સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/જળને પડદે (સતીશ વ્યાસ)
ક્યાં છો, કાન્ત...?
ગઈ છઠ્ઠી એપ્રિલે [૨૦૦૬] વડોદરામાં ‘જળને પડદે’ ભજવાતું જોયું એ પહેલાં ઘણા વખતથી એના વિશે સાંભળેલું. આ તો એનો, કદાચ ૧૨મો શો હતો. આ એકપાત્રીય દ્વિઅંકી નાટકમાં સતત બે કલાક સુધી પ્રેક્ષકોને પકડી રાખતા દિગ્દર્શક નટ કમલ જોશીના અભિનયની પ્રશંસા સાંભળી હતી; વાંચી પણ હતી - ચંદ્રકાન્ત ટોપીવાળાના એક પત્ર-લેખમાં, એ કારણે કુતૂહલ તીવ્ર હતું - જોવું જ પડશે. ક્યાં? ક્યારે ? ત્યાં આ અવસર આવી પડયો... ચં.ચી.ખ્યાત છઠ્ઠી એપ્રિલ. આ દરમિયાન, ભજવાતું જોયું એના એકાદ અઠવાડિયા પહેલાં જ, છપાયેલું નાટક વાંચ્યું ત્યારે - ક્યાંક સારું લાગ્યું હતું, ગમ્યું હતું. પણ - મોટાભાગનું તો, સાંભળ્યું હતું એની એકદમ સામે જતું હતું! આમ કેમ ? પ્રશ્નો ઊભરાયા કરતા હતા. પણ એથી વળી, જોવાની જિજ્ઞાસા ઓર વધી- ભજવણી કોઈ જુદી ચીજ હોઈ શકે. તોય, પ્રશ્નો તો ઊંચકાઈ જતા હતા -જુદી જ ચીજ હોઈ શકે ? ૧. ભજવણી : કમલ જોશીનો અભિનય, એથીય વધુ તો એનું દિગ્દર્શન -પ્રકાશ-સંગીતઆયોજન સમેતનો એનો આખોય મંચપ્રયોગ પ્રસન્ન કરનાર હતો. કવિ કાન્તમાંથી કથકને ને પછી કથનથી કાન્તને જુદો પાડતો આરંભ સરસ હતો. શરૂઆતમાં જ, ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રીને પત્ર લખતા કાન્ત એકદમ આબેહૂબ થઈ ઊઠ્યા હતા. પ્રસંગોને સાંકળતું,ઘટનાને આગળ વધારતું કથકનું વર્ણન ને કવિ કાન્તનું સંવેદન વાચિક-આંગિક આભિનયમાં ઊપસતાં જતાં હતાં. પ્રલંબ (બે કલાકની) એકોક્તિ-પ્રેક્ષકો સાથેની કથકની વાતચીતમાં, કવિના આંતર્કથન-મંથનની અભિવ્યક્તિમાં, અન્ય (કલ્પિત) પાત્રો સાથેના કાન્તના સંવાદો-પ્રતિભાવોમાં, સંગીત અને પ્રકાશના સૂચક બનતા પ્રયુક્તિ-અંશોમાં - વહેંચાઈને એકતાનતા(મૉનોટોની)ને તોડતા વૈવિષ્યમાં રજૂ થતી હતી એ ગમ્યું. નટની હાથની અને પુનઃ યજ્ઞોપવીત ધારણ કરતી વખતે જરાક વધુ ઉપર ઊઠતા હાથની મુદ્રાઓ પ્રતીકાત્મક, એથી પ્રભાવક હતી. સૌથી વધુ તો, પ્રકાશ અને સંગીતનો ક્ષેપ - એના કેટલાક અંશો - સૂચક, અર્થપૂર્ણ ને એથી સ્પૃહણીય હતા. ‘મહેમાનો વહાલાં...’ અને ‘આજ મહારાજ...’