હયાતી/હરીન્દ્રની કવિતા
ગુજરાતી કવિતામાં હરીન્દ્ર દવેનો પ્રવેશ રાજેન્દ્ર શાહ–નિરંજન ભગતની કવિતાસૃષ્ટિની આબોહવામાં થયો. રાજેન્દ્ર–નિરંજનની કવિતાને ગાંધીયુગના સંદર્ભમાં જોઈએ તો એ Theametic નહીં, વિષયલક્ષી નહીં પણ સ્વ–રૂપલક્ષી, ટાગોર– પ્રહ્લાદ–શ્રીધરાણી સ્પર્શે કાવ્યસૌંદર્યલક્ષી વિશેષ હતી. ગાંધીયુગની છંદોની ભરમારથી છૂટવા માટે જ કદાચ અને જુદા પડવા માટે પણ આ કવિઓએ ગીતના સ્વરૂપને– ગાયન ન થઈ જાય, પણ કાવ્ય થઈને રહે એ રીતે–નવેસરથી આરાધ્યું ગીતમાં પ્રથમ પંક્તિ ખૂબ જ મહત્ત્વની હોય, છતાંયે ગીતની ઇતિશ્રી પ્રથમ પંક્તિમાં જ નથી થઈ જતી, એનું કાવ્યત્વ અંત સુધી વિકસે છે; એમાં ભાવ લયમાં કેવળ ઘૂંટવાનો જ નથી હોતો પણ લય દ્વારા ભાવવિકાસ અને ભાવ દ્વારા લયવિકાસ સિદ્ધ કરવાનો હોય છે, એ વાતને રાજેન્દ્ર–નિરંજન ઇત્યાદિની કવિતાએ પ્રમાણિત કરી. આ કવિઓ કેવળ ગીતકાર જ ન રહ્યા, પણ એમણે છંદોનું આગલા યુગ કરતાં જુદું તરી આવે એવું એક આગવું રૂપ પણ સિદ્ધ કરવાનું બીડું ઝડપ્યું. છંદ એ વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ નથી, પણ કવિકર્મનો એક વિશેષ છે. અને એ રીતે ઠાકોર પછીની સભાનતા સાથે છંદ ફરી પાછા આગવી મુદ્રાથી પ્રયોજાયા. ગાંધીયુગના કવિઓએ છંદ વિશેની સભાનતા જેટલી મનમાં રાખી હશે, એટલી કાગળ પર પૂરતા પ્રમાણમાં ઉતારી જણાતી નથી. એ કવિઓના મનમાં ઠાકોરની વિચારપ્રધાનતાની વાતે અને યુગલક્ષી આદર્શે એટલી બધી જગ્યા રોકી હતી કે છંદોલય દ્વારા કાવ્ય પૂર્ણ સૌંદર્ય લઈને પ્રગટી શકે એ વાતને એમણે નહીં જેવું સ્થાન આપ્યું. ‘ગંગોત્રી’, ‘નિશીથ’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘ફૂલદોલ’, ‘આરાધના’, ‘ઇન્દ્રધનુ’, ‘પનઘટ’, ‘આલબેલ’–આ બધા સંગ્રહોની પડખે એ પછીના યુગના કવિઓના કાવ્યસંગ્રહોના નામ જુઓ : ‘ધ્વનિ’, ‘છંદોલય’, ‘શ્રુતિ’, ‘આલાપ’, ‘સિંજારવ’, ‘પ્રતીક’, ‘મર્મર’, ‘વિસ્મય’, ‘સંકેત’, ‘સંજ્ઞા’, ‘મનોમુદ્રા’, ‘ઉદ્ગાર’, ‘સ્પંદ અને છંદ.’
રાજેન્દ્ર–નિરંજન પછીના કવિઓએ પ્રારંભમાં આ બે પ્રમુખ કવિઓની છાયાં ઓઢી લીધી હતી, એમના છંદોલયનાં, ભાષાશૈલીનાં અનુકરણો પણ થયાં, પણ કેટલાક કવિઓ ધીમે ધીમે પરિપક્વ થતા ગયા અને અનુકરણની નિઃસારતા સમજાતાં તેમણે અવાજનું અંગત રૂપ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો.
હરીન્દ્રની કવિતાને સમજવા માટે આટલી પાર્શ્વભૂ જોઈ લેવી અનિવાર્ય છે.
કોઈ ૫ણ ભાષામાં સર્જક શૂન્યાવકાશમાંથી પ્રકટતો નથી. માણસનો માણસ તરીકેનો સંબંધ જેમ વંશપરંપરા સાથે છે તેમ સર્જક તરીકેનો સંબંધ સાહિત્યિક પરંપરા સાથે છે. સર્જક ગમે તેટલો આધુનિક હોય અને એણે ભાષાનું અ-પૂર્વ નિર્માણ કરવાનું હોય તોપણ એણે ‘ભાષાકલ્પ’ કરવા માટે પરંપરાપ્રાપ્ત ભાષાનો સધિયારો લીધા વિના છૂટકો નથી. પરંપરા અને આધુનિકતાનો સંબંધ એ સમુદ્ર–મોજાંનો સંબંધ છે.
હરીન્દ્રની કવિતા પરંપરા સાથેનું અનુસંધાન જાળવે છે. કવિ પૂર્વજોનો વારસો ભોગવે છે અને આપકમાઈની મુદ્રા પણ મૂકે છે. સમકાલીનમાંથી પણ જે સ્વીકારવા જેવું તત્ત્વ લાગે એને સ્વીકારવા જેટલી ઉદારતા એમનામાં છે, પણ વાયરો જે દિશામાં ફૂંકાય એ દિશામાં તાત્કાલિક લાભ માટે કલમને પરાણે ઝૂકી જવા દેવી એવી તકવાદી વૃત્તિ એમની નથી.
હરીન્દ્રની સર્જનસૃષ્ટિના નેપથામાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હીટમેન, શ્રી અરવિંદ, માતાજી, ટી. એસ. એલિયટ, હેન્રી મિલર, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, મરીઝ–આ બધાં દૃશ્ય–અદૃશ્યરૂપે દેખાયા કરે છે.
હરીન્દ્ર કહે છે : “યહુદી લેખક એગ્નોનને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે તેણે કહ્યું હતું :
“કઈ કઈ ગાયોના દૂધથી આપણું પિંડ પોષાય છે, તેની આ૫ણને ક્યાં ખબર પડે છે?’ મને આ વાત સાચી લાગી છે. તમારા બાકીના પ્રશ્નોના જવાબ તમને આ વાક્યમાંથી મળી જશે. અત્યારે આવેશમાં એક સર્જકનું નામ આપું તો જેનો ઘણો પ્રભાવ હોય એવા કેટકેટલા, સર્જકો રહી જાય.”
હરીન્દ્રની કવિતાનો સંબંધ પરંપરા સાથે છે અને છતાંયે એ પરંપરાગત નથી. એનો સંબંધ આધુનિકતા સાથે છે, કેવળ સમકાલીન આધુનિકતા સાથે નથી. સાચી આધુનિકતાનો સંબંધ કાળના વિશાળ પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં હોય છે, સમયના અમુક ટુકડા સાથે નહિ. પ્રત્યેક યુગમાં સમકાલીનો તથા કહેવાતા નવીનો સાથે ક્યારેય સમાધાન ન કરનારને સ્વીકૃતિની બાબતમાં એક વર્ગ તરફથી કોઈક ને કોઈક રીતે શોષવું પડતું હોય છે. આ કવિએ સ્વીકૃતિ–અસ્વીકૃતિ બન્નેના અનુભવોને, કવિતાને શોષવું નથી પડ્યું એના આનંદ સાથે નોંધ્યા છે :
‘જે કંઈ રચાય તેના તરફ હૃદયનું ઉમળકાભર્યું વહાલ વરસાવનારાઓ જે એક તરફ છે તો બીજી તરફ છૂટકો જ ન રહે ત્યારે કમને સ્વીકૃતિ આપનારાઓ પણ છે : આ બેઉનું મારા પર અપાર ઋણ છે. એકે મને પ્રેમનો આસવ પાયો છે તો બીજાએ મને છકી જતાં અટકાવ્યો છે.’
હરીન્દ્રની કવિતા અલગઅલગ વાંચીએ છીએ ત્યારે ભરપૂર માણી શકીએ છીએ, ક્યારેક લાગણીની લીલીછમ સુંવાળપ પર ઝૂમી ઊઠીએ છીએ. કવિના શબ્દો એક mood – મિજાજ – વાતાવરણ સર્જી શકે છે. પણ આ કવિતા વિશે વાત કરવી હોય ત્યારે એનું પૃથક્કરણ કરવું મુશ્કેલ બને છે અને એથીયે મુશ્કેલ બને છે એ પૃથક્કરણ કરેલી વાતનું સંયોજન કરવું.
આમ પણ, કોઈ પણ કવિની કવિતા વિશેની વાત કરવાનું કામ ‘પાણીનાં દોરડાં’ વણવા જેવું છે.
કવિતામાંથી મળતો આનંદ કેવળ બૌદ્ધિક નથી હોતો અને એટલા માટે તો કવિતાનો મહિમા છે, પણ કવિતા વિશેની વાત કરો ત્યારે એનો અભિગમ બૌદ્ધિક ન હોય તો ઝાઝું નભી ન શકે.
હરીન્દ્રની કવિતાને કેવળ તર્કથી મૂલવવા જઈશું તો પાછા પડશું અને કવિતાને તર્કથી મૂલવવાની હોય નહીં; કવિતામાં જે તર્ક હોય તે બુદ્ધિવાદીઓના પ્રપંચ જેવો ન હોય; કવિ કોણ હોય, કેવો હોય અને કવિતામાં તર્ક હોય તો કેવો હોય, એ માટે હાથવગું ઉદાહરણ મંગેશ પાડગાંવકરની કાવ્યપંક્તિનું આપું છું :
અને વૃક્ષ
પંખી સાથે ખોટું બોલે નહીં,
એથી જ સ્તો વૃક્ષને ફૂલ આવે છે.
જેમનું હૃદય વૃક્ષોનું તેમને જ ફક્ત ફૂલો આવે
તે જ ફક્ત ગુચ્છા જેવા ચોમાસાને સૂંઘી લિયે.
- * *
ભોળો ભોળો તડકો તેમને ખભે બેસી કૂદવાનો
હરીન્દ્રની કવિતા મનના એકાંતમાં ગુંજવાની છે, ગણગણવાની છે. એમનાં કેટલાંક ગીતો કંઠ સારો હોય તો મોકળે કંઠે ગાવાનાં છે અથવા કાન સારો હોય તો સાંભળવાનાં છે. ફૂલોના રંગોની કલર–કેમિકલ્સના આધારે ચર્ચા થઈ શકતી નથી. તેવું જ કશુંક અહીં બને છે.
આજ સુધીમાં હરીન્દ્ર પાસેથી આપણને મળ્યા બે ગઝલસંગ્રહો : ‘આસવ’ અને ‘સમય’, બે કાવ્યસંગ્રહો : ‘મૌન’ અને ‘સૂર્યોપનિષદ’ તથા એક શ્લોકસંગ્રહ ‘અર્પણ.’
હરીન્દ્રની કવિતામાં ‘જ્યાં જ્યાં નજર ઠરે’ ત્યાં ત્યાં પ્રેમની ઉત્કટ અનુભૂતિના ઉદ્ગારોની મુદ્રા અંકિત થયેલી દેખાશે. ગઝલ અને ગીત તરફ વળેલા હરીન્દ્ર પ્રેમના જંપ–અજંપના કવિ છે. પ્રેમના એક જ તત્ત્વની બે બાજુ એટલે ‘મૌન’ અને ‘સૂર્યોપનિષદ.’ ‘મૌન’ની કવિતાની ગતિ અને ‘સૂર્યોપનિષદ’ની કવિતાની ગતિ એક છે અને એક નથી. ‘મૌન’માં પ્રેમનો વિસ્મય છે, અને ‘સૂર્યોપનિષદ’માં પ્રેમનો વિષાદ છે. આ વિસ્મય અને વિષાદની વચ્ચે હરીન્દ્રની કવિતામાં સુખ અને દુઃખ, જીવન અને મૃત્યુ અવારનવાર વેશપલટો કરીને આવે છે. હરીન્દ્રની કવિતાનું વિશ્વ પ્રેમ અને મૃત્યુના વિષયથી ગંઠાયેલું છે.
આ કવિની કવિતામાં લાગણીનું પૂરતું ઊંડાણ છે, પણ તેનાં વિવિધ પરિમાણ નથી. કવિ વ્યક્તિનિષ્ઠ લાગણીની વાવનાં પગથિયાં એક પછી એક ઊતરે છે, ત્યાંથી પાછા વળી, આત્મલક્ષી કવિતાને અળગી કરીને, પરલક્ષી કવિતાના વિશાળ આકાશ તરફ ક્યારેક મીટ માંડે છે, પણ ત્યાં જોઈએ એવી અને એટલી ગતિ કરતા નથી.
હરીન્દ્રની કવિતા રૉમેન્ટિક છે. એના નિરૂપણમાં ધુમ્મસી સ્પષ્ટતા છે, અસ્વસ્થ સ્વસ્થતા છે, અશક્યતાઓને સાધવાની શક્યતા માટેની મથામણો છે. એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે હરીન્દ્રની કવિતા Romantic Realityની કવિતા છે.
કોઈક વાત યાદ નથી અને કોઈક વાત કહેવાઈ નથી એવા દ્વિધાભાવને હળવેથી ઊંચકીને હરીન્દ્રના શબ્દો ચાલે છે. હરીન્દ્ર લાગણીને ગાઈ શકે છે, વર્ણવી શકે છે, યથાતથ નિરૂપી શકે છે તથા એના વાસ્તવ સાથે ક્યારેક ઊર્મિનું નાટ્યાત્મક સ્વરૂપ પણ સાધી શકે છે.
હરીન્દ્રની કવિતા સ્મૃતિની આકૃતિ છે :
મારા જીવનનું તથ્ય તમારા સ્મરણમાં છે.
(સમય ૫૧)
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.
(હયાતી ૪)
મારો વિરહ સભર છે સ્મરણના ઉભારથી,
(સમય ૬૬)
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
(હયાતી ૧૪૧)
આ ગીત તો કમળની પાંદડી પર ઝાકળના અક્ષરથી લખાયેલું સ્મૃતિનું ઉપનિષદ્ છે. સ્મૃતિની આવી તરણા જેવી ટચલી આંગળીએ જ જીવનનો ગોવર્ધન તોળાતો હોય છે.
હરીન્દ્રની કવિતા ઊર્મિની અંગત રોજનીશી નથી. પણ અનુભવ અને અનુભૂતિના સાધારણીકરણ પછી થયેલો આત્મલક્ષીતાનો આવિષ્કાર છે. માત્ર એમણે જ નહીં, પણ કોઈ પણ આત્મલક્ષી કવિએ કવિ તરીકે પડકાર ઝીલવો હોય તો વહેલામોડે પણ પરલક્ષી કવિતા તરફ વળવું જોઈએ.
કવિ હરીન્દ્રનું કાઠું ઊર્મિકવિનું છે. એટલે ક્યારેક એ પરલક્ષી કૃતિ લખવા જાય તોપણ બહુધા એ આત્મલક્ષી થઈને જ રહે. હરીન્દ્રની કવિતા વિશેષ આત્મલક્ષી અને ક્યારેક સામાજિક, વિશેષ આર્દ્રતાથી તો ક્યારેક કટાક્ષરૂપે, કોપરૂપે કે શાંત પુણ્યપ્રકોપરૂપે પ્રગટે છે. હરીન્દ્રની સમગ્ર સર્જનપ્રવૃત્તિમાં બાહ્ય ઘટનાથી રંગાયેલી કૃતિની અસર સરોવરમાં પસાર થતી નૌકાની રેખા જેવી છે.
“શ્વાસ લઉં છું કે હરુંકરું છું ત્યારે નહીં, પણ કૈંક લખી શકું છું
ત્યારે જ જીવું છું. જીવ્યો છું એવી થોડી ક્ષણે અહીં સમાવાઈ છે.”
“કવિતા લખવી એ મારા માટે સૂર્યની પાસે બેસવા જેવો અનુભવ રહ્યો છે. અનુભૂતિ અને અભિવ્યક્તિના આકાશમાં કવિતાના સૂર્યની ખૂબ નજીક હોઉં ત્યારે સૂર્યના તાપમાં જેની મીણની પાંખો ઓગળી ગઈ હતી એ ગ્રીક પાત્ર ઈકારસની યાદ આવે છે. મારી હયાતીમાં જે કંઈ મીણ જેવું અસ્થાયી હોય એ તમામ પીગળી જાય અને ભલે નીચે તૂટી પડે એ મારી સૂર્યોપનિષદની પ્રાર્થના છે.”
હરીન્દ્રની પોતાને વિશેની અને પોતાની કવિતા વિશેની આ કેફિયત છે : “પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું.” કવિની આ સચ્ચાઈ વિશે આ૫ણને શંકા નથી; શબ્દની એમની ઉપાસના અને શ્રદ્ધા આદરપ્રેરક છે. એમની આ વાતના ધ્વનિનું સરલીકરણ કરીને આપણે એમ પણ કહી શકીએ કે હરીન્દ્ર માત્ર એટલું જ કહેવા માગે છે કે લખવું એ એમનો શ્વાસોચ્છવાસ છે. પણ પોતાની વાત એમણે અહીં જે રીતે રજૂ કરી છે તે એટલું તો સૂચવે જ છે કે જીવન માટેની આવી પૂર્વશરત એ એમનો રૉમેન્ટિક લાગે એવો અત્યાગ્રહ છે.
કાગળ પર શબ્દ જન્મે એ પહેલાં પણ જીવન જીવાતું હોય છે અને જીવન સાહિત્ય જેવું આકારબદ્ધ ન હોય, કારણ કે જીવન સાહિત્ય કરતાં ખૂબ ખૂબ ખૂબ વિશાળ છે; તો સાહિત્ય એ જીવનની કેવળ પડધો પણ નથી, વાણીનું, અવાજનું નિખરેલું રૂપ છે. સમર્થ સર્જકોનો અવાજ એવી રીતે પ્રગટે છે કે પછી જીવન પણ ક્યારેક પડધો લાગે. સર્જકે પૂર્વશરત વિના જીવવાનું હોય છે.
હરીન્દ્રનું સર્વપ્રથમ પુસ્તક : ‘આસવ.’ એ ગઝલ–નઝમનો સંગ્રહ છે. ‘ગઝલ’નો અર્થ જ પ્રિયતમા સાથેની વાતચીત. ‘આસવ’ના પહેલા કાવ્ય ‘હે ધરા!’--નો પ્રારંભ ‘હું તને પ્રેમ કરતો રહ્યો હે ધરા!’--થી થાય છે. હરીન્દ્રની કવિતાને સમજવા માટે આ ‘પ્રેમ’ શબ્દ મહત્ત્વનો છે. પ્રેમ, એનું સાતત્ય, એનો પ્રતિભાવ અને પ્રત્યાઘાત, એની સાથે સંકળાયેલી અપેક્ષાઓ, અપેક્ષાઓને અનિવાર્યપણે અનુસરતી હતાશાઓ, પ્રેમની સાથે સંકળાયેલાં મિલન અને વિરહ, એનો આનંદ અને શોક, એની સાથે સાથે બદલાતો રહેતો મનનો મિજાજ–આ બધું અલગરૂપે નહીં પણ સાથે જ મળે છે. પ્રેમ ધરાનો હોય કે ગગનનો, વાસ્તવિક હોય કે રંગદર્શી, આ અને આવા પ્રેમનું જ તત્ત્વ હરીન્દ્રની કવિતામાં આદિથી અંત સુધી વિસ્તરેલું છે અને વ્યાપેલું છે. આ જ તત્ત્વ કેમ છે એવો પ્રશ્ન આપણે પૂછી ન શકીએ; પ્રત્યેક વ્યક્તિના અસ્તિત્વનું કોઈને કોઈ આધારબિંદુ હોય છે. માણસના પિંડમાં જ એ પડેલું હોય છે. એ બિંદુ જ એની નિયતિ છે. એ ભીતરમાં જ હોય છે, બહારના કોઈ પદાર્થની જેમ પ્રવેશતું નથી.
