અનુનય/ઘરમાં બાળકનું આગમન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઘરમાં બાળકનું આગમન

ઘણાં વરસથી ઘર વ્યવસ્થિત હતું,
મોટેરાં આચારસંહિતાનું
ચુસ્ત પાલન કરતાં હતાં :
પલંગ ઉપર કૂદાકૂદ ન થાય
ચાદર મેલી ન કરાય
પુસ્તકો રખડતાં ન રખાય
એનાં પાનાં વળાય નહીં, ફડાય નહીં
કોઈ વાંચતું હોય ત્યારે ઘાંટા પડાય નહીં
કારણ વગર હસાય નહીં
કારણ વગર રડાય નહીં
શિસ્તભંગ એટલે શિષ્ટતાનો ભંગ!
 
પણ આ અવનીનું આગમન
એટલે અચલાયતન ઉ૫ર આક્રમણ!
એણે તો આવતાંવેંત જ
આચારસંહિતા ઉપર છાપો માર્યો
એનાં ઘણાં પાનાં ફાડી નાખ્યાં–
હવે પલંગની ચાદર મેલી થાય છે
પુસ્તકો આખા ઘરમાં ફરે છે
દેવો હવે રમકડાં સાથે
રખડવા નીકળી પડે છે!

એ હસે છે રડે છે ત્યારે
કાર્યકારણનું અમારું આખું
વ્યાકરણ જ રદ થઈ જાય છે!
એનું એક એક પગલું
એટલે શિસ્તભંગનું પગલું –

પગલે પગલે
વ્યવસ્થા પાતાળમાં ચંપાઈ જાય છે.
ભગવાન બડો શરારતી છે (કવિ છે ને!)
એને ય તે
ચપોચપ વ્યવસ્થા નહીં, લીલા ગમે છે!

૨૮-૧૨-’૭૫