ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/મણિલાલ જાદવરાય ત્રિવેદી

From Ekatra Foundation
Revision as of 05:15, 8 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મણિલાલ જાદવરાય ત્રિવેદી

એઓ જ્ઞાતે મઢ ચાતુર્વેદી બ્રાહ્મણ અને મૂળ કપડવણજના વતની છે. એમનો જન્મ એજ ગામમાં સં. ૧૮૭૩માં થયો હતો. એમના પિતાનું નામ જાદવરાય રણછોડરાય ત્રિવેદી અને માતાનું નામ બાઈ જેકોર છે. आत्मावै पुत्र नामासि એ ન્યાયે મણિલાલભાઈમાં જે કાંઈ શ્રેષ્ઠત્વ છે તે તેમનું અંગત નથી પણ પિતૃ ચરણનો વારસો છે કારણ તેમના પિતા રા. જાદવરાયભાઈ કપડવંજમાં ૨૫ વર્ષ પોસ્ટ મારસ્તરની જોખમદારી નોકરી કરી પ્રજાની અત્યુત્તમ મમતા સંપાદન કર્યા છતાં ધર્મપરાયણ જીવન ગાળતા હતા. એમનું બીજી વારનું લગ્ન સન ૧૯૦૭માં ધોળકા તાલુકે ચલોડામાં સૌ. ચંચળબ્હેન સાથે થયું હતું.

એમણે ગુજરાતી વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા પાસ કરેલી છે; અને ઈંગ્રેજીમાં છ ધોરણનો અભ્યાસ કર્યો છે. ઘોઘા નોકરી કરતા હતા ત્યારે ભાવનગરમાં સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ લીધું હતું.

તેઓ જ્યુડિશિયલ ખાતામાં હતા તેમાંથી હાલમાં નિવૃત્ત થઈ પોતાનો સર્વ કાળ ઉપયોગી અને આવશ્યક ધર્મગ્રંથોનાં સંપાદન અને પ્રકાશન કાર્યમાં અને તેના પ્રચારમાં ગાળે છે.

તત્ત્વજ્ઞાન એ એમનો પ્રિય વિષય છે અને ગીતા અને ષડ્દર્શનનો ખાસ અભ્યાસ કર્યો છે. તેનું કારણ પ્રથમથી જે તેઓ રા. નર્મદાશંકર દેવશંકર મહેતા અને મણિશંકર મહાશંકર શાસ્ત્રી જેવા પ્રખ્યાત ધાર્મિક પુરૂષોના સમાગમમાં આવી તેમના આન્તરિક પરિચિત છે.

નોકરી દરમિયાન એમના માયાળુ અને પરગજુ સ્વભાવથી સૌ કોઈનો ચાહ મેળવતા અને તેમની ધાર્મિક પ્રવૃત્તિ સૌ કોઈનું વિશેષ ધ્યાન ખેંચતી. એમના ગ્રંથો જોતાં તેમને ગાયત્રી પ્રતિ પ્રીત પ્રથમથી જ જણાઈ આવે છે અને તેના સર્વાઙ્ગના પ્રકાશન માટે તેમનો પ્રયાસ તેમના પુસ્તકો જોતાં પ્રતીત થાય છે. કપડવણજમાં સ્મશાનમાં આવેલા એક હૃદયનારાયણ યોગી કે જે ત્યાગ અને જ્ઞાનની મૂર્તિ હતી તેમના દર્શન પરિચય પછી તેમની શક્તિ વિશેષ ખીલી છે–કેમકે તે યોગીને તે એક અવતારી તરીકે માનતા હતા.

ધર્મપ્રચાર અર્થે એમણે જે પુસ્તકો તૈયાર કરી છપાવ્યાં છે તેની સૂચી નીચે મુજબ છે :-

: : એમની કૃતિઓ : :

   પુસ્તકનું નામ પ્રકાશન વર્ષ
૧ ગાયત્રી ભાષ્ય ભાષાન્તર સન ૧૯૧૩
૨ શ્રી ગાયત્રી અર્થ પ્રકાશ સં. ૧૯૭૦
૩ શ્રી ગાયત્રી સ્તવરાજ સન ૧૯૨૭
૪ દુઃખીઓની સેવામાં પ્રેમ ધરાવનાર સર્વના સમાધાન સારૂ સન ૧૯૨૦
૫ સામવેદનું પદ્ય તથા વિવરણ સં. ૧૯૮૧
૬ મહિમ્ન સ્રોત્રનું પદ્ય ભાષાન્તર સં. ૧૯૮૧
૭ શ્રી સૂર્યોપાસના સન ૧૯૨૬
૮ શિવાપરાધ શમાપન સ્રોત્ર સં. ૧૯૮૨
૯ શ્રી ભક્તિસૂત્ર સં. ૧૯૮૨
૧૦ માનસિક યંત્ર સં. ૧૯૮૨
૧૧ તારા કવચ સં. ૧૯૮૩
૧૨ મૃત્યુંજય વિધાતા સં. ૧૯૮૪
૧૩ આત્મ જાગૃતિની પ્રાપ્તિ અને સત્ય સ્વરુપમાં સાક્ષાત્કાર સન ૧૯૩૨
૧૪ શ્રી ગાયત્રી મહાત્મ્ય સં. ૧૯૮૯
૧૫ મૂર્તિ પૂજા સં. ૧૯૮૯
૧૬ યજ્ઞોપવિત મીમાંસા સં. ૧૯૮૯