કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/મરવા દેજો

Revision as of 12:42, 2 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૦. મરવા દેજો

(મુક્ત લાવણી)
મુઠ્ઠી ભરી ઓર્યું તે લણતાં હાથ અમારા થાક્યા,
પંખીડાં ટોતાં તમ કાજે, એમ નહિ રે કરશો,
અન્નકૂટ સઘળાં લૈ લેજો, શેષ રહે તે દેજો.
તાણાવાણા ભરતાં ભરતાં ખૂબ અમે હરખાયાં,
રંગભર્યાં તે વાઘા સજતાં ઉત્સવિયાં થૈ ફરજો;
અમ લાજતણાં રખવાળાં કાજે ચીંદરડી ના ભૂલશો.
પરસેવે નીતરતાં રાખી મહેલમિનારા ચણજો,
મરતી વેળા ટૂકડો ધરતી બળવા માટે દેજો,
બળતી ચેહ નીરખતાં દુઃખનાં આંસુ ના ખેરવજો.
અમ અંતરની આશા બાળી સુખદીવો ચેતવજો,
ધગતા તાવે માથું સળગે આ એક જ આશ મુલવજો,
અમ અંતરની આશિષ લૈને અમને મરવા દેજો,
અમને યાદ કદી ના કરજો.

૩૧-૧૦-૧૯૩૮(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૨૪૮)