કવિલોકમાં/પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ
મધ્યકાળના સાહિત્યનાં આપણાં મૂલ્યાંકનો ઘણી વાર પ્રમાણભૂત બની રહેતાં નથી. આનું કારણ એ છે કે મધ્યકાળની આપણી સમજ ઊણી પડે છે. આપણે ચાલુ અભિપ્રાયોથી દોરવાઈએ છીએ અને ખંડદર્શન કરીને અભિપ્રાયો બાંધીએ છીએ. નરસિંહ, પ્રેમાનંદ, શામળ જેવા સિદ્ધપ્રસિદ્ધ કવિઓની તો પ્રશંસા જ કરવાની હોય એમ માનીને આપણે ચાલીએ અને એમની રચનાઓના નિર્બળ અંશોનાં પણ આપણાથી ગુણગાન થઈ જાય, તો સામે વિશ્વનાથ જાની, ગણપતિ, જયવંતસૂરિ જેવા કવિઓના ખરા ઊંચા કવિત્વને આપણે પારખી ન શકીએ અને એમની ઉચિત કદર કરવામાં આપણે સંકોચ અનુભવીએ.
હા, જયવંતસૂરિ વિશે આવું જ થયું છે. એમની એક અત્યંત સુંદર કૃતિ ‘શૃંગારમંજરી'નો પીએચ.ડી. માટે ઊંડો અભ્યાસ કરનાર કનુભાઈ શેઠ એમને વિશે કહે છે કે “એ ભલે પ્રતિભાશાળી કવિ નથી, પણ એક સારા 'રાસકવિ' તો છે જ.” આ વિધાનમાં જયવંતસૂરિની પ્રતિભાનો સ્વીકાર કરવામાં હિચકિચાટ વરતાય છે. સારા રાસકવિ તે પ્રતિભાશાળી કવિ નહીં? કદાચ, કનુભાઈ શેઠને 'સારા રાસકવિ' એ શબ્દપ્રયોગમાં કથાકથનની શક્તિ જ અભિપ્રેત હોય. પણ છે એથી કંઈક જુદું જ. જયવંતસૂરિની રાસકૃતિઓનો વિશેષ પણ એમાંનું કાવ્યત્વ - વર્ણન, ભાવનિરૂપણ, અલંકારપ્રયોજન, છંદ-લયવિધાન, સમસ્યા-સુભાષિત-પ્રાસરચનાદિનું કૌશલ વગેરે - છે. કથાઓ તો પરંપરાગત છે. જયવંતસૂરિ કવિ પહેલાં છે અને રાસકાર પછી. સાચા અને પૂરા અર્થમાં પ્રતિભાશાળી કહી શકાય એવા એ કવિ છે. કાવ્યનાં સર્વ અંગોની એમની સજ્જતા અસાધારણ છે અને એમની રસદૃષ્ટિ સતેજ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેમને ગૌરવભર્યું સ્થાન આપવું પડે એવા એ કવિ છે.
ઓળખ
કવિ પોતાને જયવંત પંડિત કે જયવંતસૂરિ તરીકે ઓળખાવે છે. પહેલાં પંડિતપદ મળ્યું હશે, પછી સૂરિપદ. એ પોતાનું અપરનામ ગુણસૌભાગ્યસૂરિ પણ આપે છે. સૂરિપદ પછીનું આ નામ હોવાની શક્યતા છે, પણ એમણે પોતાની કૃતિઓમાં પોતાને ‘જયવંત પંડિત' કે 'જયવંતસૂરિ' તરીકે જ ઓળખાવવાનું મોટે ભાગે પસંદ કર્યું છે. એમની જ કૃતિઓના ગુટકામાં (લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર હસ્તપ્રત ક્રમાંક ૩૫૫૮) કેટલીક કૃતિઓને અંતે 'સજન પંડિત' એવી નામછાપ મળે છે, જે કૃતિઓ અન્ય સ્થાને 'જયવંત પંડિત'ને નામે છે. આથી 'સજન પંડિત' એમણે સ્વીકારેલું ઉપનામ હોવાનું સમજાય છે.
એ વડતપગચ્છની રત્નાકર શાખાના સાધુ હતા. એમની કૃતિઓમાં એમની ગુરુપરંપરા આ રીતે નિર્દેશાઈ છે : વિજયરત્નસૂરિ – ધર્મરત્નસૂરિ – વિનયમંડન ઉપાધ્યાય— જયવંતસૂરિ. ગુરુના એ સૌથી નાના શિષ્ય હતા (જુઓ શૃંગારમંજરી, કડી ૨૪૧૯ - 'જયવંત લઘુ સીસ તાસ’, કડી ૨૪૨૨ - 'લઘુ સીસ ભૂમિપ્રસિદ્ધ': ધર્મલક્ષ્મીએ લખેલી 'કાવ્યપ્રકાશવિમર્શિની’ ટીકાની પ્રતને અંતે – ‘તેષાં વિનેયાન્તિમઃ સૂરિ: શ્રીજયવંતઃ')
જયવંતસૂરિના સમુદાયની વિસ્તૃત ગુરુશિષ્યપરંપરા – એમના ગુરુબંધુઓ, ગુરુના ગુરુબંધુઓ વગેરે - વિશેના ઉલ્લેખોમાંથી જુદીજુદી માહિતી મળે છે. આથી આ બાબત તપાસ માગે છે. અહીં એની ચર્ચા કરવાનું પ્રયોજન નથી.
સમય
કવિની જીવનઘટનાઓના સમયનિર્દેશો સાંપડતા નથી. જન્મ-મૃત્યુ, દીક્ષા, પંડિતપદ અને સૂરિપદની પ્રાપ્તિ વગેરેનાં વર્ષો ક્યાંય નોંધાયાં નથી. એમનો જીવનકાળ એમની કૃતિઓના જીવનકાળને આધારે જ નક્કી કરવાનો રહે છે. ‘શૃંગારમંજરી' ૧૫૫૮માં અને ‘ઋષિદત્તા રાસ' ૧૫૮૭માં રચાયેલ છે, તેમજ 'સીમંધરસ્વામી લેખ' આસો સુદ પૂનમ ને શુક્રવારે લખ્યાનું કવિએ જણાવ્યું છે, તે તિથિ-વાર સં.૧૫૯૯ એટલે ઈ.૧૫૪૩માં પડે છે (કનુભાઈ શેઠ, પ્રસ્તા. પૃ.૧૦). તેથી કવિનો કવનકાળ સોળમી સદી મધ્યભાગ અને ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે.
જીવનકાળ વિશેના અન્ય એકબે આધારો પણ મળે છે. ૧૫૩૧માં થયેલા શત્રુંજયઉદ્ધાર વખતે ગુરુ વિનયમંડનની સાથે જયવંત પંડિત પણ હશે એવું માનીને એ વખતે એમની ઓછામાં ઓછી ઉંમર ૨૦ વર્ષની અંદાજવામાં આવી છે (મો. દ. દેશાઈ, જૈન ગૂર્જર કવિઓ, ભા.૨ પૃ.૭૧). બીજી બાજુ, એમણે જ્ઞાનભંડારમાં મુકાવેલી તથા એમની આજ્ઞાથી ધર્મલક્ષ્મી પ્રવર્તિનીએ લખેલી ગોપાલ ભટ્ટની 'કાવ્યપ્રકાશ' પરની 'વિમર્શિની' ટીકાની પ્રત ૧૫૯૬ની છે. આ રીતે કવિનો જીવનકાળ સમગ્ર સોળમી સદીમાં વિસ્તરતો ગણાય. જોકે ‘શૃંગારમંજરી' પોતે લઘુ વયે રચેલી છે એમ જયવંતસૂરિએ કહ્યું છે. ૧૫૩૧ના શત્રુંજયઉદ્ધાર વખતે એ વીસ વર્ષના હોય તો ૧૫૫૮માં ‘શૃંગારમંજરી'ની રચના વેળાએ એમની ઉંમર ૪૭ વર્ષની ઠરે. એથી શત્રુંજય- ઉદ્ધાર વખતે એ ઉપસ્થિત હોય અને એમની ઉંમર વીસ વર્ષની હોય એ હકીકત શંકાસ્પદ બને છે. 'લઘુ વય' એટલે વીસપચીસ વર્ષ એવો જ અર્થ કરીએ તો 'સીમંધરસ્વામી લેખ'નું રચનાવર્ષ ૧૫૪૩ પણ શંકાસ્પદ ઠરે, કેમકે ૧૫૪૩માં એ પાંચ-દશ વર્ષની ઉંમરના હોય.
કવિને પંડિતપદ મળ્યાનું વર્ષ કનુભાઈ શેઠ (પ્રસ્તા. પૃ.૧૧) ૧૫૫૮ અનુમાને છે. પરંતુ આ યથાર્થ નથી. એમના અનુમાનના આધારો ભૂલભરેલા છે. એ વર્ષમાં રચાયેલ બે કૃતિઓમાંથી એક ‘શૃંગારમંજરી’માં કવિ પોતાને ‘પંડિત' તરીકે અને 'નેમિનાથ બારમાસ વેલપ્રબંધ'માં 'સૂરિ' તરીકે ઉલ્લેખે છે તેથી એ વર્ષના અંતમાં કવિને સૂરિપદવી મળી હશે એવું શેઠે અનુમાન કર્યું છે. પરંતુ ‘શૃંગારમંજરી’ (કડી ૧૭)માં ‘જયવંતસૂરિ' એવો ઉલ્લેખ મળે જ છે (જોકે કેટલીક પ્રતોમાં ‘જયવંત પંડિત' એવો પાઠ છે) અને બીજી ‘નેમિનાથ બારમાસ વેલપ્રબંધ'માં રચનાસમયનો નિર્દેશ નથી - સાંડેસરાએ ‘શૃંગારમંજરી'ને આધારે એ વર્ષ મૂકેલું છે (એમણે 'ઉષાહરણ'ને અંતે આપેલી યાદીમાં ઘણી કૃતિઓનાં વર્ષ આ રીતે કવિની અન્ય કૃતિના રચનાવર્ષને આધારે એની આસપાસનો સમયગાળો દર્શાવવા આપેલાં છે), જેનો શેઠે આધાર લીધો છે. આમ, કવિને સૂરિપદવી મળ્યાનું વર્ષ અનિર્ણીત જ રહે છે.
બાલબ્રહ્મચારી?
જયવંતસૂરિ બાલબ્રહ્મચારી હતા એમ નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ.૩) નોંધ્યું છે. પણ જે પંક્તિઓને આધારે એમણે આમ કહ્યું છે તે પંક્તિઓનું એમનું અર્થઘટન ભ્રાન્ત છે. એમણે આપેલી પંક્તિઓ આ મુજબ છે :
નેમિનાથ જયંતી રાજલિ પુહુતી ગઢ ગિરનારિ રે,
જયવંતસૂરિસામી તિહાં મિલીઉ આબાલ બ્રહ્મચારી રે.
આ પંક્તિઓમાં રાજુલને ગિરનાર પર નેમિનાથ - જયવંતસૂરિના સ્વામી – મળ્યા એની વાત છે અને વસ્તુતઃ નેમિનાથને બાલબ્રહ્મચારી કહેવામાં આવ્યા છે. જયવંતસૂરિ બાલબ્રહ્મચારી હોઈ શકે પણ આ પંક્તિઓને આધારે એમ કહેવાય નહીં.
વિદ્યાભ્યાસ અને વિદ્વત્તા
જયવંતસૂરિના વિદ્યાભ્યાસને લગતી કોઈ સીધી માહિતી મળતી નથી. પણ પોતાના ગુરુ વિનયમંડનને એમણે બુદ્ધિમાં સરસ્વતી જેવા અને વિદ્યામાં સુરગુરુ બૃહસ્પતિ જેવા કહ્યા છે (શૃંગારમંજરી, કડી ૧૪ તથા ૨૪૧૧) એ જો ઔપચારિક વચન ન હોય તો એમણે ગુરુ પાસે જ વિદ્યાભ્યાસ કર્યો હોય એમ બને. જયવંતસૂરિની કૃતિઓ એમની વિદ્વત્તાની સાખ પૂરે છે. એમાં સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરાનો ગાઢ પ્રભાવ છે અને રસશાસ્ત્ર-અલંકારશાસ્ત્ર-કાવ્યશાસ્ત્રની જાણકારી પણ વરતાય છે. 'કાવ્યપ્રકાશ' પરની ગોપાલ ભટ્ટની ટીકાની પ્રત લખાવીને એમણે જ્ઞાનભંડારમાં મુકાવી હતી અને જયંત' વગેરે ટીકાઓ પણ ભેગી કરી હતી એ હકીકત પણ એમને કાવ્યશાસ્ત્રમાં તીવ્ર જિજ્ઞાસા હશે અને એનો એમણે ઊંડો અભ્યાસ કર્યો હશે એમ બતાવે છે.
જયવંતસૂરિએ 'કાવ્યપ્રકાશ' પર ટીકા લખી હતી એવું મોહનલાલ દલીચંદ દેશાઈએ (જૈન ગૂર્જર કવિઓ, ભા.ર પૃ.૭૨), કનુભાઈ શેઠે (શૃંગારમંજરી, પ્રસ્તા. પૃ.૪) તથા નિપુણા દલાલે (ઋષિદત્તા રાસ, પ્રસ્તા. પૃ.૪) નોંધ્યું છે. પરંતુ આ જૈન ગૂર્જર કવિઓ'માં ઉતારાયેલ એ ટીકાની હસ્તપ્રતની પુષ્પિકાના ખોટા અર્થઘટનનું પરિણામ છે. એ પુષ્પિકા આ પ્રમાણે છે :
ટીકા જયંતમુખ્યા વિલોક્ય તત્સંગ્રહં ચ સાસદ્ય,
સહૃદયમુદે પ્રયત્નાત્ શ્રીગુણસૌભાગ્યસૂરિવરઃ.
ઈતિ સાહિત્યચક્રવર્તિલૌહિત્યભટ્ટગોપાલવિરચિતાયાં સાહિત્ય-ચૂડામણૌ કાવ્યપ્રકાશવિમર્શિન્યાં દશમ: ઉલ્લાસ:.
આસન્ વૃદ્ધ તપોગણે સુગુરવ: શ્રીધર્મરત્નાહ્વયા:
તત્શિષ્યાઃ વિનયમણ્ડનવરાસ્તેષાં વિનેયાન્તિમ:,
સૂરિ: શ્રીજયવન્ત: એષ: ગુણસૌભાગ્યોડપરાહ્વોઽસ્તિ યઃ
ચિત્કોશે સમલીલિખદ્ વિવરણં કાવ્યપ્રકાશસ્ય સઃ. ૧.
શ્રીવિનયમણ્ડનગુરોર્ગિરા શિશુત્વેડપ્યવાપ્તચારિત્રા,
આર્યા વિવેકપૂર્વા પ્રવર્તિની સુન્દરી જજ્ઞે. ૨.
વિવેકલક્ષ્મી: તત્સેવાહેવાકિન્યપ્યજાયત,
તદ્વિનેયા વિજયિની ધર્મલક્ષ્મી: પ્રવર્તિની. ૩.
ટીકા કાવ્યપ્રકાશસ્ય સા લિલેખ પ્રમોદતઃ
ગુણસૌભાગ્યસૂરીણાં ગુરૂણાં પ્રાપ્ય શાસનમ્. ૪.
સંવત ૧૬૫૨ વર્ષે પોષ સુદિ ૧૩ બુધે સમાપ્તોડયં ગ્રન્થ:.
આ ઉતારા પરથી જણાય છે કે (૧) આ હસ્તપ્રત વસ્તુતઃ ગોપાલ ભટ્ટ વિરચિત 'કાવ્યપ્રકાશવિમર્શિની નામની ટીકાની છે, (૨) એ હસ્તપ્રત ધર્મલક્ષ્મીએ ગુણસૌભાગ્યસૂરિ એટલેકે જયવંતસૂરિની આજ્ઞાથી લખેલ છે, અને (૩) જયવંતસૂરિએ એ હસ્તપ્રત ચિત્કોશ -જ્ઞાનભંડારમાં મુકાવેલી છે. જયવંતસૂરિ 'કાવ્યપ્રકાશ' પરની આ ટીકાના કર્તા નથી એ ચોખ્ખું છે.
જયવંતસૂરિની કૃતિઓ નીચે મુજબ છે :
શૃંગારમંજરી/ શીલવતીચરિત્ર (૧૫૫૮)
મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૫૧ ઢાળ અને ૨૪૨૩ કડીની આ રાસ્કૃતિ કવિની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એમાં વણાયેલી શીલમાહાત્મ્યની કથા તો પરંપરાપ્રાપ્ત છે પરંતુ કવિની નેમ માત્ર કથા કહેવાની નથી. એ નિમિત્તે સ્નેહભાવનું ગાન કરવાની, સ્નેહભાવને વિવિધ રીતે આલોકિત કરવાની છે. માટે તો એને ‘શૃંગારમંજરી' એવું નામ આપવામાં આવ્યું છે. ('નામિઈં શૃંગારમંજરી, શીલવતીનુ રાસ') કૃતિની એક પ્રતની પુષ્પિકામાં મળતા શબ્દો આ સંદર્ભમાં નોંધપાત્ર છે : "ઇતિશ્રી શીલવતીચરિત્રગર્ભિતા શૃંગારમંજરી નામ્ના સુભાષિતા સમાપ્તા." સ્નેહભાવને કવિએ આલોકિત કર્યો છે સંયોગશૃંગાર અને તેથીયે વિશેષ વિરહશૃંગારના સવિસ્તર અને હૃદયંગમ નિરૂપણથી તેમજ સ્નેહ ને એની સાથે સંબદ્ધ વિષયોનાં થોકબંધ સુભાષિતોની ગૂંથણીથી. શૃંગારના આલેખનમાં પરસ્પર પ્રેમભાવની અને વિરહદુઃખની ઉક્તિઓ ઉપરાંત વસંતવિહાર, સમસ્યાચાતુરી વગેરેને સમાવતી પ્રેમગોષ્ઠિ, સૌન્દર્ય-શણગારવર્ણન, બારમાસી, વર્ષાવર્ણન, ચંદ્ર. બપૈયો, સારસ વગેરેને સંબોધનો, સખી સાથે સંવાદ, પનિહાં (અભિલાષની ઉક્તિઓ), અણખિયાં (રોષની ઉક્તિઓ), પત્રલેખન આદિ અનેક પ્રયુક્તિઓ કવિએ યોજી છે, અને પ્રસંગાનુરૂપ ગૂંથાયેલાં સુભાષિતોમાં સ્નેહનું સ્વરૂપ, સ્નેહદશાનાં લક્ષણો, વિરહદશાનાં લક્ષણો, સજ્જનસ્નેહ, સજ્જન-દુર્જનસ્વભાવ, સ્નેહ ખાતર દુર્જનસંગ વગેરે અનેક વિષયો આવરી લીધા છે. કૃતિનો અર્ધો ભાગ તો સ્નેહવિષયક ઉક્તિઓ- ઉદ્ગારો ને વર્ણનો રોકે છે – સરસ્વતીનું પણ મદનરાયના મંદિર રૂપે નવનવ કડી સુધી સૌન્દર્યવર્ણન થાય છે, સ્નેહતત્ત્વની સુગંધ કૃતિની રગેરગમાં વ્યાપી રહે છે અને કૃતિને કથનપ્રધાનને સ્થાને વર્ણન-ભાવ- નિરૂપણપ્રધાન બનાવે છે. શૃંગારને અનુષંગે આવેલાં વર્ણનો ઉપરાંત નગરવર્ણન, વનવર્ણન, સૈન્યવર્ણન, પ્રભાતવર્ણન વગેરે અન્ય વર્ણનો કવિ આપે છે અને સૌન્દર્યવર્ણનમાં કેશપાશ, સ્તન વગેરેનાં વર્ણનો, વિવિધ ઉપમાનોનો આશ્રય લઈને કડીઓ સુધી વિસ્તારે છે તે કવિનો ઉત્કટ વર્ણનરસ બતાવે છે. વિસ્તૃત વર્ણનો ને ભાવનિરૂપણો, સુભાષિતોની પ્રચુરતા ને એમાં રૂઢોક્તિઓ, કહેવતો ને સમર્થક દૃષ્ટાંતોનો વિનિયોગ, અલંકારરચનાની બહુલતા અને વિદગ્ધતા. સમસ્યાઓની પ્રકારભિન્નતા, કૂટતા અને કાવ્યમયતા, વિવિધ છંદો અને દેશીઓ તથા એમની ભાવાનુરૂપતા, કૌશલ્યભરી અને સંતત પ્રાસરચનાઓ, ચમત્કૃતિપૂર્ણ અને પુનરુક્તિ-આશ્રિત પદવિન્યાસો - આ સર્વ જયવંતસૂરિના પાંડિત્યનાં જ નહીં, એમની ઊભરાતી સર્જકતાનાં પણ ઓળખપત્રો છે.
