આચમની/૨૬

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૬

ભારત યજ્ઞભૂમિ છે. યજ્ઞના સૂક્ષ્મ, વિશુદ્ધ અને વિરાટ સ્વરૂપની સરવાણી ક્યાંક ક્યાંક વહેતી રહી છે. પણ મોટે ભાગે તો યજ્ઞનાં સ્થૂળ, વિકૃત અને આડંબરી પૂરનાં ડહોળાં પાણી જ બધે ફરી વળ્યાં છે. મનુષ્યનું યજ્ઞકાર્ય તો વિરાટ પુરુષના મહાયજ્ઞનું અત્યંત નાનું પ્રતીકાત્મક રૂપ છે અને એ મહાયજ્ઞ જેમ નિરંતર ચાલે છે તેમ આ યજ્ઞ પણ શ્વાસે શ્વાસે ચાલવો જોઈએ. આ યજ્ઞની આહુતિનાં દ્રવ્યો બજારમાંથી ખરીદવાં પડે એમ નથી. પોતાની ક્ષુદ્ર કામનાઓ, તૃષ્ણાઓ, એષણાઓને જ હોમાત્મક દ્રવ્ય તરીકે હોમી દેવાની છે. ગીતાએ તો સમસ્ત જીવનને જ યજ્ઞનું સ્વરૂપ ગણાવ્યું છે. યજ્ઞને જ્યારે પાંચ મહાયજ્ઞ તરીકે રોજિંદા જીવનમાં વણી લેવામાં આવે ત્યારે તે મનુષ્યને નાનકડા જંતુથી માંડી બૃહદ્ બ્રહ્મ સાથે સાંકળી દે છે. આપણે રોજેરોજ પાંચ મહાયજ્ઞ કરવાના છે તે પછી જ આપણને ભોજનનો અધિકાર મળે છે. આ પાંચ મહાયજ્ઞ છે : બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. આ યજ્ઞો કોઈ ફળપ્રાપ્તિ માટે નહીં પણ ઋષિઓ દેવો, પિતૃઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં ઋણમાંથી મુક્ત થવા માટે છે. મનુષ્યોના કલ્યાણને માટે ઋષિ-દ્રષ્ટાઓ જે વાણી આપતા ગયા છે તેમાંથી રોજ સેવન કરવું તે બ્રહ્મયજ્ઞ. પોતાના કુળ-દેવતાનું કે ઈષ્ટ દેવતાનું પૂજન-અર્ચન કરવું તે દેવયજ્ઞ. પૂર્વજોનો જે કોઈ સંસ્કાર-વારસો હોય તે જાળવવો અને વધારવો તે પિતૃયજ્ઞ. માનવ સમાજ માટે અને આંગણે આવેલા અતિથિ માટે સેવાભાવથી કાંઈક કરી છૂટવું તે નૃયજ્ઞ. પશુ. પંખી, વનસ્પતિ, જીવજંતુના રક્ષણ-પોષણની જવાબદારી લેવી તે ભૂતયજ્ઞ. આ પાંચ યજ્ઞને નિત્ય પ્રજવલિત રાખનારો મનુષ્ય આ મૃત્યુલોકમાં અમૃત-આનંદ પ્રાપ્ત કરે છે. આ નિત્યના પંચયજ્ઞથી ભૂતાત્મા એટલે કે સર્વ પ્રાણીઓમાં રહેલા અંતર્યામી, પૂતાત્મા એટલે કે ઉચ્ચ લોકમાં વસતા પવિત્ર આત્મા તથા ૫રમાત્મા એટલે કે સર્વ લોકના સ્વામી મહેશ્વર પ્રસન્ન થાય છે.

***