કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૨. સખિ! જો –

Revision as of 02:17, 13 June 2023 by Meghdhanu (talk | contribs) ({{SetTitle}})
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨. સખિ! જો –
(વિયોગિની)

સખિ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે!
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે!
ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો!
જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને!
પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે!
સખિ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી!

(શેષનાં કાવ્યો, ૧૯૩૮, પૃ. ૩)