તપસ્વી અને તરંગિણી/ચાર

Revision as of 16:15, 11 February 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ચોથો અંક | }} <poem> '''(રાજમહેલની ઓસરી અને તેને અડીને આવેલા ઓરડા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચોથો અંક

(રાજમહેલની ઓસરી અને તેને અડીને આવેલા ઓરડાનો ભાગ દેખાય છે. શાન્તા બેઠી છે. તે માથું ઓળે છે. સામે દપર્ણ અને કેટલાંક પ્રસાધન દ્રવ્યો છે. બહાર આકાશમાં નમતો પહોર છે.)
સ્રીઓનો કંઠસ્વર (નેપથ્યમાં) : અમે હવે વિદાય લઈએ. આપનાં દર્શનથી અમે ધન્ય થયાં.
પુરુષોનો કંઠસ્વર (નેપથ્યમાં) : અમે હવે વિદાય લઈએ. આપનાં દર્શનથી અમે કૃતાર્થ થયા.
બાળકોનો કંઠસ્વર (નેપથ્યમાં) : અમે હવે વિદાય લઈએ. પ્રણામ.
સૌનો ભેગો કંઠસ્વર (નેપથ્યમાં) : પ્રણામ, પ્રણામ, અમને રાજદર્શનનું પુણ્ય મળ્યું. દેવદર્શનનું પુણ્ય મળ્યું. અમે ધન્ય થયાં.
(જનતાનો કોલાહલ ધીમે ધીમે શમી જાય છે.)
ઋષ્યશૃંગ : (ઓસરીમાં)
બેસ્વાદ–બેસ્વાદ આ રાજપુરી, બેસ્વાદ જનતા,
મારાં મંત્રપૂત આ લગ્ન બેસ્વાદ,
વિવર્ણ દિન, કટુ કામ, ઉત્પીડિત રાત,
પિંજરે પુરાયેલો હું જાણે જીવ, જીવનનો બલાત્કારે બંદી.
તેઓ જાણે ના, કોઈ જાણે ના—જોઉં હું અન્ય એક સ્વપ્ન.
શાન્તા : (ઓરડામાં ગણગણે છે).
સુન્દર તું, મંજુષા
અંદર નહીં રત્ન.
પાત્ર તો છે મણિમય
ઊડી ગઈ છે સૌરભ.
ઋષ્યશૃંગ : (ઓસરીમાં).
તે જ પ્રાકટ્ય – તે જ ઉષા – તે જ ઉન્મોચન
તેના બાહુનો હિલ્લોલ, આર્દ્ર ઉજ્જવલ દૃષ્ટિપાત!
સૂર્યનો હૃદયદ્રાવી અંધકાર તેના સ્પરશે,
મારા રક્તમાં અગ્નિ, રોમેરોમ વીજળી,
શ્રવણે ગરજતો અબ્ધિ.
શાન્તા : (ઓરડામાં–ગાન)
ઉજ્જવલ તું, આંખ,
કેમ રે ભૂલી સમાચાર?
અંબોડો આજેય રમ્ય
અંગુલિ માત્ર કલાન્ત.
ઋષ્યશૃંગ : (ઓસરીમ)
સ્વપ્નમાં જોઉં તે જ સ્વર્ગ, તે જ પ્રફુલ્લિત ક્ષણ,
જ્યાં ત્રિકાલ એક અંખડ સ્થિર બિંદુમાં થયો મૂર્ત,
સ્તબ્ધ હૃદય અવરુદ્ધ બધી ઇન્દ્રિય
તે જ બ્રહ્મલોક, મારું ધ્યાન-મગ્ન તિમિર.
શાન્તા : (ઓરડામાં–ગાન).
આવે જાય દિવસરાત,
આવે જાગરણ, તંદ્રા,
નહીં કેવળ હૃત્સ્પંદન,
ધૂળ ઢળ્યાં સૌ સ્વપ્ન.
ઋષ્યશૃંગ : (ઓસરીમાં)
ગભીર – વધુ ગભીર, શૂન્યથીય વધુ ગાઢ શૂન્ય–
ત્યાં હું હંસ, હું વંશી ધ્વનિ, હું ર્સ્વગ ને સ્થાણુ,
નક્ષત્રથી નક્ષત્રો સુધી હું વ્યાપ્ત, તરંગથી તરંગો સુધી હું ચંચલ-
તેના આલિંગનમાં લુપ્ત થઈ, તેના વૈભવના અંતરાલે.
તે ક્યાં છે? તે કોણ છે? તેનું નામ સુધ્ધાં જાણતો નથી.
(એટલામાં ઓરડામાં શાન્તા ઊઠીને ઊભી થાય છે. એક વાર અંતઃપુર તરફ પગલાં ભરી તે પાછી આવે છે. દ્વિધાભાવથી કેટલીક ક્ષણો રાહ જુએ છે. તે પછી ધીમે ધીમે ઓસરીમાં બહાર આવે છે. ઋષ્યશૃંગના ધ્યાનમાં આવતું નથી.)
શાન્તા : સ્વામી! યુવરાજ!
ઋષ્યશૃંગ : (પાછા વળી જોઈને, મોં પર હાસ્ય લાવીને) શાન્તા, આ ક્ષણે તારાં દર્શન થશે એવું ધાર્યું નહોતું. (ક્ષણવાર પછી) આ સુભાગ્ય આશાતીત છે. (વાતચીતમાં પ્રવૃત્ત થતાં) કહે, તેં આજનો દિવસ કેવી રીતે પસાર કર્યો? તને અપ્રિય તો કંઈ બન્યું નથી ને?
શાન્તા : મેં આખો દિવસ મારા જીવનસ્વામીનો જયજયકાર સાંભળ્યો.
ઋષ્યશૃંગ : તું ખુશને?
શાન્તા : (મોં પર હાસ્ય લાવી) તમારા ગૌરવમાં હું ગર્વ અનુભવું છું, પ્રભુ.
ઋષ્યશૃંગ : તારો પુત્ર કુશળ છે ને?
શાન્તા : મહેલની દાસીઓ તમારા પુત્રની ક્ષણે ક્ષણે રક્ષા કરી રહી છે. તેના કક્ષમાં અહોરાત દીપ બળે છે, દરેક પહોરે મંગલાચરણ અનુષ્ઠિત થાય છે.
ઋષ્યશૃંગ : (હળવા સ્વરે–જાણે સ્વગત) હું આજે પિતા છું.