‘શૃંગારમંજરી'ની કથા પરંપરાપ્રાપ્ત છે, પણ એ કૌતુકભરી અને રસિક છે. પશુપંખીની બોલીનું જ્ઞાન ધરાવતી શીલવતી રાત્રિ વેળાએ શિયાળની લાળી સાંભળી નદીમાં તરતા શબ પર રહેલાં પાંચ રત્ન લેવા જાય છે તેથી એનો પતિ અજિતસેન એના પર વહેમાય છે અને એનો ત્યાગ કરે છે. શીલવતીને પિયર વળાવવા જતાં તેના સસરા રત્નાકરને રસ્તામાં શીલવતીના આ જ્ઞાનની જાણ થાય છે અને શીલવતીની નિર્દોષતાની ખાતરી થાય છે. ઉપરાંત કેટલીક ઘટનાઓથી શીલવતીનાં ચાતુર્ય તથા ડહાપણની પ્રતીતિ થાય છે. એ શીલવતીને લઈને પાછા વળે છે, અજિતસેનનો વહેમ નિર્મૂળ કરે છે અને પતિપત્ની વચ્ચે સ્નેહની મજબૂત ગાંઠ બંધાય છે. અજિતસેન શીલવતીની મદદથી રાજાએ પૂછેલા સવાલોના સાચા ઉત્તરો આપે છે ને મુખ્યપ્રધાનપદ પ્રાપ્ત કરે છે. તે પછી અજિતસેનને રાજાની સાથે યુદ્ધમાં જવાનું થતાં બન્ને પ્રેમીઓને વિરહની વેળા આવે છે. શીલવતી અજિતસેનને પોતાના શીલના પ્રમાણ રૂપે અમ્લાન રહેતું પદ્મ આપે છે. આ વાત જાણવા મળતાં રાજાને સ્ત્રીના અખંડ શીલવ્રત પર વિશ્વાસ બેસતો નથી અને શીલવતીને શીલભંગ કરવા પોતાના ચાર પ્રધાનોને મોકલે છે. શીલવતીએ યુક્તિપૂર્વક એ ચારેયને મોટા ઊંડા ખાડામાં ફસાવ્યા. રાજા વિજય મેળવી પાછો આવ્યો ત્યારે એને ભોજન માટે નિમંત્રી ચારે પ્રધાનોને યક્ષો તરીકે શણગારી રજૂ કર્યા. રાજાએ યક્ષોની માગણી કરતાં એને સોંપ્યા, રાજાને પોતાના પ્રધાનોની ઓળખ થઈ અને શીલવતીના શીલને પ્રમાણી એણે એની પ્રશંસા કરી.
સ્નેહની જ નહીં પણ બુદ્ધિચાતુર્યની બની રહેલી આ કથામાં પાતાલસુંદરીની એક વિસ્તૃત કથા સ્ત્રીની ચારિત્ર્યશિથિલતાના દૃષ્ટાંત તરીકે જોડવામાં આવી છે, જે અંતે તો શીલવતીના દૃઢ ચારિત્ર્યપાલનનો મહિમા વધારે છે. એની અતિસુંદરતાને કારણે રાજાએ પોતાની રાણીને પાતાલગૃહમાં - ભોંયરામાં રાખેલી છે. સાર્થવાહ અનંગદેવને આ હકીકતની જાણ થતાં રાજા સાથે મૈત્રી બાંધી, અંતઃપુરનો પરિચય મેળવે છે અને સુરંગ વાટે પાતાલસુંદરી સુધી પહોંચે છે. પાતાલસુંદરી એના પ્રેમને વશ થાય છે, એક વખતે સાર્થવાહને ત્યાં જ રાજાને ભોજન માટે નિમંત્રી પોતે એને પીરસે છે, રાજાના મનમાં શંકાનો કીડો ઉત્પન્ન કરે છે પણ પકડાતી નથી ને અંતે સાર્થવાહ સાથે ભાગી નીકળે છે. રસ્તામાં અનંગદેવના નાના ભાઈ પ્રત્યે આકર્ષાયેલી પાતાલસુંદરીએ અનંગદેવને દરિયામાં ધકેલી દઈ સુકંઠ સાથે વિલાસ માંડ્યો. સુકંઠે પણ એને પછીથી છોડી અને વેશ્યા બની એ નર્કગતિને, પામી.
કૌતુકરસિક આ કથામાં અજિતસેન-શીલવતી, સાર્થવાહ-પાતાલસુંદરીની સ્નેહાસક્તિ, રાજા-સાર્થવાહની મૈત્રીપ્રીતિ, શીલવતીનું બુદ્ધિચાતુર્ય, સાર્થવાહ-પાતાલસુંદરીની કપટકળા – વગેરેને સુંદર ઉઠાવ આપી કવિએ એને વધુ મનોરમ બનાવી છે. વર્ણન-ભાવ-નિરૂપણને પ્રાધાન્ય આપવા છતાં કથારસમાં જયવંતસૂરિએ ઓછપ આવવા દીધી નથી.
ઋષિદત્તા રાસ (૧૫૮૭)
મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૪૧ ઢાળ અને ૫૩૪ કડીની આ રાસકૃતિ કર્મફળની અનિવાર્યતા દર્શાવતી પરંપરાપ્રાપ્ત કથા છે. એમાં સુભાષિતોનો મહારાશિ નથી, વર્ણનોનો વૈભવ નથી. ઉપમાનોની હારમાળા નથી, ભાવનિરૂપણનો વિસ્તાર નથી - ૪૧ ઢાળ છતાં કૃતિનું નાનું કદ આ વાત કહી દે છે - તોપણ એમાં કવિનો વિશેષ કથાકથનમાં છે એમ કહી શકાશે નહીં. કવિએ અહીં પણ સ્નેહભાવને કેન્દ્રમાં રાખ્યો છે અને એ સ્નેહભાવ પોતાની આગવી આભા લઈને આવે છે. એ સ્નેહભાવ અતિ ઉત્કટ છે, એકનિષ્ઠ છે, વિશ્વાસપૂર્ણ છે તે સાથે આર્દ્ર છે, મૃદુ છે. મુલાયમ છે. વિવિધ પ્રકારના સ્નેહસંબંધ અહીં પણ કવિએ આલેખ્યા છે - ઋષિદત્તા- કનકરથનો સ્ત્રીપુરુષપ્રેમ – દામ્પત્યપ્રેમ, યુવાન મુનિના પુરુષવેશે રહેતી ઋષિદત્તા અને કનકરથનો મિત્રપ્રેમ તથા પિતા હરિષેણ અને ઋષિદત્તાનો વાત્સલ્યપ્રેમ. પુરુષોની સ્નેહાર્દ્રતા એ આ કૃતિનો વિશેષ છે. કનકરથ પ્રિય પત્નીના વિયોગે ઝૂરે છે, બળી મરવા તૈયાર થાય છે. તો મિત્રવિયોગે પણ ભારે અવસાદ અનુભવે છે. હરિષેણના સાધુજીવનમાં પણ પુત્રી પ્રત્યે એવી આસક્તિ છે કે પુત્રીને સાસરે જવાનું થતાં એ ભાંગી પડે છે ને આત્મહત્યા વહોરે છે.
આ કૃતિમાં પણ સંયોગશૃંગાર અલ્પ આલેખાયો છે અને વિરહ શૃંગાર – આકર્ષણ, ઉત્સુકતા, સ્મરણ, વિયોગદુઃખ વગેરે રૂપે - કંઈક વિસ્તારથી અને વારંવાર આલેખાયો છે પણ તે ઉપરાંત જુદાજુદા પ્રસંગે રૌદ્ર, બીભત્સ, ભયાનક, અદ્ભુત અને શાંત રસનાં ચિત્રો દોરવાની તક પણ કવિએ લીધી છે. આ રીતે હાસ્ય અને વીર સિવાયના સર્વ રસો અહીં સ્થાન પામ્યા છે એમ કહેવાય.
સંક્ષિપ્ત પણ વસ્તુદ્યોતક વર્ણનો, બહુધા પરંપરાગત પણ ચિત્ર-વિધાયક અને ભાવપોષક અલંકારો, પ્રસંગાનુરૂપ સુભાષિતોની ગૂંથણી, રૂઢોક્તિઓ, લૌકિક દૃષ્ટાંતો આ બધું અહીં છે જ ને વધારામાં થોડોક વિસ્તૃત ધર્મબોધ - કર્મફળ, સંસારની અસારતા વગેરે વિશેનો - પણ છે. પરંતુ કૃતિની ભાવસુષમા અવિછિન્ન રહે છે. અનુરૂપ છંદ-લય-યોજના એમાં ઉપકારક બને છે.
કથા કૌતુકરસિક છે ને કંઈક ઘટનાબહુલ પણ છે. કાબેરી નગરની રાજકુંવરી રુખિમણીને પરણવા જતો રાજકુંવર કનકરથ રસ્તામાં, તાપસજીવન ગાળતા હરિષેણની પુત્રી ઋષિદત્તાથી આકર્ષાય છે. અને એને પરણે છે. હરિષેણની પત્ની મૃત્યુ પામી હતી અને સાધુજીવન સ્વીકાર્યા પછી પુત્રીનો જન્મ થવાથી અન્ય મુનિઓએ એમનો સંગ છોડી દીધો હતો. પરિણામે એ એકલવાયું જીવન જીવતા હતા અને એમને માટે પુત્રી જ જાણે જીવનનું અવલંબન હતી. આથી પુત્રીને જમાઈને સોંપીને એ અગ્નિપ્રવેશપૂર્વક મૃત્યુને વરે છે. પિતાના મૃત્યુથી દુઃખિત ઋષિદત્તાને સાંત્વન આપી કનકરથ એને પોતાને નગર લઈ જાય છે.
આ બાજુ ઋષિદત્તાને કારણે કનકરથથી તરછોડાવાથી રુખિમણિ એના પર ક્રોધે ભરાય છે ને એના પર વેર લેવા યોજના ઘડે છે. એ સુલસા યોગિનીને સાધે છે, જે રિપુમર્દન નગરીમાં હત્યાનો આતંક ફેલાવી ઋષિદત્તા પર એનું આળ ચડાવે છે. કનકરથને ઋષિદત્તા પર વિશ્વાસ હોવા છતાં એના પિતા સુલસાની કપટજાળમાં ફસાઈ ઋષિદત્તાને કાઢી મૂકે છે. ઋષિદત્તા વનમાં પિતાના આશ્રમમાં પિતાએ આપેલ ઔષધિથી પુરુષ બની મુનિવેશે રહે છે.
હવે કનકરથ માટે રુખિમણિનું ફરીને માગું આવે છે. પિતા કનકરથને દબાણ કરી પરણવા મોકલે છે. રસ્તામાં વનમાં મુનિવેશે રહેલી ઋષિદત્તાનો મેળાપ થાય છે અને એના વ્યક્તિત્વથી એ અંજાય છે. એને પોતાની સાથે કાબેરી નગરી લઈ જાય છે. ત્યાં લગ્ન પછી રુખિમણિ કનકરથ સમક્ષ પોતે ઋષિદત્તા પર કેવી રીતે વેર વાળ્યું એનો ઘટસ્ફોટ કરે છે અને કનકરથ આઘાત પામી બળી મરવા તૈયાર થાય છે. મુનિવેશે રહેલી ઋષિદત્તા પોતે યમને ત્યાં જઈ ઋષિદત્તાને મોકલશે એવું એને આશ્વાસન આપી વારે છે અને પડદા પાછળ જઈ પોતાનું અસલ રૂપ ધારણ કરી એ કનકરથ પાસે પ્રત્યક્ષ થાય છે. આ રીતે કનકરથને ઋષિદત્તાનો મેળાપ થયો પણ મુનિમિત્રનો વિયોગ એને સતત ડંખતો હતો, તેથી ઋષિદત્તાએ અંતે એનું રહસ્ય પ્રગટ કર્યું અને રુખિમણિને માફ કરી પોતાના સરખી જ ગણવાનું માગી લીધું. આ પછી એ ત્રણે રથમર્દનપુર ગયાં. પિતા હેમરથે ઋષિદત્તાની માફી માગી કનકરથને રાજ્ય સોંપી, સંયમજીવન સ્વીકાર્યું.
જયવંતસૂરિએ આ કથાને એક પ્રણયકથા તરીકે ઉઠાવ આપ્યો છે. પાત્રચિત્રણ તરફ વધારે લક્ષ આપી હરિષેણની વાત્સલ્યપ્રીતિને, કનકરથની સ્નેહાર્દ્રતાને, વનબાલિકા ઋષિદત્તાના કોમલ, ઉદાર, સકલ સૃષ્ટિ પ્રત્યે પ્રેમ ધરાવતા વ્યક્તિત્વને, રુખિમણિનાં અસૂયા અને વેરભાવને તથા સુલસાની દુષ્ટતા અને ભયંકરતાને મૂર્તિમંત કર્યાં છે. પ્રેમ, પ્રેમભંગ, દ્વેષ, વેર આદિના સઘળા પ્રસંગોને ઘટતો ન્યાય આપી એક રસભરી સુઘડ કથાનું નિર્માણ કર્યું છે.
‘શૃંગારમંજરી'માં જયવંતસૂરિની કવિપ્રતિભાનો ઊછળતો ઉન્મત્ત પ્રવાહ છે, તો ‘ઋષિદત્તા રાસ'માં સ્થિર, સમથળ પ્રવાહ છે, જે એ કૃતિને એક રમણીય રચના રૂપે ધ્યાનાર્હ બનાવે છે.
સ્થૂલિભદ્ર મોહનવેલિ (૧૫૮૭)
૩૨૫ ગ્રંથાગ્રની આ કૃતિ મુદ્રિત થઈ નથી અને એના વિશે વિશેષ માહિતી પ્રાપ્ય નથી.
સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ
૧૪૭ કડીની અને બે ખંડમાં વહેંચાયેલી આ કૃતિ અમુદ્રિત છે. એના પ્રથમ ખંડમાં સ્થૂલિભદ્ર-કોશાનાં મિલન અને સંયોગશૃંગારનું આલેખન થયું છે. બીજા ખંડમાં સ્થૂલિભદ્રના રાજમંત્રીપદ ન સ્વીકારતાં દીક્ષા લઈ લેવાના પ્રસંગનું, કોશાના વિરહશૃંગારનું અને સ્થૂલિભદ્રે એને ભવને ચાતુર્માસ ગાળવા આવીને એને કરેલા પ્રતિબોધનું આલેખન થયું છે. શિકારેથી પાછા વળતા સ્થૂલિભદ્ર કોશાની નજરે ચડે છે અને એ મોહ પામે છે ત્યાંથી વૃત્તાંત શરૂ થાય છે. સંયોગશૃંગારમાં આલિંગન આદિ કામચેષ્ટાઓનું પ્રબલ આલેખન આ કૃતિની વિશેષતા જણાય છે. કોશાના મુખથી માંડીને કેશપાશ, નેત્ર, કપોલ, અધર, કંઠ, હસ્ત, કટિ, નાભિ, જંઘા વગેરે સર્વ અંગોની શોભાનું વર્ણન થયું છે તે એમાંની રસિક વીગતો અને રમણીય અલંકારરચનાઓને કારણે ધ્યાનાકર્ષક બન્યું છે. કૃતિની ભાષામાં રાજસ્થાની, હિંદી ઉપરાંત ફારસી શબ્દપ્રયોગોને કારણે એક જુદો જ રણકો આવ્યો છે.
નેમિનાથ રાજિમતી બારમાસ વેલ પ્રબંધ
તોટક-દુહા-દેશીબદ્ધ ૧૨૯ કડીનું આ કાવ્ય સાહિત્યિક પરંપરા અનુસાર બાર માસનું વર્ણન કરે છે તે ઉપરાંત વર્ષાચાતુર્માસ, શીતચાતુર્માસ અને ગ્રીષ્મચાતુર્માસનો નિર્દેશ કરી ઋતુવર્ણનના કાવ્ય તરીકે પણ આપણી સમક્ષ રજૂ થાય છે. ૮૧ કડી સુધી શ્રાવણથી શરૂ કરી બાર માસનું વર્ણન થયું છે, તેમાં પ્રકૃતિવર્ણન કરતાં વિરહભાવ-નિરૂપણ તરફ કવિએ વધારે લક્ષ આપ્યું છે ને પ્રકૃતિવર્ણન પણ શૃંગારની પરિભાષામાં થયું છે. ૮૧ કડી પછી તો મુખ્યત્વે રાજિમતીના વિરહોદ્ગારો જ છે, જેમાં એક દગ્ધ સ્ત્રીહૃદય રજૂ થાય છે. નેમિનાથ પ્રત્યેના ઉપાલંભો, કટાક્ષોનો આશ્રય પણ એમાં લેવાયેલો છે. અંતે જોકે રાજિમતી નેમિનાથનું ધર્મશરણ સ્વીકારે છે. અલંકારોમાં પાંચપાંચ શબ્દો સુધી વિસ્તરતા યમક અને સાંગ રૂપકની રચના, અવારનવાર પ્રયોજાયેલી ચરણસાંકળી, ભાવાવેગમાં વ્રજ-હિંદીમાં સરી જવાની રીતિ, દૃષ્ટાંતાશ્રિત મર્મોક્તિઓ, પ્રશ્નકાકુઓ - આવું કેટલુંક કાવ્યને ભાવમનોરમ ઉપરાંત શૈલીવિચિત્રિત બનાવે છે.
સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ
૪૧ કડીનું આ કાવ્ય 'ફાગની ઢાલ' કે 'ચાલ'ને નામે ઓળખાવાયેલ દુહા અને 'કાવ્ય'ને નામે ઓળખાવાયેલ ઝૂલણાના ૧૭ માત્રાના ઉત્તરાર્ધના બનેલ ચંદ્ર છંદમાં રચાયેલું છે. એમાં વસંતઋતુમાં કોશાની વિરહવેદના આલેખાઈ છે અને સમગ્ર કાવ્ય લગભગ કોશાના ઉદ્ગાર રૂપે ચાલે છે. અભિલાષ, પ્રતીક્ષા, તલસાટ, સંતાપ, સ્મરણ, એકલતાની પીડા વગેરે અનેક મનોભાવોને સદ્યોવેધક અલંકારોક્તિ અને અન્ય પ્રયુક્તિઓથી અભિવ્યક્ત કરતી આ કૃતિ કેવળ રસાત્મક બની રહે છે. સ્થૂલિભદ્ર - ભલે મુનિવેશે - આવતાં કોશા ઉલ્લાસ પામે છે એ હકીકત સાથે કાવ્ય પૂરું થાય છે. એટલેકે કોશાના પ્રતિબોધ સુધી કાવ્ય જતું નથી. આરંભે કેવળ સરસ્વતીને વંદના છે અને અંતે 'દિનદિન સજન મેલાવડો, એ સુણતાં સુખ હોઈ' એ જાતની ફલશ્રુતિ છે. આમ બધી રીતે કાવ્ય ધર્મબોધના તત્ત્વથી મુક્ત રહ્યું છે અને એને સાંસારિક પ્રેમની મધુર રચના તરીકે આસ્વાદી શકાય છે.
નેમિજિન સ્તવન/ફાગ
૪૦ કડીની આ કૃતિ મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ છે ને એમાં ફાગ (આંતરયમકવાળો દુહો) અને 'કાવ્ય'નો પણ વિનિયોગ થયો છે. કૃતિ વસંતમાં નેમિનાથની કૃષ્ણની રાણીઓ સાથેની વનક્રીડા, રાજુલને પરણવા જતાં પશુઓનો આર્તનાદ સાંભળી પાછા વળી નેમિનાથે લીધેલી દીક્ષા, રાજુલની વિરહાવસ્થા અને અંતે નેમિનાથ દ્વારા એનો પ્રતિબોધ વગેરે પ્રસંગોને આવરી લે છે. વનકેલિનું તાજગીભર્યું રમતિયાળ ચિત્રણ, રાજિમતીના રૂપશૃંગારનું મનમોહક ઉલ્લાસ- ઊછળતું વર્ણન, એમાં ૨૯ ચરણ સુધી એક જ પ્રાસ યોજી નિર્મિત કરેલી શબ્દચમત્કૃતિ, રાજિમતીનાં આત્મવેદન અને નેમિનાથ પ્રત્યેના ઉપાલંભોથી સભર માર્મિક વિરહોદ્ગારો વગેરેથી આ કાવ્ય, ધર્મબોધમાં પરિણમતું હોવા છતાં, રમણીય બન્યું છે.
