પરમ સમીપે/૨૧

From Ekatra Wiki
Revision as of 02:15, 5 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૧

હે નિત્ય નવીન અનાદિ સૌંદર્યના મૂળ અધિષ્ઠાન પરમેશ્વર,

મારા સમયનો મોટો ભાગ ખોઈ નાખ્યા પછી મેં તમને
મારા પ્રેમપાત્ર તરીકે સ્વીકાર્યા છે. તમે તો હંમેશાં મારી
અંદર વિદ્યમાન હતા, પણ હું જ તમારાથી દૂર હતો.
તમે મને તમારી પાસે બોલાવ્યો, સાદ પાડ્યો અને
મારું બહેરાપણું નષ્ટ કર્યું. તમે મને સ્પર્શ કર્યો અને
મારા મનમાં તમારા પ્રેમ-આલિંગનની આકાંક્ષા જાગી.
પોતાના મનમાં જે, તમારી પૂજા માટે ન હોય એવી
અન્ય વસ્તુઓની પણ અભિલાષા રાખે છે, તેનો
તમારા માટેનો પ્રેમ ઊણો છે.

હે પ્રેમસ્વરૂપ પરમેશ્વર, અનન્ત-શાશ્વત જ્યોતિસ્વરૂપ દેવતા,

કૃપા કરીને મારા હૃદયમાં તમારી અવિનશ્વર
પ્રેમજ્યોતિ ભરી દો.

મારે માટે વિપત્તિમાં રહેવાનું જ શ્રેયસ્કર છે. હું
વિપત્તિમાં સ્વસ્થ રહું છું, કારણ કે પરમેશ્વરે જ મારે
માટે એવું વિધાન કર્યું છે. આપણે એની ઇચ્છાથી
વિપરીત સ્થિતિનું વરણ કરીએ તો અપરાધી ઠરીએ.
ઈશ્વરે તો આપણે માટે એની સત્ય સમજણથી જે યોગ્ય
અને ન્યાયપૂર્ણ છે, તે સ્થિતિની જ વ્યવસ્થા કરી છે.

સંત ઑગસ્ટિન