સંવાદસંપદા/રાજ ગોસ્વામી

From Ekatra Wiki
Revision as of 16:45, 11 October 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાજ ગોસ્વામી સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS Raj Goswami.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી - ૧




વાર્તાલાપની શ્રાવ્ય કડી - ૨


મારું નામ રાજેન્દ્ર જશવંતભાઈ ગોસ્વામી. ઉમાશંકર જોશી ‘ઉ.જો.’ લખે, લાભશંકર ઠાકર ‘લા.ઠા’ લખે, સુરેશ જોશી ‘સુ.જો.’ લખે. એના ચાળે ચઢીને રાજેન્દ્રમાંથી ‘રા’ અને જશવંતમાંથી ‘જ’ને જોડીને ‘રાજ’ બનાવેલું. ઉપરાંત, રાજ કપૂર, રાજ કુમાર, રાજ બબ્બરનાં નામોનો પણ વહેમ. આણંદ નજીક ગોપાલપુરા નામના નાનકડા ગામમાં ૨૫ જુન ૧૯૬૩ના રોજ જન્મ થયેલો. ફાટેલાં કપડાં અને ચપ્પલ સાંધીને વર્ષ ચલાવવાં પડે તેવી ગરીબી. એ સામાજિક લઘુતાગ્રંથિમાંથી ઉભરવાનો રસ્તો જ્ઞાનમાં દેખાયો હતો. ગામની આખી લાઈબ્રેરી વાંચી નાખી હતી. એ પછી કોલેજની, મ્યુનિસિપાલિટીની અને ગામની એમ ત્રણ લાઈબ્રેરીઓનાં કાર્ડ મારી પાસે હતાં. એક જ સમયે હું ત્યારે ત્રણથી ચાર પુસ્તકો વાંચતો હતો. રદ્દીઓની દુકાનોમાં ફરતો. છ ધોરણ સુધી ગામમાં, સાતમું, આઠમું, નવમું અને દશમું બાજુમાં વડોદ ગામ છે ત્યાં કર્યું. અગિયારમુ અને બારમું આણંદની ડી. એન. હાઈસ્કૂલમાં. ‘આર્ટ્‌સમાં તો છોકરીઓ જાય’ એવું સાંભળી સાંભળીને ભૂલમાં આણંદની કોમર્સ કોલજમાં દાખલ થઈ ગયો, પણ ગણિત આવડે નહિ એટલે કવિતાઓ લખતો રહેતો એટલે પહેલાં જ વર્ષે નાપાસ. હિંમત કરીને વલ્લભ વિદ્યાનગરની નલિની એન્ડ અરવિંદ આર્ટસ કોલેજમાં નવેસરથી દાખલ થયો. ત્યાં અંગ્રેજીમાં ગ્રેજ્યુએટ થયો. દિલાવરસિંહ જાડેજા સાહેબ તેના પ્રિન્સિપાલ હતા. ત્યાં લખવા-વાંચવાની ટેવને મોકળું મેદાન મળ્યું. ભણવા કરતાં ઈતર પ્રવૃત્તિઓમાં વધુ રસ હતો. એ પછી શું થયું તેની વિગતો ઇન્ટરવ્યુમાં છે.

એક પુત્ર દેવ ગોસ્વામી છે, જે દિલ્હીમાં ઇન્ડિયા ટુડેના ડિજીટલ ન્યૂઝ પોર્ટલમાં સિનિયર આસિસ્ટન્ટ એડિટર છે. પત્નીનું નામ ઉલ્કા ગોસ્વામી છે. - રાજ ગોસ્વામી


પ્રશ્ન: રાજભાઈ, આપણે ચર્ચાની શરૂઆત પત્રકારત્વની તમારી યાત્રાથી કરીએ. તમારી આ યાત્રાના મુકામ તમારી દૃષ્ટિએ કયા, અને તમારી આ યાત્રા દરમ્યાન તમે અખબારી પત્રકારત્વને કઈ રીત બદલાતું જોયું, એની વાત પણ કરો. જરૂર. તમારો આ પ્રશ્ન બે ભાગમાં છે. પહેલો ભાગ મારી કારકિર્દીને લઈને છે, અને બીજો ભાગ પત્રકારત્વનું જે સ્વરૂપ છે એને લઈને છે. મને લખવા-વાંચવાનો શોખ નાનપણથી જ ખરો. મારી કારકિર્દી શરૂઆત થઇ હું જયારે કૉલેજમાં ભણતો હતો ત્યારે. વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સીટીની આર્ટસ કૉલેજમાં હું જ્યારે પહેલા વર્ષમાં હતો ત્યારે કૉલેજમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતો અને યુનિવર્સિટીનું સામાયિક હતું એમાં અવારનવાર લખવાનું પણ થાય. નાની-મોટી સ્પર્ધાઓમાં ભાગ લઉં એટલે મિત્રોને અને પ્રોફેસરોને એટલી ખબર કે હું લખું છું અને વાંચું પણ છું. એ દરમ્યાનમાં આણંદમાંથી ‘નયા પડકાર’ નામનું એક દૈનિક શરૂ થયેલું, અત્યારે પણ છે. ચરોતરના સૌથી મોટા સમાજવાદી નેતા ચીમનભાઈ પટેલ, એમણે એ અખબાર શરૂ કર્યું. એમાં એક અનુવાદકની જરૂર હતી, જે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી શકે. ગુજરાતી પત્રકારત્વની એક અગત્યની વાત એ છે અને અંગ્રેજી પત્રકારત્વથી એ જુદું એટલા માટે પડે છે કે આપણે ત્યાં અનુવાદનું મહત્વ ખૂબ છે, કારણકે દૂનિયાની ઘણી બધી માહિતી અંગ્રેજીમાં હોય છે. એટલે ગુજરાતી પત્રકારની જો કોઈ પહેલી લાયકાત હોય તો એ અનુવાદની છે. એટલે મને એક પ્રોફેસરે કહ્યું કે તારી ઇચ્છા હોય તો અનુવાદ કરવા આવ. એ મને ગમતી પ્રવૃત્તિ હતી એટલે બીજા વર્ષમાં હતો ત્યારે હું ‘નયા પડકાર’માં જોડાયેલો.

ત્યાં દિગંતભાઈ ઓઝા મારા પહેલા એડિટર હતા, એમને હું ત્યારથી ઓળખું. દિગંતભાઈએ મને લખતો કર્યો એવું કહી શકાય. પરિવાર સાથે હું ફરવા દિલ્હી ગયો હતો, તો ત્યાં સાંસદ અમિતાભ બચ્ચનને મળવા ગયો પણ કોઈક મિટિંગના કારણ મળવાનું ન થયું. પાછો આવ્યો ત્યારે દિગંતભાઈએ મારી પાસે એ લખાવ્યું હતું. મારી એક અઠવાડિક કોલમ પણ દિગંતભાઈએ શરૂ કરેલી. એટલે પત્રકારત્વમાં એ મારા પહેલા ગુરુ હતા. અને બીજા ગુરુ વજ્ર માતરી હતા, જે આપણા મોટા ગઝલકાર જલન માતરીના ભાઈ થાય. એ પણ સારા કવિ હતા અને બીજા એડિટર તરીકે આણંદ આવેલા. પછી વજ્રભાઈ ‘નયા પડકાર’ છોડીને મુંબઈમાં ‘ગુજરાત સમાચાર’માં જોડાયા અને ત્યાંથી એમણે મને મુંબઈ બોલાવ્યો. ભારતના કોઈપણ ગામડાનાં છોકરાને મુંબઈ જવાનો શોખ હોય. મને પણ હતો. એટલે મારી બીજી નોકરી એમણે મને આપી. પૈસા ઓછા હતા, નાની નોકરી હતી, પણ હું ૧૯૮૬માં ત્યાં ગયો.

ત્યાં મારા કામની વિધિવત શરૂઆત થઈ એમ કહેવાય. અને પછી તો કામ કામને શીખવે એમ ચાલ્યું. અનુવાદનું કામ, બીજાં પણ ઘણાં કામો હતાં. એ બધું હું શીખતો ગયો, મને જેમ હથોટી આવતી ગઈ એમ હું આગળ વધતો ગયો અને છેક ૨૦૦૩ સુધી હું ત્યાં ‘ગુજરાત સમાચાર’માં હતો. હું ‘ગુજરાત સમાચાર’ મુંબઈમાં એડિટર પણ બન્યો. એ વચ્ચે બે-ત્રણ વર્ષનો મારો કાર્યકાળ વડોદરામાં ‘ગુજરાત સમાચાર’માં પણ ખરો. ૨૦૦૩માં અમદાવાદમાં ‘દિવ્યભાસ્કર’ શરૂ થયું અને એમણે મને આમંત્રણ આપ્યું, એટલે હું ત્યાં જોડાયો. પછી વડોદરામાં ‘દિવ્યભાસ્કર’ ના એડિટર તરીકે હું આવ્યો અને પછી પાછો અમદાવાદમાં ‘સંદેશ’ના આમંત્રણથી હું ત્યાં એડિટર તરીકે ગયો. એમ કરતાં કરતાં ત્રીસેક વર્ષનો ગાળો થયો. મારે ક્રીએટીવ લખવું હતું એટલે મેં સક્રિય પત્રકારત્વમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને સંપૂર્ણપણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે હવે હું ઘરે બેસીને લખું છું અને વિવિધ અખબારોમાં મારી કોલમો ચાલે છે. અનુવાદ મારો પહેલો પ્રેમ અને હવે ફરી હું એ જ કરી રહ્યો છું અને બીજાં પણ મૌલિક પુસ્તકો પર કામ ચાલે છે.

