બાળ કાવ્ય સંપદા/શણગાર

Revision as of 15:31, 12 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શણગાર|લેખક : અમૃતલાલ પારેખ<br>(1904-1990)}} {{center|<poem>શણગાર જો ચાંદાને કારીગર કો નાખે મહીંથી કોરી, તારા પગનું ઝાંઝર બહેની ! કેવું થાય રૂપેરી ! ફરતી તારાઘૂઘરી ટાંગે, તો તે કેવું સુંદર લાગે !...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શણગાર

લેખક : અમૃતલાલ પારેખ
(1904-1990)

શણગાર
જો ચાંદાને કારીગર કો નાખે મહીંથી કોરી,
તારા પગનું ઝાંઝર બહેની ! કેવું થાય રૂપેરી !
ફરતી તારાઘૂઘરી ટાંગે,
તો તે કેવું સુંદર લાગે !
સોનાનો આ સૂરજ, બહેની ! કિરણ એનાં ચોરી,
નવસરિયો જો હાર બનાવે કારીગર કો લહેરી;
માંહી રતન જડી દે થોકે,
દીપે કેવો તે તુજ ડોકે !
નાની-સ૨ખી શુક્રકણીને નથડીમાં દે નાંખી,
તારું નમણું નાક રૂપાળું જોઈ રહે સૌ તાકી;
એની જ્યોત અજબ ઝળકે,
જાણે ઊગતી ઉષા મલકે !
ને આ આભ તણી મલમલથી નાનો કટકો ફાડી,
ફરતી ભાત ભરી કો સીવે ઓઢણી તુજ રૂપાળી;
તારો સુંદર સાળુ જોઈ,
બહેની, વિશ્વ બધું રહે મોહી !
વીજળીનો કંદોરો કેડે, ફૂલનાં કંકણ હાથે,
પરીઓ પણ જોવાને આવે તુને નમતે માથે;
બહેની ! થાય મને ઉર એવું !
ક્યારે થાય ચહું હું તેવું !