સરળ અલંકાર-વિવેચન/શ્લેષ

From Ekatra Foundation
Revision as of 02:17, 24 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(ख) વિરોધમૂલક અલંકારો :
(૧) શ્ર્લેષ :

શ્લેષ એટલે ભેટવું તે. એક શબ્દના એકથી વધુ અર્થ થતા હોય ને તેથી શબ્દ બંને અર્થને આલિંગતો હોય ત્યારે શ્લેષ અલંકાર બને. આમ શ્લેષ અલંકારમાં એક શબ્દના બે અર્થ થવાથી ને બંને અર્થ-પ્રસ્તુત તથા અપ્રસ્તુત-ઇષ્ટ હોવાથી એક જાતની ચારુતાભરી ચમત્કૃતિ સધાય છે. જો કે આગળ કહ્યું છે તેમ આ અલંકારમાં શબ્દ પર જો વધુ ધ્યાન અપાય, અર્થની કે ભાવની ચમત્કૃતિ ઓછી સધાય, તો આ અલંકાર બહુ સફળ બની ના શકે. છતાં કેટલીકવાર શ્લેષના સમજભર્યા પ્રયોગથી એક જાતની વેધક ચમત્કૃતિ આવે છે. જેમકે—

રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય ?

(જીવનનો આનંદ)

કાકાસાહેબ રવીન્દ્રનાથ ટાગોરને મળવા ગયા ત્યારે તપતા ભર બપોરે પણ આ મહાન કવિને એમણે બપોરનું કાવ્ય માણતા દીઠા. આ અંગે કાકાસાહેબે ટાગોરને પૂછ્યું પણ ખરું કે આ ઉમ્મરે તમે આવા સળગતા બપોરમાં હેરાન નથી થતા? પછી કાકાસાહેબ જ બોલ્યા—’રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય?’ અહીં ‘રવિ’ પર સુંદર શ્લેષ છે. રવિ એટલે સૂર્ય ને રવિ એટલે રવીન્દ્રનાથ ટાગોર ! (રવીન્દ્રનાથના નામમાં પણ રવિ+ઇન્દ્ર+નાથ-એમ ‘રવિ’ શબ્દ રહેલો છે, માટે.) આવો જ બીજો દાખલ જુઓ: “મને થયું કે એ પેલા ખડક ઉપર પહોંચું તો રાજા (જોગના ધોધનું એક સ્વરૂપ)ના પાણીમાં પગ બોળી શકું. પણ નદીનાં પાણી સહેજ વધતાં હતાં એમાં એ ખડક નાનો સરખો બેટ થયો હતો, એટલે રાજાજીએ (ચક્રવર્તી રાજગોપાલાચારી) મને વાર્યો. મને પણ થયું કે એમનું નહિ માનું તો બેવડી ઉદ્ધતાઈ થાય. રાજાજીની આજ્ઞા કેમ ઉથાપાય? અને રાજાને માથે પગ કેમ મુકાય?” (લોકમાતા) અહીં ‘રાજાજી’ ને ‘રાજા’ શબ્દો શ્લિષ્ટ છે. રાજાજીના બે અર્થ છે— મહાન પ્રતાપી રાજા ને રાજગોપાલાચારી; તેમ જ રાજાના બે અર્થ છે— રાજવી ને રાજા ધોધ. આમ અહીં સુંદર શ્લેષ સધાયો છે ને મધુર વિનોદ નિષ્પન્ન થઈ શક્યો છે. નીચેની સુંદર અન્યોક્તિ-અપ્રસ્તુતપ્રશંસા પણ શ્ર્લેષયુક્ત છે :

શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી !
થઈ રખે જતી અંધ વિયોગથી:
દિનરૂપે સુભગા બની ર્હે, ગ્રહી,
કર પ્રભાકરના મન-માનીતા.