નું ગાન કર્ણમધુર ને પ્લાવિત કરનાર હતું. પણ તોય, એમ તો લાગ્યા જ કરતું હતું કે કાન્તના વ્યક્તિત્વને, એની આંતર્બાહ્ય ઝીણવટો સાથે, ચક્ષુપ્રત્યક્ષ કરવા-કરાવવામાં નટ પાછો પડે છે. ક્યાંક નાટયનકશો (સ્ક્રિપ્ટ) પણ એને નડતો લાગતો હતો. ક્યાંક કથકની સૂત્રધાર-તટસ્થતા તૂટી જતી હતી અને, ભલે ઘટના-પ્રેક્ષક-કડીરૂપે એની સક્રિય ભૂમિકા આવશ્યક હોય તોપણ, કથક રૂપે આ નટ અતિ-અભિનયમાં વારેવારે ધસી જતો હતો. કેટલીક આંગિક મુદ્રાઓ - નૃત્યાદિની - લચી પડતી ને એથી સહજ રુચિને ખૂંચતી-ખટકતી હતી. અને સૌથી વધુ તો, ઊંચા સૂર (હાઈપીચ) આગળ પૂરાં થતાં વાક્યો/ઉક્તિઓવાળો એનો વિલક્ષણ સૂર-લહેકો આ પ્રકારના વ્યક્તિ/વિષયની રજૂઆતની ગંભીરતાને તોડતો, કાનને ક્લેશ આપતો હતો. ભજવાયેલું નાટક એક પ્રયોગલેખે નોંધપાત્ર જરૂર હતું પણ કવિ કાન્તને પૂરા સંક્રાન્ત કરવા સુધી નહોતું જતું. ૨. નાટ્યકૃતિ : નાટકનું લક્ષ્ય કવિનું વ્યક્તિજીવન છે. પિતા, પત્ની, પુત્ર, બીજીપત્ની, કવિમિત્રો, ભાવસિંહજી એ મુખ્ય અને સાધુબાવો, રસોઈયો, રંગભૂમિવાળા એ ગૌણ પાત્ર-વ્યક્તિઓ સાથેના કાન્તના સંબંધોની રેખાઓથી લેખકે કાન્તનું વ્યક્તિ-ચિત્ર રજૂ કર્યું છે ને એને પરિમાણ આપ્યું છે એમની પ્રેમાતુરતા, સ્નેહવશતા ધર્માંતર અને ધર્મમંથનનાં વિચાર-સંવેદનોથી. નાટકના કેન્દ્રમાં આ પ્રેમ-ધર્મની તીવ્રતાઓ છે. કવિતા કેન્દ્રમાં રહી નથી, પણ એના સંદર્ભ-તાર વચ્ચેવચ્ચે દેખા દે છે. ચરિત્રલક્ષી નાટકના કેટલાક આગવા પ્રશ્નો હોય છે. એણે જો કળાકૃતિ થવું હોય તો, નર્યા દસ્તાવેજીકરણ આગળ અટકી જવાનું નથી હોતું. સર્જકકલ્પનાથી એણે સ્થિર મુદ્રાને વહનશીલ કરવાની હોય છે. તો બીજી તરફ મુદ્રાને મુદ્રા પણ રાખવાની હોય છે. ઝીણી ચોકસાઈથી, પૂરા શ્રમથી, નાટ્યકારે વિગત-શોધ કરી લેવાની હોય છે. આવી નક્કર ભૂમિ પર કલ્પનાવતરણ કરવાનું રહે, ભલે પછી બધાં જ ઘટક ન સમાવાય, ભલે પછી કેટલીક આનુપૂર્વીઓ બદલાય - છતાં એ પ્રતીતિકર લાગશે. પહેલા અંકને આરંભે ગ્રંથમાંથી કથક બહાર આવે છે એ પ્રયુક્તિ સંગતિવાળી અને નાટ્યક્ષમ પણ છે. કાન્તનાં ખંડકાવ્યોમાં પાત્રો ઉપરાંત, પાત્ર- પ્રસંગને જોડનાર, વિગતકથન કરનાર એક કથક છે એની સાથેય આની સંગતિ રચાય છે. આ કથકને કાન્ત(પાત્ર)ના દ્વિતીય અંગી (સેકન્ડ સેલ્ફ) રૂપે લીધો નથી. એ પ્રસંગ-સંકલન કરે છે. પૂર્તિ કરે છે, પ્રેક્ષકો સાથે અનુબંધ રચે છે ને એમ લેખકની મદદે રહે છે. આરંભે, છંદમાં નિવેદન કરતો કથક વાચકો/પ્રેક્ષકોને વિશ્વાસમાં લેતાંલેતાં, પોતે જ બંને ભૂમિકા (કથકની, કાન્તની) કરશે - ખેસ, પાઘડી ધારણ કરે ત્યારે કાન્ત, એ સિવાય કથક - એની ચોખવટ કરી લે છે. આ ૪૫ જેટલી પંક્તિઓમાંથી ૧૦ પંક્તિઓમાં કાન્તના જન્મમૃત્યુવતન-આદિની વિગત છે. એમાં સતીશભાઈએ કાન્તની જન્મતારીખ ૧૦મી નવેમ્બર કેમ રાખી હશે ? ‘કાન્તમાલા’ અને રા.