શાન્તા : તમે પતિ છો, તમે પિતા છો, તમે યુવરાજ છો. તમે અંગદેશના ભાગ્યરવિ છો. સ્વામી, આજ સાયંકાલનાં કર્તવ્યોનું તમને સ્મરણ તો છે ને?
ઋષ્યશૃંગ : સાયંકાલનાં કર્તવ્યો?... રાજપુત્રી, તારું અનુમાન બરાબર છે. ભૂલી ના જાઉં એવી મારી સ્મરણશક્તિ નથી.
શાન્તા : સાંધ્યઆરતીના સમયે કુલપુરોહિત આપણને આશીર્વાદ દેશે. તમારી ઇષ્ટકામના માટે અંતઃપુરના શિવમંદિરમાં પૂજા થશે. રાજવંશની સૌભાગ્યવતીઓ તમને વધાવવા હાજર થશે.
ઋષ્યશૃંગ : ઉત્તમ પ્રસ્તાવ.
શાન્તા : તે પછી મરકત કક્ષમાં ભોજનસમારંભ થશે. પસંદ કરેલા એકસો રાજપુરુષો અને વિદેશના અમાત્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ દરેક તમને ભેટ આપશે. જવાબમાં તમારી પાસે મધુર પ્રવચન અપેક્ષિત છે.
ઋષ્યશૃંગ : તેમની અપેક્ષા પૂર્ણ થશે. મારી જીભ સુંવાળી છે. શબ્દકોષ વિશાળ છે.
શાન્તા : તમે થાકી જશો એવી આશંકાથી રાજકવિએ એક આશીર્વચનની રચના કરી છે. તે જો તમારા મનને પસંદ પડે તો—
ઋષ્યશૃંગ : નિઃશંક રહે, શાન્તા, હું રાજકવિની રચનાની ઉપેક્ષા નહીં કરું. જ્યાં કશું વક્તવ્ય ન હોય ત્યાં વાક્યથી શું બનવા-બગાડવાનું હતું?
શાન્તા : વક્તવ્ય સ્વાભાવિક રીતે જ વિરલ છે, પણ કર્તવ્યો અખૂટ છે. તમે જાણો જ છો કે તે પછી એક પખવાડિયા સુધીનો ઉત્સવ થશે.
ઋષ્યશૃંગ : પખવાડિયા સુધીનો ઉત્સવ.
શાન્તા : ઉત્સવ, જનતાનો. પરંતુ કદાચ તમારે માટે કલેશદાયક. તેઓ મૂર્ખાઓની જેમ વારંવાર યુવરાજનાં દર્શન કરવા ઇચ્છે છે. તેઓ ચકોરની જેમ યુવરાજના વદનચંદ્રમાના તરસ્યા હોય છે.
ઋષ્યશૃંગ : (તેમના હોઠ પર હાસ્યની રેખા પ્રકટે છે) હું તેમને નિરાશ નહીં કરું, શાન્તા. તેમના નયનકમલને આહ્‌લાદિત કરીને હું ચંદ્રમા જેવો ઉદિત થઈશ. તેમનાં શ્રવણરૂપી ચાતક મારા કથામૃતનું પાન કરવા પામશે. હું વગર વક્તવ્યે વાક્યજાલ ગુંથતો જઈશ. મોદકના જેવું હાસ્ય વહેંચતો જઈશ, અંગદેશને યોગ્ય યુવરાજ બનીશ. હું તૈયાર છું.
શાન્તા : આ પખવાડિયું વીતી જતાં તમારા વિશ્રામને માટે સિન્દૂરસૌધ સજાવવામાં આવશે–ગંગાને તીરે, માલ્યવાન પર્વતના શિખરે. પુત્ર, સેવકો અને એકસો સખીઓ સાથે હું તમારી અનુગામિની થઈશ. સેવકો દિવસરાત તત્પર રહેશે–તમારી આંખના ઇશારા કે આંગળીના સંકેત માટે. તમારે શું જોઈએ? મૃગયા, નૃત્યગીત, વનભોજન, શાસ્રાલોચના—
ઋષ્યશૃંગ : હું કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહીશ.
શાન્તા : અથવા જો તમારે એકાંત જોઈતું હોય—
ઋષ્યશૃંગ : (અધૈર્યનું કોઈ લક્ષણ પ્રકટવા દીધા વિના) યથાસમયે તે જણાવવાનું ભૂલીશ નહીં. (એકાએક શાન્તા તરફ જોઈને) રાજપુત્રી, હું જોઉં છું કે તારું પ્રસાધન પૂરું થયું નથી. આજ સાન્ધ્યભોજનમાં ક્યાં વસ્રો ધારણ કરીશ?
શાન્તા : (ઋષ્યશૃંગની આંખમાં આંખ પરોવી) તમારી શી ઇચ્છા છે?
ઋષ્યશૃંગ : (આંખ હટાવી લઈ) તારી જે ઇચ્છા તે જ મારી. (ક્ષણવાર પછી) તું લાલ વસ્રોમાં સુંદર લાગે છે, નીલ વસ્રોમાં દિવ્યરૂપિણી લાગે છે, લીલાં વસ્રોમાં વનદેવી જેવી લાગે લાગે છે. પછી તે ચીનાંશુક હોય કે કાંચી દેશનું મયૂરકંઠી વસ્ર હોય કે, વારાણસીનું હોય...
શાન્તા : (અટકાવીને) યુવરાજ તમારી જીભ સુંવાળી છે.
ઋષ્યશૃંગ : તારું રૂપ અનિંદ્ય છે.
શાન્તા : (વિનંતી કરતાં) હું ધન્ય થઈ. (જતાં જતાં થંભી) તમે હવે અંતઃપુરમાં નહીં આવો?
ઋષ્યશૃંગ : (બહાર ભણી જોતાં) સૂર્યાસ્તની હજી થોડી વાર છે. હું અહીં જ બેસીશ.
શાન્તા : પણ અધિવેશનનો સમય લગભગ વીતી ગયો છે. વળી કોઈ દર્શનાર્થી આવતાં–
ઋષ્યશૃંગ : હું સાવધ રહીશ.
શાન્તા : જો થાક જેવું લાગે...
ઋષ્યશૃંગ : તારા જેવી સાન્ત્વદાત્રી જેને મળી છે, તેને કદી થાક લાગે?