સીમંધરસ્વામી લેખ / સીમંધરજિન સ્તવન
સીમંધરસ્વામીને પત્ર રૂપે રચાયેલી આ કૃતિ અમુદ્રિત છે. ‘જૈન ગૂર્જર કવિઓ'એ એને બે ઢાળની કહી છે, પણ ખરેખર એ પાંચ ઢાળ અને ૩૭ કડીની છે. સીમંધસ્વામીના ગુણકમલથી કવિનો મનભ્રમર વીંધાયેલો છે. પણ સીમંધરસ્વામી તો પરદેશમાં - જુદા જ દેશમાં વસનારા છે. એમની સાથે મેળાપ કેમ બને? તેથી આ પત્ર. સીમંધરસ્વામીને 'વહાલા' કહીને લખાયેલા આ પત્રમાં પત્રલેખકના ગુણાનુરાગિતા, ગુણગણનાની અક્ષમતા, સીમંધરસ્વામી-રૂપયુગ્ધતા, પ્રેમપરવશતા, વિરહવ્યાકુળતા, આરત, મિલનયોગની દુષ્કરતા, સંદેશો પહોંચાડવાની વિમાસણ, સામો સંદેશો મોકલવાની ને દર્શન દેવાની, સંભાળ લેવાની વિનંતી વગેરે ભાવો હૃદયંગમ રીતે વ્યક્ત થયા છે. પ્રાસાદિક, ભાવ-અર્થપોષક ઉપમા-દૃષ્ટાંતાદિકનો સાહજિક વિનિયોગ ઘણો અસરકારક બન્યો છે, અને કૃતિ પ્રેમલક્ષણાભક્તિભાવની એક રસસભર રચના બની છે.
સીમંઘરજિન વિનતિ ચંદ્રાઉલા / લેખ
૨૭ કડીની આ કૃતિની વિશેષતા એનો ચંદ્રાવળા-બંધ છે. એની ભાવસૃષ્ટિ તો ઉપરની કૃતિમાં છે તે જ છે. કેટલાક ઉદ્ગારો મળતા પણ આવે છે, તો ઘણે સ્થાને એ જ વાત જુદી અભિવ્યક્તિ પણ પામી છે. એક ને એક વિષયને જુદીજુદી-નવીનવી રીતે આલેખવાની કવિની ક્ષમતાનાં આ બે કાવ્યો સુંદર ઉદાહરણો છે.
બાર ભાવના સજ્ઝાય
૧૩ ઢાળ અને ૩૯ કડીની આ અમુદ્રિત કૃતિ કેવળ સાંપ્રદાયિક કહી શકાય એવી કૃતિ છે. એ તત્ત્વબોધાત્મક કૃતિ છે. એમાં અધ્યાત્મમાર્ગમાં સહાયરૂપ થનાર, જૈન સંપ્રદાયસંમત બાર ભાવનાઓ - અનિત્યતા આદિ ભાવનાઓ-નું સંક્ષિપ્ત નિરૂપણ છે. દરેક ભાવનામાં એનો આશ્રય કરીને મુક્તિમાર્ગે ગયેલા મુનિવરનો ઉલ્લેખ કર્યો છે. રાવણના પ્રતાપ-પ્રભાવનું વર્ણન, ક્વચિત્ સંતત પ્રાસનો પ્રયોગ, ક્વચિત્ શબ્દોને બેવડાવવાની રીતિ, ક્વચિત્ ઉપમા-દૃષ્ટાંતનો વિનિયોગ – એ કવિત્વગુણો અહીં નજરે પડે છે, પણ એથી કૃતિની સાંપ્રદાયિકતા, બોધાત્મકતામાં કશો ફરક પડતો નથી.
લોચન કાજલ સંવાદ
‘જૈન ગૂર્જર કવિઓ'એ ૧૮ કડીની કહેલી આ અમુદ્રિત કૃતિ વસ્તુતઃ ૨૯ કડીની છે. સંવાદકાવ્ય તરીકેની આ કૃતિની વિલક્ષણતા એ છે કે એમાં લોચન અને કાજલ વચ્ચેનો સંવાદ નથી, પરંતુ લોચનના કાજલ સાથેના સંબંધ અંગે કોઈએ લોચન પ્રત્યે કરેલી ઉક્તિ અને લોચનની પ્રત્યુક્તિ છે. કાજલ જેવા કુરૂપ, નિર્ગુણ પદાર્થ સાથેનો લોચનનો સંબંધ અનુચિત છે એવી ટીકાના જવાબમાં લોચન દૃષ્ટાંતોની મદદથી ખરા સ્નેહભાવનું સ્વરૂપ પ્રગટ કરે છે કે જેની સાથે મન માન્યું હોય તેનાં રૂપ કે ગુણ-અવગુણ જોવાનાં ન હોય અને લોકનિંદાથી ક્ષુબ્ધ થવાનું ન હોય. આ નાનકડી કૃતિ પણ, આમ, નિર્વ્યાજ સ્નેહનો મહિમા કરે છે.
ગીતો
૮૦ જેટલી સંખ્યામાં મળતાં અને હજુ સુધી અમુદ્રિત રહેલાં ગીતો વિષય અને રૂપરચનાનું કેટલુંક વૈવિધ્ય બતાવે છે. એમાં તીર્થો, તીર્થંકરો, પદ્માવતી વગેરે દેવીઓ વિશેનાં તથા ધર્મબોધનાં ગીતો છે અને રૂપકકાવ્ય, દૃષ્ટાંતકાવ્ય, સ્તુતિકાવ્ય, સ્નેહોર્મિકાવ્ય, પત્રકાવ્ય વગેરે પ્રકારો જોવા મળે છે. તીર્થો વિશેનાં કાવ્યોમાં બહુધા જે તે તીર્થનું માહાત્મ્ય બતાવેલું છે, ક્વચિત્ નામમાલા પણ રચી છે. તીર્થંકરો વિશેનાં ગીતોમાં બહુધા પ્રશસ્તિ અને પ્રાર્થના છે, ક્વચિત્ કાયાનાં માપ જેવી વીગતો પણ ગૂંથી છે. ધર્મબોધનાં ગીતોમાં રૂપકકાવ્ય અને દૃષ્ટાંતકાવ્યના નમૂના જડે છે - ધર્મને પ્રવહણ (વહાણ)નું રૂપક આપી રચના કરી છે અને કર્ણ, નેત્ર, નાસિકા, સ્પર્શ, જિહ્વા એ ઈન્દ્રિયોની પરવશતા દર્શાવવા હરણ, પતંગિયું, ભ્રમર, હાથી, પોપટની સ્થિતિ વર્ણવી છે.
પણ ગીતોમાં અધઝાઝેરાં તો નેમ-રાજુલ ને સ્થૂલિભદ્ર-કોશાવિષયક છે, જેમાં રાજુલ ને કોશાના વિરહોદ્ગારો છે, કોઈ વાર સખી સાથેનો સંવાદ છે ને કોઈ વાર પત્રપદ્ધતિનો પણ વિનિયોગ થયો છે. ગીતને અંતે આવતી પ્રતિબોધની વાતને બાજુ પર રાખીએ તો આ શુદ્ધ સ્નેહોર્મિકાવ્યના નમૂના છે. અલબત્ત એમાં ભક્તિનો પાસ લાગેલો છે. કોઈક વિરહગીત નામસંદર્ભ વિનાનાં પણ છે. આ બધાંમાં વિરહી સ્ત્રીની મનોદશા આબાદ ચિત્રિત થઈ છે. એનાં રીસ, રોષ, સંતાપ, નિરાશા, પરવશતા, અસહાયતા, એકલતા. પ્રિયતમ પ્રત્યેના કટાક્ષ, ઉપાલંભ વગેરેને ચોટદાર મર્મોક્તિઓ – ઘણીયે વાર દૃષ્ટાંતાશ્રિત ઉક્તિઓથી આહ્લાદક વાચા મળી છે. સાર્થપતિના કોશા પ્રત્યેના આકર્ષણને નિરૂપતું એક ગીત અહીં છે અને સ્થૂલિભદ્રના કામવિજયને રૂપકાત્મક રીતે વર્ણવતું ગીત પણ છે.
ગીતોમાં કેટલીક વાર સ્થૂલિભદ્રાદિનાં, તીર્થંકરોનાં, દેવીઓનાં પ્રભાવક વર્ણન થયેલાં છે, ઉપમાદિ અલંકારોનો સુભગ વિનિયોગ થયો છે અને ધ્રુવા, પ્રાસ, શબ્દપુનરાવર્તન, ચરણસાંકળી વગેરેની ચમત્કૃતિનો પણ લાભ લેવામાં આવ્યો છે. ગુજરાતી ગીતોમાં હિંદીની છાંટ હોવા ઉપરાંત છટાદાર હિંદીમાં રચાયેલાં થોડાંક ગીતો પણ છે.
જયવંતસૂરિની કવિ તરીકેની વિશેષતાઓ અને એમની કવિશક્તિનો હવે પરિચય કરીએ. શુદ્ધ કાવ્યદૃષ્ટિ : મંગલાચરણો અને ફલશ્રુતિઓ જયવંતસૂરિ જૈન સાધુકવિ છે. એટલે ધર્મબોધનું તત્ત્વ એમની રચનાઓમાં સ્વાભાવિક રીતે જ આવે. એમની બન્ને રાકૃતિઓમાં નાયકનાયિકા અંતે દીક્ષા લે છે, નેમિનાથ અને સ્થૂલિભદ્ર વિશેનાં ગીતો અંતે સંયમજીવનની વાત પર આવી ઠરે છે ને રાસ્કૃતિમાં પ્રસંગોપાત્ત ધર્મબોધ વણાયો છે. પરંતુ કેવળ ધર્મબોધની ને સાંપ્રદાયિક કહી શકાય એવી એમની કૃતિ બહુ થોડી છે - થોડાં ગીતો અને ‘બાર ભાવના સજ્ઝાય’ માત્ર. તીર્થંકરોને અનુલક્ષીને કરેલી એમની રચનાઓ પણ પ્રબળપણે ભાવાત્મક છે. ઘણી વાર એ પ્રેમભક્તિની રચનાઓ બની આવી છે, તો ‘શૃંગારમંજરી' 'ઋષિદત્તા રાસ' તથા રાજુલ ને કોશાનાં ગીતોમાં સ્નેહરસની જે જમાવટ જોવા મળે છે તે તો અનન્ય છે. સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ’ જેવી કેટલીક કૃતિઓ તો જૈન કથાસંદર્ભને બાદ કરતાં નરી કાવ્યકૃતિ જ છે - એ જૈન સાધુકવિની રચના હોવાની એમાં બીજી કોઈ નિશાની નથી. આ બધામાંથી જયવંતસૂરિની શુદ્ધ કાવ્યદૃષ્ટિ નીતરી આવે છે. જયવંતસૂરિની શુદ્ધ કાવ્યદૃષ્ટિના સંદર્ભે એમની કૃતિઓનાં મંગલાચરણો અને ફલશ્રુતિઓની નોંધ લેવા જેવી છે. એકમાત્ર 'ઋષિદત્તા રાસ'માં મંગલાચરણમાં સરસ્વતીની સાથે આદિજિનેશ્વરને કે પંચપરમેષ્ઠીને વંદના છે, જોકે ત્યાંયે સરસ્વતીને વિસ્તારથી વંદના કરી છે. ‘શૃંગારમંજરી’માં સરસ્વતી સાથે ગુરુને વંદના છે. અન્ય કૃતિઓમાંથી બેમાં કશું મંગલાચરણ નથી. બાકીની સર્વ કૃતિઓમાં મંગલાચરણમાં કેવળ સરસ્વતીનું સ્મરણ-વંદન છે, ‘બાર ભાવના સજ્ઝાય' જેવી સાંપ્રદાયિક ધર્મબોધની કૃતિમાં પણ. આમ, હંમેશાં સરસ્વતીને વંદના - ઘણી વાર તો કેવળ સરસ્વતીને વંદના એ જયવંત સૂરિની શુદ્ધ ઉત્કટ વિદ્યાપ્રીતિનો સંકેત કરે છે. કૃતિ ભણવાગુણવાનું - એનું પઠનઅધ્યયન કરવાનું ને એને સાંભળવાનું ફળ તે ફલશ્રુતિ. કેટલીક કૃતિઓમાં આવી સ્પષ્ટ ફલશ્રુતિ છે જ નહીં. જેમકે ‘શૃંગારમંજરી’માં કથાસમાપનમાં શીલપ્રતાપ વર્ણવ્યો છે ને શીલપાલનનાં ફળ બતાવ્યાં છે - સર્વ વિઘ્નો ટળે, મનવાંછિત સુખ મળે, જયલક્ષ્મી વરે વગેરે, પણ કૃતિના પઠન-શ્રવણનું કોઈ ફળ બતાવ્યું નથી. ‘નેમરાજુલ બારમાસ વેલ પ્રબંધ'માં રસાળ જિનગુણ સાંભળતાં આહ્લાદ, અનંતી ૠદ્ધિ અને મંગલમાલાની પ્રાપ્તિ થાય એવી ફલશ્રુતિ છે. 'ઋષિદત્તા રાસ'માં જન્મ પવિત્ર થાય અને સર્વ આશાઓ ફળે એવી ફલશ્રુતિ છે. તો ‘બાર ભાવના સજ્ઝાય’ જેવી સાંપ્રદાયિક ધર્મબોધની કૃતિમાં અને 'સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ'માં સુખસંપદની પ્રાપ્તિની જ ફલશ્રુતિ કહેવામાં આવી છે તથા ‘સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ'માં સ્વજન-મિલનના સુખનું ફળ બતાવવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે જયવંતસૂરિએ કૃતિના શ્રવણપઠન સાથે ધાર્મિક-આધ્યાત્મિક ફળને જોડવાનું ખાસ ઈચ્છ્યું નથી. એમની ફલશ્રુતિઓ વ્યાપક બિનસાંપ્રદાયિક-બિનધાર્મિક સ્વરૂપની છે, ક્યાંક સાંસારિક કહેવાય એવી પણ છે. આને જયવંતસૂરિના મનમાં કાવ્યનો રસભોગ જ કાવ્યનું શિરમોર પ્રયોજન હોવાનો સંકેત લેખી શકાય. આ રીતે, જયવંતસૂરિની રચનાઓમાં એમના સાધુત્વ કરતાં એમનું કવિત્વ વધુ નિખરી રહે છે અને કાવ્યરસભોગીઓને માટે તો એ કવિ જ બની રહે એવી એમની રસદૃષ્ટિ - કલાદૃષ્ટિ છે. શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસજ્ઞ કવિ જયવંતસૂરિ પંડિત કવિ છે. શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસજ્ઞ કવિ છે, એટલેકે જેમણે લોક, શાસ્ત્ર અને કાવ્યનું અવેક્ષણ કર્યું હોય એવા કવિ છે. 'કાવ્યપ્રકાશ'ની ટીકાઓ ભેગી કરવામાં કાવ્યશાસ્ત્રની, દશ સ્મરદશા - વિરહદશાની ગણનામાં કામશાસ્ત્ર - રસશાસ્ત્રની, વિવિધ શકુનોનાં ફલ નોંધવામાં શકુનશાસ્ત્રની, દ્વિવ્યસ્તજાતિ, સર્વતોભદ્રજાતિ, વર્ધમાનાક્ષરજાતિ, અપહ્યુતિજાતિ જેવા અનેક સમસ્યાબંધો નામનિર્દેશપૂર્વક પ્રયોજવામાં સમસ્યાશાસ્ત્રની, સંખ્યાબંધ રાગોના નિર્દેશોમાં સંગીતશાસ્ત્રની એમ જાતભાતની વિદ્યાઓની કવિની અભિજ્ઞતા દેખાય છે. 'શૃંગારમંજરી'નાં નગરવર્ણન તથા વનકેલિવર્ણનમાં કવિના દૃષ્ટિકેમેરાએ ઝીલેલી લાક્ષણિક માનવચેષ્ટાઓની છબીઓ તેમજ ડહાપણભર્યાં સુભાષિતો ને લોકપરિચિત ઉપમાનો એમના સંસારવ્યવહારના બારીક નિરીક્ષણનાં ફળ છે. કવિના કાવ્યપરંપરાના પરિચયની તો શી વાત કરવી? એ તો પ્રગાઢ છે. ઋતુવર્ણનો શું કે રસનિરૂપણો શું, અલંકારરચનાઓ શું કે ઉક્તિ- ભંગિઓ શું - સર્વત્ર સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુગંધ અનુભવાય છે. 'ઋષિદત્તા રાસ'માં ઋષિદત્તાની પિતાના આશ્રમેથી વિદાય કાલિદાસના 'શાકુન્તલ'માંની શકુંતલાની વિદાયને યાદ કરાવે છે. અણખિયાં, પનિહાં, બારમાસી વગેરે કાવ્યપ્રકારો, પ્રાસ, ધ્રુવા, પદરચનાનાં વૈચિત્ર્યો એ બધું કાવ્યપરંપરા સાથેનું ગાઢ અનુસંધાન બતાવે છે. મધ્યકાળમાં તો વિરલ કહેવાય એવી કવિની સજ્જતા પરખાય છે. આવા કવિને પોતાની કૃતિઓના વાચક-શ્રોતા પણ કેવા રસજ્ઞ જોઈએ? એથી જ એ 'શૃંગારમંજરી'ને આરંભે રસજ્ઞ શ્રોતાનો મહિમા કરે છે – શાસ્ત્ર કરંતા દોહિલા, દોહિલા વક્તા હોઈ, તે પહિં શ્રોતા થોડિલા, મહીમંડલિ કો જોઈ. ૧૮ સુજન વિસ્તરઈ સહુ દિસિ, કવીયણ સરસ પ્રબંધ, સરવર પ્રસવઈ કમલનઈ, સમિર વધારઈ ગંધ. ૧૯ ગાહા મહિલાહૈડલૂં, અણરસીઈ ન જણાઈ, રસીઆ જિમજિમ કેલવઈ, તિમતિમ અધિકાં થાઈ. ૨૪ સરસ સુભાષિત સમિતિમાં, સહુ કો સમઈં ભણંતિ, તસ હૈડૂં પરમત્થ સિઉં, તે કો છયલ્લ લહંતિ. ૨૭. અને મૂર્ખ - અજ્ઞાન શ્રોતાનો તિરસ્કાર કરે છે – મુરખ પભણઈ છયલ્લમાં લક્ષણ-છંદ-વિહીણ, સિરછેદઉં જાણઈ નહીં, ભમૂહિ કોદંડિ દીણ. ૨૮ ગાહા ગીય સુમાંણસહ, રસ નવિ જાણ્યા જેણ, તિણિ મુરખિ નિજ દીહડા, નીંગમીઆ આલેણ. ૩૧ મુરખ ન લહઈ ભાવ કે, કાઢઈ કવીયણ દોસ, કામિનિ શુષ્ક-પયોધરા સો ઇસિઉં ધરઈ રોષ. ૩૩ પંડિત, પણ કવિ. શાસ્ત્રજ્ઞ, પણ રસજ્ઞ. એ સમસ્યા જેવા બુદ્ધિ-ચાતુર્યના ખેલમાંયે રસિક સંદર્ભ દાખલ કરે છે - ગણિતની સમસ્યામાંયે શૃંગારક્રીડા આણે છે : મહિલા હેલાનિરત સુરતરસસમરિં ભડતાં, મુષ્ટિંમુષ્ટિ પ્રહાર, હાર અંગોઅંગિ અડતાં, તૂટઉ કલહિં લાગિં. ભાગિ ત્રીજઈ ભુંઈ પડીઉ, પઈઠઈ સેજિં વિચાલિ પંચમ રડખડિઉ. છઠઉ તિ કામિનિ કરકમલિ, દસમૂ તિ પ્રીઉડઈ અણસરિઉ, છ સૂત્ર મોતી દેખીઆં, તે હાર કેતઈ પરિવરિઉ. કૌતુકરસિક કથાઓ પણ કથારસ મહત્ત્વનો નહીં જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓની કથા કૌતુકરસિક છે. એમાં કથારસ પણ પર્યાપ્ત માત્રામાં છે - કથારસિયાઓ તૃપ્ત થાય એટલો. પણ જયવંતસૂરિને મન કથારસ એટલો મહત્ત્વનો નથી. કથારસ કરતાં પાત્રચિત્રણ વધારે મહત્ત્વનું છે. પાત્રચિત્રણ કરતાં વર્ણનરસ વધારે મહત્ત્વનો છે ને વર્ણનરસ કરતાંયે મનોભાવરસ વધારે