કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/કવિ અને કવિતાઃ મકરન્દ દવે

From Ekatra Wiki
Revision as of 11:01, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ મકરન્દ દવે|}} {{Poem2Open}} <center>૧</center> ‘સાંઈ’ અલગારી કવિ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિશ્રી મકરન્દ દવેનો જન્મ ૧૩ નવેમ્બર, ૧૯૨૨ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં. માતા જીવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિ અને કવિતાઃ મકરન્દ દવે


‘સાંઈ’ અલગારી કવિ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિશ્રી મકરન્દ દવેનો જન્મ ૧૩ નવેમ્બર, ૧૯૨૨ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં. માતા જીવીબા. પિતા વજેશંકર દવે શાળામાં શિક્ષક હતા. બાળક બાબુ (મકરન્દ દવે)એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં લીધું. મૅટ્રિક થયા પછી તેઓ વધુ અભ્યાસ માટે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં જોડાયા. મોટાભાઈ મનુભાઈ પણ ત્યાં જ ભણતા. ગાંધીજીથી પ્રભાવિત થઈ બંને ભાઈઓ ૧૯૪૨માં આઝાદીની ચળવળમાં જોડાયા. ખાદી અપનાવી. લાઠી પણ ખાધી. દેશ માટે અભ્યાસ છોડ્યો. પરંતુ સ્વાધ્યાયરૂપે તેમનો અભ્યાસ ચાલુ રહેલો. સ્વ-અધ્યયન અને વાચનથી તેઓ શિક્ષણ મેળવતા રહેલા. ૧૯૪૩થી તેઓ ‘કુમાર’માં જોડાયેલા. ‘ઊર્મિનવરચના’ માસિક અને ‘જયહિંદ’ દૈનિક દ્વારા પત્રકારત્વ સાથે પણ જોડાયેલા. ૧૯૬૮માં કુંદનિકાબહેન સાથે લગ્ન. ૧૯૭૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૯૭માં ગુજરાત સાહિત્ય અકાદેમીનો ગૌરવ પુરસ્કાર અને ૨૦૦૨માં નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનિત. ૧૯૮૪માં તેમણે નવતર જીવનશૈલીને અનુસરતી નંદિગ્રામ નામની સામાજિક સંસ્થાની સ્થાપના કરી. જે વલસાડ જિલ્લાના વાંકલ ગામે, ધરમપુર જવાના રસ્તા પર આવેલી છે. આ અલખના આરાધક પરમશાંતિની શોધમાં ૩૧ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ નંદિગ્રામની માટીની મહેકમાં ભળી ગયા. કવિશ્રી મકરન્દ દવે પાસેથી ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮), ‘હવાબારી’ (૧૯૯૩), ‘ઉજાગરી’ (૧૯૯૩), અમેરિકાનો ચિરંતન ચહેરો (૧૯૯૯) વગેરે કાવ્યસંગ્રહો મળ્યા છે. તો ‘ઝબૂક વીજળી ઝબૂક’ ભાગ ૧-૨ અને ‘આપણી ટોળી’ તેમના બાળકાવ્યોના સંગ્રહો છે.

‘સર્જકની આંતરકથા’માં આ કવિ લખે છે – ‘– માનાં હાલરડાં સાંભળતા ઊંઘી જતો હોઈશ ને પ્રભાતિયાં સાથે જાગતો હોઈશ ત્યારે શબ્દ અને સ્વર બંને મને પાંખો આપતા હશે.’ તેમનો પરિવાર સાહિત્યપ્રેમી. પરિવારના સભ્યો અગાસીમાં બેસે. કોઈ એક વ્યક્તિ કાવ્યપંક્તિ બોલે, બીજું તેની પૂર્તિ કરે. એ રીતે તેમનામાં કવિતાનાં બીજ રોપાયેલાં. એ ઉપરાંત બાળપણમાં સાંભળેલાં લોકગીતો, પદો, ભજનોએ તેમના કાવ્યપિંડને પોષ્યો. તેઓ લખે છે – ‘જે લોકગીતો, પદો, ભજનો સાંભળવા મળ્યાં તેણે શબ્દને – લયને પારણે ઝુલાવવા માંડ્યો. કવિતા પ્રાણનો કબજો લઈ બેઠી.’ મકરન્દ દવેને વાચનનો ખૂબ શોખ. તેમને ગોંડલમાં સમૃદ્ધ પુસ્તકાલયનો લાભ મળેલો. હાઈસ્કૂલમાં અંગ્રેજી શીખેલા. તેમના અંગ્રેજીના શિક્ષક દલસુખભાઈના કાવ્યપઠનની ઊંડી અસર, તેમજ તેમની કાવ્ય સમજાવવાની શક્તિએ પણ તેમની કવિત્વશક્તિને ખીલવી. તેઓ લખે છે – ‘કીટ્સનું ‘લા બેલ દામ, સાં મર્સી’ તો હજુયે કાનમાં ગુંજે છે. ટેનિસનનું ‘સનસેટ ઍન્ડ ઇવનિંગ સ્ટાર’વાળું કાવ્ય તો ભણતાં-ભણતાં જ અનુવાદિત થઈ ગયું.’ આ ઉપરાંત દેશળજી પરમારને ત્યાં આવતા ‘પોએટ્રી’ અને ‘અમેરિકન પોએટ્રી રિવ્યૂ’ના અંકો તેઓ વાંચતા. આમ આ બધાં પરિબળોએ તેમને કવિતાની કેડીએ ચડાવેલા. કાવ્યયાત્રા સાથે સાથે તેમની અધ્યાત્મયાત્રા પણ શરૂ થયેલી. તેમને નાથાલાલ જોશીનો પરિચય થાય છે ત્યારે તેઓ લખે છે – ‘જાણે છેક કૈલાસશિખર સુધી ગગનપથે જતા હંસનો સંગાથ થયો.’ આ ઉપરાંત બૌદ્ધ સિદ્ધો, યૌગીઓ, નરસિંહ મહેતા, તુલસીદાસ, કબીર અને રવિસાહેબ જેવા સંત કવિઓએ પણ તેમને આકર્ષ્યા છે. સ્પેનના સંતકવિ સેઈન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસનાં કાવ્યો વાંચતાં તેમનું મન ‘શિખરો પર તરતું’ થઈ જતું. તેમના અંગ્રેજી અનુવાદો પરથી તેમણે ચારેક કાવ્યોના અનુવાદો પણ કર્યા. તેમણે સૌંદર્યના કવિ કીટ્સ અને શેલી જેવા વિશ્વના કવિઓને વાંચ્યા, પચાવ્યાં. તો પશ્ચિમના ચિંતકો – રૂથ બેનેડિક્ટ, અબ્રાહમ માસ્લો, આર્નોલ્ડ ટોયન્બી જેવા ચિંતકોનો ય અભ્યાસ કર્યો. તેઓ ઉર્દૂ ભાષા શીખેલા. તેમણે મિર્ઝા ગાલિબ, મીર તકી મીર અને અસગર ગોંડવી જેવાં ગઝલકારોને પણ વાંચેલા. તો અમૃત ‘ઘાયલ’ અને મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ સાથે તેઓ ગઝલની ય નજીક આવ્યા. તેઓ બંગાળી ભાષા પણ શીખેલા. તેમના ઘરના આંગણામાં રસિકજનો સાથે મળી રવીન્દ્રનાથના ‘બલાકા’નું વાચન કરતા. આમ ટાગોર અને મહર્ષિ અરવિંદની વિચારધારા પણ તેમના કાવ્યસર્જનના મૂળમાં છે, તો તેમની યોગસાધનાનું બળ પણ તેમની કવિતાની ભોંયમાં છે.

