સંચયન-૬૫

Revision as of 02:07, 2 April 2025 by Meghdhanu (talk | contribs) (text part upto નિબંધ completed)
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan-65 Cover page.jpg
સંચયન - ૬૫

પ્રારંભિક


એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૭: માર્ચ ૨૦૨૫
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૫



 

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

 
 

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatramagazines.com
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૪

 

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.


સ્કેચબુકનું એક પાનું, બોર્ડ પર એક્રેલિ ક, ૧૯૬૯ - જ્યોતિ ભટ્ટ

અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક - ૭: માર્ચ, ૨૦૨૫
સમ્પાદકીય
» બિલિપત્ર ~ મણિલાલ હ. પટેલ
કવિતા
» જન્મની ફેરશિક્ષા ~ સુંદરજી બેટાઈ
» અમૂલ્ય પળ ~ ગોવિંદ સ્વામી
» ગઝલ ~ સૈફ પાલનપુરી
» મિ લન (સૉનેટ) ~ ઈન્દ્રકુમાર જોષી
» મેલ હવે મન ઝાવા ~ ફકીરમહમંદ મનસૂરી
» બાંકડે બેઠો છું ~ હરિ કૃષ્ણ પાઠક
» ફરી વતનમા ~ પ્રબોધ ભટ્ટ
» કાગળ ~ મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’
» મગજીની કોર ~ બાબુ નાયક
» સભાપાત્રતાની ગઝલ ~ સ્નેહી પરમાર
» પંડિતનું ગીત ~ બાબુલાલ ચાવડા ‘આતુર’
» ગઝલ ~ હર્ષવી પટેલ
» ગઈકાલ વિશેનું ગીત ~ પ્રતાપસિં હ. રાઠોડ ‘સારસ્વત’

વાર્તા
» વાંસનાં ફૂલ ~ બિપીન પટેલ

નિબંધ
» વાડ ~ નીલેશ ગોહિલ

પત્રો
» ઉમાશંકર જોશીને ઝવેરચંદ મેઘાણીનો પત્ર
» મનસુખલાલ મ. ઝવેરીનો ઝવેરચંદ મેઘાણીને પત્ર
» મકરન્દ દવેનો કુન્દનિકા કાપડિયાને પત્ર

વિવેચન
» ગદ્યનું કલાસ્વરૂપ ~ ચંદ્રકાન્ત ટોપીવાળા

કલાજગત
» ડિજિટ લ છબિ કળા (ફોટોગ્રાફિ ક) ~ કનુ પટેલ


॥ સમ્પાદકીય ॥

બિલિપત્ર

૧. વૃક્ષઃ

આ પૃથ્વીલોકમાં વૃક્ષ સાચ્ચે જ દેવતા સ્વરૂપ છે. વૃક્ષો વિનાની પૃથ્વી કલ્પી શકાતી નથી. વૃક્ષો વિનાનું માનવજીવન પણ અકલ્પ્ય છે. વૃક્ષો વિના તો પશુ-પંખી, જીવજંતુનું જીવવું અશક્ય છે. એટલે વૃક્ષથી મોટો કોઈ દેવ નથી અને માટીથી મોટી કોઈ મા નથી. વૃક્ષો માટીનું રૂપાંતર છે - ને દેવસ્વરૂપ છે. આપણેય માટીનું રૂપાંતર છીએ. વૃક્ષો ઋતુઓનું વાહન છે. ઋતુઓ વૃક્ષોને લઈને વધારો શોભાયમાન લાગે છે. વૃક્ષ એક ગુરુ કરતાં વધારે શીખવે છે. વૃક્ષો આપણને છાંયો, ફળ, ફૂલ, લાકડું તથા ઔષધિઓ આપે છે - એ તો સહુ કોઈ જાણીએ છીએ. પરંતુ વૃક્ષો આપણને એમના જીવનમાંથી બોધપાઠ આપવા સાથે અધ્યાત્મ પણ શીખવે છે. વૃક્ષો ચૂપચાપ પરોપકાર કરે છે. પોતાને માટે કશું જ નહિ રાખતાં વૃક્ષો જીવસૃષ્ટિને બધું જ સમર્પિત કરી દે છે. વૃક્ષની પ્રત્યેક વસ્તુ/રજેરજ કિંમતી ને કામની છે. એના ફૂલફળથી પંખીલોકને જીવજંતુની સૃષ્ટિ સદાકાળ જીવતાં ને કલરવતાં તથા સૃષ્ટિનું સંતુલન સાધતાં રહે છે. એટલે એક વૃક્ષ કપાય છે ત્યારે સેંકડો પંખીઓ તથા જીવજંતુની વસાહતો ઉજડી જાય છે. એટલે વૃક્ષ કાપવું એ પાપ છે - મહા પાતક છે. વૃક્ષો પરિપેક્ષને રમ્ય ને ભવ્ય બનાવવા સાથે પર્યાવરણને પરિશુદ્ધ રાખે છે. વૃક્ષ હંમેશા આપણને છાંયે બેસવા ને સાથે રહેવા સાદ પાડતું હોય છે. જૂના જમાનામાં ગુરુકુળો - આશ્રમો વૃક્ષોની ઘટાઓમાં શુધ્ધ અને અધ્યાત્મમય જીવનથી મસ્ત રહેતાં હતાં. વૃક્ષો ઘર આપે, આશરો આશરો બને, શુદ્ધ ફળફૂલ ને હવામાન આપે છે. એ આપણને પાંદડાનાં ને ફૂલના રંગો તથા આકારોથી કુદરતની લીલા સમજાવે છે. ઔષધિ આપતું વૃક્ષ પવનનું સંગીત આપે ને ઋતુઓની લીલા દ્વારા જીવનચક્ર.... ઈશ્વરનું રચેલું સૃષ્ટિચક્ર આપણને વગર બોલ્યે ભણાવી દે છે. “મૂળ રે વિનાનું કાયા ઝાડવું/એને પડતા ન લાગે વાર/” - આપણું શરીર પણ મૂળ વિનાનું ઝાડવું છે. એ ગમે ત્યારે પડી જવાનું છે. તો કાયાને કુદરતના વૃક્ષની જેમ રાખીએ ને બીજાઓ માટે પ્રયોજીએ ત્યારે જ જીવેલું સાર્થક થાય. મને તો ઝાડ થવું બહુ ગમે/કવિ જયંત પાઠક તો કહે છે કે કોઈ ભવમાં હું વૃક્ષ હોઈશ... ને આમેય આપણો આકાર પણ ઝાડ જેવો જ તો છે. વૃક્ષોની તો હજારો પ્રજાતિઓ છેઃ જાતે ઘસાઈને સુગંધ તથા શીતળતા આપે તે ચંદન તો દેવોને ય પ્રિય છે. પારિજાતને તો દેવતરુ કહ્યું છે - કૃષ્ણે રુક્ષમણિના આંગણે વાવેલું - તે કેવું તો મહેક મહેક થતું હશે? જીવતરના બધા રસાસ્વાદ વૃક્ષોનાં ફળોમાં નિહિત છે. કેરીને ખટાશ ને મીઠાશ! આંબલીની ખટાશ. કાચાં બોરની તુરાશ! ફણસનું ગળપણ! ખજૂરનો સ્વાદ, સીતાફળની સ્વાદિષ્ટતા... બીલી-કોઠીના ઔષધીય ગુણો!! વૃક્ષો પૃથ્વીને જ નહિ જીવતરને ય હરિયાળું ને રમણીય કરી દે છે. મૂળ જેટલાં ઊંડા જાય તેટલું એ આકાશને આંબે! આપણે પણ જીવતરમાં-જ્ઞાનમાં ઊંડા ઊતરીએ તો વધુ વિકસીશું. વૃક્ષો બીજા વૃક્ષોને પૂછ્યા વિના જાતે જ ઊછરે છે-વેઠીને વિકસે છે.

૨. તડકો

જે આંખ સામે છે અર્થાત સમક્ષ છે પ્રત્યક્ષ છે તેના વિશે આપણે બહુ વિચાર નથી કરતા. દા.ત. તડકોઃ બોલો તડકા વિશે તમે ભાગ્યે જ ગંભીરતાથી વિચાર્યું હશે. અથવા ઓછી વખત વિચાર્યું હશે. તડકો આમ તો બહુ પરિચિત છે. એનાં કેટકેટલાં રૂપો છે? બધા જ તડકાને જાણે-માણે-પ્રમાણે છે. પરંતુ તડકાની રૂપસૃષ્ટિ, તડકાની દુનિયા, તડકાનું સૌંદર્ય વિશે વિચારનારા બહુ ઓછા મળવાના. તડકો સૂર્યપ્રકાશનું -ઊર્જાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. વૃક્ષોની તથા ધરતીની લીલાશને લીધે તડકો જરા વધુ પીળો તથા ઉજ્જવલ - ચોખ્ખો લાગે છે. પૃથ્વી લોક પર જીવનનું એકમાત્ર કારણ સૂર્ય છે - તડકો છે. સૂર્ય સર્વશક્તિઓનો એકમેવ સ્રોત છે. આપણે નદીસાગરો, ધનધાન્ય, જીવજંતુ તથા માનવજાતઃ બધું જ સૂર્યની શક્તિઓના સહારે હયાત છે. આ તો વિજ્ઞાનનું સત્ય છે. તડકાની ઊર્જા સૂર્ય-પૃથ્વીની ભૌગોલિક સ્થિતિઓ પ્રમાણે તીવ્ર ને વધતી ઓછી અનુભવાય છે. આપણે સૂર્યના સંતાનો છીએ. ને તડકાનાં આભારી છીએ. આજે આપણે તડકા વિશે થોડી જુદી વાતો કરવી છે. તડકાનું સૌંદર્ય /તડકાના અનેક રૂપો આપણી સામે હોવા છતાં જોતા-પામતા નથી. એ આપણને કવિઓ બતાવે છે. વરસાદ પડી ગયા પછી તરત તડકો ઊઘડે છે. ત્યારે સીમ-વગડો-વૃક્ષો-ગામ-ઘરો બધાં હસી ઊઠે છે જાણે! ભીના વૃક્ષોને સીમ પર તડકાનો રૂમાલ ફરે છે ને જાણે એમને કોરાં કરીને નિખારે છે. (લા.ઠા. સાંભરે) હેલીના દિવસો પછી તડકો બહુ વ્હાલો લાગે છે - વિરહી નારીનો દેશાવર ગયેલો પતિ જાણે પાછો ઘરે આવ્યો છે. ઠંડા મુલકોમાં લોકો સમરમાં તડકો માણવા દરિયે ને પ્હાડોમાં જાય છે. તડકો જો ભરી શકાય તો કોઠીમાં ભરી લઈએ. તડકાના તાકા વીંટીને સંગ્રહી લઈએ તો શિયાળે કામ આવે ને? ઉનાળાનો દઝાડતો તડકો, પોષનો રેશમી તડકો, શિશિરમાં કરડો બનીને ડિલને શેકતો તડકો પ્રિયતમાના સ્પર્શ જેવો વ્હાલો, સવાર-બપોર-સાંજના તડકાઃ દરેક ઋતુમાં જુદા જુદા લાગે છે. ઝાડ પર ઢોળાતો તડકો - ડાંગરની ક્યારીમાં પથરાતો ને ઘાસમાં આળોટતો તડકો બહુ ગમે છે. તડકો આપણા સહુ માટે પ્રિયજન જેવો છે. એનો ગુસ્સો પણ પછી મીઠાં ફળ આપે છે. શ્રાવણનો તડકો - કવિઓએ બહુ પ્રેમથી ઝિલ્યો છે. પણ નિરંજન ભગતની આ કવિતામાં તડકો સાવ જુદો છે. “તગતગતોઆ તડકો/જુવોને ચારેબાજુ ચગદઈ ગઈ છે સડકો/ઘણું હલાવા હવા મથે પણ તસુએ તે નવ ખસતો / અહીં ધરતી પર નક્કર જીર્ણ ધાતુ શો તસતસતો / ગિરિગોવર્ધનનું ય ટચલી આંગળી ઉપર ઢળવું - વૈદેહીના ધનુષ્યનું પણ રામકને તો ચળવું / પણ આને ઓગાળી દેવા કોણ મેલશે ભડકો?” પર્વત ટોચે ઝાકળભીનાં વૃક્ષો પર ચળકતો તડકો. શબનમભરી સવારોમાં ધુમ્મસ ચીરતો ને મોતી ચળકાવતો તડકો! પ્રિયતમાના ચહેરાને વધુ ચમકાવતો તડકો... દરિયા પર મ્હાલતો તડકો, વૃક્ષોની ડાળે હીંચતો તડકો ને ધરતી પર છાંયડા ચીતરતો તડકો! તડકાનાં આ રૂપો આપણને સભર તથા ધન્ય કરી દે છે.

૩. સગપણ

માણસ માત્રને (ને આમ તો જીવમાત્રને) માયા લાગે છે. પંચેન્દ્રિયો લઈને જન્મ્યા છીએ એટલે માયા તો લાગવાની. હોવાપણું સગપણ બાંધે છે. હયાતી સગપણ રચે છે. સમગ્ર સૃષ્ટિ આમ તો પરસ્પર સગપણથી સંબંધાઈ છે.

માટીને મેઘની માયા... મેઘને બધું જ
ચૈતન્ય સભર - ચેતનવંતુ કરી દેવાની
હોંશ હોય છે. એટલે વરુણ દેવ વરસે છે.

ઘાસને ધરતીની માયા ને ધરતીને ધનધાન્યની માયા હોય છે નદી સાગર ભણી જાય છે - સગાઈની એને અધિરાઈ છે. સાગર સૃષ્ટિનો અધિષ્ઠાતા છે. સૂર્ય અને સાગરનું સગપણ વરાળ જન્માવે છે - ને વરાળ વાદળ બની ધરતીને ચેતનવંતી - જળવતી - ફળવતી કરે છે. ને માણસજાત તથા વનસ્પતિ-વનોઃ જીવજંતુઃ પશુપંખી બધાં જ જીવતર પામે છે. સૃષ્ટિમાં સગપણ નિરંતર ચક્ર રૂપે ચાલતું રહે છે. આંખને સૌંદર્ય સાથે સગપણ છે નાકને સુગંધો ને મહેકનું જગત જોઈએ છે. જીભને સ્વાદ/રસની દુનિયામાં મ્હાલવું છે. ત્વચાને - સ્પર્શસુખ/સુંવાળા સંબંધોનું સગપણ ગમે છે. કર્ણલોકને મર્મર અને સ્વર તથા સૂરની સૃષ્ટિ વ્હાલી છે. આમ આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાસરૂપે વિરાજે છે સગપણઃ સગાઈના સહજ-પ્રાકૃતિક આધારો તો અવિરામ સક્રિય હોય છે. આપણે માનવો તથા પશુપંખીની સૃષ્ટિમાં સગપણની વાત જોઈશું તો એમાં ઘણું નવું નવું જોવા - જાણવા મળશે. સગપણમાં ય કઠોરતા હોવાની ખાતરી ખાય છે. માણસ જરા વિચિત્ર પ્રાણી છે. એ પઝેસીવ છે, સ્વાર્થી, લાલચી છે - લોભી છે. એ બધું પોતાનું કરી લેવા ચાહે છે. પણ સગપણમાં જો સ્વાર્થ ભળશે તો એમાં તિરાડો પડશે. સૃષ્ટિને નિયંત્રિત કરનારું પરમ તત્ત્વ બધાં જ સગપણો (તત્ત્વો) જે પોતપોતાની જગ્યાએ રાખે છે. જળ હંમેશા નીચે ને નીચે વ્હેતું રહે છે. અગ્નિ દશે દિશામાં ફરી વળે છે - ને જ્યોત ઊંચે જાય છે. હવાઓ પણ બધું જ ભરી દે છે - કશું ખાલી નથી રાખતી. તડકો ને ચાંદની ભેદ વિના બધાંને આંગણે ઊતરે છે. વરસાદ કોઈ એક ગામ કે ઘર, ખેતર પર નથી વરસતો. વારાફરતે એ ય માટીના કણેકણને ભીંજવે છે ને ફળવંત બનાવે છે. માણસ સગપણ તો ઝંખે છે પણ એ ભેદભાવ કરે છે. જો કે લોહીનાં સગપણ હોય તેમાં ચઢાવ-ઉતાર આવે ખરા પણ ડાંગે માર્યા પાણી જુદાં પડતાં નથી. માણસને ખાધા વિના થોડા દિવસ ચાલશે પણ માણસને માણસ વિના - પ્રેમ - વ્હાલ ને ઈર્ષા-પીડા વિના નહિ ચાલે. માણસ પશુપંખી સાથે પણ સગપણ બાંધે છે. સગપણ જીવનને સમૃદ્ધ કરે છે. ચાહવાના પૈસા થતા નથી. સારું બોલવામાં ખર્ચ થતો નથી. પણ માણસે ભીતરમાં સ્નેહ-સગાઈને ઉછેરવા પડે છે. સગપણ ને સગાઈ વિના તો અસ્તિત્વ જ અશક્ય છે. - માટી-ધાન્ય-પાણી-વસ્ત્ર-હવા-અગ્નિ-ઘર-વૃક્ષ-માણસઃ આ બધાં સાથે પ્રત્યેક જણને સગપણ હોય છે. - એટલે આ જગતને જીવવા જેવું રાખવા માટે આપણે માનવતા, પ્રેમ, નીતિ-નિસબત સાચવીને બીજાના સગપણનો ખ્યાલ રાખીને, શુભ ભાવનાથી જીવવાનું છે. - સગપણ વિના સુખ સંભવ નથી. ચાલો એકબીજાને ચાહીએ.