વિ. પાઠકની એ સરતચૂક, પછી, ‘કાન્ત વિશે’માં ભૃગુરાયે, અનેક પ્રમાણો સાથે, સુધારી છે - સાચી જન્મતારીખ ૨૦ નવેમ્બર ૧૮૬૭ છે. (ચં.ચી. મહેતાનો જન્મદિન ૬ઠ્ઠી એપ્રિલ દર વર્ષે વડોદરામાં વ્યાખ્યાન અને નાટયભજવણી દ્વારા ઉજવાય છે.) કથકનિવેદન પછી, ખેસ-પાઘડી-ચશ્માં ધારણ કરીને કવિ કાન્ત ‘બુદ્ધિપ્રકાશ’ વાંચતા, જવાબ લખતા બેઠા છે ત્યાં એ પ્રબળ રીતે પ્રગટ થાય છે (પછી, આખાય નાટકમાં કાન્ત ભાગ્યે જ આવી, આટલી પ્રતીતિકરતાથી પ્રગટ થાય છે.) કાન્તના જીવન-આલેખન માટે લેખકે કેટલાક પ્રસંગો, પસંદ કર્યા છે : કાન્તની કિશોરાવસ્થામાં પિતાનું મૃત્યુ ને એનો આઘાત - જેમાં કાન્તની પિતા-નિબદ્ધતા આખા નાટકમાં મહત્ત્વની બની છે; પ્રથમ પત્ની નર્મદા (ન’દી) સાથેનો પ્રેમાલાપ જેમાં ‘રમા’ અને ‘રતિને પ્રાર્થના’ (‘નયન નમણાં..’ આદિ) કાવ્યોના અંશો ગૂંથાયા છે; રાજા ભાવસિંહજી સાથે ભોજન - જેમાં કાન્તનો ઉમળકાભર્યો આતિથ્યભાવ અને (ખેસ-પ્રસંગમાં છે એ) એમની તીવ્ર સ્વમાનશીલતા નિરૂપાયાં છે; પુત્રજન્મ સાથે ઘેરું બનતું દામ્પત્ય સુખ - જેમાં ‘ચક્રવાક...’, ‘દેવયાની’, ‘વસંતવિજય’ કાવ્યોના અંશો-સારાંશો મુકાયા છે ને કવિના ચિત્તમાં હજુ ઉચ્ચતર પ્રેમની ઝંખના જાગે છે; ન’દીના ને પછી પુત્ર પ્રાણલાલના મૃત્યુના આઘાતમાં, કવિની પ્રેમઝંખના એમને નવી ખોજની દિશામાં દોરે છે; વેદના અને મંથનના શમનમાં ‘પ્રભુ ઈસુનાં વચનોમાં... અપાર આસ્થા’ની દિશા ચીંધવા સાથે પહેલો અંક પૂરો થાય છે.બલવંતરાય ઠકોર સાથેની ધર્માંતરચર્ચાથી બીજો અંક ખૂલે છે. એકપાત્રોક્તિ અહીં સરસ ઊપસી છે. પછીના દૃશ્યમાં કાન્ત લાઠીમાં કલાપી સાથે છે - સ્વીડનબોર્ગ અંગેનો વિમર્શ બલકે, શ્રદ્ધાભાવ અહીં વિશ્વંભપૂર્વક ઊઘડયો છે. આર્યોદય નાટકમંડળીવાળાઓ કાન્ત પાસે એમના નાટકમાં ફેરફાર કરાવવા આવે છે ને કાન્ત ક્રોધિત થઈને એમને મારે છે એ કાન્ત-જીવનનો જાણીતો પ્રસંગ ત્રીજા દૃશ્યમાં મુકાયો છે. કાન્તના સ્વભાવની રુદ્રતા બતાવવા, ને ગંભીર તણાવવાળી નાટ્યગતિમાં હળવાશ લાવવા આ પ્રસંગ, અહીં, આલેખાયો છે એ તો ખરું પણ એની બીજી મહત્વની, સૂચક સંગતિ પણ છે : કાન્ત ગુસ્સે તો, પહેલા અંકમાં, ખાનગી પત્રો વાંચી જતા સાધુબાવા પર અને ખાઉધરા રસોઇયા પર પણ થયેલા પરંતુ અહીં ગુસ્સા પછી એમનો પસ્તાવો, ને અપરાધભાવ વ્યક્ત થાય છે એમાં પેલો સઘન બનતો ખ્રિસ્તીધર્મ -પ્રભાવ પણ છે : ‘ન્હાની, મારાથી અપરાધ થઈ ગયો. અપરાધ થયો એ માણસોનો ને અપરાધ થયો મારો ખુદનોય... પ્રભુ મને ક્ષમા કરજે કેમ કે ક્ષમામાં જ શાતા છે’ (પૃ.