“Feeling is more than mood, it is a whole way of being, it is the nature you are born with, you cannot invent it. The question is, how to convey a sense of whatever is there, as feeling, within you, to the reader; and that is a problem of technical expertness. I can't tell you how to go about getting this technique either, for that also is an internal matter.”
‘સૂર્યોપનિષદ’ની પ્રસ્તાવના(પૃ. vi)માં હરીન્દ્ર કહે છે : “પ્રેમ એ મારી કવિતા–પ્રવૃત્તિની પ્રથમ અને પરમ નિસ્બત છે.”
I love thee with a love I seemed to lose
With my lost saints, I love thee with the breath,
Smiles, tears, of all my life :–– and, if God choose,
I shall but love thee better after death.
‘મૌન’ના પ્રારંભમાં એમણે Elizabeth Barrett Browning–ની ઉપલી ચાર પંક્તિઓ ટાંકી છે. I love thee...થી પ્રારંભ પામેલો આ શ્લોક ‘death’ શબ્દ આગળ વિરમે છે. આ કવિની કવિતાના બે કાંઠા કોઈને પણ દેખાઈ આવે એવા છે. એમની કવિતા પ્રેમની – પ્રસન્નતાની – અંધારપટ જેવા, મરણતોલ કરી મૂકે એવા વિષાદની – મૃત્યુની અનુભૂતિનો આકાર છે. રાધાકૃષ્ણનાં કાવ્યો કદાચ આ પ્રેમના તત્ત્વનું જ જુદું પરિમાણ છે. ભક્તિ પણ પ્રેમનું જ પરિપક્વ સ્વરૂપ છે. આમ કોઈ ૫ણ રૂપે કે કોઈ ૫ણ રીતે હરીન્દ્ર કવિતા દ્વારા પ્રેમને જ મુખરિત કરે છે. એમનું આ કથન અહીં સામેલ કરવા જેવું છે :
“એટલે જ ક્યારેક આ પ્રેમની ખોજ નરી વાચાળતા તરફ લઈ ગઈ છે તો ક્યારેક એવી ક્ષણ સુધી લઈ ગઈ છે, જ્યાં જીવવું એ અનોખો અનુભવ બની જાય છે! આ ખોજ ક્યાં કવિતા બની છે અને ક્યાં નથી બની એની ચિંતા રહી છે, પણ પરવા નથી રાખી. આ ખોજ હયાતીમાં કરી છે, એટલી જ મૃત્યુમાં પણ કરી છે. કોઈક કોઈક ક્ષણોમાં જ્યાં હયાતી કે મૃત્યુ કોઈનો મહિમા નથી, એવા પ્રદેશનો અનુભવ પણ કર્યો છે. એટલે જ જીવનની કવિતા જો મુખરિત પ્રેમગીત હોય તો તો મૃત્યુની કવિતાને મેં પ્રેમના નિઃશબ્દ છતાં સુઘન લોકમાં પ્રતિષ્ઠિત કરવા યત્ન કર્યો છે.”
નીચેની કાવ્યપંક્તિઓમાં પણ આ જ વાત પ્રતિબિંબિત થાય છે :
ઉભયની ગુપ્ત વાતોને કવનનું નામ આપી દઉં.
(મૌન ૫૨)
રે મન, ચાલ મહોબ્બત કરીએ,
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે.
(મૌન ૪૪)
તું માન કે ન માન માત્ર પ્યાર જિન્દગી.
(આસવ ૧૬)
એક તો દિલનો આ મહાસાગર,
એમાં પ્રેમ સમો કીમિયાગર,
(સૂર્યોપનિષદ ૧૩)
એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
(હયાતી ૭૨)
વ્યક્તિનિષ્ઠ પ્રણય હરીન્દ્રની કવિતાનું પ્રારંભબિંદુ છે અને ધ્રુવપંક્તિ પણ છે. પ્રસન્નતા અને વિષાદનું એ મૂળ અને ફળ છે. હરીન્દ્ર કહે છે :
વનમાં વન નંદનવન, સજની!
મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની
રહી રહીને સંભારું.
(મૌન ૧)
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
(હયાતી ૬૬)
તારા પલકના પ્રેમની કથની છે આટલી,
દુનિયાની સાથે થોડી મહોબ્બત હતી, ગઈ.
(હયાતી ૪૬)
કોઈ હવે નામ તારું કોરી ગયું છે.
મારા જીવતરની એક એક ઈંટે :
(હયાતી ૬૭)
શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ,
(હયાતી ૪૫)
પ્રેમના આ પાગલપનનું રંગદર્શી વલણ ‘આસવ’ અને ‘મૌન’ના તો પાનેપાને જોઈ શકાય છે. ‘સમય’ અને ‘સૂર્યોપનિષદ’માં પ્રેમનું તત્ત્વ રહ્યું છે, પણ પ્રસન્નતાએ વિષાદની દીવાલ તરફ પડખું ફેરવ્યું છે. હરીન્દ્ર માટે મોસમ એ કોઈ પ્રકૃતિની ઘટના નથી, પણ વૈયક્તિક અવસર છે :
હોઠ હસે તો ફાગુન
ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.
તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યા મેં બંધ;
એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.
(હયાતી ૯)
હરીન્દ્ર પ્રણયને જીવનનું ઐશ્વર્ય માને છે અને એમની કવિતામાં પ્રણયસુખનાં કાવ્યોની સાથે કાન્તની કવિતામાં આવે છે એમ
આ ઐશ્વર્યે પ્રણય સુખની હાય આશા જ કેવી!
–નો ધ્વનિ પણ ઘૂમરાયા કરે છે. પ્રણયની કુંડળી શાયર કૈફ ઇરફાનીએ આ રીતે ઉકેલી છે :
મહોબ્બતકી કિસ્મત બનાનેસે પહલે
જમાને કે માલિક તૂ રોયા તો હોગા.
હરીન્દ્ર વ્યથાને આમ રજૂ કરે છે :
મિલન મેં વિરહ ભોમમાં વાવ્યું,
એ ફળ ક્યાંય ફળે તો કહેજો.
(હયાતી ૧૨૧)
A. E. Housman–ના કાવ્યની બે કડીઓમાં જે વાત ગાતાંગાતાં પણ વહેરાઈને કહેવાઈ છે, એવો જ એકરાર હરીન્દ્રની મુગ્ધ અને વિષાદી કવિતાએ કરવો રહેશે :
WHEN I WAS ONE-AND-TWENTY
When I was one-and-twenty
I heard a wise man say,
“Give crowns and pounds and guineas
But not your heart away;
Give pearls away and rubies
But keep your fancy free.”
But I was one-and-twenty
No use to talk to me.
When I was one-and-twenty
I heard him say again,
“The heart out of the bosom
Was never given in vain;
‘Tis paid with sighs a-plenty
And sold for endless rue”
And I am two-and-twenty
And oh, ‘tis true, ‘tis true.
વ્યક્તિનિષ્ટ પ્રીતિની સ્થાપનાની સાથે જ વફાદારી, અપેક્ષાઓના ખ્યાલ ઘેરાવા માંડે છે. “અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ”–માં પ્રેમનો લવારાભર્યો લલકાર છે; એમાં વશ થવાની અને કરવાની ધન્યતાનો ખ્યાલ છે, આ એક ટકી ન શકે એવી અવસ્થા છે, આવેશની બેહોશી છે. વ્યક્તિવશ પ્રેમ સીધી અને આડકતરી રીતે પણ કદાચ બીજી પરિસ્થિતિઓ અને ઇતર અનુભવોથી મનુષ્યને વંચિત રાખે. એક જ વ્યક્તિના સ્વીકારમાં ક્યારેક સમષ્ટિનો અસ્વીકાર પણ થઈ જાય. કોઈ એમ કહી શકે કે પ્રેમનું ગીત તો આ જ હોય ને આવું જ હોય; પણ આ પ્રેમ શાપિત હોય છે. એમાં નિષ્ઠા હોય છે. ચૈતન્યનો આંશિક વિકાસ હોય છે પણ પ્રેમને સંબંધ છે ચૈતન્યના પૂર્ણ વિકાસ સાથે. હરીન્દ્રની વ્યક્તિનિષ્ટ પ્રીતિની વાત અને ગાંધીયુગના કવિ ઉમાશંકરે ‘રહસ્યો તારા’માં મૂકેલી વાત–એ બંનેમાં જુદાજુદા કોણથી લેવાયેલો પ્રેમપદારથ તરફના અભિગમનો ફોટોગ્રાફ છે. પ્રણયકાવ્ય અને પ્રણય વિશેનું કાવ્ય એક ન હોય, એ આપણે સમજીએ છીએ.
પ્રેમના પ્રારંભિક સ્વરૂપમાં હોય છે કેવળ લોહીનો ઉછાળો. આ ઊછળતો અને ઠરતો રક્તલય હરીન્દ્રની કવિતાનો ભાવલય છે; અને એટલે જ પ્રેમના મર્મની પૃચ્છા થતી હોય, તો એનો જવાબ વાણીથી નહીં, પણ આલિંગનથી અપાય છે :
તેં પૂછ્યો પ્રેમનો મર્મ
અને હું દઈ બેઠો આલિંગન.
(હયાતી ૧૦)
હરીન્દ્રનાં કેટલાંક પ્રણયકાવ્યોમાં આવો માંસલ અભિનિવેશ છે. હરીન્દ્રને ખુલ્લેખુલ્લું લખવું છે અને તેઓ લખે પણ છે (હરીન્દ્ર દયારામ અને હેન્રી મિલરના ચાહક છે); પણ પછી સભાન થાય છે ત્યારે એ ધસમસતો પ્રવાહ ક્યારેક રોકાય છે, ઠીંગરાય છે. સહેજ પણ આવરણ વિના આરંભાતું ‘પ્રેમનો મર્મ’ એ ગીત આગળ જતાં આવરણને આધીન થાય છે. આવી સભાનતા ગીતને કથળાવે છે. એમનાં આવાં રતિક્રીડાનો અણસાર આપતાં કાવ્યોમાં “કમલ” હોય છે, એ “શતદલ ખીલેલું” હોય છે અને “કામ્ય” પણ હોય છે, પણ કવિ એ ભાવને સઘન કરવાને બદલે આખી વાતને મલાજાના ખ્યાલથી વીંટી લે છે :
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન.
(હયાતી ૧૦)
વાતને આદિમ અને કુંવારી રીતે મૂકવાનો આરંભ કર્યાં પછી શહેરી ભદ્રતા કવિને નડે છે અને ભાવ ને ભાષા અધવચ્ચે જ સૌમ્યપણામાં અટવાઈ જાય છે.
અન્ય કાવ્યોમાં પણ એ ક્યારેક પ્રારંભમાં પ્રગટે છે, તો ક્યારેક આવો અનાવૃત્ત ભાવ અધવચ્ચે ફૂલે–ખીલે છે ને ઢંકાઈ જાય છે :
ભીંજાતું અતલસને ચીર મારા વાલમનું નામ.
(મૌન ૧૬)
આપણી તે મેડીએ આપણ બે એકલા
ને ફાવે તેવી તે રીત મળજો,
(મૌન ૨૪)
આમ, ભાવને ખુલ્લો કરીને છાવરવાની લીલા–કહો કે સંતાકૂકડી ચાલ્યા કરે છે.
પ્રેમની મુગ્ધતા, ઉલ્લાસ અને દયારામીય મસ્તી, દયારામ જેટલી ખુલ્લી રીતે નહીં, ઢંકાઈને રજૂ થાય છે :
રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી,
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
(હયાતી ૬૬)
‘તરણએ પહેરેલાં ઝાકળનાં નેપુર સાંભળવા’ જેટલો સરવો કાન ઝંખતા કવિ હવાનું સ્વરૂપ પણ કેટલી કલાત્મકતાથી પ્રત્યક્ષ કરે છે! હવાની સૌરભગર્ભ ગતિ બતાવવી, હવાનો હાથ કલ્પવો અને એ હાથને ઊઘડેલા ફૂલની શિશુહથેલીમાં મૂકી દેવો—આવું સુંવાળું શિલ્પ એ હરીન્દ્રની કવિતાના નજાકતભર્યા વૈભવનો પરિચય આપવા સમર્થ છે. હવાને રૂપ આપે અને ધુમ્મસને ઘાટ આપે એવા આ કવિ છે.
આવાં કાવ્યોમાં વસંતનું તોફાની લાવણ્ય છે, મુગ્ધતા, લજ્જા અને છલકાઈ જવાનો છાક છે, મૂંઝવણ પોતે મૂંઝાઈ ગઈ હોય એવી એની વ્હાલી લાગતી વિમાસણ છે. આ તોફાનની સાથે સાથે ક્યારેક અરસપરસની છેડછાડ કરતી ચતુરાઈ કે ‘ઉખાણું’માં છે એવી ચબરાકી પણ નથી એમ નહીં.
હરીન્દ્રને ઘણીવાર મજાકમાં (ગંભીર વાતને મજાકમાં કહેવાની પણ મજા હોય છે) હું For Adults Only–ના કવિ કહું છું. ‘મોગરાની આગ’ના આ કવિને ‘કોળેલો કેસૂડો શીતળ’ લાગે છે. એમણે કેટલાંયે કાવ્યોમાં ફૂલોની ભાષામાં પ્રેમ અને શરીર બંનેની વાત કરી છે :
દૂર દૂર ફોરમની પીળી વેણીમાં
એક લાલ રંગ વીંધે થૈ સૌયો.
(મૌન ૩૮)
ઓતરાદી ફોરમ આ શોધે છે દખ્ખણના
વાયરાને મળવાનો લાગ,
- * *
દખ્ખણના વાયરાએ ચૂમી ભરી ત્યાં બધી
કળીઓને ફૂટી છે પાંખ;
(મૌન ૮૩)
અંબોડે ગૂંથી કળી ચંપાની એક
જરા ચૂમી ત્યાં જાસૂદનું ફૂલ,
બેઉ આ હથેળી વચ્ચે હસતું કમળ
ક્યાંક વાસંતી વાયરાની ભૂલ.
(હયાતી ૧૦૧)
હરીન્દ્ર આવાં કાવ્યોમાં “A Language of Flesh and Roses” –નો વિનિયોગ કરતા હોય એવું લાગે છે.
હરીન્દ્રને માટે ક્યારેક એવું પણ કહેવાનું મન થાય કે The poet is perhaps too much in love with his own concept of love.
તપતી નજર કેરા સ્પર્શે ઊડી જાય એવું ઝાકળ
એ નથી મારો પ્રેમ.
(મૌન ૫૭)
અગસ્ત્ય ન શોધી શકે
એવા પ્રેમસાગરમાં
ડૂબી તરવાનો તને આવડે છે મંત્ર?
(મૌન ૫૮)
આ ત્રણ અબજ માણસોને
નથી સમજાયો એ અર્થ
તારા હોઠ પર મઢેલા ગાઢ ચુંબનમાં હોય કે ન હોય,
મારાં બિડાતાં પોપચાંમાં અવશ્ય છે.
(હયાતી ૬૪)
પ્રેમની કવિતા એ ‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતા ઉડાવતા લખવાની વસ્તુ નથી. કવિ આવી પરિસ્થિતિનો ઉપહાસ પણ કરે છે અને કહે છે :
અને...
કવિ પ્રેમની કવિતા લખે છે,
‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતાં ઉડાવતાં.
(હયાતી ૮૮)
કોઈક બિંદુ પર પ્રેમ અને ભક્તિ જાણે એક ન થઈ ગયાં હોય એમ કવિ ગાઈ ઊઠે છે :
મને તમારી સંગ પ્રભુની પરમ ક્ષણોમાં
અમલપિયાલી મળી.
(હયાતી ૧૧૧)
હરીન્દ્ર પ્રેમમાં આધ્યાત્મિકતા જુએ છે અને આધ્યાત્મિકતામાં પ્રેમ.
હરીન્દ્રની કવિતામાં મૃત્યુનો રહીરહીને સંભળાયા કરે એવો એક અવાજ તરતો રહે છે. એમની ‘અગનપંખી’ નવલકથાના પ્રારંભ અને અંતમાં મૃત્યુ છે. ‘પળનાં પ્રતિબિંબ’ પણ મૃત્યુને જ નિરૂપે છે. ‘અનાગત’માં વ્યક્તિના મૃત્યુની સમાંતરે ઓલવાતા ગામડાની, ઓસરતી પરંપરાની વાતનો સંકેત છે. કવિતામાં પણ મૃત્યુ ખાસ્સી જગ્યા રોકે છે. કોઈ પૂછી શકે કે મૃત્યુનો આવો કોલાહલ શા માટે? કદાચ જીવનની વાત મૃત્યુના સંદર્ભમાં જ પૂરેપૂરી પ્રગટતી હશે એટલા માટે?
નાજુક ક્ષણોમાં કોલ
મેં મૃત્યુને દઈ દીધો,
મારી જીવનની સાથે
મુલાકાત થઈ પછી.
(મૌન ૫૪)
આ સર્જકના સ્થાયીભાવ–વિષય તરીકે મૃત્યુ સ્થપાઈ ગયું છે. હરીન્દ્રની કૃતિઓમાં ‘A rectangle of thick death under the black sky.’ નો અનુભવ થયા કરે છે. હરીન્દ્રએ શૈશવમાં પિતા ગુમાવ્યા છે, એટલે પણ કદાચ આ ભાવ દૃઢ થયો હશે.
આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને જીવને બોલાવ્યા કરતું હોય, એવી એની ખૂબસૂરત માયા લાગી છે અને એટલે જ “ઘેરા ઘેનની કટોરી પાતો” બધા જ સંબંધોને અળગા કરીને, “એક દુવાર બંધ કરીને કેટલાય મારગોને આંખમાં સમાવીને ધૂપ થઈ ઊડી જવાની” તાલાવેલી પ્રકટ કરતો સાદ સંભળાય છે :
કોઈ આઘે આઘેથી વેણુ વાય છે.
રે મને ‘જાતી રહું’ ‘જાતી રહું’ થાય છે.
(હયાતી ૨૪)
મૃત્યુ જાણે કે કોઈ પ્રિય વ્યક્તિ હોય અને એ પ્રતીક્ષા કરતી બેઠી હોય—એ પ્રેયસી હોય, એ રીતે નિરૂપાયું છે :
સ્હેજ હસી લ્યો, હોઠ,
નેણ, નીરખી લ્યો દુનિયા,
સામે તીર ઝુકાવો, સાજન,
એ અણજાણ્યા તટે કોઈનાં,
મીટ માંડી બેઠાં લોચનિયાં.
(મૌન ૧૧૦)
અલબત્ત, આ સૃષ્ટિ કવિને “સૌમ્ય મનોહર ઉપવન” લાગી હોય તોપણ અને ક્યારેક “શ્વાસનો કાફલો દૂરની સફર પર” નીકળી પડે પછી “માર્ગ મુશ્કેલ” લાગે તોપણ, આ “વસંતનો વૈભવ” છોડીને “સૂકા રણની યાત્રાએ” નીકળી પડતો જીવ કહે છે :
આ સૌમ્ય મનોહર ઉપવનમાં હું ફરી નહીં પગ મૂકું,
- * *
મનથી મેલ્યાં ડાળનીડ અવ ચરણ કહે ‘નહીં રુકું.’
(મૌન ૧૧૧)
મૃત્યુ એ પૂર્ણવિરામ નથી, એવી કવિની પરંપરાગત કે પ્રતીતિગત માન્યતા છે. એટલે જ તો એક શાયરના મૃત્યુ નિમિત્તે લખાયેલી ‘મૃત્યુ’ નામની કૃતિમાં કવિ કહે છે :
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
- * *
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
- * *
દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
- * *
કોઈ મહેફિલથી ઊઠી જાય, તો મૃત્યુ ન કહો.
(હયાતી ૨૮)
મૃત્યુના બાહુપાશમાં વીંટળાયેલા કવિના શબ્દો જોઈએ :
પોતાની ઉતારેલી કાંચળીઓ પાસેથી
સર્પ પસાર થઈ જાય એ રીતે
હું મારા શતસહસ્ર મૃત દેહો પાસેથી પસાર થઈ જાઉં છું.
એક જ જન્મનાં આ પારાવાર મરણોનો
વિલાપ કરવા એક પળ પણ ક્યાં મળે છે?
(મૌન ૬૬)
કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું,
હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.