- મણિલાલ હ. પટેલ


કવિતા

જન્મની ફેરશિક્ષા
સુંદરજી બેટાઈ

પીઠે બાંધ્યા મણમણ તણા બોજ, ને ચાલવાનું
વાંકાચૂંકા ચઢઉતર દીર્ઘ માર્ગો પરે હ્યાં;
હૈયા કેરા અમૃતરસમાં ઘોળવાં ઝેર ઝાઝાં,
ને એ સૌને અમૃતમય દેવાં બનાવી કલાથી!
આવી મોંઘી કઠિનકપરી જીવને એક દીક્ષા
જો ના દે તું જગતગુરુ! તો માંગુ શી અન્ય ભિક્ષા?
જન્મી આહીં કુટિલ વ્યવહારે શકું કેડી કોરી,
જો વૈષમ્યે અકુટિલ રહું સાચવી સાચદોરી,
સિંચી સિંચી જલ હૃદયનાં પથ્થરાળી ધરામાં
કૈં ઉગાડું, કંઈ વહી શકું ઉપરે અંતરે વા,
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે,
તોયે જન્મ્યું મુજ હું સમજું લાગિયું કાંક લેખે.
જો તું ના દે જગતગુરુ ઓ! આટલી એક ભિક્ષા,
તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેરશિક્ષા.

(ગુજરાતી સોનેટ)

અમૂલ્ય પળ
ગોવિંદ સ્વામી

વિશાળ પટ રેતનો સુભગ ધોળો નર્યો,
સુકાયલ સરિત તણી મધુર સંસ્મૃતિથી ભર્યો;
તટો ઉપર આમ્રકુંજ નવ મંજરી મ્હોરતી,
વસંત મદલોલ કોકિલ-કલોલથી લ્હેરતી.
નિહાળું વહી જાય ઊંટની કતાર લાંબી ક્યહીં,
સુણું ઘૂઘરમાળની રણકતી મીઠી ઘંટડી,
સુદૂર અરવલ્લીનાં શિખર રમ્ય આચ્છાદતી
સુંવાળી કંઈ શ્વેત વાદળની હાર ચાલી જતી.
પ્રભાત ખીલતાં કૂણાં કિરણ અંગ ચૂમી રહ્યાં,
અજાણ સુરભિભરી અનિલ મ્હેક મ્હેકી વહ્યા,
અમીમય બધું જ, અંતર પ્રમુગ્ધ ન્ય્હાળી રહે.
ત્યજી સકળ, વર્તમાન મહીં મુક્ત હૈયું વહે.
તુષાર જલબિન્દુશી જીવનપુષ્પને ચૂમતી
લહું ક્ષણ અમૂલ્ય આ અનનુભૂત શાન્તિભરી.
(FB)

ગઝલ
સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે - બેચાર મારે પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી - કંઈ રસ્તા પણ બદનામ હતા.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે મિત્રો જાણો છો?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા!
(FB)

મેલ હવે મન ઝાવાં
ફકીરમહમંદ મનસૂરી

મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.
ધરી હથેળી ઉલટાવીને,
આંખે છાજલી કરવી,
દેખાય તેટલી દૂરથી એને
સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?
વરસી રહેતી વાદળી ભલે
અહીંથી જોજન દૂર,
આવશે વહી વાયરે એનું
મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.

(ઈજન)

બાંકડે બેઠો છું
હરિકૃષ્ણ પાઠક

ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું;
અંદર કંઈ કંઈ થાય, બાંકડે બેઠો છું.
આમ જુઓ તો એના એ વર્ષોના પાટા
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું.
કોઈ કોઈ ચહેરાની રેખા માંડ ઉકેલું-
નામ કેમ પુછાય? બાંકડે બેઠો છું.
સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
-દુનિયા અજબ લહાય, બાંકડે બેઠો છું.
ઘટ આવે રે નૂર ચડે, નુકસાની લાગે;
એવું તો ભૈ થાય, બાંકડે બેઠો છું.
ખુદાબક્ષ છે, કોઈ છે ઇજ્જતવાળા;
બાકી શું કહેવાય? બાંકડે બેઠો છું.
ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાવાં ભરતી,
ભોંય સરકી જાય, બાંકડે બેઠો છું.
ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું.
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું.

(સમગ્ર કવિતા)

ફરી વતનમાં
પ્રબોધ ભટ્ટ

જૂના રે વડલા ને જૂનાં ગોંદરાં,
જૂની સરોવર-પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.
ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરા મોભ ઢળન્ત;
એથીયે ઘેરી મારી વેદના.
ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી ભવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
એથીયે મોંઘી મારી ઝંખના.
મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખેલે તોરમાં
માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.
સૂના રે ઊભા આજે ઓરડા,
સૂના મોભ ઢળન્ત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલન્ત,
એથીયે સૂની રે ઝૂરે જિંદગી.

(FB)

કાગળ
મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ.
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુઃખ કલમને રોકે
દુઃખની ઘટના લખવા જાઉં
ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ...
અમે તમારાં અરમાનોને
ઉમંગથી શણગાર્યા,
અમે તમારા સપનાંઓને
અંધારે અજવાળ્યાં.
તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ.

(FB)

મગજીની કોર
બાબુ નાયક’

મેં તો મેલાવી મગજીની કોર.
લીલીછમ્મ વેલી ઉપર લાલચટક પાંખડીઓ
ચિતરાવ્યાં ચાંદની ચકોર.
વૈશાખી વાયરોય વાયો એવો કે મારો
સરક્યો સાળું ને ફાળ પેઠી;
માડી બોલી કે ઠેસ થડકાથી જાળવજે
જાત જરા બેસ હવે હેઠી.
આવી શું હો ય મૂઈ સમજણની પીડ!
ખાવા આમલી ને ખટમીઠાં બોર?
ન્હો’તી ખબર મૂવા મેરઈએ વેંત વિના
અવળે તે હાથ મને વેતરી;
બાકી જો હોય એમ બખિયાએ બાવડેથી
છેલ્લી ઘડીએ મને છેતરી.
ત્રોફેલા ટહુકાઓ ઉઘાડેછોગ કરે
ઊડવાનું ઝાઝેરનું જોર.
ગવરીની ભાંભરનો ઉકલતો બોલ,
બોલ મારો તો જળમાંહ્યલો લીટો;
એના તો નાભ ગાભ અભરે ભરાય
એવો મારે પણ મૂંઝારો મીઠો.
આંગણિયે રૂમઝૂમશે ઓકળીઓ
એય પછી છમછમશે શેડકઢો તોર.

((FB)

સભાપાત્રતાની ગઝલ
સ્નેહી પરમાર


કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

(FB)

પંડિતનું ગીત
બાબુલાલ ચાવડા ‘આતુર’

પંડિત! તારી પોથીનાં રીંગણનો ઓળો થાય,
પંડિત! તારા જ્ઞાનકણોને ચકલાં-કાબર ખાય.
પંડિત! તારી પૂંઠે તારા જન્મોનો રઘવાટ પડ્યો છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! નવરા નક્ષત્રોએ ના ઘડવાનો ઘાટ ઘડ્યો છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! તારી પંડિતાઈનો ઘડોલાડવો થાય,
પંડિત! તારી કરોડરજ્જુ કીડી-મકોડા ખાય.
પંડિત! તારા પીળા લોહીમાં પરપોટાનો વાસ થયો છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! સૂક્કાં સંવેદનનાં કણકણમાં કંકાસ થયો છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! તારા તર્કાલય સૌ ભોં ભેગીનાં થાય,
પંડિત! તારી ઈડા-પિંગલા તીણાં તમરાં ખાય.
પંડિત! તારી નખગંગાના કાંઠે કાળા થોર ઊગ્યા છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!
પંડિત! ઝીણાં ઝળઝળિયાંની પાર નર્યા ગુલમ્હોર ઊગ્યા છે,
ભીડ ચીરીને ભાગી છૂટજે!

(ત્રણ ગીતોના ગુચ્છમાંથી બીજું કાવ્યઃ FB)

ગઝલ હર્ષવી પટેલ’

છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી! ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી! કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી? ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી? બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશ્બૂઓ એને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી? ખુશી સ્વાંગ બદલીને જે રીતેે સદા વેદના બની જાય છે, કદી રૂપ બદલી મનોવ્યથા તું કરાર કેમ થતી નથી? મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં એ રઝળવું કેમ બની જતી એ લટાર કેમ થતી નથી? કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા, એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?

(FB)</poem>

ગઈકાલ વિશેનું ગીત
દેવાયત ભમ્મર’

પાદર ગયું, પનિહારી ગઈ, ગયાં પાણીનાં બેડાં,
લાજ ગઈ, ભેળી લજ્જા ગઈ, ગયાં કઠણ કેડા.
સાત ભવની છોડો સખી, ઇ ભવ નો રેય ભેળાં,
ક્ષણ ભરનાં આવેશમાં એના થાય છુટાછેડા.
વખત કાઢે, વહેવાર રાખે, સાચવે વિપદ વેળા,
એ ઘર ગયું, ઘરનાર ગઈ, ગયાં ભજન ભેળા.
ભાઈ ગયા, ભાઈબંધુ ગયા, ગયા હેતના હેડા.
નજરું ગઈ, નજાકત ગઈ, ગયા એ નાદાન નેડા.
વ્રત ગયું, વાર્તા ગઈ, આ કંકુએ છેતર્યા કેવાં?
ભાન ગયું પછી શાન ગઈ, વહમી આવી વેળા.
કરમ કાઢ્યાં, ધરમ કાઢયા, ખરા ‘દેવ’ ખદેડ્યા.
બાપ દાદાને બા’ર મૂકી, ત્રણ ચાર કૂતરાં તેડ્યા.

(FB)

હાહરઅ્ જ્યેલી શ્યાહેલીને
પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’’


અરિયાં ઊર્જ્યાં ચિયો ઊજ્યો ઊજ્યો ઝાઝો ર્ઝંઝવો શ્યાહેલી મારી!
શેતર જઉં નં પાદર જઉં પણ મનનો વા ર્ચ્યાં ર્વંઝવો શ્યાહેલી મારી!
ઑબા ઓઢું, મહુડા ગોડું, શેઢાઓ ખતરોળું રે શ્યાહેલી મારી!
ઝણકારા રણકારા તારા તખલે તખલે ખૉળુ રે શ્યાહેલી મારી!
થૂરિયાનાં ર્પાંર્દાં તોડી નં મોરઢેલ ગેલાવું રે શ્યાહેલી મારી!
ઑશ્યો ફરફર હૈયું થરથર ટૌકા ચ્યાં મેલાવું રે શ્યાહેલી મારી!
લઉં દાત્યેડું જઉં-તો ભૂલી ફૉટિયું, નખ વાઢું રે શ્યાહેલી મારી!
પગમાં વાજ્યો વગડો હૈયઅ્ ખટકઅ હેનથી કાઢું રે શ્યાહેલી મારી!
હૈયું આયી અટચ્યું ઓઠે હોધઅ્ શેતર ગૉણું રે શ્યાહેલી મારી!
શૂનમૂન શૂનમૂન જતું રશે આ આભવરહતું ટૉણું રે શ્યાહેલી મારી!
આભ ઝરૂખઅ્ વાયરઅ્ ભૅનઅ્ અશી પૉનનાં બીડાં રે શ્યાહેલી મારી!
ભરચોમાહઅ ઑય અમારઅ ઉતરી આર્યાં તીડાં રે શ્યાહેલી મારી!

(કાવ્યસંચય)


॥ વાર્તા ॥

વાંસનાં ફૂલ બિપીન પટેલ’’

એ સમયે જિંદગી મને ખેંચતી હતી અને હું એની ગતિએ ચાલતો હતો. કલ્પના સાથેના સંસારમાં એવો કઈ રગડો-ઝઘડો નહીં, એમ તો ખાસ્સો રાગ એકબીજા માટે. તેથી લગ્નનાં વીસ વર્ષ પછી પણ એને ગુણુ કહેવાનું છોડ્યું નહોતું, પણ સતત એવું લાગતું હતું કે બધું અટકી ગયું છે. આવો અટકાવ અટક્યો અટકતો નથી ને કોઈક કિસ્સામાં તો જો લાંબો ચાલે તો પછી ધેર ઈઝ નો પૉઈન્ટ ઑફ રિટર્ન-ઈરિવર્સિબલ થઈ જતો હોય છે. ઘર અને ઑફિસમાં શરીર હતું પણ મન ક્યાંય નહોતું. બદલીના સ્થળે નવા પરિચયો થયા હતા પણ એ પરિચય મૈત્રીમાં બદલવાનું મન નહોતું થતું. કોઈક અજ્ઞાત ભયથી કે પૂર્વના સ્થળે ગાઢ મિત્રો તરફથી થયેલા કડવા અનુભવોને કારણે એ દિશામાં ડગ નહોતો માંડતો અને એમનાં ડગ મારા ભણી મંડાય તો પાછો ખસી જતો. અને લોકોય કાંઈ નાસમજ કે ગરજાઉ થોડા હોય કે ભાવ ન જુએ તોય નજીક આવતા જ જાય! અને આજના વ્યવહાર જગતમાં કંઈક મેળવવાની ગણતરી હોય તો પણ મારી પાસે છે શું કે મેળવે? ચા, લંચ ને એવાં નિમિતે રસેશ, પલાશ અને પ્રકાશને મળવાનું જરૂર થતું, નિયમિત વાતોય ઘણી થતી, પણ લક્ષ્મણરેખાની બહાર નહોતું જવાતું. જ્યાં અટકી ગયો હતો એ પડાવ રાશ આવી ગયો હતો એટલે કશી ફરિયાદ નથી. પણ વેગે વહેતી જિંદગી ને અટકાવમાં ફેર તો ખરોને? હૃદયના અતળ ઊંડાણમાં ક્યાંક એવી ઝંખના પડી હશે ખરી કે વેગે વહેવાનું થાય તો કેવું? અમે બધા કૅન્ટીનમાં ટી ટાઈમે રીચ્યુઅલી પહોંચી જતા. એકબીજાના પરિચિતો કોકવાર ઉમેરાતા પણ ખરા. ઘણું કરીને વસંતના દિવસો હશે. એક નોંધ લખવામાં રોકાયેલો હતો તેથી હું થોડો મોડો પડ્યો. રેગ્યુલર પાર્ટનર ગોઠવાઈ ગયા હતા. હું મારી ધૂનમાં બેસવા જતો હતો અને મારી બાજુમાં બેઠેલી સુનીતા તરફ નજર પડી. એણે સાડી પહેરી હતી. સાડી પહેરેલી સ્ત્રી અન્ય પોશાકને મુકાબલે વધારે સુંદર દેખાય. કદાચ પહેરવેશની વર્લ્ડ કૉન્ટેસ્ટમાં સાડી મેદાન મારી જાય. પ્રભાવિત થયો હોઉં તેમ સુનીતા તરફ નજર ઠેરવી ને પરત ખસેડી લીધી. હુ સ્ટેર એટ એન અનનોન વૂમન ઈઝ અનસિવિલ. મને એમ કે કૅન્ટીન ચિક્કાર હતી એટલે બધા સુનીતાના ટેબલ પર બેઠા હશે. પ્રકાશે પરિચય કરાવ્યો, ‘આ મોહિત, અવર રેગ્યુલર કમ્પેનિયન અને આ સુનીતાબ...’ એને અટકાવીને સુનીતાએ કહ્યું, ‘સુનીતા’ ‘અને તમારા સહુથી નાની છું એટલે મારો અધિકાર છે.’ મેં કહ્યું, ‘સાતમા દાયકા પછી બધી સ્ત્રીઓ અધિકારની ભાષામાં વાત કરવા માંડી છે. સૉરી હોં, તમારી લાગણી દુભાઈ હોય તો. આપણા મુલકમાં લાગણીનું એવું છે, એ છાશવારે હર્ટ થાય છે.’ એ મારા જાંબુડિયા રંગના સિલ્ક શર્ટ અને ચહેરા પરના મિજાજને જુદા ભાવથી જોઈ રહી. એની આંખમાં રોષ કે નકારનો છાંટો ન હતો. મારી સામે જોઈને, ‘નો પ્રોબ્લેમ, દરેક પોતાની સમજ પ્રમાણે બોલે. આમેય અત્યારનો સમય વાણીસ્વાતંયનો પણ ખરોને?’ મારા સાથીદારો સહેજ ગભરાયા. હમણાં હમણાંથી મારામાં આવી ગયેલી વક્રતાને એ સમજીને સંભાળી લેતા હતા. પણ સુનીતાએ ફરી મારી સામે જોઈને, ‘તમે પણ એક્ટિવિસ્ટોની જેમ હાફ શર્ટ પહેરો છો? જો કે શર્ટિંગ કર્યું છે એટલા જુદા ખરા, એમ તો બૅલ્ટ પણ પહેર્યો છે.’ હું ‘હા’ કહીને અટકવા જતો હતો પણ આગળ આવતા વાળ હથેળીથી પાછા ખેસવીને બોલ્યો, ‘તમે અહીં મિસફિટ છો. ટ્રાય ઇન એન.આઈ.આઈ.એફ.ટી.’ ‘એનીવે, મને એ કર્મશીલો સાથે ન સરખાવશો. આઈ ફુલ્લી ઍન્ડોર્સ ધેર આઇડિયા ઑફ ઇન્ડિયા, પણ સમસ્યાને સુલઝાવવાના એમના તૉર-તરીકા સાથે પૂરી અસહમતિ.’ સુનીતાએ માથું હલાવીને મારી સામે જોયું એમાં સહમતિથી વિશેષ ભાવ એની આંખોમાં દેખાયો. હું વિચલિત થયા સિવાય ફરી મારા કોચલામાં ભરાઈ ગયો. ચા પિવાઈ, વાતો થઈ. મેં ઘડિયાળમાં જોયું. સુનીતાએ ઊભા થતાં તપન સાથે વાત કરતાં કહ્યું, ‘તમારા મિત્રની ડ્રેસ સેન્સ જોરદાર છે. એમના સ્કીન ટૉન સાથે જાય તેવા કલરનું શર્ટ છે. આપણે ત્યાં દેખાવ માટેની સભાનતા અને બુદ્ધિ એક સાથે ઓછાં જોવા મળે છે. ઈન્ટેલેક્ટ વિથ ચાર્મિંગ ફેસ.’ સુગુણા પણ મારી સંવાદકળા પર ક્યાં કુરબાન નહોતી શરૂ શરૂમાં? હું થૅન્ક્સ કહેવાનો વિવેક ન દાખવી શક્યો કારણ કે, હું ક્યાં આ જગતમાં હતો?

