જનાન્તિકે/ઓગણપચાસ

From Ekatra Wiki
Revision as of 07:28, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓગણપચાસ|સુરેશ જોષી}} {{Poem2Open}} આયુષ્યની જે અવસ્થાએ હવે આવીને ઊ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઓગણપચાસ

સુરેશ જોષી

આયુષ્યની જે અવસ્થાએ હવે આવીને ઊભો છું તે અવસ્થાએ સંગાથી, સોબતી કે પ્રતિદ્વન્દ્વીની આવશ્યકતા આપોઆપ ખરી પડતી લાગે છે. આ અવસ્થાએ માણસ ઘણી વાર એકલો બબડતો સંભળાય છે. એની પોતાની અંદર જ એને લડનાર ઝઘડનાર મળી રહેછે. દરેક વર્ષગાંઠે આ સાથી ને પ્રતિદ્વન્દ્વીની વય પણ વધતી જાય છે – આપણાથી અગોચરે. પણ ત્રીસી વટાવી ગયા પછી એ પ્રાકટયને યોગ્ય બને છે. આ સોબતી કોઈ એક નથી હોતો. કેટલીક વાર તો ત્રણ કે પાંચ સોબતીઓને સાચવી સંભાળીને જીવવાનો શ્રમ ભારે થઈ પડે છે. એમના સંસર્ગની માત્રા અનિવાર્યતયા વધતી જાય છે તેમ તેમ બહારનો સંસર્ગ છૂટતો જાયછે.. આથી કોઈ આપણને અલગારી, ધૂની કે અભિમાની સુદ્ધાં માની બેસે છે. બહાર સાથેના સંસર્ગમાં આ અન્તેવાસીઓ ઘણી વાર વિચિત્ર પરિસ્થિતિ ઊભી કરી દે છે. કશી પરિસ્થિતિ આપણને કેન્દ્રમાં રાખીને બનતી હોય એવું માનીને આપણે વર્તવા જઈએ ત્યારે આ અન્તેવાસીઓ પૈકીનો એકાદ તરત ધસી આવીને સાવ પ્રાકૃતપણે પરિસ્થિતિનો કબજો લઈ લે છે. ઘણી વાર તો આપણાં મોઢામાંથી અર્ધં બોલાયેલું વાક્ય સુધ્ધાં એ ઝૂંટવી લે છે. એ અન્તેવાસીઓનાં આ બધાં કરતૂતની જવાબદારી આપણે જ સ્વીકારવાની રહે છે. કોઈક આપણી જોડે કશીક વાતો શરૂ કરે, થોડી વાર વાતો ચાલે. પછી આપણને વહેમ જાય કે કાંઈક કાચું કપાતું લાગે છે. આપણે વધુ સાવધ બનીએ ને ત્યારે ખબર પડે કે આ વાત આપણી જોડે નો’તી થતી, એ તો અન્તેવાસી જોડે થતી હતી. આ જાણીને, મોડામોડાય આ મૂંઝવનારી પરિસ્થિતિમાંથી ઊગરી જવા આપણે એ ક ને શોધવા મથીએ છીએ. નસીબ પાધરું હોય તો એની ગેરહાજરીમાં એના વતી, આપણે જાણે ક છીએ એમ, વહેવાર ચલાવવો પડે છે. નળનું જ રૂપ ધારણ કરીને આવેલા ચાર દેવની જેમ આપણામાંના અ-બ-ક-ડ ગોટાળો કરી મૂકે છે. આપણું અસ્તિત્વ કાળયવનની ગુફા જેવું થતું જાય છે. એની અંદર ઊંડે અને ઊંડે, સરી જઈને કેવળ સાક્ષીભાવે જે કાંઈ બને તે જોયા કરવાની વૃત્તિ વધે છે. ત્યાં કોઈક અ-બ-ક કે ડ-નું નહીં પણ ખુદ આપણું પોતીકું, આપણને જ મળવાને, આપણો જ હાથ એના હાથમાં લેવાને, આપણુ જ આંસુ આપણી આંખમાં આણવાને આવી ચઢે ત્યારે આપણને સ્વપ્રતિષ્ઠાનો આનન્દ થાય છે.