૩૩). પહેલાં ક્રોધની ભાષા ને આ ક્ષમાની ભાષા વચ્ચેનો ભેદ નાટયભાષાની ક્ષમતાને વ્યક્ત કરનાર બન્યો છે. કાન્તના જીવનના બહુ સ્ફોટક ને મહત્ત્વના વળાંક ધર્મપરિવર્તનને લેખકે, પશ્ચાદ્ભૂમાં સરકી ગયેલા કથકને ફરી પ્રેક્ષકો સામે લાવીને, વળી પદ્યમાં, આલેખ્યો છે એ ગતિપલટો પણ સરસ, નાટયાત્મક છે. (પદ્યરૂપ અહીં અત્યંત નબળું છે, પણ એની વાત પછી). કાન્ત બાપ્તિસ્માલે છે ને પછી ચારે કોરથી જાકારો, બહિષ્કાર પામે છે એ ઘણી અસરકારકતાથી, ઝડપી દશ્યપરિવર્તનોથી, આલેખન પામ્યું છે. અકળામણ-આશ્ચર્ય-દઢતા તથા ઉદ્વિગ્નતા-આઘાત-વૈદનાના ઝડપી ભાવસંચારો બરાબર સંક્રાન્ત કરી શકાયા છે. ‘પ્રભુ ! તારક! સત્વર ઉદ્ધારી લ્યો..’ એ કાન્તનું જાણીતું કાવ્ય (‘અંતિમ પ્રાર્થના’) ખૂબ યોગ્ય સ્થાને મુકાયું છે ને મર્મસ્પર્શી બન્યું છે. કથકનો, સર્વત્ર નબળો રહેતો છંદ પણ અહીં, બે-ત્રણ શ્લોકોમાં, સુખદ આશ્ચર્ય રૂપે સાફ-સુઘડ બન્યો છે. (જુઓ : પૃ૩૮,૪૦). ચારે પાસના બહિષ્કાર વચ્ચે, મૃત પત્ની ન’દી અને પુત્ર પ્રાણલાલના સંભ્રમ-સાક્ષત્કારનું દૃશ્ય દ્રાવક અને પ્રભાવક બન્યું છે : ‘જૂઈનાં ફૂલ... ન’દી શા માટે મશ્કરી કરે છે ? હવે એ તો તારી સાથે ગયાં. સિતાર ! એયે મારો પ્રાણ લેતો ગયો એની સાથે ! મારું ફૂલ ગયું, મારું ગીત ગયું... ગયું સુખ ગયું બધું, ન પણ જીવવાનું ગયું.. હાય... (પૃ.૩૯). વિહ્વળતાની વૈદનાના પ્રવાહમાં ભળી જતી ‘ગયું સુખ...’ એ કાન્તની પંક્તિનો વિનિયોગ અહીં લેખકની સર્જકતાનો પણ દ્યોતક બની રહે છે. બધા જાકારાની વચ્ચે એક ન્હાનાલાલનું આગમન ને એમનો ધર્માંતર-નિરપેક્ષ સ્નેહ કાન્ત માટે આશ્વાસક બને છે. આ દશ્યમાં, ન્હાનાલાલ માટેનું કાન્તનું જાણીતું કાવ્ય ‘મહેમાનો ઓ ! વ્હાલાં ! પુનઃ પધારજો !’ મૂકીને નાટ્યકારે સંકલનની સારી સંગતિ સાધી છે. (ભજવણીમાં સંગીતે એની હૃદયસ્પર્શિતા વધારેલી.) સ્નેહવિવશતા કાન્તને પુનઃ બ્રાહ્મણધર્મમાં પાછા ફરવા ફરજ પાડે છે. ભાવસિંહજીનું આમંત્રણ, ઠાકોર અને ન્હાનાલાલની પણ ત્યાં ઉપસ્થિતિ, સૌનું ગોપનાથના દરિયાકિનારે જવું, ત્યાં કાન્તનું ‘સાગર અને શશી’ રચવું... ને છેવટે, થોડીક અવઢવ સાથે, પ્રાયશ્ચિત્ત દ્વારા કાન્તનો પુનઃ ઉપવીત-ધારણ સંસ્કાર - એવા પ્રસંગ/દૃશ્યક્રમે એ ઘટના આલેખાઈ છે. કાન્તની લાંબી ઉક્તિ, જુદાંજુદાં વ્યક્તિ- પાત્રો સાથેના સંવાદથી, બદલાતા મનોભાવોની રજૂઆતથી, સહ્ય બલકે ગ્રાહ્ય બની છે. પછી ઝડપથી નાટક અંત તરફ ધસે છે - નર્મદા (ન્હાની)ની માંદગી, અવસાન, કાન્તની નશા-વશતા, કાશ્મીર-પ્રવાસ ને ત્યાંથી લખાતા પત્રમાં મૃત્યુનો સંકેત - એવાં ઝડપી