મહત્ત્વનો છે. કવિ સુભાષિતમાં, સમસ્યાચાતુરીમાં, છંદલયપ્રાસરચનામાં, અલંકાર-દૃષ્ટાંતવૈચિત્ર્યમાં તથા શબ્દસૌન્દર્યમાં પણ ઘણો રસ ધરાવે છે. કથાગ્રંથનમાં કે કથાકથનમાં એમનું વિશિષ્ટ કૌશલ નથી. કથામાં કેટલુંક અછડતું અને અધ્ધર રહી જાય છે, કેટલુંક ઉતાવળે ચાલતું જણાય છે, કેટલુંક અસ્વાભાવિક પણ પ્રતીત થાય છે. શીલવતીને રાત્રે બહાર જતી જોઈને એનો ખુલાસો પૂછ્યા વગર અજિતસેન એને કાઢી મૂકવાનો નિર્ણય લઈ લે, ખરું કારણ આપ્યા વિના, તેડાવવાનો પત્ર આવ્યો છે એમ કહી એને પિયર વળાવવામાં આવે અને શીલવતી પતિનું મન ઓળખી જવા છતાં કશો ખુલાસો કર્યા વિના જવા તૈયાર થઈ જાય - આ બધું અસ્વાભાવિક છે. રુખિમણિને પરણવા નીકળેલો કનકરથ રસ્તામાં રોકાઈ જાય, ઋષિદત્તાના પ્રેમમાં પડે, એની સાથે લગ્ન કરે. ત્યાં રહે, ઋષિદત્તાના પિતા એ દરમિયાન જ અગ્નિપ્રવેશ કરે અને અજિતસેન કાબેરી નગરી ગયા વિના, ત્યાં કશું જણાવ્યા વિના પાછો ફરી જાય એ ઘટનાઓ પણ કંઈક અ-સામાન્ય લાગે છે. લોકવાર્તાઓમાં સ્વાભાવિકતાની, સુસંગતતાની ઝાઝી અપેક્ષા નથી હોતી એ ખરું પણ જયવંતસૂરિ જેવા પંડિત કવિ આ ઘટનાઓને સ્વાભાવિકતા અર્પવા કંઈક કરે એવી અપેક્ષા તો રહે જ - એ કંઈ લાઘવમાં માનતા નથી - પણ એ અપેક્ષા સંતોષાતી નથી. ‘શૃંગારમંજરી'માં તો બધે વખતે કથાભાગ ઝડપથી આટોપાઈ જાય છે અને કવિ સુભાષિતવાણીમાં તથા મનોભાવનિરૂપણમાં સરી પડે છે. કથા જાણે એક ખીંટી હોય એવું લાગે છે. નાયિકાપ્રધાન કથાઓ એ નોંધપાત્ર છે કે જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓ નાયિકાપ્રધાન છે. કૃતિઓનાં શીર્ષક -'શીલવતી ચરિત્ર' અને 'ઋષિદત્તા રાસ’-માં એ દર્શાવાયું છે કથાઓ મૂળભૂતપણે સતીચરિત્રની છે, પણ તે સિવાય કવિએ નાયક કરતાં નાયિકાનાં વ્યક્તિત્વને વધારે પ્રભાવક રીતે આલેખ્યાં છે. આપણા મન પર નાયિકાઓ જ છાઈ રહે છે. એ જ વિશેષ ક્રિયાશીલ છે અને એમનો જ વિજય વર્ણવાયો છે. નાયકો તો સાધનરૂપ જ હોય એવું લાગે છે. બન્ને નાયિકાઓનાં વ્યક્તિત્વ વિભિન્ન છે એ હકીકત નજરે ચડ્યા વિના રહે તેવી નથી. શીલવતીમાં વિશિષ્ટ જ્ઞાનની શક્તિ છે - એ પશુ-પંખીની બોલી સમજે છે; સંસારડહાપણ છે રાજાના સવાલના જવાબ એ પોતાના પતિને આપે છે; બુદ્ધિ-ચાતુર્ય છે - રાજાએ એના શીલની પરીક્ષા કરવા મોકલેલા પ્રધાનોને એ યુક્તિપૂર્વક ભોંયરામાં પૂરી દે છે. ઋષિદત્તા કોમળ હૃદયની છે - લોહીમાંસની ગંધ પણ એ સહન કરી શકતી નથી, ખુલ્લી પાળી જોઈને પણ એને ડર લાગે છે; સરલ અને રાંક સ્વભાવની છે - પોતે નિર્દોષ છતાં આવી પડેલી શિક્ષા, વિનાવિરોધે, કોઈના પ્રત્યે ફરિયાદ વિના, પૂર્વજન્મના કર્મના પરિણામ તરીકે સ્વીકારી લે છે; ઉદાર મનની છે. પોતાને માથે દુ:ખનાં ઝાડ ઉગાડનાર રુખિમણિને એ પતિના ક્રોધમાંથી બચાવે છે, માફી અપાવે છે અને પતિ પાસે એનો સ્વીકાર કરાવડાવે છે; એનામાં ડહાપણભરી સમજણ અને સમજાવટ છે - કનકરથને એ બે વાર આત્મહત્યા વહોરતો બચાવે છે; ગાઢ વનપ્રીતિ છે – પતિ સાથે જતી વેળાએ એ વૃક્ષવેલીરોપ, પોપટહંસ- મૃગલીમૃગબાલક તથા વનદેવતાની ભાવભરી વિદાય માગે છે; અને દિવ્ય પવિત્રતા છે – એની સામે દેખીતા પુરાવા હોવા છતાં કનકરથ એને દોષિત માની શકતો નથી, મુનિવેશે પણ એ કનકરથને પ્રભાવિત કરે છે. એને મારી નાખવાની સુલસાની હિંમત ચાલતી નથી. અન્ય પાત્રો : વિશિષ્ટ વ્યક્તિત્વ અને સાક્ષાત્કારક નિરૂપણ બન્ને કૃતિઓની નાયિકાઓની જેમ એના નાયકો પણ વિભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. અજિતસેન શીલવતી પર સહસા શંકા લાવે છે. ત્યારે કનકરથને ઋષિદત્તાની નિર્દોષતાની પ્રતીતિમાંથી કશું ચળાવી શકતું નથી. અજિતસેનને શીલવતીની નિર્દોષતા જાણવા મળે છે ત્યારે ખૂબ લજ્જા પામે છે, પણ જેની સાથે ગાઢ સ્નેહ હોય તેની સાથે એક વાર તો કલહ કરી એની પરીક્ષા કરવી જોઈએ, અજ્ઞાનપણે જે કર્યું તે દોષ ન કહેવાય એવા બચાવો કરે છે. કનકરથ ઋષિદત્તા પર આળ આવે છે ને એને કાઢી મૂકવાની થાય છે ત્યારે પોતે એને બચાવી શકતો નથી એનું ભારે દુઃખ અનુભવે છે અને એના વિયોગના વિચારમાત્રથી આત્મહત્યા કરવા તૈયાર થાય છે તથા રુખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળે છે ત્યારે ફરીને ઊંડો શોક અનુભવે છે અને બળી મરવા તૈયાર થાય છે. કનકરથનો પ્રેમ ઘણો ઊંડો અને સાચો હોવાનું પ્રતીત થાય છે. ‘ઋષિદત્તા રાસ'નાં અન્ય પાત્રો પણ પોતાનું કંઈક વિશિષ્ટ વ્યક્તિત્વ લઈને આવે છે અને એનું સાક્ષાત્કારક નિરૂપણ પણ થયું છે. ‘શૃંગારમંજરી’માં અન્ય પાત્રો કથાઘટના માટેનાં સોગઠાં હોય એમ જ જણાય છે. એકંદરે એમ લાગે છે કે ‘શૃંગારમંજરી'માં પાત્રાલેખન તરફ કવિનું લક્ષ જ નથી, 'ઋષિદત્તા રાસ'માં એમણે પાત્રાલેખનની પોતાની શક્તિને મોકળી મૂકી છે. આગવી ભાત પાડતી વર્ણનરીતિ જયવંતસૂરિનાં ઘણાં વર્ણનો રસિક છતાં પરંપરાગત ઢાંચાનાં છે. પણ કેટલાંક વર્ણનો એમણે ઉઠાવેલી લાક્ષણિક રેખાઓને કારણે જુદાં પડી આવે છે તથા બારીક નિરીક્ષણમાંથી આવેલી વીગતોને કારણે એ રસપ્રદ બને છે. મધ્યકાળમાં નગરવર્ણન મોટે ભાગે 'ગઢ મઢ મંદિર પોલિ પગાર'થી જ થતું હોય છે. જયવંતસૂરિ ‘શૃંગારમંજરી'માં કેવીકેવી વીગતો ગૂંથે છે! નગરજનોની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓ આલેખાય છે. જેમકે - વ્યવહારિનંદન ચતુર ચલ્લઈ લડસડત કરતિ ટકોલ, કર ગ્રહિત અંગુલિ એકમેકિ, મુખ ભરિત સાર તંબોલિ. ૪૪ જિહાં ચતુર ચઉકીવટ્ટિ ચહુટઈ, વણિગ ખેલતિ સોગઠે, મનગમત લંખતિ સારપાસા, દાહ દેવતિ અતિ હઠે. ૪૫ માત્ર સપ્તભૂમિ પ્રાસાદની જ વાત નહીં પણ 'કુરુવિંદચિત્રિત સાહામા-સાહમી હટ્ટઉલિ'ની પણ નોંધ લેવાય છે. કવિની નજર નગરપાદરનાં નદીસરોવર, વનવાડી સુધી પહોંચે છે - જસ નયર બાહિરિ સંજલ સરવર, નદી નીરિ નિર્મલી, તિહાં વિકચપંકજપ્રેમિ ભમરા ભમતિ ભોગિક મનરુલી, તિહાં હંસ સારસ અલસ ચાલતિ, ચતુર ચકવી ચમકતી, બક ડાક ચાતક ઢિંક ચકવા, પાલિ ખેલતિ શુભગતિ. ૫૪ જિહાં રામલક્ષ્મણ ભીમ-અર્જુન, નકુલસહદેવી વરા, જિહાં સોમવલ્લી અકર્ક કકર્ક, સિંહકાસુત અતિ ખરા, જિહાં કુંભકર્ણિ કિલિત કૂવા, ભૂમિસંભવ મુનિયુતા, જે નય૨વાડી દેવમાનવ પરમ પુરુષિ સેવિતા. ૫૮ વનવર્ણનમાં વૃક્ષસૂચિની મધ્યકાલીન પરિપાટી અનુસરાઈ છે પણ તે ઉપરાંત એમાં પ્રેમરસભરી, કિલ્લોલ કરતી પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિ દાખલ થઈ છે તેથી તાજગી આવી છે -એકબીજાંને ખાંધે ચડાવી રમતાં મૃગ-મૃગલી, નાચતાં મોર-મોરડી, નજાકતથી ચાલતી હંસલી, પદ્મિનીની રસિકતામાં વિલુબ્ધ ભમતા ભમરા, આંબાડાળે બેસી પંચમ આલાપતી કોયલ, માથે મોરપિચ્છ ને ગળે ગુંજાનો હાર ધારણ કરેલી, કંબુકંઠી ને પીનપયોધરા શબરી વગેરે. વસંતવર્ણનમાં યુવાનયુવતીઓની ચેષ્ટાઓનું વર્ણન રસિક વીગતોથી ભારે આહ્લાદક બન્યું છે : કો એક કામિનિ સુંદરી, પ્રીઉ સિઉં કીય સંકેત, વનિ સુણી જનકોલાહલ. પગલાં સુણીય સમેત, વલીવલી જોઈ બાલીય, ચકિત જસી સંદેહ, સઘલઈ દેખઈ તનમય, જેહનિં જેહ સિઉ નેહ. ૫૯૫ પૂંઠિથી સહી પાલવ તાણઈ, કામિનિ પ્રીઉ આવ્યુ જાણઈ, રહિ રહિ સમય હવડાં પ્રીઉ નહીં, પૂંઠિથી ઈમ સુણી હસઇ સહી. ૫૯૬ કુસુમકુંદકિ પ્રેમગાથા લિખી, સ્ત્રી સાહામૂં નાખઈ મન ઉલખી, કામિનીગણ જેણિ થાનકિ બોલઈ કોઈ કામૂક રહઈ તિણિ ઉલઈ. ૬૦૧ કોઈ કેતકિદલિ કામૂક કામિનીરૂપ લિખેઈ, વલીવલી નયણે નિરખીય હઈડા સિઉં ચાંપેઈ, મુખિ ચુંબન દેઈ સાદર, સીસ નમાવઈ પાઈ, પ્રેમગેહેલાં માંણસ, દેખી આકુલ થાઈ. ૬૦૩ કનકરથ પ્રત્યે જેને સ્નેહ ઊપજ્યો છે એ ઋષિદત્તાની સ્નેહસૂચક ચેષ્ટાઓ કવિએ કેટલી આબાદ ઝીલેલી છે! – સ્નેહસકોમલ કુમરી તણાં ચપલ ચકોરાં જિમ લોઅણાં, રાજકુમર-મુખસસિહર-સંગિ, ખેલઈ ઉનમદ રંગતરંગિ. ૬.૨ મદઘૂમિત મદનાલસ હોઈ, આડી દૃષ્ટિઈ ખિણિખિણિ જોઈ, હસતી ફૂલ ખિરઈ સસિમુખી, ખિણિ લાજઈ જોઈ સંમુખી ૬.૩ સ્નેહ ઊપાઈ નયનઈં કરી, હાવભાવ દાખઈં ફિરીફિરી, ઉરિ આંણઈં વેણી ગોફણઉ, અધર ડસઈ, જંભાઈ ઘણઉં, ૬.૪ થણ ભુજ ઉદર દેખાડઈ મિસિ, તનિ ત્રિભંગી હુઈ મદવસઈં, સરલ જિસી હુઈ ચાંપાછોડ, કુમર દેખિ કરઈ મોડામોડિ. ૬.૫ લોહસિલાકા જિમ ચંબકઈં, લાગી પાછી થઈ નવ સકઈ, બાંધી કુમર નયનદોરીઈં, કુમરી જાણી ચિત્ત ચોરીઈં. ૬.૬ અલંકારયુક્ત અંગશોભાવર્ણન પણ સાથે જોડાયેલું હોઈ આ ચેષ્ટાવર્ણન કંઈક જુદી જ રમણીયતા પ્રાપ્ત કરે છે. જયવંતસૂરિએ સૌન્દર્યવર્ણનો ઘણાં કરેલાં છે. મોટે ભાગે એ અલંકારાશ્રયી છે. એની વાત પછી. અહીં તો એમાં જોવા મળતી નવતાભરી ને ઝીણવટભરી વિશિષ્ટ રેખાઓની જ નોંધ લઈએ : ગૌર કપોલ શશિબિંબ, પાવઈ નારિંગકે ઉપમાના, ઉગટ્યો મુકુર તણી પરિં દીપઈં, નિરખત નયણાં તરસ ન છીપઈ. ૩૧ (સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ) મુખને શશી સાથે સરખાવવાની વાત તો સાવ ચીલાચાલુ, પરંતુ અહીં મુખની નહીં, કપોલ - ગાલની વાત છે. મધ્યકાલીન સાહિત્યમાં કપોલને ચંદ્ર સાથે કે નારંગી સાથે સરખાવ્યાનું ઓછું જડે. વળી અહીં તો કેવળ કપોલની વાત નથી, ઊગટ્યા - સુગંધી લેપ (ક્રીમ) લગાડેલા કપોલની વાત છે. એ વાત અને એને અપાયેલું મુકુર – અરીસાનું ઉપમાન નવીનતાનો રોમાંચ જગાડનારાં નથી? કોશાના વર્ણનમાં 'બર્ખત કુસુમ હસિત’ (હાસ્ય તે જાણે કુસુમવર્ષા) અને 'નર્તિત નિતંબબિંબા' જેવી સૌન્દર્યછટાઓ જે અભિવ્યક્તિછટાથી આવિષ્કાર પામી છે તે આસ્વાદ્ય બને છે. (ગીતસંગ્રહની હસ્તપ્રત, ગીતક્રમાંક ૩૪) વર્ણનમાં જયવંતસૂરિ કેટલી ઝીણવટ સુધી શકે છે તે નીચેનું ઉદાહરણ બતાવે છે – ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુચૂચક ગોરા, ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરિકુંભ ચલવા ઉપમ બિચ્ચારા..૪૦ (સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ) સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના – માત્ર ત્રણ આંગળના જ - અંતરની નોંધ બીજો કયો કવિ કરે? નારીસૌન્દર્યનું વર્ણન સીધું નહીં, પણ કંઈક પરોક્ષ રીતે અનોખી ભંગિમાથી થયું હોય તેવું ઉદાહરણ મળે છે. નેમિનાથને અન્ય કોઈ ગોરીએ વશ કર્યા છે એવું કલ્પી રાજિમતી એ ગોરીની મોહકતાને પ્રશ્નછટાથી ઉઠાવ આપે છે : નયણે પાડ્યુ પાસિ, પનુતા? કઈ મુખ-મટકઈ મોહિઉ? કઈ વાંકડી ભમુહઈં રે ભમાડિઉ? કઈ સિંગારઈ સોહિઉ? કઈ કલકંઠી કોમલ કંઠિઈ કાંઈ કામણ કીધું? દેસવિદેસ દેખાડી, વાલિંભ! તુઝ મન લૂંટી લીધું? ૧૫ કડી સુધી (બારમાસ,૧૦૩-૧૧૭) વિસ્તરતા આવા પ્રશ્નો પછી રાજિમતી છેવટનો પ્રશ્ન કરે છે – એ એકઈ ગુણ તિહાં નહી હો, રૂપ ન, મધુર ન બોલ, તુ તુઝ મન કિમ માનીઉં હો, જસુ મુખિ નહીં તંબોલ? આ છેવટના નકારાત્મક પ્રશ્નમાં પણ રસીલી નારીની એક લાક્ષણિક રેખા - મુખમાં તંબોલ - દોરાઈ ગઈ છે તે જોયું? જયવંત- સૂરિનું સૌન્દર્યદર્શન કેટલું પરિપૂર્ણ છે એ આ બતાવે છે. ક્યારેક અનલંકૃત વર્ણન પુણ, એમાંની અ-સામાન્ય વીગતોને કારણે સાક્ષાત્કારક અને પ્રભાવક બને છે. સુલસા યોગિનીનું આ વર્ણન જુઓ : આવી સભાઈં યોગિની, પાપિણી અદ્ભુત વેસ, તાડ ત્રીજઉ ભાગ ઊંચી, સિરિ જટાજૂટ કેશ. ૧૫.૧ આંખિ રાતી, ચિપુટ નાશા, લલાટ અંગુલ ચ્યાર, કાશ્મીરમુદ્રા શ્રવણિ લહકઈ, ખલકંતિ મેખલા-ભાર. ૧૫.૨ કંઠિ માલા શંખ કેરી, ભસ્મધૂસર વાંન, લલાટ ચંદન-આડિ, નખે તે આંગુલ માંન. ૧૫.૩ મૃગચર્મ કેરી કરીય કંથા, ઉઢણઈ ચિત્રિત ચર્મ મોરપિચ્છનુ ગ્રહ્યુ આતપ, હથઈં દંડ સુધર્મ. ૧૫.૪ વાણહી ચિમિચિમિ કરતી ચરણે, શિષ્યણી પરિવાર, ધ્યાંનનઈ વસઈં ઘૂમતી, કર્યઉ ભંગિનઉ આહાર. ૧૫.૫ (ઋષિદત્તા રાસ)
‘ઋષિદત્તા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧-૫), જિનમંદિરનું (૪.૪૧-૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન (૧૦.૧-૭) આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે.
