વાંકદેખાં વિવેચનો/પરિશિષ્ટ

Revision as of 05:47, 23 July 2026 by Artimundra (talk | contribs)


પરિશિષ્ટ

૧.‘કલાપીની ખેલપટુતા? વિશે’

તંત્રીશ્રી, ડૉ. રમેશ શુક્લે ‘કલાપીની ખેલપટુતા?’ વિશેના મારા પહેલા લેખાંકને ઉત્તર વાળ્યો૧ તે આનંદની વાત છે. એ વાંચ્યા પછી મારે કંઈ ઉમેરવાનું કે ફેરફાર કરવાનું ઊભું થતું નથી ને વાચકો બન્નેએ પક્ષને વાંચીને પોતાનું તારતમ્ય કાઢી શકે તેમ છે, છતાં થોડા મુદ્દાઓ ફરી વધુ સ્પષ્ટતાથી કહેવા જેવા લાગે છે : ૧. શોધપ્રબન્ધના કોઈ એક મુદ્દાની સ્વતંત્ર તપાસ શા માટે ન થઈ શકે એ મને સમજાતું નથી. ‘ગ્રામ્ય માતા’ના આધારસ્રોતની શોધ-પ્રબન્ધમાંની સમગ્ર ચર્ચાને હું લક્ષમાં લેતો હોઉં તો કોઈ જોખમ ઊભું થતું નથી. ‘ગ્રામ્ય માતા’ પરત્વે ડૉ. શુક્લે કહેલી કોઈ વાત મેં લક્ષમાં લીધી ન હોય એવું બન્યું નથી. ૨. ‘ગ્રામ્ય માતા’ પરત્વે ડૉ. શુક્લે નિર્દિષ્ટ કરેલાં સાધનો મેં તપાસ્યાં છે તે ઉપરાંત ‘પ્રબંધચિંતામણિનું ગુજરાતી ભાષાંતર’ (દુર્ગાશંકર શાસ્ત્રી), ‘કલાપીનો કેકારવ’ (સંપા. ઈન્દ્રવદન દવે), ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (સંપા. નવલરામ ત્રિવેદી), ‘કલાપી’ (નવલરામ ત્રિવેદી) એ ગ્રંથોનો પણ મેં લાભ લીધો છે. ડૉ.. શુક્લે તેમના ઉત્તરમાં પોતાની પાસેની અપ્રકાશિત સામગ્રીમાંથી આ મુદ્દા પરત્વે કશું ઉમેરણ કર્યું નથી. ૩. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ શેરડીમાં કાપ પાડતાં જ પ્યાલો રસથી ભરાઈ જાય એ ચમત્કૃતિભર્યા પ્રસંગનિરૂપણને, એનું કોઈ પ્રયોજન ન હોવાથી, સ્વારસ્ય વિનાનું કહેલ છે, આખા કાવ્યને સ્વારસ્ય વિનાનું કહ્યું નથી. કલાપીનું કાવ્ય ઉક્ત ફારસી કથાઓનું ‘રૂપાંતર’ હોવાનું પણ ડૉ. પંડ્યાએ કહ્યું નથી, એમણે કથાપ્રસંગના મળતાપણાની જ ચર્ચા કરી છે. _________________ ૧. શબ્દસૃષ્ટિ, સપ્ટે. ૧૯૮૫- ‘ખેલપટુતા કોની? — ૧’


