કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ
વાંસળીના સૂર જેવાં કાવ્યો આપનાર કવિ માધવ રામાનુજનો જન્મ તા. ૨૨-૪-૧૯૪૫ના રોજ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામે થયો હતો. પિતા વૈદ્ય ઓધવદાસ રામાનુજ. માતા ગંગાબા. તેઓ પાંચમા ધોરણમાં ભણતા ત્યારે પિતાનું અવસાન થયું. અભ્યાસ સાથે શ્રમ ચાલતો. હાઈસ્કૂલનો અભ્યાસ અમદાવાદ, સાદરા, કોઠ, પચ્છમ અને ગ્રામભારતી જેવી પાંચ શાળાઓમાં. ગ્રામભારતી, અમરાપુરમાંથી મૅટ્રિક થયા. ૧૯૭૩માં સી. એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ. ૧૯૬૯માં ‘અખંડ આનંદ’ના તંત્રીવિભાગમાં, ૧૯૬૯-૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન – માસિક પત્રિકાના સંપાદન વિભાગમાં, ૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખપૃષ્ઠ ચિત્રોના કલાકાર તરીકે કામ કર્યું. ૧૯૭૩થી સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજના એપ્લાઇડ આર્ટ વિભાગમાં અધ્યાપક, પછી આચાર્ય તરીકે નિવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તથા ઉપપ્રમુખ થયા. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન રિસર્ચ સેન્ટરમાં ૨૦૦૩થી ૨૦૧૮ સુધી સેવા આપી. ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ના પ્રમુખ. માધવ રામાનુજ નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૧૨) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કાર (૨૦૧૬)થી સન્માનિત.
માધવ પાસેથી ‘તમે’ (૧૯૭૨), ‘અક્ષરનું એકાંત’ (૧૯૯૭), ‘અનહદનું એકાંત’ (૨૯૧૩) તથા એમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘અંતરનું એકાંત’ (૨૯૧૭) પ્રાપ્ત થયા છે.‘ગોકુળમાં કોક વાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો’
‘રોઈ રોઈ આંસુની ઊમટે નદી
તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો!’
‘એક વાર યમુનામાં આવ્યું’તું પૂર!
મથુરાથી એક વાર માથે મૂકીને કો’ક
લાવ્યું’તું વાંસળીના સૂર...
... ...
‘કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની,
વૅણ એક વાંસળીનાં વૅણ!
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપિચ્છ
નૅણ એક રાધાનાં નૅણ!’
‘ભીતર વાગે વાંસલડી ને
હવે બ્હાર ક્યાં ભમીએ...’
આમ અમસ્તા બેઠા હો ત્યાં –
અનહદ આરત કોણ જગાવે!’
સતત અચરજ અનુભવતા આ કવિ અનહદના એકાન્ત સુધીનો અર્થ તાગવા મથતા રહ્યા છે.
કૃષ્ણવિષયક મધમીઠાં ગીતો સિવાય પણ એમનાં કેટલાંક કાવ્યો લોકહૈયે વસી ગયાં છે. માધવની ઓળખ સમાં કેટલાંક કાવ્યોની થોડી પંક્તિઓ જોઈએ –હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ...
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ...
આપણે તો ભૈ રમતારામ!
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ...
સૈયર, તારા કિયા છૂંદણે
મોહ્યો તારે છેલ, કહે ને!
ડૂંડે બેઠા છે રૂડા દાણા પટલાણી,
ઑણ દીકરીનાં કરી દઈં આણાં...
એક એવું ઘર મળે આ વિશ્વમાં —
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!
એમનું મુક્તક – ‘એક ક્ષણ’ –
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો —
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં...
</poem> ઈંઢોણીના મોર સૂંઘતાં વેણી કેરાં ફૂલ. થનગને પાની સાથે પંથ; </poem>
કૃષિજીવનના ધબકાર રજૂ કરનાર આધુનિક કવિ રાવજી પટેલ યાદ આવે એવી પંક્તિઓ –
લહલહતા ડૂંડે ખેતરનો હરખ ફૂટતો દેખું.
‘અમે તમારા ખેતર ફરતા શેઢા,
અમને વીંટળાઈ ઊગ્યું છે ખેતર;
ખેતર ભર્યા સમંદર,
— ખેતર મબલક મૉલ તમારા,
શેઢે લીલીસૂકી વાડ,
વાડનું છીંડું ઠેલી
રાતવરત આવો,
તો અમને મળજો!’
‘બધાં જેવું મારે પણ ઘર હતું... આંગણ મહીં
પરોઢે આવીને કલરવ જતો પાડી પગલાં.
ગમાણે બાંધેલી ખણકી ઊઠતી સાંકળ અને
ઉલાળેલા શિંગે થનથન થતી સીમ, ઉંબરે.’
શિખરિણી પાસેથીય કવિએ સહજ-સુંદર કામ લીધું –
‘ઘરે આવો પાછા, સમજણ લઈને સફરની.’
ભીંત્યું ચીતરી ને એમાં પૂર્યા ઉજાગરાના
સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડાંમાં છલકાવ્યો
ધગધગતો તરસ્યો ઉમંગ!
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને
હાલરડે આળેખ્યાં પારણાં!
— પછી પગલાંમાં ચીતર્યાં સંભારણાં...
મૂળ તો ભીનું ભીનું ખસે
પાણી પવન અને મન જેવું
એ ધસમસ ના ધસે...
શબદમેં જીનકું ખબરાં પડીં
ક્યા પાટી ક્યા પેન અરે!
ક્યા ઘૂંટે બારાખડી —
શબદમેં જીનકું ખબરાં પડી...
પાંદડાના મનમાં તો એવુંયે થાય છે કે
પીંછાની જેમ ખરી પડીએ,
લહેરાતાં લહેરાતાં ઊતરીએ નીચે ને
ધરતીને ધીમેથી અડીએ...
વસ્ત્ર-આભૂષણ ત્યજી, વલ્કલ સજી
વનની વિકટ વાટે વળ્યા
ત્યારે ફરકતું સ્મિત મુખ પર
આપના એ પરમ પાવન સ્મિતનો
બસ એક આછો સ્પર્શ આપો –
તો કશું છોડી નીકળતાં
જે થવાનું દુઃખ
એને આવરણ એનું જ દઈએ...
તા. ૧૭-૦૬-૨૦૨૨ – યોગેશ જોષી