(ર)

લાંબા સમયથી પ્લૅટફૉર્મ પર પડેલી ટ્રેન આંચકા સાથે ઊપડે ત્યારે જેમ હડદોલો લાગે તેવો અનુભવ સુનીતાને તે દિવસે મળ્યો ત્યારે થયો. થોડા દિવસ બંનેમાંથી કોઈની હિંમત ના ચાલી, કૉરિડોરમાંથી પસાર થતાં માત્ર સ્મિતની આપ-લે થતી એનું ધ્યાન મારા શર્ટ પર અને મારું એની સાડી પર અચૂક જતું. એકવાર મૂડ નહોતો તેથી લંચમાં નહોતો ગયો. ત્યાં જ મારો ફોન રણક્યો. લંચ પાર્ટનરનો હશે ને વળગશે પાછો લંચમાં જવા એમ માનીને ન ઉપાડ્યો. રિંગ લાંબે સુધી વાગતી રહી. મને થયું સામેવાળાને જગતમાં અપાર શ્રદ્ધા લાગે છે. મેં એનો વિશ્વાસ ન તૂટવા દેવો હોય તેમ ફોન ઉપાડીને ‘હેલો’ કહ્યું, ત્યાં જ સુનીતાનો અવાજ.મારા મૂડને હળવી ધ્રુજારી અને મારામાં ચેતન. સુનીતા બોલતી હતી, ‘અવાજ ઓળખાયો? એકવારના મિલનમાં ક્યાંથી ઓળખાય?’ મેં મારા અસલી મિજાજમાં કહ્યું, ‘મેડમ આઈ હેવ એન એલિફન્ટાઈન મેમરી. ડુ યૂ નો?’ ફોન પર એને ક્યાંથી દેખાય? બધા કહે છે એવી અકડાઈ નહોતી તે દિવસે. સહેજ ભયમાં સુનીતાએ ઓ. કે. ઓ. કે. કહ્યું, ‘આઈ વોન્ટ ટુ બી પ્લેઝન્ટલી સરપ્રાઈઝડ. ચાર વાગે આવશો, મારી ચૅમ્બરમાં? યૂ આર વોર્મ હાર્ટેડલી ઇન્વાઈટેડ.’ મેં કહ્યું, ‘આટલું બધું ડેકોરેટિવ ન બોલ્યાં હોત તો પણ આવત.’ ચાર વાગવાને ઘણી વાર હતી. સમય પસાર કરવો અઘરો થતો જતો હતો. વ્યગ્ર ચિત્ત કશું કામ કરવા નહોતું દેતું. મેં ‘ધારવા’ની ગૅમ રમવી શરૂ કરી. એણે કયા રંગની સાડી પહેરી હશે? પીળી, વ્હાઈટ, બ્લેક, મજેન્ટા? ગૅમ જામી નહીં. બ્રાન્ચમાં આસપાસ નજર ફેરવી. અમુક ઘોડામાં નિર્વસ્ત્ર ફાઈલો, (સુનીતાને કદાચ આ ઇમેજ વલ્ગર લાગે), અમુક પૂંઠામાં બંધાયેલી ફાઈલો. સંબંધો પણ આમ જ બંધાઈ જતા હશે ને ડીક્લાસિફાય થવાના સમયે હવા-પાણી પામતા હશે. બધા સંબંધોનું એમ ન હોય તેવું આશ્વાસન લીધું. ટેબલ પર પડેલી ‘આઉટ’ની ટ્રે ખાલી હતી જ્યારે ‘ઈન’ની ટ્રે નો વૃદ્ધિ પામતો ઢગલો મને ઢાંકતો જતો હતો. પોતપોતાના કામમાં વ્યસ્ત શાખા સભ્યોને મારી શૂન્યમનસ્કતાની નવાઈ ન હતી. હું કેવી રીતે સમજાવું કે ‘શ’ ને બદલે ‘અ’ અક્ષર ઉમેરાવાનો છે, આજે ચાર વાગે. ચાર વાગે કે પછી તે દિવસે ટી ટાઈમે ઉમેરાયો હતો?’ ચારમાં પાંચ કમે એની ચૅમ્બર બહાર ઊભો હતો. અંદર જવું ના જવું એની અવઢવ હતી. એને પન્ક્ચ્યુઆલિટી ગમશે કે પછી લબડુ ધારી લેશે? કેમ એણે તો બોલાવ્યો છે! પટાવાળાએ મારા કાન પાસે મોં લઈને ‘જોવ ન તમતમાર શાયેબ. ચ્વમ બીવરોણયા ક શ્યૂ? મૂ પૂછું મૅડમન?’ ‘બેસ બેસ પૂછવાવાળી, રેંજીપેંજી નથી. બોલાવ્યો છે ને આવ્યો છું.’ મનમાં ગણગણ્યો. છેવટે મેં ચૅમ્બરનો દરવાજો ખોલ્યો. ‘આવો’ કહેતાં ચેરમાં અર્ધી ઊભી થઈ ગઈ. એનું લાવણ્ય બ્લૅક કલરની વ્હાઈટ ગુલાબી ઝીણી ભાતભરેલી સાડીમાંથી નીતરીને મારી આંખે ઊડ્યું. એ સારી એવી ઊંચી હતી. ઘઉંવર્ણ એનો દેહ પહેલીવાર ધારીને જોયો. મને ધોળી સ્ત્રીઓ સુનીતાની હાજરીમાં એવો વર્ડ મનમાં ન આવ્યો. અ સિરીન બ્યૂટી. આંખો તે દિવસે કૅન્ટીનમાં જોઈ હતી તેવી, કરુણા ઝમતી, સમગ્ર વિશ્વને એક સરખા ભાવથી જોતી. મેં ટેવવશ વાળ પાછા કરવા હાથ ફેરવ્યો તો પરસેવો હાથ લાગ્યો. ‘બેસો’ કહેતાં ચમકી હોય એમ ખુરશીમાં પાછી પડી. એ ખડખડાટ હસી પડી. એનું હસવું હજું રોકાયું ન હતું એને જોઈને હું ય હસી પડ્યો. કારણ નહોતો જાણતો તેથી ખડખડાટ ન હસ્યો મારી સામે જોઈને કહે, “ઓ હેન્રીની વાર્તા ‘ગીફ્ટ ઑફ મેગી’ જેવું થયું.” સાંભળીને મારા કાન સતર્ક થયા. ‘મારી ચૅમ્બરમાં તમારા કડક ચહેરા પરથી લાંબા વાળ ઉલાળતા તમને જોવા હતા, નજીકથી, પહેલીવાર મળીએ ત્યારે. કચરો થઈ ગયો. આપણે ધાર્યું હોય કંઈક ને થઈને ઊભું રહે સાવ બીજું જ.’ બોલી મારા તાજા કપાયેલા વાળ સામે જોઈ ફરી હસી પડી ને કહેવા લાગી, ‘બબૂકડી ચોપડી જેવા વાળ તમને સહેજેય સારા નથી લાગતા. હૅરડ્રેસર બદલો. તમારા જેવા ડિસન્ટ માણસને...’ એને અટકાવીને મેં કહ્યું, ‘તેમ થાઓ. ગુરુની આજ્ઞા વિચાર્યા વિના માનવી.’ ‘હું તમારી ગુરુ?’ ‘ગમતાં સહુ કોઈ ગુરુ’ મેં ઉમેર્યું. ‘ફૉર કલર, સ્ટ્રાઈપ વાળું શર્ટ દાદુ છે, જામે છે’ એ બોલી.

(૩)

છેલ્લા મિલનના દસ દિવસ પછી કૅન્ટીનમાં દૂરના ખૂણે બેઠેલી એને જોઈ. એ પણ મને જોતી હતી. તે દિવસે ચા સહેજેય ન ભાવી.

(૪)

તે પછીના સોમવારે અમારી શાખાનો ઝીરો પિરિયડ ચાલતો હતો. આગલે દિવસે રવિવાર હતો તેથી વાચનના જ્ઞાનભારથી હું ફલ્લી લૉડેડ હતો, એનિમેટેડ હતો. સુનીતાના મારા જીવનમાં પ્રવેશ પછી મારા બદલાયેલા તેવરને જોઈ કુતૂહલ તો બધાને ઘણું થતું હશે પણ આખરે બૉસના ગળે ઘંટ કોણ બાંધે? અને સહુને છોલાઈ જવાની ધાસ્તી વધારે હતી. હું ભ્રષ્ટાચાર દૂર કરવા સારુ ઊપડેલા અન્નાના આંદોલન પર બોલતો હતો. મારો અવાજ મોટો થતો જતો હતો. ત્યાં જ દરવાજામાં સુનીતાને ઊભેલી જોઈ. મારું વાક્ય ગાળામાં અટકી ગયું. શાખાના સૌ સભ્યો સ્તબ્ધ. કેસૂડા રંગની સાડીમાં એ એરેસ્ટિંગ લાગતી હતી. મારી બાજુમાં બેસતાં મને સંભળાય તેમ ‘કૂલ કૂલ...માય’ પછીનો શબ્દ બદલાઈ ગયો હોય તેમ એ ‘જેન્ટલમૅન’ મોટેથી બોલી ને મારો બધો રોમાંચ ઓસરી ગયો હોય તેમ શાખાના બધા સભ્યો સામે અદાથી જોઈને મેં કહ્યું, ‘બધા ચૂપ કેમ થઈ ગયા, કન્ટિન્યૂ ધ ડિસ્કશન.’ હવે સુનીતા બધા સભ્યો સાંભળે એમ બોલી, ‘એમ તો અમે પણ થોડાં ઘણાં જ્ઞાની છીએ. ચર્ચામાં યથામતિ ભાગ લેવા મથશું, છેવટે ટાપસી તો જરૂર પૂરશું, ને કાંઈ ન બને તો શ્રવણસુખ તો છે જ ને?’ મેં ચા કૉફી માટે પૂછ્યું. એણે ‘ના’ કહેતા માત્ર હું સાંભળું તેમ કહ્યું, ‘મને પીવા કરતાં પાવામાં વધારે આનંદ આવે છે.’ મેં આવવાનું પ્રયોજન પૂછ્યું તો કહ્યું, ‘ખાસ પ્રસંગ માટે મહાનુભાવને ફોન પર આમંત્રણ ન અપાય.’ ‘હુ મહાનુભાવ?’ મારા પ્રશ્નની નોંધ લીધા સિવાય, ‘આજે લંચમાં મળીએ છીએ. લંચબોક્સ ના લાવતા. જન્મદિવસ છે.’ બધાંને ‘સૉરી’ કહેતાં રંગમાં ભંગ પાડ્યો’ કહી ઝડપથી ઊભા થઈ બારણા તરફ જવા લાગી ‘રંગમાં’ વાક્યે લંચ સુધી મારો કેડો ન મૂક્યો. લંચમાં કેટલી બધી આઇટમ્સ પાથરી હતી ટિપૉઈ પર. કેક, સમોસા, સેવખમણી, ગાજરનો હલવો, પૂરી, સૂકી ભાજી અને લટકામાં દાળભાત. ગુજ્જુ દાળભાત બોલતાં બોલતાં વણથંભ હસવા લાગ્યો. મેં કહ્યું, એના કરતાં ઘેર જમવા બોલાવ્યો હોત તો? એણે કહ્યું, ‘એય થશે યોગ્ય સમયે.’ એકબીજાને કૅક ખવડાવી. ઠાંસી ઠાંસીને ભરેલી ડીશ મારા તરફ ખસેડી. મેં યાદ દેવડાવ્યું, ‘લંચ લાઈક અ માઈઝર’. એણે પહેલી વાર સહેજ ચીડમાં, ‘એવાં બધાં નિયંત્રણ ન હોય, આજે પ્રોફેસર સાહેબ. ફિલ ફ્રી જેટલું લેવાય એટલું.’

(૫)

એક પખવાડિયા પછી પુરુરવા-ઉર્વશીની જેમ અમે પુષ્પક વિમાનમાં ઊડતાં હતાં. હવે એક બીજાને મળ્યા વગર પળ પણ નહોતું ચાલતું. બાર અને ચાર વાગે ચા માટે અને અઠવાડિયાના છેલ્લા દિવસે અચૂક મળતાં. એ દિવસે હું હળવા મૂડમાં હતો. હવે મારી વાંકાઈ ચાલી ગઈ હતી. મેં આંખ ઝીણી કરીને કહ્યું, ‘શું કરે છે તમારા પ્રમાદધન મુજ સ્વામી સાચા, સતીષકુમારજી?’ એણે ગુસ્સો કરીને કહ્યું, ‘કેમ તમને કંઈ તકલીફ? સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ ઈર્ષાખોર હોય છે એની આજે ખબર પડી.’ ‘અરે યાર ટેક ઈટ લાઈટલી.’ મેં માફીના સૂરમાં કહ્યું. એણે વાત બદલતા કહ્યું, ‘તમારી વાતોમાં સુગુણા બહેન’ મેં વચમાં ફાંસ મારી, ‘એ એનું સાચું નામ નથી.’ એણે ‘હા હા’ કહીને, તમારી સુગુણાને જોવી પડશે, તમે વર્ણવો છો એવાં છે કે પછી... સારું છોડો એ વાત, તમે કલ્પનાબહેનને કેટલું ચાહો, અઢળક? એનો ચહેરો તંગ થવા જતો હતો ને એણે સંભાળી લીધું હોય એમ ફરી પૂછ્યું, અઢળક ને? પણ એને રોકીને મેં કહ્યું, ‘As Much As I Love You, પણ તારું કેવું ?’ ‘એ કંઈ કહેવાની વાત છે?’ એણે તરત જવાબ આપ્યો.

(૬)

તે પછીના એક શુક્રવારે સાંજે ચાર વાગે ટી ટાઈમે, હું તે દિવસે ઓફિસ કામના ટૅન્શનમાં હતો. આગલે દિવસે સેક્રેટરીએ ખખડાવ્યો હતો. એવું પહેલીવાર બન્યું હતું, કારણ મેં ક્યારેય ખખડવાની તક નહોતી ઊભી થવા દીધી. બાકી અમારે ત્યાં તો સેક્રેટરી પાસે ખખડીને આવી હીરોઝ વેલકમ મેળવવાનું કૃત્ય કર્યું હોય તેમ બ્રાન્ચમાં કથારસ વહેંચવાનો રિવાજ, કારણ સાહેબ બોલાવે એ જ મોટી વાત. તેથી તે દિવસે હું ચૂપ હતો. મૂંગા મૂંગા ચા પીધી. થોડી વાર પછી ઊભો થવા જતો હતો ને એની પ્રશ્નચેતના સળવળી કે મને મૂડમાં લાવવા જગાડી હશે, એને ખબર. હવે એ પણ મને તું કહે છે. ‘બોલ મોહિત, સ્ત્રી અને પુરુષના પ્રેમને તું કેવી રીતે ડિફાઈન કરે?’ એણે પૂછ્યું. મે કહ્યું, ‘love for man is his whole life’ એને ગમ્યું હોય તેમ યસ... કહીને ઉત્સાહિત થઈ ગઈ. ‘અને સ્ત્રી માટે?’ એ બોલી. મેં કહ્યું, her whole existence’ એણે રિપીટ કર્યુ, ‘Love for Woman is her Whole Existence. ‘અને સાચો પ્રેમ?’ સુનીતાએ પૂછ્યું, મેં શેક્સપિયરની પંક્તિ ટાંકી, ‘Love is not Love which alters When it Alteration finds, or bend with the Remover to Remove.’ અમે બંને એકસાથે બોલ્યાં, ‘તો આપણે બંને શું કરીએ છીએ?’ ‘એ ઑલ્ટરેશન ના કહેવાય?’ સુનીતાએ પૂછ્યું. હું માત્ર એની આંખોમાં આંખો મેળવીને બેસી રહ્યો. મારા મનમાં દૃુષ્યંતકુમારની પંક્તિ ગુંજતી હતી:

‘તુમકો નિહારતા હૂં સુબહસે ઋતંભરા
અબ શામ હો ગઈ, પર દિલ નહિ ભરા.’

કેટલો વખત ચુપચાપ બેઠાં રહ્યાં એનો ખ્યાલ જ ન રહ્યો. એની ચૅમ્બરના અર્ધા ખુલ્લા પર્દામાંથી હમણાં ડૂબનાર સૂરજના ઓળા પડતા હતા. અજવાળું ડૂબતું હોય તેમ આછું થતું જતું હતું. એનો હાથ લાઈટની સ્વીચ પર ગયો. મેં ઈશારાથી ના કહી અટકાવી. મનમાં ગણગણ્યો

‘ભલે આખું આભ રેલી જાય
ગળા સમું ઘાસ ઊગી જાય.