(શાન્તાનું અંતઃપુરમાં પ્રસ્થાન. બહારની બાજુથી વિભાણ્ડક પ્રવેશ કરે છે. અગાઉ કરતાં તે દૂબળા દેખાય છે. થોડા થાકેલ પણ.)
ઋષ્યશૃંગ : (ચકિત થઈ) પિતાજી ! તમે!
(વિભાણ્ડક પુત્ર ભણી તાકી રહે છે, કશુંય બોલતા નથી.)
ઋષ્યશૃંગ : તમે અંતઃપુરમાં ચાલો. દાસીઓ તમારી અર્ચના કરીને ભલે ધન્ય થતી.
વિભાણ્ડક : હું વિભાણ્ડક છું. દાસીઓથી વીંટળાવાની ઇચ્છા રાખતો નથી. (થોડીવારે પછી) હું બહાર ઊભો હતો; તારી પત્ની જ્યાં સુધી અહીં હતી ત્યાં સુધી આવવાની ઇચ્છા થતી નહોતી.
ઋષ્યશૃંગ : તમારી પુત્રવધૂ પણ તમને પ્રણામ કરવાનો સુયોગ નહીં પામે?
વિભાણ્ડક : આ ક્ષણે તેની જરૂર નથી.
ઋષ્યશૃંગ : તમારાં દર્શન મળતાં રાજા લોમપાદ રાજી થશે. રાજમંત્રી અને રાજપુરોહિત આનંદ પામશે. હું તેમને સમાચાર મોકલું?
વિભાણ્ડક : ઉતાવળો ન થા. હું તને જ મળવા આવ્યો છું.
ઋષ્યશૃંગ : મારું સુભાગ્ય. આ શુભદિવસે તમે મને યાદ કર્યો.
વિભાણ્ડક : (ભ્રૂભંગ કરીને) શુભદિવસે?
ઋષ્યશૃંગ : પિતાજી, આજે હું યુવરાજ થયો.
વિભાણ્ડક : તું આજે યુવરાજ થયો. (કટુ અવાજમાં) આટલા જ માટે તને જન્મવેળાએ ત્યજી દીધો નહોતો. આટલા જ માટે તપોવનમાં મોટો કર્યો હતો. આટલા જ માટે વનમૃગલીઓએ તને સ્તનપાન કરાવ્યું હતું, સરલ નિરપરાધ પશુપક્ષીઓએ સોબત આપી હતી. અને મેં, તારા બ્રહ્મચારી પિતા વિભાણ્ડકે મેં તને અજન્મ વેદમંત્રો સંભળાવ્યા હતા. તારી ચેતનાને યજ્ઞસૌરભથી પવિત્ર કરી હતી!-તે આ માટે.
ઋષ્યશૃંગ : પિતાજી, તે પછી? યાદ છે એક વર્ષ પહેલાં, હું જ્યારે આશ્રમમાંથી સ્ખલિત થયો હતો ત્યારે તમે રૌદ્રરૂપ ધારણ કરીને ધસી આવ્યા હતા આ ચંપાનગરમાં, અંગરાજ્યને ધુજાવી દઈ. તે દિવસે તમારી મૂર્તિ હતી સળગતા હુતાશન જેવી, હોઠ પર નીકળવા જતો અભિશાપ. પણ મહારાજે તમારી ખૂબ ખૂબ અર્ચના કરી. પંદર ગામ દાનમાં આપ્યાં. તમારો પુત્ર અંગરાજ થશે એવું વચન આપ્યું તમે તુષ્ટ થઈને પાછા વળી ગયા. નમ્ર થઈને પાછા વળી ગયા–તમે, મારા પ્રચંડ પિતા વિભાણ્ડક.
વિભાણ્ડક : (ક્ષીણ અવાજમાં) લખ્યા લેખ મિથ્યા થતા નથી.
ઋષ્યશૃંગ : લોમપાદે તેમના વચનનું અધિક પાલન કર્યું છે; કેટલાક વખત પછી કિરાતરમણીનો આ પુત્ર થશે અંગરાજ. પિતાજી, તમે કૃતાર્થ થયાને?
વિભાણ્ડક : (ધીમે ધીમે, સભાનપણે ગંભીર અવાજમાં) લોમપાદને બીજા એક વચનથી મેં બાંધ્યા હતા. એક વર્ષ પછી, અંગદેશ ફરી સમૃદ્ધ થઈ જાય અને શાન્તાને પુત્ર અવતરે એટલે ઋષ્યશૃંગ મને પાછો મળે.
ઋષ્યશૃંગ : લોમપાદે વચન આપ્યું હતું?
વિભાણ્ડક : એટલે જ તો હું આજે અહીં આવ્યો છું. પુત્ર, પાછો ચાલ. મારો આશ્રમ તારા વિરહથી દુઃખી છે. વનભૂમિ દુઃખી છે. હું દુઃખી છું. પાછો ચાલ, ઋષ્યશૃંગ.
ઋષ્યશૃંગ : લોમપાદ વૃદ્ધ અને અશક્ત છે–તેઓ ફક્ત નામના રાજા છે. તેમના વચનથી હું બંધાયેલો નથી. હું ક્યાંય જઈશ નહીં; આ નગર મારું યોગ્ય સ્થાન છે.
વિભાણ્ડક : જો લોમપાદ તને આદેશ આપે તો–
ઋષ્યશૃંગ : તો પ્રજા ખળીભળી ઊઠશે. તેમની પૂજાની મૂર્તિ આજે લોમપાદ નથી—તરુણ રૂપવાન ઋષ્યશૃંગ છે.
વિભાણ્ડક : તેઓ જ ધન્ય છે, જેમના અવયવો વટવૃક્ષની પેઠે વૃદ્ધ છે, વાંકા છે, જેમનાં અંગેઅંગ કરચલીઓવાળાં અને કઠણ છે, કાળથી જરઠ થઈ ગયાં છે, જેમને ઋતુની અસર થતી નથી, જે નિર્વિકાર છે.—ઋષ્યશૃંગ, તું તપને બળે બ્રહ્મલોકમાં લીન થવા ચાહતો નથી?
ઋષ્યશૃંગ : તમારા તપની કિંમત પંદર ગામ છે. તેની સરખામણીમાં આ રાજ ચઢિયાતું છે. પિતાજી, હું તમારો યોગ્ય સુપુત્ર છું.