પ્રશ્ન: હવે મારા પ્રશ્નના બીજા ભાગ પર આવીએ- જે ત્રીસ વર્ષના ગાળાની વાત તમે કરી એ દરમ્યાન તમે પત્રકારત્વમાં પરિવર્તનો જોયાં. પત્રકારત્વ કઈ રીતે બદલાયું? ભારતના બીજા પ્રદેશોનું અથવા તો જે અંગ્રેજી પત્રકારત્વથી આપણે પરિચિત છીએ, એ બૌદ્ધિક અને લોકશાહીના કેટલાક સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. એમાં ખાસ્સું એવું વૈચારિક અને સૈદ્ધાંતિક તત્ત્વ હોય છે. એની સરખામણીમાં, સ્વતંત્રતાનો જે ગાળો હતો એ દરમ્યાન ગુજરાતી પત્રકારત્વ પાસે એક મિશન હતું, એક સામાજિક નિસ્બત હતી. એટલે ગુજરાતમાં ફૂલછાબ, સુરતમાં ગુજરાતમિત્ર, મુંબઈમાં મુંબઈ સમાચાર કે જન્મભૂમિ-પ્રવાસી, કચ્છમાં કચ્છમિત્ર, અમદાવાદમાં જનસત્તા, જેવાં અખબારોઅલગ અલગ શહેરોમાં હતાં, એમની ભૂમિકા એવી હતી કે સ્વતંત્રતા ચળવળમાં એમણે રાષ્ટ્ર ઘડતરમાં અથવા સમાજ ઘડતરમાં યોગદાન આપવાનું છે એટલે એમની પાસે એક ચોક્કસ પ્રકારનો હેતુ હતો, એક દિશા હતી. ગુજરાતી પત્રકારત્વને સમજવા માટે તમારે ગુજરાતના સમાજને પણ સમજવો પડે. કારણ કે એ બે અલગ નથી. આપણે નેગેટીવ રીતે એવું કહીએ છીએ કે ગુજરાતી લોકો પૈસાને બહુ માને. ગુજરાતી પરિવારોમાં પૈસાનું મહત્ત્વ ખૂબ છે, આપણી ઓળખ મની-માઈન્ડેડ લોકો તરીકેની છે. હું આને નકારાત્મક મુદ્દો નથી ગણતો, પણ એ આપણી સંસ્કૃતિમાં છે. એટલે એ સાહસવૃત્તિ ગુજરાતમાં છે. એટલે એ બાબત પત્રકારત્વમાં પણ આવી. એને લીધે શું થયું કે સ્વતંત્રતાના સમય પછી તો આપણું પત્રકારત્વ મોટેભાગે આર્થિક પરિબળો દ્વારા સંચાલિત થયું, એમાં આર્થિક લાભાલાભથી ચાલતું પત્રકારત્વ છે. હું આને નકારાત્મક કે હકારાત્મકની દૃષ્ટિએ નથી મૂલાવતો, પણ આ હકીકત છે. એટલે એમાં વ્યવસાયિક હિતો ખૂબ આવ્યાં. એટલે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ જેવાં મોટાંમોટાં અખબારોએ આર્થિક રીતે દૃઢ થવા માટે અમુક પ્રકારના પત્રકારત્વનો અમલ કર્યો. જેમાં લોકોને મજા પડે, લોકોને મનોરંજન મળે, લોકોનો સમય પસાર થાય. આપણે જ્યારે પત્રકારત્વનો વિચાર કરીએ ત્યારે આપણા મનમાં એવો વિચાર હોય કે આ એક બહુ ઉમદા વ્યવસાય છે, એમાં ખૂબ આદર્શો હોય છે, ખૂબ સામાજિક નિસ્બત હોય છે, સમાજને બહેતર બનાવવા માટે પત્રકારત્વ કામ કરે છે. આ બધું ઘણે અંશે સાચું છે, પણ આપણા કિસ્સામાં-ગુજરાતમાં પત્રકારત્વ થોડું વ્યવસાયિક થયું, એટલે હું ગમે તેટલું સારું લખું પરંતુ લોકો જો એ ન વાંચવાના હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે સમાચારથી લઈને કોલમ લેખન સુધી લોકભોગ્ય લખાવું જોઈએ, લોકોને જે ગમે છે, એમને જે જોઈએ છે એ આપો. એ એક મોટું પરિબળ કામ કરતું હતું, કામ કરે છે અને મારા સમયમાં તો એ વધારે ને વધારે બળવત્તર થતું ગયું. એટલા માટે જ, બીજાં અખબારો જે ન કરી શક્યાં તે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશે’ કર્યું; ગુજરાતનાં પ્રમુખ શહેરોમાં સ્વતંત્ર આવૃત્તિઓ શરૂ કરી અને જીલ્લા પ્રમાણે પૂલ-આઉટ શરૂ કર્યાં. હિન્દીમાંથી આવેલા ‘દિવ્ય ભાસ્કર’ને પણ એ જ મોડેલ અનુસરવાની ફરજ પડી.

આજે તમે જુઓ તો ગુજરાતનાં જે મોટાં અખબારો છે એ આર્થિક રીતે ખૂબ સદ્ધર છે. ભારતમાં કોઈપણ પ્રદેશમાં જોઈએ તો મોટેભાગે બે અખબારો હોય, એ બે વચ્ચે સ્પર્ધા હોય. કોઈપણ બજારનો સહજ સ્વભાવ એવો છે કે એમાં બે વચ્ચે જ સ્પર્ધા હોય. પણ ગુજરાતમાં ત્રણ-ત્રણ ચાર-ચાર મોટાં અખબારો ચાલે છે કારણકે આપણે ત્યાં ખૂબ પૈસા છે. એવું કહેવાય છે કે બજારમાં કોઈ પણ નવી બ્રાંડ આવે તો એમના પ્લાનિંગમાં સૌથી મોટું પ્લાનિંગ ગુજરાતનું હોય છે કારણકે સૌથી વધુ પૈસા અહીંથી આવે છે. એટલે હું કહેવા એમ માંગુ છું કે આપણું પત્રકારત્વ હમેશાં માર્કેટ દ્વારા સંચાલિત અથવા વાચકો માટેનું રહ્યું છે. એટલે વાચકોને ગમે એવું આપીએ તો વધુ ને વધુ વાચકો આપણી પાસે આવે. દાખલા તરીકે તમે ગુજરાતનાં ત્રણ કે ચાર અખબારોની પૂર્તિ ઉપાડી લો અને તમે જો અખબારોનું નામ કાઢી નાંખો તો તમને ખબર ન પડે કે આ કયું અખબાર છે. કારણકે એના લેખો સરખા છે, એનાં લખાણો પણ સરખાં છે, એના વિષય પણ સરખા છે, એનો દેખાવ પણ સરખો છે. એટલે મેં એ આખો ગાળો જોયો કે જેમજેમ હું આમાં આગળ વધ્યો એમ એમ અખબારને આર્થિક રીતે સફળ બનાવવાનાં પરિબળો મજબૂત થતાં ગયાં. ગુજરાત કદાચ વધુ સુખી પ્રદેશ છે અને સુખી લોકોમાં જરા મનોરંજન વધારે હોય એવું હોઈ શકે એમ મને લાગે છે.

