ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧

From Ekatra Wiki
Revision as of 08:26, 10 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|}} <poem> {{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૧

[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]


રાગ : કેદારો
પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જે હથી સરે મનોરથ મન તણો રે. ૧
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સતી શારદા, સેવક છઉં તમ તણો રે. ૨

ઢાળ
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય. ૩

વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય. ૪

પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય. ૫

પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ. ૬

પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’ ૭

એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ. ૮

અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
પૂંઠે વૃષકેતુ પરવર્યો, વળી વીર પ્રદ્યુમન. ૯

વાટમાં જાતાં નીલધ્વજ ને હંસધ્વજ ભૂપાળ;
સુધન્વા ને સુરથ નામે, હણ્યા બંન્યો બાળ. ૧૦

મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન;
જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન. ૧૧

પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર. ૧૨

રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ. ૧૩

એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન;
ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન. ૧૪

વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ. ૧૫

ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર. ૧૬

વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ. ૧૭

પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
સાંભળીને સવ્યસાચી પામ્યા દુઃખ અપાર. ૧૮

વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’ ૧૯

વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’ ૨૦

એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ. ૨૧

હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન;
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન. ૨૨

ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન :
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન? ૨૩

પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ. ૨૪

સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’ ૨૫

વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન. ૨૬

દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’ ૨૭

ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.’ ૨૮

વલણ
‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે. ૨૯