નારીસંપદાઃ વિવેચન/સાંપ્રત સાહિત્ય

Revision as of 01:58, 13 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬૨. સાંપ્રત સાહિત્ય

ચૈતાલી ઠકકર

સૌને વદન ‘સાંપ્રત સમસ્યા’ નામક આ બેઠકમાં આપ સીએ હમણાં વૈશ્વિક- રાજકીય સમસ્યાઓ વિશે જાણ્યું. મારે વાત કરવાની છે. સાંપ્રત સાહિત્ય વિશે. આથી બે સંજ્ઞા કેન્દ્રમાં છે, એક તે ‘સાંપ્રત’ અને અન્ય તે ‘સાહિત્ય’. આ સંજ્ઞાઓના સાયુજ્ય વડે હાલના સમયની સમસ્યાઓ સાહિત્યમાં કઈ રીતે નિરુપિત થઈ તેમજ તમાં રહેલી સાહિત્યિકના વિશે વાત કરવાની આહીં ઉપક્રમ છે. કોઈ પણ દેશકાળમાં કુદરતી કે માનવસર્જિત સમસ્યાઓ માનવજીવનને કેવી છિન્ન વિચ્છિન્ન કરી મુકે છે, તેના ઈતિહાસ આપને સૌ જાણીએ છીએ આ સમરયાઓ જ્યારે વિશાલ ભૌગોલીક પ્રદેશને આવરે છે. તીવ્રતાથી આવરે છે, ત્યારે સમગ્રતયા આહત થયેલી પ્રજા એકસરખી વેદનાના ભાવોને અનુભવે છે. સાહિત્યકાર તો ખરો જ પણ સાહિત્યના ક્ષેત્રમાં જને પગરણ ણ માંડ્યા હોય તે પણ સર્જન તરફ ઢળે છે. એટલે આખરે તો માનવીય સંવેદનાની અભિવ્યક્તિ પર વાત આવીને ઉભી રહે છે. હાલના સમયમાં નવેમ્બર-૧૯થી કોરોના મહામારીનો વિશ્વમાં પ્રવેશ અને પછીથી સમગ્ર વિશ્વ પર તેની વિદ્યાતક અસરો સાહિત્યમાં સહેજે રજૂ થઈ છે. સમસ્યાની વાત કરીએ તો ભારતીય સમાજમાં આ કારણે બીજી અનેક સમસ્યાઓ ઉભી થઇ. ગરીબી, બેકારી, ભૂખમરો વગેરે પ્રશ્નનો પહેલા પણ હતા. પણ હવે તે પ્રશ્નીઓ જુદા રૂપ ધારણ કરી વકરી રહ્યા. આ સમસ્યાઓની સાથે સાથે સાહિત્યસર્જન પણ સમાંતરે ચાલનું રહ્યું. કોઈ પીડિત હોય કે શોષિત તેના પર, તેના દર્દને સંવેદી સાહિત્યકૃતિઓ સર્જક રાચતો. જ્યારે આ મહામારીને કારણે સર્જક ખુદ પોતે પણ આ વેદનામય પરિસ્થિતમાં ભીડતો રહ્યો. ભીસાતો રહ્યો. ભારતીય સમાજ જીવનની સાંપ્રત સમસ્યાઓમાં વિશેષ તો શાશ્વત સમસ્યાઓ છે, તે રૂપરંગ બદલી આ કપરાં કાળમાં અભિવ્યક્તિ પામી. આમ અહી કોરોના મહામારીનું સાહિત્ય વિશેષત: કેન્દ્રમાં એટલા માટે રહે છે કે આ મહામારીએ અન્ય સમસ્યાઓને ઢાંકી દીધી છે, ક તો તે કવિચિત્ત પર હાવિ થઈ છે. અહીં નોંધવું જોઈએ કે અધિવેશનની ગત અવર્શની બેઠકમાં ‘કોરોના સમયનું સાહિત્ય’ વિશે ડૉ. સંધ્યા ભટ્ટે અભ્યાસપૂર્ણ લેખ તૈયાર કરેલ, તેમાં પૂરક વિગતરૂપે અને તે પછીના સમયમાં સાંપ્રત સમસ્યાઓ કઈ રીતે સાહિસ્યમાં નિરૂપાતી રહી તે સંદર્ભે આગળ વાત કરવા ધાર્યું છે. આ સમસ્યાકેન્દ્રી સાહિત્ય જોતા જણાયું કે કોરોનાવિષયક સાહિત્ય ગુજરાતી ભાષા અને સાહિત્યમાં સવિશેષ ખેડાયું. ઇયતાની દૃષ્ટિએ ખાસ્સી એવી કાવ્યકૃતિઓ મળે છે, પણ તેની ગુણવત્તા પણ ચકાસવી રહી. આપણા પ્રતિષ્ઠિત સામયિકોમાં કોરોનાકેન્દ્રી કાવ્યો છપાતાં રહ્યા. તો સાહિત્યસેતુ ઈ - જર્નલ તેમજ કોરોનાકાવ્યો ઈ બુકમાં ખાસા એવા પ્રમાણમાં કવિતાઓ મળે છે. જુદા જુદા સાહિત્ય સ્વરૂપોની આ કવિતાની સંખ્યા સાડા ત્રણસો ઉપર છે, આ સિવાય પણ કાવ્યસૃષ્ટિના કવિાના મનોજગતને આ મહામારી અને તેની અસરોએ અસર કરી છે. જેમાંની કેટલીક રચનાઓમાં સાહિત્યિક ઊંચાઈ અને કવિત્વ સહજ રીતે જ અનુભવાય છે, જેના કેટલાંક દૃષ્ટાંતો જોઈએ. ‘એતદ’નો કોરોનાવિશેષાંકમાં હરીશ મીનાશ્રુની સન્નિપાતના ઢાળમાં લખાયેલી ‘મુમૂરષુની વિલાપિકાઓ’ની પંક્તિઓ મૃત્યુની વેધકતાને કેવી તો ધારદાર રીતે વ્યકત કરે છે,

“મોસ્કો અને મેડ્રિડના મણિકર્ણિકા ઘાટે
મારું અડધું બળેલું શરીર લઈને
હું ઉતાવળે ઉભો થઈ જાઉં છું: મારે હજી સાક્ષી બનવાનું છે
અગણ્ય મરણોની અંત્યેષ્ટિનું..."
તો વિપાશા કહે છે,

“રોજ સ્મશાન ફરું
રોજ ઘરે આવું
સમ્શાનો ભરી મારી અંદર."
*
“અંદર શબ
બહાર સમશાન
હું ફરું
મરણ પકડી."