પટાવાળાએ ધડામ દઈને બારણું ખોલ્યું, ‘મેમ કોંય ફાઈલ-બાઈલ હોય તો નોખતો આવું’ સુનીતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મેં ઊભા થતાં આપ્યો. ‘હા’ અને ‘ના’.આપણા કયા સંબંધને ઑલ્ટરેશન કહીશું?

(૭)

એક્ઝેક્ટલી એક મહિના પછી, ‘મોહિત ડુ યૂ નો, આઈ એમ મેરીડ? અટકીને વી બોથ આર મેરીડ?’ પહેલી વાર સુનીતાએ ગુસ્સાથી મારી સાથે વાત કરી. એની આંખ મારું બેરોમીટર, એનો ભાવ જોવાનું. આંખમાં નહોતો રોષ, નફરત, નકાર પણ વેદના જરૂર હતી. એનું હૃદય ઊછળતું હતું. હાથ એકબીજામાં જકડાઈ જઈને ટેબલ પર ચોંટી ગયા હતા. મેં એ શાંત થાય ત્યાં સુધી રાહ જોઈ પૂછ્યું, ‘શું થયું સુની?’ હવે એ મને ‘મોહ’ અને હું એને ‘સુની’ કહેતો. એણે જવાબ આપ્યો, ‘ઘણું બધું’ ‘ઑફિસમાં કે ઘરે?’ જવાબ આપ્યા સિવાય સુની ફાઈલમાં જોતી બેસી રહી. મારી સામે જોવાની હિંમત ન હોય તેમ ઊંચું જોયા સિવાય ફાઈલ બાજુમાં મૂકી ટેબલના કાચ નીચે મૂકેલી કાવ્યપંક્તિ ‘a course of true love never did run smooth’ વાંચીને ડેબ્બા જેવડાં બે આંસુ પડ્યા.

(૮)

મળવાની ફ્રિકવન્સી ઘટતી જતી હતી. કોણે બંધ કર્યું, કેમ બંધ કર્યું એનો કોઈ કજિયો નહોતો. મારા દિવસો ફરી અનઈન્ટરેસ્ટિંગ, અનઈવેન્ટફલ, બોરિંગ પસાર થતા હતા. અગાઉ મેં પૂછ્યું ત્યારે તપને સાચી સલાહ આપી હતી કે આગળ ન વધીશ. એમાં પીડા સિવાય કશું નહિ મળે. હવે કેન્ટીનમાં, કોરિડોરમાં કે મિટિંગમાં મળવાનું થતું ત્યારે પૂર્વેના બધા સંબંધો ઓગળી ગયા હોય એમ અમે માત્ર પરિચિત રહ્યાં હતાં.

(૯)

તે દિવસે ખબર નહોતી કે અમારું એ છેલ્લું મિલન હશે. વિભાગીય યોજનાની સમીક્ષા બેઠકમાં એકસાથે થઈ ગયાં ત્યારે મેં પહેલ કરીને પૂછ્યું, ‘આપણે મળીએ તો?’ એણે માથું હલાવ્યું. હું પાછળ પાછળ સુનીતાની ચૅમ્બરમાં ગયો. હર વખતના ‘બેસો’ ના કોઈ પણ વિવેકની રાહ જોયા વગર હું બેઠો. મેં કહ્યું, ‘સુની કેન વી નોટ કન્ટિન્યુ ?’ એણે કહ્યું, ‘ઈટ ઈઝ ઈનફ.’ મારી કહેવાની હિંમત નહોતી કે આપણો સંવાદ મથીને ત્રણ મહિના ચાલ્યો હશે ને તને ઇનફ લાગે છે? સુનીએ કહ્યું, ‘સારું ત્યારે.’ ‘કેમ ચા પણ નહિ પાવાની?’ મેં કહ્યું. ‘કહે તો તારી મંગાવી દઉં, બાકી મારો મૂડ નથી.’ સુનીએ મુલાકાત ટૂંકાવવી હોય એમ કહ્યું, ‘તો રહેવા દે ચાલશે’ એમ હું પરાણે બોલ્યો. અમારી મૌનયાત્રા કેટલું ચાલી હશે એ યાદ નથી. મારું ઊભા થવાનું મન જ નહોતું. એનું પણ કદાચ એમ જ હશે. સુની અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી હોય તેમ, ‘મોહ આપણે સાવ ક્રૂર થોડાં થઈશું એકબીજા પર? યાદ કરવા માટે કેટલી બધી ઘટનાઓ બની છે આપણી વચ્ચે? ધસમસતી નદીના વેગે વહ્યાં છીએ આપણે. મોહ, ક્યારેક યાદ તો કરીશ ને?’ મને માર્કવેઝને એની પ્રથમ પ્રેમિકાએ પૂછેલો પ્રશ્ન યાદ આવ્યો છૂટા પડ્યા પછી બે એક દાયકા પછી મળવાનું થયું ત્યારે એની પ્રેમિકાએ પૂછ્યું, ‘ગત બધા વર્ષોમાં મને ક્યારેય યાદ કરી હતી? કેવી રીતે?’ માર્કવેઝનો જવાબ હતો, “એવો એક પણ દિવસ નહિ ગયો હોય કે તને યાદ ન કરી હોય. પ્રેમ, પ્રથમ પ્રેમ ભૂલ્યો ભુલાતો નથી. કદાચ સ્મૃતિના સાતમા અતળ ઊંડાણમાં ધરબાવેલો હોય તો પણ વૃક્ષના અંકુરની જેમ ફૂટી નીકળે છે, વાંસનાં ફૂલની જેમ ખીલી ઊઠે છે વર્ષો પછી, ને મોહરી ઊઠે છે આપણી જિંદગી. પછી ભલે ક્ષણ પૂરતી. આ વાત સુનીને કહેવાનું મન હતું, પરંતુ કહ્યા સિવાય ઊભો થયો. મનમાં હતું તે વાક્ય ‘મળીએ ત્યારે’ ને બદલે ‘જાઉં સુની’ કહી ચાલી નીકળ્યો.”

(૧૦)

ત્રણેક વર્ષ પછી મને માસિવ હાર્ટ અટેક આવ્યો. સુગુણા સતત મારી પાસે બેસી રહી. એના એક એક આંસુમાં ઈશ્વરનો, ડૉક્ટરનો, મારો આભાર ટપકતો હતો. અનેક લોકો મળવા આવ્યાં. ઑફિસનાં લગભગ બધાં જ ખબર પૂછવા આવ્યાં. તપને પૂછ્યું, ‘રાહ જુએ છે?’ મારે પૂછવું હતું, ‘એ આવવાની છે? એણે કંઈ કહેવડાવ્યું છે?’ હું જેવો તકિયાને અઢેલીને ઊભો થવા ગયો કે સુગુણાએ ચૂપ રહેવા ઈશારો કર્યો? એ તપન માટે ચા બનાવવા ગઈ. તપને કાન પાસે મોં લઈ જઈ કહ્યું, “તારી માંદગીની ખબર ઑફિસમાં પડી તે દિવસે જ મૅડમે મને બોલાવ્યો હતો, ટેબલ પર કોફીના બે કપ પડ્યા હતા. કૉફી પર બાઝેલી તર પંખાના પવનમાં ચામડીની જેમ થરકતી પડી હતી. મૅડમ થોડી વાર મૌન બેસી રહ્યાં. મને થયું, લાવ હું આઇસ બ્રેક કરું. કૉફીનો કપ ઉપાડવા જાઉં ત્યાં જ ચીસ પાડીને ‘નો નો તપનભાઈ એ કૉફી... વાત બગડતી અટકાવતાં હોય એમ, રહેવા દો, ઠંડી થઈ ગઈ છે. વળી ઘડીક મૌન થયાં ને બોલ્યાં, ‘કહો તો ચા મંગાવી દઉં.’ મેં ના પાડી.” એ ઊભાં થયાં. તિજોરી ખોલીને પ્લાસ્ટિકમાં લપેટાયેલાં ફૂલ કાઢ્યાં. હું જોઈ રહ્યો એટલે સમજાવતા કહ્યું, વાંસનાં ફૂલ છે. વાંસને ત્રીસ વર્ષે ફૂલ આવે અને ફૂલ આવે જ વર્ષે વાંસનો અંત આવે. એમના હાથરૂમાલથી વાંસનાં ફૂલનો ગુલદસ્તો ચોખ્ખો કરીને તિજોરીમાં વ્યવસ્થિત ગોઠવી તિજોરી બંધ કરી બેઠાં. મને કહ્યું, ‘મોહિત, મોહિતભાઈની મારા વતી ખબર પૂછજો.’ મેં કહ્યું, “બીજું કઈ કહેવડાવવું છે મૅડમ?’ બીજું તો શું કહું ઈશ્વર એમને સાજા-સમા કરી દે.’ મેં પૂછ્યું, ‘હું જવાનો છું ખબર પૂછવા. તમે પણ ચાલોને?’ એ ઊભાં થયાં. મારી સાથે લિફ્ટ પાસે આવ્યાં. લિફ્ટનું - બારણું ખૂલતાં મેં એમને પહેલાં જવા ઈશારો કર્યો. એમણે મને જવા કહ્યું, લિફ્ટનું ડોર બંધ થયું ત્યાં સુધી અંદર આવવાને બદલે ત્યાં જ ઊભાં રહ્યાં.

(વાંસનાં ફૂલ)

॥ નિબંધ ॥

વાડ નિલેશ ગોહિલ ’’

વાડ અમારું આશ્રયસ્થાન. અમે વાડમાં જ મોટા થયા એમ કહું તોપણ કંઈ ખોટું નથી. કેરી નદીના કાંઠાની વાડ હોય, ખેતરની વાડ હોય કે પછી ઓકળાકાંઠાની વાડ હોય એને અમારી પરવરીશમાં તલભાર પણ ખામી નથી વર્તાવા દીધી. શેઢે પાર વગરની વર્ષો જૂની ભાત ભાતની બોરડીઓ હતી. લાલચટ્ટાક ચણીબોરથી અમારાં ખિસ્સાં હાંફતાં હોય. કોઈ બોર મીઠા મધ જેવા તો કોઈ ગરભથી ભરપૂર. મુઠ્ઠીમાં સમાય નહિ તેટલા સાંગરા પડિયા આપનારા બાવળ ને ખીજડા વાડની ડૂંટીમાં જ ઊગેલા. અમને એ બ્રહ્મકમળ જેવા જ લાગતા. રાડારૂડીનાં ફૂલ અમે બકરાની જેમ મમળાવી જતા. સાથે સાથે ગંગેટીનાં સફેદ ફૂલ પછી લીલા, કાચા અને કૂણા ગંગેટા, છેલ્લે નારંગી રંગના પાકા ગંગેટાનો બરાબરનો લુત્ફ ઉઠાવતા. ખાટાં ખાટાં કશેળાં આપનારી કશેળીએ બધાં જ ખાટાં ફળોના સ્વાદ અમારી જીભમાંથી ભૂંસી નાખ્યા હતા. સૂડિયા આપનારી વેલ હતી. અમે ફાંફાં મારીને થાકતા તોય સૂડિયો ન જડે તો ત્યારે શ્લોક બોલવો પડતો, શ્લોક અમે કંઠસ્થ જ રાખતા...

સૂડિયા સંઘેટડી રાઈની બેટડી,
રાઈ જાય દડી સૂડિયો જાય જડી.

આ શ્લોક બોલીએ એટલે ફટ સૂડિયો જડી જાય. જાણે સૂડિયાની વેલ જ અમને હાથોહાથ દેતી ન હોય! સૂડિયા ગોતવા માટે અમારું આ રામબાણ હતું. એને અમે કાયમ જીભને ટેરવે જ રાખતા. ખટ્ટમીઠાં સેતૂર હતાં. પક્ષીઓ સાથે અમે પણ સેતૂરી માથે ચડી હરિહર કરીએ. પાકાં સેતૂર ખાઈને કોની જીભ વધારે કાળી થઈ છે તેની વડચડ કરતા. વોકળાની વાડમાં સીતાફળી પણ હતી. અમે સીતાફળ પાકવાની રાહ જોતા હતા પણ વડવાંગડા રાત્રે આવીને પાકાં સીતાફળ ઠોલી ખાતા. સવારે અમારા ભાગમાં ડીટિયાં ટીંગાતાં હોય. અમે પછી થડે પાકવાની રાહ ન જોતા. સીતાફળની આંખ ઊઘડે એટલે તોડી, દાબે નાખી, પકવતાં. સીતાફળનો ગરભ અમારા મોંમાં બરફની જેમ ઓગળી જતો. એ મીઠો સ્વાદ હજી દાઢમાં જ છે. વડ અને પીપળાની કૂણી કૂણી કૂંપળો, આંબે કોયલો અને સૂડાએ ઠોલી ખાધેલી કેરીઓ, જામફળ, ચીકુ, ચૈયા, વગેરે અમને જે મળે તે હરિહર કરી જતા. અમે સાઢુડા જરાય નહિ. અમારી ભૂખની ચિંતા વાડને કાયમ રહી છે. અમારા ઘોબા જેવડું પેટ ભરવા વાડ સમર્થ હતી. વાડ અમારા માટે મા થઈ ગયેલી, ભૂખને અડખેપડખે ફરકવા ન દે. અમે પણ વાડનાં હેવાયા, પેટમાં ભડકો થાય એટલે અમે તરત વાડ ભણી ઉઘાડા પગે દોટ મૂકતા. બાળક સ્તન મોંમાં લે તેમ અમે વાડને ચોંટી પડતા. વાડે અમને ક્યારેય અળગા નથી કર્યા. વાડ ચોમાસે ભરત ભરેલો ભાતીગળ સાડલો ઓઢી રૂપ રૂપના અંબાર જેવી ઊભી હોય. હાથીની કાયા જેવી તેની અલમસ્ત કાયા બંને બાજુ પવનમાં હાલકડોલક થતી. તેમાં વેલવેલાઓ ગૂંથાઈ જતા, પછી જેમ જેમ ઋતુ પડખું ફેરવે તેમ તેમ અમારી વાડને નજર લાગી. પાનખર આવી ભરીભાદરી વાડને આડે આથ લે. બાજ કબૂતર માથે ત્રાટકે તેમ અમારી વાડ માથે પાનખર ત્રાટકે. વાડને કાયદેસરનો કમળો થઈ જતો. પીળી પડી જાય. આંખ ઉપરથી એક એક આભૂષણ ફગાવવા માંડે. પાનખર ખોળો પાથરી, પગ વાળીને એવી તો બેસી ગઈ હોય કે, ધરાવવાનું નામ જ ન લે. વાડ બધું હસતા મોઢે આપી દે. તેની આપવાની વૃત્તિ જ ખુવાર કરી મૂકે. ઢોરના હાડપિંજર જેવી વાડ સામે જોઉં ત્યારે મને આંખે મોતિયા આવ્યાની ભ્રાંતિ થતી. વાડ પર આક્રમણ થવાનું હોય એની અગાઉ અમને ખ્યાલ આવી જતો. બાપુએ વકરી ગયેલી વાડને કાપવા ધારિયા કુવાડાની અરીસા જેવી ધાર કાઢીને તૈયાર રાખ્યાં હોય. એને કૂવામાં પધરાવી દેવાનું મન થઈ આવતું. પણ બાપુના સ્વભાવ આગળ અમારી હિંમત ભૂ પીવે. આમ અમે ખવી સાથે બથોબથ આવી જવાની ત્રેવડ ભલે રાખીએ પણ બાપુનું નામ પડે એટલે અમે મિયાંની મીંદડી. એ માટે અમે અમારા પગ સાથે જ કોહાડા મારી અંદર ને અંદર દુ:ખી થતા. બાપુ વાડ માથે કુહાડાનો ઘા કરતા હોય ત્યારે અમને બાપુમાં સાક્ષાત્ પરશુરામ દેખાય. ક્યારેક પૃથ્વીને નપાણવી કરી નાખવા પ્રતિજ્ઞા લેતો ભીષ્મપિતા દેખાય. બાપુનો ચહેરો લાલઘૂમ, પરસેવાના ધ્રાંગા અંકાઈ ગયા હોય. આંખોમાં અંજાઈ જઈએ એવી કરડાકી વર્તાતી હોય. બાપુએ વાડનાં કાપેલાં ઠરડાં અમે ઢસડીને બહાર નાખી આવતા. ઠરડાં ઢસડીએ. ત્યારે અમારો જીવ ઢસડતાં હોઈએ એવું લાગે. ઠરડાં અમારી કેડ બેવડ વાળી દેતાં. આટ આટલું વેઠવા છતાં કોઈ દિવસ વાડે અમને જાકારો નથી દીધો. છેલ્લે કાંઈ ન વધ્યું હોય ત્યારે વાડે અમારા માટે સુકાઈ ગયેલા સાંગરા પડિયા અને બોર રાખી મૂક્યાં હોય. એની કકડાટી મારી દાઢમાં હજુ કડકડ થયા કરે છે. એના ઋણમાંથી હું કયા ભવે મુક્ત થઈશ? બાપુ ક્યારેક સૂકી વાડને દીવાસળી મૂકી સળગાવતા. વાડ આખી ભડભડ બળતી. એમાં સૂકા સાથે લીલું પણ બળે. એમાંથી ધૂમ્રગોટનો ધોધ વછૂટે. છેલ્લે વાડનાં અમુક અસ્થિઓ વધતાં હતાં, બાકી બધું બળીને રાખ થઈ જતું. મારા માટે માત્ર એક જ કામ બાકી વધતું હતું. એ હતું કે માથે પછેડી ઓઢીને કાણ કાઢવાનું. ક્યારેક નિશાળે લેસન નહોતું થતું ત્યારે અથવા ભજન ગાવાનો વારો હોય ત્યારે અમે ઘરેથી તો નીકળી જતા પણ વાડનું શરણું લઈ લેતા. જે તે ખાઈને વાડના ખોળામાં જ પડ્યા રહેતા. વાડની બાજુમાંથી કોઈ પસાર થાય તો કોઈને જરાય ખ્યાલ પણ ન આવે કે અંદર અડ્ડો જામ્યો છે. વળી સાંજ પડે નિશાળેથી છૂટીને ઘરે જતાં હોઈએ એમ જ જતા. અમને છટકી જવા માટે ગરકછીંડી પણ વાડે જ કરી આપી હતી. ભીમ અગિયારસ પહેલાં ગંજીપાનો લઈ આ વાડમાં ભરાઈ રહીને ધરાઈ ધરાઈને કૂટી લેતા. નદીના સામા કાંઠાની વાડે મને એક સમયે મોટો જુગારી બનાવેલો. મને વિઠ્ઠલ તીડીની ઉપમા પણ મળેલી. એનું શ્રેય આ વાડને જ જાય છે. પણ ગ્રામ ઉદ્યોગમાં ભણવા ગયા પછી જુગાર રમવાનું જળ લઈ લીધું. પહેલી વખત બીડી નહીં પણ બીડીનું ઠૂંઠુ ફૂંકવાનો આનંદ પણ અમને આ વાડના ખોળામાં થયેલો. ઠૂંઠાનો ધુમાડો નાકમાં ઘૂસી જતો ત્યારે ઉધરસ ખાઈને બેવડ વળી જતાં એ વાડના ખોળામાં જ. વાડ અમારો સામાન સંતાડવા માટે પટારો બની જતી. અમારા ભમરિયા ભાલા, કેસરિયા વાઘા, શિહોરી તલવારો, તીરકામઠાં, સાબખા, ગદા, લીરાં, ધજા, મુગટો, વગેરે આ વાડમાં સંતાડી નચિંત રહી શકતાં. બપોર વચાળે બધા સૂઈ જતાં ત્યારે અમે લાંબી સોટી લઈને મધની ધોકપરોણી કરવા અમે આ વાડ જ ફંફોસતા. મધ ગોટી બરાબર પાકી ગઈ હોય તેમાં ચોટી ભરાવી પાછી ખેંચી લેતા. ચોટી સાથે ચોંટેલું મધ અમારી જીભે અડાડી અમારી મરવા પડેલી જીભમાં જીવ આવતો. અમારી દાઢમાં સ્વાદનો રામ થઈ ગયેલો દીવો ફરી વખત ચેતન થઈ જતો. જીભ વધારે મધનું વેન કરતી ત્યારે એનું પરિણામ ભયાનક નીવડતું. જીભ જાણે મારાં બીજાં અંગોને ફસાવવાની કે સોજાવાની પેરવીમાં જ રહેતી. મધપૂડામાંથી માખીઓ છૂટેલા તીર માફક વછૂટે. મધમાખી વધારે પડતી આંખને જ નિશાન બનાવતી. બે દિવસ આંખ ખૂલતી નહીં અને સોજીને દડા જેવી થઈ જતી. વરસાદથી બચવા માટે પણ અમે આ વાડમાં જ ભરાઈ જતા. વાડે અમારી માટે ખોળો પાથરેલો જ રાખ્યો હોય. પોતે પલળે પણ અમને પલળવા ના દે. તડકા વખતે પણ એવું જ; પોતે તપે પણ અમને ન તપવા દે. ખબર નથી વાડને તે વળી પરોપકારના પાઠ કોણે ભણાવ્યા હશે? હવે ધીરે ધીરે વાડ વિહોણા ખેતર બાંડા હાથી જેવા લાગે છે. વાડ કાઢીને તાર બાંધી દીધા. તારમાંથી ગંગેટા બોરાં કે સાંગરા પડિયા ક્યાંથી આવવાનાં હતાં? ક્યાંક ક્યાંક તો વાડને બદલે દીવાલ જ ચણી દીધી છે. પશુ-પક્ષી, જીવ-જનાવર સાથે પવનને પણ અંદર પ્રવેશવાની પાબંદી. એક સમયે અમને અમારું પેટ ભરી અમને મોટા કર્યા હતા. મારી આંખો સામે વાડનું નિકંદન નીકળતું જાય છે અને હું આંખો આડા કાન કરું છું.


