કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી

From Ekatra Wiki
Revision as of 09:28, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી| }} {{Poem2Open}} <center>૧</center> ગુજરાતના સત્ત્વશીલ ગઝલકાર ‘શૂન્ય’ પાલનપુરીનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુરમાં. વતન પાલનપુર. મૂળ નામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી


ગુજરાતના સત્ત્વશીલ ગઝલકાર ‘શૂન્ય’ પાલનપુરીનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુરમાં. વતન પાલનપુર. મૂળ નામ અલીખાન બલુચ. પિતા ઉસ્માનખાન બલુચ. ઘોડાના સોદાગર હતા. માતા નનીબીબી બલુચ. ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાના જ્ઞાતા. પુત્ર અલીખાનને તેમણે ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાઓ શીખવેલી. પત્ની ઝુબેદાબીબી બલુચ. ચારેક વર્ષની વયે અલીખાને પિતાની છત્રછાયા ગુમાવેલી. એ પછી માતા સાથે મામાને ત્યાં પાલનપુર આવીને વસ્યા. સ્વમાની માતાએ કપડાં સીવીને, બીડીઓ વાળીને બાળકને મોટાં કર્યાં. પાલનપુરના પાધરિયા વાસમાં અલીખાનનો ઉછેર. કિશોરાવસ્થામાં તેઓ પાનનો કરંડિયો લઈને ઘેરઘેર પાન વેચીને માતાને મદદરૂપ થતા. માધ્યમિક શિક્ષણ પાલનપુરમાં. તેમને ક્રિકેટનો ખૂબ શોખ હતો. તેમણે પાલનપુરી પ્રિન્સ ઇલેવનમાં અગિયાર વર્ષ સુધી વિકેટકીપિંગ પણ કરેલું. મૉડર્ન ક્રિકેટ ક્લબની સ્થાપના પછી તેઓ ચાર વર્ષ સુધી સુકાનીપદે રહેલા. ક્રિકેટને કારણે તેઓ નાનપણથી જ પાલનપુરના નવાબજાદા મહંમદ ખાનજીના સંપર્કમાં હતા. મૅટ્રિક થયા એ પછી પાંચ વર્ષે તેમને ઉચ્ચ અભ્યાસ કરવાની લગની લાગી. પાલનપુરના નવાબજાદાની ભલામણથી પાજોદના દરબાર ઈમામુદ્દીનખાન રુસ્વા મઝલુમીએ અલીખાનને જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં પ્રવેશ અપાવ્યો. પરંતુ તેઓ અભ્યાસ પૂરો ન કરી શક્યા. ૧૯૪૫થી તેમણે પાલનપુરની શ્રી અમીરબાઈ મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે સત્તર વર્ષ સેવાઓ આપી. ત્યાંથી પાલનપુરના નવાબજાદા સાહેબે તેમને પોતાના અંગત મદદનીશ તરીકે બોલાવી લીધેલા. નોકરી છૂટી જતાં તેઓ ખૂબ હાડમારીભર્યું જીવન જીવ્યા. ૧૯૫૭-’૬૦ દરમિયાન તેમણે અમદાવાદમાં વસવાટ કરેલો. તેઓ વટવામાં રહેલા. એ પછી તેમણે મુંબઈમાં ‘પ્રજાતંત્ર’ દૈનિકના તંત્રીવિભાગમાં કાર્ય કર્યું. ૧૯૬૨થી ‘મુંબઈ સમાચાર’ના તંત્રી વિભાગમાં જીવનના અંત સુધી જોડાયેલા રહ્યા. ૧૭ માર્ચ ૧૯૮૯ના રોજ પાલનપુરમાં નવશહીદોના કબ્રસ્તાન-(ઈદગાહ)માં દફન થયા. ‘શૂન્ય’ પાલનપુરી પાસેથી ૧૯૫૨માં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂન્યનું સર્જન’ મળ્યો. ત્યારબાદ ‘શૂન્યનું વિસર્જન’ (૧૯૫૬), ‘શૂન્યના અવશેષ’ (૧૯૬૪), ‘શૂન્યનું સ્મારક’ (૧૯૭૪), ‘શૂન્યની સ્મૃતિ’ (૧૯૮૩) વગેરે સંગ્રહો મળ્યા છે. એમના બધા જ સંગ્રહોનો સમાવેશ કરતો ગ્રંથ ‘શૂન્યનો વૈભવ’ (૧૯૯૧) પ્રગટ થયો. ‘શૂન્ય’ના સમગ્ર સર્જનને આવરી લેતી સંવર્ધિત આવૃત્તિ ૨૦૧૦માં ‘શૂન્યની સૃષ્ટિ’ નામે પ્રગટ થઈ છે. આ ઉપરાંત ‘દાસ્તાને જિંદગી’ એ તેમની ઉર્દૂ રચનાઓ છે. ‘ખૈયામ’ એ ખૈયામની ૧૫૬ રૂબાઈઓનો ગુજરાતી અનુવાદ છે, જેને તેમનું અનુસર્જન કહી શકીએ તેવો ગઝલકાર-સર્જકે કરેલો સુંદર અનુવાદ છે. તેમની પાસેથી ‘અરૂઝ’ (૧૯૬૮) મળે છે, જેમાં શેરની શાસ્ત્રીય ચર્ચા છે. જે અભ્યાસીઓને ઉપયોગી છે.

