અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/ભેંકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભેંકાર

ચિનુ મોદી `ઈર્શાદ'

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળામાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ-સ્વરૂપ;

સમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ? — પાળિયાની.

આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાંઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર;

પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ. — પાળિયાની.

ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગ રે બેસવું, માણસ હોવાની મને ચીડ;

આપણે અજાણી એક લાગણીને લાગણીના
ચોર્યાશી લાખ થયા સ્તૂપ. — પાળિયાની.




ચિનુ મોદી `ઈર્શાદ' • પાળિયાની જેમ મારી એકલતા આરડે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: પૌરવી દેસાઇ