(સરસ્વતીચંદ્ર)

પ્રભાકરના કર એટલે કિરણ અને હાથ એમ બંને અર્થો અહીં શ્લેષ દ્વારા રમણીય રીતે થઈ શકે છે. ‘પ્રાચીના’માં આવતું ‘આશંકા’ કથાકાવ્ય આવા શ્લેષનું સુભગ ઉદાહરણ છે. બ્રહ્મદત્ત નામે રાજા એક ઋષિની ‘આશંકા’ નામની પુત્રીના પ્રેમમાં પડે છે. પણ ઋષિની શરત છે; પુત્રીનું નામ જો રાજા કહી શકે તો જ તેને પરણી શકે. રાજા ત્રણ વર્ષ સુધી આશ્રમમાં રહે છે પણ નામ શોધી શકતો નથી. છેવટે રાજા હારીને નિરાશાથી કહે છે : શ્રદ્ધા સર્વે રહી મારી, આશંકા સાથે જૈશ હું. મારી શ્રદ્ધા તે રહી ગઈ. હવે શંકા સાથે જ હું જઈશ-પણ ઋષિ તો આનો જુદો જ અર્થ કરે છે—મારી શ્રદ્ધા બરોબર સચવાઈ રહીઃ હું આશંકા (ઋષિની પુત્રી) સાથે જ જઈશ. કેવી ચમત્કૃતિ! કવિએ અહીં માત્ર શબ્દશ્લેષ નથી કર્યો; આખા કાવ્યમાં આ શ્લેષની ઘટના દ્વારા કવિ નવું રહસ્ય મૂકે છે, એ પણ એક ઘણી મહત્ત્વની સિદ્ધિ છે. આગળ આપણે જોયું કે છેકાપહ્નુતિ અલંકારમાં પણ શ્લેષ રહેલો હોય છે. તે પરથી જણાશે કે શ્લેષ બે પ્રકારના હોય છે: (૧) શબ્દ-શ્લેષ ને (૨) અર્થ—શ્લેષ. જે શ્લેષ શબ્દ પર આધાર રાખતો હોય, શબ્દ બદલવાથી, તેનો પર્યાય મૂકવાથી જ્યાં શ્લેષનો નાશ થતો હોય તે શબ્દ-શ્લેષ કહેવાય. આપણે અહીં જોયાં તે બધાં દૃષ્ટાંતો શબ્દ-શ્લેષનાં છે. અહીં આવેલા શ્લિષ્ટ શબ્દોની જગ્યાએ બીજા શબ્દો મૂકી શકાય તેમ નથી. પણ જ્યાં શબ્દોની અદલ બદલ થવા છતાં બે અર્થો ટકી શકતા હોય તે અર્થ શ્લેષ કહેવાય. છેકાપહ્નુતિમાં અર્થ શ્લેષ છે તે આ પરથી જણાશે. સંસ્કૃત ભાષાના હાડમાં જાણે કે શ્લેષ રહેલો છે. પણ ગુજરાતી ભાષામાં તેનો ઉપયોગ એટલો બધો સહજ કે સુભગ હંમેશાં નથી બનતો; એટલે એનો પ્રયોગ ખૂબ સમજદારીથી કરવા જેવો છે. શ્લેષમાં વિરોધનું તત્ત્વ રહેલું છે તે અહીં સ્પષ્ટ કરવું જોઈએ. શ્લેષમાં જે એકથી વધુ અર્થ થતા હોય છે તે એકમેકથી જુદા હોય છે. શ્લિષ્ટ શબ્દનો એક અર્થ કરીએ ત્યારે તેનો અમુક રીતે વાક્યમાં યોગ થાય; તેનો બીજો અર્થ કરીએ ત્યારે પહેલો અર્થ મૂકી દેવો પડે ને વાક્યમાં તેનો બીજી જ રીતે યોગ થાય. જેમકે “રાજાને માથે પગ કેમ મુકાય?” અહીં ‘રાજા’નો અર્થ ‘રાજા ધોધ’ કરવાથી કંઈ પગ મૂકવામાં વાંધો ન આવે: પણ ‘રાજા’નો અર્થ ‘રાજવી’ કરીએ તો-રાજાને માથે પગ કેમ મુકાય ? એ ઉક્તિ સાર્થ બની જાય. એવું જ ‘આશંકા’ શબ્દમાં છે. એટલે આ પરથી શ્લેષમાં રહેલા બે પરસ્પર વિરેાધી અર્થોમાં વિરોધનું બીજ રહેલું છે તે જણાશે.