આમ, જે નથી લખાણું એ ડૉ. શુક્લથી વંચાણું હોય એમ લાગે છે. ૪. ‘ગુડી બ્લેક’માંથી કલાપીને આ કાવ્યના કથાવસ્તુનું સૂચન મળ્યું હોય એવી સંભાવના સૌ પ્રથમ નવલરામ ત્રિવેદીએ નોંધી છે. બાકીના બધા એમને અનુસર્યા છે. નવલરામ ત્રિવેદીએ વાજસુર વાળા પરના પત્રને આધારે આમ કહ્યું એમ શા માટે માની લેવાય? ને એમણે વાજસુર વાળા પરના પત્રનો આધાર આપ્યો હોય તોપણ ઉક્ત પત્રમાં આપણને એ વાત મળતી ન હોય તો સ્વીકારી કેમ લેવાય? શોધ-પ્રબન્ધમાં ફાવે ત્યાં આગળનાઓના મતને સ્વીકારીને ચાલીએ અને ફાવે ત્યાં બાજુ પર મૂકી દઈએ, એવું થાય? ૫ મેરુતુંગે વિ.સં.૧૩૬૧માં વઢવાણમાં રચેલા ‘પ્રબંધ-ચિંતામણિ’નો અંગ્રેજી અનુવાદ ફાર્બસે ઈ.સ. ૧૮૪૯માં પોતાની ડાયરીમાં ઉતારી રાખ્યો હોય તેથી એ પ્રબંધમાંની લોકકથા કલાપીના સમયમાં પ્રચલિત હોવાનું કેવી રીતે કહી શકાય, ભલા? ૬. ડૉ. શુક્લ માત્ર આશંકા વ્યક્ત કરીને અટકી ગયા નથી. ખેલપટુતાનું ભારે તહોમત એમણે મૂક્યું છે. ૭. કલાપીની વિભૂતિ-પૂજા કરવાનું કોણ કહે છે? પણ ઉદાત્તતા’ અને ‘ખેલપટુતા’ એકબીજાનો છેદ ઉડાડે છે એવું મારી સમજણ કહે છે. પછી તો જેવું ડૉ. શુક્લનું ખેલપટુતાનું શાસ્ત્ર. ૮. શોધકાર્યની પદ્ધતિ ને શોધકાર્યમાં થતી સ્થાપના-ઉત્થાપના વિશેની ડૉ. શુક્લની વિચારણા સાથે ક્યાં ઝઘડો છે? ઝઘડો હકીકતોની ને એના અર્થઘટનનો છે. એમાં રમેશભાઈએ એમને મળેલાં સર્ટિફિકેટો ટાંકવાની પણ શી જરૂર? એનાથી ઝઘડાનો કંઈ ઉકેલ આવે? ‘ગ્રામ્ય માતા’ની ચર્ચા સાથે સંબંધ ન ધરાવતી કેટલીક હકીકતો ડૉ. શુક્લે નોંધી છે જે સ્વતંત્ર તપાસનો વિષય બની શકે તેમ છે.

‘કલાપીની ખેલપટુતા? - ૨’ એ મારા લેખના ડૉ. રમેશ શુક્લે વાળેલા ઉત્તરમાં૨ એવી કોઈ નવી માહિતી કે મુદ્દાઓ નથી જેથી મારે _______________ ૨. શબ્દસૃષ્ટિ, ઑક્ટો . ૧૯૮૫ ખેલપટુતા કોની? – ૨’

