ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ગોપાળરાવ હરિ દેશમુખ

Revision as of 03:42, 21 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગોપાળરાવ હરિ દેશમુખ

અમદાવાદમાં બાર વર્ષ રહીને ગુજરાત અને ગુજરાતી ભાષાને પોતાનાં કરી લેનાર આ દક્ષિણી સજ્જનનો જન્મ સને ૧૮૨૩ના ફેબ્રુઆરિની ૧૮મી તારીખે થયો હતો. તેઓ પૂનાના ચિત્તપાવન બ્રાહ્મણ હતા. પ્રાથમિક અભ્યાસ પૂરો કરીને ૧૮૪૧માં તેઓ અંગ્રેજી શાળામાં દાખલ થયા. શાળામાં અંગ્રેજીના ઉત્તમ વિદ્યાર્થી તરીકે તેમને સારી નામના મળી હતી. ઈ.સ. ૧૮૪૬માં તેમણે મુનસફની પરીક્ષા પસાર કરી. દક્ષિણના સરદારના એજંટની ઑફિસમાં સામાન્ય કારકૂનના પદેથી તેઓ પોતાની બુદ્ધિચાલાકીને બળે ૧૮૫૨માં શિરસ્તેદારની પદવી પામ્યા હતા. પછી તેઓ સમરી સેટલમેન્ટ ઓફિસરના હોદ્દા પર નિમાયેલા. સને ૧૮૬૨માં ‘ઈનામ કમિશન’માં તેમણે સરકારની ઉત્તમ સેવા બજાવી હતી; પણ પૂના તથા દક્ષિણના બીજા ભાગના ઈનામદારો-ખાસ કરીને બ્રાહ્મણો- તેમનાથી અસંતુષ્ટ થયા હતા. ઈ.સ. ૧૮૬૩માં તેમને સરકારે સિવિલ સર્વિસમાં દાખલ કરીને અમદાવાદના આસિ. જજ્જનો હોદ્દો આપ્યો. પણ તે નિમણૂંક સામે ગોરા સિવિલયનોએ વિરોધ ઉઠાવતાં તેમને મુંબઈની સ્મૉલ કૉઝ કૉર્ટના જજ્જની જગ્યા મળી. ૧૮૬૭માં તેઓ અમદાવાદની સ્મૉલ કૉઝ કૉટનાં ન્યાયાધીશ તરીકે આવ્યા અને ત્યાં લાંબો સમય રહ્યા. એકંદર બાર વરસના અમદાવાદનિવાસ દરમ્યાન ગોપાળરાવે સરકારી કામ કરવા ઉપરાંત શહેરની અનેક સંસ્કાર–પ્રવૃત્તિઓમાં રસ લીધો હતો. ૧૮૭૨માં તેમને ગુ. વ. સો.ના ઓનરરી સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉપરાંત હિમાભાઈ ઇન્સ્ટિટયુટના પ્રમુખ, શેઠાણી કન્યાશાળાના સેક્રેટરી, બાળલગ્નનિષેધક મંડળીના પ્રમુખ, દેશી ઉદ્યમવર્ધક મંડળના સ્થાપક, પ્રાર્થનાસમાજના ઉપાધ્યક્ષ, ને બંગાળા દુકાળ અને અમદાવાદ રેલ રીલીફ ફંડ કમિટિના સેક્રેટરી તરીકે–એમ વિવિધ રીતે તેમણે સુંદર સમાજસેવા બજાવી હતી. વિદ્યાવૃદ્ધિનું કાર્ય, પણ ગોપાળરાવે એટલી જ ઊલટથી બજાવ્યું હતું તેમને પ્રાચીન લેખો અને સિક્કાઓનો ઘણો શૉખ હતો. તેને અંગે મરાઠી અને અંગ્રેજી ઉપરાંત ફારસી, ઉર્દૂ અને ગુજરાતી ભાષાઓનો તેમણે સારો પરિચય કેળવ્યો હતો. ગુજરાતી ભાષા તેઓ માતૃભાષાને જેટલી સરળતાથી બોલી શકતા હતા એમ સ્વ. નરસિંહરાવનો અભિપ્રાય છે. ‘બુદ્ધિપ્રકાશ’માં તેમણે ગુજરાતના ઈતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વગેરે વિષયો પર પુષ્કળ લેખો લખેલા છે, જે એમની બહુશ્રુતતાના પુરાવારૂપ છે. ‘ઇંદુપ્રકાશ’ અને ‘જ્ઞાનપ્રકાશ’ નામે મરાઠી વૃત્તપત્રો અને ‘હિતેચ્છુ’ નામના ગુજરાતી પત્રને તેમની સારી ઑથ હતી. ‘લોકહિતવાદી’ ઉપનામથી તેઓ લખતા. ‘આગમપ્રકાશ’ અને ‘નિગમપ્રકાશ’ નામનાં બે પુસ્તકો પ્રથમ તેમણે ગુજરાતીમાં લખ્યાં હતાં, જેનું પાછળથી તેમણે મરાઠી ભાષાંતર કર્યું હતું. ‘ઐતિહાસિક ગોષ્ટિ’ એ નામથી તેમણે મહારાષ્ટ્ર તથા ગુજરાતના ઇતિહાસને લગતાં બે પુસ્તકો મરાઠીમાં રચ્યાં હતાં, જેની હળવી કથાત્મક શૈલી આજે પણ માહિતી સાથે રસ અને રમૂજ પીરસે તેવી છે. ગોપાળરાવની વિદ્યાપ્રીતિ એવી હતી કે એકવાર તેમણે પોતાના તરફથી ૫૦૦૦ પુસ્તકોની લહાણી કરી હતી. એ કહેતાઃ “એક વાર લોકોમાં વાચનની રુચિ ઉત્પન્ન કરો, એટલે પછી તેઓ સારા કે નરસા ગ્રંથોની કિંમત સમજશે.” આમ, વિદ્યાવૃદ્ધિ અને દેશોન્નતિના હરેક કામમાં અમદાવાદના તત્કાલીન અગ્રણીઓની સાથે રહીને ગોપાળરાવે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. સ્વ. નરસિંહરાવે તેમનું સ્મૃતિચિત્ર દોરતાં સાચું જ કહ્યું છેઃ “તે સમયમાં અમદાવાદના નગરજીવન, સમાજજીવન, ઈત્યાદિમાં ચેતનાનું અસાધારણ બળ હતું; એ બળને પ્રેરનાર વધારનાર મંડળમાં અગ્રસ્થાન ગોપાળરાવનું હતું.”૧[1] દેશી કારીગરીને ઉત્તેજન આપવાનું કામ પણ એમને ઘણું પ્રિય હતું; અમદાવાદથી તેમણે વિદાય લીધી ત્યારે તેમનું સ્મારક ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. દેશી કારીગરી કે હુન્નરને ઉત્તેજન આપવામાં તેનું વ્યાજ ખર્ચાય તે ઉદ્દેશથી ગુ. વ. સો.ને એ ફંડ સોંપવામાં આવ્યું હતું. સરકારે પણ તેમના કામની કદર ‘રાવબહાદુર’ ‘સરદાર’ અને ‘જસ્ટીસ ઑફ પીસ’ ના ઈલકાબો આપીને કરી હતી. મરાઠી સાહિત્યમાં ‘લોકહિતવાદી’ પ્રતિષ્ઠત સ્થાન પામ્યા છે. પૂનાની ‘ડેક્કન વર્નાક્યુલર ટ્રાન્સલેશન સોસાયટી’એ ઈ.સ. ૧૯૨૩માં તેમની શતાબ્દી નિમિત્તે ગોપાળરાવના જીવન અને સાહિત્ય વિશે ઈનામી નિબંધ લખાવીને પ્રસિદ્ધ કર્યો હતો. ઈ.સ. ૧૮૯૨ના ઑકટોબરની ૯મી તારીખે આ નિરભિમાની લોકહિતૈષી વિદ્વાન તાવની સહેજ બિમારી ભોગવીને અવસાન પામ્યા.

