કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/નોળવેલ
Jump to navigation
Jump to search
૧૫. નોળવેલ
તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ,
છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ઊંડી ગુહામાં,
ના, ના, તારી સમય વધતાં શક્તિ કૈં ક્ષીણ થાય :
નિત્યે તાજી; દિવસ દિવસે વર્ધતી શક્તિ, ન્યારી!
આંહી મારે સતત લડવો ક્રુદ્ધ સંસારસર્પઃ
કેવી એની તરલ ગતિ, કેવો વળી ઉગ્ર દર્પ!
એની આંખો ચપલ ચુકવાયે ન; ડોલે ફણા શી!
ડંખાઈને પુનરપિ પુનઃ સૂંઘવી નોળવેલ!
જેણે સર્જ્યો પ્રબળ, લડવા ઘોર સંસારસર્પ;
તેણે સર્જી અમૃતમય આ અંતરે નોળવેલ!
ડંખાઈને પુનરપિ પુનઃ, સૂંઘીને નોળવેલ,
પાછું યુદ્ધે સતત મચવું; જીતવું ના જ સ્હેલ!
ઢીલી થાતી સરપતણી આ શક્તિ, એ ના અખૂટ!
પૂરી થાશે લડત હમણાં; – પીઉં પીયૂષઘૂંટ!
(‘પદ્મા’, પૃ. ૧૩૨)