એકોત્તરશતી/૪૪. ત્રાણ

From Ekatra Wiki
Revision as of 02:21, 17 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ત્રાણ


હે મંગલમય, આ દુર્ભાગી દેશમાંથી તું બધા તુચ્છ ભયને દૂર કરી દે— લોકભય, રાજભય અને મૃત્યુભય. દીનપ્રાણ દુર્બળનો એ પાષાણભાર, સતત કચડાતા રહેવાની એ વેદના, ધૂળમાં એ સદાની અવનતિ, ક્ષણે ક્ષણે ને પલે પલે એ આત્મ-અવમાન, અંદરનું અને બહારનું એ દાસત્વનું દોરડું, ત્રાસ (ભય)થી શિર નમાવીને હજારોને ચરણે વારંવાર મનુષ્યના ગૌરવના ગર્વનો હંમેશને માટે ત્યાગ—એ મોટા લજ્જારાશિને ચરણના આઘાતથી ચૂર્ણ કરી દૂર કર. મંગલપ્રભાતે અનંત આકાશમાં, ઉદાર પ્રકાશમાં, ઉન્મુક્ત વાયુમાં માથું ઊંચુ કરવા દે. જૂન-જુલાઈ, ૧૯૦૧ ‘નૈવેધ’

(અનુ. નગીનદાસ પારેખ)