(હયાતી ૪૩)
જીવનમાં રસ નથી, નથી મૃત્યુનો ઇંતેઝાર,
મરવાના ખ્યાલમાં ઘણી લિજ્જત હતી, ગઈ!
(હયાતી ૪૬)
સળગી જવા દો, જેથી સ્વજન ઘેર જઈ શકે
મારી ચિંતાને થોડી હવા દો કે હું નથી.
(હયાતી ૪૭)
પણ
આ બધાં વચ્ચે
ક્યાં ગયો
મારા મૃત્યુનો અવાજ
જે હજી હમણાં જ
મેં સાંભળ્યો હતો!
(હયાતી ૭૩)
એક વળી પર કસીકસીને બાંધો મારો દેહ
અને જોજો કે રસ્તે ક્યાંય ચસે ના,
આ મારગ, આ માટી સંગે એવો એનો નેહ
કે એનું ચાલે તો એ ક્યાંય ખસે ના.
(હયાતી ૭૫)
અમથો ઉઘાડબંધ કરવાને મથતો’તો
મોતનું તો ક્યાંય નથી બારણું :
ખાલી હિલોળા હજી નાખું છું,
જિંદગીનું જોવા મળ્યું ન ક્યાંય પારણું!
(સૂર્યોપનિષદ ૨૪)
મૃત્યુને જોઈ હવે હું છળી મરતો નથી :
એના ક્ષેમકુશળ પૂછું છું.
(હયાતી ૭૪)
કેવી હૂંફભરી પ્રજળે છે મારી કેસરવરણી ચેહ
કે અડવું લાગે જ્યારે કોઈ હસે ના.
(હયાતી ૭૫)
મને વિદ્યુતની ચિંતા નથી ગમતી.
કાષ્ઠ પર કાષ્ઠ ગોઠવાય તો કેવું સારું!
(સૂર્યોપનિષદ ૩૧)
પ્રભુના ક્રમમાં સહજ મોત લખાયું તો હતું,
એ વાત બીજી છે, ધીરજ આ ત્યાં લગી ન રહી.
(હયાતી ૫૫)
જીવન અને મૃત્યુ એકસાથે ઊભાં રહી
સાવ અજાણી અને અલગ અલગ
ભાષામાં વાતો કરે છે.
(હયાતી ૫૭, ૫૮)
આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે?
(હયાતી ૭૨)
આથી વધુ સમયને ખુલાસો નહીં મળે,
વ્હેતો હશે સમીર ને શ્વાસો નહીં મળે.
(હયાતી ૫૦)
જીવનની પાર વસેલા કોઈ પ્રદેશ સુધી
પહોંચવાનો સામાન તૈયાર છે?
નહીં?
(હયાતી ૬૩)
જેને તલાશ હશે જાગૃતિના પૂર્ણવિરામની.
(હયાતી ૬૪)
મને જિવાડવાના પ્રયત્નોના ભરમ વચ્ચે
આ મૃત્યુ અસહ્ય છે.
રાનમાં સુકાતા વૃક્ષની માફક
મને કેમ કોઈ મરવા દેતું નથી?
(હયાતી ૮૨)
મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.
(હયાતી ૧૨૯)
હરીન્દ્રને મૂંઝવતી જો કોઈ વસ્તુ હોય તો તે સીમા છે. પ્રેમ પણ કદાચ એમને એટલા માટે ગમતો હશે કે અંતે તો વ્યક્તિના માધ્યમ દ્વારા એની સાર્થકતા સીમા-વિહીનતામાં છે. વેદનાને ઝંખતો અને તમામ વેદનાના પૂર્ણવિરામ રૂપે મૃત્યુની ઇચ્છાને પંપાળતો આ જીવ, એટલે જ કહે છે :
આ આંખ-કાન-નાઠ-જીભ-ત્વચા
બધાંથી ઘેરાયેલો છું–
(હયાતી ૭૪)
આ શરીર અને મન એ સીમા છે :
મને એક પ્રગાઢ આકર્ષણ આપ,
જેને સામે છેડે તું હો!
મને એક પ્રચંડ તાણ આપ,
જે આ પિંજરને તોડીફોડી મને મુક્ત કરી શકે!
(સૂર્યોપનિષદ ૮૦)
જે કંઈ પ્રગટ થાય છે એ સીમાબદ્ધ છે–પછી એ પ્રગટ થતું જીવન હોય કે શબ્દ, એટલે જ ક્યારેક આવી શરત અને આવી આરતથી કવિ કહે છે :
શબ્દોની સંગત દઉં છોડી મારી સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
(હયાતી ૧૦૬)
હોલાની ઘૂ–ઘૂના કિલ્લામાં કેદ, મને
ત્યાંથી મા, ક્યારે છોડાવશે!
(સૂર્યોપનિષદ ૮૦)
હરીન્દ્ર વેદના–સંવેદનાના કવિ છે. વ્યથાને વરદાન સમજનારા, અઢળક દેખાતી વેદનાને પણ ‘લીંબુ-ઉછાળ’ વેદના કહેનારા કવિ છે.
આ વેદનાનું મૂળ ક્યાં છે? બાહ્ય પરિસ્થિતિમાં કે મનુષ્યની પોતાની પ્રકૃતિમાં? એનો ઉત્તર જુદાં જુદાં ખાનાંમાં હા કે ના મૂકીને આપી ન શકાય. સર્જક કોઈક ને કોઈક રીતે ઘવાયેલો, વીંધાયેલો હોય. પોતાથી, અન્ય વ્યક્તિથી, દૃશ્યોથી, પરિસ્થિતિથી, સમાજથી–પણ એણે પંખીની જેમ ચિત્કાર કરવાનો નથી હોતો, વાલ્મીકિની જેમ સાક્ષી થવાનું હોય છે. કવિતાનું ઉદ્ભવસ્થાન જેમ વેદના હોઈ શકે તેમ આનંદની પરાકાષ્ઠા પણ હોઈ શકે. વેદના કે આનંદની પરાકાષ્ટાએ હોય છે કેવળ મૌન; અને કવિતા વેદના અને આનંદના ભેદમાંથી નહીં, પણ એ બંનેના અનુભવોના ચરમ બિંદુએ પહોંચતા મૌનનો જે સાક્ષાત્કાર થાય છે એમાંથી, વાણી રૂપે અવતરે છે. આ અર્થમાં કવિતા એ મૌનગંગોત્રી છે.
હરીન્દ્ર ‘દર્દકી દૌલત’ લઈને બેઠેલા કવિ છે. વેદનાના આ ચરુઓ કયા વૃક્ષ તળેથી દટાયેલા મળી આવ્યા છે? જીવનના પ્રત્યક્ષ અનુભવો અને વાચનના પરોક્ષ અનુભવો જાણે કે એકમેકનો તાળો મેળવે છે; એટલે તો હરીન્દ્ર આવી પંક્તિ લખી શક્યા છે :
કોષનાં વેરવિખેર પાનાંમાં
પ્રેમ–ધિક્કાર–વિશ્વાસ–અશ્રદ્ધા
આ બધાંનો એક જ અર્થ વંચાય છે : અંધકાર.
(હયાતી ૬૩)
શક્ય છે કે સમય જતાં પ્રેમની પ્રસન્નતાનો અનુભવ ઓસરી ગયો હોય અને એની વ્યર્થતા પૂરેપૂરી સમજાઈ ન હોય, એથી જ વિષાદને મોકળો માગ મળતો હોય. જીવનમાં વેદનાપ્રદેશનો નકશો ક્યાંથી આરંભાય છે એનો અણસારો કવિએ ક્યાંક આપ્યો છે :
મેં એને ચિક્કાર પ્રેમ કર્યો છે,
ઝંખ્યું એનું સદાનું સાન્નિધ્ય :
થોડીક નિકટતાએ જિંદગીભરની તરસ આપી છે;
(હયાતી ૧૩૮)
માયરામાં મોજડીએ દીધો છે ડંખ
- * *
મધરાતે વેદીમાં અગ્નિ પ્રજળ્યો,
કે સાંજે સૂરજ ભૂલ્યો’તો થોડો તડકો!
(હયાતી ૧૩૧)
હરીન્દ્ર વિષાદને વહાલ કરતા કવિ છે.
થોડો ઉદાસ છું અને માફક હવા નથી.
(હયાતી ૫૩)
વિષાદ કેટલો ઘેરાયો, આંખ રોઈ નહીં,
વિરહની કાળી હવાઓ કોઈએ ધોઈ નહીં.
(સમય ૯)
સૂરજની સાથે સાથે ઊગી જાય વેદના,
આંખો–ઉઘાડું એવી ઊગી જાય વેદના.
(સમય ૪૧)
આ વેદનાની વાત દાદ આપી સાંભળો.
(હયાતી ૪૮)
વેદના વધતી ગઈ, તોપણ ઘણી ઓછી પડી,
પૂર્ણિમાની રાતે જાણે ચાંદની ઓછી પડી!
(સમય ૪૭)
થોડી વધારો મારી વ્યથાઓ કે હું નથી.
(હયાતી ૪૭)
ગમે છે એટલો તૂરો હવે મિજાજ નથી,
હું જેવો જોઈએ એવો ઉદાસ આજ નથી.
(સૂર્યોપનિષદ ૨૧)
ઘૂંટાયેલી ઉદાસીનો અનુભવ કર્યા પછી એક બિંદુ એવું પણ આવે છે કે જ્યારે ઉદાસી ઉદાસી રહેતી નથી. ‘दर्द का हद से गुजरना है दवा हो जाना’ અને એ પ્રસન્નતા પણ નથી હોતી; પણ કોઈક વિરોધ અને વિરોધાભાસની વચ્ચે જીવ લહેરાયા ને વહેરાયા કરતો હોય છે; ક્યારેક એની વાત ઉદ્ગાર રૂપે પ્રગટે છે તો ક્યારેક ચિત્કાર રૂપે :
આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલક્તિ કરે એવું ગીત રચવું છે.
- * *
આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે.
(હયાતી ૬૧)
‘હવા ફરી ઉદાસ છે’ એવી એક પંક્તિ કવિ લખે એનો અર્થ એ કે કવિ કોઈ પૂર્વઉદાસીને ઝંકૃત કરે છે. ‘આજની રાત હું ઉદાસ છું ને મારે ખડખડાટ હસી લેવું છે’ આમ હાસ્ય દ્વારા પણ ઘૂંટાતી અને ઘેરાતી ઉદાસીનાં અનેક સ્વરૂપો અહીં જોવા મળે છે.
‘મૌન’માં કેવળ મૌન હતું :
હું તો કેવળ મૌન લઈ
ઊભો છું તારે દ્વાર.
(મૌન ૨)
એ મૌન હવે ‘કેવળ’ ન રહેતાં ઉદાસીના પર્યાય જેવું સ્તબ્ધ થઈ ગયું છે :
મારા એ સ્તબ્ધ મૌનને
કોઈ ઉદાસીનું નામ આપે છે,
(હયાતી ૫૮)
હરીન્દ્રની કવિતાના સ્પષ્ટ રીતે વરતાઈ આવે એવા પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ છે :
કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
(હયાતી ૧૦)
એમ કહેનાર કવિ હવે કહે છે :
મારા એકલવાયાપણાની જાણ એને ન કરતા :
એ મને પ્રેમ કરશે
અને મારી એકલતા ઓર વધી જશે.
(હયાતી ૬૦)
હરીન્દ્રની કવિતાનો પૂર્વાર્ધ મિલનને, પ્રસન્નતાને, સભરતાને મોકળે મને ગાય છે, તો એનો ઉત્તરાર્ધ એકલતાને. આ બંને અંતિમોની વચ્ચે જ ક્યાંક, ક્યારેક અને કદાચ પ્રેમનું સ્વરૂપ સિદ્ધ થતું હશે.
‘સૂર્યોપનિષદ’માં વિષાદ જ સૂર્ય છે. ‘મૌન’ની મુગ્ધતા હવે દંતકથા જેવી લાગે છે. કોઈક અકથ મથામણ શબ્દો સોંસરવી નીકળીને પ્રવાસ કરતી હોય એવો ૫ણ અનુભવ થાય છે. માણસ એકલો છે અને સાવ એકલવાયો છે. એકલતા એ જ જાણે કે શાશ્વત સત્ય છે, તે એટલી હદે કે કદાચ આ ક્ષણે, આ ક્ષિતિજે એ ડૂબે તો પણ બીજી ક્ષિતિજે ફરી પાછી ઉપસે.
“અશક્યની ડાળી પર” (સૂર્યોપનિષદ ૪) “બેઉ પાંદડાં” (હયાતી ૬૨) જેવા સંબંધોમાં નિરૂપાયેલી વિષમતા અહીં અનેકવાર વમળ થઈને ચકરાય છે. પ્રેમ જેવી વિરાટ શક્યતા અશક્યતામાં કઈ કઈ રીતે ફેરવાતી હશે, કે પ્રેમ શબ્દની ક્યારેક ખુદ પ્રેમીઓને હાથે તો ક્યારેક સમાજને હાથે જે વિડંબના થતી રહે છે એનો પણ કાર્ડિયોગ્રામ અહીં મળે છે.
હૃદયતલમાં લાગણીની કોઈક કૂંપળ મોડીમોડી ફૂટી હોય તો એ વરદાન છે કે શાપ એ પ્રશ્ન કવિને કનડે છે, તે ‘હવે’ નામના સૉનેટમાં જોઈ શકાય છે :
હવે પુષ્પો ખીલ્યાં પણ ન સહવાસે સુરભિને
લઈ શ્વાસે વાટે વિચરવું હવે શક્ય; અવ ક્યાં
તમારા હૂંફાળા કર મહીં મને સાંત્વન? તમે
રડો તો આ સ્કંધે તવ શિર સમાવી નવ શકું.
પ્રભુ પૂછું આ શું અકળ વર કે શાપ? હમણાં
ઉરે મારા ખીલે પ્રિયસ્મરણનાં ફૂલ નમણાં.
(હયાતી ૬૫)
અને આ પ્રશ્નનો ઉત્તર પણ એમના જ અન્ય કાવ્યમાંથી પામી શકાય :
ડેડલેટર ઑફિસમાં પડેલા કાગળની માફક
કોના માટે લખાયો છું એ જાણું છું,
પણ ત્યાં સુધી પહોંચાડે એવી કોઈ એંધાણી ક્યાં?
(હયાતી ૭૦)
ભાન અને અભાનની ક્ષણોની વચ્ચે, આયાસ અને અનાયાસની વચ્ચે કવિનું સ્વચિંતન જલ્પનામુખરિત થઈ રહે છે. કહી કે એ જાત સાથેના–જગત સાથેના વિસંવાદમાંથી ઊભો થયેલો સંવાદ છે. જીવન અને મૃત્યુનાં બે અંતિમોની વચ્ચે, પ્રકાશ અને અંધકારનાં બે બિંદુઓની વચ્ચે, અલગ-અલગ ભાષામાં થતી વાતો અને અવાક્ સ્તબ્ધ મૌનની વચ્ચે જે ઊગે છે તે ઉદાસીનું સત્ય.
જ્યોતિષની ભાષામાં કહેવું હોય તો, હરીન્દ્રની કવિતાનો શુક્ર બળવાન છે. આ શુક્રમુખી કવિતાને શૃંગારનો શ્યામ રંગ તથા ઉદાસીનો ભૂખરો રંગ લાગ્યો છે.
‘મૌન’માં Giuseppe Ungarettiનો શ્લોક હરીન્દ્રએ ટાંક્યો છે, (પૃ. ૫૯); એની And I feel in exile among men. એ પંક્તિ હરીન્દ્રની કવિતામાં રહીરહીને ઘૂંટાતા એક ભાવને ઉઘાડી આપે છે :
મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
(હયાતી ૭૧)
તિથિ એટલા ઓચ્છવ
એને મળ્યા એટલા મેળા,
(મૌન ૩૨)
એમ ગાનાર કવિનો મેળાનો ખ્યાલ તો છે કેવળ પ્રિય વ્યક્તિનો સંગ. એ હોય ત્યારે જ આવી પંક્તિ મ્હોરી ઊઠે છે :
હવે મેળાના છાકમાં છલોછલ છીએ.
(સૂર્યોપનિષદ ૧૪)
પણ એમની કવિતામાં આવા મેળાના છાકની વાત નથી. એમાં છે મેળાના થાકની વાત.
‘મેળો’ શબ્દ સાથે આનંદ–ઉત્સવનો ભાવ સંકળાયેલો છે, પણ આ કવિને મેળાનું એક વિના–પ્રિય વ્યક્તિ વિના–કોઈ મૂલ્ય નથી. ‘થાક લાગે’ એ ગીતમાં કવિ કહે છે :
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે,
(મૌન ૨૦)
ઝંખના એકાન્તની છે, પણ મેડીના. બે વ્યક્તિઓના મ્હોરતા એકાન્ત પર લોકોની નજરનો ડાઘ લાગે છે અને એ અસહ્ય છે. એમ પણ કહી શકીએ કે મેળાનો થાક છે એટલે જ એકાન્તની ઝંખના છે.
નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
અહીં આવે ને જાય લાખ લોક,
(હયાતી ૧૧)
માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ,
આમ અળગો અળગો તે શીદ ચાલે,
(હયાતી ૧૨)
અરણ્યનું એકાન્ત વટાવ્યું
શરૂ થઈ સ્મશાનની સીમા,
બહુ દૂર નથી જનપદ
ચરણ ઉપાડો જરા ધીમા.
(મૌન ૩૫)
હરીન્દ્રની કવિતામાં પ્રિય વ્યક્તિના મેળ વિનાના મેળાની અકળામણનું નિરૂપણ, ‘Crowded desert’ના થાકની વાત એકથી વધુ વાર વહેતી થઈ છે :
તારે આંગણ ઉભરાયેલા મનખાના સમ
મને મેળામાં મળતાં ના આવડે,
(સૂર્યોપનિષદ ૬૩)
આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
(સૂર્યોપનિષદ ૬૪)
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાંની ભાત પડી ચીલે;
(હયાતી ૧૦૬)
ચહે! ઓ જોઈ જોઈ થાક્યો છું, દેવ,
(સૂર્યોપનિષદ ૬૭)
કેટલા ચહેરા ભરે પહેરા!
(મૌન ૩૧)
આ થાકની પણ અથાક પંક્તિઓ કવિની કલમમાંથી ઝર્યા કરે છે :
આજે સમયને થાક ચડ્યો છે સવારથી,
(સમય ૫)
રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.
(હયાતી ૭૧)
થાકી ગયો જગતના ઘણા કામકાજથી.
(સમય ૨૫)
જીવતરના થાક સાથે હું જાગું છું રોજ રોજ,
(હયાતી ૪૯)
જીવતરનો કીમિયો એ સમજાવો, દેવ
મને ખાલી જીવતરનો ચડે થાક;
(સૂર્યોપનિષદ ૮૧)
* * *
આ વેળા વહી જાય છે એની વાતનો પ્રવાહ પણ હરીન્દ્રની કવિતામાં ગીત, છંદ કે અછાંદસનો લય લઈ ને વહે છે. એ ક્યારેક પ્રણયની ક્ષણને સ્થિર કરવા ઝંખે છે, તો ક્યારેક આ વેળા વહે છે કે નથી વહેતી એનું આલેખન કરે છે :
કેમે ના રોકાતી જોવનાઈને મેં આણ દઈ
રોકી રે રાખી છે અડધે વેણ;
(મૌન ૨૫)
એક પળની શિલા શેય ખસતી નથી,
કાલનો પહાડ કઈ રીત ઓળંગવો?
(મૌન ૨૬)
રૂપાળી વાત માંડી જો સમયનું વ્હેણ રોકો તો,
(મૌન ૫૨)
વેળા આ પીપળાનાં પાન પરે રોકાતી
(સૂર્યોપનિષદ ૧૨)
છે થીર હજી વેળાના કાચબાના પાય,
(સૂર્યોપનિષદ ૭૪)
પ્રિય વ્યક્તિ સાથેના સંગાથની ક્ષણને ઝીલવી અને ઝાલવી, એ ક્ષણને થંભાવી દેવી, એ ભાવ અવારનવાર પ્રગટ થતો રહ્યો છે :
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂંકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.
વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
(હયાતી ૧૪)
જાતી રે વેળાને ઝાલી રાખીએ
(મૌન ૪૫)
વેળાની વેણુતણા વ્હેણે મને તાણી;
(મૌન ૧૨૨)
કદીક પાંખ મળે છે, કદીક પાય કપાય,
સમયની સાથે તને શું કોઈ સગાઈ છે?
(હયાતી ૪૩)
બંધ આ હથેળીમાં ગોપવી’તી વેળા એ કોણ જાણે ક્યારે વછૂટી,
(હયાતી ૬૮)
શાયદ સમયનું માપ ભુલાઈ ગયું હવે
ગણવા સિતારા કેટલી ફુરસત હતી, ગઈ!
(હયાતી ૪૬)
ચાલો, સમયની પાર જવા હક નહીં કરું.
(હયાતી ૪૮)
સમયની મહામૂલી સોગાત
વીખરતી જાણે રાતોરાત,
(હયાતી ૧૨૧)
હરીન્દ્રએ એક ગઝલસંગ્રહનું નામ ‘સમય’ આપ્યું છે અને પોતાની નવલકથાઓમાંથી એકનું નામ આપ્યું છે ‘પળનાં પ્રતિબિંબ.’ કવિ કદાચ એમ માનતા હોય કે મનુષ્ય માત્ર સ્થળમાં નહીં, પળમાં પણ અને પળ પૂરતો જ, જીવે છે. પ્રત્યેક પળને એનું વ્યક્તિત્વ, એનું અખંડત્વ, એનું છિન્નત્વ, એનું ભિન્નત્વ, એનો આનંદ અને એનો કરુણ હોય છે.
આસ્ફાલ્ટની સડક પર
નીકળેલા યાતનાઓના સરઘસની
નેતાગીરી મારે લેવી નથી;
માર્ગ પર મળતા ચહેરાઓની
વેદના વાંચવાની મને ફુરસદ નથી.
(હયાતી ૫૮, ૫૯)
આમ કહેતા હરીન્દ્રની કવિતામાં સમકાલીન યુગની ઘટનાઓ સામગ્રી નથી થતી એમ નહીં; આસપાસના વાતાવરણનો–એટલે કે સમાજમાં અને જગતમાં જે કાંઈ બને છે કે નથી બનતું એની ઘટનાનો સામગ્રી તરીકે કવિ ઉપયોગ કરે છે, પણ એ ક્યારેક જ.
પત્રકાર હરીન્દ્રને બાહ્ય ઘટનાઓ સાથેનો નાતો પહેલેથી જ રહ્યો છે; પણ એ સવિશેષ આત્મલક્ષી કવિ છે; એટલે કોઈક બાહ્ય સામગ્રીની સંવેદનશીલતા પર અસર થાય ત્યારે પણ એમના ઉદ્ગારો પ્રગટવા જોઈએ એટલા પ્રગટ્યા નથી.
સંવેદનશીલ કવિ આસપાસ બનતી ઘટનાઓથી વધુ પડતા વિમુખ થાય એ વિવેચક માટે ચિંતાનો નહીં પણ ચિંતનનો વિષય છે. ઉમાશંકરે ‘ધ્વનિ’ની સમીક્ષામાં કહ્યું છે તે વિચારવા જેવું છે :
‘સૌંદર્ય–રસ–માટેના આગ્રહની પ્રક્રિયા ત્રીશીમાં જ શરૂ થઈ ચૂકી હતી, પણ ૧૯૪૦માં તો તે સ્ફુટ થઈ ચૂકી છે. રાજેન્દ્ર રાષ્ટ્રીય કે સામાજિક પ્રવૃત્તિઓથી અલિપ્ત નથી રહ્યા અને ફિલસૂફીના સ્નાતક હોવા છતાં વ્યવસાયથી તદ્દન વ્યવહારુ ગણાય એવા નાના નાના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા છે. સંસારને અનેક બિંદુએ સ્પર્શવાનો એમને પ્રસંગ મળ્યા કર્યો છે. છતાં ‘ધ્વનિ’ની સમૃદ્ધિમાં યુગની મહાન ઘટનાઓનો સીધો ફાળો કેટલો નહિવત્ છે! ૧૯૪૨ની લડત, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉમ્બ, બંગાળનો દુષ્કાળ, કાળાં બજાર, હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ભાગલા પછીના હત્યાકાંડ, ગાંધીજીની હત્યા–કેવા મોટા મોટા બનાવો બન્યા છે! પણ ‘ધ્વનિ’માં એનો સીધો પડઘો નથી. આ સંગ્રહ જાણે કાલપ્રવાહની બહારથી જ પ્રગટી નીકળ્યો ન હોય!’
‘આસવ’માં ‘મિત્રને’ નામના કાવ્યમાં ભારત અને પાકિસ્તાનના સંબંધની પંક્તિઓ છે :
હાથ લંબાયેલો કાયમ નહીં રહેશે, અય દોસ્ત!
આ જ મોકો છે, કર મિલાવી લે.
(આસવ ૫૫)
હાથ આ આજ મેં મૈત્રીનો જે લંબાવ્યો છે
તારા મુક્કા મહીં છુપાયેલી તાકતના કસમ,
એમાં એ બળ છે કે પાછો નહીં પડશે ખાલી.
દોસ્ત લંબાયલા આ હાથની હાંસી ન ઘટે,
ઘર જુદા હોય ઘણા ભાઈના પણ આમ કદી
ઘરને સળગાવવા માટે ન હરીફાઈ ઘટે;
(આસવ ૫૬)
આવાં કાવ્યોમાં ક્યારેક બહુજન સમાજની વૃત્તિને સ્પર્શી શકે એવા ગઝલશાઈ ઉદ્ગારી જોવા મળે છે.
‘લોહીનો રંગ લાલ છે!’ (બંગલા દેશ) અને ‘બાપુનો જનમદિન’ જેવી કૃતિઓ હરીન્દ્ર પાસેથી અવારનવાર નથી મળતી. સામાજિક–રાજકીય જાગૃતિની ક્યાંક ક્યાંક ઝાંખી થાય છે અને ક્યારેક હાથ પર પડેલી “અદશ્ય જંજીર”નો કલાપૂર્ણ સંકેત પણ કવિ આપે છે :
હવાની એક લહરી આવી :
તેને રોકી પૂછે છે બીજી લહરી :
આ બાગમાં લહેરાતાં પહેલાં
કોઈની આજ્ઞા લેવાની જરૂર તો નથીને?
(હયાતી ૧૩૩)
આ૫ણી સંસ્કૃતિની કવિએ લીધેલી મરણનોંધ વાંચવા જેવી છે :
લાગી રહ્યું છે સંસ્કૃતિ જાણે મરી ગઈ,
આ સૃષ્ટિ એની શોકસભા હોવી જોઈએ.
(હયાતી ૫)
હરીન્દ્રની કવિતામાં નગરજીવનની વિષમતાનો અનુભવ છે, પણ તે ઘોંઘાટ વિનાનો. આ સદીના માણસનો મોટામાં મોટો પ્રશ્ન, તે પોતે પોતાનું જીવન જીવતો નથી અને જે જીવવું પડે છે તે જીવન નથી–ની વાતનો છે. ‘નિદ્રા’ કાવ્યમાં ઉજાગરાથી પીડાતી માનવજાતની આંખ માટે જાણે કવિને કહેવું પડ્યું છે :
કોઈના વતી ચાલ ચાલવાનું બંધ કરી શકું,
તો કદાચ હું સૂઈ શકું.
(હયાતી ૨૧)
હરીન્દ્ર દવે એક કવિ–નવલકથાકાર અને ચુનીલાલ મડિયા એક નવલકથાકાર– કવિ,–એમની કૃતિઓનો સામ્ય–વિરોધ અડખેપડખે મૂકીને જોવા જેવો છે :
ભૌતિક સમૃદ્ધિ પાછળ આંધળી દોટ મૂકતા આપણા સમાજનું ‘હણહણતું’, ચિત્ર હરીન્દ્રએ ‘રેઇસકોર્સમાં’માં આપ્યું છે. ચુનીલાલ મડિયાએ લાખો નજરમાં પલકભર જીવી ગયેલા અશ્વને ‘હારજીત’ માં ચિત્રિત કર્યો છે, બંનેની નજર ‘ફોટોફિનિશ’ પર પહોંચી છે, પણ બંનેના કૅમેરાનો કોણ જુદો ગોઠવાયો છે. મડિયાનો ‘પૃથ્વી’ પરાજ્યની વચ્ચે પણ વિજયનું સ્વર્ગ રચી આપે છે અને હરીન્દ્રનો શિખરિણી અધોગતિની ખીણને તાદૃશ કરે છે. ‘રહે હાંફી અશ્વો હણહણી રહે માણસ બધા’–માં માણસની પોકળતાને પ્રકટ કરતા પહોળા થઈ ગયેલા મોઢાને અંતિમ શબ્દ ‘બધા’ના ઉચ્ચારથી જ ચિત્રિત કરી દીધું છે.
કવિ સમાજનું આધ્યાત્મિક રૂપાંતર ઝંખતા હોય એવું પણ લાગે. પણ એ રૂપાંતર શક્ય બને, જો પ્રકૃતિ, પ્રકૃતિના અંશ જેવી વ્યક્તિ અને વ્યક્તિના સમુદાય જેવો સમાજ–આ ત્રણે પર છવાયેલી રાત અને નીલકંઠી શિવના ધવલ હાસ્ય દ્વારા જ જાણે કે આંસુ રોકી શકાય એવી ઉદાસીનો સ્વીકાર હોય તો.
મિલનાં ઊંચાં ભૂંગળાંઓને કોઈ ચંદનની અગરબત્તીમાં પલટાવી દો, સિમેન્ટ-કૉંક્રીટનાં મકાનોને કોઈ સરુવનમાં ફેરવી દો;
આંખની કીકીઓને કોઈ ચન્દ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઈ સાગરની લહેરોમાં લહેરાવી દો;
આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.
(હયાતી ૬૧)
હરીન્દ્રની કવિતામાં ‘ઘર’ એક મહત્ત્વનું કાવ્ય છે. એ કાવ્ય કવિના ચેતોવિસ્તારનો સમગ્રતાથી પરિચય આપે છે. આ રોજિંદી જિંદગી, રોજની સવાર અને સાંજ, એનો આરંભ અને અંત, અને આ એકધારાપણામાં પણ વિસ્તરતો પંથ, એ પંથના યાત્રિકો, એ પંથ સાથે સંકળાયેલું વાતાવરણ–આ બધાંનો કાવ્યાત્મક ઉદ્ગાર શબ્દે શબ્દે સંભળાય છે. કાવ્યનો વિષય શો છે? ઘર? મારગ? કાળ? ઘર પછીનું ઘર? કે પછી આ બધાં સાથે સંકળાયેલો કાવ્યનાયક? ગતિ કોણ કરે છે? માર્ગ કે કાવ્યનાયક કે કાળ? ગતિનો આરંભ જ્યાંથી થાય છે અને ગતિ જ્યાં સમેટાય છે તે જ શું અંતિમબિંદુ છે? કાવ્યના આરંભ અને અંતની વચ્ચે તો ધબકતી સૃષ્ટિની વાત છે; પણ આ સૃષ્ટિ ત્યારે જ આપણી પકડમાં આવે છે, જ્યારે આપણે એના તરફ ‘હળવે હૈયે’ વળતાં હોઈએ–
હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું
એ કેવા છલકાતા હેતે સામો ધસતો,
(હયાતી ૩૦)
પછીનો લયનો કેફ એ કાવ્યનાયકને ધબકતી સૃષ્ટિની પ્રાપ્તિનો છે :
આ મલક મલક મલકાય મકાનો બેઉ તરફ,
આ પવન પલક વીંટળાય, પલક આઘો ખસતો.
(હયાતી ૩૦)
પ્રેમના કવિની નજર સૌ પ્રથમ તો “પદરવથી શરમાઈને ફરી વાતે વળગતાં પારેવાં” પર પડે છે. નાગરિક વિનયી કવિ એ દૃશ્ય ઉપર આપણું ધ્યાન ખેંચે છે ખરા, પણ ત્યાં નજરને ઠરવા દેતા નથી ને પૂર્વગગનમાં કિરણની ધૂપસળીના સ્પર્શે રૂના પોલ સમાં સળગતાં વાદળ તરફ આપણી નજર સેરવી લે છે. કદાચ કવિને ધૂપસળીના સ્પર્શે રચાતાં તેજોવલયનો સંકેત આપવો છે કે પછી કેવળ ચિત્ર આપવું છે? –એનો ઉત્તર આપણે ન આપી શકીએ એમાં જ કવિની સિદ્ધિ છે.
શૈશવ, યૌવન અને વૃદ્ધાવસ્થા અને આ ત્રણેની વચ્ચે કવિની મુગ્ધ શિશુદશાનો પણ પરિચય થાય છે. આનંદનો કેફ ભાવને અને શબ્દને એવો ચડ્યો છે કે બે વ્યક્તિ વચ્ચે રહેલી રીસને–વિસંવાદને સંવાદી જીવ સાંખી શકતો નથી. આંખમાં ઉદાસી સાથે ઊભેલાં વૃદ્ધોને કેવળ lip-sympathy–જીભદયા નહીં, પણ સાચુકલી નિસ્બતના પ્રતીક સમાં બે આંસુઓ દ્વારા સાંત્વન આપવાની, સૌંદર્યમાં ઝંખનાની પરિપૂર્ણતા થાય એવું મન આપવાની અને ભીડ ને કોલાહલમાં સમાનુભૂતિ, સહાનુભૂતિ અને પ્રેમનો હાથ આપવાની વાત કાવ્યમાં લયની પરાકાષ્ઠાથી પ્રકટી ઊઠી છે ને આત્મ–ખુમારીનો એક ઉદ્ગાર આ રીતે વહે છે :
તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા
પરવા કોને, હું થીર રહું કે વહી શકું.
(હયાતી ૩૧)
વૉલ્ટ વ્હીટમૅનની છૂટી છવાઈ પંક્તિઓ અહીં ટાંકી છે તે કેવળ ભાવસામ્ય પૂરતી જ. બંને કવિની પ્રતિભામાં આસમાન જમીનનો ભેદ છે. હરીન્દ્રએ કાવ્યને અંતે ઘર પછીના અસલ ઘરનો–સનાતન ઘરનો સંકેત આપી ભારતીયતાની મુદ્રા અંકિત કરી છે.
વૉલ્ટ વ્હીટમૅનના કાવ્યનું શીર્ષક છે ‘Song of the open Road.’ એ કાવ્યનો વ્યાપ અને વિસ્તાર જાણે કે સમગ્ર અખિલને પોતાના શબ્દની બાથમાં લેતો હોય એવો છે. એ કાવ્ય માનવતાનું મહિમાસ્તોત્ર છે. વ્હિટમૅનના કાવ્યમાં અંતે પ્રતિભાવની મીઠી અપેક્ષા છે; હરીન્દ્રના કાવ્યમાં એવો કશો તાર છેડાયો નથી. વ્હીટમૅનના કાવ્યને અંતે પ્રશ્ન છે; હરીન્દ્રના કાવ્યને અંતે વ્રજ છોડ્યા પછી વૈકુંઠને ઘર તરીકે સ્વીકારવાની તૈયારી છે :
Camerado, I give you my hand!
I give you my love more precious than money,
I give you myself before preaching or law;
Will you give me yourself? Will you come travel with me?
Shall we stick by each other as long as we live?
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે;
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે.
(હયાતી ૩૧)
હરીન્દ્રએ ‘અર્પણ’ સંગ્રહના પ્રારંભમાં લખ્યું છે : “શ્રી માતાજીની પ્રાર્થનારૂપે લખાયેલા શ્લોકોમાંના થોડા અહીં મૂક્યા છે : એ કોઈની પણ પ્રાર્થના સાથે તાર મેળવી શકશે તો એને સદ્ભાગ્ય માનીશ.”
‘અર્પણ’ના પ્રત્યેક શ્લોકની કોઈક કોઈક પંક્તિમાં સચ્ચાઈનો, આરતનો તાર ઝણકે છે, પણ હંમેશાં એનો મેળ કવિતા સાથે મળતો નથી. આ શ્લોકો કવિતા થાય એવા કોઈ ઇરાદાથી લખાયા નથી અને છતાંયે કોઈક કોઈક શ્લોકમાં કોઈક કોઈક પંક્તિમાં કવિતાની ઝાંખી થાય છે.
‘વૃક્ષોનું સ્મિત લઈને ઊડતાં વિહંગો’ કે ‘પંખીના કલશોરે રચાતો પથ’માં કવિતાની ફોરમપગલીઓ વાતાવરણને એક આછી સળગતી ધૂપસળીની મહેકથી સભર કરે છે. ક્યારેક બધી જ ગતિઓનું જ્યાં પૂર્ણવિરામ આવે છે, એ શરણાગતિનો સૂર પણ સ્પર્શી જાય એ રીતે મુકાયો છે :
હું તો ઉપાડું મુજ પાય તમે દિશા દો,
હું નેત્ર ખોલી રહું દૃશ્ય નવાં નવાં દો;
હું શ્રોત્રથી સ્તવન, મા, તવ સાંભળી શકું,
આ હોઠ બે ફફડતા, તવ પ્રાર્થના દો.
(હયાતી ૩૮)
આવા શ્લોકોમાં એક ક્ષણની સચ્ચાઈ હોય, પણ એનું શિલ્પ નથી. કદાચ ભવિષ્યની આધ્યાત્મિક કવિતા જો હરીન્દ્ર પાસેથી પ્રગટે તો એનાં બીજ આમાંથી મળે તો મળે. વ્યક્તિ હરીન્દ્ર ભાવુક છે, ધાર્મિક છે, જગતમાં ખૂંપેલા છે અને જગતથી રૂઠેલા છે. ધર્મ એ અસ્તર પણ છે અને બખ્તર પણ છે; પણ આ ધાર્મિકતાનું કેન્દ્ર પ્રેમમાં છે કે ભયમાં છે? – આ પ્રશ્નનો ઉત્તર આપવો એ પ્રશ્ન મૂકવા જેટલી સહેલી વાત નથી. હરીન્દ્ર ધાર્મિક છે, એટલું કહીએ તોપણ ત્યાં કશુંક અણકહ્યું રહે છે, કારણ કે હજી એમણે પોતાનો ધર્મ શોધવાનો છે.
ધર્મ, શ્રદ્ધા, એ બધું વિચ્છિન્ન ભીતરને સાંધી આપે એવું તત્ત્વ છે. બધાં જ ભિડાયેલાં દ્વારની તિરાડમાંથી પ્રવેશતું અને અંદરના અંધકારને વીંધતું એ એક કિરણ છે, પણ ધર્મની સ્થિતિ ધર્મએ કે ધર્મપરાયણોએ કે ધર્મઢોંગીઓએ કેવી કરી છે, એનાથી પણ આ કવિ વાકેફ નથી એમ નહીં :
આ વચ્ચે છે
વરસોથી વપરાવાને કારણે જેનાં પાન
છૂટાં પડી ગયાં છે
એ કુરાનસાહેબની નકલ :
કહે છે કે હજી થોડા માણસોના
છિન્નભિન્ન ભીતરને સાંધી આપે છે!
(હયાતી ૧૧૯–૧૨૦)
કવિની આ વાકેફદારી કવિ પાસે આમ પણ લખાવી શકે છે :
અમારી આંખમાંથી દૃષ્ટિ હરી લો,
અમારાં ચરણોમાંથી ગતિ ઉઠાવી લો,
અમારા કાનને બધિર કરી દો,
- * *
અમારી પ્રાર્થનામાંથી
પરમેશ્વરને ખસેડી દો.
(હયાતી ૧૨૭)
કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે ઝાઝે ભાગે શું પરિણામ આવે છે, એ વિશે નિરંજન ભગતે લખેલી વાત સંભારવા જેવી છે :
‘વળી જ્યારે કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે એ ધર્મનો જે અનુભવ કરે છે એ વિશે નહીં પણ એ ધર્મનો જે અનુભવ કરવા ઇચ્છે છે એ વિશે કવિતા રચે છે એથી જગતની મોટા ભાગની ધર્મકવિતામાં એક પ્રકારની પવિત્ર અપ્રામાણિક્તા હોય છે.’