(બુદ્ધિપ્રકાશઃ ૨૦૨૪)

 
રેખાંકનોઃ સત્યજિત રાય

આકાશની ઓળખ
ભાગ્યેશ જ્હા

કોઈ કાવ્યસંગ્રહ તમને પકડી રાખે અને એને એક જ બેઠકે વાંચવાની તમન્ના થઈ આવે તેનાથી રૂડું શું? કવિ માટે અને વાચક માટે. આ બેય બાજુના આનંદની આજે વાત કરવી છે. કવિ જયદેવ શુક્લ સાથેની ઓળખાણ ખરી પણ ઓળખ બાકી હતી, એ આ કાવ્યસંગ્રહે પૂરી કરી. એમનો કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે...’ મળ્યો અને વંચાઈ ગયો. એકવાર સિતાંશુભાઈ સાથે કાવ્યચર્ચા કરતા હતા ત્યારે એમને કાવ્યના ન્યુક્લીઅસને પકડવાનું ભાવકે કરવાનું છે, કવિથી જુદા પડીને પણ આ ભાવકૌવત કેળવવા જેવું છે. મને આખા કાવ્યસંગ્રહમાં જે મઝા આવી છે તે તેનાં તાજાં કલ્પનોની તો ખરી જ પણ આપણું અછાંદસ કાવ્ય પણ એક નવી પુખ્તતા પામે છે તેનો આનંદ છે. પે’લા ન્યુક્લીઅસની વાત પહેલાં કરીએ, જેમ કાવ્યનું પોત કે વ્યક્તિત્વ હોય છે એમ કાવ્યસંગ્રહનું પણ હોય જ છે. આ ‘કરમ-સંજોગે મળિયાં આપણાં આંગણાં જોડાજોડ રે... (કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું કે..) જેવું નથી, અહીં તો એનો વિશ્વકર્મા સૂક્ષ્મ રીતે આપણી સાથે કાવ્ય વંચતો હોય છે. કાવ્યપડોશ કે કાવ્યવિન્યાસની એક સૌંદર્યાનુભૂતિ હોય છે જ. કવિની ચેતના આખા કાવ્યસંગ્રહમાં કેવી રીતે વિસ્તરી રહી છે તેનો ઝબકાર-અજવાળું પાને પાને પથરાયેલું છે. પણ એનો વિભૂતિતત્ત્વ કે વિશ્વરૂપદર્શન જેવી અદા જેમ ગીતામાં છેક દશ-અગિયારમા અધ્યાયમાં પ્રગટે છે તેવું જ ચમત્કૃતિભર્યું કાવ્ય મને ‘તારો પ્રતિસ્પર્ધી...’માં દેખાય છે. કવિ આ કાવ્યની શરૂઆત ગૌમુખના ‘હાથ’ ગુમાવ્યાની ખૂબ જ અસ્તિત્વવાદની અદાના વિધાનથી કરે છે, કવિ આપણને પાછળ ખેંચી જાય છે. પછી એમના પિતા-પિતામહની પરંપરા અને ઋષિકેશના ગંગાસ્થાનની સપાટીઘટના કહેતાં કહેતાં કવિ જે ડૂબકી મારે છે તે લક્ષણા-વ્યંજનાના પ્રદેશમાં ભાવકને ભીંજવતાં ભીંજવતાં મનુષ્યના સહસ્રકોટિ રન્ધ્રે રન્ધ્રમાં જાગે છે. અહીં એક વિભૂતિદર્શનમાં રત અર્જુનને જાણે વિશ્વરૂપદર્શન કરાવતા કૃષ્ણ જાગ્યા હોય તેમ જળમાં કમરભેર ઊભેલા કવિ સહસ્રબાહુ બને છે, અને દિવ્યદર્શન થાય છે, અને કવિ ઉદ્ઘોષણા કરે છે, “તારો પ્રતિસ્પર્ધી! કવિ...” આ કવિનું દર્શન, સેલ્ફ-રીયલાઈઝેશન મને ખૂબ ગમ્યું છે, પોતાને ક્યા જળમાં ઊભા રાખીને આ આત્મશોધ કરવાની છે એની ભાવમુદ્રા પામવા ભાવકે મથવાનું છે અને એ રીતે કવિતા સાવ ‘કાન્તા-સમ્મિત-સંવાદ’ની વહેવારુ ચેષ્ટાથી ઉમાશંકર-પ્રબોધિત આત્માની કલાકક્ષાથી ઉચ્ચરે છે. અને એટલે એને કાવ્યસંગ્રહનું મધ્યબિંદુ કે નાભિકેન્દ્ર પકડીને હું ફરીથી કવિ જયદેવની સાથે આભયાત્રાએ નીકળું છું. કવિ બીજા જ સંગ્રહને વ્હાલ કરીને રજૂ કરે છે તે કથન વાંચીને રાજી થવાય છે, કાવ્યની સંખ્યા કરતાં તેના સત્ત્વની પ્રતિષ્ઠા કરવી તેવી તેમની કાવ્યનિષ્ઠાની પણ નોંધ લેવી જોઈએ. માગશરની અમાવાસ્યામાં કવિ કેવું સરસ ચિત્ર આપે છે... આકાશનાં
લાખ્ખો, કરોડો. અબ્બજો કાણાં
ચમકતા બરફથી પુરાઈ ગયાં છે. જનાંતિક માટે લખાયેલા કાવ્યગુચ્છમાં ‘પુત્રની વિદેશી દોસ્તને પ્રથમવાર ફોન પર મળ્યા પછી...’વાળા કાવ્યમાં રોકાઈ જવાની ઇચ્છા થઈ આવે છે, કલ્પન તમને ચમત્કૃતિ સહેજ આગળના પ્રદેશમાં લઈ જાય તે કવિતાની સિદ્ધિ છે, દા.ત. તારા શબ્દોનો
રણકાર
આથમતી જતી
ધૂંધળાશમાં
સોનેરી પતંગિયું બની
કાનના અન્ધારમાં
ઝળહળે છે... આ પંક્તિઓમાં રણકાર-આથમતી-ધૂંધળાશ અને સોનેરી-અન્ધાર-ઝળહળે એવા ક્રમિક-ઉત્ક્રાંત ભાવહિલોળા જગાવવાની ક્ષમતા ધરાવતી શબ્દસંગતિ આપણા સમયની નવ્યસંવેદનાઓને પ્રગટાવે છે, સ્તનસૂક્ત પહેલાં મુકાયેલું ‘કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ’ સૂચક છે, ઉઘાડની પંક્તિએ જ ‘દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો...’ એમાં એકસાથે બે સ્થળોને કાવ્યસમય-સારણીમાં બતાવીને કવિહૃદયમાં અને નસોમાં અને મસ્તકમાં થતી ધમાલોનો આવેગ અને ઉદ્વેગ સહેજ જુદી રીતે કરી આપે છે. કવિએ પૃથ્વી કાવ્યો હટકે લખ્યાં છે એમાં છલકતું સાક્ષીતત્ત્વ જ એમને કાવ્યસંગ્રહની અગાશીમાં (પાછળના કવર પર મૂકી આપે છે...). કવિના ‘હાલકડોલક અરીસામાંથી ઉંચકાતું આ પૃથ્વીપુષ્પ’ કવિની આંતરચેતનાં પડેલી યજુર્વેદની સંહિતાનો એક પ્રકારનો શબ્દાવતાર છે કાવ્યપરિણતિ છે. આ કાવ્યસંગ્રહ બદલાતા સમયની બે-ધારી સંવેદનાનું આલેખન છે અને એટલે કવિ કહે છે – કબૂતરની કપાયેલી પાંખ જેવી 
હથેળી
ગુંચાળા પિલ્લા પર ચત્તીપાટ. પિલ્લું માંડ માંડ થોડું ઊકલ્યું ત્યાં...
‘કાં...ઈ..પો..ચ..’ આ કઈ ગૂંચ છે જ્યાં કવિએ કાઈપોચ ઉચ્ચારવું પડે છે. આ કાવ્યસંગ્રહ અનેક રીતે જુદો પડવાનો છે એમાં કવિપ્રતિભા અને પ્રયોગો તો છે જ, પણ અછાંદસ કવિતાના વિષયવૈવિધ્યને કવિએ ગુજરાતી ભાવક પાસે રજૂ કર્યું છે. છેલ્લે ફરી એકવાપ પે’લું પૃથ્વીકાવ્ય કહેવાની ઇચ્છા થઈ આવે છે, ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકડો દાણો
ધાણીની જેમ
ફૂટે તો? આ પ્રશ્નના અનેક ઉત્તરો હશે, હું તો કહીશ, તો કવિ... થઈ જાય આકાશની ઓળખાણ... જ્યાં બીજરેખા હલેસાં વિના તરતી રહે... (‘અને આ વળાંકે’)

 



