અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/મનજી ઓઘડદાસ

From Ekatra Wiki
Revision as of 12:07, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મનજી ઓઘડદાસ

રમેશ પારેખ

મનજી ઓઘડદાસ રહેવાસી ગોધરા ઉંમર સાઠ (કે ઓગણસાઠ)ને ધંધો તરગાળાનો,
ત્યાં ઠોકેલી રાવટી આજે અહીં તો કાલે ક્યાંક ને મારગ તડકેછાંયે પગપાળાનો.

મનજીને (મા’દેવની) અફર માનતા છે કે ઘરવાળાંની કૂખમાં દીવો થાશે,
એટલે એણે ટેક લીધી કે અડવાણા ને અવળા પગે હાલતો કાશી જાશે.

ઘરવાળાંની કૂખને ઘણી ખમ્મા કહેવા ઊપડે અને લબડી પડે હોઠ,
કૂખદીવાને થાપવા કાજે પાથરેલા ને પાથરેલા રહી જાય ખાલી બાજોઠ.

લીલબાઝેલી આંખમાં હવડ જળ ને એમાં એક હજી ગંધાય છે ટાપુ પરવાળાનો.

કોઈ વેળા સગાળશા જેવા વેશમાં સગા દીકરાને પણ ખાંડતો સગા હાથે,
મનજી પોતે પણ ખંડાતો હોય ખંડાતો હોય ખંડાતો હોય છે સાથે સાથે.

ખેલમાં ઝાંખી પડતી કિસનલાઇટની સામે કોઈ રાતે તરવાર ખેંચેલો રાજા,
દિવસે જ્યારે મનજી વેશે હોય છે ત્યારે ગામનું નામ જ—કોઈ નથી દરવાજા.

આમ તો પોતે સાવ ખુલ્લોફટ્ટાસ ને ગામેગામ ઉઘાડેછોગે થતો વહેવાર તાળાનો.
૧૭-૯-’૭૭/શનિ