પ્રતિષ્ઠા પંડ્યા મોતનો તાંડવ નિહાળી ‘મોક્ષ’ કાવ્યમાં કહે છે,

લે ઉછીના શ્વાસ
આપું હું તને એકાદ-બે
ડૂબાડ એમાં રહીસહી સઘળી ય જિજીવિષા
ને બંધ આંખોની તળેટીના અંધકારમાં
લપાઈ જા ચૂપચાપ, જીદ ન કર અજવાસની
રહી અટકી ડૂમાની જેમ વચોવચ હજી
એ જીવ-ઝંખના....
વહી જવા દે
જવા દે ઓગળી એને
એમ્બ્યુલન્સોની વિહ્વળ સાયરનોની જેમ હવામાં
ચારેતરફ રહ્યાં પડઘાતા મંત્રોચાર સમા આક્રંદમાં
કાન ઉપર દઈ દે દાબી સજડ
સડક પર પથરાઈ ભારીખમ નિર્જન
ધગધગતી એકલતા બધી
સુકાઈ ગઈ છે તુલસી ઘરની
લે ધરી નારાયણી નામ ગમતું તારી જીભે
દે ઉતારી ગટગટ ગળામાં
યાદોના ગંગાજળિયા ઘૂંટ બે.
ધોઈ પછી ઉના આંસુઓમાં દેહને
લીંપ ચંદન સ્પર્શનાં સ્વપ્ન અંગેઅંગ તું
ને પછી જોડીને હાથ પોતાના પોતાની છાતી ઉપર
ઓઢી લે ધોળીધબ વેદનાના પોત તું માથા પરે
બંધ આંખોમાં રાખી ટગમગતી પ્રેમજ્યોત પાતળી
આ ખોખલા શરીર તળે
થઇ સુક્કા ઘાસનો ઢગલો પડી જે જિંદગી
રાહ જોતી વર્ષોથી કોઈ અગનઝાળની
નાખી એક નિસાસો સળગતો આખરી એ પરે
પેટાવ તું આજ ભડભડ ચિતા પંડની”. (૧૮.૪.૨૦૨૧)

મોતનું તાંડવ જોઈ જીવવાની ઈચ્છાયે શી રહે? કેટલીય વેદનાઓ એકસામટી વ્યક્ત થઈ છે અને ‘ઘરની તુલસીનું સુકાઈ જવું’ જેવા સંદર્ભો આવનાર કઠીન સમયને ચીંધે છે. અહીં કવિતા જ વિશેષ વદે છે એ આપ જોઈ શક્ય હશો. અનિલ રામનાથ નામના આપણા કવિ કોરોનાને કારણે થયેલા મ્રુત્યુઓ અને માનવસંહારને નવીન તરાહે ધ્વનિત કરે છે. કોરોનાએ આપેલ સમસ્યા પર કુલ આઠ કાવ્યોમાં એમની વેદના કાવ્યાભિવ્યક્તિ પામી છે. સિલિન્ડર, ખેતરો મરી ગયા છે, સન્નાટો કોઈ વાર બોલવા લાગે છે, કોફીન અને ઠાઠડીના શહેમાં-કાવ્યોમાં ભારોભાર વ્યક્ત થતી વ્યથા અને વક્ર રજૂઆત ભાવકને ઘેરી લે છે. ‘શું કરું?’ કાવ્યમાં કાવ્યનાયક એક એવી સાંજનું આલેખન કરે છે, જે વરસાદી છે અને અંધારાને નાથવા તેમજ દીવાટાણે મા રૂ ખલાસ થઇ ગયાનું કહે છે, ત્યારે આગળ શું બને છે તે કવિના શબ્દોમાં જ જોઈએ,

“હું તરત છત્રી લઈને બજારમાં રૂ લેવા દોડી ગયો
મેડિકલ સ્ટોરમાં પૂછ્યું તો કહે: "રૂનો સ્ટોક ખલાસ છે."
હોસ્પિટલમાં પૂછ્યું તો રૂ ખલાસ છે.
હું દર દર ભટકતો રહ્યો.
ગાડી તકિયાની દુકાનો બંધ છે.
મારા શહેરમાં રૂનો દુકાળ પડ્યો છે.
વરસાદ વધતો જાય છે
કપાસના ખેતરનું રૂ સાવ ભીનું ભીનું છે
ભીના રૂની વાટથી દીવો નથી થતો
આખરે ખબર પડી કે
લોકો એટલે બધા મરી રહ્યા છે કે
શ્વાસ લેતા નાકના દરવાજા બંધ કરવામાં
રૂનો સ્ટોક ખતમ કરી નાખ્યો છે.
રૂ તો સફેદ દૂધ જેવું છે.
રૂના કાળા બજાર શરુ થઈ ગયાં.

વરસાદનું જોર વધતું જાય છે.
ગાંધીજીના રેંટીયાની પૂણી યાદ આવી.
તકલી યાદ આવી
હું શું કરું?
ઘામાં અધારુ છે.
મા લમણે હાથ દઈને બેઠી છે
દીવામાં તેલ છે પણ વાટ નથી
કોડિયું ખામોશ છે
માને મેં કીધું :
“મને દીપક રાગ ગાતાં આવડતો નથી
હું શું કરું?”

રચળ, સમય, પરિવેશ અને કયા પ્રકારના લોકની આ વેદના ઝીલાઈ છે, એ આપણે બરાબર સમજી શકીએ છીએ. એક રૂ જેવી વસ્તુ પણ મૃત્યુના કહેરને રજૂ કરવામાં કેટલી વજનદાર સાબિત થઈ છે! કોરોનાને કારણે થયેલાં મૃત્યુ અને સરકારી કે પ્રાઇવેટ દવાખાનાઓમાં મૃતકોના નામની અદલબદલ અને ક્યારેક તો મૃતદેહોની પણ અદલબદલ થઈ હોવાના દાખલા કરુણાજનક છે, તો લોકડાઉન અને તેને કારણે ઉદ્ભવેલી સમસ્યાઓએ પ્રજાને વેરવિખેર કરી મૂકી છે. ‘સમીપે’માં શિરીષ પંચાલ કહે છે, “...અત્યારે કોલે બારણે તાળા નથી માર્યા અને છતાંય અદૃશ્ય રીતે તાળા છે." તેમ છતાં શ્રમિકાની જ પોતાના ઘર તરફની ગતિ છે, તે જોતા તેમની સમસ્યાઓ, કોરોનાના ભય અને ગંભીરતાને ડામી દેતી જોવા મળે છે. પ્રતિમા પંડ્યાની ‘કોણે?’ કૃતિ હોય કે હેમાંગ દેસાઈની ‘એક કાળું કાવ્ય’ - કવિ શ્રમિકોની આ વ્યથા શબ્દોમાં વ્યકત કરતા રહ્યા છે. હેમાંગ દેસાઈ ઔરંગાબાદ ‘રેલ દુર્ઘટનામાં શહીદ’ થયેલ પ્રવાસી કામદારો વિશે કહે છે,

“પૂનમની કાળી રાત
ચંદ્રનો ધ્વજ આજ
અડધી કાઠીએ ફરકાવ."

