ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/મણિલાલ દલપતરામ પટેલ


મણિલાલ દલપતરામ પટેલ

એઓ જ્ઞાતે લેઉઆ પાટીદાર અમદાવાદના વતની છે; એમના પિતાનું નામ પટેલ દલપતરામ મોતીરામ અને માતાનું નામ બાઈ જીવકોર ભગવાનદાસ હતું. એમનો જન્મ તા. ૧૧–૮–૧૮૬૨ના રોજ અમદાવાદમાં થયો હતો. એમનું પ્રથમ લગ્ન ૧૮૭૫માં બાઈ દિવાળીબાઈ સાથે અને બીજું લગ્ન સન ૧૯૦૦માં બાઈ ડાહી ઉર્ફે ચંચળ સાથે થયું હતું. એમણે હાઇસ્કુલ સુધીનું માધ્યમિક શિક્ષણ લીધેલું છે; અને તે પછી આખું જીવન જ્યુડિશિયલ ખાતામાં ગાળ્યું હતું; અને ફર્સ્ટકલાસ કોર્ટના નાજરના હોદ્દે પહોંચ્યા હતા. શાળામાં હતા ત્યારથી એમને વાચનનો શોખ તેને લઈને તેઓ સોસાઈટીમાં સભ્ય થયા હતા અને તેના તરફથી “દુનિયાની બાલ્યાવસ્થા” એ નામનું પુસ્તક લખી આપવા બદલ રૂ. ૭૫)નું ઈનામ મળ્યું હતું. અંગ્રેજી ગુજરાતી તેઓ સારૂં બોલી શકે છે અને તેને લઈને એમના કેટલાક મિત્રો ડૉ. જોનસન કહીને તેમને સંબોધે છે. વલ્લભ સંપ્રદાયના તેઓ ચુસ્ત અનુયાયી છે; અને ભાગવત, ગીતા વગેરે એમનાં પ્રિય પુસ્તકો છે. એમનો અંગ્રેજી પત્રવ્યવહાર નામનું પુસ્તક સામાન્ય જનતામાં વખણાયું છે; તેમ “છુપી પોલીસ” પણ એવું આકર્ષક નિવડ્યું છે. સોસાઇટી તરફથી ગુજરાતી કોશ બહાર પાડવાનો હતો તેમાં પારિભાષિક શબ્દોનો ભંડાર દરેક કારીગર વર્ગને પૂછી સંગ્રહેલો તે સોસાઈટીને કાંઈ પણ મહેનતણું લીધા વગર આપેલો તે બદલ મર્હુમ સર રમણભાઈએ તેમનો આભાર માની તે બાબતની નોંધ લેવા પત્ર લખ્યો હતો. એમની કૃતિઓ નીચે પ્રમાણે છે, જેમાંની બે ત્રણની બબ્બે કે વધુ આવૃત્તિઓ થવા પામી છે.

-: એમની કૃતિઓ :-

(૧) પ્રસ્તાવિક બોધ ૧૮૯૨
(૨) છુપી પોલીસ ૧૮૯૩
(૩) દુનિયાની બાલ્યાવસ્થા ૧૮૯૬
(૪) અંગ્રેજી લેટરરાઈટર ૧૮૯૮
(૫) એક ઘોડાની આત્મકથા ૧૯૩૧