કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/આત્મા! જા, તું...

From Ekatra Foundation
Revision as of 07:23, 2 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૪. આત્મા! જા, તું...

સૃષ્ટિના જે પ્રથમ દિવસે, દ્યૌ-પૃથિવી દીઠાં’તાં
આશ્લેષોમાં, તહીંથી પ્રણયી હું અનંત પ્રવાસી-
સૈકાઓથી પ્રણયી યુગલે હું હતો પૃથ્વીએ આ
યાત્રી પેલો અમર-પથનો સર્જનોમાં કવિઓ
શિલ્પીઓ ને ફલક ઉપરે ચિત્રકારો સૃજે છે.
આજે જીવે પ્રણયી યુગલો તે મહીં પ્રાણ મારો
તેવો યાત્રી પ્રણય-જીવને ભાવિ યુગ્મે અનેક.

કલ્પો વીત્યા પ્રણયની વહી શી તરંગાવલિએ,
તેજોમેઘો ઉપરથી કદી, વા કદી ગર્તમાં એ
અંધારાનાં અખૂટ વમળોમાં ડૂબી ને વહી એ.

તારાઓ સૌ ગગનતલના મંત્ર એના સ્તવે છે,
વેદોચ્ચારો સમ સ્વરિત, ઉદાત્ત ’નુદાત્ત રાગે,
તેનાં આંદોલન પ્રકટીને વિશ્વ આખું ભરે આ –
એકાન્તોમાં ગગન નીરખે નિસ્તલે અંધકારે
તારે હૈયે પ્રતિધ્વનિય એના ઊઠે મંદ મંદ.
પ્રેમોર્મિ એ યુગયુગ તણી માગતી કોઈ બાળ
જે પાછો આ ત્રિભુવન બધું એક પાદે સમાવી
લોપી દૈને સમય સઘળો, લાખ લાખો યુગોનો
એનો એવો અનુભવ બધો શિલ્પ–કાવ્યે વહાવે.

આત્મા! જા, તું ચિરવિરહના એ પ્રયાણે ફરીથી
આનંત્યે તું ભ્રમણ કરજે દુઃખ–આનંદમાં તું.
દેહોની જે ભૂખ જગવતો અગ્નિ સ્ફુલિંગ તે લૈ
બાળી એને, અરૂપરૂપમાં આત્મ તું પ્રેમ પીજે.
પારાવારો નયન નીરખે અબ્ધિ-આકાશ જેવાં
તોયે તારો, પ્રણય! ન કદી તાગ માપી શકે એ.
આત્મા ધન્ય ક્ષણે કો અરૂપરૂપની એ–અબ્ધિ આકાશની એ
ઝાંખી લેતો, મુઝાયે ક્ષણ બ ક્ષણ, ને સ્તબ્ધ નિશ્ચેષ્ટ દેહ
અશ્રુસ્રોતો વહાવી અવશવિવશ થૈ ક્રન્દને લે સમાધિ.

૯-૬-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૭૮-૭૯)