માત્ર અંગસૌન્દર્યને નહીં, સમગ્ર વ્યક્તિત્વને આવરી લે એવાં વર્ણનો પણ જયવંતસૂરિની કલમે મળે છે. સરસ્વતીના વર્ણનમાં ‘ચંદ્રકિરણ પરિ ઝલહલઈ, કાય કંતિ અપાર' જેવી આલંકારિક સૌન્દર્ય-રેખાઓ જ કવિ દોરતા નથી, પુસ્તક શુભ ભુજ ચ્યારિ' જેવી સ્વાભાવિક વાસ્તવિક વીગત આપે છે ને એના મનોમય રૂપને, વ્યક્તિત્વપ્રભાવને પણ આલેખે છે : વર્ણમાત્ર વ્યાપી રહીં રે. એક અનેક સ્વભાવિ, પ્રાણીમાત્ર-મુખપંકજઈ રે, મોટુ તુજ અનુભાવ. શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર, જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકારિ. (ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત) જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી. અલંકારકવિ કહેવા પડે એવી અલંકારસજ્જતા જયવંતસૂરિની અલંકારરચનાઓ ઔચિત્ય, અનુરૂપતા, સૌન્દર્ય-સામર્થ્ય-સૂઝ, નૂતનતા, ચમત્કૃતિ, સંકુલતા અને સરલતા, વિદગ્ધતા અને તળપદાપણું, બહુલતા આદિ ગુણોએ ઓપતી છે. બહુલતા તો એવી કે જયવંતસૂરિને અલંકારકવિ કહેવાનું આપણે મન થાય. 'શૃંગાર- મંજરી'માં પાતાલસુંદરીના વર્ણનમાં અલંકારોની છોળો ઊડે છે. વિવિધ ઉપમાનોના આશ્રયથી વેણી (કેશપાશ)નું વર્ણન ચાર કડી સુધી, નયનનું દશ કડી સુધી અને સ્તનનું વીસ કડી સુધી વિસ્તરે છે! નયન, સ્તન વગેરેની વાત બીજા અંગની વાત સાથે ગૂંથાઈને આવી હોય તે તો જુદી. પચાસ જેટલી કડી (કડી ૧૫૦૧થી ૧૫૫૦) સુધી વિસ્તરતા આ વર્ણન માટે પણ કવિ તો એમ કહે છે કે 'વર્ણન કહું સંખેવિ.’ કવિની વાત એ રીતે સાચી કહેવાય કે ઘણાં અંગો - ઉંદર, કટિ, જંઘા, ચરણ વગેરે - ને તો એમને આ વર્ણનમાંથી છોડી દેવાં પડ્યાં છે. કવિના ઉપમાન-આયોજનમાં કેવાં વૈવિધ્ય, વિદગ્ધતા, ચમત્કૃતિ, નૂતનતા અને સંકુલ રચનારીતિ હોય છે તે કેટલાંક ઉદાહરણોથી જોઈએ. પહેલાં પાતાલસુંદરીની વેણી(ચોટલા)નું વર્ણન : ત્રિભુવન જીતૂં રૂપગુણિ, તેહ ભણી મયણેણ, ખાંડુ ઉઘાડઉં દીઉં, ગોરી વેણિછલેણ. ૧૫૦૨ ગોરી ચંદનછોડ જિમ, વેધવિલૂધા નાગ, વેણીછલિ સેવી કરઈ, ઝલકઈ સિરિ મણિ-ચાક. ૧૫૦૩ ચમરભાર ગોરી ધરઈ, ગરવિં ચિહુરમિસેણ, ત્રિભુવન રૂપિ હરાવીઉં, પ્રાણ ન ચલ્લઈ કેણ. ૧૫૦૪ ગોરી ગોર-થોર-થણિં, સોહઈ વેણીદંડ, અમીયકુંભ દોઈ રાખવા, જાણે સર્પ્પ પ્રચંડ. ૧૫૦૫ ગોરીની વેણીને ઉઘાડી તલવાર, નાગ અને ચમરભાર સાથે અહીં, સરખાવવામાં આવેલ છે. નાગનું ઉપમાન બે વાર વપરાયું છે પણ બન્ને પ્રયોગો ભિન્ન છે. એકમાં ચંદનછોડને વળગેલા નાગની કલ્પના છે. બીજામાં અમીકુંભને રક્ષવા રહેલા સર્પની કલ્પના છે. આ બન્ને ઉદાહરણોમાં પરસ્પરાશ્રિત એકથી વધુ અલંકારોની સંકુલ યોજના છે એ પણ જોઈ શકાશે. પહેલા ઉદાહરણમાં ગોરીને ચંદનછોડ તરીકે ને સેંથા પરના ચાકને નાગના મણિ તરીકે કલ્પવામાં આવેલ છે, બીજામાં ગૌર પુષ્ટ સ્તનને અમીકુંભ તરીકે કલ્પવામાં આવ્યા છે. ગોરીને ચંપાના છોડ સાથે સરખાવવાનું વારંવાર થતું હોય છે, પણ ચંદનછોડ સાથે સરખાવવાનું ઓછું જડે છે તેથી એમાં તાજગીનો અનુભવ થાય છે. પહેલા ઉદાહરણમાં સંકરાલંકારની યોજના છે એમ પણ કહેવાય કેમકે ‘ગોરી ચંપકછોડ જિમ' એ ઉપમા છે, 'મણિ-ચાક' એ રૂપક છે, તો 'વેણીછલિ નાગ' એ ઉત્પ્રેક્ષા કે રૂપક છે. અન્ય અલંકારરચનાઓ પણ જુઓ : પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ, નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ. (સીમંધરસ્વામી લેખ) આ સંતત રૂપકની રચના છે - ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપવેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે. શ્રાવણ સંજોગી માસ કિ ભુઈં હરિયાલીઆ રે, ચોલીચરણા નીલ કિ પહિરઈ યું બાલીયા રે. ૪ પાવસ પ્રથમ સંયોગિ કિ રોમંચી અંકુરઈ રે, પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫ (નેમિનાથરાજિમતી બારમાસ) વર્ષામાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે. તાપવ્યું સીસું તિમ ઉસીસું. (બારમાસ, ૪૫) આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને ‘સીસું - ઉસીસું' એ શબ્દયોજનામાં યમક, એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર. વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ, પથ ચમકઈ ચિતડું હરઈ, ગોરી-નેઉર જિમ્મ, ૨૧ (શૃંગારમંજરી) આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને 'વંકિમ' (સુકવિવચંન પરત્વે 'વક્રતાપૂર્ણ', નુપૂર પરત્વે 'વાંકા ઘાટનાં') તથા 'સુવન્નમય' (સુકવિવચન પરત્વે 'સુંદર વર્ણો - અક્ષરોવાળાં’, નુપૂર પરત્વે ‘સોનાનાં') એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અર્થાલંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે. ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ [ઘોલિઘોલિ] વિષમ કડખુ, તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિક્ખુ. ૧૫૧૧ (શૃંગારમંજરી) અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે. બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય, તિણિં પાપિં વિહિ નયણનઈ, કાંલૂ કજ્જલ દેય. ૧૫૧૬ (શૃંગારમંજરી) ‘બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે’ વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને 'એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે’ એ ઉત્પ્રેક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે. ચંદુ બીહતુ રાહુથી, ગોરી-મુહિ કીઉ વાસ, પ્રીતિવિશેષઈ હરિણલુ, રાખિઉ નયણાં પાસિ. ૧૫૨૨ (શૃંગારમંજરી) અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને ‘ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે. રાહુથી બીતા ચંદ્રની ઉત્પ્રેક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે. સવિ અક્ષર હીરે જડ્યા, લેખ અમૂલિક એહ રે, વેધકમુખિ તંબોલડુ, મનરીઝવણું એહ રે. (સીમંધરસ્વામી લેખ, ૩૬) હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ (પત્ર) પ્રિયતમના મનને રીઝવનાર છે - રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. 'વેધકમુખિ તંબોલડુ' આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે! કેટલીક નજાકતભરી, મુલાયમ કલ્પનાઓ વ્યક્ત કરતી અલંકારરચનાઓ પણ જયવંતસૂરિ પાસેથી મળે છે. સ્થૂલિભદ્રના આગમને હર્ષરોમાંચિત થતી કોશાનું વર્ણન કવિએ એમ કહીને કર્યું છે કે ‘કુંપલ મેહલી રે દેહ’ (ગીતસંગ્રહ-૩૩). યૌવનને મઘમઘતી મંજરી રૂપે કવિ કલ્પે છે (સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ, ૩૦) અને ઋષિદત્તાને જાતિકુસમ પરિ… સુકુમાલ શરીરા' તરીકે વર્ણવે છે (૨૨.૧૮). સ્ત્રીશરીરની સુકુમારતા (અને સુરભિતા) દર્શાવવા જાઈના ફૂલની કલ્પના અર્થપૂર્ણ ને અનોખી છે. અલંકાર જ નહીં, અલંકારાવલિ - સાદૃશ્યોની હારમાળા પણ આ કવિ યોજે છે : કેસરી સમરિ, ભુઅંગમખેલન, સાયર બાંહિ તરીજઈ, જાંણે મંદર મસ્તકિ તોલિઉ, જઉ સુધ પ્રીતિ પલીજઈ. ૯૦ (શુદ્ધ પ્રીતિ નિભાવવી એ સિંહ સાથે યુદ્ધ કરવું, નાગ સાથે ખેલવું, બાહુ વડે સાગર તરવો, મસ્તકે મંદર પર્વત ઉપાડવો એના જેવું છે.) વઇરાગ નટનઉ અથિર જેહવઉ, પ્રીતિ દુર્જન કેરડી, ઘરવાસ ચંચલ કામિનીનઉ, નીર માંહિ લીહડી, આકઈંધણ, ધાડિ સઈની, વાડિ જવાસા તણી, અસાર એ સંસાર તિણિ પરિ, મૂઢ મનિ માયા ઘણી. ૩૮.૨ સંસારસુખની ચંચલતા - ક્ષણિકતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાંતમાલામાં નટનો વૈરાગ, અને સંસારની અસારતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાતમાલામાં સઈની ધાડ (દરજીઓએ પોતાનાં ઓજારો સાથે કરેલું આક્રમણ કેવું પોલું હતું તેની એક બોધકથા છે) — એ બે કેવાં લોકવ્યવહારગત પણ માર્મિક દૃષ્ટાંતો છે! પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રેહ, ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે. (નેમિજિન સ્તવન, ૩૨) સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે — પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે. પ્રશિષ્ટ વિદગ્ધ અલંકારરચનાની નિપુણતા ધરાવનાર આ કવિ પાસેથી તળપદા જીવનમાંથી આવેલા સરળ, સોંસરાપણાના ગુણવાળા, સદ્યોગમ્ય, તાજગીભર્યા અલંકારો પણ વારંવાર મળે છે એ ઘણું હૃદ્ય લાગે છે : નિતંબથલી પહુલી જિમ થાલી. (નેમિજિન સ્તવન, ૧૯) સગપણ હુઈ તુ ઢાંકીઈ રે પ્રીતિ ન ઢાંકી જાયો, વિહાણિઉ છાજિ ન છાહીઈ રે, લહિર ન દોરી બંધાયો. (સીમંધર ચંદ્રાઉલા, ૨૨) જિમ કૂયાની છાંહ, અમૂઝી માંહિ રહઈ રે. ૧૭ પીઈ તજી જિમ આસોઈ કિ, પીછ જિમ મોરડઈ રે. ૨૪ સજ્જન ખોટારા તેહવા, જેહવા કાતી-મેહ. ૩૪ વાહલા! તુમ વિણ તિમ થઈ, જિમ પાકું પાન-પલાસ. ૪૦ જે ધુર ધુરિ ધુરીઆઈ ન ભંડઈ, જિમ હરધ તુરાઈ. ૮૯ (મોટા તો એ કે જે મૂળમાંથી મોટાઈ ન છોડે, જેમ હળદર પોતાનું તુરાપણું ન છોડે.) રીંગણિથી રાયણિ ગુણિ ગમતી, તે તુ અવિહડ ગોરી. ૧૨૦ (તે એટલે મુક્તિરમણીને અવિભંગ - કદી સ્નેહભંગ ન કરે તેવી કહી બીજી રમણીઓથી એની વિશેષતા રીંગણી-રાયણના દૃષ્ટાંતથી બતાવી છે.) (નેમિનાથ-રાજિમતી બારમાસ) વીવાહ વીતઈ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦ (સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ) વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. 'ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મનોરમ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯-૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે - વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વડે મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવા વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે. અલંકારનું બળ કવિને ઠેરઠેર કામિયાબ નીવડ્યું છે - વર્ણનોમાં, મનોભાવનિરૂપણોમાં, સુભાષિતોમાં, બોધવચનોમાં. સુભાષિતો તો દૃષ્ટાંતોથી ઉભરાય છે ને બોધવચનોમાં પણ કેટલીક વાર સમુચિત દૃષ્ટાંતનું સામર્થ્ય ઉમેરાયું છે. જયવંતસૂરિની અલંકારસજ્જતા અસાધારણ ભાસે છે. શબ્દાલંકારની શોભા જયવંતસૂરિને સર્વ પ્રકારનાં કવિકૌશલ માટે આકર્ષણ છે અને એમને એના પર પ્રભુત્વ પણ છે. એટલે એમણે શબ્દાલંકારની શોભાનો પણ ઘણી વાર આશ્રય લીધો છે. વર્ણાનુપ્રાસ મધ્યકાલીન કવિતાને સહજ છે એમ જયવંતસૂરિને પણ છે. એના દાખલા તો જોઈએ તેટલા આપી શકાય. નવાઈભર્યું એ લાગે છે કે એમણે કડીઓ સુધી એક વર્ણના અનુપ્રાસને લંબાવવાના સ્થૂળ ચાતુર્યમાં પણ રસ લીધો છે (શૃંગારમંજરી, ૧૫૬૧-૬૬). અલબત્ત, આવું ક્વચિત જ થયું છે અને એમાં કોઈકોઈ શબ્દ અન્ય વર્ણથી આરંભાતા આવવા દઈને આ રીતિને એમણે બાલિશ થઈ જતી બચાવી છે. લંબાયેલો વર્ણાનુપ્રાસ સ્વાભાવિકતાથી સિદ્ધ થયાના પણ દાખલા મળે છે. આ પૂર્વે આપણે નોંધેલા નારીસૌન્દર્યના પરોક્ષ વર્ણનના ખંડમાં ‘કઈ કલકંઠી કોમલ કંઠિઈ કાંઈ કામણ કીધું' એ પંક્તિમાં (બારમાસ) દીર્ઘ વર્ણાનુપ્રાસ કેવી સ્વાભાવિકતાથી આવી ગયો છે! અંત્યાનુપ્રાસ એ તો મધ્યકાલીન કવિતાનું અનિવાર્ય લક્ષણ છે. પણ જયવંતસૂરિ એમાં સવિશેષ કૌશલ બતાવે છે. પંક્તિઓ સુધી એક જ પ્રાસ એ યોજે છે - 'કાલી' ‘અણિયાલી’ એમ ‘આલી'નો પ્રાસ એમણે ૨૯ ચરણ સુધી ચલાવ્યો છે! (નેમિજિન સ્તવન, ૧૭-૨૧); પ્રાસસાંકળી રચે છે ને પંક્તિ-અંતર્ગત ત્રણચાર પ્રાસશબ્દો પણ દાખલ કરે છે –
- નિતંબથલી પહુલી જિમ થાલી, કાલી તનુરોમાલી. (૧૯)
- મનિ હરખિ નેમિરૂપ નિહાલી, વાલી વાલી બાલી. (૨૧)
આ વર્ણનમાં 'આલી'ના અંત્યાનુપ્રાસ ઉપરાંત ‘આંખડલી’ ‘બાંહડલી' ‘મેહલી’ 'અંગુલી' ‘પહુલી' જેવા ‘લી’કારાન્ત અને 'કાજલ’ ‘કોયલ' ‘કુંભસ્થલ' ‘મયગલ' ‘મદભીંભલ' જેવા 'લ'કારાન્ત શબ્દોનું પ્રાચુર્ય આપણા કાનને ભરી દેતો રણકાર ઊભો કરે છે. યમકરચનામાં પણ જયવંતસૂરિએ ઘણો રસ લીધો છે. ‘તાપવ્યું સીસું તિમ ઉસીસું' જેવી સાહજિક યમકરચનાઓ એમને હાથે થઈ છે તે ઉપરાંત ઉપરાઉપરી યમકરચના એમણે કરી છે- ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઈ, ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી. (સ્થૂલિભદ્રકોશા ફાગ, ૯) 'ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, (જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચપાંચ શબ્દો સુધી વિસ્તરતી યમકયોજના પણ એમણે કરી છે. જુઓ : કોયલડી કુહુ કુહુ કરી કોઈલિ ડીલિ લગાઈ મદમસ્ત માનિની પરિહરી, કોઈ લડી ઇણિ સમઈ જાઈ? ૬૧ મેહકી આ રતિ આરતિ આવઈ મોરડી રે, આ રતિસેજઈ આરતિ ઝૂરઈ ગોરડી રે. ૮ ખિનિ ખિનિ તુહૂંની આરતિ બપીહા દેતુ હઈ રે, પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરઈ રે. ૯ (બારમાસ) શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષા-શબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી. કવિએ ચરણસાંકળીની શોભા ઊભી કરેલી છે એની પણ અહીં જ નોંધ લઈએ. ચંદ્રાવળાની એ સ્વરૂપગત વિશેષતા છે એટલે 'સીમંધર ચંદ્રાઉલા'માં તો એ સર્વત્ર હોય. પણ આ સિવાય 'નેમિનાથ રાજિમતી બારમાસ'ના ઉત્તરાર્ધમાં કવિએ બધે જ ચરણસાંકળી યોજી છે. પૂર્વાર્ધના બાર માસના વર્ણનમાં વિશિષ્ટ રીતે ચરણસાંકળી સાધી છે. દેશીનું પહેલું ચરણ ને ત્રુટકનું પહેલું ચરણ સમાન હોય છે. જેમકે, દેશી પોસિ સોસ જ અતિઘણઉ, પીઉ વિણ કિસ્યુ રે રંગરોલ રે? ભોજન તુ ભાવઈ નહી, કેસર કુસુમ તંબોલ રે, ૪૩ ત્રુટક અતિઘણઉ સોસ જ પોષ માસિઈ, પ્રીતિ સાલઈ પાછિલી, વલવલઈ બાલા વિરહ-જાલા, નીર વિણ જિમ માછિલી. ૪૪ પદ્ય, ગાન અને રાગનો રસ ચરણસાંકળી એ એક રીતે પદ્યબંધનો ભાગ બને છે. પદ્યબંધ-કૌશલ મધ્યકાલીન કવિઓને સહજ હતું અને વિવિધ પદ્યબંધોની હથોટી ઘણા કવિઓ બતાવે છે. જયવંતસૂરિએ દુહા, યમકસાંકળીવાળા દુહા (જે બન્ને 'ફાગ' કે 'ચાલ' તરીકે ઘણી વાર ઓળખાવાય છે), તોટક, 'કાવ્ય'ને, નામે ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનો બનેલો ચંદ્ર છંદ, હરિગીત, સવૈયા, સોરઠા, ઉધોર, ચોપાઈ તથા અનેક દેશીઓ-ઢાળોનો ઉપયોગ કર્યો છે અને ચંદ્રાવળા જેવો કાવ્યબંધ પણ પ્રયોજ્યો છે. એમના પદ્યબંધના સવિશેષ કૌશલનો ખ્યાલ એ પરથી આવશે કે 'ઋષિદત્તા રાસ'માં ૩૭ જેટલી દેશીઓનાં નામ મળે છે તેમાં ભાગ્યે જ કોઈ પુનરાવર્તિત થાય છે. કેટલીક આકર્ષક પઘછટાઓ પણ જોવા મળે છે. નીચેની અઢીઆની દેશી (ઋષિદત્તા રાસ, ઢાળ ૩) એનાં અઢી ચરણ ને ત્રણ પ્રાસસ્થાનને કારણે ધ્યાન ખેંચે છે : ઇણિ અવસરિ નગરી કાબેરી, અમરપુરીથી એ અધિકેરી, સોભા જસ બહુતેરી. શબ્દ કે શબ્દસમૂહના પુનરાવર્તન દ્વારા ભાવને ઘૂંટતા પદ્યબંધો પણ સાંપડે છે :
