કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧૮. ઉમા-મહેશ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૮. ઉમા-મહેશ્વર
(શિખરિણી)

`અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ :શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત, તમને છેતરી, પીધું
અને–' `ભૂલે! ભૂલે! અમૃત, ઉદધિનું વસત શી?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!'
`રહો, જાણ્યા એ તો, જગ મહીં બધે છેતરઈને ૧૦
શીખ્યા છો આવીને ઘરની ઘરુણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ, વિષ પીધું ક્યમ કહો?'
`બન્યું એ તો એવું, કની સખી! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા, –
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે?' ૧૭
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ :સીમ ઊલટ્યો;
અને એ આશ્લેષેે વિષ જગતનું સાર્થક બન્યું! ૧૯

(શેષનાં કાવ્યો, પૃ. ૫૨)