પ્રતિસાદ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 14:02, 19 September 2023 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કૃતિ-પરિચય

‘પ્રતિસાદ’(૧૯૯૮)માં ૧૯૯૨થી ૧૯૯૮ સુધીમાં ‘ફાર્બસ ત્રૈમાસિક’માં લખાયેલા સંપાદકીય લેખો છે. એ લેખોનું વિચાર-વિશ્વ ઘણું વ્યાપક છે. પુસ્તકમાંના લેખો મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચાયેલા છે. પહેલો વિભાગ વિજ્ઞાન અને માનવતાવાદને, આઇન્સ્ટાઇન જેવાની વિચારણાને પ્રતીતિકર વિશ્લેષણથી રજૂ કરે છે. બીજો વિભાગ વ્યાપક રીતે પુરાકથાશાસ્ત્ર, અસ્તિત્વની ભંગુરતા તથા કિર્કેગાર્દ, ફ્રોઈડ, નિરદ ચૌધરી, ગાંધીજી જેવા માનવતાવાદી વિચારકો તથા આધુનિક ચિંતકો વિશેના છે. એમાંના બે કંઈક વિશેષ ધ્યાન ખેંચનારા છે : ‘ગાંધીજી પ્રાગ્-આધુનિક, આધુનિક કે અનુઆધુનિક?’ તથા ‘શબ્દની તાકાત અને સત્તાધીશો’. ત્રીજો વિભાગ સ્ત્રી અને આધુનિક ચેતના વિશેના ત્રણ લેખોને આવરે છે ને મંજુ ઝવેરીની લાક્ષણિક વિચારણાને રજૂ કરે છે. ચોથા વિભાગમાં કેટલાંક પુસ્તકો વિશે સમીક્ષાત્મક વિચારણા છે. દર્શકનું ‘સદ્ભિ: સંગ:’; કાન્તિ શાહની ‘એકત્વની આરાધના’ નામની જીવનકથા; ઇકબાલ સિંહનું પુસ્તક ‘ગૌતમ બુદ્ધ’, દેવાંગના દેસાઈનો ખજુરાહો પરનો ગ્રંથ ‘The Religious Imagery of Khajuraho’ અને સુમિત્રા કુલકર્ણીનું ગાંધીજીવનને આલેખતું ‘અણમોલ વિરાસત’—એ પુસ્તકોની પૂરો પરિચય આપતી છતાં વિમર્શલક્ષી સમીક્ષાઓ આ વિભાગમાં છે. મંજુબહેનના આ પુસ્તકની મુખ્ય વિશેષતા એની વિશદ અને સ્પષ્ટ રજુઆત છે. ઘણા ઊંડા અભ્યાસમાં લઈ જતા આ વિચારણીય લેખો ક્યાંય અટપટા કે ધૂંધળા બન્યા નથી, મુદ્દાસરના અને કુંઠા વિનાની મુક્ત વિચારણા આપનાર બન્યા છે. એથી, એનું વાચન રસપ્રદ અને વિચારપોષક બને એવું છે. તો પ્રવેશીએ —

— રમણ સોની