‘શૂન્ય’ પાલનપુરીએ ‘અંગત’ શીર્ષક હેઠળ ‘શૂન્યનું સ્મારક’ના નિવેદનમાં જણાવ્યું છે કે તેમને નાનપણથી કવિતા લખવાનો શોખ હતો. તેઓ અંગ્રેજી ત્રીજા ધોરણમાં હતા ત્યારે અંગ્રેજી કવિતાઓ લખતા. જોકે એ માત્ર જોડકણાં હતાં. સ્કૉટ અને ટેનીસન તેમના પ્રિય કવિઓ હતા. પરંતુ ગ્રેની ઈલેજીએ તેમનામાં મહત્ત્વાકાંક્ષાનાં બીજ રોપેલાં. બાલ્યાવસ્થામાં પિતાનું અવસાન થતાં જીવનમાં અનેક યાતનાઓ શરૂ થયેલી. બાળપણ છીનવાઈ ગયેલું. એ સમય દરમિયાન અલીખાન બલુચના કાને ગાલિબનો શેર પડે છેઃ


‘જિંદગી અપની જબ ઇસ તૌરસે ગુજરી ગાલિબ
'હમ ભી ક્યા યાદ કરેંગે કે ખુદા રખતે થે.’

આ સાંભળતાં જ આ કવિને ઉર્દૂ ગઝલનો માર્ગ મળી ગયો. અંગ્રેજી કાવ્યોના વાચનને બદલે ઉર્દૂ ગઝલોનું વાચન શરૂ થયું. અચાનક કવિને ગઝલની સરવાણી ફૂટીઃ


‘હમસે જબ ઇન્તકામ લેતે હૈં
અપના દિલ થામ થામ લેતે હૈં
ખેલનેકી જો દિલમેં આતી હૈં
મેરી હસ્તીસે કામ લેતે હૈં
હમને મહેમાં બગૈર પી હી નહીં
ગમ જો આયા તો જામ લેતે હૈં’

૧૯૩૭-’૩૮માં તેમણે ‘રૂમાની’ તખલ્લુસથી ગઝલો લખવાની શરૂ કરી. એ પછી તેમણે ‘અઝલ’ તખલ્લુસ ધારણ કર્યું. આમ સોળ વર્ષની વયે સૌને આશ્ચર્યચકિત કરી દે એવી શુદ્ધ ઉર્દૂ ગઝલોનું સર્જન શરૂ થયેલું. પાલનપુરના નવાબજાદા સાહેબને ઇચ્છા હતી કે પાલનપુરનું નામ દુનિયામાં ગાજતું થાય. તેમની આ વ્યથા અને કવિના ‘કૈંક થવાના કોડ’ને કારણે તેમણે પોતાના ઉપનામ પાછળ ‘પાલનપુરી’ શબ્દ જોડ્યો. બાળક અલીખાનને માતા અને મોસાળના પરિવારમાંથી સંગીતમય વાતાવરણ મળેલું. મુસાફિર પાલનપુરીએ નોંધ્યું છે, તેમ ‘શૂન્ય’ પાલનપુરીનાં જીવનઘડતર અને સફળતાના પાયામાં તેમની માતાનો ફાળો અગ્રિમ સ્થાને છે. એ સાથે કવિને સતત પ્રાપ્ત થયેલ નવાબી વાતાવરણે તેમના કવિ-જીવનના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમને એ માહોલમાં અનેક મહાનુભાવોનો પરિચય થતો રહ્યો. જૂનાગઢમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે ત્યાં ઉર્દૂ શાયરીની બોલબાલા હતી. ત્યાં સતત મુશાયરાઓ થતા. એક વાર પાજોદના દરબાર રુસ્વા મઝલુમી તેમને મુશાયરામાં લઈ ગયા. તેમનો પરિચય કરાવ્યો. ગઝલ સંભળાવવા ફરમાન કર્યું. ત્યારે તેમણે...