॥ વિવેચન ॥

રામનારાયણ પાઠકનાં કાવ્યવિચાર બિંદુઓ
કાવ્યકલાની શક્તિ અને તેની મર્યાદા બંને તેના ઉપાદાન ઉપર આધાર રાખે છે. કાવ્યનું ઉપાદાન અર્થપ્રતિપાદક શબ્દ છે એમ કહીશું. અંગ્રેજી કવિ શેલી બીજી બધી કલા કરતાં કાવ્યકલાની શક્તિ વિશેષ માને છે, કારણ કે તેનું ઉપાદાન શબ્દ અર્થવ્યંજક છે. ચિત્રકારનો રંગ પોતે અર્થવ્યંજક નથી પણ કવિનો શબ્દ પહેલેથી જ અર્થવ્યંજક છે, પણ તે અર્થવ્યંજકતા સાથે જ એક બીજી મુશ્કેલી ઊભી થાય છે. શબ્દો માત્ર સામાન્ય ધર્મોના બોધક હોય છે. પશ્ચિમના તેમ જ પૂર્વના પ્રમાણશાસ્ત્રીઓ સંમત થાય છે કે માત્ર શબ્દ માત્ર ‘ઉપાધિ’ એટલે સામાન્ય ધર્મનો બોધ કરે છે. હવે કલામાં રસનિષ્પત્તિ વિશિષ્ટ પ્રત્યયમાં રહેલી છે. ‘પ્રદીપ’કાર ગોવિંદ કહે છે, प्रत्यक्षमेव ज्ञानं सचमत्कारम् । પ્રત્યક્ષ જ્ઞાન જ ચમત્કાર છે, કારણ કે તે અત્યંત વિશિષ્ટ છે. કોઈ અનેકરંગી મૂળ ચિત્ર કરતાં માત્ર તેજછાયાનો તેનો ફોટો ઓછો રસપ્રદ લાગશે. હવે બીજી કલાઓમાં કૃતિ જે ઉપાદાન દ્વારા આપણી ઈન્દ્રિયોને ગોચર થાય છે, તે ઉપાદાન, ગોચર થતાં જ, વિશિષ્ટ સંસ્કાર પાડે છે. ઝાડનું ચિત્ર જોતાં ઝાડની વિશિષ્ટ આકૃતિ જ દૃગ્ગોચર થાય છે. સંગીત સાંભળતાં સંગીતના વિશિષ્ટ સૂરો જ શ્રવણગોચર થાય છે. પણ ‘પ્રેમ’ શબ્દ સાંભળતાં પ્રેમનું કોઈ પણ સ્વરૂપ ચિત્તમાં અંકિત થતું નથી, માત્ર સામાન્ય સ્વરૂપનો જ બોધ થાય છે, જે રસોદ્બોધક નથી. આવા ઉપાદાન દ્વારા કાવ્યે વિશિષ્ટ સંસ્કારો પાડવાના છે. અને કાવ્ય માત્ર ફિલસૂફી નથી, ફિલસૂફીથી વિશેષ છે અને તેની પધ્ધતિ ફિલસૂફીથી વધારે કાર્યકારી છે. ફિલસૂફી માત્ર તર્કપરંપરાથી બહુબહુ તો કોઈ ઉચ્ચ સ્થાનનો અંગુલિનિર્દેશ કરે છે. કાવ્ય તો તે સ્થાને જ આપણને લઈ જઈને મૂકે છે. ફિલસૂફી શુષ્ક રીતે, કદાચ અણગમો થાય એવી રીતે - નીતિ સામેનો ઘણો વિરોધ શુષ્કતાને લીધે આવે છે – કહે છે કે લોભ, કામ, ખાઉધરાપણું વગેરે હીન છે, માણસે તેથી ઉચ્ચતર સ્થિતિએ જવું જોઈએ. કાવ્ય આપણને ખરેખર તે સ્થિતિએ લઈ જઈને બતાવે છે કે વ્યવહારમાં જે લોભ વગેરે વૃત્તિઓમાં તમે હંમેશા રચ્યારચ્યા રહો છો, તે જુઓ, અહીંથી કેવી ઉપહસનીય દેખાય છે! સ્ટિરિયોસ્કોપમાં જોનાર, કેટલે અંતરે લેન્સ રાખવા, તે દર્શનની સુરેખતાથી અને યથાર્થતાની પોતાની મેળે નક્કી કરી લે છે. એ જ અંતર તે જો કાચના લેન્સો, આંખના લેન્સો અને દૃશ્યચિત્ર એ ત્રણેયની ગણતરીથી નક્કી કરવાનો પ્રયત્ન કરે તો ગણતરી ઘણી જ મુશ્કેલ થાય અને છતાં યથાર્થ દર્શન થાય કે નહિ તે વહેમ પડતું જ રહે. તે જ પ્રમાણે ફિલસૂફી, અનેક તર્કોથી જીવનનું દૃષ્ટિબિંદુ આપવા પ્રત્યન કરે અને છતાં તે આપી ન શકે. કાવ્યમાં ભાવક યથાર્થ દર્શન મેળવવા પોતાની મેળે યોગ્ય દૃષ્ટિબિંદુએ જાય છે. દરેક કવિ, પોતે જે દર્શન કર્યું હોય છે તે ભાવકને સિદ્ધ સ્વરૂપે આપે છે. માનવ લાગણી કે ભાવ વિશે આગળ વિચાર કરીએ તે પહેલાં અહીં એટલું નોંધવું જોઈએ કે કાવ્યને પોતાને પોતાનું આકારસૌષ્ઠવ છે. તે પદ્યરચનાથી અને શબ્દોના વર્ણોચ્ચારથી થાય છે. આમાંથી એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કાવ્યને પદ્યરચના આવશ્યક છે કે કેમ? આજના વિષયમાં મેં સર્વ રાર્જનાત્મક સાહિત્યનો સમાવેશ કયો છે, એટલે એમાં નવલકથા પણ આવી જાય. નવલકથાઓ પણ છંદોબદ્ધ જોઈએ એમ કોઈ કહેતું નથી. પણ કાવ્ય શબ્દ પરંપરાથી માત્ર પદબંધને માટે વપરાતો આવ્યો છે. અને એ પણ ખરું કે વાડ્મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નત્માં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી - અવાજથી એકત્વ આપે છે અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી. પ્રશ્ન એટલો જ છે કે તે વિનાની કૃતિને ટૂંકા અર્થમાં કાવ્યસંજ્ઞા આપી શકાય કે નહિ? મારો વિષય વિશાળ અર્થમાં સમસ્ત સર્જનસાહિત્યનો છે અને આની ચર્ચાનો અહીં પૂરતો અવકાશ નથી. માત્ર એટલું કહીશ કે શબ્દમાં જે શક્તિ, તેનો પૂરેપૂરો ઉપયોગ જો કવિ જાણી જોઈને ન કરે તો તેને માટે પૂરતું કારણ હોવું જોઈએ. નવલકથામાં આપણે પદની અપેક્ષા નથી રાખતા કારણ કે ત્યાં ભાવ એટલી ઘનતાએ નથી પહોંચતો. ઇબ્સને કહ્યું હતું કે મારાં સામાજિક નાટકોમાં હું પદ્ય નથી વાપરતો કારણ કે દુનિયાનું સાધારણ વ્યાવહારિક વાતાવરણ હું તખ્તા ઉપર બતાવવા માગું છું. સંસ્કૃત નાટકોમાં પણ રસ અને ભાવથી ઘનતાના સૂક્ષ્મ નિયમ પ્રમાણે ગદ્ય અને પદ્ય આવે છે. આવું કારણ ન હોય, ભાવ પદ્યને અનુકૂળ હોય, છતાં કવિ જો પદ્ય ન વાપરે તો તેટલે અંશે સંસ્કારી વાચકની અપેક્ષાને કંઈક અધૂરી રાખે છે એટલું તો કહેવું જોઈએ. આ દૃષ્ટિને અનુકૂલ રહીને પ્રાચીનોનો મત गद्यं कवीनां निकपं वदन्ति એ મને માન્ય છે. આપણા સાહિત્યનો આ એક રસિક પ્રશ્ન છે. તેની ચર્ચા બંધ પડી છે પણ તે પ્રશ્ન બંધ પડ્યો નથી. કોઈ વિવેચક આ ઉપરથી ગદ્યનો લય (rhythm) અને તેના નિયમો શોધવાને પ્રેરાય તો તેથી વિવેચનસાહિત્ય ઉપર નવો પ્રકાશ પડે. વિવેચનમાં એ પણ જોવાનું છે કે કવિ જે ભાવનિરૂપણનો પ્રયત્ન કરે છે તે જ ભાવ તે બરાબર નિરૂપી શક્યો છે કે નહિ. ભાવનિરૂપણની શક્તિ એ કવિની વાક્શક્તિ, વાક્પ્રભૃત્વ, વાગ્વૈભવની ખરી કસોટી છે. વાણી ઉપરના પ્રભુત્વના અભાવે ભાવ ક્યાંક અસ્ફુટ રહી જાય, ક્યાંક સંદિગ્ધ રહી જાય, ક્યાંક અન્ય ભાવનો ભ્રામક નીવડે, ત્યાં વિવેચકે એ બતાવવું જોઈએ. વિવેચકે સ્પષ્ટ કરવું જોઈએ કે કવિનો વિવક્ષિત ભાવ આ છે, પણ અમુક અમુક સ્થાનની નિર્બળતાને લીધે એ ભાવ બરાબર ઊઠતો નથી, અથવા ત્યાં અમુક બીજા ભાવની ભ્રાંતિ થાય છે. વિવેચક પોતાના વાસ્તવિક જગતના અને અનેક કાવ્યોના અનુભવથી આ બતાવી શકે છે. અને છેલ્લે વિવેચકે એ બતાવવાનું છે કે કવિ ભાવ નિરૂપે છે તે ઉચિત છે કે નહિ. ચિત્તતંત્ર સમગ્રતયા જાગ્રત હોય, તો. એ. વસ્તુ તરફ એ જ ભાવ સ્વાભાવિક રીતે થાય કે નહિ? કવિએ ધારણ કરેલો અથવા કહો કે કાવ્યમાં નિષ્પન્ન કરેલો ભાવ, કવિની પોતાની બાલિશતા કે અપૂર્ણતા, અનુદારતા, હૃદયસંકોચ, અંગત લોલુપતા કે હૃદયની શક્તિની મર્યાદા - હૃદયદૌર્બલ્ય કે એવા કોઈ કારણથી એ સમગ્ર ચિત્તના ભાવને બદલે, કોઈ એકદેશીય જ, કોઈ હલકી કક્ષાનો જ ભાવ તો નથી આવી ગયો? કાવ્યનું મૂલ્યાંકન તે આ જ. સમગ્ર જીવનની દૃષ્ટિએ એ ભાવનું સ્થાન આંકવું તે. અને આંકવું એટલે? જેમ ખુરશીની કિંમત રૂપિયા-આના-પાઈમાં આંકી શકીએ છીએ તેમ ભાવની કિંમત કશામાં આંકી શકાતી, નથી. એટલા માટે મને આ મૂલ્ય અને મૂલ્યાંકન શબ્દો પસંદ નથી. અંગ્રેજીમાં વૅલ્યૂ-(value)નો જે વિસ્તૃત અર્થ છે તે ‘મૂલ્ય’માં આવતો નથી. ભાવનું મૂલ્યાંકન એટલે ભાવની સમગ્રજીવનદૃષ્ટિથી કરેલી એ ચર્ચા દાર્શનિક - philosophic છે. વિવેચન આ દૃષ્ટિએ દાર્શનિક બને છે.

(શ્રેષ્ઠ રા. વિ. પાઠક)

 
વિનોદ બિહારી મુખરજીનું રેખાંકનઃ સત્યજિત રાય


શબ્દ સકળ પૃથ્વીના
અજયસિંહ ચૌહાણ
મહિનાઓમાં હું માગશર છું અને ઋતુઓમાં વસંત છું. હેમન્તની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. સુરખીભરી સવારો જીવનની તાજગીનો અનુભવ કરાવે છે; એથીય વધુ રમ્ય બની રહી છે રાત્રિઓ. રાત્રે નવ વાગ્યાની આસપાસ પશ્ચિમ ક્ષિતિજે શુક્ર, દક્ષિણ તરફ માથે શનિ અને પૂર્વમાં ગુરુ-મંગળની પ્રકાશ-લીલાઓ રોમાંચિત કરે છે. આ બધાની વચ્ચે સુખ છે મૃગશીર્ષ નક્ષત્રને જોયા કરવાનું. આપણા સમયમાં આકાશ માનવ સર્જિત ઝગમગાટથી દૂષિત છે. આમ છતાં શિયાળાની ઠંડી રાતોમાં આપણું ધ્યાન ખેંચતું સોહામણું મૃગશીર્ષ (હરણ્યું/હરણી) વિશેષ પ્રયત્ન વગર જોઈ શકાય છે. ઋતુઓ પ્રમાણે આકાશના ચંદરવામાં બદલાતાં તારા-નક્ષત્રોનાં સ્થાનો જોવાનો આજે આપણને રસ નથી રહ્યો. પણ આપણા પૂર્વજોનું જીવન જ તારા-નક્ષત્રો પર નિર્ભર હતું. ઋતુ-આગમનની તૈયારીઓ, સમયની ગણના બધું જ આ નક્ષત્રોના નિરીક્ષણ પર આધારિત હતું. એટલે જ આપણાં વાર, મહિના અને વર્ષ ગ્રહો-નક્ષત્રોના આધારે નક્કી થયાં છે. કાલે સોમવારથી માગશર મહિનો શરૂ થશે. મૃગશીર્ષનું તળપદુ રૂપ એટલે માગશર. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના વિભૂતિયોગમાં કહ્યું છે : ‘मासानां मार्गशीर्षोडहम ऋतुनांकुसुमाकर:।’ મહિનાઓમાં હું માગશર છું અને ઋતુઓમાં વસંત છું. એવું તો શું છે આ મૃગશીર્ષમાં કે ભગવાન કૃષ્ણ એને પોતાનું સ્વરૂપ ગણે છે! એનો વિગતે જવાબ મળે છે લોકમાન્યના હુલામણા નામથી જાણીતા બાળ ગંગાધર ટિળકના પુસ્તક ‘ધ ઑરાયન’માં. રગરગથી રાષ્ટ્રવાદમાં તરબતર ટિળકજીને ત્યારે લાગી આવ્યું જ્યારે મેક્સમૂલર અને પશ્ચિમી વિદ્વાનોએ વેદોને ઇ.સ. પૂર્વેની ૧૪મી સદી જેટલા જ જૂના કહ્યા. ટિળકજીને થયું કે જો એ વિદ્વાનો ચીન અને ઇજિપ્તની સંસ્કૃતિને પાંચ હજાર વર્ષ જૂની સાબિત કરતા હોય તો ભારતીય સંસ્કૃતિ માત્ર ત્રણ હજાર ચારસો વર્ષ જ જૂની ! એમનું મન કેમેય કરી આ વાત માનવા તૈયાર નહોતું. વેદ જો વિશ્વના પ્રાચીનતમ ગ્રંથો હોય તો ભારતીય સંસ્કૃતિ એથીય જૂની હોય. પણ, આ વાતને સાબિત કઈ રીતે કરવી એની ગડમથલ એમના મનમાં ચાલી રહી હતી. અંતે એકવાર ગીતાજીનો પાઠ કરતી વખતે વિભૂતિયોગમાંના ઉપરના શ્લોક પર એમનું ધ્યાન ગયું; અને એમણે વિચાર કર્યો કે વેદોમાં આવતાં ઋતુ અને નક્ષત્રોનાં વર્ણનો પરથી એનો રચનાસમય નક્કી કરવો. એમની પાંચ વર્ષની સાધનાને અંતે પુસ્તક લખાયું ‘ધ ઑરાયન’(૧૮૯૩). મૂળ અંગ્રેજીમાં લખાયેલું આ પુસ્તક પ્રમાણમાં અઘરું છે. કારણ કે એને સમજવા વેદો અને અન્ય પ્રાચીન સાહિત્ય તેમજ ખગોળવિદ્યા બંનેનું જ્ઞાન જરૂરી છે. માટે, ગુજરાતના જાણીતા ખગોળવિદ્દ જે. જે. રાવલે ગુજરાતીમાં (૨૦૧૪) એની સરળ સમજૂતી આપવાનો પ્રયત્ન કરતું પુસ્તક ‘વેદો ક્યારે લખાયેલા તેના પરનું સંશોધન : સહેલી રીતે રજૂઆત’ લખ્યું. આ પુસ્તકમાં જે. જે. રાવલે ‘ધ ઑરાયન’ પુસ્તકને આધારે શરૂઆતમાં પૃથ્વીના ધરીભ્રમણ અને એના ૨૩.૫ અંશના ઝુકાવની સમજ આપી છે. પૃથ્વીની ધરી જો સીધી હોત તો સૂર્યનો માર્ગ અને વિષુવવૃત્ત બંને એક જ વર્તુળમાં હોત. પૃથ્વીના આ ઝુકાવને કારણે ઋતુલીલાઓ સર્જાય છે. આ જ કારણે સૂર્યનો દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધમાં અને ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધ તરફનો માર્ગ રચાય છે. એના કારણે જ નક્ષત્રોનાં સ્થાનો બદલાય છે. માટે જ વેદો અને એ પછી લખાયેલા ગ્રંથોમાં આવતાં નક્ષત્રનાં વર્ણનોને આધારે એનો સચોટ અને પ્રમાણભૂત સમય નક્કી કરી શકાય. જે. જે. રાવલે સમજાવ્યું છે કે ભારતીય પંચાગમાં મહિનાનાં નામો નક્ષત્રો પરથી પાડવામાં આવ્યાં છે. પૂર્ણિમાની રાત્રે ચંદ્ર જે નક્ષત્રની અંદર કે નજીક હોય એ નક્ષત્ર પરથી મહિનાનું નામ પાડવામાં આવ્યું છે. જેમ કે, પૂર્ણિમાની રાત્રે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં કે એની નજીક હોય માટે એ મહિનાનું નામ કૃત્તિકા પરથી ‘કારતક’ પાડવામાં આવ્યું. એ જ રીતે હવેના મહિને પૂર્ણિમાની રાત્રે ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્રમાં આવશે. તેથી આ મહિનાને આપણે માગશર તરીકે ઓળખીએ છીએ. ટિળક મહારાજે ખગોળીય જ્ઞાન અને વૈદિક અભ્યાસને અંતે એ દર્શાવ્યું કે સૂર્ય દર વર્ષે પચાસ સેકન્ડના દરે પશ્ચિમ તરફ સરકે છે. એના કારણે દર બે હજાર વર્ષે ઋતુઓ એક ચંદ્રમાસ પાછી પડે છે. આપણા સમયમાં વસંત મહા મહિનામાં બેસે છે. વસંતસંપાત એટલે કે વસંતનું આગમન મહાભારતકાળમાં માગશર મહિનામાં થતું. મહાભારતના સમયમાં વર્ષનો પ્રથમ મહિનો મૃગશીર્ષ હતો, માટે જ એને અગ્રહાયન કહેવાતો. અંગ્રેજી ‘ઑરાયન’ અને ‘અગ્રહાયન’ શબ્દમાં રહેલું સામ્ય તરત નજરે પડે છે. જ્યારે આર્યો મૃગશીર્ષને અગ્રહાયન કહેતા ત્યારે ભારતીય, ગ્રીક અને જર્મન આર્યો સાથે રહેતા હશે એમ ઘણા વિદ્વાનોનું માનવું છે. એ પછી એ જુદા પડ્યા હશે. માટે ત્રણેય પ્રજાઓના હાલના ઘણા ઉત્સવોમાં એની છાપ દેખાય છે. આ ઉપરાંત એ સમયના અન્ય આધારો આપીને ટિળક મહારાજ વેદોને ઈસુના જન્મ પહેલાં ચારથી છ હજાર વર્ષ જેટલા જૂના માને છે. એનો અર્થ એ થયો કે ભારતીય સંસ્કૃતિ પશ્ચિમના અભ્યાસીઓ કહેતા હતા એ પ્રમાણે સાડા ચાર હજાર નહીં પણ છથી આઠ હજાર વર્ષ જૂની છે. જે. જે. રાવલે તેમના પુસ્તકમાં વિવિધ ચિત્રો મૂકી ટિળક મહારાજના પુસ્તકને સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં પુનરાવર્તન ઘણાં છે. ઉપરાંત, અનેક ઠેકાણે વાતો ગૂંચવાઈ જાય છે. આમ છતાં વેદો અને એ દ્વારા ભારતીય સંસ્કૃતિના કાળનિર્ણય સંદર્ભે પશ્ચિમના અભ્યાસીઓના એકાંગી તારણની સામે બાળ ગંગાધર ટિળક જેવા ભારતીય વિદ્વાનનો દૃષ્ટિકોણ આપણી સમક્ષ મૂકી આપણી સંસ્કૃતિને જોવાની દૃષ્ટિ આ પુસ્તક આપે છે.