હરીન્દ્રએ એક સાહિત્યસમારંભમાં કહ્યું હતું કે કૃષ્ણ એ મારી સરરીઅલ અનુભૂતિ છે. આના જ અનુસંધાનમાં એક વાર હરિવલ્લભ ભાયાણી સાથે, આજનો કવિ રાધાકૃષ્ણને શા માટે અને કઈ રીતે પ્રયોજે છે એની વાત થઈ હતી. એનો સાર હરીન્દ્રએ ‘કેસૂડાં’માં નોંધ્યો છે એ ઉતારું છું :
“તમે સૌ રાધાકૃષ્ણની કવિતાઓ લખો છો પણ કૃષ્ણની એક Integrated image તમારી પાસે ક્યાં છે? કૃષ્ણ પ્રત્યે મધ્યકાલીન કવિઓને હતો એવો ભક્તિભાવ હોય તો તો જાણે સમજ્યા, પણ પ્રતીક તરીકે એ કેટલું confused પ્રતીક છે? ક્યો કૃષ્ણ? બાળકૃષ્ણ? સોળ હજાર એકસો આઠ ગોપીઓવાળો કૃષ્ણ? કંસનો વધ કરનાર કૃષ્ણ કે કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાબોધ કરનાર કૃષ્ણ?’ ગુજરાતી કવિતામાં રાધાકૃષ્ણના પ્રતીકના વિનિયોગ પરની ચર્ચામાં ડૉ. ભાયાણી નવ-કવિઓ પર તૂટી પડ્યા : ‘સૂરદાસ કે દયારામ માટે કૃષ્ણનાં આ બધાં રૂપો બરાબર હતાં પણ તમારા માટે કેટલી હદે સાર્થક? એમને કવિતા થાય છે કે નહીં એની જોડે નિસ્બત નહોતી, એમને તો ઈશ્વરનાં ગુણગાન ગાવાં હતાં – પણ તમારી પાસે તો કૃષ્ણની કોઈ Integrated image હોવી જોઈએ ને!’
‘પણ અમારી બાલકૃષ્ણ એટલે eternal child; એ જ રીતે કૃષ્ણને શાશ્વત પુરુષ, શાશ્વત પ્રેમી અને શાશ્વત આદર્શરૂપે અમે ન લઈ શકીએ?’ સુરેશે પૂછ્યું.
‘પણ ઍસોસિયેશન્સના વનમાંથી કેમ કરી છૂટશો? તમે કદંબને વિરહના પ્રતીક તરીકે યોજતા હો, પણ મારા મનમાં એથી વસ્ત્રહરણનું ઍસોસિયેશન જાગે તો શું?’
પરંતુ ડૉ. ભાયાણી એમની મેધાનો ઉપયોગ કોઈને મૂંઝવવા માટે તો ક્યારેય ન કરે. ચર્ચામાં લગભગ સૌને અવાક્ કરી ગયા પછી બીજા દિવસે મળ્યા ત્યારે કહે :
‘ગઈ કાલે હું કહેતો હતો એ વિષય પર રાત્રે વધુ વિચાર કર્યો. ઍસોસિયેશન્સની બાબતમાં હું સાચો ન હતો. પ્રતીકને કવિ સમગ્રપણે લેવા બંધાયેલો નથી. એ જોઈતા અંશને ફોક્સમાં લઈ બાકીના ભાગને ‘ઇગ્નોર’ કરી શકે; ફોટોગ્રાફર પોતાના મુખ્ય ‘ઑબ્જેકટ’ને ફોક્સ કરી બાકીનાને ગાળી નાખે છે. એમ જ કવિ પ્રતીકને ક્યા ફોકસમાં લે છે તેના પર જ ‘ઍસોસિયેશન્સ’નો આધાર હોય છે. કદંબને તમે એ રીતે ‘ફોક્સ’ કરો કે એમાં વિરહનો જ સૂર ઊઠે તો મારાં બીજાં ઍસોસિયેશન્સ એને આસ્વાદ લેવામાં વિક્ષેપકર ન જ બને.’
રાધાકૃષ્ણની કવિતા માટે હરીન્દ્રને પક્ષપાત પણ છે અને આત્મવિશ્વાસ પણ. ઓછું બોલતા અને વધુ લખતા આ કવિ ભાગ્યે જ આટલી ખુમારીથી આમ ખુલી શકે છે; મહિમા એમની રાધાકૃષ્ણ પ્રત્યેની પ્રીતિનો છે, પણ રાધાકૃષ્ણ તો નિમિત્ત છે, એમને ગાવો છે પ્રેમ. પણ એ પ્રેમને પ્રગટ થવા માટે જે નિમિત્ત થાય, એના પ્રત્યે હરીન્દ્ર પોતાનો કળશ ઢોળ્યા વિના કેમ રહે?
વૃષભાનદુલારીએ આપેલા આમંત્રણનો છલકાઈ જતો રાજીપો શબ્દમાં કેવો વરતાય છે :
વૃષભાનદુલારીએ સાંભળ્યું કે દીધું પેલા
રવીન્દ્રની જોડે એક હરીન્દ્રને નિમંત્રણ.
વિદ્યાપત્તિ ઊંચી ડોક કરી જરા જોઈ રહ્યા,
નીચા નમી પછી પૂછ્યું દાસ દયારામને;
તમારા મુલકનો આ લાગે છે જવાન કોઈ
સાંભળ્યું ન જો કે આજ પ્હેલાં એના નામને.
થીર આંખે એક ક્ષણ જોઈ, દયારામ ફરી
નરસી મહેતાને પૂછે વાત એક કાનમાં,
મે’તાએ મીરાને હોઠ ફફડાવી કાંઈ કીધું
મીરા કહે કેમે કર્યો આવે છે ન ધ્યાનમાં.
સૂરદાસ કહે હવે મેલો ગુસપુસ બધી,
આવ્યો છે તો સાંભળો બે ઘડી એની વાતને,
હોઠથી હરફ બે ઉચ્ચારવા દો બાપડાને
પછી નક્કી કરો એની નાત–જાત–ભાતને.
(મૌન ૧૧૭)
કવિને કૃષ્ણનાં સ્વરૂપો અનેક સ્થળે દેખાય છે, ને એની છબીઓ પંક્તિઓમાં મઢાઈ છે :
યમુનાનાં જળનાં થોડાંક બિંદુઓ
ઊડીને રાવપુરાની નિશાળમાં ભણતા
બાળકોની આંખમાં જઈ બેઠાં :
એટલે જ ત્યાં કોઈ કોઈ આખો ચોળતા
બાળકમાં કદી કદી કૃષ્ણ દેખાઈ જાય છે.
(હયાતી ૧૧૫)
‘મહાલિયા જૅક્સનનું ભક્તિસંગીત સાંભળતાં…’ કાવ્યમાં પણ એ લખે છે :
કેથેડ્રલમાં હતો એક ચહેરો–
ગુલાબી ફ્રૉક
અને સ્થૂલ દેહ ઓગળી ગયા પછી રહેલો
શ્યામ ચમકતો ચહેરો–કૃષ્ણના વર્ણ સમો.
(હયાતી ૧૦૩)
કવિ એટલા કેફથી કૃષ્ણકવિતા લખે છે કે જાણે ‘કદમ્બના થડકનો રસ’ પીને ન લખતા હોય! એમનો એ એકરાર એક શેરમાં પણ સંભળાય છે :
કોઈ કદંબના થડથી પીધો છે રસ હમણાં,
જશે ક્યાં આવ્યા વિના, જાવું નથી શ્યામ તરફ.
(સૂર્યોપનિષદ ૨૦)
હરીન્દ્રની રાધાકૃષ્ણની કવિતામાં યૌવનનો તોર દેખાય છે. ક્યારેક એમની ગોપી-રાધા મૂંઝવણને ઘૂંટતા ઘૂંટતા કોઈક બીજી જ વાતનો ઘૂંઘટ ખોલી દે છે :
એ જ મરમીનું મોહભર્યું સ્મિત
એ જ આછકલે વેણ દાણ માગતા રે,
મેં તો ખણી જોયા ગોરા ગોરા ગાલ
શ્યામ શમણે મળ્યા કે મળ્યા જાગતા રે.
(હયાતી ૩૫)
હરીન્દ્રનાં આ પ્રકારનાં કાવ્યોમાં વર્ણવી ન શકાય એવી કોઈ નજાકત છે– મુલાયમ શબ્દ પણ ખરબચડો લાગે એવી. અહીં કસબ છે, પણ કસબને નામે જુદો તરી આવે એવો નહીં. “કાનુડાને બાંધ્યો છે હીરના દોરે” એ પંક્તિના “બાળુડા” એવા એક શબ્દ ફેરે બે આંટા દીધા છે. કસબ લેખે કશું અલગ નથી તરી આવતું. કસબનું તત્ત્વ એટલું બધું ઓતપ્રોત થઈને અંદર પડ્યું છે. હરીન્દ્રની કવિતામાં આવી છેતરામણી સરળતા છે.
કવિએ ગોપીની વિરહની વાતને એટલા બધા નમણા વૈભવથી શણગારી છે કે આપણને સતત લાગણીની શાંત છાકમછોળનો અનુભવ થાય છે. વિરહની પ્રલંબ રાત છે, એ કેમે કરીને વીતતી નથી. મિલનની વાંસળી સંભળાતી નથી; તો આટલા બધા અઢળક સમયનું થાય શું? એટલે પહેલાં ગોપી રાતને રૂપાથી મઢે છે. તોયે સમય રહે છે. તો એ ‘રૂપલે મઢેલી’ રાત પર રતન ટાંકે છે. પછી કહે છે :
રાત રૂપે મઢી ને રતન ટાંક્યાં,
યમુનાને આરે તોયે વાગી ન હજી વાંસળી.
(હયાતી ૩૩)
અહીં ‘તોયે’ અને ‘હજી’ શબ્દો મહત્ત્વના છે. એમાં ગોપીની અધીરાઈ એની પ્રતીક્ષા, તિતિક્ષા, આરત ને આર્દ્રતા અને પ્રિય વ્યક્તિ વિનાનો સમય પ્રગટ થાય છે.
કવિને ક્યારેક પ્રશ્ન થાય છે કે
આ એ જ હશે વૃંદાવન?
એક સમે જ્યાં કૃષ્ણરાધિકા
કરતાં આવનજાવન?
(મૌન ૧૨૯)
એનો ઉત્તર પણ કવિ ગીતમાં પાછો મેળવી લે છે :
હજી મારગડો આંતરે મોહનજી રે,
વૃંદાવનમાં એ કૃષ્ણ, એ રાધા હજી રે.
(મૌન ૧૩૦)
રાજેન્દ્ર શાહનું ‘કેવડિયાનો કાંટો’ કે પ્રિયકાન્ત મણિયારનું ‘આ નભ ઝૂક્યું તે કાનજી’ તેમ હરીન્દ્રનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ પ્રગટ થતાંની સાથે પ્રજાની પ્રીતિ પામી ચૂકેલું કાવ્ય છે. આ ગીતમાં પ્રકૃતિ સ્વયં જાણે કે રાધા હોય એમ માધવની શોધમાં નીકળી પડે છે. પ્રકૃતિમાં પણ સૌ પ્રથમ ફૂલ ભમરાને કહે છે અને પછી ફૂલની કથા અને વ્યથાનું ગુંજનમાં રૂપાંતર કરીને ભમરો વાત વહે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” પછી તો સ્મૃતિનાં સ્પંદનો, નંદ, જશુમતી અને ગોપીનું કાળજું અને આંખો, એ આંખોમાં રહેલાં આંસુ–બધાં જ ગુંજે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” માધવ હકીકતમાં કેટલી હદે ચોતરફ ફેલાયેલા છે, એની જ વાત કવિએ ‘નથી’ ‘નથી’ દ્વારા કરી છે. એમણે આ ગીતપંક્તિનો ઉપયોગ પોતાની ૧૯૭૦માં પ્રગટ થયેલી નવલકથાને શીર્ષક આપવામાં પણ કર્યો છે. એ નવલકથાને અંતે એમણે કૃષ્ણપ્રીતિ અને કૃષ્ણપ્રતીતિની વાત કહી છે તે એમની કૃષ્ણભક્તિને અથવા પ્રેમભક્તિને સમજવા માટે કદાચ ઉપયોગી નીવડે એથી અહીં ઉતારું છું :
‘નારદ, કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે, અને એથીયે વધારે તો તમારી હૃદયવીણાનાં સ્પંદનોમાં શોધશે. કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નંદ અને યશોદાને જે દુઃખ સહન કરવું પડ્યું, એ દુઃખનું વરદાન અમને આપો. નારદે કૃષ્ણના દર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો.
‘નારદ, યુગેયુગે કુરુક્ષેત્રો થતાં રહેશે, યુગેયુગે યાદવાસ્થળી રચાશે. પણ એ દરેક યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટેનો તલસાટ હશે, એના વિરહમાં ઝૂરનારાઓ હશે અને એમના તપે જ આ દુનિયા ટકી રહેશે.
‘માધવ ક્યાંય નથી’ના પ્રારંભમાં હરીન્દ્રએ નાન્દીવચન મૂક્યું છે :
‘માણસ પાસે આજે વાંકો વળીને ચાલતો ભૂતકાળ છે, ત્રરત અને થાકેલું ભવિષ્ય છે : માણસે એના વર્તમાનને રોળી નાખ્યો છે. તાર તાર થઈ ગયેલું જીવનનું વસ્ત્ર કૃષ્ણના પ્રેમના પોતથી દૃઢતા પ્રાપ્ત કરી શકે : વીંખાઈ ગયેલો માનવી કદાચ કૃષ્ણ પાસે જાય અને ઢીક થઈ જાય.
પણ કૃષ્ણ ક્યાં છે? તમે અને મેં આ ખોજ ગઈ કાલે કરી હતી, આજે કરીએ છીએ અને કાલે કરીશું.’
‘કંઠમાં હજાર ગીત છલકે…’ એમ ગાનાર હરીન્દ્રનો કવિ તરીકેનો વિશેષ પ્રગટ થાય છે ગીતોમાં. એમાં લોકલય અને લોકભાવના લહેકાઓ છે અને ગઝલપ્રીતિ ભળેલી છે.
સર્જક એક અર્થમાં ‘ચક્ષુઃશ્રવા’ છે. કવિએ પોતાના પ્રેમગીત માટે કહ્યું છે :
નથી એ કેવળ મીઠા લયની
કેડીએ ઠાલો ભટકતો શબ્દ.
(મૌન ૫૭)
અહીં આપણે સંમતિસૂચક સ્મિત જ આપવું પડે.
હરીન્દ્રએ લાગણીની તીવ્રતાને, ઊંડાણને, સંવેદનાની ઓકળીઓને પ્રગટ કરવાની હોય ત્યારે ઝાઝે ભાગે વાણીને નાયિકાના મુખમાં મૂકીને સામે અંતિમેથી નિરૂપી છે. એમનાં ગીતમાં સ્પંદન ગુંજનનો આકાર લઈને આવે છે; આ ગીતો આ૫ણને આપણી બહાર નહીં પણ આપણી ભીતર લઈ જાય છે. શબ્દોની સુંવાળપ દ્વારા સિદ્ધ થતું લયમાધુર્ય ભાવકને પોતાનું એકાંત રચી આપે છે.
હરીન્દ્ર પાસે ગીતવૈપુલ્ય અને વૈવિધ્ય હોવા છતાં ક્યારેક ઉપાડની પંક્તિમાં અને અવારનવાર ગીતના અંતરામાં લયની એકવિધતા જણાય છે, ને તે ખટકે છે. એમની કલમને અમુક પ્રકારનો લય માફક આવી ગયો છે. લયનાં આવાં નહિવત્ માત્રાફેર સાથેનાં પુનરાવર્તનો એમણે ટાળવાં જોઈએ.
એ તો સમજાય એવી વાત છે કે અક્ષરમેળ કે માત્રામેળ વૃત્તોમાં બધું જ નિશ્ચિત હોય છે. શિખરિણી, પૃથ્વી, વસંતતિલકા કે હરિગીત–ઝૂલણા વગેરે છંદોમાં પ્રયોજાતાં કાવ્યો માટે આપણે ક્યાં વૈવિધ્ય માટે ઉહાપોહ કરીએ છીએ? કવિ ભલે એકનો એક છંદ માફક આવી ગયો હોય તો અવારનવાર પ્રયોજે, પણ એ છંદ બાહ્ય ફ્રેમ ન રહેવો જોઈએ અને પ્રત્યેક કાવ્યે છંદોલય અને પ્રત્યેક છદોલયે કાવ્ય સિદ્ધ થવું જોઈએ. એકવિધતાની ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણે વૈવિધ્યના શોખીન છીએ માટે નહીં, પણ ઢાંચાથી અકળાઈ ગયા હોઈએ છીએ એટલે જ એકવિધતાને મર્યાદા તરીકે નોંધીએ છીએ.
હરીન્દ્રનાં ગીતોમાં કોઈક પંક્તિમાં દયારામપ્રવેશ ઉઘાડો દેખાય :
રાતલડી કોની સંગે જાગ્યા? ઘાયલ છો જી, નેનબાણ કેઈનાં વાગ્યાં?
(દયારામ)
આંખમાં ઉજાગરાનો માળો, સાજન!
સારી રાત કોના સથવારે જાગ્યા?
- * *
છોડોજી હાથ, એમ હાથ નહીં આવવાનાં
હાથનાં કર્યા જ હૈયે વાગ્યાં.
(મૌન ૩૬)
સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવીજી?
(દયારામ)
રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી,
(હયાતી ૬૬)
હરીન્દ્રનાં કેટલાંક ગીતોના ઉપાડમાં ગઝલના કાફિયા રદીફના લહેકા છે. બેએક ઉદાહરણથી જ આ વાત સ્પષ્ટ થશે.
મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં કળ્યા’તા શ્યામ, કોણ માનશે?
(હયાતી ૧૧૩)
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ
પછી રાત કે બપોર હતી, યાદ નથી;
કાળા ડિબાંગ જેવા આકાશે ચળકી એ
રૂપેરી કોર હતી, યાદ નથી!
- * *
અમથા તો સાબદા ન થાય અહીં કોઈ
જરા અમથી ટકોર હતી, યાદ નથી.
- * *
આમ તો સવાર–સાંજ સરખાં ને તોય
વેળા આથમણે પ્હોર હતી, યાદ નથી.
(હયાતી ૧૩૭)
મૂળ તો લોકગીતોમાં ‘કેર કાંટો’ વાગ્યા પછી ગુજરાતી કવિતામાં લાગવાની ને વાગવાની વાતની ભરતી આવી. રાજેન્દ્રએ લોકગીતના આ લહેકાને ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’ એ ગીત દ્વારા ગુજરાતીમાં પ્રચલિત કર્યો.
‘કાંટો વાગ્યો ને મને પાણી થકી પાક્યો.’
– પ્રિયકાંત મણિયાર
‘નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમાં.’
– સુરેશ દલાલ
‘મને જરા ઝૂંક વાગી ગઈ…’
– રાજેન્દ્ર શાહ
‘લોચનમાં ગઈ લાગતી કણી.’
– રાજેન્દ્ર શાહ
હરીન્દ્રનું ‘નજરું લાગી’ ગીત લોકપ્રિય છે. એમણે ગુજરાતી પ્રજાના જીવનની સાથે સંકળાયેલા કેટલાક વહેમો અને ટુચકાનો પ્રેમના નિરૂપણમાં ભરપૂર ઉપયોગ કરી લીધો છે. કોઈક પૂછે કે ‘નજર એટલે શું?’ તો તત્કાલ એનો જવાબ આપતાં કોઈ પણ અચકાઈ જાય. તરત કશુંક બુદ્ધિગમ્ય ન પણ સૂઝે. પણ કવિ એનું કાવ્યગમ્ય રૂપ આપે છે; નજર એટલે શું અને નજરની ગતિવિધિ કેવી હોય એ હરીન્દ્રની આંખ જુઓ –
બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ,
ડંખી ગઈ વરણાગી.
(હયાતી ૧૮)
અવ્યાખ્યેય નજરનું આવું રૂપ આ કવિએ બાંધી આપ્યું છે.
