લગ્નથી દૂર ભાગે છે. બીજા કમિટમેંટ પહેલાના સમયનો તેઓ સારો ઉપયોગ કરવા ઈચ્છે છે. અહીં ચોથા સંગ્રહમાં સર્જક મુંબઈના ઉપભોક્તાવાદી સમાજમાં સ્ત્રી-પુરુષની બદલાયેલી માનસિકતાને આ વાર્તામાં આલેખે છે.
‘ઉડાન’માં એરહોસ્ટેસ રાજ ડૉ. સોહમના એકતરફી પ્રેમમાં છે. સર્વજ્ઞના કથનકેન્દ્રથી ચાલતી આ વાર્તામાં રાજના વ્યક્તિત્વના ત્રણ પાસાં સર્જક ઉપસાવે છે. એક, મેઘાવી વ્યક્તિત્વ ધરાવતી એરહોસ્ટેસ રાજ, એનામાંની આદિમ માદા રાજુ અને વાતે વાતે દોષ અનુભવતી કુંઠિત નારી રાજેશ્વરી. સોહમને બે વર્ષ પૂર્વે બેંગલોર જતી ફ્લાઈટમાં રાજે પહેલીવાર જોયો હતો. મનોમન તેને ચાહતી રાજ તેના વ્યક્તિત્વનો પરિચય મેળવવા મથે. હજુ વધુ લાગણીઓ વ્યક્ત કરે તે પૂર્વે જ સોહમને સ્ટ્રોક આવે છે. રાજ સિપિઆર આપવા જાય, પરંતુ એક નાનકડી ક્ષણ માટે સોહમના હોઠ સ્પર્શમાં તે ચૂકી જાય. આ વાતે તે પોતાને અપરાધી માની પશ્ચાતાપ અનુભવે ત્યાં વાર્તા પૂરી થાય છે. એક પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતી રાજની અંદર હૂંફ ઝંખતી રાજુ-રાજેશ્વરીનું ચિત્રણ સર્જકે ઝીણવટભરી રીતે કર્યું છે. ‘અને છતાં પણ’ સંગ્રહની ‘ચુટકી’ સાથે યાદ આવે.
‘ઝોલાં ખાતો માણસ’ સંગ્રહની જુદી તરી આવતી વાર્તા છે. પત્રકાર કામ્યા સિત્તેર વર્ષના નોવેલિસ્ટ યશવર્ધન ઉર્ફે ત્ર્યંબક જગન્નાથ જોષીનો ઇન્ટરવ્યુ લેવા આવી છે એ ક્ષણથી વાર્તા આરંભાય છે. ‘ચિન્મયી’ બોલતા યશવર્ધન અંતર્મુખ થઈ તંદ્રામાં સરી જાય છે. કામ્યા ચિન્મયીને શોધવા નજર કરે. ઘરમાં કોઈ ન મળે. ટેબલ પર ચિન્મયીના બર્થ ડે માટે સૂત્રો લખેલાં કાર્ડ્ઝ કામ્યા જુએ. યશવર્ધનના વ્યક્તિત્વનો પરિચય મેળવતી જાય. ચિન્મયીએ આપઘાત કર્યો હોવા છતાં તે પોતાની પાસે જ છે એમ યશવર્ધન કહે. તેમની વાતો અને કાર્ડ્ઝ વાંચીને, જેમાં સ્ત્રીને તેની ઓળખ માટે સભાન થવું જોઈએ- કામ્યા યશવર્ધનથી પ્રભાવિત પણ થાય. ‘પોપ્સી’ કહીને અચાનક ટપકી પડતી ચિન્મયી વિશે વાત કરતાં યશવર્ધન કહે,
‘ઘણી વખત એવું બને કલમ અટકી જાય. આગળ કંઈ ન સૂઝે, જો સૂઝે તો ગમે નહીં. આવા રાઇટર્સ-બ્લોકની અવસ્થામાં સ્થિતિમાં બેઠો હોઉં ત્યારે, પોપ્સી, કરતી ઓચિંતી ડોકાય. ‘હું-લખું’, ‘હું-લખું’ કરતી ખોળામાં ગોઠવાઈ જય મારા અડધા લખેલા કાગળ પર બે-ચાર લીટા દોરી, થઈ-ગયું, કહી રમવા દોડી જાય. મારો બ્લોક તૂટી જાય. ક્યારેક રમતાં રમતાં એકાએક એની નાની રતુંબડી હથેળી ધરી સામે ઊભેલી દેખાય. મારે એ હથેળીમાં વિના કારણ ઈનામ રૂપે હબુકીયાં કરતાં બકી ભરવાની, પછી એ મોટી પકડ્યું હોય તેમ મૂઠી વાળી દોડી જાય. એ આવી-ને-ગઈના પ્રમાણરૂપે આસપાસ એની મહેક રમઝૂમ્યા કરે... પણ મનસ્વી. મારી નહીં, એની મરજીથી આવે,પૂછતી: પોપ્સી, ક્યાં છો?’ (પૃ.૯૫-૯૬)
ઇન્ટરવ્યુ આપતાં આપતાં યશવર્ધન ઝોલે ચઢી જતાં. કામ્યા ‘અસ્મિતા’ના તંત્રી જયમલ મોદીને કામ્યા ઇન્ટરવ્યુ આપે છે. કોઈ પણ આ નોવેલિસ્ટ વિશે જાણતું નહોતું. એક સર્જકનો કામ્યાએ લીધેલો ઇન્ટરવ્યુ વખણાય છે, પરંતુ યશવર્ધનના ભાઈનો ફોન આવે છે કે તેણે તો લગ્ન જ નહોતા કર્યા તો દીકરી ક્યાંથી આવી? કામ્યા જયમલને સમજાવતાં કહે છે,
