કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/બુદ્ધનાં નયન
Jump to navigation
Jump to search
૧૪. બુદ્ધનાં નયન
પ્રભો, પ્હેલી વેળા નજર પડતાં માનવશબે,
તમે દેખી લીધું મરણ સઘળાનું ધ્રુવતમ;
લહી વૃદ્ધાવસ્થા, તુરત લહ્યું વૃદ્ધત્વ સહુનું :
કઠી રુગ્ણાવસ્થા અસહ, નજરે રુગ્ણ પડતાં.
યુવાનીમાં, દેવોપમ તનુતણો વૈભવ છતાં,
કમી ના કૈં કોઈ સુખતણી છતાં, નશ્વર લહી
તમે છોડી દીધું જગ, જ્યમ તજે મૃત્યુ મનુજો;
અને ચાલ્યા શોધે અમૃતતણી કૈં શાશ્વત મહા.
અમે આંહીં નિત્યે દરશન કરીએ મરણનું.
અને વૃદ્ધાવસ્થા કદરૂપીતણી કૈં જ કમી ના.
નીરોગી તો ભાગ્યે નજર ચડતો કોક સુખિયો.
બધાં દુઃખોકેરો અઢળક અમારે અનુભવ.
છતાં રે, બાઝી ર્ હે અમ મન સદાયે જગતને!
ઉગાડો નેત્રોમાં અમ, પ્રભુ, તમારાં નયનને!
(‘પદ્મા’, પૃ. ૧૨૬)