સંજ્ઞા

Revision as of 16:51, 19 July 2024 by Shnehrashmi (talk | contribs)


Sangna - Cover Page 2.jpg

૧૯૬૭માં જ્યોતિષ જાનીના તંત્રીપદે શરૂ થયેલું ત્રિમાસિક. આ સામયિકના અંકોમાં પ્રગટ થયેલી નોંધપાત્ર કૃતિઓએ ‘સંજ્ઞા’ને એ સમયનું ધ્યાનાર્હ સામયિક બનાવ્યું હતું. દોસ્તોએવ્સ્કીની પ્રસિદ્ધ કૃતિનો અનુવાદ ‘ભોંયતળિયાનો આદમી’ નામે સુરેશ જોષીએ કર્યો છે. હરિવલ્લભ ભાયાણીની પ્રતિરૂપ, કલ્પન, બિંબ અંગેની ચર્ચા, દિગીશ મહેતા, મધુ રાય અને નલિન રાવળની ટૂંકી વાર્તાઓ, પ્રબોધ પરીખ, મહેન્દ્ર દવે, સુરેશ જોષી, ઉશનસ્ અને સુન્દરમનાં કાવ્યો અહીં પ્રકાશિત થયાં છે. ‘સંજ્ઞા’માં પ્રગટ થયેલી સુરેશ જોષીની દીર્ઘ મુલાકાત, જયંત પારેખે લીધેલી નાટ્ય દિગ્દર્શક પ્રવીણ જોષીની મુલાકાત તેમજ ચન્દ્રકાન્ત બક્ષીની વિવાદી વાર્તા ‘કુત્તી’, સિતાંશુ યશશ્ચન્દ્રની ‘જટાયુ’ કાવ્યકૃતિ, લાભશંકર ઠાકરનું એકાંકી ‘વૃક્ષ’ જેવી નોંધપાત્ર કૃતિઓનું પ્રકાશન અહીં થયું છે. ‘સંજ્ઞા’એ કવિતા, વાર્તા અને નાટક જેવા સ્વરૂપ વિષયક વિશેષાંકો આપ્યાં છે.

— કિશોર વ્યાસ
‘સામયિક કોશ’માંથી સાભાર



સંજ્ઞા


સંજ્ઞા સામાયિકના તમામ અંકો ફિલ્ડવર્ક કરી એકઠા કરી એનું ડીજીટાઈઝેશનનું, ગોઠવણીનું કામ પંક્તિ દેસાઇ, સહાયક પ્રાધ્યાપક અંગ્રેજી, સરકારી ઇજનેરી કોલેજ, વલસાડ દ્વારા કરાવવામાં આવેલ. આ કામ એમના ગુજરાતી લઘુ સામયિકો પરના પ્રોજેક્ટ ‘ગુજરાતી લઘુ સામયિકોમાં પ્રતિરોધના વલણોનો ઉદ્ભવ અને હ્રાસ’ અન્વયે કરવામાં આવેલ હતું. આ પ્રોજેક્ટને ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર આર્ટ્સ, બેંગલોરની આર્ટ્સ રિસર્ચની ગ્રાન્ટ પ્રાપ્ત થયેલ હતી જેને કારણે આ પ્રકલ્પ શક્ય બન્યો. તમામ અંકો નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ખાતે ડીજીટાઈઝેશન કરવામાં આવેલ. જેમાં વિવેક દેસાઈ, મેનેજીંગ ટ્રસ્ટી, નવજીવન ટ્રસ્ટ, અમદાવાદનો સહયોગ મળેલ.