આંગણું અને પરસાળ/વાચનનો રસ અને કસ

From Ekatra Wiki
Revision as of 15:10, 20 October 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વાચનનો રસ અને કસ

તમે એવા વાચકોને જાણો છો જેમને વાર્તા કે નવલકથા ગમી હોય પણ એના લેખકનું નામ એ જાણતા ન હોય? હા, હોય છે એવા વાચકો. એમને તો વા-ર-તા-થી કામ; લેખકનું નામ એમણે ચોપડી પર વાંચ્યું તો હોય પણ એ તરફ એમનું લક્ષ ન હોય. એટલે તમે પૂછો તો એમને યાદ ન હોય. એ કહેશે, ‘હશે હવે કોઈ નામ, પણ આપડને વાર્તા મસ્ત લાગી’ કે ‘ઘણું નૉલેજ મળે છે આ ચોપડીમાંથી’. હવે જુઓ કે ફિલ્મો જોનાર મોટાભાગનાંને એનાં એક્ટર્સનાં, નટ-નટીઓનાં નામની ખબર હોય, પણ દિગ્દર્શક કોણ, છબીકલાકાર કોણ, પટકથાલેખક કોણ – એની કોઈ જ ખબર હોય છે? ફિલ્મનાં ગીતો ગમ્યાં હોય, ‘ટૉપ’ લાગ્યાં હોય, પણ એના સંગીતકાર કોણ એની ખબર નથી હોતી એમને – પછી એના ગીતકાર કોણ એની તો ક્યાંથી ખબર હોય એમને?’ સામે છેડે એવા સજ્જ વાચકો પણ હોય છે જેમને પુસ્તકની બધી બાબતોની ખબર હોય – લેખક કોણ, પુસ્તક ક્યારે પ્રગટ થયું, કોણે કર્યું, બીજી આવૃત્તિ હોય તો પહેલી ક્યારે થયેલી, કયું પારિતોષિક કે ઍવૉર્ડ મળેલાં, એના વિશે કોણે લખેલું, એ લેખકનાં બીજાં કયાં પુસ્તકો, ને આવીઆવી ઘણી બાબતોની એ વાચકોને જાણ હોય છે. આવા જાણકાર વાચકો – એ પોતે પ્રોફેસર કે સાહિત્યકાર ભલે ન હોય પણ જિજ્ઞાસુ ને અભ્યાસી હોય છે. પુસ્તકમાંથી એ લોકો માત્ર પસાર થઈ જતા ન હોય, પણ ઊંડે ઊતરતા હોય. એની વાર્તા જ નહીં, એની શૈલીલઢણો પણ જોતા હોય, પુસ્તકનાં માર્મિક સ્થાનો પકડી શકતા હોય ને એનો આનંદ લેતા હોય. પુસ્તકની મર્યાદાઓ પણ એમની નજરે પકડાતી હોય. આ સજ્જ વાચકો વિવેચકો જ હોય એવું નહીં, પોતે ક્યારેય કશું લખ્યું ન હોય, ન વાર્તા કે ન વિવેચન, તો પણ પુસ્તકની દુનિયાના એ માહેર હોય. જો કે મને તો બંને પ્રકારના વાચક ગમે છે. જે લોકો સમય પસાર કરવા વાંચતા હોય, થોડાક મનોરંજન માટે વાંચતા હોય; ચોપડી વાંચીને વેગળી મૂકતા હોય, ભૂલી જતા હોય; એવા વાચકો પણ ‘વાચકો’ તો છે ને – કંઈક તો વાંચે છે, વાંચવામાં રસ તો લે છે, એ પણ આજે તો મોટી વાત છે. ને જે આજે માત્ર વા-ર-તા જ વાંચે છે એ, બને કે, કાલે વાર્તામાં ને વાર્તાના તત્ત્વમાં રસ લેવા માંડે. વાંચવાની શરૂઆત કરનાર બધા જ લગભગ આવા હોય છે – કથારસથી શરૂ કરનારા, ને પછી એમાં આગળ જનારા, ઊંડે ઊતરનારા. કાચ અને હીરામાં ભેદ ન કરી શકતા હોય, પણ એકવાર ચમકમાં રસ પડ્યો પછી, જતે દહાડે, એમાંથી કોઈ હીરાપારખુ પણ થવાના. નિશાળમાં ભણતી વખતે કવિતા ઉપરછલ્લી જ વાંચી હોય, પરીક્ષાના પ્રશ્નોના ઉત્તર નીચોવી કાઢવા પૂરતું જ એની લીટીએ લીટી જોઈ લીધી હોય – અમારા વખતમાં તો, અમે કવિતાના રાગડા પણ કાઢ્યા હોય, મજા પડી ગઈ હોય – પણ કવિતાની અંદર, એના પેટાળમાં જવાનું તો પછી થાય, ધીરેધીરે. પછી એનો ખરો કસ, એનો ખરો મર્મ મન સામે ઊઘડે. સાહિત્યની અને કળાની ખરી મજા આ જ છે – એનાં મર્મસ્થાનો ઓળખવાં અને માણવાં. કોઈ ઉત્તમ આસ્વાદક વિવેચકે કાવ્યનો રસાસ્વાદ કરાવ્યો હોય એ વાંચો ત્યારે સમજાય કે એણે કેવાં દલેદલ ખોલ્યાં છે કવિતાનાં! કવિતા આપણી સામે ફૂલની જેમ ઊઘડી. તો, માર્મિક વાચન એ જ ખરું વાચન – ભલે એ થોડુંક મોડું આવતું. ધીરેધીરે, ફરીફરી વાંચીને એનો સાચો રસાનંદ મેળવવો. ઉત્તમ કૃતિ પણ એ જ કે એ જેટલી વાર વાંચીએ, વર્ષો પછી ફરી વાંચીએ ત્યારે પણ એવો જ આનંદ આપે – અરે, એવો ને એવો જ નહીં, કંઈક જુદો, ને વિશેષ આનંદ આપે. પહેલાં પકડાયું ન હોય, બરાબર ઊઘડ્યું ન હોય એ હવે ઊઘડે. જે મૂળે હતું જ પણ એ પછી પ્રગટ થાય! એવી ચોપડીને કસદાર કહેવાય. વાચનનો રસ અને કસ એમાંથી જ મેળવી શકાય...

૨૪.૧૨.૨૦૧૬