કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/કવિ અને કવિતાઃ મનહર મોદી
આધુનિક ઉન્મેષથી થનગનતા પ્રયોગશીલ કવિ મનહર મોદીનો જન્મ તા. ૧૫-૦૪-૧૯૩૭ના રોજ અમદાવાદમાં થયો હતો. કબીરપંથી પરિવાર. પિતા શાંતિલાલ કરિયાણાની દુકાન ચલાવતા. માતા ગજીબહેન. મનહર મોદીનું શાળા તથા કૉલેજનું શિક્ષણ અમદાવાદમાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્ર સાથે બી.એ.; ૧૯૬૪માં બીજી વાર ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ.; ૧૯૬૬માં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે એમ.એ. થયા. અભ્યાસ સાથે નોકરી કરી — ૧૯૫૬થી ૧૯૫૮ સુધી ટૅક્સટાઇલ ડિઝાઇન સેલ્સમૅન, ૧૯૫૮થી ૧૯૬૬ સુધી વેસ્ટર્ન રેલવેમાં ટિકિટક્લાર્ક. ૧૯૬૬માં ડાકોરની કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે એક વર્ષ અધ્યાપન. ત્યારબાદ અમદાવાદમાં ભક્ત વલ્લભ ધોળા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને ૧૯૯૭માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ એમણે પ્રકાશન સંસ્થા ‘રન્નાદે’ શરૂ કરી. થોડા સમય માટે તેઓ ‘નિરીક્ષક’, ‘ઉદ્ગાર’ તથા ‘પરબ’ના તંત્રી રહ્યા. રન્નાદે પ્રકાશનસંસ્થા શરૂ કર્યા પછી ‘ઓળખ’ના તંત્રી રહ્યા. તેઓ ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ રહ્યા. તા. ૨૩-૦૨-૨૦૦૩ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું. ૧૯૯૮માં તેમને ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. આ ઉપરાંત કલાપી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી સન્માનિત. મનહર મોદી પાસેથી ‘આકૃતિ’ (૧૯૬૩), ‘ૐ તત્ સત્’ (૧૯૬૭), ‘૧૧ દરિયા’ (૧૯૮૬), ‘હસુમતી અને બીજાં’ (૧૯૮૭), ‘એક વધારાની ક્ષણ’ (૧૯૯૩), ‘મનહર અને મોદી’ (૧૯૯૮) જેવાં કાવ્યગ્રંથો પ્રાપ્ત થયા છે.
૧૯૬૨થી મનહર મોદી ‘કુમાર’ કાર્યાલયમાં ચાલતી ‘બુધસભા’માં જવા લાગ્યા. મુ. બચુભાઈની બુધસભામાં તેમના છંદો પાકા થયા ને કવિતાની સમજણ વિકસતી ગઈ. ગઝલસર્જનની શરૂઆતના ગાળામાં તેમને અંબાલાલ ડાયરનું માર્ગદર્શન મળ્યું હતું. ‘બુધસભા’માં એમને આદિલ મન્સૂરી, ચિનુ મોદી, લાભશંકર ઠાકર તથા ચંદ્રકાન્ત શેઠ જેવા કવિમિત્રો મળ્યા. લાભશંકર તથા એમના કવિમિત્રોએ ‘રે મઠ’ શરૂ કર્યું. મનહર મોદી ‘રે મઠ’માં સક્રિય રહ્યા. કવિતામાં ભાંગફોડ ને મસ્તીભર્યાં તોફાનો કરવા માટે એમને ‘રે મઠ’માં એમના નિજી મસ્તી-મિજાજને સાનુકૂળ એવું મોકળું મેદાન મળ્યું ને કવિતામાં એમના અ-રૂઢ ખેલ ખેલાવા લાગ્યા.
ભાષા સાથે ભાંગફોડ કરનાર, પરંપરા તથા વ્યવહારિક ભાષાને સખળડખળ કરનાર મનહર મોદીની મોટી મોટી પહોળી આંખોમાં વિસ્મયમઢ્યું તોફાન તગતગતું. અરૂઢ રીતિથી, અ-તર્ક – અન્-અર્થ થકી કાવ્યને અને જાતને પામવાના ભારે અભરખા. પોતાનો પરિચય તેઓ આમ આપે છે –
‘એ જ છે મારા પરિચયની કથા,
ગા લ ગા ગાગા લગાગાગા લગા.’
આ કવિ પોતાની જાતને કઈ કઈ રીતે સંબોધે છે! ક્યારેક ‘મનહરલાલજી’ (રા. વિ. પાઠના ‘નટવરલાલજી’ યાદ આવે), ક્યારેક ‘મનહરા!’ કહીને, ક્યારેક ‘ઈશ્વર કહીને,’ –
‘કહી દો
કે
મનહર મોદીનું નામ ઈશ્વર છે
અને
ઈશ્વર તો ક્યારનોયે મરી પરવાર્યો છે.’
તો ક્યારેક, ‘મનહર અને મોદી’-કહીને! જાણે મગની બે ફાડ જુદી! અને આ બે ફાડ વચ્ચેનો તાલમેલ કેવો છે?! —