પ્રશ્ન: તમે તમારી પોતાની વાત કરી એમાં તમે કહ્યું કે તમે હવે સક્રિય પત્રકારત્વમાંથી નિવૃત્તિ લઈને લેખન તરફ વળ્યા છો, એનાથી મને ખુશવંત સિંઘનું એક વાક્ય યાદ આવ્યું. એમણે ‘ખુશવંત નામા’ પુસ્તકમાં પત્રકારત્વ ઉપરના પ્રકરણમાં કહ્યું છે કે ‘જર્નાલિઝમ ઈઝ લિટરેચર ઇન અ હરી’- પત્રકારત્વ એ ઉતાવળિયું સાહિત્ય છે. આપણા ગુજરાતમાં એવું વારંવાર જોવા મળે છે કે આપણે પત્રકારોને સાહિત્યકારોની પંગતે બેસાડી દેતા હોઈએ છીએ. આ સંબંધે તમારા વિચાર જાણવા છે. ખુશવંત સિંઘે જે વાત કરી હતી એ એક જુદી ભૂમિકા પરથી કરી હતી. તેઓ પોતે અંગ્રેજી પત્રકારત્વના એડિટર રહ્યા હતા, એમની પાસે પ્રાદેશિક ભાષાઓના પત્રકારત્વનો અનુભવ નહોતો. અંગ્રેજી પત્રકારત્વનું પોત જુદા પ્રકારનું છે. ઘણા બધા આદર્શો, મૂલ્યો, ઘણી બધી સૈદ્ધાંતિક વિચારધારા, પશ્ચિમના દેશોમાંથી આવેલી ઘણી બધી મુક્ત વિચારધારાની પરંપરાના એ ભાગ હતા. એટલે એમણે કહેલું કે અંગ્રેજી પત્રકારત્વ એ ઉતાવળે લખાયેલું સાહિત્ય છે તે એ અર્થમાં કે અંગ્રેજી પત્રકારત્વના સ્વરૂપમાં ભાષાનું મહત્વ, એમાં વાક્યરચનાનું મહત્ત્વ, એમાં શબ્દનું મહત્ત્વ, એમાં શૈલીનું મહત્ત્વ, એમાં વિષયનું મહત્ત્વ, એમાં જેને લીટરરી ફ્લેર કહેવાય એનું મહત્ત્વ છે. અખબાર સાત-આઠ કલાકમાં તૈયાર થતું હોય અને દરેક વસ્તુ ડેડલાઇન પ્રમાણે ચાલતી હોય, એટલે એ અર્થમાં એ ઉતાવળમાં લખાયેલું સાહિત્ય છે. ઘણા અંગ્રેજી પત્રકારો સારા સાહિત્યકારો રહ્યા છે, ખુશવંત સિંઘ પોતે સારા સાહિત્યકાર છે. ખુશવંત સિંઘમાં તમે સાહિત્યકાર અને પત્રકારને છૂટા પાડવા જાવ તો તમને ખબર ન પડે કે ક્યાં પત્રકાર પૂરો થાય છે અને ક્યાંથી સાહિત્યકાર શરૂ થાય છે. એટલે ઘણા અંગ્રેજી ભાષાના પત્રકારો સારા લેખકો રહ્યા છે અને એક સારો તંત્રી હમેશા એક સારો વાચક હોય છે. એની અસર એના કામ પર પડે, એટલે એના અખબારના લેખનનું સાહિત્યિક મૂલ્ય પણ હોય. હવે આને જો આપણે ગુજરાતી અખબારો સાથે જોડવા જઈએ તો થોડુંક નિરાશાજનક એટલા માટે છે કે મેં અગાઉ જે જમાનાની વાત કરી એ સમયના પત્રકારો અને તંત્રીઓ સારા સાહિત્યકારો હતા. એટલે એ સમયના પત્રકારત્વ વિષે તમે એવું કહી શકો કે એ ઉતાવળે લખાયેલું સાહિત્ય, પણ પછી જે રીતે વ્યવસાયિક હિતો વધવા લાગ્યાં એટલે ગુજરાતમાં એવું થયું કે એ પ્રકારના પત્રકારો અને તંત્રીઓ જેમની પાસે ભાષા હોય, જેમની પાસે વિચાર હોય, એમનું મહત્ત્વ થોડું ઘટતું ગયું. અનેએવો સમય આવ્યો કે અમારે તો પેપર ચલાવે એવા લોકો જોઈએ. એમાં તમારી ભાષા ખરાબ હોય તો પણ ચાલી જાય. આજે તમે જુઓ લગભગ તમામ છાપાંઓની ભાષામાં તમને એટલી બધી નિરાશા થશે કે આને તો ઉતાવળે લખાયેલું સાહિત્ય પણ ન કહેવાય. આમાં તો ક્રિમીનલ નિગલીજન્સ –ગુનાહિત બેદરકારી છે. મને એક અખબારમાં એવું કહેવામાં આવેલું કે આપણે એક અખબારમાં પાંચ-પાંચ પ્રૂફરીડરોની જરૂર શા માટે છે? હૃસ્વ ઇ છે કે દીર્ઘ ઈ છે એનાથી શું ફરક પડે છે? જો વાચકને વાત સમજાઈ જતી હોય તો શબ્દની જોડણી અથવા વાક્યરચનામાં ભૂલ હોય તો ચાલશે એવું મને કેહવામાં આવેલું. એટલે ઉતાવળે લખાયેલું સાહિત્ય તો આવું ન હોય કે જ્યાં તમે ભાષાની દરકાર પણ ન કરો અને કહો કે ભાષા ખોટી હોય તો પણ ચાલે. જ્યારે ‘દિવ્યભાસ્કર’ અમદાવાદમાં શરૂ થયું ત્યારે એના માલિકો બિન-ગુજરાતી હોવાથી એમને ભાષાશુદ્ધિની ચિંતા હતી અને એમને પ્રૂફરીડર જોઈતો હતો. એટલે જ્યારે બીજાં ગુજરાતી અખબારોમાં પ્રૂફરીડિંગ ડીપાર્ટમેન્ટ બંધ થઈ રહ્યા હતા ત્યારે દિવ્યભાસ્કરે પ્રૂફરીડિંગનો ડીપાર્ટમેન્ટ શરૂ કર્યો. એ એમની જરૂરિયાત હતી. પણ ટ્રેજેડી એ થઈ કે એમને પ્રૂફરીડર મળતા નહોતા. ગુજરાતમાં પ્રૂફરીડર મળતા બંધ થઈ ગયા છે. ગુજરાતમાં પ્રૂફરીડર નામની જે પ્રજાતિ હતી તે આખી ખતમ થઈ ગઈ છે. આજે પણ ગુજરાતી અખબારોમાં પ્રૂફરીડર નથી. તો મારો મુદ્દો એ છે કે ખુશવંત સિંઘે જે વાત કરી હતી તે અંગ્રેજી ભાષા માટે સાચી અને સારી હતી, પણ આજે આપણે ત્યાં જે છે એ તો ઉતાવળે લખાયેલું સાહિત્ય પણ ન કહેવાય.

પ્રશ્ન: તમે ગાંધીયુગના પત્રકારત્વમાં સામાજિક નિસ્બતની વાત કરી. એના પરથી પ્રશ્ન થાય છે કે ૧૯૬૦ના દાયકામાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી દિલીપ પડગાંવકર હતા. અને એ વખતે એમણે કહેલું કે ‘નેક્સ્ટ ટુ ધ પ્રાઈમ મિનિસ્ટર, આઈ હેવ ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ જોબ ઈન ધ કન્ટ્રી’- વડાપ્રધાન પછી મારું કામ દેશમાં સૌથી મહત્ત્વનું છે. આજના પત્રકારો અને તંત્રીઓ એમની જવાબદારી નથી સમજતા એવું એમનું લખાણ વાંચીને લાગે ખરું? આજે આપણી પાસે ફ્રેંક મોરાઈસ કે વરઘીસ કે કસ્તુરી રંગા આયંગર જેવા તંત્રીઓ અને પત્રકારો નથી એનું કારણ તમને શું લાગે છે?

તમને આમાં થોડી ટીકા જેવું લાગશે. પણ આપણું ભારતનું જે પત્રકારત્વ છે એ આપણે લઇ આવ્યા બહારથી. તમે જે નામો આપ્યાં- ફ્રેંક મોરાઈશ, દિલીપ પડગાંવકર, કલકત્તામાંસી. આર. ઈરાની, ગિરિલાલ જૈન, એમનું પત્રકારત્વ યુરોપિયન દેશોમાંથીઅથવા ઇંગ્લેન્ડમાંથી આયાત કરેલું હતું. એક સમયે આપણા મોટાભાગના અખબારોમાં અંગ્રેજ એડિટર હતા, જેમકે‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’વર્ષો સુધી બ્રિટીશ એડિટરોના હાથમાં હતું. કલકત્તાના ‘સ્ટેટ્સમેન’માં અત્યાર સુધી અંગ્રેજી એડિટરો હતા. એટલેકે પત્રકારત્વનું આપણું જે મોડેલ છે એ પાશ્ચાત્ય મોડેલ છે. એને કારણે એવું થયું કે પત્રકારત્વ અને ભારતની જે વાસ્તવિકતા છે, જે સામાન્ય જનજીવન છે એની વચ્ચે એક અંતર રહી ગયું. એવું જ રાજકારણમાં થયું. એક સમયે રાજકારણીઓ લોકોની વચ્ચેથી આવતા હતા, ગામડાંમાંથી આવતા હતા, ખેતરોમાંથી આવતા હતા એટલેકે પહેલાં નેતાઓ નીચેથી ઉપર જતા હતા. હવે નેતાઓ ઉપરથી નીચે આવે છે. એટલે પત્રકારત્વ જ્યારે બ્રિટીશરોના હાથમાં હતું ત્યારે નીચેનો, જે બહુ મોટો વર્ગ છે, એની સાથે એ જોડાઈ ન શક્યા. યુરોપના લોકો આપણા કરતાં શિક્ષિત લોકો છે.

પત્રકારત્વનો વ્યવસાય બ્રિટનમાં એટલે વિકસ્યો કારણકે ત્યાં લોકો શિક્ષિત હતા, લોકો જાગૃત હતા અને લોકો વાંચતા પણ હતા. એટલે ત્યાંના પત્રકારત્વ અને ત્યાંના સમાજ વચ્ચે એટલું મોટું અંતર નહોતું. આપણે ત્યાં અક્ષરજ્ઞાન ખૂબ ઓછું, ગરીબી વધારે, અને આપણા પ્રશ્નો પણ ખૂબ જુદા પ્રકારના. એટલે હું જો ગામડામાં રહેતો હોઉં અને મુંબઈમાં બેસીને દિલીપ પડગાંવકરની વાત વાંચું, તો એવું લાગે કે મારી વાસ્તિવકતા, મારી આસપાસના જીવન સાથે એને કોઈ લેવાદેવા નથી. એટલે દિલીપ પડગાંવકરે કહ્યું કે એમની જોબ દેશમાં બીજી સૌથી મહત્ત્વની છે, તે સમાજના ઉપલા વર્ગના અથવા સત્તાવાળા વર્ગના સંદર્ભમાં હતી. પણ આજે ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ની એવી કોઈ ગણતરી નથી. એ એડિટરો પણ રહ્યા નથી, એ પરંપરા પણ રહી નથી, એ અખબારોનો જે પાવર હતો, અથવા ખુશવંત સિંહ જેની વાત કરે છે તે અખબારોનું સાહિત્યિક સ્વરૂપ હતું એ નથી રહ્યું. તમે બીજાં પણ અનેક અંગ્રેજી અખબારો જુઓ તો એ પણ હવે એક વ્યવસાય જ બની ગયો છે, એ બધાં માત્ર પૈસા જ બનાવે છે.