(દિવ્યભાસ્કર: ‘રસરંગપૂર્તિ - ડિસેમ્બર ર૦ર૪’ માંથી)

॥ પત્રો ॥

પત્રો: આપણી સમૃદ્ધ પરંપરા (સાહિત્યિક પત્ર)


(૧) ગોવર્ધનરામ ત્રિપાઠીનો કલાપીને પત્ર
નડિયાદ તા. ૨૨-૧૦-૯૮

રાજશ્રી વિરાજિત શ્રી સુરસિંહજી, આપનું કૃપાપત્ર સ્નેહી ભાઈશ્રી નાનાસાહેબ દ્વારા મળ્યું. રા. મણિલાલ વિષયે સર્વેને ખેદ છે. આપનો સંબંધ સવિશેષ ખેદ આપે એ સ્વાભાવિક છે. એમના ગુણ અને સ્વભાવને લીધે એમના સ્નેહથી આપના ઉપર મુદ્રા સહજ થયેલી હોવી જોઈએ. હું મ્હારા ઉદ્યોગમાંથી નિવૃત્ત થઈ હાલ નડિયાદ આવેલો છું. મ્હારા હૃદયની ઉચ્ચ ભાવનાઓને સફળ કરવાનો અવકાશ શોધવો એ આ નિવૃત્તિનું એક પ્રયોજન છે. આપ મ્હારી સાથે જે સંબંધ ઇચ્છો છો તેવો સંબંધ કોઈ ત્રાહિત પુરુષે ઇચ્છ્યો હોત તો તેને ઉત્તર આપવો મને સુલભ હતો. કારણ વકીલાતની અતિ લાભકારક પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે તે બીજી ઉપાધિઓનો સ્વીકાર કરવાની તૃષ્ણાથી નથી કર્યો. વળી, મણિભાઈનો સ્વભાવ આવી પ્રવૃત્તિને અનુકૂળ હતો. મ્હારો સ્વભાવ એથી ભિન્ન જાતિનો હોવાને લીધે રા. મણિલાલ જેટલો લાભ આપને મળશે કે નહીં એ વિષયમાં સંદેહ છે. પરન્તુ રા. નાનાસાહેબે આ વાતમાં ઉપોદ્ઘાત રૂપે કેટલીક વાર્તા કરી તથા આપનો અને મ્હારો આજ સુધીનો સંબંધ વિચાર્યો અને અંતે આપના પત્રનો આશય સમજવા પ્રયત્ન કર્યો, તે સર્વનું પરિણામ નીચે લખું છું. આપ લખો છો કે, “રાજા અને કારભારી બન્ને જ પર વિશ્વાસ રાખી શકે તેવા તટસ્થ અને સમર્થ પુરુષની જરૂર જણાય છે.’’ મ્હારા ‘સમર્થ’પણાનો વિચાર હું કરતો નથી. મ્હારામાં કેટલીએક ન્યૂનતાઓ પણ છે, તે હું જાણું છું. અને અનુભવથી આપને પણ ક્વચિત્‌જણાશે. મ્હારો અભિપ્રાય લેવાને માટે જ આપ મ્હારો સંબધ ઇચ્છતા હશો તો આ ન્યૂનતાઓ આપને લાગે ત્યાં એ અભિપ્રાય ન સ્વીકારવાની આપને સ્વતંત્રતા છે. આથી આટલા મ્હારા સંબંધથી આપને કાંઈ હાનિ પહોંચે એમ નથી એવું લાગવાથી આપની ઇચ્છાને અનુકૂળ થતાં આ વિષયમાં મને કાંઈ બાધ લાગતો નથી. મ્હારા તટસ્થપણાની વાતમાં મને આપ ગણી શકતા હો તો તે ગણના મને પણ સત્ય લાગ છે. મ્હારા ઉપર આપ વિશ્વાસ રાખી શકો છો, તે પણ મને સ્વાભાવિક લાગે છે. રા. તાત્યાસાહેબ આપની પાસે કારભારી છે ત્યાં સુધી આપ અને આપના કારભારી ઉભય મ્હારા ઉપર વિશ્વાસ રાખી શકશો. પણ રાજકીય સંબંધ પ્રારબ્ધ પ્રમાણે અશાશ્ચત્‌કે શાશ્વત્‌હોય છે અને આપનો તથા તાત્યાસાહેબનો બેનો સંબંધ પ્રારબ્ધવશાત્‌અશાશ્ચત્‌નીવડે તે પ્રસંગે જે કારણથી હાલ આપનું નેત્ર મ્હારા ઉપર ઠરે છે તે કારણ બદલાશે ત્યારે આપના ચિત્તને આપની હાલની યોજનાથી મ્હારા સંબંધમાં પશ્ચાત્તાપ ન થાય એવો વિચાર આપે હાલથી કરી રાખવો ઘટે છે. જો એ વસ્તુ પશ્ચાત્તાપનું કારણ થઈ પડે તો તે હાલથી જ કર્તવ્ય નથી એ વાતનું હું આપને સ્મરણ કરાવું છું, એ વાત લક્ષમાં આણી મ્હારા સંબંધની યોજના પડતી મૂકવી ઘટે તો તેમ કરવા મ્હારી આપને વિજ્ઞપ્તિ છે. મ્હારા પોતાના મનમાં તો આ કામ નિઃસ્વાર્થતા અને પ્રીતિના કારણથી મ્હારે કરવાનું છે, તો તે કારણથી આપને આવશ્યક્તા નહીં હોય તે કાળે સ્નેહે લેવડાવેલી ઉપાધિમાંથી મને મુક્ત કરવા માટે આપને આશીર્વાદ દેવાનો જ પ્રસંગ આવશે. આ કારણથી પણ આપની વર્તમાન ઇચ્છા સ્વીકારતાં મને બાધ લાગતો નથી. આપના પત્રનો આશય હું યથાર્થ સમજ્યો હોઉં તો આપને પ્રસંગોપાત્ત મ્હારો અભિપ્રાય જોઈતો હોય તો તે આપવો. અને આપને કામ હોય ત્યારે મ્હારે લાઠી આવી જવું એવું સમજાય છે. નડિયાદ બેઠાં અભિપ્રાય આપતાં મને વિશેષ શ્રમ જેવું નથી અને સ્નેહીમંડળને મારા અભિપ્રાય કામ લાગે એવું હોય તો તે આપવામાં ધર્મ અને આનંદ ઉભય છે. માટે તે વાતમાં કાંઈ પ્રશ્ન કરવો હોય ત્યારે તે પૂછવો એ આપના હાથની વાત છે. મને લાઠી બોલાવવા જેવું ગુરુત્વવાળું કાંઈ કામ હોય ત્યારે આપ મને બોલાવશો અને મને કોઈ બીજી પ્રતિકૂળતા નહીં હોય તો હું આનંદથી આપના મેળાપનો લાભ લઈ શકીશ. પણ પ્રવાસને માટે જ મ્હારે પ્રવાસ કરવો ઉચિત નથી એ તો આપ સ્વીકારશો. લિ.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના
સ્નેહપૂર્વક આશીર્વાદ

 
ચિત્રકાર સત્યજિત રાય

(ર) હરિશ્ચંદ્ર ભટ્ટને ઉમાશંકર જોશીનો પત્ર અમદાવાદ
તા.
૧૪-૧૧-૧૯૪૧
પ્રિય ભાઈશ્રી, ઘણા દિવસ થયા! તમારો છેલ્લો પત્ર ઉઘાડતાં ડરતો હતો. પણ ખાતરી હતી કે તમે મારા મૌન માટે ચિડાઓ તો નહિ જ. તેમ જ નીકળ્યું. મારા ‘આલસ્યવિલાસ’ના તમે જ કદરદાન નહિ હો તો કોણ હશે? રિલ્કેનું કાવ્ય કેમ આટલું બધું મોડું મોકલ્યું? - ચોરી રાખ્યું? ખરે જ સુંદર છે. વિશેષ શું કહું? પૃથ્વી અને કવિઉરની તુલના - કલ્પના તેમ જ શબ્દરચના બંનેમાં - શોભી રહે છે. ‘મુજ હૃદયની એ જ કથની” એમ હું પણ કહું તો ‘આત્માનાં ખંડેર’ વિશેની પૃચ્છા છોડી દો ખરા? ખરે જ એને વિષે એ સૉનેટો સિવાય વધારે કહેવાનું મારા ખ્યાલમાં નથી. હું ભારે રાગોદ્રેક તેમ જ નિર્વેદની સ્થિતિમાં હોઈશ એમ માનું છું. એ રચાયાનો ક્રમ તમારે કામનો હોય તો તપાસી, યાદ કરી, મોકલું. તમારા સંગ્રહની પ્રસ્તાવનામાં આ લોરાબેનનું લટકણિયું ન મૂકો તો? અંગ્રેજીમાં પ્રસ્તાવના આપ્યા જેવું થશે. તેમાંના વિચાર જોડે (‘two lines’નાં) મારા કવિતા & તત્ત્વજ્ઞાનમાંના ‘પ્રણયી’ની લીલા સરખાવી જોશો? એક ધૃષ્ટતાભરી વાત કરું. રિલ્કેની સોનેટ્સમાંથી પણ સમ્‌-વેદન જેવું મને મળ્યું. ઊડીને આંખે વળગે એવો દાખલો તારાઓ નજીક દેખાય છે છતાં છે દૂરદૂર એ (વાર્તા: ‘પિપાસુ’માં) વાત એ કરે છે. પણ આ વાતો રૂબરૂ જ કરવામાં ઔચિત્ય... પણ મૂળ વાત પર આવું. રિલ્કે ખરે જ ઊંડો છે, સૂક્ષ્મ છે, પીધા કરો એવો છે. New Year Letterમાં ઓડન બેત્રણ વાર તેને સંભારે છે. એમાં વધારે પડતું કાંઈ નથી. હા, એ Letter કેટલામાં મળે? અને આખો રિલ્કે? જુઓ, ઉમેદભાઈ આવે કે ન આવે પણ ખરા. પણ પાઠકસાહેબ કર્વે સેનેટમાં આવવાના છે. તેમની જોડે મારે માટેની ચોપડીઓ મોકલશો. જરૂરાજરૂર. બીજી વિનંતી: સાથેની ચિડ્ડી RRને આપી તેમાંની એકેક નકલ મુનિશ્રી જિનવિજયજીને (મારી વતી) સર્કલ હાઉસ, કિંગ્સ સર્કલ, અથવા નિર્ણય સાગરપ્રેસમાં છાપકામ માટે એ સામાન્યતઃ રોજ આવે છે એટલે ત્યાં એકવાર ઓફિસ જતાં પૂછી લો તો બીજે દિવસે તે સમયે રૂબરૂ આપી શકો. તમને મળતાં પણ આનંદ થશે. ‘નિશીથ’ની બીજી નકલો બને તો ઉમેદભાઈ જોડે, નહિ તો પાઠકસાહેબ જોડે મને મોકલશો. શેઠ બૂમો પાડે તો ભલે, પણ મારે ખરીદવા વારો આવે ત્યાર પૂરી કિંમતે શા માટે ખરીદું? તમને આમ તસ્દી આપતાં હવે શરમ આવે છે. પણ લોભ છૂટતો નથી. સર્વે આનંદમાં હશો.

ઉમાશંકરના પ્રણામ.
(૨૪૨/પત્રો/૧૯૨૮-૧૯૫૦)

॥ કલાજગત ॥


દૃષ્ટિ ભીતરની સત્યજિત રાયનું
કલાવિશ્વ: અમૃત ગંગરના પુસ્તકનો
આસ્વાદ
કનુ પટેલ
ભારતીય ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ સર્જક સત્યજિત રાયના જીવન અને સર્જનનો સુક્ષ્મ ચિતાર આપતું સિદ્ધહસ્ત લેખક અને સીને સમિક્ષક અમૃત ગંગરનું પુસ્તક જેનું પ્રકાશન ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું છે તેની ભીતરમાં ડોકિયું કરીને આછો ખ્યાલ મેળવીએ સત્યજિત રાય વિશે.... જાણીએ .....સત્યજિત રાયનું બહુ આયામી વ્યક્તિત્વ. સત્યજિત રાય ભારતીય ફિલ્મ ઉદ્યોગના મહાન નિર્માતાઓમાંથી એક હતા. તેમના દૃશ્યાવલોકન, ક્રિએટિવિટી, અને અનોખી કળાત્મક અનુભૂતિઓએ તેમને દુનિયાભરના ફિલ્મપ્રેમીઓના દિલમાં સ્થાન અપાવ્યું. તેમણે પોતાની ફિલ્મોના માધ્યમથી માત્ર બંગાળી સમાજની વાત નહીં, પરંતુ સમગ્ર માનવતાના વિવિધ પાસાઓને અભિવ્યક્ત કરવા માટે સજ્જતાપૂર્વક સર્જન કાર્ય કર્યું. તેમની ફિલ્મો માત્ર ભારતીય સિનેમાનું ગૌરવ જ નહીં, પરંતુ વિશ્વભરના ફિલ્મ ઉદ્યોગમાં પણ શ્રેષ્ઠ હતી. આ પુસ્તકમાં ચારસો ચોવીસ પાનામાં સત્યજિત રાય વિશે ખુબજ ઊંડાણપૂર્વક વાત થઈ છે. જેમાં તેમની સાહિત્યિક ફિલ્મો અને જીવન વિશે વિગતવાર છબીઓના દાખલા સાથે મૂકી છે પરંતુ મને આ પુસ્તકના સત્યાવીસમા પ્રકરણમાં વધુ રસ પડ્યો તે અહીં મુકું છું જે આપ સહુને ગમશે.

કલાકાર, કૅલિગ્રાફર, ટાઇપોગ્રાફર, ચિત્રકાર, પુસ્તક ને પોસ્ટર ડિઝાઇનર સર્વગુણસંપન્ન સત્યજિત રાય

સત્યજિત રાયનું બહુઆયામી વ્યક્તિત્વ ફક્ત ફિલ્મ દિગ્દર્શન તેમજ સંગીતકાર, કૅમેરા ઑપરેટર, સંવાદલેખક, પટકથાલેખક પૂરતું સીમિત ન રહેતાં એમના કલાસર્જન ક્ષેત્રમાં તેઓ ઘણાં વિસ્તાર પામે છે. આ પ્રકરણમાં એ વિસ્તારને આવરી લેવાનો આશય છે. આપણે શરૂઆતનાં પ્રકરણોમાં એમની આગવી ચિત્રમય પટકથા લેખનશૈલીની દૃષ્ટાંતો સહિત વાતો કરી હતી. પણ એમની પુસ્તકોના કવર ડિઝાઇન વિશે નહોતી કરી સિવાય કે વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથા આધારિત પથેર પાંચાલી પરથી ફિલ્મ બનાવવાનો વિચાર એમને પ્રથમ નવલકથાની સંક્ષિપ્ત આવૃત્તિના આવરણ માટે ડિઝાઇન કરતી વખતે લંડન જતાં સ્ટીમરમાં આવ્યો હતો. ૧૯૪૦-૫૦ના દાયકાઓમાં તેમણે ઘણાં પુસ્તકોનાં કવર્સ ડિઝાઇન કર્યાં હતાં.

 
મૃણાલ સેન-લિખિત બંગાળી પુસ્તક ચાર્લી ચૅપ્લિન, કવર ડિઝાઇન: સત્યજિતરાય.
(છબી સૌ. વિકિ મીડિયા કૉમન્સ)

એમના સમકાલીન અને મિત્ર ફિલ્મ દિગ્દર્શક મૃણાલ સેને ચાર્લી ચૅપ્લિન પર એક નાનકડું બંગાળી ભાષાનું પુસ્તક લખેલું જેનું કવર સત્યજિત રાયે એમની આગવી શૈલીમાં ડિઝાઇન કર્યું હતું. આ પુસ્તક મારા અંગત ગ્રંથાલયમાં છે. જુઓ – સત્યજિતરાય હજી ફિલ્મદિગ્દર્શનના ક્ષેત્રે પ્રવેશ્યા નહોતા ત્યારે એ દાયકાઓમાં એમની નામના પુસ્તકોના પૂંઠાઓના ડિઝાઇનર તરીકે ખાસ્સી થયેલી. અગ્રણી ચિત્રકાર પારિતોષ સેન (૧૯૧૮-૨૦૦૮)ના કહેવા મુજબ બંગાળમાં ગ્રાફિક ડિઝાઇનમાં ધરખમ પરિવર્તન આણવા માટે સત્યજિત રાયનો ફાળો ઘણો નોંધપાત્ર હતો. એમના સત્યજિત રાય વિશેના અંગ્રેજી લેખ ધ કન્ઝ્યૂમેટ (પરિપૂર્ણ) ડિઝાઇનરમાં સેન લખે છે, “દિલિપ ગુપ્તા સંચાલિત સિગ્નેટ પ્રેસ પ્રકાશિત અને સત્યજિત રાય વડે ડિઝાઇન કરેલાં પુસ્તકોએ ખળભળાટ મચાવવાની સાથે નવાં ટ્રેન્ડ શરૂ કરી દીધાં હતાં. ફક્ત બુક કવર્સ ને ડસ્ટ જૅકેટોએ જ નવું રૂપ ધારણ નહોતું કર્યું પણ અંદરના પાનાઓ પરની નવી ટાઇપોગ્રાફી, કૉમ્પૅક્ટ સૅટિન્ગ્સ, ઉદાર હાંસિયા, સુવાચ્ચતા તરફ ખાસ ધ્યાન - આ બધાં પ્રકાશનોનાં હૉલમાર્ક્સ બની ગયાં. ચિત્રોમાં પણ સાંપ્રત કલાનું એસ્થેટિક્સ ઉમેરાયું. ચિત્રો અને અક્ષરોમાં કૅલિગ્રાફીની ભૂમિકાની અગત્યતા પર પણ ભાર મૂકાયો. અને એ વખતથી બંગાળમાં ગ્રાફિક ડિઝાઇનની કલાએ કદી પાછું વળીને જોયું નહીં. પ્રિન્ટિન્ગ ડિઝાઇનના ક્ષેત્રે જાણે નાની ક્રાંતિ આવી ગઈ. એવી ક્રાંતિ કે જેની અસર સમસ્ત ભારતના ગ્રાફિક કલાના ભાવી પર દૂરગામી અસર કરે એવી ક્રાંતિ. ભારતની ઘણી ભાષાઓમાં બંગાળી પુસ્તકો અનુદિત થતાં હોવાથી, સત્યજિત રાય દ્વારા દાખલ કરાયેલા નવા ટ્રૅન્ડે ભારતના અન્ય પ્રાંતો પર પણ અસર કરી, ખાસ કરીને હિન્દી-ભાષી પ્રદેશો તેમજ ગુજરાત અને કેરળ.” (સત્યજિત રાય: ઍન ઇન્ટિમેટ માસ્ટર, સં. શાંતિ દાસ, નવી દિલ્હી: ઍલાઇડ પબ્લિશર્સ, ૧૯૯૮) સત્યજિત રાયે ડિઝાઇન કરેલા જીવનાનંદ દાસના કાવ્યસંગ્રહ વનલતા સેનનું મુખપૃષ્ઠ જોતાં મને સુમન શાહના પુસ્તક આત્મનેપદીના આવરણનું આછું સ્મરણ થાય અને સાથે પારિતોષ સેને કરેલા અનુમાનનું પણ:

