કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/નોળવેલ

Revision as of 02:36, 17 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૫. નોળવેલ

તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ,
છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ઊંડી ગુહામાં,
ના, ના, તારી સમય વધતાં શક્તિ કૈં ક્ષીણ થાય :
નિત્યે તાજી; દિવસ દિવસે વર્ધતી શક્તિ, ન્યારી!
આંહી મારે સતત લડવો ક્રુદ્ધ સંસારસર્પઃ
કેવી એની તરલ ગતિ, કેવો વળી ઉગ્ર દર્પ!
એની આંખો ચપલ ચુકવાયે ન; ડોલે ફણા શી!
ડંખાઈને પુનરપિ પુનઃ સૂંઘવી નોળવેલ!
જેણે સર્જ્યો પ્રબળ, લડવા ઘોર સંસારસર્પ;
તેણે સર્જી અમૃતમય આ અંતરે નોળવેલ!
ડંખાઈને પુનરપિ પુનઃ, સૂંઘીને નોળવેલ,
પાછું યુદ્ધે સતત મચવું; જીતવું ના જ સ્હેલ!
ઢીલી થાતી સરપતણી આ શક્તિ, એ ના અખૂટ!
પૂરી થાશે લડત હમણાં; – પીઉં પીયૂષઘૂંટ!
(‘પદ્મા’, પૃ. ૧૩૨)