- જોઉ વિષમ સનેહડુ રે, તે તુ નવિ ગણઈ ગણઇ મરણનુ સંચ કિ,
માંણસ વેધવિલૂધડઉ રે, તે તુ નવ નવ કરઈ પ્રપંચ કિ. ૧૭૮૦
- આવીઉ આષાઢ કિ વાદલ વાવરિયા રે વાવરિયા રે,
વરસઈ મેહ અખંડ કિ સરોવર જલિ ભરિયા રે જલિ ભરિયા રે. ૨૧૦૯
- ઇણિ પરિ અજિતકુમાર, નિસિ વિલવતા એ, નિસિ વિલવતા એ,
નીગમઈ એ, જવ થયું પ્રભાત, તવ દિન-નાયક, તવ દિન-નાયક, ઉગમિઉ એ. ૧૨૫૦ તવ વાગાં નીસાણ, કીઘ પીઆણુંઅ, કીઘ પીઆણુંઅ, ભૂપતિ એ, ચલિઉ અજિત પ્રધાન હયગયપાયક, હયગયપાયક, પરિવરિઉ એ. ૧૨૫૩ (શૃંગારમંજરી) બીજા ઉદાહરણમાં શબ્દપુનરાવર્તન વરસતી મેઘઝડીના વાતાવરણને અને ત્રીજા ઉદાહરણમાં શબ્દસમૂહનું પુનરાવર્તન તથા ચતુભંગી પઘછટા સૈન્યની કૂચના વર્ણનને પોષક બની રહે છે. ધ્રુવાયોજના પદ્યબંધનો એક અગત્યનો ભાગ છે. પઘલયને એ ચોક્કસ પ્રકારનો લટકો અર્પે છે. ઉપરનાંમાંથી પહેલાં બે ઉદાહરણોમાં ધ્રુવાવૈચિત્ર્ય જોયું? પંક્તિ—અંતર્ગત ને પંક્ત્યંતે એમ બે-બે ધ્રુવાઓ છે- ‘રે તે તુ' અને 'કિ' તથા 'કિ' 'રે' ને 'રે'. ‘ઋષિદત્તા રાસ'ની તેરમી ઢાળની નીચેની ધ્રુવાયોજના ભાલણથી માંડીને અનેક કવિઓએ પ્રયોજેલી 'સુણ સુંદરી રે'- ‘ઘેલી કોણે કરી રે' પ્રકારની એકાંતર આવતાં ચરણોવાળી ધ્રુવાની યાદ અપાવશે : કનકરથ પૂછઈ તદા, સુણ સુંદરી રે, સુકીલીણી ગુણ જાંણિ, વાત કહઉ ખરી રે. આ ધ્રુવાયોજના કનકરથનાં ઉત્સુકતા, આગ્રહ, અનુનયને ઉઠાવ આપે છે. 'શૃંગારમંજરી'માં અણખિયાં (૧૧૪૬-૧૧૫૦)માં 'કહુ સખી કિમ અણખિ ન આવઈ’ એ બધી કડીમાં આવતું ચોથું ચરણ ઉદ્દિષ્ટ ભાવને ઘૂંટે છે. 'ઋષિદત્તા રાસ'માં એક કે વધુ ચરણ ધ્રુવા તરીકે યોજાયેલ છે ત્યાં એ કેન્દ્રીય ભાવ-અર્થને ધારણ કરનાર હોય છે. જેમકે કનકરથની ઋષિદત્તાને મળવાની તરસને નિરૂપતી ૩૪મી ઢાળમાં ‘સલૂંણા સાથી કો મુઝ મેલઈ તાસ, હું તઉ તેહનઉ ભવિભવિ દાસ' એ આખી પંક્તિ ધ્રુવા તરીકે આવે છે. ઋષિદત્તાના વિયોગે ઝૂરતા કનકરથની ઉક્તિની ૨૨મી ઢાળમાં નીચેની આખી કડી ધ્રુવા તરીકે અભિપ્રેત છે - પ્રિય બોલિન રે! તું પ્રાણાધાર, સસીમુખી બોલિન રે! ગોરી રે ગુણભંડાર, ગજગતિ બોલિન રે. ધ્રુવાઓ ગેયતા - ગાનનો એક ભાગ છે. આ કવિને મન ગાનનો અને રાગનો, ગીતનો અને સંગીતનો ઘણો મહિમા છે, એમના જ શબ્દો છે - પ્રિય દૂતી પ્રેમહ તણી, સેનાની મયણાંહ, રાગ જયઉ આનંદમય, જે મંડન વયણાંહ. ૧૯૩૪ જેણિ ન જાણિયા ગીતરસ, ગાહાગુઠિ ન કિદ્ધ, એ માંણસ-જંબારડુ, તસ કાં દૈવઈ દિદ્ધ. ૧૯૪૫ (શૃંગારમંજરી)
ગાથાગોષ્ઠિ એટલે કાવ્યગોષ્ઠિ, ગીત અને રાગ એટલે સંગીત. એના વિના મનુષ્યજન્મ નિરર્થક છે. કવિનો કાવ્યપ્રેમ તેમજ સંગીતપ્રેમ આમાં વ્યક્ત થાય છે. જયવંતસૂરિએ પોતાની ઘણી કૃતિઓમાં ઢાળને આરંભે રાગના નિર્દેશ કર્યા છે. કેટલીક વાર તો વપરાયેલી દેશીનો ઉલ્લેખ ન કરતાં કેવળ રાગનો નિર્દેશ કરીને એ ચાલે છે. ‘નેમિજિન સ્તવન' અને 'બારમાસ’માં દેશીનામ નથી. પણ રાગનામ છે. એમણે નિર્દેશેલા રાગો પણ કેટલા-બધા છે! — કેદારો, ગોડી, કેદારો ગોડી, સિંધુઓ ગોડી, મલ્હાર, ભીલી મલ્હાર, દેશાખ, સામેરી, ધન્યાશ્રી, મારુણી ધન્યાશ્રી, રામગિરિ, સિંધૂડઉં, મારુણી, મેવાડો, આસાવરી, કાફી. ભૂપાલી, વૈરાડી, પંચમ, સબાબ, સોરઠી, પરજિયો, અધરસ વગેરે. નિરૂપિત વિષયવસ્તુ પરત્વે આ રાગોની ઉપકારકતા વિશે તો કોઈ જાણકાર જ કહી શકે. સ્નેહરસનો સાગર : સંયોગપ્રીતિનાં મધુર મર્યાદાશીલ ચિત્રણો સર્વ કવિકૌશલનું લક્ષ્ય તો છે રસસિદ્ધિ. જયવંતસૂરિ સ્થૂળ કવિકૌશલમાં અટવાઈ ગયા નથી, રસસિદ્ધિ તરફ એમનું અવ્યગ્ર લક્ષ રહ્યું છે. એમનો સૌથી પ્રિય રસ છે શૃંગાર. અથવા વધારે સાચી રીતે એને સ્નેહરસ કહેવો જોઈએ, કેમકે એમાં માત્ર સ્ત્રીપુરુષસ્નેહનો જ નહીં, મિત્રસ્નેહ, પિતાપુત્રીસ્નેહ, પ્રકૃતિસ્નેહ ને પ્રભુસ્નેહનો પણ સમાવેશ છે. આમાં પણ સંયોગી અવસ્થાના સ્નેહ કરતાં વિયોગી અવસ્થાનો સ્નેહ કવિએ વધારે ગાયો છે. સ્ત્રીપુરુષના સંયોગશૃંગારનું આલેખન વૈરાગ્યધર્મી જૈન સાધુની કલમમાંથી ઝાઝું ન મળે તો એમાં આશ્ચર્ય જેવું નથી. આ કવિએ એક સ્થાને ઉન્મત્ત સંયોગશૃંગારનું ચિત્ર આલેખ્યું છે - ભીડત ચ્યોલી કસણ ત્રટુકી ટુકુડે-ટુકુડે થણથી ચૂકી. થણહર મદમત્ત ગજકુંભ સરિસા, અંકુશ કર જ દીઆ અતિ હરિસા. ૭૧ ચ્યોરી ચ્યોર કરી કહાં લીના, ચિંત બિરાણા હો છીંની લીના, ઈઉં ભૂજપાસિ બાંધી કામરાજઈં, રાખ્યા દોઈ થણ-ડુંગરમાં જઈ. ૭૨ (સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ) બાકી, સાર્થવાહ અને પાતાલસુંદરી જેવાં કામવિવશ પાત્રોનોયે સંયોગશૃંગાર વર્ણવવાની તક કવિએ લીધી નથી, પાતાલસુંદરીનાં મદીલાં અંગોનું વર્ણન કરીને ઈતિશ્રી માની છે. બન્ને કથાકૃતિઓનાં નાયક-નાયિકા તો મર્યાદાયુક્ત શીલધર્મનાં વાહક છે. એમનો કામવિહાર આલેખવાનું કવિએ ઇચ્છ્યું નથી. અજિતસેન-શીલવતીની એકાંત પ્રણયક્રીડાનું વર્ણન તો છે પણ એ મધુર, મર્યાદાશીલ વર્ણન છે - ક્યારેક પ્રશ્નપ્રહેલી, ક્યારેક સોગઠાંબાજી, ક્યારેક ભાષાવિનોદ, ક્યારેક કરપલ્લવી, ક્યારેક પ્રેમરસે સામાસામું જોઈ રહેવું અને ક્યારેક આલિંગન. (શૃંગારમંજરી, ૭૩૪-૩૭) કનકરથ-ઋષિદત્તાના પ્રણયોપચારોનું આછું ચિત્ર વિરહી કનકરથના વિલાપમાં પૂર્વસ્મૃતિ રૂપે, પરોક્ષભાવે અંકાયું છે - સ્નેહરોસઈં તું લેતી અબોલા, તવ હું વ્યાકુલ થાતઉ રે, વારવાર તુઝ ચરણે લાગી, મીહનતિ કરી મનાવતઉ રે. ૨૨.૭ હસતાં હણતી ચરણપ્રહારઈં, તવ હું લહઈતુ પ્રસાદ રે, માંનિની તાહરા કોપઓલંભા, થાતા સુધાસવાદ રે. ૨૨.૮ આ તે નાગરવેલી-મંડપ, જિહાં મઈં પાલવિ સાહી રે, લાજતી નવતન નેહ-સમાગમ, જાતી મુહનઈં વાહી રે. ૨૬.૪ કુમરી કુંદકે જિહાં મુઝ હણતી, આ તે કુશમ સોહઈ રે, આ તે અશોક જિહાં હું તેહનઈં, મનાવતઉ સસનેહ રે. ૨૬.૫ પિતાની વાત્સલ્યચેષ્ટાઓનું આલેખન પણ ઋષિદત્તાને મુખે પૂર્વસ્મૃતિ લેખે થાય છે – હિત ધરી કોમલ અંકિ આરોપીનઈં, સવિ તન કરિ કરી ફરસતઉ એ, ચુંબન દેઈ કરી, ખિણિખિણિ માહરઈ મનમન ભાષિતિ હરખતઉ એ. ૮.૪ પ્રભુદર્શનનો પરમાનંદ વ્યક્ત કરતું ગીત સંયોગપ્રીતિનું જ કાવ્ય બની રહે છે – પ્રિયકારિણી પ્રિયકારિણીતનય વર્ધમાનજિન ચિર જય સનય, તુ મૂરતિ મૂં રતિ કરઈ દીઠી, પરમાનંદની વેલડી મીઠી. ૧ પ્રિ. તુઝ દરશનિ મનિ આનંદ થાઈ, એ ક જીભ ઈં કરી મઇ ન કહિવાય. ૨. પ્રિ. મૂરતિ મોહનવેલડી દીપઈ, નયન નિહાલતાં તરસ ન છીપઈ. ૩. પ્રિ. આંગણિ અલવિ સ્યું સુરતરુ ફલિઉ, પરમ વાહીલેસર જઉ તું રે મિલીઉં. ૪. પ્રિ. ઉઘડ્યાં આનંદ કેરડા હાટ, તું દીઠઈ સવિ ટલ્યા રે ઉચાટ. ૫. પ્રિ. ગુણસોભાગ સમીહિત આપુ, જયવંત રાજે થિર કરી થાપુ. ૬. પ્રિ. (ગીતસંગ્રહ-૪, મહાવીર ગીત) છલકાતાં વિરહભાવનિરૂપણો : નવોદિત પ્રેમની પીડા વિરહભાવનાં નિરૂપણોથી તો જયવંતસૂરિની કૃતિઓ છલકાય છે. વિપ્રલંભશૃંગારના બે પ્રકારો છે — એક, અભિલાષનિમિત્તક એટલેકે જેમાં મિલન પૂર્વેની અભિલાષાની સ્થિતિ વર્ણવાઈ હોય અને બે, વિયોગનિમિત્તક એટલે જેમાં મિલન પછીના વિયોગની સ્થિતિ વર્ણવાઈ હોય. પ્રભુપ્રાર્થનાનાં ઘણાં ગીતો તથા ‘સીમંધરસ્વામી લેખ' વગેરે ઘણાં કાવ્યો અભિલાષપ્રીતિને, પ્રભુમિલનની ઝંખનાને વ્યક્ત કરે છે. ‘સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ'માં સ્થૂલિભદ્રને જોઈને કોશાના હૃદયમાં પ્રેમ જાગે છે ને એ ઉત્કટ અનંગપીડા અનુભવે છે એનું ચિત્રણ થયેલું છે : મયનહ નવમ દશા કોશિ પાઈ, પિઉ પિઉ જપતઈ ખબરિ ગમાઈ, શીતલ ચંદનબુંદ તનિ લાઈ, વીંજ્યત-વીંજ્યત ચેતન આઈ. ૪ (કોશા નવમી કામદશા - મૂર્છાને પામી. ‘પિયુ પિયું' જપતાં એણે સાનભાન ગુમાવી. ચંદનના શીતલ બુંદ શરીરે લગાડી, વીંઝણો વીંઝતાં એ ભાનમાં આવી.) ઋષિદત્તાને જોતાં કનકરથની થયેલી મોહદશા 'નાદઈં વેધ્યા નાગ જિમ, લય પામ્યઉ અભંગ' (૪.૩૦) જેવી પંક્તિમાં આબાદ ઝિલાયેલી છે, તો ઋષિદત્તા નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે એનું ઘેરું ચિત્ર કવિએ આલેખ્યું છે : વેધ તણી છઈ વાત જ ઘણી, પ્રાણીનઈ મેલઈ રેવણી, નાદઈં વેધ્યઉ મૃગલઉ પડઈ, પતંગ દીવામાં તરફડઈ. ૬.૯ કુહુનઈં કહી ન જાઈ વાત, માંહિથી પ્રજલઈ સાતઈ ધાત, લાગુ પ્રેમ તણઉ સંતાપ, તે દુખ બૂઝઈ આપોઆપિ. ૬.૧૦ વયર વસાયું કીધઉં નેહ, નયણાંનઈ સિરિ પાતક એહ, નિસિદિન ચિંતા દહઈ અતીવ, પ્રેમ કીધઉં તિહાં બાંધ્યઉ જીવ. ૬.૧૨ ભૂખ તરસ નિદ્રા નીગમી, જાણે તપ સાધઈ સંયમી, બોલ્યઉંચાલ્યઉંકહિસ્યઉં સ્યઉં નવિ ગમઈ, કૃશ તનુ, દોહિલઈ દિન નીગમઈ. ૬.૧૩ વિરહોદ્ગારો : ભાવછટાઓ અને ઉક્તિછટાઓનું અપાર વૈવિધ્ય શું અભિલાષનિમિત્તક કે શું વિયોગનિમિત્તક, વિપ્રલંભશૃંગારનું વિરહ - સ્નેહનું કવિએ કરેલું સીધું વર્ણન ઓછું છે, બહુધા પાત્રોદ્ગારો દ્વારા જ એને અભિવ્યક્તિ મળી છે. પ્રભુમિલનની ઝંખના પ્રેમી ભક્તમનના ઉદ્ગારોમાં જ વહે છે, તો ઘણાંબધાં ગીતોમાં તથા સ્થૂલિભદ્ર કોશા અને નેમિનાથ-રાજિમતી વિશેનાં અન્ય કાવ્યો - બારમાસ, ફાગુ, સ્તવન વગેરેમાં કોશા અને રાજિમતીના વિરહના ઉદ્ગારો જ રજૂ થયા છે. અજિતસેન-શીલવતીને વિયોગની ઘડી આવે છે ત્યારે અને એમની વિયોગાવસ્થામાં એમના ઉદ્ગારોથી જ કામ લેવામાં આવ્યું છે તો સાર્થવાહ- પાતાલસુંદરીને પરસ્પર થયેલી આસક્તિ, છૂટા પડવાની સ્થિતિ આવતાં થયેલી વ્યથા, રાજાને પણ મિત્ર સાર્થવાહ સ્વદેશ જતાં ઊપજેલો વિષાદ વગેરે સઘળું ઉદ્ગારો રૂપે જ આપણી સમક્ષ આવે છે. આ ઉદ્ગારો મનોમન હોય છે કે પ્રિયતમને, સખીને અથવા ચંદ્ર વગેરેને સંબોધન રૂપે. એમાં દૃષ્ટાંતો, અન્યોક્તિઓ, વ્યંગોક્તિઓ, લોકોક્તિઓ, વ્યવહારાનુભવની વાતો, સુભાષિતો વગેરે ગૂંથાય છે અને અભિવ્યક્તિનું અદ્ભુત વૈવિધ્ય અને અનન્ય માર્મિકતા સિદ્ધ થાય છે. મનોભાવછટાઓ તો સાગરનાં મોજાંની જેમ અવિરતપણે એક પછી બીજી એમ અપરંપાર આવ્યે જાય છે – અભિલાષ-આરત, વિક્ષોભ-વિકલતા, દૈન્ય-અપરાધભાવ, ઈર્ષા-અભિમાન, પરિતાપ-પશ્ચાત્તાપ, પ્રેમદુહાઈ-પ્રેમભગ્નતા, આશા-નિરાશા-પ્રતીક્ષા, પ્રેમપરવશતા- અસહાયતા—અધીરાઈ, રીસ-રોષ, વિનય—અનુનય, પ્રિયજનપ્રશંસા-નિંદા—ઉપાલંભ, તર્કો—તરંગો, સ્મરણ-નિવેદન, ચિંતા- ભય વગેરેવગેરે. જુદીજુદી કૃતિઓમાં પુનરાવર્તિત થવા છતાં ભાવછટાઓ અને ઉક્તિ-છટાઓના વૈવિધ્યની અહીં પૂરી નોંધ લેવાનું અને એની રસાત્મકતા-કલાત્મકતા સ્ફુટ કરવાનું શક્ય નથી. એટલે ‘શૃંગારમંજરી'નાં મનોભાવનિરૂપણોની નોંધ એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી, ૧૯૮૭)માં થઈ ગયેલી હોઈ એ સિવાયની કૃતિઓમાંથી નમૂના રૂપે કેટલાક ભાવોદ્ગારો જોઈએ : વરસાલઈ સાલઈ ઘણું, જે વાલિંભ પર-તીરિ, ઊડી તબ હી જાઈઈ, જઉ હુઈ પંખ સરીરિ. ૧૦ વીજલીયાં ચમકતિં કિ કલમલ હુઈ હઇયા રે, દાધા ઊપરિ લૂણ લગાવઈ બાપહીયા રે. ૧૫ સો બઇઠઈ, સો સોવતઈ, સો ભમતઈ, સો વાતિ, સો ચિંતનિ, જગ સોઈ-મય, સો સો દિવસ નઈ રાતિ. ૪૨ વિરહઈ વાધઈ પાપિણી, સંગમિ વહિલ વિહાઈ, એ તિ સ્વારથ-વઇરિણી રયણી ફીટઉ, માય! ૪૭ ઊમાહીયાં મન-માંહિ રહીઈ, જેમ પંખી પાંજરઈ, દેસાઉરી સો સજન મેરા, સાસ પહિલાં સાંભરઈ. ૫૦ ફાગુણિ હોલી સહુ કરઈ, વીછડ્યાં હી બારઈ માસ. ૫૮ ‘પ્રીતિ પ્રીતિ' સહૂ કો કહિ, અમ્હે તુ જાણઉં વઈર, દાઝીદાઝી તે મરઈ, ચહિ અંગારા ખઈર. ૫૯ લોહિ રે ઘડ્યું રે હીયા, કઈ ઘડીઉં વયરેણ, નેહ-ધીકું ફાટું નહીં, વાલિંભવિરહ ઘણેણ. ૬૦ એકેકે તુઝ બોલડે જીવ કરું ખુરબાન, ગુણ સઘલા ઈણિ તનિ મિલ્યા, અવર ટળ્યાં ઉપમાન. ૬૯ કઈ વઈરિઈ કઈ વેધડઈ, માણસ આવઈ ચિત્તિ, માહરઈ મનિ બેહુ પરઈ તું ખટકઈ દિનરત્તિ. ૭૪ સાહમાનઉં ન લહઈ અવટાયું. આપ સરંગઈ રાચઇ, એક એક-વેધઈ ખઈતું જાઈ, સાહમું એક તનિ માચઈ. ૮૭ એવડું જોર કિસ્યું દાસી સ્યું? કીડીનઈ ફોજ કીસ? તરણા ઉપરિ કસુ રે કુહાડઉ? ઉત્તમ થોડી રીસ. ૯૩ પહિલઉં પ્રીતિ-અંકુરડુ હો, તઈ રોપ્યઉ નયણેણ, મઈ મન-મંડપ મોટઉ, કરિઉ હો, હવઈ તુ છેદઈ કેણિ? ૯૭ અવર પુરુષ કહું? તું સાહિબ, તુઝ પય-નખકી દાસી. ૯૯ (બારમાસ) રે દૈવ તઈ એક દેસડઈ, ન કિયા દોઈ અવતાર, દિન પ્રતિ નયનમેલાવડઈ, સંતોષ હુંત અપાર. ૩ ગૂંથી તુઝ ગુણફૂલડે, નામમંત્ર તુઝ એહ રે, વિરહ તણાં વિષ ટાલિવા, હૂં જપૂં નિસિદીહ રે. ૧૫ વિરહવિછોહીઆં માણસાં, થોડા મેલણહાર રે, આપ સમી લહઈ વેદના, તસ્સ જાઉં બલિહારિ રે. ૨૨ આણી વાટઈં જાણું આવસઈ, તિણિ વેધિઈ રહું બારિ, આસ્યાબંધૂ મન રહઈ રે, ન લહઈ અસૂરસવાર. ૨૫ કિહાં સૂરિજ કિહાં કમલિની રે, કિહાં મેહ કિહાં મોર, દૂરિ ગયાં કિમ વીસરઈ રે, ઉત્તમ નેહ સ જોઈ. ૨૮ અક્ષર બાવન ગુણ ઘણા તુ, કહુ તાં કેતા લિખીઈ રે, થોડઈ ઘણું કરી જાણયો, સુખ હોસ્યઈ તુમ્હ દેખઈ રે. ૩૩ મનિ જે ઊપજઈ વાતડી, તે લેખમાં ન લખાઈ રે, પાપી દોષી જન ઘણા તુ, મિલ્યા પાખઈ ન કહિવાઈ રે. ૩૪ મન માહિ વાચી રાખયો. લાખ ટંકાનું લેખ રે, વિરીહાથિ રખે પડઈ, રખે કોઈ દુરજન દેખઈ રે. ૩૫ (સીમંધરસ્વામી લેખ) લોકલાજ તિજીનઈં માય, પ્રિઉ કેડિ ભમું ઇમ થાય. ૧૨ તે સાજન કિમ વીસરઈ, જસ ગુણ વસિયા ચિંતિ ઊંઘ માંહિં જુ વીસરઈ, સુંહુંણા માંહિં દીસંતિ. ૧૪ પાપી રે ધૂતારાં સુહણડાં, મુઝ સ્યું હાસું છોડિ, કરઈ વિછોહ જગાવીનઈ, સૂતાં મૂંકઈ જોડિ. ૧૬ આજ ઘાલી ગલિ બાંહડી, પરમઈં પિયારઈં દેશિ, રાંનિ રૂંખ જિમ એકલાં, હઇડા કિસ્યું રે કરેશિ. ૨૬ હું સિઈં ન સરજી પંખિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ, હું સિઈં ન સરજી ચંદન, કરતી પ્રિયતનુ વાસ. ૩૧ હું સિં ન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ, મુહિ સુરંગ જ શોભતાં, હું સિઈં ન સરજી પાન. ૩૨ કેસૂડાં પંથિ પાલવ્યાં, સૂડા, દિઉં તુઝ લાખ, એક વાર મુઝ મેલિન, સજન પસારી પાંખ ૩૬ ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન-વાન, જીવ સાથિઈં મઈ તૂઝ દેઉં, થોડઈ ઘણું સ્યું જાણિ. ૪૦ (સ્થૂલિભદ્ર-કોશા ફાગ) સનેહવિછોહાં દોહિલાં, ડુંગરી દેયો લીહ, આવટણું આઠઈ પ્રહર, સજ્જનવિછોહાં જીહ. ૨૬ કેતી કીજઈં રીવ, જાણણહારા વીછડ્યા, રાનિ રડ્યું રે જીવ, કુણ લહસિ, કુણ વારસિ. ૨૮ (નેમિનાથ સ્તવન) તુ મઝ વિરહાનલિ છાતી તાતી, સમધ વિના વિહિ મુ હિઅઈ પકાતી. ૬ મેહ વિણ ખલહલ વૂઠાં પાણી, દુખભરિ રોતાં રાતિ વિહાણી, ૧૦ અરતિ, અભૂખ, ઊજાગરુ રે, આવટણું નસિદીસો, સહિવા દુરિજનબોલણા રે, તઈ સંતાપ્યા નેહો. ૧૩ સંદેસુ મન મિલતઈ જાંણયો, જીવ મિલતઈ સાંઈ માનયો. ૧૫ કુસુમવને વાસિઉ, અલિ માલતી સિઉં લીણો, આઉલિ ફૂલ ન સાંભરઈ રે, પરિમલ-રસ-ગુણહીણો. ૧૬ કોડિ સંદેસે ન છીપીઈ રે, જે તુમ દરિસણ પ્યાસો, અંબફલે મન મોહીઉ રે, પાંનિ ન પહુચઈ આસો. ૧૮ મનિ મનોરથ મોટ કરઈ રે, સમુદ્રનઈ ઝાંપિ ઉજાઈ, વઈરાગર રયણે ભરિઉ રે, સરજ્યા વિણ ન લહાઈ. ૨૧ તુમ ગુણ સઘલા સારિખા રે, કેહા લખીઈ સાધ રે, તેહ ભણી લેખ નવિ લખઉં રે, ખમજો તે અપરાધ રે.
