અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/નોખું નોખું ને એકાકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નોખું નોખું ને એકાકાર

વેણીભાઈ પુરોહિત

સપનામાં જાગ્યો તેનો
લાગ્યો ઉજાગરો ને
આંખોમાં ભીનો ભીનો ભાર રે,
જોગીડા! આ તે
કેવું રે સૂવું ને કેવું જાગવું હો જી!

લોચન બીડ્યાં ને સૃષ્ટિ સો સો ત્યાં ઊઘડી,
સો સો સમાધિ લાગી... લાગી અધૂકડી,
જ્યાં રે કાંઠો છે ત્યાં મઝધાર :
રે જોગીડા! આ તે
કેવું પરાયું કેવું આગવું હો જી!

સામે આવે તે પહેલાં સુખડાં મેં પામી લીધાં,
આડે આવે તે પહેલાં દુખડાં મેં વામી દીધાં;
મારો તે લાગે મુને ભાર :
રે જોગીડા! આ તે
કેવું રે ભોગવવું કેવું ત્યાગવું હો જી!

શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવકજ્યોતે —
ઘૂમી ઘૂમીને વીજલ ખાતી પછડાટ પોતે —
લપસીને લથડે લાખો વાર :
રે જોગીડા! આ તે
કેવું રે રુઝાવું કેવા વાગવું હો જી!

પંખી પોતામાં ઊડી પોતામાં ડૂબી રહેતું,
આખું આકાશ એને ચોગમ લપેટી લેતું
ઊંચું ને ઊંડું હારોહાર
નોખું નોખું ને એકાકાર
રે જોગીડા! આ તે
કેવું તરવું ને કેવું તાગવું હો જી!

(આચમન, ૧૯૭૫, પૃ. ૧૩૧-૧૩૨)