દિલીપ પડગાંવકર એ ‘ટાઈમ્સ’ ના છેલ્લા મોટા ગજાના એડિટર હતા. આજે તમે કોઈને પણ પૂછો કે ‘ટાઈમ્સ’ના એડિટર કોણ છે તો તમને નામ નહીં મળે, મને પોતાને પણ ખબર નથી. કારણકે એડિટરનો જે હોદ્દો હતો, એની જે સત્તાઓ હતી, એ હવે રહ્યાં નથી. હવે છાપાંના માલિકો એવું કહે છે કે અમે તો એક પ્રોડક્ટ બનાવીએ છીએ. ટાઈમ્સના માલિકે એક ઈન્ટરવ્યુમાં કહેલું છે કે “અમે સમાચારના વ્યવસાયમાં છીએ, જેમ તમે સાબુ બનાવો છો કે ટીવી બનાવો છો એમ અમારે તો છાપું બનાવવાનું છે.” આ એમનો અત્યારનો અભિગમ છે, એટલે એમને કોઈ એડિટરની જરૂરત નથી, એમને મેનેજર જોઈએ છે. એમને એવા કોઈની જરૂર નથી જેનામાં બહુ જ્ઞાન છે, જેને લખતાં બહુ સરસ આવડે છે, જેને સાહિત્યની સમજણ છે કે જેના વિચારો ખૂબ સરસ છે. પચીસ વર્ષ પહેલાં જે પત્રકારત્વ હતું અને આજે જે છે એમાં ફરક પડી ગયો છે, આજે બધી જગ્યાએ મેનેજરો છે, એડિટરો નથી. આજે એડિટરની ભૂમિકા એવી છે કે વડાપ્રધાનને એડિટર કોણ છે એ જાણવાની જરૂર નથી, વડાપ્રધાન છાપાંના માલિકોને ઓળખે છે. પચીસ વર્ષ પહેલાં ઊંધું હતું. તે વખતે વડાપ્રધાન એડિટરને જ ઓળખતા, માલિકોને નહીં.

પ્રશ્ન: ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશે થોડા સમય પહેલાં એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે ભારતીય પત્રકારત્વમાં ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ હવે રહ્યું નથી. આ વિષે મારે તમારા વિચારો જાણવા છે.

હા, સાહેબે કહ્યું, મને ખબર છે એ બોલ્યા છે. પણ એમાં એમનો પણ દોષ છેને! આજે ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ કરનાર માણસને જ્યારે જેલમાં પૂરી દેવામાં આવે ત્યારે એને બચાવવાનું કામ તો એમનું છે. જો સાહેબ નહીં બચાવે તો કયો પત્રકાર એ જોખમ ઉઠાવશે? એમની વાત સાથે હું સહમત છું. પત્રકારત્વનું કામ એ છે કે સમાજમાં, રાજકારણમાં જે ખોટું થતું હોય એને ખુલ્લું પાડવું જોઈએ કારણકે એ લોકહિતમાં છે. પણ આજે આ કામ કોઈ કરતું નથી, અખબારોના વ્યવસાયિક હિત એમાં કામ કરે છે. એક જમાનામાં અખબારનું મેનેજમેન્ટ એ અખબાર માટે હતું, એટલે એમનો એકમાત્ર ઉદ્દેશ એ હતો કે એમણે સારું અખબાર બહાર પાડવું છે. હવે વ્યવસાયિક હિતો વધ્યાં છે તો જેટલાં પણ માધ્યમો છે એના માલિકોના બીજાં પણ હિતો છે. એ લોકો જે તે શહેરમાં પ્રોપર્ટીમાં પૈસા રોકે છે અથવા તો એમની ફેકટરીઓ છે, એ લોકોની હોટેલની માલિકી છે. એટલે જયારે તમારા બીજાં હિતો પણ કામ કરતાં હોય ત્યારે સ્વાભાવિક છે તમારા હિતો ટકરાય અને એટલે ઈન્વેસ્ટીગેશન ન થાય.

આજથી પચીસ-ત્રીસ વર્ષ પહેલાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દિલ્હીમાં અરુણ શોરી એડિટર હતા. એમને ખબર પડી કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર સ્ત્રીઓને વેચવામાં આવે છે ત્યારે અરુણ શોરી એમના પત્રકાર રિતુ સરીનને કહે કે તમે ત્યાં જાવ અને ઈન્વેસ્ટીગેશન કરો. રિતુ સરીન ત્યાં જાય, દસ દિવસ રહે અને જુએ કે અહીં તો સ્ત્રીઓનો કારોબાર ચાલે છે. એટલે રિતુ સરીન પોતે ગ્રાહક બનીને જાય, પોતે પૈસા આપીને સ્ત્રીને ખરીદે. ખરીદીને એ દિલ્હીમાં લઈ આવે, પત્રકાર પરીષદ બોલાવે અને પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના પહેલા પાના ઉપર એ સમાચાર છપાય અને આખા ભારતમાં હોહા થઈ જાય. આ કરતાં પહેલાં અરુણ શોરીએ દિલ્હીના મુખ્ય ન્યાયાધીશને જાણ કરી હતી કે અમે આવું કરવા જઈ રહ્યાં છીએ, અમે ગુનો કરીશું અને અમારી ધરપકડ થશે. આવો એમણે પત્ર લખ્યો હતો. આખરે થયું પણ એવું કે મધ્યપ્રદેશ પોલિસે સરીન સામે કેસ દાખલ કર્યો અને એની સામે ‘એક્સપ્રેસ’ સુપ્રિમ કોર્ટમાં ગયું અને સુપ્રિમ કોર્ટના જસ્ટીસ પાસે પહેલેથી માહિતી હતી જ એટલે એ કેસ આખો ડિસમિસ થઈ ગયો. એટલે આખી વાત એ છે કે ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ માટે ન્યાયતંત્રના સપોર્ટની પણ જરૂર પડે.

પ્રશ્ન: પત્રકારત્વની તમારી કારકિર્દી દરમ્યાન તમે અનેક યુવા પત્રકારોને માર્ગદર્શન આપતા રહ્યા છો. તાલીમબદ્ધ એટલે કે માન્ય ડીગ્રી વાળા પત્રકાર અને ડીગ્રી વિનાના પત્રકાર વચ્ચે તમે કોઈ ફરક જોયો? શું પત્રકારત્વની કળા અથવા હુન્નર ડીગ્રી લેવાથી આવડી જાય?

પત્રકારત્વ તમે જેમજેમ કરો એમ જ તમને શીખવા મળે, પત્રકારત્વ તમને ક્લાસરૂમમાં શીખવા ન મળે. તમને માત્ર જે પાયાનું જ્ઞાન છે, એનું સૈદ્ધાન્તિક પાસું તમને કલાસરૂમમાં જાણવા મળે પરંતુ પત્રકારત્વ એકમાત્ર કામ એવું છે જે તમે કરવા જાવ ત્યારે જ તમને આવડે. કારણકે એમાં અલગ અલગ પ્રકારના પડકારો આવતા હોય છે. મેં તમને વાત કરી એ પ્રમાણે મધ્યપ્રદેશની સરહદ પર જઈને તમારે એક સ્ટોરી કરવાની હોય તો એ કરતી વખતે કયા કયા પ્રકારના પડકારો આવશે એ તમને અગાઉથી ખબર ન હોય, એટલે જેમ જેમ તમને એનો અનુભવ થતો જાય એમ એમ તમને એ આવડે. ગુજરાતમાં તમે અત્યારના અને જુના પત્રકારોની જો વાત કરો તો તમને ખબર પડશે કે દરેકની પાસે માત્ર અનુભવ જ છે, ડીગ્રી નથી. હું પોતે પણ એમાંનો એક છું, મારી પાસે પત્રકારત્વની ડિગ્રી નથી.

આ સ્વિમિંગ જેવું છે. જ્યાં સુધી તમે પાણીમાં પાડો નહીં ત્યાં સુધી તમને એ ન આવડે. પુસ્તકોમાંથી તમને સ્વિમિંગની માહિતી મળે પણ તરવા માટે તમારે પાણીમાં પડવું જ પડે. તમે પત્રકારત્વ ભણો, એના વિષે તમને માહિતી હોય એ બરાબર છે અને હવે તો એ જરૂરી પણ છે. પહેલાં તો જેને લખતાં આવડતું હોય એ પત્રકાર બની જાય, હવે તો ડિગ્રી માંગે છે. મારી કારકિર્દીમાં મેં જેટલા લોકોને નોકરીમાં રાખ્યા હશે તો એમાં પહેલી શરત મારી એ હોય કે સ્નાતક છો કે નહીં, સ્નાતક ન હોય એને નોકરીમાં રાખતા નથી. પણ એ ઉપરાંત પત્રકાર તરીકે તમારે ફિલ્ડ પર જવું પડે, તમારે બહાર નીકળવું પડે, તમારે ડેસ્ક ઉપર બેસીને સાત-આઠ કલાક કામ કરવું પડે, તમારી ભૂલો થાય અને એમ તમે શીખતા જાવ. તો મને લાગે છે કે તમને જ્ઞાન મદદ કરે પણ અનુભવ વધારે મદદ કરે.