- કો અવસરિ હૈડઈ સંભારુ, દૂરિથી સેવા મજરઈ દેજો. ૨૫
(સીમંધરસ્વામી ચંદ્રાઉલા)
જુ નહીં વાલિંભ ઢૂકડુ રે, ચંદ્રા ઊગિઉ કાઈં.
- ઘડીય ગણંતા દિન ગમું, તારા ગણતા રે રાતિ,
આપું હાર વધાંમણી, જે કહિ વાલિંભ વાત. (ગીતસંગ્રહ-૩૨, નેમિગીત) નયનચકોરાં ટલવલઈ રે જોવા તુહ્મ મુખચંદ. (ગીતસંગ્રહ-૩૪, થુલિભદ્રકોશા લેખ)
- સુંદરતાકુ ગરબ બહુત તુહ્મ, અવરકું માનત તૃણય કરી.
- દૂર શ્રવણવત વચન હમારા, દૃષ્ટિ સુ દૃષ્ટિ ન દેત ખરી.
- કબહીય હરી ઇસી નાગરતા, લિ ન સકતિ કોઉ તુહ્મ ચરી.
(ગીતસંગ્રહ-૩૫, નેમિગીત) કાહા અવગુનિ હમ પીઉ બિસરાએ. (ગીતસંગ્રહ-૩૮, ગીત) રસરૂપરંગ નિધ્યાન દીદાર નેક તેરુ, વહી નૂર દેખન કાજિ જીઉં તપઈ બહુતેરુ. (ગીતસંગ્રહ-૩૯, નેમિગીત) પ્રીય બિંદેસી સું પ્રીતિ સખી કઈસી, ઊઠિ ચલઈ રસરંગ દેખાઈ, બાજી બાજીગર જઈસી. (ગીતસંગ્રહ-૪૧, નેમિગીત)
- જુ તેરુ રૂપ દેખન વહીં ધાવઈ, ત્યૂં તાં આપ છપાવઇ,
- તૂંહી સું પ્રેમ, અઉર સું કેતવ, તું દેખત સુખ થાવઇ.
(ગીતસંગ્રહ-૪૪, ગીત)
- નેહ નિવારિઉ ભલું કરિઉં, વાહલા, નયન નિવાર્યાં કાઈ રે.
- માછિલડી પ્રીતિઈં ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ,
વિરહઈં માણસ નવિ મરઈં, પણ સૂકીનિ થાઈ સાલ કિ. (ગીતસંગ્રહ-૪૫, થૂલિભદ્ર ગીત)
- ચતુરકી ચંગિમા ચિત વસી.
કંઠથી છિન મેહલું નહીં, પીઉ-મોતિનહારા. (ગીતસંગ્રહ-૪૮, ગીત)
- પ્રીઉ કારણ પંડુર ભઈ, યું કેતક મધ્ય પાત રે.
- જોણ આલિ કરી પીઉ સપન મહિઈ.
(ગીતસંગ્રહ-૫૦, થૂલિભદ્ર ગીત) તન મન જોબન ધન સબ દીના રે, તો ભી ન મોહી સું પીઉ એકચીંતા. (ગીતસંગ્રહ-૫૨, થૂલિભદ્ર ગીત) વેધ લાઇ રહ્યા વેગલઈ રે, વલતી ન કીધી સાર, પંજર માહિ પલેવણં રે, નયન ન ખંડઈ ધાર. (ગીતસંગ્રહ-૫૪, થૂલિભદ્ર ગીત) પ્રીઉ રાતડીયાં પરમિંદિર રમઈ, ઘરિ જોઈ ઘરણી વાટ્યો રે. મોરઈ અંગણિ આંબુ મુરીયુ, ફલ્યુ તે પિયારડઇ ઘાટ્યો રે, (ગીતસંગ્રહ-૫૬, ગીત) બિછુર્યા મેલણ વિરલા હંસલા, નલદમયંતીસંયોગિ, કુરંગ તે પાપી હો પરસંતાવણ, સીતારામવિયોગિ, (ગીતસંગ્રહ-૬૦)
- અગનિધીકંતી મેહલી નીસરઈ, કીધી વિણઝારાની રીતિ.
- અવગુણ એકઈ તઈ સિઈ ન દાખવિઉ, વલગત જેહની રે બાંહ,
મનદુ:ખ મનમાં ઊલટીવી વીસમઇ, જિમ કૂઆંનીરિ છાંહ, (ગીતસંગ્રહ-૬૧) કેહનેં કેહનો વેધ કિ, તસ મનિ કો ગમઈ રે, હૂં ઝૂરું જસ કાજ કિ, સો બીજઈ રમઇ રે. (રાજુલ ગીત) મિલવાનું મન નુહઈ તુ તાં, ઊતર સૂઘઉ દીજઈ, ઊંચા અંબ તણી પરિ કેતાં, દૂરિ દાઢિ ગલાવઈ. (સાર્થપતિકોશા ગીત) ઋષિદત્તાની વનથી વિદાયને પ્રસંગે વનસૃષ્ટિ અને ઋષિદત્તાની પરસ્પરની વિયોગપ્રીતિ આપણના હૃદયને ભીંજવી દે તેવા માર્દવથી ને વિષાદસભરતાથી વ્યક્ત થઈ છે. આમ તો એ કવિએ કરેલું વર્ણન છે પણ એમાં ચેષ્ટાઓ ઉપરાંત ઋષિદત્તાના ઉદ્ગારોનો ઘણો આશ્રય લેવાયેલો છે ને એમાં પૂર્વપ્રસંગોની સ્મૃતિ, આત્મીયતા, લાડ, આશ્વાસન, આત્મનિર્ભત્ર્સના વગેરે મનોભાવોથી વૈચિત્ર્ય આવ્યું છે : વનતરુનઈ કહઈ સુંદરિ, નીર ભરિ લોઅણાં રે, ‘ખમયો સવિ અપરાધ કિ, બાંધવ મુઝ તણા રે, લેતી કુસુમસંભાર કિ, કોમલ પલ્લવા રે, ફલ અતિમધુર સવાદિ કિ, દિનિદિનિ નવનવા રે.’ ૯.૧૧ સહીઅ સમાણી કોમલ, ફૂલતબકે ભરી કે, વેલિ સ્યઉં દેઈ આલિંગન, વલીવલી હિત ધરી રે, પુત્ર સમાંણા રોપ કિ, સિંચઈ આંસૂજલઈં રે, ઘઈ આસીસ ઉદાર કિ, ફલયો બહુ ફલઈં રે.’ ૯.૧૨ વનદેવતિનઈં પગ પડી, સીખ માગઈ સતી રે, મોકલાવઈ કેલીશુક, કેકિ સ્યઉં વિલપતી રે, 'ઈમ મત જાણઉ હંસ જે, માયા પરિહરી રે, મિલવા આવયો વેગિ કિ, બહિનિનઈં મનિ ધરી રે.’ ૯.૧૩ મૃગલીનઈં કહઈ, ‘પ્રીય સખી, પ્રાંણથી તુમ્હે પ્રીયા રે, હું પરદેસિણિ પંખિણિ, ઉતારૂ મત મયા રે, એ તાતજીનઉં થાંનક, તુમ્હ સારૂ કર્યઉં રે, તુમ્હ હું વિચિ તાતચિત્તિ કિ, ન હતું આંતરું રે.' ૯.૧૪ સુત સરિસાં મૃગબાલક, તે સવિ ખલભલ્યાં રે, ચાલતી જાણી સુંદરી, તવ ટોલઈ મિલ્યાં રે, જે પાલ્યાં ઉચ્છંગિ કિ, વાહાલા પ્રાણથી રે, પોસ્યાં નિજ કર પ્રેમથી, પરવર્યા પાખથી રે. ૯.૧૫ ઋષિદત્તા કહઈ તેહનઈં, આંસૂ વરસતી રે, ‘મુઝ સરિખી કો નીઠર, નારિ જગિ નથી રે, જેહવી આભાંછાંહ કિ પાણી-લીહડી રે, ઝબકઈ દાખવઈ છેહ, વિદેશી પ્રીતડી રે. ૯.૧૬ ઊચાઊ સ્યું મોહ, વિચક્ષણ કુંણ કરઈ રે, નીઠર મેહલિ જંતિ કિ, પરદુખ નવિ ધરઈ રે', ટલવલતાં મૃગબાલિક, મેહલતી ગહિંબરી રે, રડીરડી ભર્યા તલાવ કિ, સસનેહી ખરી રે. ૯.૧૭ આ બધું જોતાં એમ નથી લાગતું કે જયવંતસૂરિની કૃતિઓમાં સ્નેહરસનો સાગર ઊલટ્યો છે? કરુણ : સ્નેહરસનો એક વિવર્ત વિપ્રલંભશૃંગાર કરુણની ઘણી નજીક આવી જાય છે. પરંતુ જ્યારે પ્રિયજનનો નિત્યવિરહ - મૃત્યુ કે એવા કારણથી - આલેખાયો હોય ત્યારે તો એ કરુણ જ કહેવાય. કરુણનું આલેખન ખાસ કરીને 'ઋષિદત્તા રાસ'માં થયું છે અને એમાં પણ કવિની ક્ષમતા વરતાઈ આવે છે. ઋષિદત્તા પર જે વીત્યું તેથી અને એના પોતે માનેલા મૃત્યુથી આઘાત પામેલા કનકરથના વિલાપમાં ઘેરા કરુણની અભિવ્યક્તિ છે. પૂર્વપ્રીતિનાં સંભારણાંથી એ કરુણને ધાર મળી છે જેનું ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા છીએ. અહીં થોડી વધુ કડીઓ નમૂના રૂપે જોઈએ : 'સૂડા સાલહી મોર ક્રીડાના, તે રડઈ તાહરઈ વિયોગઈં રે. સૂકાં સરોવર આંસૂનીરઈં, પૂરઈ સખીજન શોકઈં રે. ૨૨.૧૧ જનનયને વસીઉ વરસાલઉં, ઉન્હાલઉ નિસાસઈ રે, આકંપઈ અંગઈ સીઆલઉ, સુંદરિ તાહરઈ વિણાસઈં રે. ૨૨.૧૨ નાગલોક કઈ ગમન કર્યું તઈં, જીપિવા નાગકુમારી રે, કઈ રંભાનુ ગર્વ હણેવા, અમરપુરી સંભારી રે. ૨૨.૧૫ વનિ તાહરઈ તું રમતી હતી, મઈં દુઃખ દેવા આંણી રે. તુ પુરુષારથ જગિ સ્યઉં માહરુ, જઉ મઈં તું ન રખાંણી રે. ૨૨.૧૬ તાહરી ક્રીડાનાં થાનક દેખી, મુઝ મનિ સાલઈ સાલ રે, તુઝ પાખઈ સ્યઉં જીવ્યઉં સુંદરિ, પીડઈ વિરહની ઝાલ રે.’ ૨૨.૨૦ હિવ કનકરથ કાંમિનીગુણ, સમરિસમરિ દિનરાતિ, ટલવલઈ ઝૂરઈ દુખભરિઈં, નવિ ગમઈ કેહની વાત. ૨૩.૧ નવિ ગમઈ વીણાગાન મનહર, નવિ કરઈ તનસંભાલ, યોગી તણી પરિ થઈ રહ્યઉ, મેહલી નીસાસાઝાલ ૨૩.૨ 'રે ભૂમિ તું અવકાશ ઘઈ, પાતાલ પઈસઉ જેમ, ગુણવંત ગોરી તણઇ વિરહઈં, હું ધરું જીવિત કેમ? ૨૩.૬ જઉ વિરહ તાહરઈ પ્રાણ ન ગયા, તઉ ખરુ કઠિન સુભાવ, અથ દૈવ મુઝ જીવત દીયઉ, સહિવા રે વિરહ-સંતાવ.' ૨૩.૮ કનકરથ-વિલાપિ પરવત, ખંડઈખંડ તે થાઈ, નીંઝરણ જિમ નયનાં વહઈ, તે કેલવ્યાં ન જાઈ. ૨૩.૯ પિતાના મૃત્યુપ્રસંગે ઋષિદત્તાના વિલાપમાં પણ પિતાના વાત્સલ્યની સ્મૃતિ વણાયેલી છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. એ વિલાપમાં આત્મનિંદા, અધૂરા અભિલાષનો સંતાપ વગેરેથી કરુણ કેવો ઉત્કટ બન્યો છે તે જોઈએ : તન તજી ન જોઈ પ્રાણ, તઉ કઠિન હું નિરવાણિ, પરિહરી કેહઈ દોસિ, અતિ થયું કાં તઇં રોષ? મનિ હતી વાત અનંત, કહાં વસઈ તાત ઉદંત? બઈઠી તિરથિ પીઉ પાસિ, ઉત્સંગિ સુત સવિલાસિ, સુવિલાસ સુત સ્યઉં હરખિ આવસિ તાતજીનઈં પાય. તે રોર મનોરથ તણી રીતઈં, સવિ વાત રહી મન માંહિ. ૮.૪ ઋષિદત્તાના વિલાપમાં વિપત્તિજન્ય કરુણ છે. એ કરુણને પણ આત્મસંતાપ, અસહાયતા જેવા ભાવો વેધક બનાવે છે : સૂંનઈ રાનઈં મોકલું મેહલી રોવત સરલઈ સાદિ રે, આંસુધાર આષાઢી ઘન સ્યું. જાણે લાયઉ વાદ રે. ૧૮.૨ તેણિ વેલાંઈં પાસું તાહરું, જઉં હું મૂકી નાવતી તાત રે, તઉ નવિ પડતી અનરથસાગરિ, દુખ હઈયડઈ ન સમાત રે. ૧૮.૩ પ્રાંણ થકી હું વલ્લભ હુંતી, તુજનઈં સુણિ પ્રાણનાથ રે, આ દુખ-તરલ-તરંગિ તણાતાં, કનકરથ, દ્યુ હાથ રે. ૧૮.૫ મઈ ભૂંડીઈં તુહનઈં લાજ અણાવી, તે કિહાં છૂટિસિ પાપ રે, તાહરા ગુણની હું દાંણી ઘણી (પા. દાણીગિણિ) તું છાયા હું તાપ રે.’ ૧૮.૭ નીસાસઈં સોષી વનરાજી, રડિરડિ ભર્યા તલાવ રે. ખગ મૃગ નાગ તસુ કરુણ વિલાપઈં, પાંમ્યા દુખસંતાવ રે. ૧૮.૯ હૈઅડુ દુખ ભરાઈ આવ્યઉં, આંસૂ અખંડી ધાર રે, કોઈ ન રડતાં રાખઈ વનમાં, કોઈ ન ઠારણહાર રે. ૧૮.૧૦ આ કરુણ વિલપનમાં પણ પિતાના વાત્સલ્ય અને પતિની પ્રીતિનો પ્રવેશ થયા વિના રહ્યો નથી એ બતાવે છે કે કરુણ કવિને મન સ્નેહરસનો એક વિવર્ત છે. રસશબલતા : વીગતપસંદગી ને વાક્પ્રયોગોનું બળ 'ઋષિદત્તા રાસ'માં કવિએ ભિન્નભિન્ન રસો આલેખવાની તક લીધી છે – અદ્ભુત, ભયાનક, જુગુપ્સા વગેરે. એટલું જ નહીં એકથી વધુ રસોને એકસાથે ભેળવ્યા છે ને એ રીતે રસશબલતા સિદ્ધ કરી છે. રાનમાં રડવડતી ઋષિદત્તાના નીચેના વર્ણનમાં કરુણ ભયાનકથી પુષ્ટ થયેલ છે અને સ્થિતિવિપર્યયના ચિત્રણે એ કરુણને તીક્ષ્ણતા અર્પી છે : ચિત વાલઈ ઈમ આપણઉં, પણિ વાલ્યઉં ન જાઈ, પરવત ફાટઈ ઘણઈં દુખઈં, નીલા ઝાડ સૂકાઈ, ૨૦.૧ ધીકઈ અગનિ-અંગીઠડી, વેલૂ જંઘ સમાંણી, પરસેવો ખલહલ વહઈ, જાણે નીંઝર-પાણી. ૨૦.૨ અધર ફાટઈ, સૂકઈ ગલઉં, જાઈ સાસિ ભરાંણી, છાંહ માત્ર પાંમઈ નહી, કિહાંઈ નવિ લહઈ પાણી. ૨૦.૪ કિહાંઈક ફણિગર ફૂફૂઈ, કિહાં ફ્યાઉ ફેકારઈ, ઘોર ઘૂક કિહાંઈ ઘૂઘૂઈ, કિહાંઈં વાઘ હુંકારઈ. ૨૦.૬ કિહાંકિણી ખોહ બિહામણી, કિહાંઈ ડૂંગર મોટા, દેખતાં હીઅડું હડબડઈ, કિહાંઈં મારગિ કુંટા. ૨૦.૭ કુસુમસેજિ બીંટ ખૂચતઈ, નીંદ ન આવતી જાસ, એહવી વેલા તેહનઈં પડઈ, હા હા દૈવવિલાસ. ૨૦.૮ સૂરિજકિરણ તનિ જેહનઈ, નવિ લાગઈ કહીઈ, રાંન માંહિ તે રડવડઈ, પડઈ પાથરિ મહીઈં. ૨૦.૯ નવનીત પાંહિ કુંઅલી, હુંતી જસ તનવાડી, તે ઋષિદત્તા તિણિ સમઈ, થઈ વજ્રથી ગાઢી. ૨૦.૧૦ ઋષિદત્તાને હત્યારી ઠેરવી મારી નાખવા લઈ જવામાં આવે છે તે વખતનું એનું વર્ણન જુગુપ્સા અને ભયની લાગણી જગાડનારું છે પણ એનું પર્યવસાન તો કરુણમાં ઇષ્ટ છે : ચૂંનઉ તે ચોપડ્યઉ સીસઈ, બીલીફલ-ઝૂંબખ દીસઈ, વિકૃત વેસઈં. ૧૭.૬ સૂપડાનઉં છત્ર ધરઈં, લહિકતિ ચૂંથા ચામરઈં, આરોહી ખરઈં. ૧૭.૭ લીંબપાંન તણી માલા, ઠવી તે કંઠઈં વિશાલા, દીસઈ કરાલા. ૧૭.૮ હીંગઈં તે વિલેપ્યઉં તન્ન, મષીઈં ખરડ્યઉં વદન્ન, દીસઈ વિષન્ન. ૧૭.૯ ઠામોઠામિ પૌરલોક, ગાલિ દીઈ થોકિથોકિ, પીડ્યા તે શોકિ. ૧૭.૧૦ આગલિ કાહાલિ વાગઈ, લોક તસુ કેડઈં લાગઈ, દુખડું જાગઈ. ૧૭.૧૨ સતીનઈં સંતાપી ગાઢી, સેરીસેરી અતિ તાડી, બાહિરિ કાઢી. ૧૭.૧૩ સુલસા યોગિનીના કપટના પરિણામે નગરમાં થયેલા ઉત્પાતનું ચિત્ર અદ્ભુત, રૌદ્ર, ભયાનક અને કરુણનું વાતાવરણ ઊભું કરે છે : રથમર્દનપુરિ કીઆ રે દંદોલા, સેરીસેરી કરંકકા ટોલા, મંદિરિમંદિરિ કીંની મારી, વિલપતિ સબ જન ઠાહારોઠારી. ૧૨.૩ જનઆંસૂકી ભઈ નીઝરણી, શોકાનલકી ભઈ તન-અરણી, હાહાકાર કરતિ સબ લોકા. સબ જન વ્યાકુલ ભએ સશોકા. ૧૨.૪ દહનકું પાવતિ નહીં અવકાશા, કુણપથી ગંધિ પૂરી સબ આકાશા, બાલક વૃદ્ધ યુવજન માર્યા, હણતઈ સ્ત્રીજન કો ન ઊગાર્યા. ૧૨.