આંગણે ટહુકે કોયલ/વણજારો વણજારી રમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૩. વણજારો વણજારી રમે

વણઝારો વણઝારી રમે સોગઠે રે લોલ,
એને રમતાં થઇ છે વઢવેડ મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
વણઝારી તે હાલ્યાં રૂસણે રે લોલ,
એને કોણ મનાવવા જાય મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
એનો સસરો મનામણે હાલિયા રે લોલ,
વળો વળો વ’વારુ ઘેર મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
સસરા તમારી વાળી નહિ વળું રે લોલ,
મારી સાસુડી ઘરડાનો મોભ મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
વણઝારી તે હાલ્યાં રૂસણે રે લોલ,
એને કોણ મનાવવા જાય મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
એનો જેઠ મનામણે હાલિયા રે લોલ,
વળો વળો વ’વારુ ઘેર મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
જેઠ તમારી વાળી નહિ વળું રે લોલ,
મારી જેઠાણી ઘરડાનો મોભ મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
વણઝારી તે હાલ્યાં રૂસણે રે લોલ,
એને કોણ મનાવવા જાય મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
એનો પરણ્યો મનામણે હાલિયા રે લોલ,
વળો વળો ગોરાંદે ઘેર મારા વાલા,
હું રે વણઝારી પરદેશની રે લોલ.
હે પરણ્યા તમારી વાળી ઝટ વળું રે લોલ,
મારે તમથી છે ઘરડાનો વાસ મારા વાલા,
હુ રે વણઝારી પરદેશની લોલ.

લોક્ગીતોમાં નાનીનાની વાતમાં રિસામમણાં-મનામણાં બહુ સાહજિકરીતે આવતાં હોય છે કેમકે લોકગીતો એટલે લોકના ડીએનએનો ઓથેન્ટિક રીપોર્ટ! લોકગીતો પતિ-પત્ની અને પરિવારના સભ્યોની માનસિક અને શારીરિક પ્રક્રિયાનાં બોલકાં ગાણાં છે. ઘરમાં કોઈને કોઈ સાથે મતભેદ, વિવાદ વગેરે થાય એ સ્વાભાવિક છે, દરરોજ સાથે રહેતા લોકો વચ્ચે ક્યારેક ગમાઅણગમા થવાના એટલે લોકગીતોમાં એ બધું ડોકાવાનું જ પણ આવી વડછડ કે ખેંચતાણ થોડા કલાકો પુરતી જ હોય છે. પતિ-પત્નીના કજિયા ઝાકળિયાં વાદળ જેવા હોય, સમજણનો સૂરજ તપતાં જ એ વાદળ ઓગળી જતાં હોય છે. ‘વણઝારો વણઝારી રમે સોગઠે...’ આવી જ પારિવારિક વડછડ બયાન કરતું લોકગીત છે. પતિ પત્ની વચ્ચે સોગઠે રમતાં થોડી બોલાચાલી થઇ ગઈ, પત્ની રિસાઈને ચાલી નીકળી. સસરા મનાવવા ગયા તો પુત્રવધૂ ન માની ને કહ્યું કે ઘરનો મોભ તો સાસુ છે, ઘરમાં એનું વધુ ચાલે છે એટલે એ આવે તો હું ઘેર પાછી ફરું. આવી જ રીતે જેઠ ગયા તો એને પણ આ જ જવાબ મળ્યો ને અંતે જેની સામે વાંધો પડ્યો હતો એ પતિ અહમ ત્યાગીને મનાવવા ગયો તો સ્ત્રી તરત જ માની ગઈ કે હું તમારે કારણે તો આ ઘરમાં છું, તમે બોલાવો ને હું ન આવું એવું ન બને, અંતે સૌ સારાંવાનાં થઇ ગયાં. આખા લોકગીતનું તારતમ્ય કાઢીએ તો સૌથી પહેલી વાત એ કે વણઝારી પોતાને પરદેશી ગણાવે છે. આપણા બાપદાદા સંતાનોને પોતાના ગામથી બને એટલા નજીકના ગામમાં અને પરિચિત પરિવારોમાં જ પરણાવતા, પરદેશમાં તો નહિ જ! વળી જયારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે અહમના ઠેકેદાર સમા પુરૂષે પોતાના, બાળકોના અને પરિવારના કલ્યાણ માટે અહમ ખંખેરીને મનામણા કરવા જવું! આપણું લોકસંગીત જબરું છે ને?