 
જીવનાનંદ દાસના બંગાળી કાવ્યસંગ્રહ વનલતા સેન (ત્રીસ કાવ્યો નો સંગ્રહ , ૧૯૫૨)નું સત્યજિતરાયે ડિઝાઇન કરેલું મુખપૃષ્ઠ, સુમન શાહ સંપાદિત સુરેશ જોષીની વિવિધ મુલાકાતોનો સંચય, ૧૯૮૭, મુખપૃષ્ઠ ડિઝાઇન મદીર સુમન શાહ.
(છબી સૌ. વનલતા સેન, વિકિ મીડિયા કૉમન્સ; આત્મનેપદી ૧૯૮૭)

સિગ્નેટ પ્રેસ માટે સત્યજિત રાયે એક દાયકો કામ કર્યું હતું અને એ દરમિયાન એમણે ૯૦ પુસ્તકોના કવર અને ટાઇટલ ડિઝાઇન કર્યાં હતાં. પુસ્તક ને પોસ્ટર ડિઝાઇનની આવી આગવી ને સમુદ્ધ સર્જનક્રિયા પાછળ સત્યજિત રાયના શાંતિનિકેતનના ગાળા(૧૯૪૦-૧૯૪૨)ને હું ખૂબ અગત્યનો માનું છું. કલાભવનના તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ નંદલાલ બોઝ, વિનોદવિહારી મુખરજી અને રામકિંકર બૈજ જેવા કલાગુરુઓનું માર્ગદર્શન મળ્યું હતું. અને તેનાથી એમની પૌર્વાત્ય (ઓરિએન્ટલ) કલાની તેમજ ભારતીય શાસ્ત્રીય અને લોકકલાઓ વિશેની સમજ અને સૂઝની ક્ષિતિજો વિસ્તરવા માંડી. અહીં યુવાન સત્યજિત રાયની પિક્ટોરિયલ ડિઝાઇન અને કલમ અને પીંછી વડે કરાતી કૅલિગ્રાફીની કલાની અગત્યતાની સમજ વધારે તીવ્ર થઈ હતી. બ્રિટિશ ઍડવર્ટાઇઝિન્ગ ડી.જે. કેમર ઍન્ડ કંપનીના કલાવિભાગમાં નોકરી કરતી વખતે તેમની જાહેરાતી ઝુંબેશોના પોસ્ટરો વ.ની ડિઝાઇનિંગમાં શાંતિનિકેતનના વિદ્યાભ્યાસની અસર પણ વર્તાવા માંડી હતી. એમના દાદા ઉપેન્દ્રકિશોર રૉયચૌધરીએ શરૂ કરેલા બાળકોના સામયિક સંદેશનું ડિઝાઇનિંગ કરવા સિવાય તેઓ અન્ય બંગાળી સામયિક ઍકષણને પણ ડિઝાઇન કરતા. આ સામયિકનું સંપાદન એમના પ્રિય અભિનેતા સૌમિત્ર ચૅટરજી અને નિર્માલ્ય આચાર્ય કરતા હતા. એ કાર્ય એમણે સામયિકની શરૂઆતથી એમના મૃત્ય પર્યંત જારી રાખ્યું હતું. ઍકષણ (અધુના / હમણાં) નામ પણ સત્યજિત રાયે જ આપેલું. સંદેશ અને ઍકષણ સામયિકોના મુખપૃષ્ઠોની ડિઝાઇનોના નીચે આપેલાં નમુનાઓ પરથી સત્યજિત રાયની ટાઇટલ તેમજ ચિત્રશૈલીનો અણસાર મળશે:

 
સંદેશ (ડાબે), ઍકષણ (જમણે); સત્યજિ ત રાયે એમની વિલક્ષણ શૈલીમાં ડિઝાઇન કરેલા બેઉ સામયિ કોનાં શારદીય અંકો, અક્ષરોની સંરચના અને આકૃતિ ઓની શૈલી પણ એટલીજ આકર્ષ ક અને આગવી, વળી દરેક આવૃત્તિની શૈલીઓ વિશિષ્ટ .
(છબી સૌ. વિકિ મીડિયા કૉમન્સ)
 
દેવી (૧૯૬૦) ફિ લ્મ માટે સત્યજિ ત રાયે ડિઝાઇન કરેલો લોગો (પ્રતીક).
(છબી સૌ. વિકિ મીડિયા કૉમન્સ)
 
વિભૂતિ ભૂષણ બંદોપાધ્યા યની બંગાળી નવલકથા આધારિ ત પથેર પાંચાલી (૧૯૫૫) નું સત્યજિત રાયે તૈયાર કરેલું પોસ્ટર.
(છબી સૌ. અરોરા ફિલ્મ કોર્પોરેશન, કલકત્તા )

કૅલિગ્રાફીની કલા સત્યજિત રાયે કલાભવનમાં વિનોદવિહારી મુખરજી પાસેથી શીખી હતી પણ પછી તેને પોતાની રીતે વિકસાવીને એ ક્ષેત્રમાં ટ્રૅન્ડસૅટર બન્યા હતા, એ પણ અંગ્રેજી અને બંગાળી બંને ભાષાઓમાં. ટાઇપોગ્રાફી (મુદ્રણકળા)માં પણ એમનું કૌશલ્ય અને જ્ઞાન અદ્ભુત. એમના માટે મુદ્રા (ટાઇપ) એક સ્વતંત્ર ઇમેજ (છબી) સમાન હતી. ટાઇપની પોતાની શરીરરચના (એનેટોમી) હોય છે એવું તેઓ માનતા. ટાઇપોગ્રાફીના ક્ષેત્રમાં એમણે અદ્ભુત કહી શકાય એવા આવિષ્કારો કર્યાં હતાં જેની, પારિતોષ સેન કહે છે તેમ, તેની પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના યુવાન ડિઝાઇનરોની આખી પેઢી પર ઘેરી અસર પડી હતી અને સરવાળે ટાઇપોગ્રાફીનું સામાન્ય સ્તર ઊંચે ગયું હતું. વળી સત્યજિત યુરોપિયન કલાક્ષેત્રમાં થતાં ક્રાંતિકારી પરિવર્તનોથી પણ ખાસ્સા પરિચિત એટલે બેઉનું જોડાણ (ફ્યુઝન) કરવું એમના માટે હાથવગું હતું. જે વાત વિશેષ રીતે નોંધપાત્ર છે તે એમની ટાઇપોગ્રાફિકલ અને રેખાચિત્રો (ઇલસ્ટ્રેશન)ની શૈલીઓનાં કલ્પનોમાં રહેલું અસામાન્ય વૈવિધ્ય. કેટલાંક દૃષ્ટાંતો જોઈએ: વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની બંગાળી નવલકથા આધારિત પથેર પાંચાલી (૧૯૫૫)થી સત્યજિત રાયની ફિલ્મ કારકિર્દીના મંડાણ થયા અને ત્યારથી બધી ફિલ્મકૃતિઓનાં પોસ્ટર્સ જાતે તૈયાર કરતાં. પોસ્ટરમાં વંચાય છે તેમ પશ્ચિમ બંગાળ સરકાર નિર્મિત આ ફિલ્મનું વિતરણ કલકત્તાની અરોરા ફિલ્મ કોર્પોરેશન કંપનીએ કર્યું હતું. ૧૯૦૭માં સ્થપાયેલો ભારતનો સૌથી જૂનો સ્ટુડિયો હજી કાર્યરત છે. તેની ત્રીજી પેઢીના અત્યારના માલિક શ્રી અંજન બોઝ મારા મિત્ર છે અને મેં તેમના કલકત્તાસ્થિત સ્ટુડિયોની મુલાકાત ઘણીવાર લીધી છે અને પથેર પાંચાલીના આ પોસ્ટરની મૂળ પ્રત પણ નજીકથી નિહાળી છે. એમની બધી ફિલ્મકૃતિઓનાં ટાઇટલ્સ એ કૃતિના વાર્તાવસ્તુને બંધબેસતાં ટાઇટલો, પોસ્ટરો અને અન્ય સામગ્રી સત્યજિત રાય જાતે તૈયાર કરતાં. પણ એમણે ડિઝાઇન કરેલા પુસ્તકોનાં પૂઠાં, સામયિકોનાં આવરણો, અંદરનાં રેખાચિત્રો, મુદ્રાઓ માટે રસિકો ને બાળકો ને મોટેરાં વાચકો એમને સદા સ્મરશે. વળી સદાય સર્જનશીલ રહેતાં સત્યજિત રાયના નામે ચાર પ્રકારનાં અંગ્રેજી બીબાં (ફૉન્ટ્સ) પણ વિશ્વમાં વિખ્યાત છે. એ ચાર ફૉન્ટ્સનાં નામો છે (૧)રે રોમન, (૨) બિઝાર, (૩) ડેફનિસ, અને (૪) હોલિડે સ્ક્રિપ્ટ. ઉપયોગમાં લેવાતાં એ બધાં ફૉન્ટ્સ ફૂટડાં દેખાય છે, જુઓ:

 
ઘડિયાળના કાંટા પ્રમાણે, રે રોમન, બિઝાર, હોલિડે સ્ક્રિપ્ટ અને ડેફનિસ
(છબી સૌ. વિકિ મીડિયા કૉમન્સ)

સત્યજિત રાયે બંગાળી ભાષામાં પણ કેટલાંક બીબાં ડિઝાઇન કર્યાં હતાં. શાંતિનિકેતનના અન્ય કલાગુરુ અને વિખ્યાત ચિત્રકાર કે. જી. સુબ્રમણ્યણ તેમના લેખ ગ્રાફિક ટૅલેન્ટ ઑવ સત્યજિત રાયમાં લખે છે તેમ સત્યજિતની મૂળ આકાંક્ષા ગ્રાફિક ડિઝાઇનર બનવાની હતી. એમના દાદા ઉપેન્દ્રકિશોર રૉયચૌધરીનું છાપખાનું ને પ્રોસેસ સ્ટુડિયો હતો. અને તેમને ઉત્તમ મુદ્રણ, રેખાંકન અને પ્રતિલિપિમાં ઊંડો રસ હતો. અગાઉ કહ્યું હતું તેમ તેઓ બાળકો માટે સંદેશ નામનું બંગાળી સામયિક પ્રગટ કરતાં. સત્યજિતના પિતા સુકુમાર ઘણાં પ્રતિભાશાળી લેખક હતા અને તેમણે મુદ્રણ ટૅકનોલૉજી, ખાસ કરીને હાફટોન પ્રતિલિપિનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં મેળવ્યું હતું. (સત્યજિત રાય: ઍન ઇન્ટિમેટ માસ્ટર, સં. શાંતિ દાસ). આમ સત્યજિત રાયને મુદ્રણકળા, ચિત્રકળા, ટાઇપોગ્રાફિ ને કૅલિગ્રાફિનું કૌશલ્ય વારસામાં મળ્યું હતું જે શાંતિનિકેતનના નંદલાલ બોઝ અને વિનોદવિહારી મુખરજી જેવા મહાન કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ સોળે કળાએ ખીલી નીકળ્યું હતું.

 
સત્યજિતરાયે દોરેલું રવીન્દ્રનાથ ટાગોરનું રેખાચિત્ર.
(છબી સૌ. વિકિ મીડિયા કૉમન્સ)

સત્યજિત રાયના કુટુંબને રવીન્દ્રનાથ ટાગોર સાથે નિકટનો ઘરોબો હતો. સુકુમારને રવીન્દ્રનાથ પ્રત્યે ઊંડો આદર હતો. એમનો નિબંધ ધ સ્પીરિટ ઑવ રવીન્દ્રનાથ ટાગોર, ધ ક્વેસ્ટના ઑક્ટોબર ૧૯૧૩ના અંકમાં છપાયેલો. એ સાથે સુકુમાર રાયે અંગ્રેજીમાં અનુવાદ કરેલી ટાગોરની કવિતા આમી ચંચલ હે, આમી સૂદૂરેર પિયાસિ પણ હતી. સુકુમાર રાય કાલાઅઝારની જીવલેણ બિમારીમાં સપડાઈ ગયા હતા ત્યારે રવીન્દ્રનાથ એમને મળવા જતા અને પથારીવશ સુકુમારને પોતાના કાવ્યોનું રસપાન કરાવતા. સુકુમાર રાય (૧૮૮૭-૧૯૨૩)ના મૃત્યુ વખતે સત્યજિત માંડ બે વર્ષના હતા. એક કલાકની રવીન્દ્રનાથ ટાગોર ફિલ્મકૃતિ સિવાય સત્યજિત રાયે ટાગોરની ત્રણ ટૂંકી વાર્તાઓ, એક લઘુનવલ અને એક નવલકથા પરથી અનુક્રમે તીન કન્યા (સમાપ્તિ, પોસ્ટમાસ્ટર અને મણિહારા), ચારુલતા અને ઘરે બાહિરે ફિલ્મકૃતિઓનું નિર્માણ કર્યું હતું. સત્યજિતનો ટાગોર પ્રત્યેનો આદર પણ અત્યંત ઊંચો. એમનું એક રેખાંકન જોવા જેવું છે. ૧૯૮૬ના વર્ષમાં સત્યજિત રાયના બંગાળી પુસ્તકોનાં પ્રકાશકોએ સંદેશ સામયિકની સિલ્વર જ્યુબિલી (૨૫ વર્ષ)ની ઉજવણી નિમિત્તે સેરા સંદેશ (સંદેશનું સર્વોત્તમ) નામનો દળદાર પૂંઠાવાળો ગ્રંથ બહાર પાડ્યો હતો જેમાં આપણને ગ્રાફિક આર્ટિસ્ટ સત્યજિત રાયનો સારો એવો પરિચય મળી રહે. સત્યજિત રાયને ‘મૅન ઑવ ફિલ્મ્સ ઍન્ડ ફૉન્ટ્સ’ પણ કહી શકાય. આટલી બધી કલાઓના સ્વામી સત્યજિત રાય સિસોટી વગાડવામાં પણ સિદ્ધહસ્ત હતા. આખી ને આખી સિમ્ફની સિસોટી પર વગાડી શકતા. એમની ઘણી ફિલ્મોમાં ક્યાંક સુરીલી સિટી સંભળાય તો નિશ્ચિંતપણે ધારી લેજો કે એ સિસોટીસંપન્ન કલાકાર પણ સત્યજિત રાય જ છે. વળી ક્યાંક કોઈ પુરુષ પાત્રનો કલમથી પત્ર લખતો હાથ દેખાય તો ધારી લેજો કે એ હાથ સત્યજિત રાયનો છે!

વધુ વાર્તાઓનું પઠન
તબક્કાવાર આવતું રહેશે

ઑડિયો રેકોર્ડિંગ સંકલન : 

શ્રેયા સંઘવી શાહ
ઑડિયો પઠન: 

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
કર્તા-પરિચયો: 

અનિતા પાદરિયા
પરામર્શક: 

તનય શાહ
ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત

ગુજરાતી ઑડિયો વાર્તા
સાંભળવા અહીં ક્લીક કરો


» ગોવાલણી » એક સાંજની મુલાકાત
» શામળશાનો વિવાહ » મનેય કોઈ મારે !!!!
» પોસ્ટ ઓફિસ » ટાઢ
» પૃથ્વી અને સ્વર્ગ » તમને ગમીને?
» વિનિપાત » અપ્રતીક્ષા
» ભૈયાદાદા » સાડાત્રણ ફૂટની ઘટના
» રજપૂતાણી » સળિયા
» મુકુંદરાય » ચર્ચબેલ
» સૌભાગ્યવતી!!! » પોટકું
» સદાશિવ ટપાલી » મંદિરની પછીતે
» જી’બા » ચંપી
» મારી ચંપાનો વર » સૈનિકનાં બાળકો
» શ્રાવણી મેળો » શ્વાસનળીમાં ટ્રેન
» ખોલકી » તરસના કુવાનું પ્રતિબિંબ
» માજા વેલાનું મૃત્યુ » સ્ત્રી નામે વિશાખા
» માને ખોળે » અંધારી ગલીમાં સફેદ ટપકાં
» નીલીનું ભૂત » ઇતરા
» મધુરાં સપનાં » બારણું
» વટ » ત્રેપન સિંહ ચાવડા જીવે છે
» ઉત્તરા » બદલી
» ટપુભાઈ રાતડીયા » લીલો છોકરો
» લોહીનું ટીપું » રાતવાસો
» ધાડ » ભાય
» ખરા બપોર » નિત્યક્રમ
» ચંપો ને કેળ » ખરજવું
» થીગડું » જનારી
» એક મુલાકાત » બદામી રંગનો કોટ અને છત્રી
» અગતિગમન » ગેટ ટુ ગેધર
» વર પ્રાપ્તિ » મહોતું
» પદભ્રષ્ટ » એક મેઈલ