૫ જયવંતસૂરિનાં આ રસચિત્રણો સ્વચ્છ, સુરેખ, અલંકારોના ઠઠારા ને રંગ-ભભક વિનાનાં, પણ એની વીગતપસંદગીથી ને વાકપ્રયોગોથી ધારી અસર નિપજાવનારાં છે. કવિનું એ રસકૌશલ લક્ષ બહાર રહેવું ન ઘટે. સુભાષિતોના રસિયા કવિનું સુભાષિતકૌશલ જયવંતસૂરિ સુભાષિતોના ભારે રસિયા છે. ‘શૃંગારમંજરી'ને સુભાષિતમંજરી બનાવી દીધી છે એ એનું જ્વલંત ઉદાહરણ છે. પણ કવિ સુભાષિતોના માત્ર રસિયા નથી, એમાં એમની ભારે પ્રવીણતા પણ છે. એમની કૃતિમાં સુભાષિતો કેવળ બોધાત્મક લટકણિયાં તરીકે નથી આવતાં, એ કૃતિનો જડ નિષ્ક્રિય અંશ નથી હોતો, કાર્યશીલ અંશ હોય છે. એ પ્રસંગમાંથી ફૂટે છે, પાત્રોના મનોભાવ સાથે સંકળાય છે (ઘણી વાર તો પાત્રોદ્ગારો રૂપે આવે છે), જગતના વિશાળ અનુભવના નિચોડરૂપ ને આપણને ચોટ લગાવે, ચમત્કૃત કરે કે આપણા માટે ભાથું બનીને રહે એવા જાતભાતના, અવનવીન વિચારોનું એ નજરાણું હોય છે તથા સૂત્રાત્મકતા, વાણીની વક્રતા ને વેધકતા તેમજ સરલસહજ છતાં આબાદ રીતે વિચારસમર્થક સાદૃશ્યો ને દૃષ્ટાંતો વડે પ્રભાવક બનેલાં હોય છે. ‘શૃંગારમંજરી'માં સ્નેહને કેન્દ્રમાં રાખીને કવિએ કેટલાબધા વિષયો આવરી લીધા છે! – પ્રીતિલક્ષણ, અનુરૂપ સ્ત્રીપુરુષયુગલ, સંયોગપ્રેમ, વિરહપ્રેમ, પ્રીતિભંગ, પ્રીતિને ખાતર પીડાસહન, મૈત્રી, સજ્જનલક્ષણ, સજ્જનપ્રીતિ, સજ્જનસ્મૃતિ, ગુણપ્રીતિ, સજ્જન-દુર્જન-સંબંધ, કુબોલનો પ્રભાવ, લઘુપણાનો મહિમા, ગુરુમહિમા, કાવ્યરસ, પ્રબંધગુણ, ગીત-સંગીતનો મહિમા, રસિક અને મૂર્ખ શ્રોતા, સુકવિવચન, કુકવિવચન વગેરે - એ કવિની અપાર વિચારસમૃદ્ધિ દર્શાવે છે. ‘શૃંગારમંજરી'નાં ઉદાહરણો એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી, ૧૯૮૭)માં અપાઈ ગયાં હોવાથી અહીં અન્ય કૃતિઓમાંથી જ થોડાં ઉદાહરણ નોંધીએ. ઋષિદત્તા નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે તેનું વર્ણન આપણે આગળ નોંધ્યું છે. એમાં સ્નેહદશાવિષયક સુભાષિતરૂપ ઉક્તિઓ સહજ રીતે જ વણાઈ ગયેલી જોઈ શકાશે. મૃગલાની વિદાય લેતાં ઋષિદત્તાએ કરેલા ‘વિદેશીની પ્રીતડી તો અભ્રની છાયા જેવી છે’ વગેરે ઉદ્ગાર સુભાષિતરૂપ જ છે ને? એકનિષ્ઠ સાચી પ્રીતિ અંગેની નીચેની સુભાષિતોક્તિઓ ઋષિદત્તાના કનકરથ સાથેના પ્રણયસુખના સંદર્ભે ને ઋષિદત્તાના મનના વિચારો રૂપે રજૂ થઈ છે. એમાં દૃષ્ટાંતોને કેટલાંબધાં ખપમાં લીધેલાં છે! ફટિક સરીખાં માણસ, તેહ સ્યઉં કુંણ મિલઈ રે, તે વિરલા જગ માંહિ કિ, પ્રીતઈં જે પલઈ રે. ૯.૬ ભુજબલિ ઉદધિ ઉલંઘન, નાગ ખેલાવના રે, ખરા દોહિલા હોઈ કિ, પ્રીતિકા પાલના રે. ૯૭ શસિ સ્યઉં નહીં સસનેહી, કમલની રવિ વિના રે, માંણસ તેહ પ્રમાણ જે, પ્રીતઈં એકમના રે. ૯.૮ ઋષિદત્તા પર આળ આવ્યું ત્યારે એને નિર્દોષ માનતો કનકરથ એને આશ્વાસન આપે છે તે પ્રસંગે કવિ એક સુભાષિત ટપકાવી દે છે : અવગુણ સઘલા છાવરઈ, જે જસુ વલ્લભ હુંતિ, સરસવ જેતા દોષનઈં, દોષી મેરુ કરંતિ. ૧૩ દુહા ૫. પિતાના આશ્રમે આવતાં ઋષિદત્તાનું હૈયું હાથમાં રહેતું નથી એ સંદર્ભમાં મુકાયેલા આ સુભાષિતમાં કેવા તાજગીભરેલા દૃષ્ટાંતની ગૂંથણી છે! – પાંહણ પાવક પરજલઈ, ફાટ્ઈ પિણ મિલઈ વારઈ, સજ્જન દીઠઈ દુખ સંભરઈ, આવઈ હઇડલા બારઈં. ૨૦.૧૪ (પથ્થર ઉપર અગ્નિ પ્રજ્વલે છે, પણ વારિનો યોગ થતાં પથ્થર ફાટી પડે છે. સ્વજનને જોતાં દુઃખની સ્મૃતિ થાય છે અને એ હૃદયની બહાર ઊછળી પડે છે.) 'લોચન કાજલ સંવાદમાં લોચનની આ ઉક્તિ નિર્વ્યાજ પ્રેમનો અસંદિગ્ધ અને હિંમતભર્યો પુરસ્કાર કરે છે – મનમાન્યા સ્યું રૂપ ન જોવું, ગુણ-અવગુણ નવ ધરીઈ, જણજણ કેરા બોલ સુણીનઈ, મન ચંચલ નવ કરીઈ. ૨.૧૬ આ પૂર્વે કરેલ અલંકારરચનાના નિરૂપણમાં તથા વિરહોદ્ગારોની નોંધમાં પણ સુભાષિતરૂપ ઉક્તિઓના કેટલાક દાખલા આવી ગયેલા છે. ત્યાં ઉક્તિને મળેલી સાદૃશ્યરચનાની, દૃષ્ટાંતની, અન્યોક્તિની મદદ ને તેથી સધાયેલી પ્રત્યક્ષતા તથા વ્યંગાત્મકતા પણ પ્રતીત થશે. મોટા ભાષાસ્વામી છેલ્લે, હવે જયવંતસૂરિના ભાષાસામર્થ્યની વાત. કવિ જે કંઈ સિદ્ધ કરે છે તે છેવટે ભાષા દ્વારા જ સિદ્ધ કરે છે ને? તેથી જ ભાષાસજ્જ ને ભાષાસમર્થ ન હોય અને કવિ હોય એ બને શી રીતે? પણ ભાષાસજ્જતા અને ભાષાસામર્થ્ય જુદાજુદા પ્રકારનાં હોય છે, જુદીજુદી કોટિનાં હોય છે, ભાષાના અનેક પહેલુઓમાંથી એક યા બીજાનો ઉપયોગ કરનારાં હોય છે. જયવંતસૂરિના ભાષાવિનિયોગનાં પણ કેટલાંક લક્ષણો તારવી શકાય. એક તો, એ વિવિધ ભાષાભેદોને ઔચિત્યથી, કાર્યક્ષમતાથી, સહજપણે પ્રયોજે છે. એમનામાં સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓ જડે છે, જે પ્રશિષ્ટતાની, શ્લિષ્ટતાની, ગૌરવની અને પ્રૌઢિની આબોહવા ઊભી કરે છે. આપણે પ્રાચીન કાવ્ય-પરંપરાનું અનુસંધાન અનુભવીએ છીએ અને માણીએ છીએ. પ્રાકૃત ભાષાના પ્રયોગો એમાં થોડી જુદી સુગંધ પૂરે છે. વર્ણનોમાં, આલંકારિક ચિત્રણોમાં, શ્લેષ, યમક જેવા શબ્દાલંકારોમાં કવિની આ ભાષા-સજ્જતાનું ઘણું અર્પણ છે. પણ સાથે જ તળપદી બોલાતી ગુજરાતી ભાષા પણ કવિને એટલી જ હાથવગી છે. સુભાષિતો, પાત્રોદ્ગારો વગેરેમાં એનું પ્રવર્તન જોઈ શકાય છે. એનાથી કાવ્યમાં સ્ફૂર્તિ, તાજગી અને આત્મીયતાનો અનુભવ આપણે કરીએ છીએ. પ્રસંગે વ્રજ-હિંદીનો પ્રયોગ પણ કવિ કરે છે - સુલસા યોગિનીએ નગરમાં વર્તાવેલા ઉત્પાતનું વર્ણન વ્રજ-હિંદીની ભાષાછટામાં થયું છે તે કેટલું ઔચિત્યપૂર્ણ અને અસરકારક લાગે છે! —, કેટલાંક પદો હિંદીમાં જ રચાયેલાં છે ને હિંદીનાં છાંટણાં તો કવિની ગુજરાતી કૃતિઓમાં અવારનવાર મળે છે. ઉર્દૂ-ફારસી શબ્દો પણ એના વિશિષ્ટ રણકા સાથે અવારનવાર મળે છે. આ બધાંનાં ઉદાહરણો આ પૂર્વે ઉદ્ધૃત થયેલી પંક્તિઓમાં જડી આવશે, તેમ છતાં અહીં થોડાક નમૂનાઓ જોઈએ. સંસ્કૃત તત્સમ શબ્દો : અરતિ, કરંક, કુણપ, કેલીશુક, (એકસાથે આવતા વધુ શબ્દો) ગૌર કપોલ શશીબિંબ, ઉન્નત પીન પયોધર, ઉન્નત શ્યામ સુચૂચક, (સમાસાત્મક શબ્દો) શુષ્કપયોધરા, ભસ્મધૂસર, કુરુવિંદચિત્રિત, કુસુમસંભાર, મદનાલસ, સુરતરસસમર, લક્ષણછંદવિહીન, ભૂમિસંભવ-મુનિયુતા, શબ્દ-અર્થ- સુસંગતા વગેરે. પ્રાકૃત શબ્દો અને રૂપો : ગાહા (ગાથા, કાવ્ય), ગીય (ગીત, ગાન, સંગીત), સુવન્ન (સુવર્ણ), પરમત્થ (પરમાર્થ), સુરમ્મ (સુરમ્ય), જિમ્મ (જેમ), મયણેણ, લહંતિ વગેરે. તળપદા શબ્દો : (લાડભર્યા. ગળચટ્ટા) થોડિલા, હૈડલું, તંબોલડુ, સનેહડુ જંબારડુ લીહડી, કેરડુ (કેરુ), (અન્ય વિશિષ્ટ શબ્દો) ખોટારા, ઢૂકડું, આલાલુંબુ, (સમાસાત્મક શબ્દો) બોલ્યઉંચાલ્યઉં, અસૂર-સવાર, મુખમટકો, નયણમેલાવડો, દુરિજનબોલણા, મનરીઝવણું, ફૂલતબક (ફૂલનું સ્તબક, ઝૂમખું), નયનચકોરાં વગેરે. હિંદી-ઉર્દૂ-ફારસી શબ્દો : (ઘણા શબ્દો સમાન હોવાથી એક સાથે દર્શાવ્યા છે) ખલક, દીદાર, ખબર (સુધસાન), ખુરબાન (કુરબાન), મજરે દેવું (સ્વીકારવું), મીહનતિ (વિનંતી), (ગુજરાતી કૃતિમાં વપરાયેલ હિંદી શબ્દો) બિછુર્યા, બહુતેરી, કીની, મોતિનહારા વગેરે. ગુજરાતી રૂઢિપ્રયોગો, કહેવતો, સૂત્રાત્મક ઉક્તિઓ પણ થોકબંધ જોવા મળે છે. 'અણમાર્યાં મરઈ’ ‘દૂરિથી દાઢ ગળાવે’ જેવા પ્રયોગો ચાલુ પ્રવાહમાં સહજ રીતે ગોઠવાઈ જાય છે. કનુભાઈ શેઠે 'શૃંગારમંજરી'માંથી સો ઉપરાંત રૂઢિપ્રયોગાદિની અને નિપુણા દલાલે 'ઋષિદત્તા રાસ'માંથી સિત્તેર જેટલાં રૂઢિપ્રયોગાદિની યાદી કરી છે તે કવિને ભાષાની આ લાક્ષણિકતા કેટલીબધી હાથવગી છે તે બતાવે છે. કવિની વાક્છટાનો પરિચય આપતી કેટલીક વિશિષ્ટ વાક્યભંગિઓ – ઉક્તિભંગિઓ અને એની કાર્યસાધકતા જોઈ લઈએ. ‘સલૂંણા સાથી કો મુઝ મેલઈ તાસ, હું તઉં તેહનઉ ભવિભવિ દાસ'માં 'હું તેનો ભવભવનો દાસ’ એ લોકબોલીનો લાક્ષણિક પ્રયોગ છે અને અહીં સલુણા સાથી સાથેના મિલનનો મહિમા બોલનારને મન કેટલોબધો છે તે એ બતાવે છે. 'લાખ ટંકાનુ લેખ'માં 'લાખ ટકાનુ એ રૂઢિપ્રયોગ પણ લેખની અસાધારણ મૂલ્યવત્તા સૂચવે છે. ‘એવડું જોર કિસ્યું દાસી સ્યું. કીડીનઈ ફોજ કીસ'માં 'કીડી ઉપર કટક' એ કહેવતના ઉપયોગથી પાત્રના મનોભાવને મૂર્તતા સાંપડે છે. 'કેતી કીજઈ રીવ, જાણણહારા વીછડ્યા'માં 'કેતી કીજઈ રીવ' એ પ્રશ્નાર્થ-વાક્ય 'રીવ' (ચીસ, પોકાર)ની નિરર્થકતા ને બોલનારની લાચાર મનોદશાને વ્યક્ત કરે છે. આ બોલચાલની એક વ્યાપક લઢણ છે. ‘સો બઈઠઈ, સો સોવતઈ, સો ભમતઈ, સો વાતિ'માં 'સો' (તે)નું પુનરાવર્તન એની સર્વવ્યાપિતાને આબાદ ઘૂંટે છે. સામસામે તોળાતા વિરોધમૂલક વાક્યોની રચના તો કેટલીબધી જોવા મળે છે! 'સગપણ હુઈ તુ ઢાંકીઈ રે, પ્રીતિ ન ઢાંકી જાઈ’માં 'સગપણ' અને 'પ્રીતિ' સામસામે મૂક્યાં છે અને એથી અભિપ્રેત અર્થ હૃદયસોંસરવો ઊતરી જાય એવું થયું છે. ‘આજ ઘાલિ ગલિ બાંહડી, પરમઈ પિયારઈ દેશિ'માં 'આજ' અને 'કાલ' (પરમ) સત્વર સ્થિતિ-વિપર્યય — વર્તનભેદનાં વાહક બન્યાં છે. આ પણ એક બોલચાલની લઢણ છે. 'ફાગુણિ હોલી સહુ કરઈ, વીછડ્યા હી બારઈ માસ'માં 'સહુ’ તથા 'વિરહી' (વીછડ્યા) અને 'ફાગણમાં' તથા 'બારે માસ'નો વિરોધ રચાયો છે તેમજ બન્ને પરત્વે 'હોળી'નો અર્થસંકેત બદલાય છે. એક સઘન મર્મસભર ઉક્તિનો આ નમૂનો બને છે. 'વયર વસાયું કીધઉં નેહ'માં બે વાક્યોને બાજુબાજુમાં મૂક્યાં છે. એમની વચ્ચે વિરોધ નથી પણ પર્યાયાત્મકતા છે. સ્નેહ કર્યો તે જ વેર દાખવ્યું! આ એક લાક્ષણિક વાક્યછટા છે. જયવંતસૂરિની ભાષાના આ ચિત્રમાં ઉમેરીએ પ્રાસ, શબ્દાલંકાર, અર્થાલંકાર વગેરે નિમિત્તે પ્રગટ થતી ભાષાસંપત એટલે જયવંતસૂરિ કેટલા મોટા ભાષાસ્વામી છે એ સમજાયા વિના નહીં રહે.
કાવ્યકલાનાં સર્વ અંગોમાં અનુપમ કૌશલ દર્શાવતા જયવંતસૂરિ મધ્યકાળમાં વિરલ એવા પંડિત, રસજ્ઞ, સર્જક કવિ છે. એમની કાવ્યસૃષ્ટિ આજે પણ કાવ્યરસિકોને પરમ હદ્ય બને એવી છે. સંદર્ભસાહિત્ય મુદ્રિત આત્માનંદ પ્રકાશ, પુ.૨૧ અં.૭ તથા અં.૧૦ – જયવંતસૂરિ, મોહનલાલ દલીચંદ દેશાઈ. ઋષિદત્તા રાસ, સંપા. નિપુણા દલાલ, ૧૯૭૩. કક્કાબત્રીશીના ચંદ્રાવલા તથા ચોવીસ તીર્થંકરાદિકના ચંદ્રાઉલાનો સંગ્રહ, ૧૮૮૫ - ‘સીમંધરસ્વામી ચંદ્રાઉલા'. ગુજરાતી સાહિત્યકોશ, ખંડ ૧, મધ્યકાળ, સંપા. જયંત કોઠારી વગેરે, ૧૯૮૯ – 'જયવંતસૂરિ', 'ઋષિદત્તા રાસ', 'શૃંગારમંજરી'. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૨, સંગ્રા. મોહનલાલ દ. દેશાઈ, સંપા. જયંત કોઠારી, ૧૯૮૭. પ્રાચીન ફાગુ સંગ્રહ, સંપા. ભોગીલાલ જ. સાંડેસરા, સોમાભાઈ પારેખ ૧૯૫૫ – ‘સ્થૂલભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ’. પ્રાચીન બારમાસા સંગ્રહ, ભા.૧, સંપા. શિવલાલ જેસલપુરા, ૧૯૭૪ - 'નેમિનાથ-રાજિમતી બારમાસ'. શમામૃતમ્, સંપા. મુનિ ધર્મવિજય, ૧૯૨૩ - 'નેમિનાથ સ્તવન'. શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ, ૧૯૭૮. શૃંગારમંજરી, જયંત કોઠારી, ૧૯૮૭. હસ્તપ્રતો આ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા.૨; ઋષિદત્તા રાસ, સંપા. નિપુણા દલાલ; તથા શૃંગારમંજરી, સંપા. કનુભાઈ શેઠ. (છેલ્લા બે ગ્રંથોમાં સંપાદિત કૃતિ ઉપરાંતની અન્ય કૃતિઓની હસ્તપ્રતોની પણ નોંધ છે.) ______________________ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય, સંપા. જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ, ૧૯૯૩ ______________________