વિભાણ્ડક : (કેટલીક ક્ષણો ચૂપ રહ્યા પછી, ભગ્ન અવાજમાં) ના, ઋષ્યશૃંગ–પંદર ગામ માટે નહીં, પણ તે વખતે અંગદેશની દુર્દશા જોઈને હું દયાથી પીગળી ગયો હતો. તેથી તને બળજબરીએ પાછો ખેંચી ગયો નહોતો.
ઋષ્યશૃંગ : (નિર્મમ ભાવે) એટલે કે, તમે જેને પાપ કહે છો, તેની જ સાથે તમે સંધિ કરી લીધી હતી.
વિભણ્ડક : હું જેને પાપ કહું છું, બીજાઓ તેને જીવન કહે છે, તેથી કોઈ કોઈવાર સંધિ કરવી અનિવાર્ય થઈ પડે છે. પરંતુ (ચારે બાજુએ જોઈ) એ પણ શું સંભવિત છે કે આ રાજમહેલ – આ નગર – આ વિસ્તીર્ણ કામરશ્મિ – આ ઝળહળતું જીવલેણ કરોળિયાનું જાળું–એમાં તું માખીની પેઠે પુરાઈ જશે? તું ઋષ્યશૃંગ?
ઋષ્યશૃંગ : (બેધ્યાનપણે) મારી વાસના આજે ભડકી ઊઠી છે, મારી તૃષ્ણા આજે સંતોષાય એવી નથી.
વિભાણ્ડક : એ જ તો તારા ઋષિત્વનું લક્ષણ છે, ઋષ્યશૃંગ! તારી તૃપ્તિનું મૂળ એક અને અનાદિ છે. તારી વાસનાનું લક્ષ્ય ધ્રુવ અને અવ્યય છે. તને ખબર નથી કે આ યુવરાજપદ તારું આચ્છાદન માત્ર છે, સ્રી-પુત્ર કેવળ માયા છે. (ઋષ્યશૃંગને ચૂપ જોઈ, ઉત્સાહપૂર્વક) ચાલ, પાછો ચાલ આશ્રમે. ફરી તપમાં તારા આત્માની આહુતિ આપ. આ આહુતિ નથી. ઉપાર્જન છે, પ્રાપ્તિ છે. યાદ કર તે બધા દિવસો–કેવા સરળ, કેવા સુંદર નિયમાબદ્ધ. પ્રાતઃસ્નાન, પ્રાણાયામ, ધ્યાન, યોગાસન, મંત્રપાઠ પછી ધેનુદોહન, સમિધ-સંગ્રહ, અગ્નિહોત્રમાં અગ્નિરક્ષા. બપોર પછી તત્ત્વાલોચન, સંધ્યાએ મૃગચર્મના બિછાનામાં વિશ્રામ. ચિત્ત જાણે ખુલ્લું નિર્મલ આકાશ. ત્યાં દિવસે દિવ્યવિભા ઉજ્જવળ ને ઉજ્જવળ થતી જતી હતી. તે જ તારું જીવન છે, તે જ તારો સ્વ-અધિકાર છે. (ઋષ્યશૃંગને બીજી દિશામાં જોતો જોઈ) ઋષ્યશૃંગ!
ઋષ્યશૃંગ : (બેધ્યાનપણે) મારી તૃપ્તિનું મૂળ ક્યાં છે?... ક્યાં છે? (પિતા તરફ જોઈ, જાુદા સ્વરથી) પખવાડિયા સુધી ઉત્સવ થશે અંગદેશમાં. મારે માટે જ ઉત્સવ થશે. પ્રજા યુવરાજનાં દર્શન કરવા માગે છે. તેમની દૃષ્ટિને આનંદ પમાડી ચંદ્રમા સમો હું ઉદિત થઈશ. તેમનાં શ્રવણ સિંચિત થશે મારા શબ્દામૃતથી. વક્તવ્ય વિના હું વાક્યજાળ ગૂંથતો જઈશ. મોદકની જેમ હાસ્ય વહેંચીશ. હું અંગદેશને યોગ્ય યુવરાજ બનીશ.
વિભાણ્ડક : તું થઈશ મંત્રનો સ્રષ્ટા, માત્ર ઉદ્‌ગાતા નહીં; થઈશ બ્રહ્મવેત્તા માત્ર શાસ્રજ્ઞ નહીં. તારો માર્ગ ચાલ્યો જાય છે દિગન્ત વટાવીને દૂર દૂરના દિગન્તે. ત્યાં અનિર્વાણ જ્યોતિ છે, ચિરન્તન શાન્તિ છે. તને દેખાતું નથી?
ઋષ્યશૃંગ : પખવાડિયું પૂરું થતાં મારા વિશ્રામને માટે સજાવેલો હશે સિન્દુરસૌધ. ગંગાને તીરે માલ્યવાન પર્વતના શિખરે. મારી પત્ની તેની એકસો સખીઓ સાથે મારી અનુગામિની થશે. સેવકો દિવસરાત તહેનાતમાં રહેશે, મારી આંખના ઇશારે મૃગયા, નૃત્યગીત, વનભોજનનું આયોજન થશે.
(ઋષ્યશૃંગના કંઠની કડવાશ જરાય છૂપી રહેતી નથી, વિભાણ્ડક તેના મોં ભણી જોઈ રહે છે.)
વિભાણ્ડક : પુત્ર, આત્મપીડન ના કર. પાછો ચાલ. સાંભળ, જે દિવસથી તેં આશ્રમત્યાગ કર્યો છે, તે દિવસથી હું અશાન્ત બની ગયો છું. હોમાનલ પેટાવતાં જ તું યાદ યાદ આવે છે, યોગાસને બેસતાં તું યાદ આવે છે. મારી સાધનામાં આનંદ નથી, સંકલ્પમાં સ્થિરતા નથી. ઋષ્યશૃંગ, મારું પતન થયું છે. તું મારો ઉદ્ધાર કર. તારા શૈશવમાં મેં તને દીક્ષા આપી હતી, આજ મારા વાર્ધક્યમાં તું મને નવેસરથી દીક્ષા આપ. તારો આદર્શ મારી પ્રેરણા હો.
ઋષ્યશૃંગ : તમારો પુત્રસ્નેહ મર્મસ્પર્શી છે.
વિભાણ્ડક : તું મારો પુત્ર છે એટલે હું તારી પાસે આવ્યો નથી. ઋષ્યશૃંગ, તારા ભવિતવ્યથી હું અજાણ નથી, હું તેમાંથી ભાગ પડાવવા ઇચ્છું છું.
