ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/રામશંકર મોનજી ભટ્ટ

Revision as of 05:23, 8 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)


રામશંકર મોનજી ભટ્ટ

એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્રી બ્રાહ્મણ, સિહોર જુથના, ભાવનગર તાબે ભુંભલીના વતની છે; એમના પિતાશ્રીનું નામ મોનજી ઓધવજી અને માતુશ્રીનું નામ દીવાળીબાઈ, એમનો જન્મ ભાવનગરમાં તા. ૨૭મી જુલાઈ સન ૧૮૭૯માં થયો હતો. એમનું લગ્ન વળા મુકામે શ્રીમતી ભાગિરથી હવાલાલ જેઠાલાલની પુત્રી સાથે થયું હતું.

એમણે પ્રિવિયસ સુધીનો અભ્યાસ કરેલો છે. એઓ પ્રથમ પોસ્ટલ રેલ્વે મેઇલ સર્વિસમાં જોડાયેલા હતા, તેમાંથી સન ૧૯૧૮માં સોળ વર્ષે ઇનવેલીડ પેન્સન મેળવી એમની છૂટી થઈ. પોતાનું બાકીનું આયુષ્ય લોકોને ઉપદેશ આપવામાં વ્યતિત કરે છે.

તુલસીકૃત રામાયણ, ભાગવત, ગીતા, ઉપનિષદો વગેરે એમના પ્રિય ગ્રંથો છે; અને રાતદિવસ એનું એઓ મનન કરે છે.

નિવૃત્ત થયા પછી સોળ વરસથી તેઓ મોક્ષપત્રિકા નામનું માસિક કાઢે છે. તે સાથે થોડામાં ઘણું જ્ઞાન મળે, એવાં નાનાં મોટાં અનેક પુસ્તકો પણ બહાર પાડે જાય છે.

એમની મોક્ષપત્રિકા બહુ લોકપ્રિય નિવડી છે, અને સેંકડો મનુષ્યો અમદાવાદમાં અને બહારગામ તેનો લાભ લે છે. જ્ઞાનભક્તિ અને વૈરાગ્યના રસિક જીવોએ ખાસ વાંચવા જેવી છે.

આજ સુધીમાં મોક્ષપત્રિકા દ્વારા એમણે બહુ સુંદર સેવા કરેલી છે, અને જે સાહિત્ય ઉપજાવ્યું છે તે જેમ સુબોધક તેમ પઠનપાઠન સારૂ ઉપયોગી છે.

: : એમની કૃતિઓ : :

(૧) મોક્ષપત્રિકા
(૨) રાસ પંચાધ્યાયી
(૩) વૈરાગ્યશતક
(૪) વેદાંત કેસરી
(૫) વિવેક ચૂડામણિ
(૬) પાતાંજલ યોગદર્શન
(૭) સમાધિપાદ
(૮) રઘુવંશ
(૯) મોક્ષવાણી