રણજિતરામ ગદ્યસંચય – ૧/કૃતિ-પરિચય

Revision as of 07:33, 15 June 2026 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્ય પરિષદનો ઈ. ૧૯૮૦માં અમૃત મહોત્સવ ઊજવાયો એ સાથે એ પરિષદના સ્થાપક રણજિતરામ મહેતાની જન્મશતાબ્દીનો પણ ઉત્સવ મનાવવામાં આવ્યો. એ નિમિત્તે એમના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃતિ-પરિચય

ગુજરાતી સાહિત્ય પરિષદનો ઈ. ૧૯૮૦માં અમૃત મહોત્સવ ઊજવાયો એ સાથે એ પરિષદના સ્થાપક રણજિતરામ મહેતાની જન્મશતાબ્દીનો પણ ઉત્સવ મનાવવામાં આવ્યો. એ નિમિત્તે એમનાં વર્ષોથી અપ્રાપ્ય એવાં બે પુસ્તકો ‘રણજિતકૃતિસંગ્રહ’ (૧૯૨૧) અને ‘રણજિતરામના નિબંધો’ (૧૯૨૩) પરિષદે ‘રણજિતરામ ગદ્યસંચય’ નામથી બે ખંડમાં પ્રકાશિત કર્યા છે. ‘રણજિતરામ ગદ્યસંચય’ના બે ખંડ એમના બહુમુખી વ્યક્તિત્વનો સહેજે પરિચય કરાવી આપે છે. પહેલા ખંડમાં તેમની સર્જકકૃતિઓ અને તેમનાં વિવેચનોનો સમાવેશ થયો છે. સર્જકકૃતિઓમાં ‘સાહેબરામ’ એમની અપૂર્ણ રહી ગયેલી નવલકથા છે. એમની ટૂંકીવાર્તાઓમાં ‘માસ્તર નંદનપ્રસાદ’, ‘હીરાં’, ‘ખવાસણ’ વગેરે એમની સર્જકશક્તિના ચમકારા રજૂ કરતી આકર્ષક વાર્તાઓ છે, પરંતુ રણજિતરામનું મુખ્ય કાર્ય સમાજસુધારણાનું હતું, એટલે એમની કૃતિઓમાં પણ એનો ભાર પ્રવેશી જાય છે. એમણે ‘ગુજરાતી સાહિત્ય સભાનો હેવાલ’, ‘પ્રથમ સાહિત્ય પરિષદનો ઇતિહાસ’ વગેરે લેખોમાં એ સંસ્થાઓના આરંભકાલની માહિતી પૂરી પાડી છે તે સાહિત્યના ઇતિહાસના લેખકોને તેમજ સંશોધકોને ઉપયોગી બની શકી છે. ‘ઈસુનું વર્ષ ૧૯૦૮’માં તેમણે વર્ષભરના વાઙ્મયની સમાલોચના કરી છે. એમની દૃષ્ટિ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સતત ફરતી રહેતી અને જાગ્રત હતી તેનો પરિચય તેમના લેખોમાં થાય છે. એમનું વાંચન વિશાળ હતું. નવા નવા વિચારો તે ગુજરાતમાં પ્રગટાવવા આતુર રહેતા. ગુજરાતના ઘડતર માટે તેમણે જીવનભર કાર્ય કર્યું. ગ્રંથના બીજા ખંડમાં તેમના સાહિત્ય વિશેના લેખો તેમજ સંસ્કૃતિને લગતા લેખો છે. એમાં કૃતિઓનાં અવલોકન, સામાજિક વિષયને સ્પર્શતા-કેળવણીને લગતા, રંગભૂમિ વગેરે વિષયો પરના લેખો છે. કેળવણીની દિશામાં તેમજ નવા યુગના પરોઢે સ્ત્રીજાગૃતિ માટે તેમણે મહત્ત્વનું કાર્ય બજાવ્યું છે. તેમના સંસ્કૃતિ વિશેના નિબંધોમાં એક નરવા સમાજની રચના માટેની તેમની અભીપ્સા પ્રગટ થાય છે. ગુજરાતનો ઇતિહાસ લખવાના તેમના મનોરથ હતા, પણ એ પૂરા થયા નહિ. ઇતિહાસમાં તેમનો રસ જીવંત હતો અને એમની પાસે ગુજરાતના ઇતિહાસલેખન માટે સામગ્રી પણ સારી એવી હતી. પણ એ કાર્ય થઈ શક્યું નહિ. રણજિતરામે ગુજરાતની સંસ્કારિતા પ્રગટાવવામાં મહત્ત્વની કામગીરી બજાવી. મુનશીએ કહ્યું છે તેમ ‘રણજિતરામ માણસ નહોતા-એક ભાવના હતા; ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(Self Consciousness)ના એ અવતાર હતા.’ ગુજરાતી સાહિત્ય પરિષદે એમનાં પુસ્તકોનું પુનર્મુદ્રણ કરી એમની શક્તિ અને એમના વિચારોનો ગુજરાતની નવી પેઢીઓને પરિચય કરાવવાનું શ્રેય સાધ્યું છે.

– મધુસૂદન પારેખ
(‘૧૯૮૨ની સાલનું ગ્રંથસ્થ વાઙ્મય’માંથી સાભાર)