અહીં વ્યંગ્યાર્થ કાવ્યને સૌદર્ય બક્ષે છે. આ શ્રમિકો જે રીતે ચાલતાં થયા છે માર્ગ પર તેમાં તેમની ભૂખનું દુઃખ કુમાર જીનેશ શાહ ‘રોટલી’ કાવ્યમાં દૃશ્ય કલ્પન વડે કેવી તો કાવ્યાત્મકતાથી રજૂ કરે છે તે જોઈએ,

“કાશ! આ ચાંદો જ રોટલી હોતે
તો ટેકરી પર ચડીને એણે તોડી લેતે
ને, કોળિયા એના ભરતે બે—ચાર!"

કોરોનાએ જે અન્ય સમસ્યા જન્માવી તેનું આ દૃષ્ટાંત છે, તો શ્રમિકના ટોળા ટીવી સ્ક્રીન પર જોતા કવિ રાકેશ દેસાઈ કહી ઊઠે છે,

“છવાઈ ગયેલા મૌન સામે
હું ઝડપથી ટીવીનું રિમોટ લઈને
અવાજની તોપમાં
જામગરી ચાપું છું."

પ્રતિષ્ઠા પંડ્યાનું ‘લાલ કીડીઓ’ પણ વ્યથિત કરી મૂકે છે. તો ફરી અનિલ સમનાથની આ રચના જોવી અનિવાર્ય બની જાય છે.

“....
હું શકુંતલા નથી, દ્રૌપદી નથી
ફક્ત મા છું
કોઈ પથારી નથી
હું સડક પર મા બની ગઈ
બપોરનો સૂરજ મને રમકડું માનીને રમી રહ્યો છે
મહાપરાણે એ નવજાત જીવને તેડીને નીકળી પડી
ચાલતાં ચાલતાં એક ગામ આવ્યું
હું અટકી
એક સુથારની દુકાન મને દેખાઈ
મેં સુથારભાઈને પૂછ્યું:
“ભાઈ થોડીવાર માટે એક નાનકડું ઘોડિયું મને ઉધાર આપશો?
આ નાનકડો જીવ બહુ રડી રહ્યો છે.”
સુથારે કીધું : ‘લોકો બહુ મરી રહ્યા છે. કોઈ હવે ઘોડિયા
નથી બનાવતું, કોફિન બનાવે છે
મારી પાસે એક નાનકડું કોફિન છે, લઈ જા
કોફિનનું જ ઘોડિયું બનાવી લે, છોકરી સૂઈ જશે.”

નાનકડું કોફિન લઈને મેં ઝાડની ડાળી સાથે મારી
સાડી ફાડીને બાંધી દીધું
કોફિન ઝૂલી રહ્યું છે
હું હાલરડું ગાઉં છું
દીકરી સૂઈ ગઈ છે."

આવા જ કોઈ વર્ગની વ્યક્તિ રાશનની લાઈનમાં ઊભેલી છે અને સાંજ પાડવા વિશે કિરણસિંહ ચૌહાણ નામના કવિમુખે રજૂ થતી વેદના આ રીતે રજૂ થઈ છે.

"ધોમધખતા તાપમાં
અઢી કિલોમીટર લામ્બી
રાશનની લાઈનમાં ઊભેલા શખ્સને
કોઈએ કહ્યું,
‘તારો નંબર આવશે એ પહેલાં તો
સાંજ પડી જશે....’
ફિક્કું હસતાં એણે કહ્યું.
‘વાંધો નહી... એ બહાને સાંજ તો પડશે.’"

આ વેધકતા અને મહામારીએ આપેલ મોતની ભેટ પરને સ્વીકારવી પડે છે. ચદ્રકાંત ટોપીવાળા, ઉદયન ઠક્કર, પીયુષ ઠક્કર, કમલ વોરા, જયદેવ શુક્લ, બકુલ ટેલર, રાકેશ દેસાઈ, રમણીક સોમેશ્વર, મીનાક્ષી ચંદારાણા, લતા હિરાણી, મુકુલ ચોક્સી, લક્ષ્મી ડોબરિયા વગેરેના આ મહામારી વિષયક સુંદર કાવ્યો મળે છે. યોગેશ જોશીની ‘કોરોનામાં મુંબઈ’ પણ ધ્યાનપાત્ર રચના બની રહે છે. મોતને કારણે થયેલા વિનાશથી વ્યથિત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ શાપવાણી ઉચ્ચારાં કહે છે.

"કમોતે અંત આવે જો ઘણા ઘરના ચિરાગોનો
થતી ત્યારે તમન્ના કે મરણને થાય કોરોના."

તો ‘જાવ રે વેરી, પાલનહારા’ અને ‘જોગણી ખમ્મા કરો’માં પારુલ ખખ્ખરે વિનાશની આ ઘડીઓને અટકાવવાની વિનંતીમાં આહત થયેલી પ્રજાના સૂર કેવા તો ભળી ગયા છે! વાત તો માહમારીએ જે અન્ય સમસ્યા જન્માવી તેના ચિત્રો કે તસ્વીરો જોઈને કવિતા રચાય તેની પણ કરવી ઘટે, રેલ્વે સ્ટેશન પર મૃત માતાને જગાડવા મથતું બાળક અને એની વેદના આ રીતે વ્યક્ત થતી જોઈ શકાય છે,

“સનસનીખેજ થઈ ખબર સૂતી,
છીનવી બાળનું છતર સૂતી.

આભ ઓઢી ધરાના પાથરણે,
જીવતીજાગતી કબર સૂતી.

પીળ કાઢો ને ચીર ઓઢાડો,
એક નારી લઘર-વઘર સૂતી.

બાળ એનો જીવાડશે એને,
થઈને ઇતિહાસમાં અમર સૂતી.