પ્રેમની પ્રસન્નતાનાં હરીન્દ્રનાં ગીતો સોળ વરસની સનાતન ઉંમર લઈને પ્રગટ્યાં છે. એમની કવિતામાં વરણાગી ડંખ પણ છે અને “મૌન” પછીની કવિતામાં વરણાગી ડંખની વેદના પણ છે. પ્રસન્નતા સિવાયનાં ગીતોમાં અકળામણ જ અવસ્થા રૂપે નિરૂપાઈ છે. તેમાં એકલતાનું મૂંગુ ક્રંદન છે અને તેની લ્હેરખી સહૃદયને લૂની જેમ દઝાડે છે.
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં,
કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં.
(હયાતી ૧૩૦)
કવિએ વિરહની વ્યથાની અનુભૂતિને આમ પ્રગટાવી છે :
ચૈતરની રાતમાં આ તારી જુદાઈ
જાણે અગની પ્રગટે ને ઝાળ ક્યાંય ના
(હયાતી ૧૩૭)
વિષાદી મોસમનાં ગીતોમાં કવિની વેદના ‘વાચાના ધૂપ’ થઈને ઊડે છે. કવિ વેદનાને શબ્દસ્થ કરે છે અને ભાવકને વિષાદસ્થ.
હરીન્દ્રએ સૉનેટ લખ્યાં છે, પણ સફળ સૉનેટકાર તરીકે હરીન્દ્ર યાદ નહીં રહે. હરીન્દ્રની કવિતાનો મિજાજ ગીતના લયના પ્રવાહમાં વહી જવાનો જેટલો વિશેષ છે એટલો સોનેટની શિસ્તમાં સ્થિર થવાનો નથી.
ગઝલકાર હરીન્દ્રે શેરની સ્વતંત્રતા ભોગવી છે, એટલે એમને સૉનેટ સાથે ઝાઝી નિસ્બત નથી. સૉનેટ સાથે હરીન્દ્રને છઠ્ઠી આંગળી જેવો, લટકસલામનો સંબંધ છે.
હરીન્દ્ર એક જ ભાવમાંથી સૉનેટ (‘તમે કાલે નહીં તો’ – ૧૯૬૧) અને ગીત (‘વ્હાલમને આવવાની વાર’ – ૧૯૬૨) ગૂંથી અને ગુંજી શકે છે :
તમે કાલે નૈ તો પરમદિવસે તો અહીં હશો,
(હયાતી ૧૬)
હજી વ્હાલમને આવવાની વાર
તમે જંપો, હે પોપચાં, લગાર;
(મૌન ૧૮)
ગીતમાં ભાવ લયની કેડી ઉપર કંઈક મોકળાશથી મહાલે છે તો એ જ ભાવબિંદુ છંદોની છીપમાં સૉનેટ થઈને પાકે છે, તેમાં પણ પ્રસન્ન મુગ્ધ દાંપત્યના સહવાસની સુવાસ કવિ બાંધી શક્યા છે :
તમારી લાવેલી કુમળી કળીની વેણી સમ એ
નિશાએ હૈયાનાં દલ ઊઘડશે, અંતર જશે,
(હયાતી ૧૬)
મને લાગે છે કે કવિએ ‘દલ ઊઘડશે’, આગળ જ પંક્તિને છોડી દેવી જોઈતી હતી. પછી આવતા પાંચ અક્ષરો ‘અંતર જશે’ એ ‘લાઉડ’, બોલકા તો લાગે જ છે, પણ એથીયે વિશેષ એ છંદપૂરક લાગે છે.
ગીતોમાં છે એવી સાહજિકતા એમનાં છંદોબદ્ધ કાવ્યોમાં નથી. એમના છંદોને નિશ્ચિત માપની ખાલી જગા પૂરવા માટે થોડુંક ખેંચાવું પડે છે. ગીતના લયમાં શબ્દોનું આફેલગાફેલપણું કદાચ નભી જાય, અને આટલું ઉઘાડું ન પણ પડે, પણ સૉનેટમાં કોઈક આવા સ્થાને કવિ પોતાના જ શબ્દોથી છડેચોક લૂંટાઈ શકે. કવિએ લખ્યું છે સૉનેટ, પણ પ્રારંભની બે પંક્તિ પછી ‘તમારું થાકેલું શિર’, ‘તમારી લાવેલી’, ‘તમારા આશ્લેષે’ – આમ જાણે ગીતમાં આવતી ધ્રુવપંક્તિ જેવું પુનરાવર્તન છે. હરીન્દ્ર ક્યારેક છંદની શુદ્ધિ જાળવી શકતા નથી :
હતાં ક્યાં, જ્યારે આ ઉપવનની રચાતી હતી ધરા?
(હયાતી ૬૫)
હરીન્દ્ર સત્તર અક્ષરના શિખરિણીને આ પંક્તિમાં અઢાર અક્ષર સુધી ખેંચે છે.
કોઈકને ઈર્ષા આવે એટલી સફળતા હરીન્દ્રને ગીતમાં મળી છે, છતાંયે એમની કલમને ગઝલનો ચસકો ઓછો નથી.
આપણે ત્યાં ઘણા વખત સુધી ગઝલને સાવકી નજરે જોવામાં આવી. કેટલાક કવિઓ ગઝલ લખે છે ખરા, પણ ગઝલકાર તરીકે ઓળખાવું એમને હજીયે ગમતું નથી.
ગઝલ આકર્ષક અને છેતરી જાય એવું કાવ્યસ્વરૂપ છે. ભલભલા શાયરો છેતરાયા છે. કેટલાયે શાયરો ગઝલની પરંપરામાં અટવાયા છે અને એક જમાનામાં જેમની શાયરીની વાહવાહ થતી હતી એ શાયરોની કેટલીયે કૃતિઓને આજે કાળના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ખાત્રી એટલી જ થાય કે આ ગઝલકારોએ પરંપરાની મર્યાદાઓનો ગુણાકાર જ કર્યો છે. ખમીરવાળો સર્જક પરંપરાના પ્રવાહમાં તણાયા વિના, તેમાં રહીને જ, તેની વિશિષ્ટતાઓનું અનુસંધાન સાધીને અને તેની મર્યાદાઓને ખેરવીને કાવ્ય સિદ્ધ કરતો હોય છે. સાચો આધુનિક પરંપરાનિષ્ઠ રહીને પરંપરામુક્ત થતો હોય છે.
શયદાશાઈ ગઝલને ઘરેડમાંથી બહાર લાવવાનું કામ દેખીતી રીતે આદિલ મન્સૂરીથી થયું, પણ એનાં બીજ વવાયાં છે ‘આસવ’(ડિસેમ્બર ૧૯૬૧)થી; ગુજરાતી ગઝલના ઇતિહાસકારે એની નોંધ લેવી જોઈશે. ‘મરીઝ’ની ગઝલમાં અનુભૂતિનું હૃદયસ્પર્શી ઊંડાણ છે; શબ્દોનો શોર નહીં, પણ સાદગીની ચૂપકીદી છે.
હરીન્દ્રની ગઝલમાં સાદગી અને અભિવ્યક્તિની નાટ્યાત્મકતા કેવી છે અને એમણે ભાષા પાસેથી કેવી સફાઈપૂર્વકનું કામ કઢાવ્યું છે એનો અંદાજ આ બેત્રણ શેર પરથી પણ આવી શકે :
વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું,
કહું, જે હોય છે આલમ તમે ન હો તો, કહું.
(હયાતી ૪)
‘કેમ ચાલે છે?’ ‘બધું સારું છે’ કહી છૂટાં પડ્યાં,
આ અમસ્તી વાતની કેવી અસર, જાગ્યા કરું.
(હયાતી ૫૨)
તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી,
(હયાતી ૪૧)
ગઝલક્ષેત્રે પોતાના આગમન માટે હરીન્દ્રએ લખ્યું છે :
લઈ ઉર્દૂ ને અરબીની નવી આબોહવા આવ્યો,
કવનબાગે ગઝલનાં ગુલ નવાં ખીલવવા આવ્યો,
સુધા એ પ્રેમમસ્તીની નવી છલકાવવા આવ્યો,
હું એ ઈકબાલ–ગાલિબની કલા સમજી જવા આવ્યો;
અને સમજી શક્યો તે આપને સમજાવવા આવ્યો.
(આસવ ૩૯)
હરીન્દ્રની કવિતા પર ઉર્દૂ કવિતાની અસર છે. ઉર્દૂ કવિતા એટલે મોટે ભાગે ગઝલ–નઝમ. ઉર્દૂ શાયરીને માફક આવી ગયેલી અતિશયોક્તિઓ પણ હરીન્દ્રની ગઝલમાં જોવા મળે છે. એમના કેટલાક છંદો અને છટાઓ તથા અભિવ્યક્તિની કેટલીક લાક્ષણિકતાઓનો નાતો ઉર્દૂ કવિઓની સાથે જોડી શકાય. પ્રથમ કાવ્ય ‘હે ધરા!’માં ઝૂલણા છંદને થોડાક જ ફેરફારથી કવિ પોતીકી રીતે બહેલાવે છે. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કે ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને’ – નો છંદ અહીં ગઝલીય વ્યક્તિત્વથી પ્રગટ થાય છે. આ કાવ્યલયનો સંબંધ આવા પ્રકારની રચનાઓના લય સાથે મળતો આવે છે :
“इस तरह तय हुआ साँस का यह सफर
जिन्दगी थक गई, मौत चलती रही।
एक ऐसी हँसी हँस पड़ी धूल यह
लाश इन्सान की मुस्कराने लगी
तान ऐसी किसीने कहीं छेड दी
आँख रोती हुई गीत गाने लगी।
एक नाजुक किरन छू गई इस तरह
खुद–ब–खुद प्राण का दीप जलने लगा।”
– नीरज
“પાનખર” કાવ્ય માટે હરીન્દ્ર ‘આસવ’ના ટિપ્પણમાં આ પ્રમાણે નોંધે છે :
“ગુલબંકીને આ ખંડોમાં ગોઠવવાની પ્રેરણા હફીઝ જાલંધરીની પ્રખ્યાત કવિતા ‘અભી તો મૈં જવાન હું’–માંથી મળી હતી.”
શાહબાઝની જેમ આ કવિએ પણ ઉર્દૂ, સંસ્કૃત, ગુજરાતી ભાષાના સંમિશ્રણથી એક નવી અને જરા પણ અતડી ન લાગે એવી આબોહવા જમાવી છે :
હૈયાનો લગાવી બાગ તમે કંઈયે ન ખબર, કે ક્યાં ચાલ્યા,
લ્યો, ફૂલ ખીલ્યાં, માળી વિણ એનાં લાલનપાલન કોણ કરે?
કોઈ ન વસ્યું તવ અંતરમાં એ દર્દ હવે દિલ સંઘર મા,
(એ) થંભ્યા નીર તણાં ઊંડાણે જઈ અવગાહન કોણ કરે?
(આસવ ૨૪)
હરીન્દ્રને ગઝલ સાહિત્ય પચેલું છે એટલે છંદ ઉર્દૂનો હોય અને વચ્ચેવચ્ચે સંસ્કૃતશાઈ શબ્દો પણ આવી જાય; છતાં બધું ઘૂંટાઈને, રસાયણ થઈને આવે છે એટલે જુદી જુદી ભાષાના શબ્દો પરસ્પરના સાન્નિધ્યમાં મેળ વિનાના લાગતા નથી. દા. ત. ‘પાનખર’ કાવ્યનો મિજાજ નઝમનો છે. ‘હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે.’ એ પંક્તિ જે વાતાવરણ સરજે છે એમાં—લયના ઉદાસ નશામાં નિગૂઢ, વિલુપ્ત, પ્રસન્ન, નિર્નિમેષ, પરાગ—આ બધા શબ્દો સ્વાભાવિકપણે ગોઠવાઈ ગયા છે.
ગઝલ વિશે એમણે પોતે કહ્યું છે :
એ ક્યાં અમારી જિદ્ કે ગઝલ આખી સાંભળો.
(હયાતી ૪૮)
આમ પણ હંમેશાં ગઝલ આખી સાંભળવાની હોતી નથી; ગઝલમાં ઘણી વાર બેચાર શેર એવા હોય છે કે એની તાકાતથી જ આખી ગઝલ ઊંચકાઈ જાય, અને ભાવકના મનમાં ગઝલના વાતાવરણની ઘટા રચાઈ જાય. હરીન્દ્રએ પોતાની ગઝલને કઈ રીતે વાંચવી એનું પ્રિસ્ક્રીપ્શન પણ આપ્યું છે :
મુજને તમારી ખૂબ નિકટ રાખી સાંભળો.
- * *
મારી ગઝલને યાદમાં બહેલાવી સાંભળો.
(હયાતી ૪૮)
હરીન્દ્રના કેટલાક શેરના ભાવ અને ગીતના ભાવ સામસામા ટકરાય છે :
ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા,
સાચું કહું કે એ બધા રસ્તા ઉપર મળ્યા.
(હયાતી ૪૪)
ગીત સખી, મેં અવર રૂપને જોઈ રચ્યું
તે ગાતો તારી પાસે,
(સૂર્યોપનિષદ ૭૨)
હજી પણ હું રૂપાળા ચહેરાઓ જોયા કરું રસ્તે
મઝા કૈં ઓર આવે છે હવે સરખામણી કરતાં.
(સૂર્યોપનિષદ ૧૯)
આવા ભરતીના શેરને કવિએ આપમેળે ઓસરી જવા દીધા હોત તો કોઈએ કશું ઝાઝું ગુમાવવા જેવું રહેત નહીં :
ઝારી લઈને બાગમાં ફરતા રહ્યો બધે,
ગમતો’તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.
(હયાતી ૪૧)
બેહોશીના હોશનો ઉદ્ગાર હોય એવી—
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
(હયાતી ૧૭)
એ ગઝલ વિના આપણા ગુજરાતી સાહિત્યનો ગઝલસંચય અધૂરો રહે એવી એ ઉત્તમ રચના છે.
‘દીર્ઘ–કૃતિ’ શબ્દ કોઈ ચોક્કસ વ્યાખ્યાના અભાવે કેટલીયે શિથિલ માન્યતાઓ સાથે આપણી પાસે પડ્યો છે. ગીત, ગઝલ, સૉનેટ એ તો લઘુ કૃતિઓ જ છે. આખ્યાન, ખંડકાવ્ય કે કરુણપ્રશસ્તિ દીર્ઘ કૃતિઓ હોય છે, પણ એમની દીર્ઘતા તે તે કાવ્યસ્વરૂપ સાથે સંકળાઈને વિશિષ્ટ સંજ્ઞા પામી ચૂકી છે.
અહીં તો જેમાં નથી ગીત, ગઝલ કે સૉનેટનું લાઘવ, કે જે નથી આખ્યાનાદિ વિશિષ્ટ કાવ્યપ્રકાર, એવાં દીર્ઘતાને કારણે જ જુદાં પડતાં કાવ્યોનો વિચાર કર્યો છે.
ઉમાશંકરનાં ‘વિરાટ પ્રણય’ (પંક્તિ–૨૮૫), ‘છિન્નભિન્ન છું’ (પંક્તિ–૯૪), ‘શોધ’ (પંક્તિ–૧૦૯), સુન્દરમનાં ‘૧૩–૭ની લોકલ’ (પંક્તિ–૧૭૦), ‘સળંગ સળિયા પરે’ (પંક્તિ–૧૬૦), સુરેશ જોષીનું ‘એક રૉમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન’ (પંક્તિ–૨૯૯) કે હરીન્દ્ર દવેનું ‘સો વરસ પહેલાં, સો વરસ પછી કે પછી આજે’ (પંક્તિ–૧૭૧) કે લાભશંકરનું લગભગ નવસો પંક્તિનું ‘માણસની વાત’ – આ બધાં કાવ્યો દીર્ઘ–કૃતિના વર્ગમાં જ સમાય છે. ઘણીવાર તો એમ લાગે છે કે અમુક રચના લઘુ નથી, એ બતાવવા જ આપણે એને દીર્ઘરચનાની ઓળખચિઠ્ઠી બાંધીએ છીએ.
દીર્ઘ–કાવ્ય ભલે વ્યાખ્યામાં ન સમાઈ શકે, પણ કાવ્યના પ્રદેશમાં સમાઈ શકે એવો, અશક્ય નહીં પણ નિભાવવો ભારે મુશ્કેલ એવો સાહિત્યપદાર્થ છે. દીર્ઘકાવ્ય શું છે તથા એની વિશિષ્ટતા કે મર્યાદા શી એને નીચેનું વિધાન સહજ ખોલી આપે છે :
‘Even if Poe's contention is accepted that there is no such thing as a long poem, merely a collation of short ones the fact remains that the long poem is a different animal from the short piece. It aims at, and produces, different effects; as Keats said, it is 'a place to wander in'. It allows the poet to say things he would otherwise have been unable to say, if only because he has room to say them in a different manner.’
દીર્ઘ–કાવ્ય સાંગોપાંગ ઊર્મિકાવ્ય ન હોય તોપણ એના કેટલાક અંશો લિરિકલ તો રહેવાના. દીર્ઘકાવ્યમાં વ્યાપ, ઊંડાણ, અભિવ્યક્તિની વિવિધ છટાને માટે મોકળાશ રહે છે. કવિની શબ્દ સાથે, ભાવ–વિચાર–ચિંતન સાથે, સમજ અને સમાજ સાથે કેટલી આઘી અને ઊંડી પહોંચ છે તેનો ખ્યાલ દીર્ઘ–કાવ્યમાં આવે છે.
દીર્ઘ–કાવ્યમાં ભાષા એક નિખરેલું રૂપ લઈને પ્રગટ થાય છે કે પછી લેખણ લઢણ જ થઈ જાય છે? શબ્દભંડોળને બદલે શબ્દવિલાસમાં જ કવિ રાચતો હોય છે કે શું? આ બધું વિચારવા જેવું છે.
દીર્ઘ–કાવ્યોમાં નબળી ક્ષણો ઘણું હોય છે. કવિ જો ત્યાં નમતું જોખે તો એ સર્જક મટી જાય અને શેષ રહે દીર્ઘ શબ્દ જ, કાવ્ય નહીં.
દીર્ઘ–કાવ્યમાં વિભિન્ન કેન્દ્રબિંદુઓ ક્યાં એકત્રિત થાય છે, અને કઈ રીતે અભિન્ન થાય છે એ પણ જોવું જોઈએ. દીર્ઘ–કાવ્યની દીર્ઘતા શાને આભારી છે? પંક્તિઓના પથારાને કે પંક્તિઓ દ્વારા પ્રસરવા માગતા કાવ્યતત્ત્વને? દીર્ઘ–કાવ્યમાં વિસ્તાર શાનો થાય છે? ઊર્મિને સંબંધ છે ક્ષણ સાથે, ક્ષણને સંબંધ છે શાશ્વતી સાથે. કવિતાને સંબંધ છે શાશ્વત ક્ષણ સાથે.’ ઊર્મિના કંપથી પ્રારંભ પામેલું અને પછી ચિંતનમાં પ્રસ્તારાતું કાવ્ય દીર્ઘ હોય પણ ચિંતનાત્મક ઊર્મિકાવ્ય થઈને જ ઊભું રહે. દીર્ઘકાવ્યની ગતિ દ્રુતવિલંબિત વિલંબિતદ્રુત હોય છે.
દીર્ઘ–કાવ્યના આકારસૌષ્ઠવને આ રીતે પણ ચકાસી શકાય—એમાંથી એકાદ શ્લોક કે એકાદ ખંડ કાઢી લો કે ઉમેરો, પછી એની આકૃતિમાં, એના સ્વરૂપમાં કોઈ ફેર પડે છે ખરો? સૌન્દર્યમાં અનિવાર્યપણે પ્રમાણબદ્ધતા હોય છે, એમ સ્વીકારાયું છે; તો દીર્ઘ–કાવ્યના સ્વરૂપસૌન્દર્યનો પ્રમાણબદ્ધતા સાથેનો સંબંધ કેવો અને કેટલો? આ બધા પ્રશ્નો ઉત્તર આપી દેવાની વૃત્તિ કે ઉતાવળથી નથી પુછાયા પણ આ પ્રશ્નોની પડખે દીર્ઘ–કાવ્યની આકૃતિબદ્ધતાને જોવાનો ઉપક્રમ છે.