કૃતિઓ

કૃતિનું નામ *ભાષા *વિષય * પ્રકાશનસાલ *પ્રકાશક
૧. આગમપ્રકાશ *ગુજરાતી * તંત્ર યમલ આદિ વામમાર્ગનાં રહસ્યોની સમજૂતી *૧૮૭૪ *સમશેર બહાદુર પ્રેસ-અમદાવાદ
૨, નિગમપ્રકાશ *ગુજરાતી *વેદ, સૂત્ર, સ્મૃતિ, પુરાણ ઈ. પર સમજૂતી *૧૮૭૪ *સમશેર બહાદુર પ્રેસ-અમદાવાદ
૩.–૪. ઐતિહાસિક ગોષ્ઠિ ભાગ ૧–૨ *મરાઠી *ઇતિહાસની વાર્તાઓ *૧૮૦૦ *’નાશિક વૃત્ત’ નાશિક
૫. લેકહિતવાદી કૃત નિબંધસંગ્રહ *મરાઠી *વિવિધ સામાજિક અને ધાર્મિક વિષયો *૧૮૮૬ *વૃત્તિવૈભવ છાપખાનું, અહમદનગર

અભ્યાસ-સામગ્રી

(ગુજરાતી)
૧. મહાજનમંડળ; પૃ. ૯૭૯-૯૮૨.
૨. ગુ. વ. સો.નો ઇતિહાસ; વિભાગ ૧, પૃ. ૨૩૭-૨૪૦.
૩. સ્મરણમુકુર; પૃ. ૪૭-૫૫.
૪. ‘બુદ્ધિપ્રકાશ’ એપ્રિલ ૧૮૭૭, પૃ. ૮૧-૯૩.
(મરાઠી)
૫. લોકહિતવાદી સરદાર ગોપાળરાવ હરિ દેશમુખ; લે. ગણેશ હરિ કેળકર.
૬. લોકહિતવાદીચી શતપત્રે; સં. શ્રીપાદ રામચંદ્ર ટિકેકર.

સંદર્ભ

  1. ૧ ‘સ્મરણમુકુર’ પૃ. પર

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***