આપસૌને શરમમાં ડુબાડી,
ભરબજારે શરમ વગર સૂતી.

લે હવે બાઈ, મોક્ષ પામી જા,
આમ ના જો ટગર-ટગર સૂતી.

કોણ તારા મરશિયા લખવાનું?
પેન બેહોશ, બેઅસર સૂતી.

ક્યાંય આઘે નથી બની આ બીના,
“લ્યો કવિ, આપને નગર સૂતી."

જાણીતા ચિત્રકાર વૃંદાવન સોલંકીએ કોરોનાવિષયક ચિત્રોનું કલેક્શન બહાર પાડયું છે. ‘INDIAN ART DURING LOKDOWN PERIOD’ - અહીં તેમને દોરેલા ચિત્રો પણ કોરોનાની કવિતા બનીને આવે છે. આ ચિત્રોનું સાહિત્ય પણ નોંધપાત્ર છે. કોરોના મહામારી વિશેનું તેમનું ચિત્ર ‘આપણે શું નામ આપીશું આ કોરોનાને?’ તેમની આ કવિતા સાથે મૂકાય છે, ત્યારે જેટલી કવિતા તેટલું જ ચિત્ર એકસાથે બોલી ઊઠે છે. ગુજરાતી કવિતામાં ‘શબવાહિની ગંગા’થી આગળ ચાલેલી ધારા ‘રાજા સુપ્પડકન્નો’ સાથે આગળ ધપે છે. આ સાથે અન્ય ભાષાની આ પ્રકારની કવિતાના અનુવાદ અને આસ્વાદની વાત કરવી ઘટે. ૨૦૨૦ના ઓક્ટોબરના પરબમાં પ્રમુખીય લેખમાં સિતાંશુભાઈ હિન્દી કવિ વિશ્વનાથપ્રસાદ તિવારીની કવિતા ‘શરારતી બચ્ચા’નો ‘તોફાની છોકરો’ નામે અનુવાદ અને આસ્વાદ કરાવે છે. તેમાંનો એક અંતિમ અંશ જોઈએ,

"આવતા રાજપર્વે
જ્યારે રાજપથે નીકળશે રાજવી નિર્વસ્ત્ર
અને એમનાં અદૃશ્ય અલૌકિક વસ્ત્રોનો
પ્રજ્ઞાચક્ષુ કલાકારો
ત્યારે આ છોરો જ તો ટોકશે તીણે મોત્ટે અવાજે
‘અરે, આ રાજા તો નાગો છે.”