મારા અભિપ્રાયનો ફેરવિચાર કરવાનો પ્રાપ્ત થાય. એમાં ઘણું ચર્વિત-ચર્વણ છે. ‘શબ્દસૃષ્ટિ’ના વાચકોને વિનંતી કે તેઓ ડૉ. શુક્લના ઉત્તર પછી મારો લેખ ફરીને વાંચી જાય અને પોતાનો ઘટિત નિર્ણય બાંધે. આમ છતાં ડૉ. શુક્લના ઉત્તરમાં એવી કેટલીક બાબતો છે, જેના વિશે થોડી વાત સ્પષ્ટતા રૂપે કરવાની આવશ્યક થઈ જાય છે : ૧. “જવા દો, નરસિંહની કેટલી કૃતિઓ વિશે શંકા કરીશું?” એવા મારા એક વાક્યથી મારામાં સત્યશોધને બાધક વલણો છે કે પત્ર રૂપે લખાયેલા લેખમાં લખિતંગ રહી ગયું માટે હું કશુંક ઉથામવા/ઉથાપવાની ઉતાવળમાં છું કે “હમીરજી બીજા કલાપી થઈને ઊભા રહે છે” એવા રામનારાયણના એમણે ટાંકેલા મતનો હું ઉપયોગ ન કરું એટલે એ મતને દબાવી દઈ રહ્યો છું એમ ડૉ. શુક્લ માની લે એમાં મને કશી નવાઈ લાગતી નથી. માની લેવાની કળા એમને બરાબર હસ્તગત થઈ ગઈ છે. નરસિંહને નામે મળતું ‘મામેરું’ નરસિંહકૃત હોવાની શક્યતા નથી એમ સ્થાપિત કરતો મારો લેખ કે એમનાં પ્રતિપાદનોને તપાસવા માટે મેં કરેલો સ્વાધ્યાય એ શા માટે લક્ષમાં લે? એ એ પણ ન જોઈ શકે કે રામનારાયણ પાઠકનો મત તે ‘હમીરજી’નું કર્તૃત્વ કલાપીનું છે એ અભિપ્રાયનું સમર્થન કરે, એ મતને દાબી દેવાથી મને શો લાભ? ર. ‘હમીરજી ગોહેલ’ વિશેની પોતાની ચર્ચાના અનુસંધાનમાં બીજું અને ચોથું પ્રકરણ વાંચવાની આવશ્યકતા બતાવનાર અને શોધપ્રબંધ વાંચવાની શિસ્ત શિખવાડનાર ડૉ. શુક્લનું એ ધ્યાન નથી રહ્યું કે બીજા પ્રકરણમાં જટિલ કે ‘હમીરજી ગોહેલ’નો નામનિર્દેશ નથી. ત્રીજામાં છે ખરો, પણ ત્રીજા-ચોથા પ્રકરણનાં જટિલવિષયક છએક પાનાંમાંથી ડૉ. શુક્લ જટિલના ખટપટી મહત્ત્વાકાંક્ષી સ્વભાવને પ્રગટ કરતી હકીકતો ફરીને નોંધે એથી ‘હમીરજી ગોહેલ’ના કર્તૃત્વ વિશે શો નવો પ્રકાશ પડે? ‘હમીરજી ગોહેલ’નો નામનિર્દેશ તો આ પ્રકરણોમાં પણ જણાતો નથી. ૩. અતિપ્રસ્તાર અને અપ્રસ્તુત વીગતોની ભરમારનો દોષ મને એમના આ ઉત્તરમાં પણ જણાય છે. એથી એમના કથયિતવ્યને હાનિ થાય છે એમ હું માનું છું પણ એમને એમ ન લાગતું હોય તો એમના માર્ગે એમને શુભેચ્છાઓ પાઠવવા સિવાય બીજું હું શું કરી શકું? ૪. બલવંતરાયે હરગોવિંદ પ્રેમશંકરનું એક કાવ્ય તફડાવી લીધું હોય એટલામાત્રથી એમનો વાસ્તવિક કર્તૃત્વ વિશેનો શો ખ્યાલ પ્રગટ થાય ને ‘હમીરજી ગોહેલ’ને કલાપીનું સર્જન ન માનવા છતાં આપણી કવિતાસમૃદ્ધિમાં કલાપીને નામે એનો એક ખંડ સમાવિષ્ટ કરવાની એમની ચેષ્ટાનો શો ખુલાસો થાય એ હું સમજી શકતો નથી એ મારે કબૂલવું જોઈએ. ૫ ડૉ. રમણલાલ શાહના “કલાપીને કાવ્યસર્જનમાં કવિ જટિલ, કવિ સંચિત્ અને બીજા કેટલાક મિત્રોએ ઘણી મદદ કરી હતી” એ શબ્દો (જેમાં કશું વિવાદાસ્પદ નથી)ને ગાઢા અક્ષરમાં મૂકનાર ડૉ. શુક્લ એ જ ફકરામાં આવતા "કલાપીનું પોતાનું મૌલિક સર્જન કેટલું હતું એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ” “કલાપીને