દૃશ્યોથી નાટક સમેટાય છે. અંતે, કથકની પદ્ય-ઉક્તિમાં ‘કવિ-શબ્દ’નો મહિમા છે. છેલ્લે ‘મહેમાનો ઓ વ્હાલાં, પુનઃ પધારજો’ના ગાનમાં, પરદો પડતાં પહેલાં, કોઈ પૂર્વગીતની ગુંજ હોય એવી એક નાટ્યયુક્તિ નિર્વહણને રસાળ કરે છે ને વળી હવે ‘મહેમાનો’ એટલે આ પ્રેક્ષકો પુનઃ પધારજો એવું સૂચન એને માર્મિક પણ બનાવે છે. આમ છતાં, નાટકના વાચન (અને નાટ્યપ્રયોગ)ને અંતે કાન્તને પામ્યાનો સંતર્પક અનુભવ થતો નથી. કાન્ત—જીવનના વિવિધ પ્રસંગોની ગૂંથણીવાળો એક આલેખ ઊપસે છે પણ ઉપર નિર્દેશ્યાં તે બેચાર સ્થાનોને બાદ કરતાં, મર્મસ્પર્શી ઊંડાણની પ્રતીતિ મળતી નથી. એનું એક મુખ્ય કારણ મને લાગે છે કે, નાટ્યકૃતિની એક સાર્થકતા એની ભજવણીમાં હોય એ ખરું, છતાં, લેખકનું ધ્યાન શરૂઆતથી કંઈક વિશેષપણે પ્રયોગ (પર્ફોર્મન્સ) તરફ જ ઝૂકેલું રહ્યું છે : ‘બેએક વર્ષ પૂર્વે કમલ જોષી, એ એકલા જ સળંગ બેએક કલાક સુધી ભજવી શકે એવું નાટક માગી ચૂક્યા હતા... એકપાત્રીય અભિનય એકવિધ ન થઈ જાય તેથી.. નટદિગ્દર્શકની પ્રસન્નતા પ્રાપ્ત થતાં મને એક સફળ રંગમંચીય નાટક થઈ શક્યાનો આનંદ થયો’ – એ, નિવેદમાંની, ઉક્તિઓમાં એમનું આ વલણ દેખાઈ આવે છે. એક સઘન, ઊંડાણવાળી કલાકૃતિ રચવા પર સર્જકચિત્ત સ્થિર થાય ને એનું નાટ્યસર્જનકૌશલ, કહો કે નાટ્યકારકર્મ,રચનામાં સાકાર થતું રહે એવી યુગપત્ સ્થિતિ સધાવી રહી ગઈ છે. કાન્તના જીવનમાં સ્વજનવિયોગની ને સ્વજનમૃત્યુની તીવ્ર વેદના તેમજ પર્મજિજ્ઞાસા અને ધર્મમંથનની ઉત્કટતા ઘણી હતી - ‘સહસ્રશતશલ્ય’ની એ, અંતર્મુખ કરી દેનારી વ્યથા નાટયયોગ્ય ને એકોક્તિયોગ્ય પણ, હતી જ - એ રીતે લેખકની પસંદગી ઉચિત છે. પણ આ નાટ્યકૃતિ કાન્તની એ ઉત્કટતાઓનાં ઊંડાણોને સ્પર્શવા કરતાં સપાટી પર ઊભરતાં બિંદુઓને વધારે સ્પર્શે છે. એથી, આપણા મનમાં એક શક્તિમંત ભાવદ્રવ્ય રૂપે પડેલા કાન્તનો પ્રહર્ષક સાક્ષાત્કાર, રસ રૂપે, થતો નથી. જેમકે પ્રેમનું આલેખન : પહેલા અંકમાં ન’દી(નર્મદા) સાથેના સંવનનને, ઉપેક્ષા-અપરાધભાવને, દામ્પત્યસુખને, સ્નેહ-મોહ-પ્રેમની ગડમથલને આલેખતાં દૃશ્યો વિશિષ્ટ કરતાં વ્યાપક વધુ લાગે છે. એમાં, કાન્તનાં કાવ્યોનો ક્યાંક સીધો, ક્યાંક સારરૂપ ઉપયોગ થયો છે. પણ એમાં કાન્તની વ્યથા બહુધા ‘વર્ણવાય’ છે, ઊંડી પ્રતીતિ આપનારી ‘નાટયાત્મકતા’થી ઝાઝી ઊપસતી નથી. જુઓ : ‘અહો સરસિજ સુકન્યા ! તારે અંગે સારસ કહેતાં કમળ ઊગ્યાં છે’ (પૃ. ૭; આવી અર્થસ્પષ્ટતા અહીં જરૂરી હતી ? આ નાટ્યભાષા છે ?). કચના મુખે મુકાયેલા આ ઉદ્ગાર જુઓ : ‘ ઉપર ચંદ્ર ચમકે