આ ઉપરાંત અશ્વિનીકુમારના આ વિષયને લગતા પાંચ અંગ્રેજી કાવ્યોનો કમલ વોરાએ કરેલ ગુજરાતી અનુવાદ પણ ધ્યાન ખેંચે છે. જેમાં ઉનાળાના આરંભે ફ્લેમિન્ગો, વિજથી વિષાણુ, રેશનની દુકાને કતારમાં, લોકડાઉનની છટાઓ, છૂપો સામ્યવાદ - કાવ્યોનો સમવેશ થાય છે. કોરોના મહામારીવિષયક હળવી હાસ્યરચનાઓ પણ મળે છે. સ્વીન્દ્ર પારેખની હુરતીનો હનેપાતમાં હળવી શૈલી છે. તો કોરોનાનો ગરબો અને કોરોનાનો રાસડો જેવી રચનાઓ પણ મળે છે. અન્ય કેટલાક કવિઓની જેમ કૃષ્ણ દવે એક કાવ્યમાં કારોના વોરિયર્સને સમર્પિત કરતું કાવ્ય આપે છે તો કોરોનાસુરનો વધ - એ નામનું કાવ્ય આપે છે, તો ‘અકક્કલના ઇસ્કોતરો’માં કોઈ પણ જાતની ઇમર્જન્સી વગર બહાર નીકળી પડતા મૂર્ખ માટે ઉગ્રસ્વરે કવિતા કરે છે. બીરેન કોઠારી એક કાવ્યમાં સોનુ સુદને સંબોધીને જે કવિતા કરે છે, તે કવિતામાં ગંભીર બાબતને હળવી બનાવીને મૂકી આપી છે. પદ્યસાહિત્યમાં કોરોના મહામારીની અભિવ્યકિત બાદ કથાસાહિત્યમાં તેની રજૂઆત વિશે હવે જોઈએ. ટૂંકીવાર્તામાં કોરોના એક ઘટકતત્વની ભૂમિકાએ જોવા મળે છે. કેટલાકને મુખે એવું સાંભળવા મળે છે કે કોરોના પહેલાનું સાહિત્ય અને કોરોના પછીનું સાહિત્ય હવે જોવા મળશે. આ સમસ્યા જેટલી વેધક અને તીવ્ર રહી અને સાથે તેનો પ્રસ્તાર પણ સમગ્ર વિશ્વ પર એ રીતે થયો કે સર્જકની કલમે તેની વાત અનાયાસ વણાતી ગઈ. આ પ્રકારની કૃતિઓ કે જેમાં આ મહામારીની વાત આવે છે. આને કારણે ઓનલાઈન વ્યવહાર વધતો ચાલ્યો, નવા શબ્દોની પરિભાષા વિકસતી ચાલી. લોકડાઉન, ઝુમસભા, વેબિનાર વગેરે નવા નવા શબ્દો ભાષામાં આવવા લાગ્યા અને જાણે કાયમી થઈ ગયા છે. કાલિન્દી પરીખની ‘ગૃહ ગંગાને તીરે’ વાર્તામાં સ્ત્રીકેન્દ્રી સમસ્યા રજૂ થઈ છે. જૂના સમયમાં કૂવાકાંઠે મળતી સહેલીઓ આધુનિક સમયમાં નોકરીના સ્થળે એકબીજા સાથે સુખ-દુઃખની વાતો કરતી થઈ અને આ વર્ક ફ્રોમ હોમ ને કારણે તેની સ્વતંત્રતા પર રોક લાગે છે. ઘરના સભ્યોનું વર્તન અને માનવમન પર તેની અસરોની અહીં વાત થઇ છે. વર્ષા અડાલજાકૃત ‘હું અને નું’ વાર્તામાં આશા, સુકુમાર અને કલ્યાણીદેવીના પાત્રો વડે લગ્નેતર સંબંધોની સમસ્યાઓ રજૂ થઈ છે. જેમાં ઝૂમ મીટીંગ, લોકડાઉન વગેરે પારિભાષિક શબ્દોના ઉલ્લેખો માત્ર ઉલ્લેખો ન રહેતા વાર્તામાં એક ઘટકતત્વ તરીકે આવતા રહે છે. લગ્નેતર સંબંધની સમસ્યા અને કોરોનાની સમસ્યા બંને એક સાથે જે વાર્તામાં રજૂ થઈ છે, તેવી કોશા રાવલની ડાયરી સ્વરૂપે મળતી વાર્તા ‘લોકડાઉન’ વિશેષ ધ્યાનપાત્ર બની રહે છે; જેમાં પરણિત સુજોય અને પ્રોફેસર હરિતા ફેસબુકના માધ્યમે મળેલા કહેવાતા વર્ચ્યુઅલ જગતનાં પ્રેમીઓ છે. સુજોય મુંબઈથી અમદાવાદ આવે છે, ત્યારે એકલી રહેતી હરિતાના ઘરે મળવાનું નક્કી કરે છે. અચાનક લોકડાઉન જાહેર થતાં બંનેને લાંબા ૨૧ દિવસ સાથે રહેવા મળે છે. શરૂઆતના દિવસો બંને માટે સાતમા આકાશમાં વિહરતા હોય એવા મોહક છે, પણ માત્ર આકર્ષણથી જોડાયેલા બે અજાણ્યા પાત્રોની રોમેન્ટિક પરિકલ્પનાની સામે વાસ્તવિક જીવન ટકરાય છે અને અહેસાસ કરાવે છે કે એકબીજાની એકલતા આવા સંબંધોથી ભરાઈ શકે એમ છે જ નહીં. સ્ત્રી અને પુરુષ પરસ્પરને પૂર્ણ કરી શકે એવી ભાવનાની પોકળતા અનુભવી બન્ને પોતપોતાના કમ્ફર્ટઝોનમાં પાછા જવા ઈચ્છે છે. ખાલીપણાની અનુભૂતિ દ્વારા માનવમનની સંકુલતા આ વાર્તાનું કેન્દ્રબિંદુ છે. ‘ગુડ-બાય’ વાર્તામાં મિત્સુ-પુરુના સંબંધનું બંધાવું, તૂટવું અને ભૂકંપ વખતે મિત્સુના પરિવારે પુરુ અને તેના પરિવારને કરેલી મદદ કોરોનાકાળમાં પુરુને મિત્સુની મદદ કરવા સુધી લઈ જાય છે. ફરી સંબંધો જોડાવાની શક્યતા નાયિકાના સ્વમાનભંગને કારણે વાર્તાના અંતને ગુડ-બાય સુધી લઇ જાય છે. દેખીતી સમસ્યા કોરોના નહી, પણ જાણે કે એક પાત્ર કે ટેકનિકરૂપે કોરોના ન આવ્યો હોય! રમણીક અગ્રાવતની ‘જીવા આતા’, કેશુભાઈ દેસાઈની ‘ટિફિન’ વાર્તાઓમાં વૃદ્ધોની વ્યથાના જુદા-જુદા રંગ જોવા મળે છે અને તેમાં કોરોનાની સમસ્યા ક્યાંકને ક્યાંક જોડાયેલી છે અને પત્રોના જીવન પર તેમની અસર જોઈ શકાય છે. તો ‘સોડમ શીરાની’ હકારાત્મકતા તરફ લઈ જતી વાર્તા તરીકે ઉપસી આવે છે. પૂજન જાનીની ‘સહી’, જીના માસ્ટરની ‘એકાત્મ’ જેવી વાર્તાઓમાં કોરોના જન્માવેલા કૌટુંબિક પ્રશ્નો તેમજ નારી સંવેદનને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓ છે; જેમાં ક્યાંક લોકડાઉનના નિયમોથી આહત પાત્રો છે. તો સામે પક્ષે કારોનાથી સંક્રમિત જીવનને આશીર્વાદ રૂપે માનતી નાયિકાની વેધકરૂપે આવે છે. નિરાશાવાદ અને નકારાત્મકતા તરફ દોરી જતા વાતાવરણમાં ‘ઘાબાજરિયું’ શોધી લેતી છાયા વિવેદીની કથાનાયિકા અનુજા હકારાત્મકતાનો રાહ ચીધે છે. તો કોરોનાને કારણે સુખ-દુઃખના સાથી એવા સંગાસંબંધી પણ જરૂરને સમયે કથા છે. અળગા થઈ જાય છે. તેની વ્યથા પણ આ વાર્તામાં બખૂબી વ્યક્ત થઈ છે. કોરોના થાય કે થવાનો સંભવ કેવું ભયનું વાતાવરણ માનવ મનમાં સર્જે છે તે હર્ષદ ત્રિવેદીની ‘નિષ્ક્રમણ’ વાર્તામાં ભાવક જોઈ શકે છે. અનુભવી શકે છે. સમગ્ર વાર્તા અંને તરફ ગતિ કરે ત્યાં સુધી જે ભારજલ્લું વાતાવરણ સર્જાયું છે. તે ભાવક સાથે સાથે અનુભવતો થઈ જાય છે અને અંતમાં કથાનાયકના પત્નીના વિધાનથી વાર્તા ભારમુક્ત થાય છે, પણ વાચકના ગળામાં ખરેરી બાઝેલી રહી જાય છે. સાથે એક વાત જોડવાનું મન થાય છે કે UGC-HRDC રાજકોટ ખાતે ઓનલાઇન રિફેશરકોર્સમાં જવલંત છાયા સાથે એક સેશનમાં કોરોનાવિષયક સાહિત્યની વાતચીત થઈ હતી તે દરમિયાન તેમની એક અપ્રકાશિત કૃતિની વાત થયેલ. આ તબકકે નોંધવી મને યોગ્ય લાગે છે વાર્તાનું શીર્ષક છે ‘આધી, જા. રૂપજીવિનીઓના જીવનમાં કોરોના મહામારીની અસર અને તેમના જીવન નિર્વાહની મુશ્કેલીઓની સાથે ‘આઘી જા’ વિધાન જીવનના દરેક તબક્કે કથાનાયિકા માટે કેવું વેધક પુરવાર થાય છે. આ વાર્તામાં ચર્ચાયેલો વિષય જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની ‘બિંબ – પ્રતિબિંબ’માં પણ આલેખાયો છે, આ ઉપરાંત પણ આ પુસ્તકમાં કોરોના મહામારીની સમાજશાસ્ત્રીય અને સાહિત્યિક તે વાચકે જોવું ઘટે. માનવસંબંધોમાં પિતા-પુત્ર સંબંધ કે ભાઈ-ભાઈના સંબંધો વચ્ચે કોરોના કઈ રીતે વિશેષ તાણ સર્જે છે, તે અનુક્રમે હિમાંશી શેલતની ‘અસ્થિ’ અને જિતેન્દ્ર પટેલની ‘ઇન્ફેક્શન’ વાર્તામાં જોઈ શકાય છે. લઘુકથાક્ષેત્રે પણ લોકડાઉન અને તેની અસરો સર્જકની કલમે રજૂ થઈ છે. શોષણની સમસ્યાથી પીડાતા જીવી અને દાનીના પાત્રો ચંપક શેઠની મહેરબાની પર જીવે છે અને કાર્યસ્થળે દાનીનું થતું શોષણ તથા અંતે દાનીના મુખે આ વાક્ય લાવી મૂકે છે. “સારું થયું લોકડાઉન ન ઉઘડ્યું..." સામાન્ય રીતે લોકડાઉન થવાથી, જે સમસ્યા સામાન્ય વર્ગ માટે મુશ્કેલી સર્જે છે તે દાની માટે શાંતિની લાગણી જન્માવે છે. અહીં કોરોનાની સમસ્યા માત્ર સમસ્યા ન રહેતા સમાજની બીજી સમસ્યાઓ પણ સમયાંતરે સાથે સાથે ચાલી રહી છે એનું પ્રમાણ અહીં મળે છે. આ ઉપરાંત લઘુનવલ સ્વરૂપની વાત કરીએ, તો કચ્છની વી. આર. ટી. આઈ સંસ્થાએ લઘુનવલ સ્પર્ધા કોરોના સંદર્ભે યોજેલ; જેમાં ૩૬ જેટલી લઘુનવલો સ્પર્ધા નિમિત્તે રચાઈ અને જેમાં પ્રજ્ઞા વશીની ‘અભિતપ્ત’ ધ્યાનપાત્ર બને છે અને આ જ કથાના પાત્રો મોટા થયા પછી કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે તે વિશે પણ લઘુનવલ મળે છે. પરદેશી ધરતી પર કોરોનાની તસ્વીર સ્વદેશ પરત ફરતી એક સ્ત્રીની કથા આ કૃતિમાં આલેખન પામી છે, તો ‘કાલપાશ’ નામે મોહન પરમારની લઘુનવલ મળે છે, જેમાં યમરાજા અને ઇશ્વર સાથેના સંવાદના પ્રકરણો તેમજ કોરોનાનો હાઉ તેની માનવજાતિ પર થયેલી ભયાવહ અસર આબેહૂબ ઝીલાય છે. કવિતા, ટૂંકીવાર્તા, લઘુકથા, લઘુનવલ બાદ વાત કરીએ નિબંધના સ્વરૂપની. કુમારના અંકોમાં રાજેન્દ્ર પટેલ નિબંધ ‘બારી પાસે’ એ શીર્ષકથી વાચકો સમક્ષ એક નવું જ જગત ઉગાડે છે અને કોરોના મહામારી આવવાને કારણે જે નિબંધનો પ્રારંભ બારીના ખૂલવાથી થાય છે, તે નિબંધ પછીના ધારાવાહી અંકોમાં આરંભથી જ બારી બંધ થયેલી બતાવવામાં આવે છે. સાહિત્ય સ્વરૂપના ઉદ્યદમાં પણ મહામારી કેવી તો પ્રભાવક અસર કરે છે! આ ઉપરાંત પ્રવીણ દરજી ‘નિ:શબ્દતાનું રૂપવૈવિધ્ય’ વ્યક્ત કરતો નિબંધ આપે છે. તો હાસ્યનિબંધ અને કટાક્ષિકા પણ વાચકને મરકાવી જાય છે. અફવા વિશે શીર્ષક હેઠળ રતિલાલ બોરીસાગરે ખૂબ હળવી શૈલીમાં કોરોનાની મહામારીના જે ભયસ્થાનો છે તેને રજૂ કર્યા છે અને અકબર અને બિરબલના માધ્યમથી આજના સમયમાં અફવા વિશે જણાવતાં કહે છે કે જાણે કે બિરબલને થયેલો મેલેરિયા અફવાને કારણે કોરોનામાં પલટાયો છે. આ આખીય ઘટના કઇ રીતે થાય છે એનો વિસ્તૃત આલેખન નિબંધમાં આપણે જોઈ શકીએ છીએ અને અંતમાં લેખક કહે છે કે અફવા એટલે મેલેરિયામાંથી કોરોના કરી દેવાની કળા! પત્રરૂપે પણ કોરોનાની સમસ્યા વ્યક્ત થઈ છે. ભગીરથ બ્રહ્મભટ્ટ ઈશ્વરને આ મહામારી દૂર કરવા વિનંતી કરતો પત્ર લખે છે. તો લઘુકથાના સ્વરૂપમાં નિખિલ પંડ્યા કૃષ્ણને સાંપ્રત સમસ્યા અંગેનો પત્ર લખે છે. ‘રખડુનો કાગળ’ના સર્જક મહેન્દ્રસિંહ પરમાર પોતાના બનારસ પ્રવાસ વિશે ઓડિયો-વિઝયુઅલ નિબંધ રચે છે. પત્ર સ્વરૂપે આકારિત થયેલું આ નવીન સાહિત્ય સ્વરૂપ પણ સાહિત્ય જગતની ક્ષિતિજો વિસ્તારી આપે છે. વાત નીકળી જ છે તો ખાસ એક અલગ મુદ્દો મારે આપ સૌની સામે વહેંચવાની ઈચ્છા છે. કારોના મહામારીને કારણે માનવીથી માનવીનોસ્પર્શ વર્જ્ય બન્યો, શેકહેન્ડથી નમસ્તેની યાત્રા શરૂ થઈ, સોશિયલ distance વગેરેને કારણે શિક્ષણ, સાહિત્ય અને અન્ય ક્ષેત્રોમાં ઓનલાઈન પ્રવૃત્તિ, એજ જાણે માનવીનું કાર્યક્ષેત્ર બની રહી. સર્જકોની વ્યક્તિગત youtube ચેનલ હોય કે સાહિત્યિક સંસ્થાઓના FB પેજ હોય કોરોનાની મહામારીના કાળમાં પહેલાં કરતાં પણ વિશેષ સક્રિય થયા કેટલીક સાહિત્યિક પ્રવૃત્તિઓ આ સમયે કરવી અશક્ય બની તો તેનો બીજો માર્ગ ખુલી ગયો હોય તેમ નવી તરાહે સાહિત્ય આકાશીમંચ પર વિહરવા લાગ્યું, તેના ગેરફાયદા કરતા ફાયદાની વાત કરવા ઈચ્છીશ. જે વ્યાખ્યાન ભુજ, મુંબઈ, ભાવનગર કે અમદાવાદના વિદ્યાર્થીઓ મોટેભાગે સીમિત હતા, તે ઓનલાઈનના માધ્યમથી વિસ્તર્યા અને બહોળા દર્શક શ્રોતાઓ સુધી પહોંચ્યા. સાહિત્ય અકાદમી UK, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી મહત્વની સંસ્થાઓના કાર્યકાળમાં જુમસભા દ્વારા હથેળીએ હથેળીએ જુદા-જુદા કાર્યક્રમો આવવા લાગ્યા તો જેમનું શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે અને આપણે જેમને આ જ્ઞાનસત્રમાં યાદ કર્યા એવા સુરેશ જોશી અને મડિયા વિશેના થયેલા ઓનલાઇન કાર્યકમોમાં વિશાળ દ્રશ્ય શ્રોતા વર્ગ જોડાઈ શકે એ સાહિત્યનો આગવો વિસ્તાર દર્શાવે છે. ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રના સુરેશ જોશી સ્મરણપર્વ નિમિત્તે કુલ ૧૯ રોચક વક્તવ્યની શૃંખલા યોજાઈ. જેમાં ગુલામમોહમ્મદ શેખ, સુનિલ કોઠારી, સુમન શાહ, પ્રણવ સુરશ જોશી, પ્રબોધ પરીખ અને ગણેશ દેવીના મહત્વપૂર્ણ વક્તવ્યો નિરંતર youtube પર હાલ ઉપલબ્ધ થયા છે. દિલ્હી સાહિત્ય અકાદમીના વિવિધ કાર્યક્રમો ઓનલાઈન યોજાતા રહે છે જે નોંધનીય છે. આ સમયગાળામાં ફેસબુક પર આદરણીય શ્રી સુમન શાહએ ‘આ મુશ્કેલ સમયમાં’ એવી લેખમાળા શરૂ કરેલ છે, જેના અત્યાર સુધી 65 જેટલા મણકા થઈ ચૂક્યા છે અને જેમાં વૈશ્વિક સાહિત્યકૃતિઓ અને મહામારીની માનવજાત અને તેના સંવેદનજગત પર થતી અસરના સંદર્ભ ટાંકીને મનમાં જે ભાવો છે તેના વાત કરવામાં આવી છે. આને પણ સાંપ્રત સાહિત્ય જ કહીશું ને? ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે યોજેલા ONLINE વ્યાખ્યાનો, ધીરુભાઇ ઠાકરની જન્મ શતાબ્દીની ઉજવણી, ‘સૌહાર્દશીલ સારસ્વત’નું વિમોચન તેમજ ‘પરબ’ અને ‘વિશ્વવિહાર’ના અંકોની ઓનલાઈન ઉપલબ્ધિ મહત્વની બની રહી. નિરીક્ષક તેમજ ઓપિનિયનમાં આવતી સામગ્રી સવિશેષ સાંપ્રત સાહિત્ય પ્રગટ કરે છે અને નિરંતર કરતું રહે છે. નવનીત સમર્પણ, એતદ, પ્રબુદ્ધજીવન, સાહિત્યસેતુ, ગુજરાત દીપોત્સવીના કોરોના વિશેષાંકો ધ્યાનપાત્ર રહ્યા, તો વળી સર્જક એવા લતા હિરાણી દ્વારા આ કોરોનાના કાળમાં કાવ્યવિશ્વ.કોમની શરૂઆત થઇ. જેમાં સંવાદ, સેતુ, સર્જન, અનુવાદ, આસ્વાદ, સર્જક, સ્વરૂપ, સંચય - એમ કુલ આઠ વિભાગોમાં વહેંચાયેલી આ સાઇટ સમસ્યાકાળમાં આશીર્વાદરૂપ બની રહી છે. હાલમાં જ તારીખ 17 થી કાવ્યવિશ્વ ડોટ કોમ પર જાણીતા લેખિકા વર્ષા અડાલજાની આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’ હપ્તાવાર પ્રગટ થવાની શરૂઆત થઇ છે. આ પણ ઉત્તમ પ્રકાશિત સાહિત્ય ગણાય ને? કવિતાકક્ષના online વ્યાખ્યાન હોય કે માતૃભાષા અભિયાનના ઇન્સ્તા લાઈવ વ્યાખ્યાનો - દરેકમાં વાચકે ભાવકે પોતાના રસ-રુચિ મુજબ વિવિધ વિષય-નિષ્ણાંતોને સાંભળવાની તક મળી છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને વિવિધ સંસ્થાઓ કોલેજ સાથે મળીને સમયાંતરે વેબિનાર યોજેલ અને તેમાંથી પણ સાહિત્યિક વ્યાખ્યાનો મળે છે. તો રાપર કોલેજની પ્રશિષ્ટકૃતિ પરિચય શ્રેણીના વ્યાખ્યાનો, સયાજીરાવ પુસ્તકાલયના ઓનલાઇન વ્યાખ્યાનો તેમજ તાજેતરમાં ગુજરાતી ભાષા-સાહિત્યભવન ભાવનગર અને એસ. એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠ મુંબઈના ‘ઊર્મિ દેસાઈ સાથે ભાષાપર્વ’ નામક છ દિવસીય સેમિનાર એ મહત્વની સાહિત્યિક પ્રવૃત્તિ ગણાવી શકાય. જોકે વિવિધ સંસ્થાઓ અને કોલેજ દ્વારા વ્યાખ્યાન શ્રેણીઓનો સિલસિલો હાલમાં ચાલી રહ્યો છે, ત્યારે સાહિત્યિક ગુણવત્તા પણ સાંભળનારે જાણવી નાણવી રહે. આ તો વાત થઈ કોરોના મહામારીની સમસ્યા અને તેમાંથી નીપજેલા સાહિત્યની આ સમસ્યાએ અન્ય સમસ્યાઓને ઢાંકી દીધી. જો કે અન્ય સમસ્યાઓ પણ હારીને બેસી ન ગઈ અને ‘હું હાજર છું’ એમ કહી ડોકું બહાર કાઢી બેઠી. જેમાં ત્રાસવાદ, બળાત્કાર, કિસાન આંદોલન જેવી સમસ્યાઓમાંથી જન્મેલ અન્ય સમસ્યાઓ પણ સાહિત્યમાં પડઘાતી રહી છે. મોટેભાગે આ સમસ્યાઓ વૈશ્વિક - રાષ્ટ્રીય સમસ્યાઓ બની રહી. ત્રાસવાદને લગતી સમસ્યા વિશે રમણીક અગ્રવાતની રચના ‘ગ્રાઉન્ડ રિપોર્ટ’ ભાવકને ખળભળાવી મૂકે છે,

