ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ભરતરામ ભાનુસુખરામ મહેતા

From Ekatra Foundation
Revision as of 02:35, 10 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભરતરામ ભાનુસુખરામ મહેતા

એઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ બ્રાહ્મણ; સુરતના વતની અને જન્મ સુરતમાં સન ૧૮૯૪ ના જુલાઈ માસની ૧૬ મી તારીખના રોજ થયો હતો. એમના પિતાનું નામ ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા અને માતાનું નામ સૌ. સગુણાગૌરી; બંને સુશિક્ષિત અને સંસ્કારી છે, જેની અસર અને છાયા પુત્ર પર પડેલી દૃષ્ટિગોચર થાય છે. એમનું લગ્ન સન ૧૯૧૯માં સુરત ગામે થયું હતું; એમની પત્નીનું નામ સૌ. રમણીબહેન છે. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે રાજકોટમાં તાલુકા શાળામાં, સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં તથા ઑલ્ફ્રેડ હાઈસ્કુલમાં કર્યો હતો. સન ૧૯૧૧માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા રાજકોટની ઑલ્ફ્રેડ હાઈસ્કુલમાંથી પસાર કરી અને પછી વડોદરા કૉલેજમાં જોડાયા. તેમણે ઇંટર આટર્‌સ સુધી અભ્યાસ કરેલો છે. કેટલીક અનિવાર્ય મુશ્કેલીના કારણે તેઓ આગળ અભ્યાસ જારી રાખી શક્યા નથી; પણ અદ્યાપિ એક વિદ્યાર્થીનું – અભ્યાસીનું જીવન ગાળે છે, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી, અને તેના પુરાવામાં એમણે લખેલાં સંખ્યાબંધ પુસ્તકોનાં નામ રજુ કરી શકાય. એમની આવડત અને બુદ્ધિના સમર્થનમાં બીજું એક ઉદાહરણ આપી શકાય કે વડોદરા રાજ્ય ઑફિસર્સ ટ્રેનિગ ક્લાસ પોષ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા હતા. એઓએ ઘણો સમય વડેદરામાં ભાષાંતર ખાતામાં કામ કર્યું હતું અને અત્યારે તેઓ આતરસુંબા મિશ્ર શાળામાં હેડમાસ્તર છે. એઓ વડોદરા રાજ્યની નોકરીમાં દાખલ થયા તે અગાઉ કેટલોક વખત અમદાવાદમાં આવી વસ્યા હતા અને જાણીતા સમાજસેવક ભાઇશ્રી ઈન્દુલાલ યાજ્ઞિક પાસેથી સાર્વજનિક કામકાજ કરવામાં કેટલીક તાલીમ મેળવી હતી. એમના પ્રિય વિષયો પુરાતત્ત્વ વિદ્યા અને ભાષાશાસ્ત્ર છે; સાહિત્ય પ્રતિ એમને નૈસર્ગિક શોખ છે. એમના પિતાએ ‘ચંદ્ર પ્રકાશ’ નામનું માસિક કાઢ્યું ત્યારથી તેમાં તેઓ મદદ આપતા; અને તે પછી તેઓ અવારનવાર રીતસર પુસ્તકલેખનના કામ સાથે માસિકોમાં ભાષાશાસ્ત્ર, પુરાતત્ત્વ, જોડણી, પ્રાચીન કાવ્યો અને કવિઓ વિષે લેખો લખતા રહ્યા છે અને તે સૌમાં કંઈને કંઈ નવીન જાણવા વિચારવા જેવું હોય છે. એમની બુદ્ધિશક્તિથી તેમ સૌજન્યયુક્ત વર્તનથી સૌનો ચાહ સંપાદન કરી સાહિત્ય પ્રવૃત્તિમાં એઓ મોખરે દેખાતા હોય છે. વડોદરા સાહિત્ય સભાના તંત્રી તરીકે અને સાહિત્ય પરિષદ મંડળના એક મંત્રી તરીકે એમનું કાર્ય અને સેવા પ્રસંશનીય છે, એમ કહેવું જોઈએ.

: : એમના ગ્રંથો : :

૧. માબાપને બે બોલ (મરાઠી ઉપરથી) સન ૧૯૧૭
૨. વીર પુરુષો (C. Kingsley ઉપરથી)  ”  ૧૯૧૮
૩. બાલોદ્યાન પદ્ધતિનું ગૃહશિક્ષણ (પીપલ્સ સીરીઝમાંથી)  ”
૪. રણજીતસિંહ  ”  ૧૯૨૦
૫. શ્રી હર્ષ  ”  ૧૯૨૧
૬. સમુદ્ર ગુપ્ત.  ”
૭. સંસ્કૃતિ અને પ્રગતિ (Crozier ઉપરથી)  ”
૮. વડોદરાનું અર્થશાસ્ત્ર (Pawar ઉપરથી)  ”
૯. તુકારામ  ”  ૧૯૨૨
૧૦. વડોદરા રાજ્યની ભૂગોળ (રા. લ. શ્રી. દવે સાથે)  ”  ૧૯૨૩
૧૧. રોમનો ઈતિહાસ (મેકમિલન હીસ્ટરી પ્રાઈમર્સ
ઉપરથી)
 ”
૧૨. પ્રાચીન હિંદમાંની કેળવણી (મુજાુમદાર ઉપરથી)  ”
૧૩. શૂરવીર શિવાજી  ”  ૧૯૨૪
૧૪. અર્થશાસ્ત્રની ઓળખાણ  ”
૧૫. ભાલણકૃત ધ્રુવાખ્યાન અને નાકરકૃત મોરધ્વજાખ્યાન
(રા. ભાનુસુખરામ નિ. મહેતા સાથે)
 ”
૧૬. The Modern Gujarati-English Dictionary
(રા. ભાનુસુખરામ નિ. મહેતા સાથે)
 ”  ૧૯૨૫
૧૭. મેગલકૃત ધ્રુવાખ્યાન અને નાસિકેતાખ્યાન  ”
૧૮. અશોકના શિલાલેખો  ”  ૧૯૨૬
૧૯. અશોકચરિત (ભાંડારકર ઉપરથી)  ”  ૧૯૨૭
૨૦. મરાઠી રિયાસત-મધ્ય વિભાગ. ભા. ૧ (સરદેસાઇ ઉપરથી)  ”  ૧૯૨૮
૨૧. હિન્દના ઈતિહાસની વાતો (આયંગર ઉપરથી)  ”