છે ને દેવયાનીના મસ્તક પરનો મણિ પણ ચમકે છે. ચંદ્રનું મણિમાં પ્રતિબિંબ પડે છે ને જાણે દેવયાનીના ભ્રમણની સાથેસાથે ચંદ્ર પણ ભાગી રહ્યો હોય એમ લાગે છે. જાણે કોઈ બાલહરિણી ન દોડતી હોય ! કે જાણે કોઈ કરિણી સૂરસરિતામાં ન સરતી હોય ! (પૃ. ૧૬; મૂળમાં કથકે કરેલું ‘વર્ણન’ અહીં સીધા ગદ્યાન્વયમાં મુકાયુ છે. કચનું પ્રેમસંવેદન અહીં ઉષ્મા- ઉદ્ગારનું, નાટ્યભાષાથી ઉત્કષ્ટ બનતું રૂપ પામ્યું છે ?) જાણે કે લેખકે વિગતોનો ઉપયોગ કરી લીધો છે - એનો વિનિયોગ થતો નથી. નર્મદા(ન’દી)ના મૃત્યુનો કાન્ત પર તત્કાળ આઘાત આલેખવાની તક જતી કરીને, એના મૃત્યુના એક વરસ પછીનો, ન્હાની સાથેના બીજા લગ્ન પછીનો પ્રસંગ લીધો છે એથી ભાંગના નશા હેઠળનો ઝુરાપો જ આલેખી શકાયો છે. એ ઝુરાપો ક્યાંક સારો ઊપસ્યો છે પણ એકાંત-મંથનને અભાવે (ન્હાનીની ઉસ્થિતિ હોવાથી) એની તીવ્રતા વરતાતી નથી. બીજા અંકમાં સૌથી મહત્ત્વની ઘટના કાન્તના પુનઃ બ્રાહ્મણધર્મના અંગીકારની છે. કાન્ત સ્વજનસ્નેહ-વિવશ હતા ને ખ્રિસ્તીધર્મ-સ્વીકાર પછી થયેલી ઉપેક્ષા એમને માટે અસહ્ય હતી એ ખરું, પણ છતાં આ પુનઃ ધર્માંતરના જે સંઘર્ષો - તીવ્ર સ્નેહવશતા અને દૃઢ ધર્મપ્રતીતિ વચ્ચેનો તણાવ - જે ઉત્કટતા ને ક્ષમતાથી ઊપસવો જોઈએ એ રીતે ઊપસતો નથી. ભાવસિંહજીને કાન્ત વચન આપી દે છે એ પછી પોતાના ધર્મમૂલ્યનો એ આગ્રહ તો રાખે જ છે પણ ત્યારબાદ કશા મંથન વિના એ વચનપાલન/સ્વીકાર કરી લે છે. એટલું જ નહીં, આ પુનઃધર્માંતરનો કાન્ત ઉત્સવ ઊજવે છે !- એ બધું પ્રસંગસંગત કે પાત્રસંગત હોવાની પ્રતીતિ આપતું નથી. એક નિર્ણાયક બનનારી સંકુલતાને લેખકે જાણે ઉકેલાયેલી રેખાઓ જેવી, પરિમાણ વિનાની કરી મૂકી છે. એમના સમયમાં કાન્ત એક વક્તા તરીકે પણ પ્રભાવક હતા, બહુપ્રશસ્ત હતા, નાટકમાં, ને એકોક્તિમાં, એનો લાભ લઈ શકાયો હોત. પણ, એ તો પસંદગી-નિર્ભર છે. આટલી પસંદગીઓમાંથી પણ કવિ કાન્તના વ્યક્તિત્વની પ્રતિમા એક પરિતોષક અનુભવ આપી શકી હોત - એ બન્યું નથી. ૩. પદ્ય અને છંદ : કથક (નરેટર) અને પાત્ર (કાન્ત)ને જુદા પાડનારી નાટયપ્રયુક્તિ યોજવા ઉપરાંત કાન્તની કવિતામાં કથન માટે યોજાયેલા અનુષ્ટુપને પણ આ નાટકમાં લેખકે યોજયો છે. ‘કાન્તનાં ખંડકાવ્યોમાં જોવા મળતો... આ કથક અનુષ્ટુપમાં બોલે છે તેવી (રીતે) મેંયે અનુષ્ટુપને યોજવાનું વિચાર્યું. મને એનો ખાસ્સો લાભ અહીં મળ્યો છે. ક્યાંક ક્યાંક છંદછૂટ લઈ શ્રુતિથી પણ ચલાવ્યું છે. પણ એ સભાનતાનો ભાગ છે, અજ્ઞાનતાનો નહીં. એટલું વિનમ્રતાપૂર્વક જણાવું.’ (નિવેદન, પૃ. ૫). પરંતુ સતીશ વ્યાસનો આ અનુષ્ટુપ બહુ જોખમી પુરવાર થયો છે - છંદના નકશાની રીતે, શ્રુતિલયની રીતે, એની પદ્યસુઘડતાની રીતે ને કાવ્યસૌંદર્યની રીતેય. દિલગીરી સાથે કહેવું પડે છે કે એમનો કાન લયગ્રહણમાં કાચો છે. પહેલાં અનુષ્ટુપ સિવાયનું એક દૃષ્ટાંત લઈએ. કાન્તની જ પંક્તિઓ યોજતાં ‘નયન નમણાં, ગ્રીવાધોળી, લલાટ સુહામણું’ને બદલે એમણે (ત્રણચાર વાર આ પંક્તિ આવે છે ત્યાં) બધે જ ‘વદન સોહામણું’ લખ્યું છે. (જોકે પાછળથી એમણે આ સુધારી લીધું જણાયછે કેમકે નાટચપ્રયોગમાં ‘લલાટ સુહામણું’ બોલાયેલું.) આમ તો, ક્યાંય પણ, કોઈની પંક્તિ યોજતાં પહેલાં મૂળની ચોકસાઈ કરી લેવાની હોય. પણ માની લઈએ કે સરતચૂક થઈ. પરંતુ સરતચૂકમાં સ્મૃતિદોષ હોઈ શકે. લયદોષ કેવી રીતે થાય? હરિણીની છેલ્લી શ્રુતિઓ લગા લલગા લગા-માં, ભૂલથીય, ‘વદન સોહામણું’ કેવી રીતે ગોઠવાય ? શ્રુતિસંધાનનો આ જ અભાવ એમને અનુષ્ટુપમાં નડ્યો છે, લગભગ બધે જ. અનુષ્ટુપનાં ૮-૮ અક્ષરોનાં ચાર ચરણોના શ્લોકમાં વિષમપાદ (પહેલા-ત્રીજા ચરણ)નું અત્યંત એટલા પૂરતું દૃઢ નિયંત્રણ છે. બાકીની શ્રુતિઓ પર લઘુગુરુ અંગે વિશેષ નિયંત્રણ નથી. (અલબત્ત, અનુષ્ટુપ ગુરુપ્રધાન છંદ ગણાયો છે.) હવે આ છંદ કેમ પસંદ કર્યો એની વાત કરતાં કથક જે અનુષ્ટુપ યોજે છે. એ વાંચીએ. (અક્ષરો ઘાટા મેં કર્યા છે, એ અક્ષરોમાં છંદ તૂટે છે.)
શું છે કે ઇહ છંદમાં પ્રત્યાયન રહેલું પડ
જૂનો છે નીવડેલો છે જીભે મોઢે ચડેલો છે.
પહેલો જાત જ ઓળખું ઓળખાવું તમોને હું
હું કથ્થક નરેટર કાન્તનો માંહ્યલો ય હું
ચાર પંક્તિમાં છ જગાએ ખોડંગાતો આવો છંદ કોને ‘જીભે મોઢે’ ચડેલો હોય કે ચડી શકે ? આ નાટકમાંનો અનુષ્ટુપ, સર્વાધિક પંક્તિઓમાં તો, અનુષ્ટુપ હોવાને બદલે, લેખકના શ્રુતિ-ખંડમાંથી નીકળેલો, લગાગાગાનાં ચાર આવર્તનોવાળો (માત્રામેળ નહીં પણ અક્ષરમેળ) ગઝલનો છંદ છે ને એણે છંદનો મૂળ મિજાજ જ બદલી નાખ્યો છે. ‘પીડાઉં છું, રીબાઉં છું, સદીથી હું મૂંઝાઉં છું. / આ પૃષ્ઠોની મરુભોમે બધાં અંગે ભૂંજાઉં છું’ એ એકદમ આરંભની પંક્તિઓ તથા ‘ભલે દાટો કોઈ કબ્રે, જલાવો કો ચિતામાંહી, / કવિનો શબ્દ છું તેથી પુનઃ ઉત્થાન હોઉં છું’ - એવી નાટકની અંતિમ પંક્તિઓની વચ્ચે આ ગઝલ-લય જ વારેવારે ઊછળતો, અનુષ્ટુપના લય-સૌંદર્યને તોડતો રહ્યો છે. (બલવંતરાયે એક સ્થાને વ્યાપક રીતે યોજેલા આવા અનુષ્ટુપ-પ્રયોગ વિશે રામનારાયણ પાઠકની ટીકા અહીં નોંધવી યોગ્ય લાગે છે. એ કહે છે કે પ્રો. ઠાકોરના આ અનુષ્ટુપમાં ‘શ્લોકોનાં વિષમ-સમ બધાં ચરણોમાં લગાગાગા આવે