‘ગમતાંનો ગુલાલ કરનાર’ આ કવિ, સંતોની ભજન-પરંપરાના અલગારી કવિ છે. આ કવિનો કાવ્યવિશેષ – પ્રકૃતિસૌંદર્ય, ભક્તિરસ, લોકસાહિત્યના સંસ્કારો સાથે સહજ સંવેદન, સોરઠી-વાણીની તળપદી મહેક, ગઝલનો મિજાજ, પરિવ્રાજકની સાધના, આધ્યાત્મિક ચિંતન છે. તેમની પાસેથી ગીતો, ભજનો, ગઝલો, સૉનેટ, મુક્તકો, છંદોબદ્ધ રચનાઓ મળી છે. તેમનો વિશેષ ઉન્મેષ ગીતોમાં પ્રગટ થાય છે. તેમનાં કાવ્યોમાં શબ્દોની ગહનતા, મૌનનો મર્મ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. ‘સૌંદર્યનું ગાણું’ રચનામાં કવિ અનેક મુશ્કેલીઓમાં, વેદનાની ઝાળમાં ચારેબાજુ બધું ખતમ થઈ જાય, વિરૂપ થઈ જાય તોય શ્રદ્ધા અને વિશ્વાસ નહીં છોડવાનો અને સૌંદર્યનું ગાણું ગાવાનો સંદેશ આપે છે. સ્વપ્નના મિનારાઓ પર વજ્રના પ્રહારો થાય, સંહારો થાય, ઉપહાસની આંધી ઊઠે તોપણ પ્રેમથી માંગલ્યના સૂર રેલાવાનું કહે છેઃ


આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો!
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો!
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

વિશિષ્ટ લય-હિલ્લોળ સાથે રચાયેલી કાવ્યરચના ‘બાંકી રેખ’માં કવિએ બીજના ચંદ્રનું – આથમણા અંધારામાં આવીને થોડી ક્ષણોમાં ચાલી જતી બીજરેખાનું સુરેખ વર્ણન કર્યું છે. કવિની કલ્પના અને કવિનું આશ્ચર્ય જુઓઃ

આવડા મોટા આભમાં નાની
'હોડલી આવી હોય તૂફાની?
'કોણ રે એનો કોણ સુકાની?

આકાશ જાણે સાગર અને બીજરેખા એ તો હોડી – સોનાની હોડી! પરંતુ તેનો સુકાની કોણ છે, એ કવિનું કુતૂહલ છે. એ પ્રવાસી કોણ છે જે મનની મીઠી મહેક રેલાવી, પ્રીતના સૂરે બાંધીને ચાલી જાય છે, હૈયામાં સ્નેહની રેખા અંકાઈ જાય છે. વિરહ સાલે છે, આંખડી ઝરે છે ને ઉરનો અભિષેક થાય છે. આમ થોડીક ક્ષણોમાં જ આવીને ચાલી જનાર બીજરેખા કવિના હૈયામાં અનેક સંવેદનો ઝંકૃત કરતી જાય છે. આ કવિનાં ગીતોમાં સહજતા, સરળતા અને ભાવવાહિતા ધ્યાનપાત્ર છે. પ્રકૃતિના આલંબન સાથે સંવેદનો નિખરે છે. તેમનું ખૂબ જાણીતું ગીતઃ