કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૨. ઓતરાદા વાયરા, ઊઠો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૨. ઓતરાદા વાયરા, ઊઠો!

ઝવેરચંદ મેઘાણી

ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે –
ઓતરાદા વાયરા, ઊઠો!
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી
ઓતરાદા વાયરા, ઊઠો!
ધૂણન્તાં શિવ-જોગમાયાને ડાકલે
હાકલ દેતા, હો વીર, ઊઠો!
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે
પૂરપાટ ઘોડલે છૂટો! – ઓતરાદાo
ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ
સડિયેલાં ચીર, ધૂળ, કૂંથો;
જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ:
ઝંઝાના વીર, તમે ઊઠો! – ઓતરાદાo
કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ!
કરમાતી કળીઓને ચૂંટો;
થોડી ઘડી વાર ભલે બુઝાતા દીવડા:
ચોર-ધાડપાડ ભલે લૂંટો! – ઓતરાદાo
છો ને છુંદાય મારી કૂણેરી કૂંપળો:
સૂસવતી શીત લઈ છૂટો;
મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,
ચીરો ચમકાટ એનો જૂઠો! – ઓતરાદાo
ઊઠો, કદરૂપ! પ્રેતસૃષ્ટિના રાજવી!
ફરી એક વાર ભાંગ ઘૂંટો:
ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા
હુહુકાર-સ્વરે કાળ, ઊઠો! – ઓતરાદાo
કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ!
રહેજે ચંદનની ગોદ સૂતો;
નથી નથી પર્વ પુષ્પધન્વાનું આજ: ઘોર
વિપ્લવના ઢોલડા ધડૂકો! – ઓતરાદાo
૧૯૩૪
બેસતા વર્ષને દિવસે રચાયું. કાર્તિક-માગશરથી પવન પલટાઈને ઉત્તર-દક્ષિણ વહે છે. વિશુદ્ધીકરણની પાનખર ઋતુ મંડાય છે. નવરચનાને કારણે જીવનવાયરા પણ એવા જ સૂસવતા ને સંહારક જોઈએ છે