છે ત્યાં રચના, અનુષ્ટુપમાં જરા પણ મેળ ન ખાય તેવી ગઝલમાં ઊતરી પડે છે અને અનુષ્ટુપનું પ્રૌઢત્વ ખોઈ બેસે છે... (અનુષ્ટુપમાં) ગમે તેવી છૂટ લઈ શકાય છે એવા સામાન્ય અભિપ્રાયથી એવા થોકબંધ પ્રયોગ થાય છે જેમાં અનુષ્ટુપ તદ્ન કથળી જાય છે, બેડોળ બની જાય છે.” (બ્રહત પિગળ, પુનર્મુદ્રણ, ૧૯૯૨, પૃ. ૬૭૭) પદ્ય-સૌંદર્યની રીતે પણ આ નાટકમાંનો અનુષ્ટુપ નબળો છે. જેણે છંદના ઝીણામાં ઝીણા શ્રુતિઅંકનનું, સુબદ્ધ પ્રાસનું અને સઘન-મધુર પદાવલીનું અપ્રતિમ સૌંદર્ય પ્રગટાવ્યું હોય એવા કવિ કાન્તને વિષય કરતા નાટકમાં તો પદ્ય, પ્રયોજવું જ હોયતો, ભલે કાન્તના જેવી ઊંચાઈએ ન હોય પણ ઠીકઠીક સજજતાથી તો પ્રયોજવું જોઈએ. કથક જેને ‘છંદરાજ અનુષ્ટુપ’ (પૃ. ૩૪) કહે છે એ છંદ (? = ગઝલ)ની પદાવલી (ડિક્શન) જુઓ : ‘કવિના જીવને જેણે મચાવ્યો ભવ્ય હોબાળો, / હું વાળું એ દિશે જાણો : હતો શો લોહીઉકાળો. (પૃ ૩૪). ઘાટા કરેલા શબ્દો પર રસિકોનું ધ્યાન દોરવાથી વિશેષ અહીં કશું કહેવાનું રહેતું નથી. વિગત-વર્ણન માટે ભલે યોજાયેલો હોય પણ કાન્તમાં છંદ એની કમનીયતા છોડતો નથી. આ નાટકમાં બધે જ કથક પદ્યમાં જ કથન કરે છે એવું નથી તો પછી ક્યારેક માહિતી આપવામાંય એ શા માટે છંદ પ્રયોજે છે એ સમજાતું નથી.. દાખલા તરીકે, નર્મદા(ન્હાની) કાન્ત પાસે ભણવા બેસે છે એ વિગત આ રીતે પદ્યદેહ પામી છે :
સવારે ન્હાઈધોઈને પૂજાની જેમ બેસે છે,
શીખે સંસ્કૃત-અંગ્રેજી વિદૂષી+ થાય છે એય. (પૃ. ૨૭)
નાટકને આરંભે, ચાળીસેક પંક્તિઓ પછી કથક કહે છે, ‘ફાવશે પદ્યમાં વાતો ?’ પછી કહે છે, જે પદ્યમાં નહીં ફાવે ‘એને કૈં રોડવશું ગદ્યમાં’ (પૃ. ૩). આપણને થાય કે પદ્યમાં તો આ બધું ‘રોડવવા’ જેવું ન જ હતું ! ‘કાનને કષ્ટ ઓછું હો’ એ, ૪૦ પંક્તિઓ પછી સમજાયું હોવા છતાં લેખક આ (અને આવો ?) છંદ ચલાવતા જ રહ્યા છે ને એથી નાટ્યભાષાને, અને બોલચાલના ઘણા કાકુઓને પણ, નુકસાન પહોંચતું રહ્યું છે. સતીશભાઈ આપણા એક નાટ્યવિવેચક છે, ઘણાં વર્ષોથી નાટ્યદિગ્દર્શન પણ એ કરતા રહ્યા છે, એમનાં કેટલાંક એકાંકી નાટકો સારાં થયાં છે. પરંતુ આ ચરિત્રનાટકમાં કાન્તના વ્યક્તિત્વની સંકુલતા કે એનું ઊંડાણ પ્રગટ કરી આપવામાં, નાટ્યગત સંઘર્ષની ઉત્તમ, પરાકાષ્ઠારૂપ ક્ષણો નિરૂપી આપવામાં અને પદ્યનો, છંદનો સજજતાપૂર્વક નાટ્ય-વિનિયોગ કરવામાં તેઓ કશો તોષ આપી શક્યા નથી. આ પ્રયોગપ્રતને એ કૃતિ તરીકે ફરી હાથ ધરે તો એનું રૂપ સાફસૂથરું બને, થોડીક શક્યતાઓ કદાચ ઉઘાડે.
‘પરબ’, જૂન ૨૦૦૬
‘મથવું – ન મિથ્યા’ પૃ. ૧૯૪ થી ૨૦૨