પશ્તોમાં નિસાસો નંખાય
એ મને ગુજરાતીમાં સંભળાય છે.
દારીમાં મચેલી અરેરાટી
મારી કાઠિયાવાડીમાં ઝિલાય છે.
પીડાની પળોમાં મા અને માસીઓ એકમેકને ગળે કેવી વળગતી
એ દેખાય છે.
કાબુલની શેરીઓને અણિયાળા ખીલાઓથી કચડતાં બૂટ
આ છાતીમાં ચંપાય છે.”

કવિ કઈ રીતે સમસંવેદનશીલ હોઈ શકે તેનું આ ભાવપૂર્ણ ઉદાહરણ છે, તો કવિયત્રી પારુલ પારુલ ખખ્ખરે સાંપ્રત સમસ્યાઓ અને તેની વેદનાને પોતાના કાવ્યોમાં ભારોભાર ઝીલી છે. બ્રિટિશ સૈનિકને અફઘાનિસ્તાનની સ્ત્રી પોતાની પુત્રીની રક્ષા કાજે દીકરી સોંપે છે, ત્યારે લખાયેલું ‘અફઘાની સ્ત્રીનું ગીત’ ઘેરો કરુણ જન્માવે છે.

“સોનપરી, મુને ભૂલી જાજે દઉં છું છેલ્લી આણ રે....
સોનપરી, તું ડાહી થઈને રહેજે મારા પ્રાણ રે...
આંખે ઉમટ્યા પૂર, કરે છે હૈયું હાહાકાર... ખમ્મા... બેટલડી
ચારેફરતો કાળ ભમે ને વિપદાનો નહીં પાર... ખમ્મા... બેટલડી.”

ઈશ્વરને કરેલી વિનવણીઓ ને અંતિમ વિદાય... ખેદ જન્માવે છે અને સવાલ પણ જન્માવે છે કે હવે પછી મળાશે કે કેમ? વ્યથાની પરાકાષ્ઠા આ ગીતના અંતે જોવા મળે છે. તો વળી હાથરસમાં થયેલ બળાત્કારની જઘન્ય ઘટના પછી હત્યા અને લાશને બાળી નાખવા સુધીની વાત આ કાવ્ય માં રજૂ થઈ છે, એમ થાય કે આનાથી વધુ છે કશું હજુ? કવિયત્રી આ દર્દને વ્યકત કરતા કહે છે.

“જોર દેખાડી લાશ બાળી દો,
કાયદા ફાડી લાશ બાળી દો.

ચીર ખેંચીને, દેહ ચૂંથીને
વસ્ત્ર ઓઢાડી લાશ બાળી દો.

જીભથી ને કરોડથી રમજો,
જાવ ખેલાડી, લાશ બાળી દો.

ગામ ભડકે બળે તે પહેલાં ઝટ
સત્ય સંતાડી લાશ બાળી દો.

જાગશે તો જગાડશે તેથી,
સૌને ઊંઘાડી લાશ બાળી દો.

જીવતાં જાગતાં શરીરોની
વાડ ઠેકાડી લાશ બાળી દો.

આજથી નામ સૌ મનિષાનું
નિર્ભયા પાડી લાશ બાળી દો.”

સાંપ્રત સમસ્યામાં કિસાન ખેડૂતોની આત્મહત્યાના બનાવો પર ‘બે જણે આખરે દેવા પીધી’ કાવ્ય પણ ભાવકના હૃદયને સ્પર્શી જાય છે. કવિયત્રીની અન્ય કેટલીક રચનાઓમાં સાંપ્રત સમસ્યાઓ સહજ વેધકતાથી રજૂ થઈ છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં પડેલ રાજકારણ - એ પણ એક સમસ્યા છે ને? ‘તારે બોલવાનું નહીં’ તેનું જાગતું દૃષ્ટાંત છે; તો જ્યારે ઈશ્વરીય પ્રકોપ વરસે છે ત્યારે કોરોનાને કારણે લખાયેલી આ કવિતા માત્ર તે સંદર્ભ પૂરતી જ મર્યાદિત ન રહેતા વિસ્તાર પામે છે અને અનિલ રામનાથ કહે છે.

“નિત્શે ભલે કહેતા હોય
ઈશ્વર મરી ગયો છે
આપણા વરદહસ્તેથી ઈશ્વરની
કરપીણ હત્યા થઇ છે.
ઈશ્વર હજી મર્યો નથી હાડસાચો જીવે છે
ધાઉ અલ્જાઈમરનો દર્દી બની ચુકયો છે.......
......

ફરી હરીશ મીનાશ્રુની સન્નિપાતના ઢાળની કવિતા, ફરી સમસ્યાએ સ્તબ્ધ કરી દીધેલું જીવન અને તેની ક્યારેય ન પૂરી શકાય તેવા ઘાવોની ખોતરાતી વેદના સાહિત્ય કૃતિઓમાં સ્થાન પામી છે. આ વિશે કોઈ ગદ્યકૃતિઓ ધ્યાને આવી નથી. સાંપ્રત સમસ્યાઓમાં અહીં સર્જનાત્મક ગદ્ય-પદ્ય સાહિત્યમાં આ સમસ્યાઓની સાહિત્યિક મુલવણી કરવાનો એક નમ્ર પ્રયાસ કરેલ છે, તો પત્રકારત્વક્ષેત્રે અને વિવેચનક્ષેત્રે મનનનોંધરૂપે કે પછી લેખો અને પુસ્તકો વડે આ વ્યથાઓને અવાજ મળ્યો છે. અહીં સર્જનાત્મક સાહિત્ય પૂરતી વાત સીમિત રાખવાની હોતા અટકું છું. આપે મને સાંભળી અને પરિષદે આપની સામે આવવાની તક આપી એ માટે પ્રમુખશ્રી અને મંત્રીશ્રી તેમજ આપ સૌનો આભાર માનું છું

.