કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/પારિજાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦. પારિજાત

લહું ના ગતિ રાત્રિની, ક્ષણો
ઠરતી આ ઝમતા તમિસ્રમાં.
વિકસી નિજ સૃષ્ટિમાં રહ્યું
નભ જેવું ગૂઢ પારિજાત; ને
ખરતાં મૃદુબંધ પુષ્પનો
સુણતો સૌરભશેષ શો ધ્વનિ!
પમરે સ્વર જે સલજ્જ ત્યાં
ગ્રહવા સંનિધિ કર્ણમૂલની.
દ્રવતા અણુ પૂર્વરાગના
વિરમે કેમ અશબ્દ કંપતા?
સ્વર એ જ ધરા પરે બધે
પથરાયો કુસુમો બની બની.
કુસુમો લય થાય કાળમાં,
પ્રસરે કેવળ શ્વેત રિક્તતા.
૧૯૬૪

(તમસા, પૃ. ૮૪)