સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કનૈયાલાલ મુનશી

Revision as of 11:52, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કનૈયાલાલ મુનશી

[આ દૃશ્ય ‘લોપામુદ્રા’ ભાગ ૩માંથી લીધું છે. વિશ્વરથ (કૌશિક) ભરતોનો રાજા હતો. અગસ્ત્યને ત્યાં ભણતો હતો તેવામાં તેનું અને સહાધ્યાયી ઋક્ષનું આર્યોના વિરોધી દૃસ્યુરાજ શમ્બરે હરણ કરેલું. શમ્બરના કિલ્લામાં સંજોગવશાત્ વિશ્વરથ અને શમ્બરકન્યા ઉગ્રાનાં મન મળી ગયાં. પાછળથી આર્યોનાં ઉષાના અવતાર સમાં સ્ત્રી-ઋષિ લોપામુદ્રા પણ આ કિલ્લામાં કેદ થયાં. ભરત અને તૃત્સુ જાતિના લડવૈયાઓને લઈ અગસ્ત્ય આ ત્રણેને બચાવવા શમ્બર પર ચડાઈ કરે છે. શમ્બરનો ધર્મગુરુ ભૈરવ ત્રણે કેદીઓનો દૃસ્યુદેવ ઉગ્રકાલ આગળ ભોગ આપવાનું ઠરાવે છે. છેક છેલ્લી ઘડીએ ઉગ્રા વિશ્વરથના સ્નેહને કારણે આર્યોને શમ્બરગઢનો ભેદી માર્ગ બતાવી અંદર દાખલ કરી દે છે અને ત્રણે બચી જાય છે. આર્યોને હાથે પોતાનાં પિતામાતા, ભાઈભાંડુને મરતાં ઉગ્રા જુએ છે, તોય તે સરળ દૃસ્યુકન્યા વિશ્વરથને વળગી રહે છે. આર્યો વિજયી થઈને તૃત્સુઓના ગ્રામમાં અગસ્ત્યને આશ્રમે સરસ્વતીતીરે પાછા ફરે છે, ત્યાં વિશ્વરથ ધડાકો કરે છે, કહે છે કે, ‘દૃસ્યુકન્યા ઉગ્રાને રાજરાણીને પદે સ્થાપો તો જ રાજા થાઉં.’ પણ એ કાંઈ સહેલ વાત છે? સામે ઊભા છે ‘આર્યો થતા નથી – જન્મે છે’ એમ દૃઢ અભિપ્રાય ધારણ કરનાર શુદ્ધિવાદી વસિષ્ઠ, અને આવી વર્ણસંકરતામાંથી આર્યોની સંસ્કૃતિને બચાવવા માટે વિશ્વરથ એની અયોગ્ય માગણી સવાર સુધીમાં ન છોડી દે તો પ્રાણ ત્યાગવા તૈયાર થનાર ગુરુ અગસ્ત્ય. ખુદ ભરતો પણ કદાચ પોતાની રાજરાણી તરીકે દૃસ્યુકન્યાને સ્વીકારવા પહેલાં એને, રાજાને ને એવું કહેનારને ચાંચડની માફક મસળી નાખે. તૃત્સુઓ પણ મિત્રતા છોડી દે ને વિરોધી બને. પણ વિશ્વરથ કોઈની અને કશાની પણ પરવા કરતો નથી. એક વખત એવો હતો કે પોતે ગુરુપુત્રી રોહિણીનો પ્રેમ મેળવવામાં પોતાનું અહોભાગ્ય માનત. આજે રોહિણી તૃત્સુકુમાર સુદાસ જોડેના એના વિવાહ ફોક થયાના, એટલે કે વિશ્વરથ ધારે તો એને પરણી શકે એવા લોભાવનારા, સમાચાર લાવે છે. વિશ્વરથ દૃસ્યુકન્યા ઉગ્રાની મૂર્તિ સ્મરણમાં લાવી આ પ્રલોભન તરફથી આંખ ફેરવી લે છે. બધા જ એનો વિરોધ કરે છે, છતાં એ પોતાની શ્રદ્ધામાં અચલ અને અડગ ઊભો રહે છે. ઋષિઓ જેની કૃપાથી ઋષિ થાય છે એવા વરુણની પ્રેરણા એ યાચે છે, અને સૂર્યનું આવાહન કરે છે. એના મુખમાંથી માનવોને અખૂટ પ્રેરણારૂપ થઈ પડનાર ગાયત્રીમંત્રના શબ્દો ઝરે છે. એ મંત્ર ઉગ્રા પાસે એ કટકે કટકે ઉચ્ચારાવે છે : ‘તે સવિતાદેવના વરેણ્ય (ઇચ્છવાલાયક) ભર્ગ (પ્રકાશ)નું અમે ધ્યાન ધરીએ છીએ, જે અમારી બુદ્ધિને પ્રેરો.’ અને કરગરતા અવાજે સૂર્યને પૂછે છે, ‘દેવ! સવિતા! બોલો! ઉગ્રા આર્યાં છે કે નહિ? બોલો!’ ચારે દિશામાંથી સૂર્યનો હકારનો અવાજ ગાજી રહે છે. આને ચમત્કાર કહો કે વિશ્વરથની આત્મશ્રદ્ધાનો પડઘો ગણો, લેખક જે વસ્તુ પર ભાર મૂકવા માગે છે તે એ છે કે રંગથી આર્યતા કે દૃસ્યુતા નથી, હૃદયથી છે. આ સત્ય વિશ્વરથને લોપામુદ્રાઋષિના આશીર્વાદથી લાધ્યું તેથી એ વિશ્વરથના વિશ્વામિત્ર બન્યા. પહેલાં એ વિશ્વનો રથ હતા, ભારે ગૌરવભર્યુંભર્યું એ પદ હતું. પણ હવે એ વિશ્વના મિત્ર બન્યા. આ પદ સાથે બીજા કયા પદની તુલના ગઈ શકે? પ્રવેશ શરૂ થાય છે ત્યારે શામ્બરીને પરણવાની ઘેલછા છોડી દેવા વિશ્વરથને તેનો સેનાપતિ પ્રતર્દન, જમદગ્નિ નામનો એક તેજસ્વી યુવાન, કર્દમ નામનો એક વૃદ્ધ ભરત, વગેરે સમજાવી રહ્યા હોય છે. સામ, દંડ, ભેદ આદિ બધી યુક્તિ પ્રયુક્તિઓ તેઓ અજમાવી ચૂક્યા હોય છે. પણ તેમાંની એકેય કામ નથી આવતી. એવામાં વસિષ્ઠ આવે છે. વિશ્વરથના ગુરુ અગસ્ત્યના તે ભાઈ છે, અને તેમના બોલને સહુ વેદવાક્યની જેમ માનપૂર્વક ઝીલે છે. વિશ્વરથને પણ તેમને માટે અપાર આદર છે. હવે આગળ વાંચો.]