પ્રશ્ન: આજના યુવા પત્રકારો માટે સૌથી મોટો પડકાર શું છે, તમારી દૃષ્ટિએ? વાંચનનો મોટો પડકાર છે. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં વાંચન મોટેભાગે ઓનલાઈન થઈ ગયું છે. એટલે એની પાસે પુસ્તકોનું વાંચન નથી. પત્રકાર થવા માટે તમારી પાસે પુસ્તકોનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. અને પુસ્તકોનું જ્ઞાન નથી, પુસ્તકોનું વાંચન નથી એટલે એમની પાસે ભાષા પણ નથી. આજે જો સૌથી ખરાબ સ્થિતિ હોય તો એ ભાષાની છે. તમારી પાસે એટલું બધું શબ્દભંડોળ હોવું જોઈએ કે તમારે એક લેખ લખવાનો હોય કે એક સમાચાર લખવાના હોય તો દરેક પ્રકારના લેખનમાં તમારે કેવી રીતે ભાષા વાપરવાની છે એ તમને ખબર પડે. સમાચારની ભાષા અલગ હોય છે, લેખની ભાષા અલગ છે, લેખમાં પણ વિષય કયો છે એ પ્રમાણે ભાષા બદલાય છે. તો વિષયને ન્યાય આપવા માટે તમારી પાસે ભાષાનો વૈભવ જોઈએ, તમારી પાસે શબ્દોનું ભંડોળ જોઈએ, તમારી પાસે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ. તમને એની ખબર પડવી જોઈએ કે દૂનિયામાં શું થઈ રહ્યું છે. એટલે મારી દૃષ્ટિએ જે ત્રણ મોટા પડકારો આજના પત્રકાર સામે છે એ વાંચનના, જ્ઞાનના અને ભાષાના છે.

પ્રશ્ન:ડિજીટલ મીડિયાએ પરંપરાગત પત્રકારત્વનું રુખ કઈ રીતે બદલ્યું છે? માહિતીનો અતિરેક પત્રકારત્વને કઈ રીતે અસર કરે છે? એમાં એવું છે કે દર પેઢીએ માધ્યમો બદલતાં રહ્યાં છે. માણસ બદલાય છે, મૂલ્યો બદલાય છે. સમાજ બદલાય છે, તેમ તેનાં માધ્યમો બદલાય છે. યાદ રાખવા જેવું એ છે કે માધ્યમો ટેકનોલોજીનાં મહોતાજ છે. આપણે કાગળ-પેનથી લખતાં હતા, પછી ટાઇપ રાઈટર આવ્યું, હવે કોમ્પ્યુટર આવ્યું, પછી વોઈસ ટાઈપિંગ આવશે, ટપાલ હતી, રેડિયો આવ્યો, ટેલિવિઝન આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, તો પત્રકારત્વ પણ બદલાયું. તેનાથી પ્રિન્ટ પત્રકારત્વનો વિકાસ અટકી ગયો છે. પ્રિન્ટ રહેશે, પણ ફેલાવો અટકી ગયો છે. જાહેરખબરો સ્થિર છે. સામયિકો તો સાવ જ બંધ થઈ ગયાં છે. ભવિષ્ય ડિજીટલમાં છે. દરેક પ્રિન્ટ ઓર્ગેનાઇઝેશન્સ ડિજીટલમાં જઈ રહ્યાં છે. આંગળીના ટેરવે દુનિયા હોય, તો માહિતી પણ એ પ્રકારે જ હોય ને. ડિજીટલમાં પણ પડકારો છે. હવે ખાલી માહિતી કે સમાચારથી કામ નથી ચાલતું. તમારે એ માહિતી શા માટે કામની છે તે પણ વિચારવું પડે અને એ રીતે તેને રજૂ કરવી પડે. માહિતીનો અતિરેક અવરોધ નથી, અવસર છે. હવે લોકો પાસે માહિતીઓનો વિકલ્પ છે. તમને જો અખબાર વાંચવાનો અનુભવ યાદ હોય તો ખબર હશે કે તમારે એ જ વાંચવું પડતું હતું જે જ્ઞાની એડિટરો નક્કી કરતાં હતા કે તમારા કામનું શું છે. આજે મને પોતાને પણ એમ લાગે છે અખબારોમાં આવું ઘણું આવતું હતું જે મારા માથા પર મારવામાં આવતું હતું. ડિજીટલમાં માહિતીનું લોકતાંત્રિકરણ થયું છે. એટલી બધી માહિતી છે કે ‘મારા કામનું નથી’ એ ફરિયાદ તો દૂર થઈ ગઈ છે, એક વાચક તરીકે મારે વધુ સજ્જ થવાની ફરજ પડી છે જેથી હું મારા કામની માહિતી તારવી શકું. તેના પરિણામે પરંપરાગત પત્રકારત્વએ પણ કસ્ટમાઈઝ માહિતીઓ આપવાની ફરજ પડી છે.

પ્રશ્ન:તમે ઘણાખરા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છો. સોશિયલ મીડિયાના ગુજરાતી ઉપભોક્તાઓ સાથેના તમારા અનુભવો કેવા છે? સોશિયલ મીડિયા કેટલી આવશ્યકતા જણાય છે અને કેટલી અસારતા?

સાચું કહું તો, હું જ્યારે અખબારોમાં હતો ત્યારે એક ભ્રમ કેળવાયો હતો કે ‘આપણને જ બધી ખબર છે’ અથવા ‘આપણને જ બધું આવડે છે.’ ઘણા પત્રકારો એવું ગુરુતાગ્રંથિમાં જીવતા હોય છે. પત્રકારત્વનો એ પાવર છે, જે તમને આ રીતે પણ કરપ્ટ કરી નાખે છે. સોશિયલ મીડિયાએ એ ભ્રમ તોડી નાખ્યો. ઉપર કહ્યું તેમ, ઇન્ટરનેટ અને માહિતીઓના અતિરેકના કારણે લોકો બહુ જાણકાર થઈ ગયા છે. એટલે, સોશ્યલ મીડિયા પર સક્રિય ગુજરાતી લોકોને જોઈને મને તો આશ્ચર્ય થયું હતું. મારા જેવા પરંપરાગત પત્રકાર, જેણે ત્રણ દાયકા પ્રિન્ટ મીડિયામાં પસાર કર્યા હોય, તેના માટે એ એક સુખદ આંચકો હતો કે પરંપરાગત માધ્યમોની બહાર પણ આટલી જીવંત દુનિયા છે. ગુજરાતી સોશ્યલ મીડિયા ઘણુ વાઇબ્રન્ટ અને ક્રિએટીવ છે.

સોશ્યલ મીડિયાની ત્રૂટીઓ ચોક્કસ છે. તેનાં અલગોરિધમ જે રીતે કામ કરે છે, તેમાં જે પ્રકારનું વૈચારિક ધ્રુવીકરણ થાય છે, તેમાં જે પ્રકારનું મેનિપ્યુલેશન થાય છે, તેમાં જે રીતે બિઝનેસ અને રાજકરણનાં હિતો કામ કરે છે, તેનાથી આપણાં માનવીય ગુણો અને મૂલ્યોને ક્ષતિ પહોંચી છે, પરંતુ એ વૈશ્વિક પ્રશ્ન છે. હું એવું કહેતો રહું છું કે આ નવી ટેકનોલોજી વાંદરાના હાથમાં દારુ આપવા જેવી છે. કદાચ આપણે ઘણું બધું ભોગવ્યા પછી આગામી બીજી પેઢી સુધીમાં સોશ્યલ મીડિયા લિટરસી શીખીને સરખી રીતે વર્તતા થઈશું, પરંતુ તમારો પ્રશ્ન ગુજરાતીઓ પૂરતો માર્યાદિત હતો, તો હું તટસ્થ રીતે જોઉં તો તેમાં ઘણી ટેલેન્ટ અને સર્જનાત્મકતા છે, જે પરંપરાગત માધ્યમોમાં નથી.

હું જો આજે કોઈ પ્રકાશન શરૂ કરું તો મને પ્રતિભાઓ શોધવા માટે જાહેરખબર આપવી ન પડે એટલા અને એવા સારા લોકો ત્યાં લખે છે. ઘણા સારા આશાસ્પદ કવિઓ, વાર્તાકારો, કલાકારો સોશ્યલ મીડિયા પર છે. અંગ્રેજીની જેમ આપણે ત્યાં બ્લોગ કલ્ચર એટલું વિકસ્યું નથી, પણ બ્લોગિંગમાં ઘણા ગુજરાતીઓ છે. સાચું કહું તો, સોશય્લ મીડિયામાં જે ગુજરાતીઓ છે તેમણે અખબારોની અનિવાર્યતા ખતમ કરી નાખી છે. રશિયા-યુક્રેન પર ગુજરાતી અખબારોમાં જેટલું નથી લખાયું એટલું સોશ્યલ મીડિયામાં લખાયું છે.

પ્રશ્ન:આપણે હમણાં મહામારીના સમયમાંથી પસાર થયા અથવા થઈ રહ્યા છીએ. કોઈપણ પ્રકારની કટોકટીના સમયમાં અખબારી પત્રકારત્વની ભૂમિકા શું હોવી જોઈએ અને આ દૃષ્ટિએ તપાસીએ તો ગુજરાતી અથવા તો ભારતીય અખબારોએ કોવિડની મહામારી દરમ્યાન કેટલી હદે એમની જવાબદારી અદા કરી?

એમાં તો કબૂલ કરવું જોઈએ કે બીજી સામાજિક કટોકટીઓમાં પત્રકારત્વની ભૂમિકા વખાણવા જેવી નથી. એવી ઘણી બાબતો છે જેમાં અખબારો નેતૃત્ત્વ લઈ શક્યા હોત, પરંતુ મેં આગળ કહ્યું તેમ આપણે ત્યાં મુખ્યત્વે વ્યવસાયિક હિતો પ્રમાણે પત્રકારત્વ થાય છે, એટલે ‘આવું કરીએ તો આપણને શું ફાયદો થાય?’ એવા પ્રશ્નને આગળ ધરીને જ અખબારો તેમની ભૂમિકા નક્કી કરતાં હોય છે. બીજું સમજવા જેવું એ છે કે અખબારો અને રાજનીતિનો સંબંધ ઘેરો છે. બંને વચ્ચે આડા-સંબંધો છે એમ કહો તો વધુ સારી રીતે સમજમાં આવે. એટલે સમાજને સ્પર્શતી ઘણી બાબતોમાં અખબારોની ભૂમિકા ટીકાને પાત્ર છે, અને આ તો પૂરા દેશની સ્થિતિ છે.