એક સાથે પાંચ–સાત વાદ્યો વાગતાં હોય, એ બધાં પોતપોતાની રીતે સૂરીલાં હોય, અને ઑર્કેસ્ટ્રાનું એક વાતાવરણ રચાય, અનેક પુષ્પો વેરવિખેર હોય, પણ એ બધાંની સ્થાપના થાય એવું ફલાવરવાઝ હોય – દીર્ઘ–કૃતિઓ પાસે એવા કોઈક કેન્દ્રબિંદુની અપેક્ષા ભાવક રાખે તો એ વધુ પડતું નથી. દીર્ઘ–કૃતિઓમાં અનેક પંક્તિઓ, ભાવ, વિચારી એવાં હોય છે કે જ્યાં આપણે વિસામો લઈ ઠરી શકીએ, પણ કોઈ પૂછે કે તમે ક્યાં જઈ આવ્યા, તો એનો ઉત્તર આપવો મુશ્કેલ પડે. અહીં એમ કહેવું નથી કે કવિતાની ગતિ સીધી સોંસરવી ને એકધારી હોવી જોઈએ. એવું પણ નથી કહેવું કે કવિતા પારદર્શકપણે સ્પષ્ટ હોવી જોઈએ. આપણે ખુલ્લેખુલ્લા અર્થની અપેક્ષા કવિતા પાસેથી નથી કરતા અને એવો ખુલ્લો અર્થ કવિતા નથી આપતી એટલે તો એ કવિતા હોય છે. કવિતાનું રહસ્ય એક વસ્તુ છે અને શબ્દની આસપાસ વીંટળાયેલું અર્થનું ધુમ્મસ એ બીજી વસ્તુ છે. કવિતામાં રહસ્યનો આગ્રહ તો કોઈ પણ ભાવક રાખે કારણ કે એ રહસ્યપ્રદેશના યાત્રી થવું અને એ રહસ્યથી સતત વિસ્મિત થવું એમાં તો કવિતાના ભાવકની સાર્થકતા છે. પણ અર્થનું ધુમ્મસ ભાવકને કોઈ બિંદુ પર નિરાંતે જંપવા દેતું નથી અને પ્રત્યાયન ન થતાં, સમગ્ર કાવ્યપ્રદેશને વટાવ્યા પછી પણ કેટલોક ભાગ અંકોડાના અભાવે અતડો લાગે. આપણે કાવ્યમાં કોઈ લૉજિકલ સિકવન્સની કે સાયકૉલોજિકલ યુનિટીની, – સાંકળની અપેક્ષા રાખીએ છીએ એવું કોઈ રખે માને; કારણ કે કલાપ્રકાર લેખે કાવ્ય ને નિબંધનો શો ભેદ છે એ સમજાય એવી વાત છે.
ગદ્યકવિતાને ફેલાતાં વાર નથી લાગતી અને કવિની કલમ ગતિને બદલે રઝળપાટ કરતી થઈ જાય છે ત્યારે એમાં શિસ્ત નથી હોતી, એકતા નથી હોતી. તેનો પ્રત્યેક ખંડ પોતાની રીતે અણી કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ એ બધાંમાંથી આકાર સિદ્ધ કરવો અતિ મુશ્કેલ હોય છે એટલે દીર્ઘ–કાવ્યો અને તેમાંયે અછાંદસ દીર્ઘ–કાવ્યો ઝાઝે ભાગે કલાનાં શિથિલ સ્વરૂપ જેવાં નીવડે છે.
અછાંદસ લાંબાં કાવ્યોનો મુકાબલો કરનારમાં સામે પૂરે તરવાની જિજ્ઞાસા અને જિગર બંને હોવાં જોઈએ. દેખીતી રીતે ક્યારેક એવું લાગે કે કવિએ પંક્તિઓનો કેટલોક પથારો ટાળ્યો હોત તો સારું હતું. પણ આવા પથારાઓમાં કેટલીક માર્મિક પંક્તિઓ એવી દટાઈને પડી હોય છે કે એ બે-ચાર પંક્તિઓને અજવાળે કાવ્યનું રૂપ તદ્દન જુદું લાગે. જો કે કેટલાંક કાવ્યોનો બાંધો એવો હોય છે કે એમાં અમુક generalization આવ્યા વિના રહે નહીં, પણ અવતરણ પોથીમાં ટાંકવી ગમે એવી સત્ય–અર્ધસત્યાત્મક કંડિકાઓને માત્ર આ કવિએ જ નહીં, બધા જ કવિઓએ બને ત્યાં લગી ટાળવી જોઈએ. એવી ચપ્પટ પંક્તિઓ ઘણી વાર સંદર્ભ વિના સ્પર્શી જાય, પણ કાવ્યના પરિવેશમાં ક્યારેક અતડી પણ લાગે; તો ક્યારેક આવી પંક્તિઓને આધારે જ આસપાસનું અંધારું ઓસરતું જાય. કવિએ આવતી તમામ પંક્તિઓને સ્વીકારવાને બદલે કેટલીક પંક્તિઓને જતી કરવી જોઈએ. આવી પંક્તિઓમાં જીવનનું અનુભવમૂલક, કહેવતની કક્ષાનું સત્ય હોય છે એની ના નહીં, પણ ક્યારેક કાવ્યનું સૌષ્ઠવ હણાઈ જાય છે અને સૌષ્ઠવ એ કાવ્યનું સત્ય છે.
‘વમળનાં વન’ની પ્રસ્તાવનામાં મકરન્દ દવેએ જે કહ્યું છે ને પછીથી પાઉન્ડનો હવાલો આપ્યો છે તે અછાંદસમાં ઝુકાવતા સૌ કવિઓએ સતત આંખ સામે રાખવા જેવું છે :
“ગીતોમાં શબ્દોના લોચા વળવા માંડે તો લય એનો ભાર પોતાના
ખભા પર ઉપાડી લે છે અને ગીતને ડૂબી જતું બચાવી લે છે. પણ
અછાંદસ રચનાઓમાં તો શબ્દોને પોતાના જોર પર ચાલવું પડે છે.
અહીં કોઈ બાંધેલો ઘાટ નહીં હોવાથી કવિતાને પાર ઉતારવી મુશ્કેલ
છે. જેણે છંદના વિવિધ આકારો પર કાબૂ મેળવ્યો હોય એ જ
અછાંદસની નિરાકાર દુનિયામાં કવિતાના પિંડને ઉગારી શકે. આધુનિક અંગ્રેજી અછાંદસનો પિતા એઝરા પાઉન્ડ છે. અને પાઉન્ડ તો અનેકવિધ છંદો સામે અવિરત જહેમત ઉઠાવીને અછાંદસને કિનારે આવેલો જણ છે. આપણે ત્યાં છંદ માત્રને નામુમકિન ગણી સીધા અછાંદસમાં ઝંપલાવતા મિત્રો વધતા જાય છે ત્યારે આ વાત કહેવા જેવી છે. આપણાં લોકગીતો, ભજનો અને અક્ષરમેળ–માત્રામેળ છંદનો ક્યાસ કાઢ્યા વિના આપણી ભાષામાં રહેલી તાલબદ્ધતા, તરલતા અને લચકનો કેવી રીતે ખ્યાલ આવશે? ગદ્યના ખભા પર પદ્યની પાલખી લઈ જવી હશે તો માત્ર ચાલવાથી કામ નહીં ચાલે. પદ્યનું નર્તન પણ ગદ્યના પગમાં ઉતારવું પડશે. એઝરા પાઉન્ડે એક માર્કાની વાત કરી છે. તેણે કહ્યું છે :
‘જ્યારે લખ્યા વિના રહેવાય જ નહીં ત્યારે, એટલે કે છંદોબદ્ધતા કરતાં વધારે સુંદર લય કાવ્યવસ્તુ પોતે જ સાધી આપે એમ લાગે ત્યારે જ અછાંદસ રચના લખવી જોઈએ, અથવા તો છંદોબદ્ધતા લાવી શકે તેનાં કરતાં વધારે સાચો, વસ્તુના સંવેદન સાથે એક ભાગરૂપ બની જતો, વધુ ઘનિષ્ઠ, એકાત્મીય, પરિત્રાયક લય સધાવી જોઈએ.—તમામ છંદોના લયથી મનને અસંતુષ્ટ કરી મૂકે એવો લય.’
એલિયટને ટાંકી પાઉન્ડે કહ્યું છે : ‘જેને અચ્છું કામ કરવું છે તેને માટે કોઈ પણ કવિતા અછાંદસ નથી.’
[‘એઝરા પાઉન્ડ’ : સંપાદક, જે. પી. સલિવાન : પેન્ગ્વિન, પાનું–૮૭]
હરીન્દ્રના ‘સૂર્યોપનિષદ’ સંગ્રહની અછાંદસ કવિતાનાં બીજ ‘નિદ્રા’ કાવ્યમાં છે. ‘નિદ્રા’ કાવ્ય કવિની નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ના પણ જાણે કે નેપથ્યમાં છે. આ કાવ્યમાં પ્રેમ, અપેક્ષા, જીવન, મૃત્યુ, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક નગરજીવનનું પ્રતિબિંબ, ક્યાંક ક્યાંક સામાજિક સભાનતાના પડછાયા – આ બધું કોઈ એક જ મુદ્રા સાથે નહીં, પણ સ્પર્શીને વહી જતી લહેરખીની જેમ આવ્યા કરે છે. ‘નિદ્રા’ કાવ્યમાં કવિનું loud thinking કાવ્યરૂપે મળે છે. આજનો માણસ, એનું ખંડિત એકાંત, કોઈના વતી ચાલ ચાલવાનો થાક અને બે પાંપણો વચ્ચેથી નિદ્રાને દેશવટો આપતી અપેક્ષા–આ બધા વિધવિધ ‘તાર પર કવિની આંગળી ફરે છે.’ આવા પ્રકારની અછાંદસ રચના માટે શ્રી યશવન્ત શુક્લએ હરીન્દ્રના કાવ્ય ‘ગતિ, સંબંધ, પ્રેમ : કૅલિડોસ્કૉપિક દૃશ્ય’ માટે જે કહ્યું છે તે નોંધવા જેવું છે :
‘સત્તાવીસમા અંકમાંનાં જે ઉત્તમ કાવ્યો છે તે સર્વની વિશેષતાઓનો સમવાય મને આ કાવ્યમાં દેખાયો છે. ટેક્નિકની નવીનતામાં, ચિન્તનની મૌલિકતા અને તીક્ષ્ણતામાં, પ્રતિભાવોની વક્રતામાં, સંવેદનની તીવ્રતામાં અને અભિવ્યક્તિની બળકટતામાં આ કાવ્ય અંકમાંના કોઈ ૫ણ કાવ્યની સાથે હોડમાં મૂકી શકાય એવું છે.
પહેલી આઠ પંક્તિઓ જ કાવ્યના મધવહેણમાં તાણી જાય છે. અને આખા કાવ્યનો સંદર્ભ પણ રચી આપે છે. માનવ સંસ્કૃતિની વિકાસયાત્રાની દિશાભૂલ–ગતિમયતાની જડતા સૂચવનારો મર્માળો પણ વિવેકી પ્રશ્ન કુદરત સાથે મેળમાં રહી વિકસતાં ‘લીલાં’ વૃક્ષો પાસે કવિએ પુછાવ્યો છે :
આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ,
ઉપર આકાશમાં ગતિ કરીએ છીએ–
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને?
વિકાસનો મહાનિયમ–નિજત્વમાંથી પોષણ મેળવવાનો–સૂચવીને કવિ બીજી વ્યર્થતાઓ તરફ વળ્યા છે.
આમ જો કે આ સુદીર્ઘ કાવ્યના ખંડો ઉપલક દૃષ્ટિએ અસંબદ્ધ લાગે–દૃશ્ય કૅલિડોસ્કૉપિક છે ને? – તોપણ વ્યર્થ અસ્તિત્વ અને સાર્થ જીવનની ભેદરેખા ઉપર તે એવી રીતે સંધાઈ જાય છે કે આખું કાવ્ય તત્ત્વજ્ઞાનનો મહાપ્રશ્ન બની રહે છે (વિસ્મયનો નહીં તેટલો વેદનાનો). આટલી પરોક્ષ બોધાત્મકતા મને અંગત રીતે આકર્ષક લાગી છે.
અછાંદસ આધુનિકતા ચારુતાને નહીં એટલી વેદનાને ઉપાસે છે. વાંક આધુનિક સંસ્કૃતિનો હશે. પણ ગેય, છાંદસ, અને અછાંદસ કવિતાએ જાણે પોતપોતાનું ભાવજગત જુદું તારવી લીધું હોય એમ લાગે છે. આદેશાત્મક વક્રોક્તિનો નાટ્યગુણ દાખવી વેદના વ્યક્ત કરવાની રીતિ આ કાવ્યમાં પણ જળવાઈ છે.
હરીન્દ્રનાં લાંબાં કાવ્યો માટે ક્યારેક એવું પણ લાગે છે કે ભાવ કે વિચારનો આડોઅવળો રસ્તો એકાદ શબ્દમાંથી ફૂટતો હશે અને પછી ધીમેધીમે, જીવનમાં જે કાંઈ જોયું છે, જાણ્યું છે, માણ્યું છે કે નથી માણ્યું–ના અનુભવો એ જ રસ્તા પર જુદાં જુદાં વૃક્ષો થઈને મ્હોરતાં હશે–દા. ત. ‘કવચ, અર્ગલા, કીલક.’ હરીન્દ્રની આ દીર્ઘ–રચનાઓમાં ચિંતનના ધુમ્મસ પાછળ emotional landscape હોય છે.
‘ત્રણ સ્તોત્રો’ જેવી કૃતિમાં કવિએ સપ્તશતીની પ્રાર્થનાઓનો તદ્દન વિરોધી સંદર્ભમાં ઉપયોગ કર્યો છે. ‘કવચ’ એ પ્રાર્થના દ્વારા રિપુઓથી રક્ષણ મેળવવા માટેનું જાણે કે બખ્તર છે. બખ્તર પહેરવાનું હોય છે, તો કવિ અહીં એમ કહે છે કે “મને મારું કવચ ઉતારી લેવા દો.”
‘અર્ગલા’માં કવિ :
ન અંદર પ્રવેશું છું,
ન બહાર જાઉં છું.
(હયાતી ૮૭)
એવી સ્થિતિને વર્ણવીને ‘દ્યૂતની રમતમાં મને ધર્મરાજનું ભાગ્ય આપો.’ એમ પ્રાર્થે છે. મૂળની પંક્તિઓના અર્થને કવિ તદ્દન ઊલટાવેસુલટાવે છે :
જે રુદ્રો યશનું નામ ધરી વિચરે છે
તેમનાં ધનુષ્યો દોરી વિનાનાં કરી
મારાથી હજાર યોજન દૂર ફેંકું છું.
જેનો હું દ્વેષ કરું છું
અને જે મારો દ્વેષ કરે છે,
એ ભલે સૂર્ય બનતા –
હું બનીશ એની સૌથી નજીકનો અંધકાર.
(હયાતી ૮૭)
‘કીલક’ એટલે ખીલો. એનું મુકરર થયેલું ક્યાંક કોઈક સ્થાન હોય છે. કોઈ પણ દિશા વિના વહેતા જળનું કોઈ સ્થાન નથી. એ જળનો પાળ દ્વારા વાવ-કૂવા-સરોવર રૂપે કે કોઈક ને કોઈક રૂપે ખીલો ખોડાયો હોય તોપણ એને ગતિ છે, કોઈ નિશ્રિત સ્થિતિ નથી.
અહીં કવિ ‘જળ એટલે જીવન’ કહી એનો ખીલો ખોડે છે, ઉખેડે છે અને ફરી પાછો ખોડે છે – નિર્ગ્રંથ વ્યક્તિનિષ્ઠ પ્રેમમાં. જોકે વ્યક્તિનિષ્ટ પ્રેમ નિર્ગ્રંથ હોય એ લગભગ અશક્ય છે.
હરીન્દ્રની દીર્ઘ–રચનાઓની ટેક્નિક મહદ્ અંશે આવી છે : જુદા જુદા આકારનાં અને જુદી જુદી ઢબનાં પ્રતિબિંબો પાડતા અરીસાઓ ચારે બાજુ ગોઠવ્યા હોય અને એ પ્રતિબિંબોનાં વૈવિધ્ય ને વૈચિત્ર્યમાંથી ઉપસે એવો આકાર ઉપસાવવાની અહીં મથામણ છે. ક્યારેક એનો દેહ છે છે અને એટલી હદે નથી નથી જેવો થઈ જાય છે કે કવિ જાણે કે ધુમ્મસમાંથી શિલ્પ કંડારવાનું સાહસ કરતા હોય એવું લાગે છે. હરીન્દ્ર mood–ના–મિજાજના કવિ છે અને મિજાજની અવસ્થા જો સતત એકની એક ટકી રહે તો પછી એ મિજાજ શાનો? ગીતોમાં કે લઘુ રચનાઓમાં હરીન્દ્ર સંઘેડાઉતાર કૃતિ આપી શકે છે તેમને અહીં એવી ને એટલી સફળતા બધે જ નથી મળી.
હરીન્દ્રની દીર્ઘ–રચનાઓમાં, જુદા જુદા ખંડો દ્વારા અખંડનો આભાસ ઊભો કરે એવાં કૅલિડોસ્કૉપિક આકૃતિદૃશ્યો છે. આ આકૃતિદૃશ્યો સિદ્ધ કરવામાં ક્યારેક કવિ Collage કે Montage જેવી પદ્ધતિનો પણ આશ્રય લે છે.
હરીન્દ્ર આ જ કસબનો ઉપયોગ અવારનવાર શા માટે કરે છે એવો પ્રશ્ન પૂછીએ તો એ તો ભાવકને આવો જવાબ આપી શકે :
એ ગળતી રાતે મુજ આગોશમાં વિખરાયેલી વાતો,
કહું શું જ્યાં તમે પૂછો એમાં સંકલન ક્યાં છે?
(સમય ૧૦)
કોઈ પણ વ્યક્તિમાં વિરોધો અને વિરોધાભાસો હોય છે. કવિ એ વ્યક્તિ–ઈતર પ્રાણી નથી. અંતે તો કવિ પણ જન્મે છે વ્યક્તિમાંથી જ, એટલે વિરોધો ન હોય એ જ abnormal સ્થિતિ છે. વૉલ્ટ વ્હીટમેનનું જાણીતું કથન–
Do I contradict myself?
Very well then I contradict myself,
(I am large, I contain multitudes.)
વ્યક્તિ સાથે સંકળાયેલી વિચિત્રતા, વિષમતા ને પરિસ્થિતિનો તકાજો કેવો હોય છે અને માણસ જેવો માણસ બીજા માણસ પાસે કેવો અસહાય થઈને ઊભો રહે છે, વીંધાઈ જાય છતાં એક ચીસ પણ ન પાડી શકે અને એટલે જ જખમ કેવો ઊંડો થઈ જાય છે, એ વાત એમણે આ એક શેરમાં મૂકી છે :
મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
(હયાત ૧૭)
આ કવિ ગઝલ પણ લખે છે અને શ્રી અરવિંદ–માતાજીનાં સૉનેટ પણ. કેટલાંક કાવ્યોમાં ‘will to live’–ની વાત અને ‘desire to die’–ની વાત, બંને પ્રગટ થાય છે. ગઝલ ઇશ્કેહકીકી અને ઇશ્કેમિજાજી હોય છે, એ આપણે જાણીએ છીએ; પણ હરીન્દ્રની મોટાભાગની ગઝલનો ગાઢ સંબંધ ઇશ્કેમિજાજી સાથે છે, ઇશ્કેહકીકી સાથે નથી અને એમણે પ્રારંભમાં પોતાનું ઉપનામ ‘દરવેશ’ રાખેલું.
પ્રીતિની બારમાસી કવિતા લખનાર આ કવિ ક્યારેક એમ પણ કહે છે :
જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી.
(આસવ ૨૮)
બાહુપ્રસરમાં તું જ છતાં, આ કોઈ
અરૂપ, અનામી શ્વાસે શ્વાસે.
(સૂર્યોપનિષદ ૭૨)
મેળાનો મને થાક લાગે છે એમ સતત કહેનાર આમ પણ કહે છે :
મને અળગો કર્યો છે. નગરચોકથી
સાવ તારવી દીધો છે બધા લોકથી,
(સૂર્યોપનિષદ ૬૦)
સૂરદાસ ભક્ત કવિ છે અને કબીર જ્ઞાની કવિ છે, હરીન્દ્રને બંને સાથે જોઈએ છે.