ઋષ્યશૃંગ : એટલે મારાં સ્રીપુત્રને છોડી દેવાં? રાજનો કશો અર્થ નહીં?
વિભાણ્ડક : સ્રીપુત્ર તારાં નથી, અંગરાજ્ય તારું નથી. તું અહીં ઉપકારી આગન્તુક માત્ર છે. તારું કામ તો પૂરું કર્યું છે. હવે તારી જરૂર નથી.
ઋષ્યશૃંગ : (પિતાની નજર પરથી આંખ હટાવી લઈ) પરંતુ મારે પણ કંઈક જરૂર છે, પિતાજી. મારે જોઈએ–(થંભી જઈ) શું જોઈએ, જાણતો નથી. (એકાએક દૃઢ અવાજમાં) ના, હું પાછો નહીં આવું. હું અહીં જ રહીશ. બીજી એક પ્રતીક્ષાથી બીજી એક પ્રતિજ્ઞાથી હું બંધાયેલો છું. તમે મને ક્ષમા કરો.
(વિભાણ્ડક ફિક્કા પડી જાય છે અને ફરી એકવાર પુત્ર ભણી જુએ છે. ઋષ્યશૃંગ કઠણ અને ચૂપ છે. દુર્બળ અને ઉદ્‌ભ્રાન્તની જેમ પગલાં મૂકતા વિભાણ્ડક બહાર ચાલ્યા જાય છે.)
ઋષ્યશૃંગ : (ફરતાં ફરતાં) પતિ–પિતા–યુવરાજ–હું? બ્રહ્મચારી–વનવાસી–હું? ના–ના, હું તારો છું. અસહ્ય નગર–અસહ્ય જનતા–પરન્તુ અહીં જ હું રાહ જોઉં–તારે માટે. તારે માટે.
(ઓસરીમાં અંશુમાનનો પ્રવેશ.)
અંશુમાન : (અભિવાદન કરી) ક્ષમા કરશો, કદાચ અસમયે આવ્યો છું.
ઋષ્યશૃંગ : અસમયે નહીં. લોમપાદનો આદેશ જરૂર સાંભળ્યો હશે. હું આજ સૂર્યાસ્ત સુધી મળી શકું છું.
અંશુમાન : હું રાજમંત્રીનો પુત્ર અંશુમાન છું. હું લાંબા સમયથી વિદેશ હતો. તેથી આ પહેલાં આવી શક્યો નહોતો.
ઋષ્યશૃંગ : તો હવે મને અભિનંદન આપી તમારું કર્તવ્ય પૂરું કરો.
અંશુમાન : હું આપને અભિનંદન આપવા આવ્યો નથી.
ઋષ્યશૃંગ : સરસ! તમે અસાધારણ પુરુષ લાગો છો.
અંશુમાન : હું સત્યવક્તા છું. આપને એક મર્મભેદક વાત કહેવા આવ્યો છું.
ઋષ્યશૃંગ : મર્મભેદક? તો નિર્ભયપણે કહો. હું સતત એક વર્ષથી વખાણ સાંભળતો અવ્યો છું–માત્ર વખાણ, જયજયકાર, અભિનંદન. આ ઘીવાળા ભોજનથી મને અગ્નિમાંદ્ય થયું છે. તમે તે મટાડો.
અંશુમાન : અભિનંદન પામવાનો આપને કોઈ અધિકાર નથી.
ઋષ્યશૃંગ : મારુ દુર્ભાગ્ય છે કે તમારા સિવાય કોઈ તે સમજતું નથી.
અંશુમાન : અંગદેશમાં અનાવૃષ્ટિને માટે લોમપાદ જવાબદાર નહોતો. વરસાદ પડ્યો તેથી આપને કીર્તિ મળવાની જરૂર નથી. તે તો કાગનું બેસવું અને તાડનું પડવું જેવો ખેલ છે.
ઋષ્યશૃંગ : બને. પરન્તુ તે વાત તમે જાહેરમાં કહેવા તૈયાર છો?
અંશુમાન : હું કહીશ, એથી માનશે કોણ? ઊલટાનો મને રાજદ્રોહી તરીકે દંડ મળશે. મારે હવે બીજો દંડ ભોગવવો નથી–વિના અપરાધે કઠોર સજા ભોગવું છું, હવે તેનો ઉપાય થવો જોઈએ.
ઋષ્યશૃંગ : તો તમારી મારી આગળ કોઈ પ્રાર્થના–અરજ છે?
અંશુમાન : અરજ નહીં, વિરોધ. યુવરાજ થવાનો આપનો કોઈ અધિકાર નથી.
ઋષ્યશૃંગ : આ પદવી શું તમારે જોઈતી હતી?
(ઓરડામાં પૂરા વસ્રાલંકારથી સજ્જ શાન્તાનો પ્રવેશ.)
અંશુમાન : (તિરસ્કાર ભર્યા અવાજમાં) મારેે? આપની ભૂલ થાય છે. હું પરાજિત છું, પરંતુ આપના જેવો લાલચુ કામાર્ત નથી. કહે છે કે આપ તો તપસ્વી હતા? હવે આપ કાદવમાં ખરડાયા છો એવું લાગતું નથી?
(ઓરડામાં શાન્તા કાન માંડે છે, ચમકી ઊઠે છે.)
ઋષ્યશૃંગ : તમારી આંખમાં અદેખાઈ જોઈને લાગે છે કે તમે પણ એ કાદવના અભાવથી જ દુઃખી છો.
અંશુમાન : અદેખાઈ–જરૂર. પરંતુ મનસ્તાપ તેથી ય વધારે. ઋષ્યશૃંગ, મારા રાજ્યનું નામ બીજું છે, રૂપ બીજું છે. તે ઝુંટવાઈ ગયું છે.
શાન્તા (ઓરડામાં) : કોણ છે એ? કોણ બોલે છે?
ઋષ્યશૃંગ : રાજા લોમપાદે એ અન્યાયનું નિવારણ ના કર્યું?
અંશુમાન : મારા કમભાગ્યે લોમપાદ જ એ ઝૂંટવી લેનાર છે. સ્વયં મારા પિતા એ ઝૂંટવી લેનાર છે. અને મુખ્ય ઝૂંટવનાર–આપ છો.
શાન્તા (ઓરડામાં) : આ હું શું સાંભળું છું? કોણ છે ત્યાં? ના-ના-હું, સાંભળવા માગતી નથી.
(હાથમાં મોં છુપાવી દે છે.)
ઋષ્યશૃંગ : હું તો જાણું છું કે મને જ ઝૂંટવી લેવામાં આવ્યો છે. મે કંઈ ઝૂંટવ્યું હોય તેની ખબર નથી, જો કોઈ પ્રતિદાન આપી શકું તેમ હોઉં તો આદેશ કરો.
અંશુમાન : પ્રતિ-દાન નહીં પ્રત્યાર્પણ! મારો સ્વ-અધિકાર આપે ઝૂંટવી લીધો છે–હવે તે પાછો આપો.
શાન્તા (ઓરડામાં) : આ તો તે જ! હું ક્યાં છુપાઈ જાઉં? ક્યાં ભાગી જાઉં? ક્યાં જાઉં તો કોઈ મને જોઈ ના શકે?
ઋષ્યશૃંગ : તમે સાચું કહો છો, હું કામાર્ત છું. પણ હું કૃપણ નથી. તમારી મનોકામના જાણ્યા પછી જરૂર તે પૂરી કરીશ.
અંશુમાન : જો આપને કોઈ ભારે ત્યાગ કરવાનો આવે તો?
ઋષ્યશૃંગ : તમને ખબર નથી ત્યાગ મને કેટલો ગમે છે.
અંશુમાન : ધર્મવિરોધી હોય તો?
ઋષ્યશૃંગ : હું તેથી ડરીશ નહીં.
(એ દરમ્યાન શાન્તા આવીને ઓરડા અને ઓસરીની વચ્ચેના બારણા પાસે ઊભી છે. તેના મુખ પર ઉત્કંઠા અને તન્મયતા દેખાય છે.)
અંશુમાન : આપને એક પ્રશ્ન પૂછું? આપ શું માનો છો? આપનું લગ્ન શાસ્રસિદ્ધ છે કે પછી તે અનાચાર છે?
ઋષ્યશૃંગ : તમારા આ પ્રશ્નનો જવાબ આપવાને હું બંધાયેલો નથી.
અંશુમાન : આપના મનમાં શું કદી સંશયની છાયા પડી નથી?
ઋષ્યશૃંગ : મારા સંશયને અંત નથી, પણ તમારી સાથે તેની ચર્ચા કરવાની નથી.
અંશુમાન : અંગદુહિતાની મર્મકથા આપ જાણતા નથી, એવું કદીય તમારા મનમાં થતું નથી?
ઋષ્યશૃંગ : કોણ કોની મર્મકથા જાણી શકે છે?
અંશુમાન : પણ જો એવું હોય કે આપે શાન્તાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે? હું જો સાબિત કરી શકું–
શાન્તા (ઓરડામાં–આર્તસ્વરે) : અંશુમાન, હવે વધારે બોલીશ નહીં!
(ઉદ્‌ભ્રાન્ત ભાવે શાન્તા ઓસરીમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાં જ ભોંઠપ અનુભવે છે. કેટલીક ક્ષણો ચુપકીદી.)
ઋષ્યશૃંગ : (થોડી વાર પછી) આવ, શાન્તા. નીચે મુખે કેમ ઊભી રહી છે? આ સંકોચ શા માટે? મંત્રીપુત્ર અંશુમાન તમારો દર્શનાર્થી છે.
અંશુમાન : યુવરાજ હું આપની પણ ઉપસ્થિતિ ચાહું છું. મારું વક્તવ્ય બન્ને જણ માટે છે.
ઋષ્યશૃંગ : તો તમારા રાજપાટનું નામ છે–શાન્તા?
અંશુમાન : શાન્તા મારું રાજપાટ છે. શાન્તા મારી સસાગરા પૃથ્વી છે.
શાન્તા : (તીક્ષ્ણ સ્વરે) અંશુમાન, હું હવે પરસ્રી છું ! હું પુત્રવતી છું.—માતા છું !
અંશુમાન : શાન્તા, તારે કારણે મને કારાગારમાં નાખવામાં આવ્યો હતો. બહાર આવીને જોઉં છું તો મારું સર્વસ્વ લુંટાઈ ગયું છે. દેશાન્તરી બનીને તીર્થે તીર્થે ભમ્યો,પણ ભૂલી શક્યો નહીં.
શાન્તા : આ કેવો પાગલના જેવો વ્યવહાર છે! હું પરિણીતા છું! સ્વામી, તમે કેમ ચૂપ છો? મને બચાવો.
અંશુમાન : એ ભ્રષ્ટ બ્રહ્મચારી તારો સ્વામી? માનતો નથી-માનીશ નહીં એ વાત. શાન્તા, તેં મને વર્યો હતો, મેં તને વરી હતી. અને આ ઋષ્યશૃંગ—તમારું કહેવાતું લગ્ન—હું એને કહું છું રાજનીતિનો બલિસ્તંભ.
શાન્તા : આ ગુસ્તાખી અસહ્ય છે! સ્વામી, હું અસહાય છું–તમે મને આશ્રય આપો.
અંશુમાન : સત્ય વિના બીજો કોઈ આશ્રય નથી, શાન્તા. પૂછ તારા હૃદયને, એ શું તારું વચન ભૂલી ગયું છે?
શાન્તા : મને હવે વધારે કષ્ટ આપીશ નહી, અંશુમાન. તું જતો રહે! મહેલમાં બીજું કોઈ જો જાણશે—
અંશુમાન : છો જાણતું. મારી વેદના ભલે બધા જાણે. તારી પ્રતિજ્ઞા ભલે બધા જાણે. હું હવે વધારે ગોપનતા સહન કરી શકતો નથી. હું બળી રહ્યો છું.
શાન્તા : અંશુમાન–મારા પર દયા કર, મને ક્ષમા આપ. મારું જીવન નષ્ટ થયું છે, ભલે થયું. પરન્તુ તને શાન્તિ મળે એ જ મારી અહોરાત્ર પ્રાર્થના હોય છે. (એકાએક–પોતે શું બોલી ગઈ, તે સમજાતાં) સ્વામી, મને ક્ષમા કરો. હું ભાન ભૂલી ગઈ છું. શું બોલું છું તે જાણતી નથી.
ઋષ્યશૃંગ : ક્ષમા શા માટે, શાન્તા? તેં તો કોઈ અપરાધ કર્યો નથી. તે સાચું કહ્યું છે. આ મુહૂર્ત શુભ છે. મારી પણ એક ગુપ્ત વાત તને કહું.