પરંતુ કોવિડની મહામારીમાં અમુક મીડિયા અને અમુક પત્રકારોએ ઘણું સારું કામ કર્યું હતું. એ સંકટ અભૂતપૂર્વ હતું. સરકારી વહીવટ (કે તેની ગેરહાજરીના) કારણે આટલા બધા લોકોએ ભોગવવું પડ્યું હોય એવું બીજા કોઈ દેશમાં થયું નહોતું, અને તેનું રિપોર્ટિંગ અદ્‌ભુત હતું. આપણે હમણાં સોશ્યલ મીડિયાની વાત કરી. કોરોનાની મહામારીમાં આખું સોશ્યલ મીડિયા લાઈવ રિપોર્ટીંગ કરતું એક તોતિંગ ટેલિવિઝન બની ગયું હતું. ભારતનું ટ્વીટર તો જાણે હેલ્પલાઈન બની ગયું હતું. ત્યાં લગાતાર મદદ માટે પોકાર પડતા હતા અને આસપાસમાં જે કોઈ હોય તે મદદ પહોચાડતા હતા. એમાં ભારત સરકાર સાચે જ ઊંઘતી ઝડપાઈ હતી. સોશ્યલ મીડિયા પર ઓક્સિજન કે ઈન્જેકશનની અછતની બૂમો પડી તો સરકારે તેને રાબેતા મુજબ ‘સરકાર-વિરોધીઓ’ની બૂમાબૂમ ગણીને ઉપેક્ષા કરી હતી, પણ સોશ્યલ મીડિયાએ માહિતીઓઓનો મારો એટલો ચાલુ રાખ્યો કે આપણે એવું કહી શકીએ કે સરકારે શબ્દશ: આગ લાગી ત્યારે કુવો ખોદવો પડ્યો.

ગુજરાતમાં, ‘દિવ્ય ભાસ્કર,’ ‘સંદેશ,’ ‘ગુજરાત સમાચાર’ અને અન્ય શહેરોનાં નાનાં અખબારોએ જબરદસ્ત કામ કર્યું હતું. જ્યારે સરકાર પાસે માહિતીઓ નહોતી અને હોસ્પિટલોમાં અંધાધૂંધી હતી ત્યારે ગુજરાતી પત્રકારોએ સ્મશાનમાં જઈને કેટલાં લાકડાં વપરાયાં, કેટલી પાવતીઓ ફાટી, કેટલી એમ્બ્યુલન્સ આવી હતી તેના આંકડા મેળવીને તાળો મેળવ્યો હતો. દુર્ભાગ્યે, તેનું જે ફોલોઅપ થવું જોઈતું હતું અથવા તેની જવાબદારી ફિક્સ થવી જોઈતી હતી તે ન થઈ.

પ્રશ્ન: રાજભાઈ આપણે વાર્તાલાપની શરૂઆત એક અંગત પ્રશ્નથી કરી, સમાપન પણ થોડી અંગત વાતોથી કરીએ. તમારી કારકિર્દીમાં બનેલો સૌથી યાદગાર પ્રસંગ યાદ કરીને કહેશો? અને પત્રકારત્વમાં તમારા આદર્શ કોણ? અલગ-અલગ અખબારોમાં અલગ-અલગ પ્રકારના અનુભવો તો ખૂબ બધા છે. અખબારોમાં તો શું છે કે દરેક દિવસે કંઈને કંઈ બનતું રહેતું હોય. તમે આમ અચનાક પૂછી લીધું એટલે યાદ કરવામાં પણ સમય જાય, પરંતુ અંગત રીતે, એક સારા વાચક તરીકે અને દૂનિયાભરની દરેક બાબતમાં રસ હોય એવા એક જીજ્ઞાસાવૃત્તિ વાળી વ્યક્તિ તરીકે મને પૂછો તો નાનકડી એક ઘટના છે, જેણે મને સંતોષ આપ્યો હતો. આમ સામાન્ય છે. એ કોઈ જબરદસ્ત પત્રકારત્વ નહોતું. તમને સાચું કહું? મેં કશું એવું કામ કર્યું પણ નથી કે જેની પત્રકારત્વના ઇતિહાસમાં નોંધ લેવી પડે. ગુજરાતમાં બીજા ઘણા સારા અને સનિષ્ઠ પત્રકારો છે જે જેમણે સાચા અર્થમાં સમાજને બહેતર બનાવાનું કામ કર્યું છે.

પણ તમે પૂછ્યું જ છે એટલે કોઈક તો જવાબ અપાવો જોઈએ એટલે એક નાનકડી બીનાની વાત કહું છું- તમે ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકિંગનું નામ સાંભળ્યું હશે, એ આધુનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેવાય છે. બચપણમાં 'સંસાર કેવી રીતે કામ કરે છે' તે સમજવા માટે અધ્યાત્મમાં રસ પડ્યો હતો, તે મોટા થયા પછી બુનિયાદી વિજ્ઞાન (જેમ કે ફીઝીક્સ) તરફ ગયો. એમાં આઇન્સ્ટાઇન પછી જેના નામમાં અને કામમાં દિલચશ્પી પેદા થઈ તે આ હોકિંગ.

એ પોતે મોટર ન્યુરોન ડીસીઝ નામની બીમારીથી પીડાતા હતા અને કાયમ માટે ખુરશીમાં બેસતા હતા. એક સહાયક તેમને સાથે કાયમ હોય. ૨૦૦૧માં તે મુંબઈ આવ્યા હતા. ભારતની તેમની એ પહેલી અને છેલ્લી મુલાકાત. ૨૦૧૮માં તેમનું અવસાન થયું.

એમની એકમાત્ર ભારત મુલાકાત હું જ્યારે મુંબઈમાં હતો ત્યારે થયેલી. એમનો એક જ કાર્યક્રમ મુંબઈમાં છે એની મને ખબર પડી. મુંબઈના ટાટા મેમોરિયલ રીસર્ચ સેન્ટરમાં એમનું વ્યાખ્યાન ગોઠવવામાં આવેલું અને તેઓ લંડનથી ત્યાં આવેલા. મેં અમારી સાથે એક ફોટોગ્રાફર હતા, દિલીપભાઈ ઠાકર. એમને મેં કહ્યું કે મને સ્ટીફન હોકિંગનો એક ફોટો જોઈએ છે જે અલગ હોય. મેં કહ્યું કે એમના વક્તવ્યના કાર્યક્રમના ફોટા તો મળશે, પણ મારે એક ઓફ-બીટ ફોટો જોઈએ છે. મારે એક એવી ક્ષણનો ફોટો જોઈએ છે જેમાં એ એમની દૈનિક ક્રિયામાં વ્યસ્ત હોય. દાખલા તરીકે કોઈ જગ્યા એ ખાતા હોય કે કોઈની સાથે વાત કરતા હોય.

અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે મુંબઈમાં નરિમાન પોઈન્ટ પર હોટેલ ઓબેરોયમાં એ ઉતર્યા હતા. અને અમને એવી પણ ખબર પડી કે સ્ટીવન હોકિંગ રોજ સવારે એમની ખુરશીમાં બેસીને ચોપાટી પર ટહેલવા નીકળે છે. તો દિલીપભાઈ ચોપાટી પર સવારે આઠ વાગે પહોંચી ગયા અને સ્ટીફન હોકિંગ અને એમની એક મદદનીશ હતી જે એમની ખુરશીને ધક્કો મારે અને સવારના તડકામાં એમનો આ રીતે ફરતા હોય એવો ફોટો દિલીપ ઠાકરે પાડેલો. એ ફોટો ભારતનાં કોઈપણ ફોટોગ્રાફર પાસે નથી. એ ફોટો અમે ગુજરાત સમાચારના પહેલા પાને છાપેલો અને એ ફોટો આજે મારી પાસે પણ છે અને એ મારે માટે સૌથી યાદગાર પ્રસંગ હતો.

પ્રશ્ન: અને પત્રકારોમાં તમારો આદર્શ કોણ છે? સાચું કહું તો, પત્રકારોમાં મારા આદર્શ ગુજરાતીમાં કોઈ નથી. એને નેગેટિવ અર્થમાં નહીં લેતા, પણ મને જે વિષયોમાં રસ પડતો હતો એવું કશું લખવાવાળા ગુજરાતીમાં નહોતા. મને દેશ અને દુનિયામાં બહુ રસ હતો અને એ ભૂખ ભાંગી બહારના પત્રકારોએ. એવાં નામો અંગ્રેજી ભાષામાં ખૂબ બધાં છે. એમાં તમે જે નામ બોલ્યા એ ખુશવંત સિંઘ. જેમણે વિભાજન પહેલાંનું અને પછીનું ભારત જોયું હોય તેવા પત્રકારો પૈકીના એ એક હતા. બિનસાંપ્રદાયિકતા, સાહિત્ય, કવિતા અને વિનોદવૃત્તિ માટેનો તેમનો પ્રેમ ગજબનો હતો. એક જમાનામાં તેમની કોલમ ભારતનાં ૬૦ અખબારોમાં છપાતી હતી.

