નારીસંપદાઃ વિવેચન/સંપાદક-પરિચય

From Ekatra Foundation
Revision as of 13:37, 15 June 2026 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search


સંપાદક-પરિચય

પારુલ કંદર્પ દેસાઈ


જાણીતા વાર્તાકાર, વિવેચક અને સંપાદક. જન્મ ૧૧ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ મહુવા(ભાવનગર)માં. ૧૯૯૧માં ‘મીરાં, અખો, લાભશંકર ઠાકર અને મધુ રાયની કૃતિઓમાં ભંગુરતાનું નિરૂપણ’ વિષય પર સિતાંશુ યશશ્ચન્દ્રના માર્ગદર્શન હેઠળ એમ. એસ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. સૌપ્રથમ તોલાણી આટ્‌ર્સ કૉલેજ, આદિપુરમાં(કચ્છ) ખાતે ગુજરાતી ભાષાના અધ્યાપક. ત્યારબાદ બાર વર્ષ સુધી મહિલા આટ્‌ર્સ કૉલેજ, ધનસુરામાં અધ્યાપક. ૧૯૯૭થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરમાં રીડર અને ૨૦૦૯થી કાર્યકારી નિયામક તરીકે સેવાઓ આપી, ૨૦૧૯માં નિવૃત્ત થયાં.

પીએચ.ડી. નિમિત્તે લખાયેલો સંશોધનગ્રંથ ‘ભંગુરતાનાં ચાર સર્જક પરિમાણ’ (૧૯૯૮)માં એમણે ભંગુરતાની અનુભૂતિને ચાર ગુજરાતી સર્જકો – મીરાં, અખો, લાભશંકર ઠાકર, મધુ રાય –એ કેવી રીતે પોતાની રચનાઓમાં ઝીલી છે એનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે. ‘ગ્રંથચર્યા’ (૨૦૦૭)માં સંગ્રહિત તેમની સમતોલ સમીક્ષાઓ મર્મગામી છે.

નારીજીવનનાં વિવિધ સ્તરોને પ્રત્યક્ષ કરતી એમની વાર્તાઓ ‘એક ડગલું આગળ’ (૨૦૧૪) અને ‘ફરીથી મળવું’ (૨૦૨૫)માં ગ્રંથસ્થ થઈ છે. ‘પગલે પગલે પંથ’ (૨૦૨૩) એમની નવલકથા છે. તેઓ કવચિત્ કાવ્યસર્જન પણ કરે છે. એમની કાવ્યરચનાઓ ‘નવનીત સમર્પણ’, ‘એતદ્’, ‘કવિલોક’, ‘છાલક’ ઈત્યાદી સામયિકોમાં પ્રકાશિત થઈ છે.

‘ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો’ (૨૦૦૩; રમેશ ર. દવે અને સંજય શ્રીપાદ ભાવે સાથે), ‘પરબસૂચિ’ (૨૦૦૭; રમેશ ર. દવે અને ઈતુભાઈ કુરકુટિયા સાથે), ‘સન્નિધાન’ પુ. ૧થી ૯, તંત્રી: સુમન શાહ (અન્ય સાથે), ‘ગુજરાતી નવલિકાચયન’ (૨૦૦૯), ‘પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાં’ (૨૦૧૨; દ્રષ્ટિ પટેલ સાથે), ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ ૭ (૨૦૧૫; રમેશ ર. દવે સાથે), ‘ધરાથી આભ સુધી’ (૨૦૧૭), ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ ૮, ભાગ ૧ અને ૨ (૨૦૧૮), ‘રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓ’ (૨૦૧૯; કંદર્પ ર. દેસાઈ સાથે), ‘ધીરુબહેન પટેલ અધ્યયન ગ્રંથ’ (૨૦૨૬; કંદર્પ ર. દેસાઈ સાથે) વગેરે એમની સાહિત્યસુઝના પરિચાયક સંપાદનગ્રંથો છે.

તેમના વાર્તાસંગ્રહ ‘એક ડગલું આગળ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે.

– અનંત રાઠોડ