(બહારથી લોલાપાંગી અને ચંદ્રકેતુનો પ્રવેશ.)
ઋષ્યશૃંગ : (ક્ષણવાર લોલાપાંગી તરફ જોઈ રહી)–આપ કોણ? મેં શું આ પહેલાં આપને જોયાં છે?
લોલાપાંગી : મને ‘આપ’ના કહો. હું એક દીન રમણી છું. એક સામાન્ય ગણિકા છું. મારું નામ લોલાપાંગી છે. આપના કરુણ દૃષ્ટિપાતથી મારું જન્મજન્માતરનું પાપ નાશ પામ્યું. મને ચરણરજ આપો. (આડંબરપૂર્વક પ્રણામ કરે છે.)
શાન્તા : અધિવેશનનો સમય લગભગ વીતી ગયો છે. યુવરાજ થાકી ગયા છે. તમે સૌ દર્શનાર્થીઓ હવે પાછાં જાઓ.
લોલાપાંગી : રાજકન્યા–યુવરાજવધૂ–લોકલલામભૂતા શાન્તા, આપનાં દર્શન પામીને આજે અમને નવતીર્થસ્નાનનું પુણ્ય પ્રાપ્ત થયું છે. આપને પ્રણામ કરું છું. ભારે વિપત્તિમાં આવી પડી છું એટલે હું આવી છું. મને એક પળનો સમય આપો.
ઋષ્યશૃંગ : અંગદેશના આ સંપદના દિવસે તમે વિપત્તિમાં છો?
લોલાપાંગી : પ્રભુ, મારે એક કન્યા છે, મારું એકનું એક સંતાન. તેની સ્થિતિ ગંભીર છે.
ઋષ્યશૃંગ : કલ્યાણી, હ ું આયુર્વેદનો જાણકાર નથી.
લોલાપાંગી : દેવ, મારી કન્યાને ચિત્તવિકાર થયો છે, તેની મતિ ફરી ગઈ છે. એક અદ્‌ભુત કલ્પનાને વશ વર્તીને તેણે ધર્મત્યાગ કરવા માટે કમર કસી છે. એક અભિજાત ચરિત્રવાન યુવક ઘણા સમયથી તેનો પાણિપ્રાર્થી છે—
ચંદ્રકેતુ : (આગળ આવીને)–હું જ તે યુવક છું—હું શ્રેષ્ઠીપુત્ર ચંદ્રકેતુ છું. યુવરાજ અને યુવરાજવધૂને પ્રણામ કરું છું. લોલાપાંગીની કન્યા તરંગિણીને મેં પસંદ કરી છે. મેં તેને ગૃહલક્ષ્મી રૂપે મેળવવા માટે સર્વસ્વ હોડમાં મૂક્યું છે. પણ તે મારી વિનંતી પ્રત્યે ઉદાસીન છે.
ઋષ્યશૃંગ : કદાચ તેણે કોઈ બીજો પુરુષ પસંદ કર્યો હશે.
લોલાપાંગી : પ્રભુ તે જ તો સંકટ છે. મારી કન્યાએ તેની વંશપરંપરાગત વારાંગનાવૃત્તિ પણ છોડી દીધી છે. પુરુષોની સોબત છોડી દીધી છે. નારીકુલમાં કલંકિની થવા બેઠી છે. વારાંગના અથવા કુલસ્રી આ બેમાંથી એક તો તેને થવું જ પડશે. નહીંતર તેની જીવિકા પણ નષ્ટ થઈ જશે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમાંથી એકેનીય રક્ષા નહીં થાય. દયામય, આપ એવો ઉપાય કરો કે જેથી તેની વિવેકબુદ્ધિ જાગી ઊઠે. મારી કન્યા ધર્મને માર્ગે પાછી ફરે, એવું કરો.
શાન્તા : એ બધા અંગત પ્રશ્નોની અહીં ચર્ચા ન હોય.
ઋષ્યશૃંગ : રાજપુત્રી, આપણે આ પહેલાં બીજી એક અંગત વાતની ચર્ચા કરી હતી.
અંશુમાન : (ગુસ્સાના અવાજમાં) યુવરાજ, તેની સાથે આ મહિલાનો આક્ષેપ શું સરખાવવા જેવો છે? એમના કૌટુંબિક પ્રશ્નનો ઉકેલ આપના હાથમાં તો છે નહીં.
લોલાપાંગી : પ્રભુ, આપના હાથમાં, આપના જ હાથમાં એનો ઉકેલ છે.
ચંદ્રકેતુ : મને પણ ખાતરી છે કે તરંગિણી એક અસ્વાભાવિક રોગમાં સપડાઈ છે, અને તેની ચિકિત્સા માત્ર મહાત્મા ઋષ્યશૃંગ જ જાણે છે.
ઋષ્યશૃંગ : હું કોઈ ચિકિત્સા જાણતો નથી. હું મહાત્મા નથી.
શાન્તા : સ્વામી, તમે અંતઃપુરમાં ચાલો. તમારે અત્યારે વિશ્રામની જરૂર છે. આજ સાન્ધ્યભોજમાં રાજપુરુષોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. તમારે અભિનંદનનો જવાબ આપવો પડશે. તમે નકામો શક્તિવ્યય કરશો નહીં.
લોલાપાંગી : એક જ ક્ષણનો–એક જ વધારે ક્ષણનો મને સમય આપો. પ્રભુ, આપ તો પતિપાવન છો, અનાથની ગતિ છે, દુઃખીના ઉદ્ધારક છો–આપની જ કૃપાથી અમે આજે અંગદેશમાં જીવીએ છીએ. મારી દીકરીની દશા વિષે સાંભળતાં આપને દયા આવશે. તે અહોરાત ઉદાસ રહે છે, અહોરાત એકાકિની રહે છે, કોઈને મળતી નથી. ક્યારેક ક્યારેક તેના કંઠે જાણે બીજું કોઈ બોલતું હોય એમ લાગે છે; તેની આંખો તરફ જોતાં એવું લાગે છે કે–
અંશુમાન : આ ગણિકાની ધૃષ્ટતા જોઈને હું સડક થઈ જાઉં છું જાણે તેની કન્યાની દશા ઉપર અંગરાજ્યનું ભાવિ રહ્યું ન હોય!