‘હાઉ કેન હિઝ ફેક્ટ્સ બી મોર સુપિરિયર ધેન હિઝ ટ્રુથ? જયમલ સત્ય અને વિગતોનો ફરક સમજો. યશવર્ધનનું ખરું નામ, જન્મસ્થળ, તારીખ, પિતાનું નામ, પત્નીની ઉંમર, એમની દીકરી ચિન્મયી હતી કે નહીં, એ બધી વિગતોનું મહત્ત્વ છે કે એમના જીવનમાં ઊભી થયેલી દીકરીની અનિવાર્યતામાંથી ઉત્પન્ન થતી રહસ્યમય સર્જનશક્તિનું? જો ફેક્ટ્સ રિયાલિટિ હોય તો આ ફેક્ટ જ એમની ઈનર રિયાલિટિ છે.’ (પૃ.૧૦૪)
જયમલ કામ્યાની વાત સાંભળવા તૈયાર નથી. તે કામ્યાને માફીપત્ર આપ અથવા રાજીનામું લે તેમ કહે છે. આ બંને વચ્ચે ઝોલાં ખાતી કામ્યા ઊભી રહે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સર્જકચિત્તની, તેના ઊંડા સંવેદનોની વાત કરતી આ વાર્તામાં વાસ્તવ શબ્દનો વિસ્તૃત અર્થ પ્રગટ થાય છે. વાસ્તવ અને કલ્પનાની ભેદરેખા ઓળંગી જતી આ વાર્તા સ્ત્રીના સ્વાયત્ત, સ્વતંત્ર અસ્તિત્વની વાત પણ કરે છે. સર્જક પોતાની દીકરીની વાત કરતાં કરતાં સ્ત્રીના અસ્તિત્વને લગતા મૂળગામી પ્રશ્નોને પણ ઊંડણમાં લેતા જાય છે. ત્રીજી તરફ ઈન્ટરવ્યુ લેનાર પત્રકાર કામ્યા માટે પણ સવાલ ઊભો થાય છે કે સત્ય શું? જે નવલકથાકાર અનુભવે છે તે કે પછી પેલી સ્થૂળ હકીકતો કે જે જાણવામાં દુનિયાને રસ છે? પત્રકાર તરીકે તેનો ધર્મ શો? એક સ્ત્રી તરીકે તે આ મુલાકાત દરમિયાન સ્ત્રી વિશે નવેસરથી જોતી, સમજતી, વિચારતી થઈ એ સત્યની કોઈ કિંમત નહીં? આ અને આવા અનેક પ્રશ્નો વાચકના ચિત્તમાં જન્માવતી હોવાથી આ વાર્તા અનેક સ્તરીય બની રહે છે. આ ઉપરાંત ‘મમરિયો’, ‘ખુશખબર’, ‘માખી’ તથા ‘કુકુ – એક અનુબંધ’ પણ આ સંગ્રહની મહત્ત્વની વાર્તાઓ છે.
પાત્રોના તનિલ, પિયાસી, સ્નિગ્ધા, કિન્નરી, અકિક, યશવર્ધન, મરાલી, કૈરવ, વીરા જેવાં જુદા પ્રકારના નામો પણ ધ્યાન ખેંચે છે. ચારેય સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે કે, હરીશ નાગ્રેચાની વાર્તાઓમાં કૌટુંબિક સામાજિક સંરચનાની પડખે ચૂપકેથી પકડ જમાવી રહેલો મૂડીવાદ, આ મૂડીવાદી માનસિકતાની સ્ત્રી-પુરુષ સંબંધ પર થતી અસરો, સ્ત્રીના અસ્તિત્વની, સ્ત્રીની સંવેદનાઓની, સ્ત્રીના સ્વાયત્ત દૃષ્ટિકોણથી રજૂઆત, સ્ત્રીઓના સામૂહિક અચેતન પર પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો ગાઢ પ્રભાવ અને તેના વડે બંધિયાર થતી સ્ત્રીની વિચારસરણી, કથકની પસંદગી, ટૂંકા ભૌતિક સમયની વચ્ચે સ્વપ્નો, સ્મૃતિઓ, સ્વગતોક્તિઓ વડે લાંબો ભૂતકાળ અને તે વડે પાત્રના ચૈતસિક જગતને તંતોતંત ગૂંથી લેવાની કુશળતા, પાત્રોના વાણી-વર્તનનું માનસશાસ્ત્રીય ચોકસાઈથી થતું આલેખન, વાર્તાનો આકર્ષક આરંભ અને વેધક અંત, બળકટ ગદ્ય- તેમની વાર્તાઓને અવિસ્મરણીય બનાવે છે. આ અર્થમાં હરીશ નાગ્રેચા ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે મહત્ત્વના સર્જક બની રહે છે.
હીરેન્દ્ર પંડ્યા
નવલકથાકાર, વિવેચક
મો.નં. ૮૪૬૦૩૭૫૩૮૬