વિચારની વસાહતો

From Ekatra Foundation
Revision as of 02:45, 7 June 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


Vicharo ni Vasahat - Book Cover.jpg


વિચારની વસાહતો

સંપાદક: ભદ્રાયુ વછરાજાની

: વિચારની વસાહતો :
એક આમંત્રણ

Don’t judge each day by the harvest you reap but by the seeds that you plant.
-R. S. Stevenson

જો શબ્દો-વિચારોને વાવેતર ગણવામાં આવે તો જગત અને જીવન એ મબલખ પાક લણવાની સાધના બની જાય છે. માણસનું અંતિમ અને નિરપેક્ષ મૂલ્ય તેની બધી સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ ગુમાવી દે પછી તેની પાસે જે વધે છે તેન આધારે અંકાય છે. તે મૂલ્ય છે : વિચાર.

વિચાર જ અંતસ સત્તા છે,
અંતસ સાંત્વના છે,
અંતસ સમાધાન છે.

આપણા સમકાલીન જીવનને શબ્દબદ્ધ કરીએ તો આવું કાંઈક ચિત્ર ઉપસી આવે છે :

ઑફ લાઈન - ઑન લાઈન ચહેરાઓની ચડ-ઊતર,
સમાજ-સંબંધોની અરાજકતા,
ગત-અનાગતની ખેંચતાણ,
સ્થળ-સમયની અસ્થિરતા..
ક્ષણના તકાજાઓ,
યુગના પડકારો,
ઓળખની કટોકટી,
તો ક્યારેક જાત સાથે
ક્યારેક જાત માટેની તડજોડ
અને
આખા આયખાની દોડમદોડ...

આવી વેરવિખેર કરી નાખે તેવી સ્થિતિમાં સ્વસ્થ, કેન્દ્રસ્થ અને આત્મસ્થ રહેવા અંતે વિશ્રામ ક્યાં લેવો ?

એકાદ વિચારવૃક્ષ નીચે,
એકાદ વિચારખંડમાં,
એકાદ વિચારલોકમાં...!

શાસ્ત્રો વિચારોના પ્રવાહને મન કહે છે. પ્રતિ પળ કશીક કશીક ગડમથલ, ઊથલપાથલ થયા જ કરે છે. જન્મયા છીએ તો જીવીશું, જીવીશું તો જીવંત રહેવા મથીશું..જીવંત રહેવા હરીશું, ફરીશું, ખાઈશું, વાંચીશું, નાચીશું, કૂદીશું, બાંધીશુ, છોડીશું, બકબક કરીશું, મૌન ધરીશું, જતું કરીશું, ગાંઠે વળગાડીશું, જણીશું, ઉધામા કરીશું, ડહાપણ છાંટીશું, અહમ કરીશું, હસીશું, રડીશું, ઊઠીશું અને છેલ્લે...છેલ્લે પથારીમાં પડીશું... કાયમી મૌન ધરીશું… આવ્યા તેનો આનંદ અને જતા રહ્યા તેનો પરમ આનંદ !! પુષ્કળ વાંચવું, અસીમ વિહરવું, નિજાનંદમાં મસ્તીથી જીવવું મારો જીવનમાર્ગ છે. મળે તેને મળવું, કહે તેને સાંભળવું, પૂછે તેને કહેવું, સંગાથ કરે તેની સાથે ચાલવું મને ગમે છે. હાથવગું જે હોય તે હૈયાવગું લાગે તો વાંચવું - ફરી ફરીને વાંચવું - માર્કર મારીને તેને સંગ્રહવું - ઉચિત લાગે તેનું ત્યાં ટાંચણ કરવું... આમ ચાલે છે મારી વિચારયાત્રા. કોઈ જમવાનું ન આપે તો ચાલે, પણ કોઈ વાંચવા-લખવાનું ઝૂંટવી લે તો જીવવું ભારે પડે તેવો સ્વભાવ બંધાઈ ગયો છે. ઉત્તમ, ઉત્કૃષ્ટ વિચાર ધૂપસળીનો ભાઈ થાય છે એટલે તે પણ સુવાસની જેમ ફેલાતો જ રહે છે. આ સુવાસ વિશ્રાંતિનું સ્થાનક છે. જે વાંચ્યું, જે નોંધ્યું, જે ક્યાંકથી ટાંચયું તેને સંકલિત કરી એક વિચારપીઠીકા સાથે મૂક્યું..બસ, એમાંથી સર્જાયેલ નાનો સંગ્રહ તે : વિચારની વસાહતો. ક્યાંક પ્રાણ ભાળ્યો, ક્યાંક ચેતના પ્રમાણી, ક્યાંક ચમકારો જોયો અને તેમાંથી સર્જી આ વિચારની વસાહતો..અહીં જે છે તે મારું સર્જન છે એવો મારો દાવો નથી..જોઈ પણ ન શકે, કારણ આ વિચારની વસાહતો છે, અહીં વિચારો દૂર-સુદૂરથી આવીને વસ્યા છે. હા, એ શ્વસતા વિચારોને વસાહતમાં મેં આવકાર્યા છે અને વ્હાલથી ઊંચકી અહીં પ્રસ્થાપ્યા છે. મને એવું થાય છે કે આ વિચારોની વસાહતો જેવી જ માનવીય વસાહતો વધુ ને વધુ નિર્માણ પામે અને ધીમે ધીમે સમગ્ર પૃથ્વી માત્ર ને માત્ર વિચારની ધરી પર ફરવા લાગે.

કાન દઈને નહીં, હૈયું દઈને સાંભળીએ
ખુલ્લી આંખે નહીં, આંખ બંધ કરીને માણીએ
સાંભળીએ ત્યારે સ્થિર પણ પછીથી નાચી ઊઠીએ...

"વિચારોની વસાહતો" માં થોડું શ્વસી જવા ને કાયમ વસી જવા આમંત્રણ છે... ‘વિચારની વસાહતો’ માં સર્વેનું સ્વાગત આ પ્રાર્થનાથી કરું છું.

|| લોકાઃ સમસ્તા: સુખીનો ભવન્તુ ||

‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક - ૪,
અમીન માર્ગ, રાજકોટ – ૩૬૦૦૦૧
Mo : 9898920333
Email : bhadrayu2@gmail,com

ભદ્રાયુ વછરાજાની





મથુરાદાસ જેરામ • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