ચંદ્રકેતું : (લોલાપાંગીનું વાક્ય પૂરાં કરતાં) તેની આંખો તરફ જોતાં એવું લાગે છે કે તે એવું કશુંક જોઈ રહી છે, જે આપણે માટે અદૃશ્ય હોય. અને તેની આ બિમારી–
લોલાપાંગી : અને તેની આ બિમારી શરૂ થઈ છે આપની સાથેની મુલાકાત પછી.
ઋષ્યશૃંગ : મારી સાથેની મુલાકાત! મને તો યાદ આવતું નથી.
શાન્તા : સ્વામી, આજ સાન્ધ્યઆરતી વખતે મહેલના શિવમંદિરમાં તમને કુલપુરોહિત આશીર્વાદ આપશે. તમે અત્યારે અંતઃપુરમાં ચાલો.
ઋષ્યશૃંગ : તમે કહો છો–મારી સાથેની મુલાકાત?
લોલાપાંગી : ગુણમય, કરુણાધામ, તેણે જે કર્યું હતું તે તો રાજ્યમંત્રીના આદેશથી, કુલપુરોહિતની અનુમતિથી. વારાંગનાનું જે શાસ્રસમ્મત કર્તવ્ય છે, તે જ તેણે કર્યું હતું. તો પણ તેણે અજાણતાં આપના ચરણોમાં અપરાધ કર્યો હોય, જો આપ રોષે ભરાયા હો, જો આપના પવિત્ર માનસપટ પર કોઈ અભિશાપની છાયા પડી હોય, તો આપ એ અભાગણીને ક્ષમા કરો, તેની દુઃખી મા પર દયા કરો. આપની એક બિન્દુ દયાથી તરંગિણીની શાપમુક્તિ હો.
ઋષ્યશૃંગ : (ચિન્તાતુર ભાવે) તમારી વાત મને સમજાતી નથી.
લોલાપાંગી : દેવ, આપને–આપના આશ્રમમાંથી – આશ્રમમાંથી ચમ્પાનગરમાં – ચમ્પાનગરમાં જે લઈ આવી હતી, તે જ મારી કન્યા તરંગિણી છે.
ઋષ્યશૃંગ : (ફરીને જોઈને, ઉતાવળે ઉતાવળે) તમે શું કહી ગયાં?
લોલાપાંગી : તે – જ – તે – જ મારી હતભાગી કન્યા છે. પ્રભુ આજે તે મર્મપીડાથી ફિક્કી પડી ગઈ છે. કદાચ મરવા પડી છે, આપ તેની રક્ષા કરો.
ઋષ્યશૃંગ : તરંગિણી. તેનું નામ તરંગિણી છે!
લોલાપાંગી : અમે જાણીએ છીએ, તપસ્વીનો તપોભંગ કરવો એ મહાપાપ છે, પરંતુ નંદનવાસિની ઉર્વશી-મેનકાની જે જવાબદારી હોય છે, અને મનુષ્યો હોવા છતાં, તે જવાબદારીનું બહુ કષ્ટ વેઠીને પાલન કરીએ છીએ. પ્રભુ, મારી કન્યાએ તેના ધર્મ પ્રમાણે આચરણ કર્યું હતું. તેને જો આજે તે જ વાસ્તે સજા મળતી હોય તો આપની દયાવિના તેનો કોઈ ઉપાય નથી.
(લોલાપાંગીની આ ઉક્તિની વચ્ચે જ તરંગિણી ધીરે ધીરે પ્રવેશ કરે છે તેનાં વસ્રાભૂષણ બીજા અંકનાં છે. ઋષ્યશૃંગની તેના પર પહેલી નજર પડે છે.)
લોલાપાંગી : તરંગિણી, તું!
ચંદ્રકેતુ : તરંગિણી, તું!
અંશુમાન : તરંગિણી–જેને લીધે ઋષ્યશૃંગ આજે અહીં છે.
શાન્તા : તરંગિણી–રાજમંત્રીની ગુપ્ત શલાકા!
લોલાપાંગી : તો તું જ ઋષ્યશૃંગને પગે પડ. પગે પડીને જીવતદાન માગી લે.
(કોઈનાય તરફ નજર કર્યા વિના તરંગિણી ધીરે ધીરે ઋષ્યશૃંગની સામે આવી ઊભી રહે છે.)
તરંગિણી : મારાથી વધારે સહન ન થયું. હું તમને ફરી એકવાર જોવા આવી. મને તમે ઓળખી શકો છો ને? જુઓ—એ જ વસન, એ જ ભૂષણ, એ જ અંગરાગ! ફરી એકવાર તમે કહો–‘તમે શું શાપભ્રષ્ટ દેવતા છો?’ ફરી એક વાર કહો, ‘આનંદ વસે છે તમારાં નયનોમાં, આનંદ વસે છે તમારાં ચરણોમાં.’ ફરી એકવાર મારા તરફ દૃષ્ટિપાત કરો... (જરા પાછા હટી) તમારી દૃષ્ટિ આજે જુદી કેમ છે? તમારે દેહે વલ્કલ કેમ નથી? તમારી આંખને ખૂણે કલાન્તિ કેમ છે?... તે દિવસે—તે રાત્રિદિવસની સંધિવેળાએ તમે જ્યારે પ્રાતઃસૂર્યને પ્રણામ કરતા હતા, ત્યારે અંતરાલમાં ઊભીનેમેં તમને જોયા હતા. તે રીતે મને ફરી એક વાર જોવા દો. આજે હું પાદ્યઅર્ઘ્ય લાવી નથી, લાવી નથી કોઈ જાળ, કોઈ કપટ—આજ માત્ર હું મને પોતાને જ લઈને આવી છું, માત્ર હું–સંપૂર્ણ, કેવળ હું પ્રિય મારા, મનેતમે આનંદિત કરો.
શાન્તા : આ તે કેવી ગુસ્તાખી? કેવો વ્યભિચાર! ઋષ્યશૃંગ, તમે સાવધાન થાઓ. આ માયાવિની તમારું અનિષ્ટ કરવા તત્પર છે!
ચંદ્રકેતુ : યુવરાજ, આપ આ રમણીને વધારે છૂટ આપશો તો આપની કીર્તિને કલંક લાગશે. રાજા લોમપાદનું નામ કલંકિત થશે. આપ તેને સારી સલાહ આપીને તેને ઘેર પાછી જવા કહો.
અંશુમાન : યુવરાજને યાદ દેવડાવું કે, અમારી એક ચર્ચા હજી બાકી છે.