અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/પારાવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પારાવાર

વેણીભાઈ પુરોહિત

હું પોતે મારામાં છલકું
         પંચામૃતનો મુખરિત પારાવાર.
હું છું મારો ફેનિલ આરો,
         ને હું મુજ ઊર્મિલ મઝધાર :
         પંચામૃતનો સુખરિત પારાવાર.

ફેનફેનના કુન્દધવલ કંઈ
         ઘૂઘરના ઘમકાર,
હું છું મારું સ્મિત સ્વરમંડલ,
         ને હું મારો અભિહત હાહાકાર :
         પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારો વિરહાકુલ પ્રેમી,
         હું મારો અભિસાર —
સ્વયં વિવર્તિત, સ્વયં વિસર્જિત,
નશ્વર ને તોફાની તબડક
તરંગના તોખાર :
હું પોતે નિજ રેન સમાલું,
         હું મારો અસવાર :
         પંચામૃતનો મુખરિત પારાવાર.

ઋતુમય તેજઋચા હું પોતે
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
         હું મુજ મંત્રોચ્ચાર :
અનંતમાં લીલામય રમતા
         છંદલલિત ઉદ્ગાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
ચેતનમય છલછલ જલઅંબર
ફરફર ફરકે —
દૂર જઈ આત્મવિલોપનમાં
સહુ મરકે —
મોજમોજનાં ગેબ ગતકડાં,
ક્ષણભંગુરનો ક્ષણ ક્ષણ નવઅવતાર :
મોજાંનો છે રવ,
રવનાં છે મોજાં અપરંપાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અકલિત, એકાકાર :
नित्यजीवोऽहम् नित्यजीवोऽहम्,
હું પોતે મારામાં મલકું,
પંચતત્ત્વનો પુલકિત પારાવાર.