કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/અંદરનો રસ ઘૂંટાઈને...

Revision as of 02:07, 19 November 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૫. અંદરનો રસ ઘૂંટાઈને...

અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને,
એવું બને તો શબ્દ કવિની સનદ બને.

તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને વસંત બને કે શરદ બને.

આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.

હૈયામાં રાખ સંઘરી હૈયાવરાળને,
સંભવ છે એ વરાળ ‘અકાલે જલદ’ બને.

અહીંયાંની જિન્દગીમાં છે તાસીર મોતની,
અહીંયાં તો વાતવાતમાં ઘટના દુઃખદ બને.

સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને.

‘ઘાયલ’ તો બોલ ઊપડ્યો એનો ન ઊપડે,
અંદરથી માનવી જો ખરેખર નગદ બને.

૨૨-૧૧-૧૯૭૦(આઠોં જામ ખુમારી, પૃ. ૪૫૯)