બીજું નામ છે વિનોદ મહેતાનું, જે છેલ્લે આઉટલૂક મેગેઝીનમાં એડિટર હતા. પ્લેબોયની તર્જ પરનું ભારતનું પહેલું ‘ગંદુ’ મેગેઝીન ‘ડેબોનેર’ને તેમણે લોકો વાંચી શકે તેવું બનાવેલું. અટલ બિહારી વાજપેઈએ એકવાર મહેતાને કહેલું કે તમારું મેગેઝીન સરસ આવે છે, પણ તકલીફ એ છે કે ઓશિકા નીચે છુપાવી રાખવું પડે છે. મારી પાસે તેના ઘણા અંકો છે. હું ‘ડેબોનેર’ને (ઇન્દ્રિયોત્તેજક નહીં) વિચારોત્તેજક મેગેઝીન કહું છું. વિનોદ મહેતા પહેલા સંપાદક હતા જેમણે ઉઘાડી છોકરીઓના ફોટા વચ્ચે વચ્ચે વી. એસ. નાઇપોલ, નિરદ સી. ચૌધરી, ખુશવંત સિંઘ, વિજય તેંડુલકર, નિસીમ ઇઝીકેલ, અરુણ કોલાટકર અને આર. કે. નારાયણ જેવા ધૂઆધાર લેખકોના લેખ છાપ્યા હતા.

મુંબઈમાંથી એમણે ‘સન્ડે ઓબ્ઝર્વર’ નામનું અખબારોની સાઈઝનું એક અઠવાડિક શરૂ કરેલું. એ વખતે ભારતમાં માત્ર રવિવારે નીકળતું છાપું હોય એવો કન્સેપ્ટ નહોતો. લંડનમાં આ નામનું એક છાપું છે જે માત્ર રવિવારે જ નીકળે. ભારતમાં આવું છાપું કોઈએ પહેલું શરૂ કર્યું હોય તો એ વિનોદ મહેતાએ શરુ કરેલું. એમાં લાંબા લેખો હોય. એ અખબાર એમણે ખૂબ સારું બનાવેલું. એટલે તમે જે વાત કરો છો એ સાહિત્ય વાળા પત્રકારો, ભારતના સારામાં સારા લેખકો, અને એડિટર એ અલગ અખબારમાં હતા. ભાષા, વિષયો, લે-આઉટ, દેખાવ બધી દૃષ્ટિએ એક આધુનિક અખબાર કેવું હોય એનો એ નમૂનો હતો. હું એ જોઈ-વાંચી મોટો થયો હતો.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ મુંબઇમાં વિનોદ મહેતા પાસે ધ ઇન્ડિપેન્ડેન્ટ શરૂ કરાવ્યું ત્યારે શિમોર હર્ષ નામના અમેરિકન પત્રકારે મોરારજી દેસાઇને સી. આઈ. એ.ના ભારતીય જાસૂસ ગણાવેલા તેનો વિવાદ ચાલતો હતો. વિનોદ મહેતાએ ધ ઇન્ડિપેન્ડેન્ટમાં આઠ કોલમનું ‘એક્સક્લુઝિવ’ મથાળું ઠઠાડેલું: અમેરિકા માટે જાસૂસીના કામમાં મોરારજી દેસાઈ નહીં, વાય. બી. ચવ્હાણ. સ્વતંત્ર મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ બલવંતરાવ ચવ્હાણને ‘બદનામ’ કરવાની મહેતાની જુર્રતથી માલિકો સાથે એવી તનાતની થઈ કે પહેલા પાને માફી માગી માગવી પડી અને નોકરી ય ગઈ.

તેમણે કહેલું “હું એ સંપાદકોમાં નથી જે પ્રેસ ફ્રીડમની માત્ર વાતો જ કરે. મેં એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વખત નોકરી છોડી છે. એવુંય નથી કે મારી પાસે બીજી નોકરી હતી. લાંબો સમય સુધી હું બેકાર રહ્યો છું. માલિક હોય તો નાની-મોટી વાતો તો માનવી પડે, પરંતુ એક લક્ષ્મણરેખા હોય છે જેને પાર કરવી મુશ્કેલ હોય છે.”

વિનોદ મહેતામાં એ સાહિત્ય અને પત્રકારત્વનું મિશ્રણ હતું અને તમે જે વાત કરી એ પ્રમાણે ‘આઉટલુક’ મેગેઝીનમાં તો એમણે ખૂબ બધા ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ કહેવાય, જેને સ્કૂપ કહેવાય, જેમાં કૌભાંડો હોય એવા અહેવાલો છાપેલા. ટેલિકોમમંત્રી એ. રાજા અને કોર્પોરેટ એજન્ટ નિરા રાડિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતમાં પત્રકારો, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની ક્રિમિનલ સાંઠગાંઠ આઉટલૂકે ખુલ્લી પાડી હતી. એટલે, તમારા પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપું તો, આગલી પેઢીમાં ખુશવંત સિંઘ અને નવી પેઢીમાં વિનોદ મહેતા મારા આદર્શ.

પ્રશ્ન:તમે હવે ફ્રીલાન્સર તરીકે કેટલાંક અખબારોમાં કોલમ લાખો છો એ સિવાય પત્રકારત્વમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થઈને તમે હવે લેખન કરો છો. આ નિર્ણયની ભૂમિકા? સાંપ્રત પત્રકારત્વની નિરાશાજનક સ્થિતિએ આ નિર્ણય લેવા પ્રેર્યા?

નિરાશાજનક સ્થિતિના કારણે તો નહીં, પરંતુ વ્યક્તિગત રીતે એવો અભિગમ ખરો કે તમારી વ્યવસાયિક ઉપયોગિતા ખતમ થઈ જાય તે પહેલાં, વર્ષોથી તમે જે કામ કરતા હતા તેને સામેથી ત્યજીને બીજુ કોઈ કામ સ્વીકારવું જોઈએ જેથી બીજાં ૨૦ વર્ષ એ રીતે સક્રિય રહી શકો. એ બાબતમાં એક્ટર દિલીપ કુમાર મારા આદર્શ છે. એ માણસ તેની સફળતા અને શોહરતના શિખર પર હતો, ત્યારે સ્વયં નિવૃત્ત થઇ ગયો હતો. અંગ્રેજીમાં તેને ગ્રેસફૂલ એક્ઝીટ કહે છે. મેં એવું નક્કી જ કર્યું હતું કે કોઈ આપણને કહે કે કાલથી નહીં આવતા, તે પહેલાં આપણે આપણો રસ્તો કરી લેવો. અખબારની નોકરીના કારણે લખવા-વાંચવાનું, રચનાત્મક કામ ઘટી ગયું હતું તે સાલતું હતું. એટલે એવું થયું કે આપણે એક વ્યવસાયિક દૃશ્યમાંથી બીજા વ્યવસાયિક દૃશ્યમાં શિફ્ટ થવું જોઈએ. એટલે હું સક્રિય પત્રકારત્વમાં નથી, પરંતુ જોડાયેલો તો અખબારો સાથે જ છું. અનેક અખબારોમાં કોલમ લખું છું અથવા ફ્રિલાન્સ કરું છું એટલે દૂર રહીને પણ મુખ્ય ધારાના પત્રકારત્વ સાથે જ જોડાયેલો છું. પત્રકારત્વ જો એક્સપ્રેસ હાઈવે હોય, તો હું બાજુના સર્વિસ રોડ પર છું એવું કહેવાય.

પ્રશ્ન:વિશ્વસાહિત્યનાં કેટલાંક અગત્યનાં પુસ્તકોના તમે ગુજરાતી અનુવાદ કર્યા છે, કરી રહ્યા છો. અનુવાદ પ્રત્યેનો તમારો અનુરાગ અને અનુવાદની પ્રક્રિયા દરમ્યાન ભાષાઓ સાથેના તમારા અનુભવો વિષે...

પત્રકારત્વમાં મેં શરૂઆત કરી હતી અનુવાદથી. આજના પત્રકારોની મુસીબત એ છે કે તેઓ અનુવાદની નીચું કામ ગણે છે. એક્ચુઅલી, એ સૌથી ઉત્તમ કામ છે. હું આજે પણ કોઈ છાપાની ઓફીસમાં બેસીને સમાચારોના તરજુમા કરી શકું. જુઓને, આ તરજુમો શબ્દ કેટલો સરસ છે! મને શરૂમાં દિગંતભાઈ ઓઝા, વજ્ર માતરી, ઈશ્વર પંચોલી, નૂર પોરબંદરી જેવા એડિટરો મળેલા તેમની પાસેથી આ શબ્દ મળ્યો હતો. હવે એ કોઈ બોલતું નથી.

અનુવાદ મારો પહેલો પ્રેમ છે. આઈ એમ વેરી કમ્ફર્ટેબલ ઇન ઇટ. મને ગમે છે. મને એક બીજી ભાષાના લેખકે લખેલી વાતને ગુજરાતીમાં ઉતારતી વખતે એવું ગુરુતા અનુભવાય કે “આ કામ તમારું નહીં, આ તો હું જ કરી શકું.” મને એ વાક્ય અથવા શબ્દનો ગુજરાતી પર્યાય બનાવાની મથામણ ગમે છે. હું એ વખતે ઇન્ટરનેટ પર અનેક વિન્ડો ખુલ્લી રાખીને તેને આનુસંગિક વાંચતો પણ રહું છું.