આવી ઓચિંતા સૂર ને કબીર
મને છલકાવી દે,
(સૂર્યોપનિષદ ૬૦)
ઘણીયે વાર સત્ય paradoxનો સ્વાંગ લઈને જ પ્રગટી શકે એ પણ એક paradox નથી! અહીં ઈશાવાસ્યોપનિષદનું કથન યાદ આવે છે,
‘हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्’।
“આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.” આવી પંક્તિઓમાં ખડખડાટ હાસ્યથી અનુભવાતું ઉદાસીનું ઘેરું સ્વરૂપ અભિવ્યક્તિને ધાર કાઢી આપે છે. વિરોધી કથન દ્વારા અભિવ્યક્તિની તીવ્રતા પ્રગટ કરતી કેટલીક ઉક્તિઓ જોઈએ’ :
હું હસું છું
કારણ કે મને રડવાનો કંટાળો છે.
બોલું છું
કારણ કે ચૂપ રહેવાનો થાક છે.
ચાલું છું
કારણ કે અગતિનું રહસ્ય
મને સમજાયું નથી.
(હયાતી ૮૬)
ન જીવન માગું છું, ન મૃત્યુ;
ન વરદાન માગું છું, ન શાપ;
ન ફૂલ માગું છું, ન કાંટા;
ન વાણી માગું છું, ન મૌન :
અને માગ્યા જ કરું છું.
(હયાતી ૭૯)
જે માગતો નથી
એની જ માગણી પ્રચંડ હોય છે,
(સૂર્યોપનિષદ ૭૮)
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.
(હયાતી ૧૨૯)
કોઈ પણ ખુલ્લા દરવાજામાંથી
બહાર નીકળતાં માથું અફળાય છે :
(હયાતી ૭૮)
આ મારા હાસ્ય પર હું રડું નૈં તો શું કરું?
(હયાતી ૫૩)
રણના કૂવેથી…
- * *
બળીઝળી લૂનો હળુ ઢોળાતો ચામર :
- * *
ઝાંઝરનો બિહામણો રવ
(હયાતી ૯૩)
ફૂલો ઉદાસ છે અને કંટક ખીલી રહ્યા;
(હયાતી ૫)
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
(હયાતી ૧૭)
સૌ એટલું હસ્યાં કે નયન તર થઈ ગયાં,
મારા તમાશાની હવે ધારી અસર થઈ.
(હયાતી ૪૦)
આંખો મળી એ પહેલાં ને છૂટા પડ્યા પછી,
ભરપૂર પ્રેમ છે : છતાં વચ્ચે પ્રણય નથી.
(હયાતી ૪૯)
બે પાંપણો વચ્ચે અભાનનો પારદર્શક પડદો રચાય છે,
(હયાતી ૨૨)
અંધકારના પારદર્શક પડદા પાછળનો
(હયાતી ૬૩)
રાતના સૂરજ ઊગે તો કંઈકે શોષાઈ શકે,
(હયાતી ૫૨)
મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે,
- * *
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
(હયાતી ૧૪૨)
મિત્ર, જરા તો હસો, રુદનનો ભાર નથી જીરવાતો.
(હયાતી ૭૫)
મારા શાપમાં
ક્યારેક પ્રાર્થનાનું વરદાન પણ છે.
(હયાતી ૭૮)
મિલન મેં વિરહભોમમાં વાવ્યું,
(હયાતી ૧૨૧)
આવા વિરોધો ને વિરોધાભાસો અનેક રૂપે અને અનેક રીતે પ્રગટે છે.
કવિતા એ સંગીત નથી. પણ કવિતામાં સંગીત હોય છે. કવિતા એ ચિત્ર નથી, પણ ચિત્રાત્મકતા કવિતાનો ગુણ ગણાય છે. ઇન્દ્રિયક્ષમતા અને ઇન્દ્રિયવ્યત્યયનો સંબંધ કાવ્યકલા સાથે વિવેચકો જોડતા આવ્યા છે. પ્રતીક અને પ્રતિરૂપોથી કવિતા कविता બને છે, એ માન્યતા લગભગ શ્રદ્ધા સુધી પહોંચી ગઈ છે અને એટલે એક વર્ગ બેધડકપણે એમ માને છે કે કેવળ નિવેદનોથી કવિતા ન થઈ શકે. કોઈ પણ માન્યતા કે શ્રદ્ધાના બંધિયારપણામાં કાવ્ય કદી ઝડપાયું નથી એ સદ્ભાગ્ય છે. कविता આ રીતે જ થઈ શકે અને આ રીતે ન જ થઈ શકે એવી formula–ને સાંખે કે હામાં હા મેળવે એવી એ લાચાર અને નિર્જીવ નથી.
હરીન્દ્રની કવિતા ગાતાં ચિત્રોની કવિતા છે. શબ્દ ભાવને લયના પ્રવાહમાં દીવાની જેમ તરતો મૂકે ન મૂકે ત્યાં તો કવિની કલમ ચિત્રાંકન કરે છે :
પગલાં માંડું છું હું તો આગળ, ને વળીવળી
પાછળ વંકાઈ રહે ડોક,
(હયાતી ૧૧)
યુગલના ચિત્રનું આલેખન આપણી કવિતામાં આટલી નજાકતથી અવારનવાર થયું નથી :
હમણાં વંકાશે વાટ સાસરિયે જાવાની
થંભી જશે થનગનતી પાની,
નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ,
અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;
મોકો મળે તો જરા ગોઠડી કરીશું
ચોરીછૂપીથી આંખડીના ચાળે.
(હયાતી ૧૨)
હરીન્દ્રની કવિતામાં ચિત્રાંકન છે, ૫ણ એ એમની કવિતાની લાક્ષણિકતા નથી. એમને શબ્દચિત્રો કરતાં અદૃશ્ય ભાવચિત્રો માટે વિશેષ પક્ષપાત છે :
કહો, આ વાત કંટકને ગળે ઊતરે કઈ રીતે?
મને ઉપવનમાં પેલી જૂઈની નાજુક નજર વાગી.
(સમય ૪૩)
હરીન્દ્ર ફૂલમુખી કવિ છે. એમના શબ્દોની છાયામાં પતંગિયાના રંગો સૂતા છે. આ કવિ ‘ફૂલનજરથી’ જુએ છે અને કળીઓના કાનમાં પણ પ્રશ્ન મૂકે છે. એમની કવિતાની નજાકત એવી છે કે એમાં અંધારાં હોય તો એ પણ ફેણ ચડાવીને ડોલે અને એને મહાત કરવાનાં હોય તો તે પણ મોરલીના સૂરથી.
હરીન્દ્રની કવિતા એટલે ફૂલ પર ઝાકળનું ઝીણું નકશીકામ.
આ નજાકત કેવળ શબ્દોની નથી, એનો મહિમા જીવનસ્પર્શી છે. “રહીને સુંવાળા સહુને દુભાવ્યાનો થાક છે.” એવું સરવૈયું ભલે એમણે કાઢ્યું હોય, છતાં પણ માણસ થવા માટે પ્રત્યેક પરિસ્થિતિમાં આવી સ્વસ્થ નજાકત એ ઝંખે છે :
અળગા થવાની વાત, મહોબ્બત થવાની વાત,
બંને છે છેવટે તો નજાકત થવાની વાત.
(હયાતી ૫૧)
સચવાઈ જાય કોઈની શરમિન્દગીની લાજ,
મિત્રો, શમા વિનાની સભા હોવી જોઈએ.
(હયાતી ૫)
કોઈ પણ કવિ એવો નહીં હોય કે જે પોતાના પ્રિય ભાવ કે ભાવનાને એક વાર લખીને મુક્ત થઈ જાય. કવિ ભાવને અમુક રીતે દોહરાવે એની નોંધ ભલે લઈએ, પણ એની એ વાત સંદર્ભ બદલાતાં, રંગ એનો એ રહે તોપણ એની ઝાંય માણી શકાય એવી હોય છે; એક જ લીલા રંગની અનેક લીલા હોય એમ. હરીન્દ્રની કવિતામાં જ્યાં કેવળ ભાવસામ્ય હોય છે ત્યાં અભિવ્યક્તિની ઝાંયને લીધે પુનરાવર્તન કઠતું નથી. ભાવ અને અભિવ્યક્તિ-સામ્ય ભેગાં થાય છે ત્યાં કઠે છે :
હોઠ હસે તો ફાગુન
ગોરી! આંખ ઝરે તો સાવન,
(હયાતી ૯)
હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
(હયાતી ૧૬)
પ્રિયાના અધર પરે ખીલતા આ સ્મિત મહીં
વિલસતી જોઈ કદી ફુલ્લ તે વસંત?
કવચિત્ એ નેત્રફૂલે ઝાકળનો સ્પર્શ જોઈ
અનુભવી સાવનની ઘટા ઘનઘોર?
(મૌન ૫૮)
તમારા શ્વાસનું એક સંચલન વ્હેતી હવામાં હો,
- * *
પછી સઘળી ઋતુમાં ખીલતું ઉદ્યાન થઈ જાયે.
(હયાતી ૬)
અંબોડે ગૂંથી કળી ચંપાની એક
જરા ચૂમી ત્યાં જાસૂદનું ફૂલ,
(હયાતી ૧૦૧)
વાદળે સૂતેલ એક જળની પરીને
જરા ચૂમી ત્યાં વીજળીનો ઝટકો,
(હયાતી ૧૨૮)
હરીન્દ્રના ગદ્યલયની કેટલીક લઢણો બંધાઈ ગયેલી છે. મને લાગે છે કે પ્રત્યેક માણસની કેટલીક ઉક્તિસ્વાભાવિકતા હોય છે; સર્જકે પોતાને કોઠે પડેલી સ્વાભાવિકતાને ચાતરીને લખવાનું હોય છે અને આમ ચીલો ચાતરવાનું હંમેશાં શક્ય નથી હોતું, તો પણ કવિ જો સભાન હોય તો ગદ્યલય એક ઢાંચાનો થતાં અટકી જાય. કવિના ઢાંચાળા ઉદ્ગાર અહીં જોઈ શકાશે :
કોઈનીયે વેદનાનો ઓથાર
ઓઢીને ફરીએ
ત્યારે કોઈનીયે વેદના રજમાત્ર
ઓછી થતી નથી.
(હયાતી ૮૫)
કોઈનો સ્નેહ
ક્યારેય ઓછો નથી હોતો :
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
(હયાતી ૨૦)
પૂર્વમાં ઊગેલો સૂર્ય
પશ્ચિમમાં આથમે
ત્યારે ઇતિહાસનો દિવસ પૂરો થશે
કે અઢાર દિવસ પહેલાંની
કે પછીની રાત્રિ ઊગશે?
(હયાતી ૧૧૨)
એ કહેશે,
હમણાં કેમ ઉલ્લાસમાં નથી,
અને હું પૂર્વ દિશામાં
સૂર્ય બનીને ઊગી બેસીશ…
તો આ રાતનું શું થશે?
(હયાતી ૬૦)
મૃત્યુ એટલે ગતિ,
મૃત્યુ એટલે શ્વાસ,
મૃત્યુ એટલે હવા,
મૃત્યુ એટલે નાતો.
(હયાતી ૧૨૬)
પ્રેમ એટલે શરીર,
પ્રેમ એટલે સ્વપ્ન,
પ્રેમ એટલે ધુમાડો,
પ્રેમ એટલે આગ....
કોણ કેટલી આગ લગાડી શકે છે એની
સ્પર્ધા ચાલે છે,
(હયાતી ૮૩)
આ બધાં આમ આગળપાછળ,
ક્યાં ને કેમ જાય છે?
- * *
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને?
- * *
મને કદી ફૂલ આવ્યાં હતાં?
ક્યારેય કદી આવ્યાં હતાં ફળ?
વસંત આવી હતી ખરી?
(હયાતી ૮૦, ૮૧)
પણ
ક્ષણ એટલે કેટલો સમય?
(હયાતી ૭૪)
મઝા કૈં ઑર આવે છે…
(સૂર્યોપનિષદ ૧૯)
ઘેરો થયો તો ઑર મુલાયમ બની ગયો,
(સમય ૧૫)
ચાલો, રુદનની ઑર મજા આવશે હવે,
મિત્રો વધી ગયા છે, દિલાસો નહીં મળે.
(સમય ૫૮)
વિષના પ્યાલાથી પ્યાસ ઑર કંઈ વધે છે.
- * *
મને એનો યે કેફ ઑર આવે;
(હયાતી ૨૫)
હરીન્દ્રની કવિતામાં ક્યારેક કોઈક કોઈક કવિના એટલા સ્પષ્ટ પડઘા સંભળાય છે કે કવિ એ સંસ્કારોને ખંખેરી શક્યા હોત તો સારું એમ લાગ્યા વગર રહે નહિ. દા. ત.
હૃદય સરસી ધારું છું હું તને પ્રિય! તે સમે
નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે.
(રાજેન્દ્ર શાહ ૧૯૫૧)
મારા પ્રલંબિત કરે નવ માત્ર કાયા :
આશ્લેષમાં સકળ સૃષ્ટિની લીધ માયા.
(૧૯૫૮, મૌન ૮)
‘મુદા’ કે ‘અવગાહન’ શબ્દો તો રાજેન્દ્રની ભાષાઈબારતના જ પ્રતિનિધિઓ છે. મૃત્યુને પ્રિયતમ કે પ્રિયતમા તરીકે જોવાની વાત પણ આપણી પરંપરામાં સાવ નવી નથી :
मरण रे, तुँहुँ मम श्यामसमान।
– रवीन्द्रनाथ ठाकुर
રાજેન્દ્રનું કાવ્ય ‘શેષ અભિસાર’માં પણ મૃત્યુની પ્રિયતમ તરીકે કલ્પના થઈ છે.
મનસુખલાલ ઝવેરીની નીચેની પંક્તિ હરીન્દ્રની કવિતામાં અલ્પ શબ્દફેરે જ ઊતરી આવી છે :
સખી! અંતર આ તો આવડુંક ને વિરાટ શો અનુરાગ!
મનસુખલાલ ઝવેરી (ડિ. ૧૯૪૮)
અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
(હયાતી ૯)
આ સામ્ય વાચનના સંસ્કારનું પરિણામ હોઈ શકે, અથવા તો કેટલીક અનુભૂતિઓ એવી હોય છે કે એની અભિવ્યક્તિનો તાળો મળે એ કેવળ અકસ્માત જ હોય.
કવિનું કામ શબ્દને દોરવાનું છે, શબ્દોથી દોરાઈ જવાનું નથી. હરીન્દ્ર ક્યારેક ‘સૌરભનાં કપોત’, કે ‘વેળાનો કાચબો’ જેવાં પ્રતિરૂપો યોજી શકે છે, પણ ઘણીયે વાર એવું બને છે કે એ કેવળ શબ્દોને વશ થઈને શબ્દ-જોડકાં ગોઠવી દે છે : ‘વરસાદના તાર’, ‘ચાંદનીના તાર’, ‘જળનો તાર’, ‘બિરહાની નાગણી’, ‘અજ્ઞાનની મોરલી’, ‘જ્ઞાનના ફણીધર’, ‘જ્ઞાનના મંજીરા’, ‘વાદળની ડાળ’, ‘વાદળનો પ્યાલો’, ‘ઝાકળનો પ્યાલો’, ‘રાતની પ્યાલી’, ‘ફોરાંની ઝાંઝરી’, ‘ઝરમરનાં ઝાંઝર’, ‘ઝરમરની વીણા’, ‘તરણાંનું બીન’, ‘શમણાંની સરહદ’, ‘પળના પરવાળા’, ‘આગિયાનાં ફૂલ’, ‘આશિષનાં ફૂલ’, ‘યાદનો સૂરજ’, ‘કિરણોની ઝોળી’, ‘વ્હાલમની વાદળી.’
હરીન્દ્ર હિંદી, ઉર્દૂ, સૌરાષ્ટ્રી શબ્દોનો ઝાઝેભાગે સહજપણે સુમેળ સાધી શકે છે. આ શબ્દો એકમેકના સાન્નિધ્યમાં બકરી-વાઘના સંબંધે બંધાયા નથી : અનહોની, અલ્વિદા, ઇન્કાર, મહોબત, મઝધાર, મંઝિલ, તસવીર, દુલ્હન, પ્યાર, પ્યાસ, જખ્મો બારાત, ઇબાદત, આસમાઁ, ઇનાયત, અંજુમન, અરમાન, હસીન, ઝાહિદ, સિઝદો, અથરી, નદીયું, ઘોડલાપૂરે, આંખ્યું, ઓરા, પૉરી, સળ ના સૂઝે, ઓલ્યા ડખોળવું, રોક મા, બોલ મા, પરભાર્યું, આલીએ, ઓસાણ, વીંધાણા, હેઠે ઇત્યાદિ.
લગભગ ત્રણ દાયકા પહેલાંનું, તાજી કવિતા ફૂટી હતી ત્યારનું, ‘કૌમુદી’ ‘માનસી’, ‘દક્ષિણા’માં કવિતા છપાતી ત્યારનું વ્યક્તિ હરીન્દ્રનું ચિત્ર :
“ભાવનગરના કવિબન્ધુ મુકુન્દરાય પારાશર્યને ત્યાંથી વઢવાણ
આવવા માટે અમે ટ્રેઇનમાં બેઠા છીએ, ત્યાં ડબ્બામાં કવિ હરીન્દ્ર દવે
દાખલ થાય છે. સુન્દરમને પ્રણામ કરે છે. હળવે હળવે, કોમળતાથી,
સ્નિગ્ધતાથી વાતો કરે છે. બ્રાઉન કોટ-પાટલૂન, ગોરો વાન, નરમ ચહેરો,
સૌમ્ય, શાંત, મૂંગા રહેતા હોય તેવા છે. એકવડિયો બાંધો છે. ગાડી
ચાલ્યા પછી સુન્દરમ્ કહે છે, ‘છોકરો હરીન્દ્ર સારો છે; ધાર્યો હતો તેથીયે
વધુ સારો.’ (૧૯૪૮)
હરીન્દ્રએ ભાવનગર કાયમ માટે છોડી દીધું છે. મુંબઈ કર્મભૂમિ છે. હરીન્દ્ર હજી મુરબ્બી સાહિત્યકારોને મળે છે ખરા પણ એ મુગ્ધ ઉમળકો નથી રહ્યો. હળવાશ એની એ છે પણ કંઈક થાકની શિથિલતા છે. વાતો કરે છે, પણ સ્નિગ્ધતાનું બાષ્પીભવન થઈ ગયું છે. અવાજ હવે દબાતો કે દટાતો નથી, ને ક્યારેક સૌમ્યતાને ખંખેરીને અણી કાઢ્યા વિના રહેતો નથી. બ્રાઉન કોટ-પાટલૂનનું સ્થાન પૅન્ટબુશશર્ટે લીધું છે. ચહેરા ઉપર કાળે ચાસ પાડ્યા છે, અને આંખો પર બાઈફોકલ ચશ્માં છે. કવિતાની સૂક્ષ્મતા વધી છે, પણ કવિનો બાંધો એકવડિયો રહ્યો નથી.
હરીન્દ્ર કવિ તરીકે genuine છે. કોઈ પણ કવિ જો આટલી પ્રતીતિ આપી શકે તો એથી કવિએ અને સહૃદયે બંનેએ રાજી થવા જેવું છે. અને આજની હરીન્દ્રની કવિતા એટલું તો સૂચવે જ છે કે એમની પાસેથી હજીયે વધુ ને વધુ સારી કવિતા અવશ્ય મળશે કારણ કે હરીન્દ્રમાં–
શબ્દો થઈને અમે ઊગવા ગયા ને
કર્યું ડોકિયું તો સાવ કોરો કાગળ,
(હયાતી ૧૪૪)
—ની અંતરમુખતા છે. જે સર્જકને પોતાના સર્જનથી સંતોષ હોય એની કલમ કદીયે વિકાસોન્મુખ થતી નથી. હરીન્દ્ર પોતાના સર્જનથી ધરાઈ નથી ગયા એટલે જ આપણે એમની કવિતા સાથે જે ક્ષણ ગાળીએ છીએ અને ગાળીશું એ એક અવસર થઈને–કોરા કાગળ પર શબ્દનો ઓચ્છવ થઈને રહેશે.
મુંબઈ ૨૫–૧૧–૧૯૭૬
સુરેશ દલાલ