બીજા સાહિત્યરસિક સર્જકમિત્રોની સર્જકશક્તિનો કેટલો લાભ મળ્યો હશે તે વિચારવા જેવો પ્રશ્ન છે. ભવિષ્યના સંશોધકો એ વિશે વધુ પ્રકાશ પાડી શકશે” એ શબ્દોને કેમ ગાઢા અક્ષરમાં મૂકતા નથી? સવાલ મદદ મળી હોવાનો નથી પણ કેટલી ને કેવી મદદ મળી એનો છે. વાસ્તવિક કર્તૃત્વનો છે. ૬. મસ્તકવિની હાજરીને કારણે હમીરજી ગોહેલ’માં એમનું કર્તૃત્વ સ્થાપિત કરનાર ડૉ. શુક્લ ભૂલી જાય છે કે મહાબળેશ્વરથી આવ્યા પછી ‘હમીરજી ગોહેલ’ના દોઢેક સર્ગ રચાયા છે. એ વખતે મસ્તકવિની હાજરી હોવાનું કોઈ પ્રમાણ નથી. ૭. મસ્તકવિની કવિતાનાં થોડાંક લક્ષણો ડૉ. શુક્લે સુન્દરમ્ને ટેકેટેકે એમના મહાનિબંધના પૃ.૪૭૪–૭૫ પર બતાવ્યાં છે, ને એનો ‘કેકારવ’ની કવિતાથી કેટલોક ભેદ બતાવ્યો છે, પરંતુ ‘હમીરજી ગોહેલ’નાં કોઈ શૈલીલક્ષણો બતાવ્યાં નથી ને એની મસ્તકવિની શૈલી સાથે સમાનતા દર્શાવી નથી — સિવાય કે શ્લોકીકરણ. હવે ડૉ. શુક્લ ‘હમીરજી’માં યોજાયેલ સોરઠો, ઉધોર ને પદ્ધરી જેવા છંદો ને સંસ્કૃત વૃત્તની કચાશનું પ્રમાણ રજૂ કરે તો એટલામાત્રથી મસ્તકવિનું ‘બહુધા’ કર્તૃત્વ આપણે માની લેવાનું? સંવેદન અને શબ્દરચનાનું શું? ૮. કલાપી જટિલની મોહતાજી કરી રહ્યા છે એવું દર્શાવનાર હકીકતોની સામે કલાપી જટિલને ઘણી બાબતોમાં નમતું નથી આપતા એવી હકીકતો પણ પડેલી છે, જે ડૉ. શુક્લના મહાનિબંધમાંથી જ મેં તારવી બતાવી છે તેની ઉપેક્ષા ડૉ. શુક્લ કેમ કરે છે? પોતાનાં કાવ્યો સાથે કલાપીનાં કાવ્યોને સંપાદિત કરીને મૂકવાનો પ્રસ્તાવ કલાપીએ ક્યાં સ્વીકાર્યો છે? (જુઓ ‘કલાપી અને સંચિત્’ પૃ.૪૪૩, તા.૨૭–૭–૯૫નો પત્ર) ૯. જટિલ પાસેથી પોતાની સાહિત્યપ્રવૃત્તિમાં મદદ કલાપીએ ઈચ્છી હશે એમાં શંકા નથી પણ એમનાં એ સિવાયનાં કર્તવ્યો પણ ઘણાં જણાય છે. વહીવટમાં ને કલાપીના અંગત ખર્ચના હિસાબમાં પણ એમની કામગીરી દેખાય છે. આથી જ કેવળ કશુંક લખી આપવા માટે જ એમને રાખવામાં આવ્યા હોય એમ માનવું વાજબી નથી. જટિલે કલાપીને નોકરી દરમ્યાન શું લખી આપ્યું? તો, કલાપીએ મફ્તનો પગાર ચૂકવ્યો? સાહિત્યપ્રવૃત્તિમાં મદદ એટલે સાહિત્યનું સાથે વાચન કરવું કલાપીનાં કાવ્યો વિશે અભિપ્રાય આપવા, સૂચનો કરવાં એવું પણ હોઈ શકે. જટિલ પાસેથી ‘હમીરજી ગોહેલ’ના માળખાની પણ અપેક્ષા હોય. સોદાબાજી તો ત્યારે કહેવાય કે જટિલ કાવ્ય રચી આપે ને કલાપી એને પોતાનું કરી લે એવી સમજણ હોય. મને આવી સમજણ દેખાતી નથી. ડૉ. શુક્લે કરેલી કેટલીક વ્યાકરણચર્ચામાં ‘શબ્દસૃષ્ટિ’ના વાચકોને નાખવાનો કંઈ અર્થ નથી. એ ચર્ચા તો અમારે પંડિતોએ અંદરઅંદર જ કરી લેવી જોઈએ. અને મારી હકીકતપુષ્ટ તપાસને ભાવુકતામાં ખપાવનારને પણ મારે શો જવાબ આપવાનો હોય? એમની અકળામણ માટે મને સહાનુભૂતિ જ હોય.

૧૧ ઑક્ટોબર, ૧૯૮૫ -જયંત કોઠારી


(શબ્દસૃષ્ટિ, નવેં ૧૯૮૫]