એનાથી એક ફાયદો એ થયો છે કે અંગ્રેજી ભાષાનું વાંચન અને સમજ તો બહેતર બની જ છે, મારી ગુજરાતી ભાષા પણ સુધરી છે. અંગ્રેજી ભાષા બહુ ડાયનેમિક છે. પચીસ વર્ષ પહેલાં હું જે અંગ્રેજી વાંચતો હતો, તે આજે એવીને એવી નથી. બીજું, અલગ-અલગ લેખકોના પરિચયમાં આવો, તો તમારી ભાષામાં પણ સુધાર આવે. બીજી ભાષાની સેન્સિબિલિટી પણ તમારામાં આવે. અનુવાદના પ્રેમના કારણે મારી લખવા, વિચારવા, વાંચવાની શૈલીમાં સકારાત્મક બદલાવ આવ્યો, અને હજુ લાવવો છે. મેં દુનિયાનો એક પણ એવો વિષય નથી, જે વાંચ્યો ન હોય. એમાં હું નિષ્ણાત નહીં હોઉં, પણ બેઝિક સમજણ તો હોય. આ અંગ્રેજીના કારણે સંભવ છે.

પ્રશ્ન:તમે એવા સમયમાં લખવાનું શરૂ કર્યું જ્યારે ગુજરાતી વાચકોની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે એવું પ્રકાશકો કહે છે. તમારાં પુસ્તકો આવા સમયમાં બેસ્ટ-સેલર જેવાં બન્યાં છે. ગુજરાતીઓની વાંચન પ્રત્યેની અભિમુખતા વિષે એક લેખક તરીકેના તમારા અનુભવો શું કહે છે? પત્રકારો નથી વાંચતા એની વાત આપણે અગાઉ કરી.

હું પણ એવું માનતો હતો, બીજા ઘણા માને છે, પરંતુ મારા પ્રકાશક, આર.આર. શેઠવાળા રત્નરાજભાઈ અને ચિંતનભાઈ શેઠ કહે છે કે વાચકો નથી વાંચતા એ વાત ખોટી છે. તેમણે મને કહ્યું હતું કે પ્રકાશકો સારાં પુસ્તકો આપવામાં નિષ્ફળ જાય છે એટલે વાચકો વિમુખ થાય છે. તમે વિચાર કરો કે વાચકો નિરાશ કરતા હોય, તો યુવલ નોઆ હરારીના વર્લ્ડ બેસ્ટ સેલર પુસ્તક 'સેપિયન્સ'ને આર. આર. શેઠ ગુજરાતીમાં શા માટે લાવે? તેનો અનુવાદ મેં કર્યો છે.

તમે અગાઉ સોશ્યલ મીડિયાની વાત કરી. આ પુસ્તકના મૂળ લેખક હરારીને બહુ ફોલો કરું છું. હું ફેસબુક પર તેમની વાતો અને વિચારો લખતો પણ રહું છું. એ મુંબઈમાં બ્રિટીશ લાઈબ્રેરીમાં એક પ્રવચન માટે આવ્યા હતા. મેં એ સાંભળીને તેનો ગુજરાતી તરજુમો ફેસબુક પર મુક્યો હતો. રત્નરાજ શેઠ એ વાંચીને મારી પાસે આવ્યા હતા, “તમે સેપિયન્સ ગુજરાતીમાં કરશો?” આ સાહસ કહેવાય. અત્યંત રસપ્રદ પરંતુ ગંભીર પુસ્તક છે. શેઠ બંધુઓ કહે છે કે ગુણવત્તાવાળા પુસ્તકો કોઈ આપતું નથી, એટલે વાચકો વિમુખ થઈ ગયા છે. વ્યવસાયિક સિક્રેટના કારણે હું નામ ન આપી શકું, પરંતુ અમે ગુજરાતીમાં કોઈને કલ્પના ન હોય તેવા અટપટા, પરંતુ વાચકોનું જ્ઞાન વધારે તેવાં, વિષયો પર પુસ્તકો લાવી રહ્યા છીએ. મારું એક લક્ષ્ય એ પણ છે કે હવે મારી પાસે સમયની સમૃદ્ધિ છે તો આવતા વીસ વર્ષમાં આવું કામ પણ કરવું છે.

પ્રશ્ન: આ વર્ષ ગુજરાતી પત્રકારત્વની દ્વિશતાબ્દીનું વર્ષ છે. આવી રહેલાં વર્ષોમાં તમને ગુજરાતી પત્રકારત્વની દશા અને દિશા કેવી લાગે છે?

આપણે આગળ વાત કરી તે પ્રમાણે, પ્રિન્ટ પત્રકારત્વની એક સીમા આવી છે, પણ ડિજીટલનો દાયરો વધી રહ્યો છે. ગુજરાતના મીડિયાના ઇતિહાસમાં આજે સૌથી વધુ ચેનલો છે. તેની ગુણવત્તાના પ્રશ્નો છે, પરંતુ જગ્યાઓ ઘણી છે. ઇવન, ગુજરાતી સિનેમામાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. તમને યાદ હશે કે એક જમાનામાં ગુજરાતી ફિલ્મોને પર ગામ, ગોકીરો અને ગરબાનું મહેણું હતું. આજે અર્બન ગુજરાતી ફિલ્મો બને છે. ઘણા કલાકારો અને કસબીઓ તેમાં પોષાય છે. દર્શકો, વાચકો કે ગ્રાહકો બદલાય એટલે માસ મીડિયાને પણ બદલાવું પડે.

અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ઘણું સારું છે. આપણે વાત કરી એ પ્રમાણે આપણે થોડા વધારે વ્યવસાયિક થઈ ગયા છીએ પણ એ ઠીક છે. આખી દુનિયા ટકી રહેવા માટે પ્રયત્નશીલ છે. અને વ્યવસાયીકરણના કેટલાક ફાયદા પણ છે. ગુજરાતનું અખબારી પત્રકારત્વ એ રીતે મજબૂત છે એટલે એ ટકી રહ્યું છે. આપણે અત્યારે મૂલ્યોની વાત ન કરીએ, ગુણવત્તાની વાત ન કરીએ પણ માત્ર વ્યવસાયિક રીતે જોઈએ અથવા એક ઉદ્યોગ તરીકે જોઈએ તો એ ઘણું મજબૂત છે અને એ ચાલતું રહેશે અને આવનારાં વર્ષોમાં એ ખતમ થઈ જાય કે બંધ થઈ જાય એવું નથી. ગુજરાતીમાં ઘણા પત્રકારો અને સબએડિટરોને નોકરીઓ મળવાનાં ઘણાં સ્થાનો છે તે સારી વાત જ કહેવાય.

પ્રશ્ન:તમારી દૃષ્ટિએ જીવન એટલે શું? તમારા લખાણમાં ચિંતન પણ જોવા મળે છે તો પત્રકારત્વ માટે એની ઉપયોગિતા કેટલી?

બીજો કોઈ સારો શબ્દ નથી એટલે 'ચિંતન' શબ્દ વાપરો તો ચાલે, પરંતુ હું જે લખું છું તે ચિંતન કે મોટિવેશન કરતાં આઈડિયા વધુ છે. આઈડિયા માટે સારો ગુજરાતી શબ્દ નથી, પરંતુ મને માણસો જે રીતે વિચાર કરે છે, જે રીતે વર્તન કરે છે તેની પાછળ તેમનાં મનોવૈજ્ઞાનિક કારણો શું છે તે સમજવાનું ગમે છે અને પછી હું એમાંથી એક આઈડિયા તારવું છે. પત્રકારત્વમાં અને સાહિત્યમાં સાઈકોલોજિકલ અને ફિલોસોફીકલ સમજ હોવી અનિવાર્ય છે. ખુશવંત સિહ કે વિનોદ મહેતા જેવા પત્રકારોમાં એ સમજ હતી. તમે તેમને વાંચો તો ખ્યાલ આવે કે તેઓ ઘણા ચિંતનશીલ પત્રકાર હતા. ચિંતનનો અર્થ “વિદ્યા વિનયથી શોભે છે” જેવાં સ્કૂલબોર્ડનાં સુવાક્યો નથી. તેનો અર્થ માણસની સાઈકોલોજીકલ સચ્ચાઈ છે.

તમે જીવનની વાત કરતા હો, ત્યાર તે સપાટી પર જેટલું દેખાય છે તેના કરતાં અનેક ઘણું નીચે પેટાળમાં હોય છે. પત્રકારત્વએ જો ઘટનાના ફેક્ટ-ફિગર રિપોર્ટિંગથી આગળ જવું હોય, તો તેના સાઈકોલોજિકલ અને ફિલોસોફીકલ ઊંડાણમાં જવું પડે. આટલા વર્ષો સુધી મેં સમાચારો અને સામાજિક પ્રવાહો પર કામ કર્યું, હવે હું માણસના દિલ અને દિમાગમાં ચાલતા પ્રવાહો પર કામ કરું છું. માણસે બહારની યાત્રા કર્યા પછી એક સમયે ભીતર વળવું પડે. હું બહાર તો છું જ, સાથે ભીતર સાથે પણ સંવાદ કરું છું.

દાખલા તરીકે, તમે મને આ બધું પૂછતાં હતાં અને હું બોલતો હતો, તો હું મારી જાતને દૂર ઊભો રહીને જોતો, સંભાળતો પણ હતો કે હું જે બોલું છું એમાં કેટલું સત્ય છે, તથ્ય છે, કેટલું મોટિવેટેડ છે, કેટલું ઈમ્પ્રેસ કરવા માટે છે?

પોતાની જાતને ઈમાનદારીથી જોવી એને હું ચિંતન કહું છું. એ હોય તો જ હું બહારની દુનિયાને ઈમાનદારીથી જોઈ શકું. અને ઈમાનદારી એ પત્રકારત્વનો પહેલો ગુણ છે.